CIA ALERT

Blog - Page 222 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
June 21, 2021
mutual_funds.jpg
1min464

કોરોના મહામારીમાં પણ સેવિંગ્સ રેશિયો પોઝિટવ જોવા મળી રહ્યો છે. માર્ચ-૨૦૨૦માં ઇક્વિટી માર્કેટમાં આવેલા જંગી ઘટાડા બાદ માર્કેટ સરેરાશ બમણું વધ્યું છે જેની સાથે-સાથે મ્યૂચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં પણ રોકાણમાં સતત વધારો થઇ રહ્યો છે. ઇક્વિટી માર્કેટની અનિશ્ર્ચિતત્તાને લઇને નવા પ્રવેશતા રોકાણકારો મ્યૂચ્યુઅલ ફંડમાં એસઆઇપીમાં રોકાણ કરી રહ્યાં છે.

એસઆઇપી મે માસમાં ઓલટાઇમ હાઇ ૪.૬૭ લાખ કરોડની સપાટી પર પહોંચ્યું છે. એસઆઇપીમાં રોકાણ છેલ્લા પાંચ વર્ષમાં ચાર ગણું વધ્યું છે. ૩૧ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ એસઆઇપી એયુએમ રૂ.૧૨૫૩૯૪ કરોડની હતી જે વધીને ૩૧ મેના અંતે રૂ.૪૬૭૩૬૬.૧૩ કરોડ આંબી ગઇ છે. આમ સરેરાશ વાર્ષિક ધોરણે ૩૦ ટકાથી વધુનો ગ્રોથ જોવા મળ્યો છે.

એમ્ફી દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, એસઆઈપી એયુએમ આ વર્ષે મે મહિનામાં ચાર ગણા ઉછાળા સાથે રૂ.૪.૬૭ લાખ કરોડ પર પહોંચી ગઈ છે. વાર્ષિક મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીના યોગદાનમાં પણ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન બે ગણો વધારો થયો છે, જે વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ., ૯૬૦૮૦ કરોડ થયો છે, જે વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન રૂ. ૪૩૯૨૧ કરોડ હતો.

ઉપરાંત, માસિક એસઆઈપી યોગદાન મે ૨૦૨૧ સુધીમાં ૨.૫૨ ગણી ઝડપી વૃદ્ધિ નોંધાવી ૮,૮૧૯ કરોડ રૂપિયા પહોંચ્યું છે જે ઓગસ્ટ ૨૦૧૬માં માસિક રૂ.૩૪૯૭ કરોડ રહ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં, એસઆઈપીમાં પ્રથમ પાંચ મહિનામાં રૂ. ૪૨,૧૪૮ કરોડનું રોકાણ આવ્યું છે.

સતત ઘટી રહેલા બેન્કના વ્યાજદર સામે સતત વધી રહેલા ફુગાવાના કારણે રોકાણ માધ્યમ બદલવું નાના બચતકારોએ ઉચીત સમજ્યું છે. લાંબા ગાળાના ઉચ્ચત્તમ ગુણાત્મક વળતર, માત્ર મ્યુચ્યુઅલ ફંડ એસેટ ક્લાસમાંથી જ આવી શકે છે. તેથી એમએફ એસેટ ક્લાસ પ્રત્યે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે.

નાના બચતકર્તાઓ બેંક થાપણોથી દૂર, મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં બચત કરી રહ્યા છે, કારણ કે બેન્કના દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એસઆઈપીએ મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા આપવામાં આવતી એક રોકાણ પદ્ધતિ છે જેમાં વ્યક્તિગત બચતકારણે નિયત સમયાંતરે પસંદ કરેલ મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં નિશ્ચિત રકમનું રોકાણ કરી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ એસેટ ક્લાસ પ્રત્યે રિટેલ રોકાણકારોના રસમાં વૃદ્ધિ નોંધાઈ છે, કારણ કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન એસઆઈપી ખાતા મે ૨૦૨૧ માં લગભગ ચાર ગણા ઉછાળા સાથે ૩.૮૮ કરોડ પર પહોંચી ગયા છે, જે એપ્રિલ ૨૦૧૬માં એક કરોડ જ હતા. મહિના-દર-મહિનાના ધોરણે નોંધાયેલા નવા એસઆઈપીની સંખ્યા, એપ્રિલ ૨૦૧૬ માં ૫.૮૮ લાખની સરખામણીએ ૩૧ મે, ૨૦૨૧ સુધીમાં સરેરાશ ત્રણ ગણા ઉછાળા સાથે ૧૫.૪૮ લાખ થઈ ગઈ છે.

