CIA ALERT

Blog - Page 19 of 707 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
April 27, 2026
image-20.png
1min130

ભારત-ન્યૂઝીલૅન્ડે આજે 27/04/26 નવી દિલ્હીમાં ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરીને દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં નવા યુગની શરૂઆત કરી છે. આ ડીલથી બંને દેશોમાં વેપાર, રોકાણ અને રોજગારમાં વધારો થશે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યૂઝીલૅન્ડના તેમના સમકક્ષ ટૉડ મૈક્લેની ઉપસ્થિતિમાં આ સમજૂતીને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. હવે ભારતીય કંપનીઓ ટેક્સ વગર ન્યૂઝીલૅન્ડમાં સામાન મોકલી શકશે. આ ઉપરાંત આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડૉલરનું રોકાણ આવશે.

FTAની સૌથી મહત્ત્વની વાત એ છે કે, બંને દેશોએ મુક્ત વેપાર કરારને અંતિમરૂપ આપવા માટે 16 માર્ચ-2025થી વાતચીત શરૂ કરી દીધી હતી, જેમાં માત્ર 9 મહિનાના અંતે આ ડીલને ફાઇનલ કરી દેવાઈ છે. આ સમજૂતી લાગુ થયા બાદ ભારત અને ન્યૂઝીલૅન્ડના નિકાસકારો ટેક્સ વગર એકબીજાના દેશમાં નિકાસ કરી શકશે.

ન્યૂઝીલૅન્ડમાં ભારતીય ઉત્પાદનો પર 10 ટકા ટેક્સ હતો

સમજૂતી પહેલા ન્યૂઝીલૅન્ડે ભારતમાંથી નિકાસ થતાં 450 ઉત્પાદનો પર 10 ટકા ટેક્સ લગાવ્યો હતો. હવે નવી સમજૂતી થયા બાદ આ ટેક્સ સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. આનાથી ભારતીય કાપડ અને તૈયાર વસ્ત્રો, ચામડા ઉદ્યોગ, ટોપીઓ, ચીની માટીના વાસણો (સિરેમિક્સ), ગાદલા, વાહનો તથા તેના સ્પેરપાર્ટ્સની નિકાસમાં વધારો થશે. આ ઉપરાંત ભારતે પણ ન્યૂઝલૅન્ડથી આવતા 95 ટકા ઉત્પાદનો પર ટેક્સમાં રાહત અથવા ઘટાડી દીધો છે.

મુક્ત વેપાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરતી વખતે ન્યૂઝીલૅન્ડે આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડૉલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ રોકાણ યુરોપિયન ફ્રી ટ્રેડ ઍસોસિએશન (EFTA) દ્વારા ભારત સાથે કરવામાં આવેલા કરારમાં પ્રસ્તાવિત 100 અબજ ડૉલરના રોકાણ માળખા જેવું જ છે.

ભારતે મુક્ત વેપાર કરાર કરતી વખતે ખેડૂતો અને એગ્રીકલ્ચર ઉદ્યોગના હિતને પણ ધ્યાને રાખ્યું છે. FTAમાંથી દૂધ, ક્રીમ, મઠ્ઠો, દહીં અને પનીર જેવા ઉત્પાદનોને બહાર રખાયા છે. આ ઉપરાંત કૃષિ ઉત્પાદનોની નિકાસ પર પણ રાહત આપી નથી. સમજૂતીથી સર્વિસ સેક્ટરથી લઈને એગ્રીકલ્ચર સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધવાની પણ આશા વ્યક્ત કરાઈ છે.

FTAની કેટલીક મહત્ત્વની વાતો

વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર: ન્યૂઝીલૅન્ડે વૈશ્વિક સ્તરે પ્રથમ વખત કોઈ દેશ સાથે વિદ્યાર્થીઓની અવરજવર અને અભ્યાસ પછીના વર્ક વિઝા (પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા) અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. હવે ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે અઠવાડિયામાં 20 કલાક સુધી કામ કરી શકશે અને તેમને લંબાવવામાં આવેલા પોસ્ટ-સ્ટડી વર્ક વિઝાનો લાભ પણ મળશે.

કુશળ વ્યાવસાયિકો માટે તક : ઊંચા પગારવાળી નોકરી ઇચ્છતા કૌશલ્ય ધરાવતા ભારતીય વ્યાવસાયિકો માટે 5000 કામચલાઉ રોજગાર વિઝાનો વિશેષ કોટા નક્કી કરવામાં આવ્યો છે. આ વિઝા દ્વારા વ્યાવસાયિકો ત્રણ વર્ષ સુધી ન્યૂઝીલૅન્ડમાં રહીને નોકરી કરી શકશે.

વર્કિંગ હોલિડે પ્રોગ્રામ : આ સમજૂતી હેઠળ એક વિશેષ ‘વર્કિંગ હોલિડે વિઝા’ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં દર વર્ષે 1000 ભારતીય યુવાનો 12 મહિના માટે ન્યૂઝીલૅન્ડમાં મલ્ટિપલ એન્ટ્રી કરી શકશે.

April 27, 2026
cia_multi-1280x1045.jpg
7min98

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનના આંકડા રવિવારે મોડી રાત્રે જાહેર થયા બાદ તેનું એનાલિસીસ કરતા કેટલાક તારણો સપાટી પર આવ્યા છે.

  • ભાજપ જેના માટે જાણિતું છે એ માઇક્રો લેવલ બૂથ મેનેજમેન્ટ કે વન બૂથ ટેન યુથના અભાવે અત્યાર સુધી મોટા માર્જિનથી જે રીતે ભાજપના ઉમેદવારો જીતતા આવ્યા છે તેવી જીત આ વખતે ઓછી થશે. અનેક ઉમેદવારો ટૂંકા અંતરથી ડચકાં ખાતા જીતે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.

