સ્ટેટ ક્વોટા અને મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં અસાધારણ તફાવત હોય છે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
જો નીટ 2020માં સ્કોર ઓછો હોય અને તમે હોમીયોપેથી કે આયુર્વેદિક મેડીસીનની કોલેજમાં પહેલા વર્ષમાં પ્રવેશ મેળવવાની ઇચ્છા રાખતા હોવ તો સંભવ છે કે તમારે ગત વર્ષ કરતા કોલેજોને વધુ ફી એટલે કે તોતિંગ ફી ચૂકવવી પડશે. કેમકે સરકારે હોમીયોપેથી અને આયુર્વેદિક કોલેજોની સ્ટેટ ક્વોટામાં 15 ટકા સીટો ઘટાડી નાંખીને એ મેનેજમેન્ટ ક્વોટામાં ફાળવી આપી છે. હવે પ્રાઇવેટ આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટા 40 ટકા થઇ ગયો છે. જેમાં 15 ટકા સીટો એન.આર.આઇ. ક્વોટાની છે. આ કોલેજો પર પ્રવેશ કાર્યવાહી પણ પ્રાઇવેટ કોલેજોના કોન્સોર્ટીયમ (મંડળ)ને આપી દેવામાં આવી છે.
ગુજરાત સરકારે મેડીકલ અને પેરમેડીકલ કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21માં પ્રવેશ માટે ગઇ તા.8મી ઓક્ટોબર 2020ના રોજ નોટિફિકેશન જારી કર્યું છે. આ નોટિફિકેશનમાં એક જોગવાઇ એવી કરવામાં આવી છે કે અનએઇડેડ એટલે કે સેલ્ફફાઇનાન્સ એટલે કે પ્રાઇવેટ સંચાલકો દ્વારા ચલાવવામાં આવતી આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં હવેથી 40 ટકા (15 ટકા એન.આર.આઇ. ક્વોટા સમેત) સીટો પર મેનેજમેન્ટ ક્વોટાથી પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત સરકારની એડમિશન કમિટી સેલ્ફ ફાઇનાન્સ આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં ફક્ત 60 ટકા સ્ટેટ ક્વોટાની સીટો પર જ પ્રવેશ ફાળવશે. આમ, ટૂંકમાં કહીએ તો જે વિદ્યાર્થીઓનો નીટ-2020માં સ્કોર ઓછો આવ્યો છે તેમના વાલીઓએ હવે વધુ લૂંટાવું પડશે.

હોમીયોપેથી અને આયુર્વેદિક કોલેજોમાં અત્યાર સુધી મેનેજમેન્ટ ક્વોટામાં 25 ટકા સીટો હતી 2020થી એ વધારીને 40 ટકા કરી દેવામાં આવી
કેમકે નીટમાં સ્કોર ઓછો ધરાવતા વિદ્યાર્થીઓ સામાન્યઃ આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં પ્રવેશ મેળવતા હોય છે. હવે ત્યાં વધુ 15 ટકા સીટો મેનેજમેન્ટ ક્વોટામાં આપી દેવામાં આવી છે. સ્ટેટ ક્વોટા અને મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં અસાધારણ તફાવત હોય છે.
ગુજરાત સરકારની આ નીતિને કારણે વાલીઓ પર વધુ આર્થિક બોજ પડશે એ નિશ્ચિત છે.






