June 21, 2021
gseb-1280x720.jpg
1min465

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ધો.12ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ સરકારના આપેલા પરિણામથી અસંતુષ્ટ હોય તો પરિણામ ગાંધીનગર જમા કરાવીને ફરી પરીક્ષા આપી શકશે. તેમના માટે અલગ પરીક્ષા યોજાશે. હવે પછી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.’

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કર્યું છે કે’ ધોરણ 12ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવશે. આ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઇ વિદ્યાર્થીને પરિણામથી અસંતોષ હોય તો એવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે.

તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું છે. આ ફોર્મ્યુલા પ્રમાણે ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ મળી જશે.

શિક્ષણ બોર્ડે ગત 19 જૂને કરેલા નિર્ણય અનુસાર, ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઇથી યોજવાનો નિર્ણય કર્યો છે. આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ.પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’

June 19, 2021
drdhaval.jpg
1min451

ગુજરાત સરકારે આજે તા.19 જુન 2021ના રોજ રાજ્યના ઉચ્ચ વહીવટી અધિકારીઓની સામૂહિક બદલીના કરેલા ઓર્ડરમાં કુલ 77 સનદી અધિકારીઓની બદલી તેમને નવી જવાબદારી સોંપી છે.

તા.19 જૂન 2021ના રોજ ટ્રાન્સફર પામેલા સનદી અધિકારીઓમાં સુરત કલેક્ટર, રાજકોટ કલેક્ટર તેમજ જામનગરના કલેક્ટરનો પણ સમાવેશ થાય છે. અમદાવાદના ડીડીઓની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે.

1991ની બેન્ચના એસ.જે. હૈદરને GSRTCના એમડી અને વાઈસ ચેરમેનના પદેથી ટ્રાન્સફર કરી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમવામાં આવ્યા છે. જ્યારે તેમના સ્થાને 2005ની બેન્ચના હર્ષદકુમાર પટેલને GSRTCનો હવાલો આપવામાં આવ્યો છે. લાંબા સમયથી સુરત જિલ્લાના કલેક્ટર રહેલા ધવલ પટેલને ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનના કમિશનર બનાવાયા છે, તેઓ ગુડાના સીઈઓ તરીકે પણ જવાબદારી નિભાવશે.

રાજકોટના કલેક્ટર રેમ્યા મોહનને નેશનલ હેલ્થ મિશનના મિશન ડિરેક્ટરની જવાબદારી સોંપાઈ છે. રાજકોટ મ્યુ. કોર્પોરેશનના કમિશનર ઉદીત અગ્રવાલને મહેસાણાના કલેક્ટર તરીકે નિમણૂંક અપાઈ છે. નેશનલ હેલ્થ મિશનમાં મિશન ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા 2007ની બેન્ચના અધિકારી એમ.એ. પંડ્યાને દેવભૂમી દ્વારકાના કલેક્ટર બનાવાયા છે. આમંદના કલેક્ટર આર.જી. ગોહિલની ટ્રાન્સફર ગીર-સોમનાથમાં કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા અરુણ બાબુને રાજકોટના કલેક્ટર બનાવાયા છે.

June 19, 2021
Milkha-Singh.jpg
1min609

છ દિવસ પહેલાં મિલ્ખા સિંહની પત્નીનું પણ મૃત્યુ થયું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું

‘ફ્લાઈંગ શિખ’ (Flying Sikh)ના નામે ઓળખાતા પૂર્વ ભારતીય લિજેન્ડ સ્પ્રિન્ટર મિલ્ખા સિંહ (Milkha Singh)નું ૯૧ વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોરોના વાયરસ (COVID-19) સંક્રમણનો ભોગ બન્યા હતા. તેમણે ચંડીગઢની PGIMER હૉસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. હજી છ દિવસ પહેલાં જ તેમની પત્ની અને ભારતીય મહિલા વોલીબોલ ટીમના ભુતપુર્વ કપ્તાન ૮૫ વર્ષીય નિર્મલ કૌર (Niramal Kaur)નું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સના કારણે નિધન થયું હતું.

ગત મહિને ૨૦ મેના રોજ મિલ્ખા સિંહ અને તેમની પત્ની નિર્મલ કૌર કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ ૨૪ મેના રોજ મિલ્ખા સિંહને એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પછી પરિવારના આગ્રહથી ૩૦મેના રોજ તેમને હૉસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યા હતા. ત્યારથી તેમની સારવાર ઘરમાં જ ચાલતી હતી. જોકે, થોડાક દિવસ પહેલાં તેમનું ઑક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું અને ૩ જૂનના રોજ મિલ્ખા સિંહને ફરી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે નિર્મલ કૌરની સારવાર મોહાલીની ફોર્ટિસ હૉસ્પિટલમાં ચાલી રહી હતી. નિર્મલ કૌરનું નિધન ૧૩ જૂનના રોજ સાંજે ચાર વાગ્યે થયું હતું. ICUમાં દાખલ હોવાથી મિલ્ખા સિંહ પત્નીના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા નહોતા.

June 19, 2021
petrol-diesel-1.jpg
1min377

એક દિવસના વિરામ બાદ તા.18મી જૂન 2021ને શુક્રવારે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલમાં ધીમા ઝેર જેવો વધારો આગળ ધપ્યો હતો.

ઓઈલ કંપનીઓ દ્વારા શુક્રવાર તા.18મી જૂને પેટ્રોલનાં ભાવમાં 28થી 30 પૈસા અને ડીઝલનાં ભાવમાં 26થી 27 પૈસા જેટલો વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. આ સાથે જ 4 મેથી અત્યાર સુધીમાં પેટ્રોલમાં’ 6.પ7 રૂપિયા અને ડીઝલમાં 6.96 રૂપિયાનો કુલ ડામ આવી ગયો છે.

તા.18મી જૂને દિલ્હીમાં પેટ્રોલનાં ભાવ 96.93 અને ડીઝલનો ભાવ 87.69 રૂપિયા નોંધાયો હતો. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.08 અને ડીઝલનો ભાવ 9પ.14 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો હતો.

છેલ્લા 50 દિવસમાં વાહન ઈંધણનાં ભાવમાં કુલ 27 વખત વધારો થયો છે અને ભાવ સર્વકાલીન ઉંચાઈઓ સર કરી ગયો છે.’ દેશનાં કુલ મળીને 12 રાજ્યોમાં પેટ્રોલનાં ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયા છે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રનાં તમામ જિલ્લાઓમાં ભાવ હવે 100 રૂપિયા થઈ ગયો છે. તો બિહાર, તેલંગણ, કર્ણાટક, જમ્મ-કાશ્મીર, મણિપુર, ઓરિસ્સા, તામિળનાડુ અને લદ્દાખનાં અનેક ભાગોમાં ભાવ 100 રૂપિયાથી વધી ગયો છે.

June 19, 2021
indianhocky.jpg
1min448

ટોક્યો ઓલિમ્પિકની ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમ જાહેર થઇ છે. 16 ખેલાડીની પુરુષ ટીમમાં દસ એવા ખેલાડી છે જે પહેલીવાર ઓલિમ્પિક રમશે. ટીમમાં ઇજા બાદ લાંબા સમયે ડિફેન્ડર બીરેન્દ્ર લાકડાની વાપસી થઇ છે. પુરુષ હોકી ટીમમાં અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશ, મિડફિલ્ડર મનપ્રિતસિંઘ, ડિફેન્ડર હરમનપ્રિત, રૂપિન્દરપાલ, સુરેન્દ્રકુમાર અને ફોરવર્ડ મનદિપસિંઘ સામેલ છે. જેઓ ઓલિમ્પિક રમી ચૂકયા છે. અનુભવી ખેલાડીઓ એસ. વી. સુનિલ, આકાશદિપ અને રમનદિપને ટીમમાં જગ્યા મળી નથી. ટીમના સુકાની તરીકે મનપ્રિતસિંઘ યથાવત રહેશે.

ભારતીય પુરુષ હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિકમાં પૂલ એમાં છે. તેની સાથે ગત ચેમ્પિયન આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સ્પેન અને યજમાન જાપાન છે. ભારતે છેલ્લે 1980ના મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારતીય મહિલા હોકી ટીમમાં આઠ ખેલાડી ઓલિમ્પિકમાં ડેબ્યૂ કરશે. ટીમમાં 8 ખેલાડી એવી છે કે તેઓ રિયો ઓલિમ્પિકમાં રમી ચૂકી છે. ટીમનું સુકાન સ્ટાર સ્ટ્રાઇકર રાની રામપાલ સંભાળશે.ભારતીય મહિલા હોકી ટીમ ઓલિમ્પિકમાં ત્રીજીવાર ભાગ લઇ રહી છે. આ પહેલા 1980 અને પછી 2016ના ઓલિમ્પિકમાં કવોલીફાઇ થઇ હતી.

June 19, 2021
jagannath.jpg
1min517

૧૦૮ ને બદલે માત્ર પાંચ કળશમાં પાણી ભરાશે

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજી મંદિરની ૧૪૪મી રથયાત્રાને પગલે મિટિંગનો દોર પૂર્ણ થયો છે અને રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રાને મંજૂરી મળી છે. ૧૦૮ કળશને બદલે માત્ર પાંચ કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

જળયાત્રામાં કોઈ પણ ભજન મંડળી સામેલ નહિ થઈ શકે. આ વર્ષની જળયાત્રામાં નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન હાજર રહેશે. ૨૪મી જૂનના દિવસે જળયાત્રા યોજાશે. ૧૪૪ મી ભગવાન જગન્નાથજી મંદિરની રથયાત્રાની જળયાત્રાના આયોજનને લઈને મિટિંગ યોજાઈ હતી. જેમાં જળયાત્રા યોજવાનો નિર્ણય લેવાયો છે. જળયાત્રામાં શક્ય હોય તો ગજરાજને પણ હાજર રાખવામાં નહિ આવે. જો જરૂર હશે તો માત્ર એક જ ગજરાજ રાખવામાં આવશે. જળયાત્રામાં ૫૦ થી ઓછા લોકોની હાજરી રહેશે. જેઓ મંદિરના જ સભ્યો હશે. સામાન્ય નાગરિકો રથયાત્રામાં નહિ જોડાઈ શકે.

રથયાત્રા પૂર્વે જળયાત્રાને લઈને પોલીસ તંત્ર પણ સાબદું થયું છે. જળયાત્રામાં બંદોબસ્ત માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. જગન્નાથ મંદિર ખાતે ટ્રસ્ટી અને પોલીસ વચ્ચે બેઠક યોજાશે. જળયાત્રાને લઈને પોલીસ મિટિંગ યોજાશે. જેમાં જળયાત્રાની વ્યવસ્થાને લઈને પોલીસ ઉચ્ચ અધિકારીઓ નિરીક્ષણ કરશે. કોવિડની ગાઈડલાઇન અને જળયાત્રાની વ્યવસ્થા માટે બેઠક કરાશે.

June 19, 2021
singapore.jpg
1min486

સિંગાપોરે કોરોના પ્રેરિત નિયંત્રણો હળવાં કરવાની શુક્રવારે જાહેરાત કરી હતી.

આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે બે વ્યક્તિ હવે સાથે ભોજન લઇ શકશે. જોકે, એક જ ઘરની બેથી વધુ વ્યક્તિને પણ ઘર બહાર સાથે ભોજન લેવાની મંજૂરી નથી. તે ઉપરાંત ફિટનેસની ઇનડોર પ્રવૃત્તિમાં પણ માસ્ક વિના બે વ્યક્તિનું જૂથ ભાગ લઇ શકશે.

ભીડ ટાળવા કામધંધે જનારા લોકોના કામકાજના કલાકોમાં ફેરફાર કરવામાં આવશે. ઑફિસોમાં કામ સંબંધી કાર્યક્રમોમાં ખાણીપીણીને મંજૂરી આપવામાં આવી નથી. ૧૪ જૂનના સિંગાપોર ફેઝ-૩ના પ્રથમ તબક્કામાં ગયું છે, પરંતુ કોરોના સંક્રમણ ફેલાવાને કારણે હાલમાં બધી પ્રવૃત્તિઓને ચાલુ કરવાની મંજૂરી આપવામાં નથી આવી.

June 18, 2021
rainingujarat.jpg
1min772

આજે તા.18મી જૂન 2021ની સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન આમ તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડ્યા હતા પરંતુ, સૌથી વધુ વરસાદ ચોર્યાસી તાલુકાના વિસ્તારોમાં પડ્યો. આ ચાર કલાકના સમયગાળામાં ચોર્યાસી તાલુકામાં કુલ 100 મી.મી. એટલે કે ચાર ઇંચ જેટલો વરસાદ પડતા જીનજીવનને ખાસ્સી અસર પહોંચી હતી.

સુરત શહેરમાં આજે સવારના ચાર કલાક દરમિયાન 26મીમી અંદાજે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જોકે, ગઇ કાલે સાંજથી શરૂ થયેલા વરસાદમાં આજે સવારના વરસાદના આંકડા ઉમેરીએ તો કુલ 153 મી.મી. એટલે કે છ ઇંચથી વધુ પાણી સુરત શહેરમાં પડ્યું હતું. ગઇકાલે સાંજથી સુરત શહેર ઉપરાંત ચોર્યાસી તાલુકા તેમજ ઓલપાડ તાલુકાના વિસ્તારોમાં અવિરતપણે મૂશળધાર વરસાદ પડી રહ્યો છે.

સુરત કલેક્ટર કચેરી દ્વારા સંચાલિત વરસાદી કન્ટ્રોલ રૂમે જારી કરેલા આજે સવારના આંકડાઓની વિગત અહીં પ્રસ્તુત છે

પીકઅવર્સમાં વરસાદ નોકરીયાતો મુશ્કેલીમાં, ધંધાર્થીઓ રજાના મૂડમાં

આજે સવારથી એટલે કે પીકઅવર્સમાં જ વરસાદ અવિરતપણે જારી રહેતા નોકરી-વ્યવસાયે જવા માટે નીકળેલા લોકોએ ખાસ્સી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ધંધાર્થીઓ માટે આજે શૂસ્તીભરી સવાર બની રહી હતી. શહેરના મુખ્ય માર્ગો પરની દુકાનો, ટેક્ષટાઇલ માર્કેટોમાં મોટા ભાગની દુકાનો સવારે સાડાદસ પછી પણ શરૂ થયેલી જોવા મળી હતી.

જોગર્સ-વોકર્સે ફરજિયાત રજા પાડવી પડી

શહેરમાં કોરોનાકાળ બાદ વહેલી સવારે જોગીંગ, વોકિંગ, સાઇકલિંગ, યોગા વગેરે નિયમિત રીતે કરનારા લોકો માટે આજે તા.18મી જૂનની સવાર રજા લઇને આવી હતી. મૂશળધાર વરસાદને કારણે મોટા ભાગના વોકર્સ, જોગર્સ, ઓપનએરમાં યોગ કરનારાઓ, નિયમિત કસરત કરનારા સુરતીઓએ ફરજિયાત રજા પાડવી પડી હતી. શહેરના જોગર્સ પાર્ક, વોકર્સ પાર્ક પર પણ દરરોજ કરતા આજે સ્વાભાવિક રીતે જ વરસાદને કારણે પાંખી હાજરી જોવા મળી હતી.

June 18, 2021
SGCCI.jpg
1min666

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે ગુરૂવાર, તા. ૧ જુલાઈ, ૨૦૨૧ના રોજ ડોક્ટર્સ ડે નિમિત્તે, પ્લેટીનમ હોલ, સુરત ઇન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે સુરત અને દક્ષિણ ગુજરાતના ગૌરવવંતા તબીબોને સન્માનિત કરવાનો વિશિષ્ટ કાર્યક્રમ કોવીડની માર્ગદર્શિકા આધારિત આયોજિત કરવામાં આવ્યો છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી દિનેશ નાવડીયા જણાવે છે કે, પ્રાઈવેટ, ગવર્નમેન્ટ, સેમી ગવર્નમેન્ટ, ચેરીટેબલ ટ્રસ્ટ અને તે સિવાયના ફિલ્ડ સાથે સંકળાયેલા તબીબોને આ સન્માનના અધિકારી ગણવામાં આવશે. પર્સનલ ક્લીનિક, સ્પેશ્યાલીટી હોસ્પિટલ, નર્સિંગ હોમ, મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ આમ વિવિધ કેટેગરીઓમાં આ સન્માન એનાયત કરવામાં આવશે.

મેડીકલ એજ્યુકેશન ક્ષેત્રમાં તેમનું પ્રદાન, સમાજ સેવા ક્ષેત્રે તેમણે કરેલું પ્રદાન, સમગ્ર કારકિર્દી દરમ્યાન તેમણે મેળવેલા એવોર્ડ્સ અને એપ્રિસીએશન તેમજ ટ્રેઈનીંગ ક્ષેત્રે તેમણે કરેલું પ્રદાન પણ ધ્યાનમાં લેવામાં આવશે.

આ સંદર્ભે પ્રિસક્રાઈબડ કરેલું ફોર્મ તબીબોએ ભરવાનું રહેશે જે SGCCIની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે અથવા તો ચેમ્બર ઓફ કોમર્સના કાર્યાલય (સમૃદ્ધિ બિલ્ડીંગ, ચોથા માળે, મક્કાઈપુલ, નાનપુરા, સુરત) ખાતેથી રૂબરૂમાં ઉપલબ્ધ થશે.

ફોર્મ મેળવવાનો અને પરત કરવાનો સમય સવારે ૧૧ થી સાંજે ૬ નો રહેશે અને ફોર્મ પરત કરવાની અંતિમ તારીખ ૨૩ જૂન, ૨૦૨૧ રહેશે.

વધુ વિગતો માટે ૯૮૨૫૪૭૨૯૦૮ ફોન નંબર પર સંપર્ક કરવો.