  • કોંગ્રેસ આ વખતે બેઠી થાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાય રહી છે. ખાસ કરીને વોલ સિટી (જૂના સુરત)ના અનેક વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારો તરફે ખાસ્સું મતદાન થયું છે. મુસ્લિમ મતદારો ધરાવતા બૂથ-પોકેટમાં મોટા પાયે મતદાન થયું હોવાનું બૂથ લેવલ એનાલિસીસ પરથી ધ્યાને આવે છે. 2થી 4 સીટો પર કોંગ્રેસી ઉમેદવારો જીતે તો નવાઇ નહીં લાગે.

  • આમ આદમી પાર્ટીના પ્રભાવવાળા વિસ્તારો જેમ કે વરાછા, કતારગામ, કાપોદ્રા, પૂણા જેવા વિસ્તારમાં ભાજપના ગોલ્ડન વોટ જેને કહેવાય છે તેવા મતદારોમાં ભારે નારાજગી હતી અને બૂથ લેવલ કાર્યકર્તાઓ સાથે વાતચીત દરમિયાન એવું જાણવા મળ્યું કે ભાજપના ગોલ્ડન વોટરો નારાજગીને કારણે અળગા રહ્યા છે, એ જોતા આમ આદમી પાર્ટીને આડકતરો લાભ મળી જાય તેમ જણાય રહ્યું છે.

  • વરાછા, કાપોદ્રા, પૂણા કરતા પણ કતારગામ વિસ્તારના વોર્ડના પરીણામો આશ્ચર્યકારક બની રહે તેવી શક્યતાઓ છે

  • 2021માં સાવ 47 ટકા જેટલું સાવ કંગાળ કહી શકાય તેવું મતદાન થયું હતું., જેની સામે ગઇકાલે રાત્રે ચૂંટણી તંત્રએ જે મતદાનના આંકડા જાહેર કર્યા તે મુજબ 59 ટકા મતદાન થયાનું જણાવાય છે. 12 ટકા મતદાન વધ્યું છે એવું કહેવાય છે પણ હકીકતમાં મતદાન કરનારા મતદારોની સંખ્યા પર નજર કરીએ તો 19 વોર્ડમાં મતદાન કરનારા મતદારોની સંખ્યા 2021 કરતા ઓછી છે. આવા 19 વોર્ડમાં મતદાન ઘટ્યું છે અને એ મોટા ભાગના વરાછા-કાપોદ્રા વિસ્તારોમાં છે.

  • એ પણ સૂચક છે, આ વિસ્તારમાં એન્ટી ઇન્કમબન્સી જેવું ફેક્ટર ભાજપને નહીં પણ આમ આદમી પાર્ટીને સ્પર્શવું જોઇએ, જો ભાજપ તરફી મતદારો નિષ્ક્રીય રહ્યા હોય તો ઓછા મતદાનનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મળવો જોઇએ, આમ છતાં મતદારોનું વલણ અકળ હોય છે એટલે આવતીકાલે તા.28મી એપ્રિલે ઇવીએમમાંથી શું નીકળે છે એ જોવું રહ્યું.

સુરતમાં જ્યાં મતદાન વધ્યું તેવા 11 વોર્ડ

વોર્ડ નં.વોર્ડનું નામ2021 મતદાન2026 મતદાનવધારો (સંખ્યા)% ફેરફાર
22ભટાર-વેસુ-ડુમસ46,83156,823+9,992+21.34%
13વાડીફળિયા-નવાપુરા…56,88263,383+6,501+11.43%
12નાણાંવટ-સૈયદપુરા…48,72454,632+5,908+12.13%
9રાંદેર-જહાંગીરબાદ…53,98959,723+5,734+10.62%
30કનસાડ-સચિન-ઉન…51,45857,093+5,635+10.95%
21સોનીફળિયા-નાનપુરા…47,11451,492+4,378+9.29%
20ખટોદરા-મજુરા…47,33551,342+4,007+8.47%
11અડાજણ-ગોરાટ44,70946,623+1,914+4.28%
2અમરોલી-મોટા વરાછા…87,18688,409+1,223+1.40%
25લીબાયત-ઉધના યાર્ડ42,09142,678+587+1.39%
27ડીંડોલી (દક્ષિણ)45,20445,305+101+0.22%

જ્યાં મતદાન ઘટ્યું છે એ આ 21 વોર્ડ

વોર્ડ નં.વોર્ડનું નામ2021 મતદાન2026 મતદાનઘટાડો (સંખ્યા)% ઘટાડો
16પુણા (પશ્ચિમ)46,70328,730-17,973-38.48%
17પુણા (પૂર્વ)63,77650,169-13,607-21.34%
4કાપોદ્રા44,56732,353-12,214-27.41%
15કરંજ-મગોબ35,26425,431-9,833-27.88%
5ફૂલપાડા-અશ્વિનીકુમાર41,77932,893-8,886-21.27%
29અલથાણ-બમરોલી-વડોદ45,22536,341-8,884-19.64%
23બમરોલી-ઉધના (ઉત્તર)39,18330,463-8,720-22.25%
14ઉમરવાડા-માતાવાડી43,68935,287-8,402-19.23%
7કતારગામ-વેડ57,77550,180-7,595-13.15%
6કતારગામ51,45345,222-6,231-12.11%
3વરાછા-સરથાણા-સીમાડા83,32277,450-5,872-7.05%
28પાંડેસરા-ભેસ્તાન49,60744,520-5,087-10.25%
24ઉધના (દક્ષિણ)46,96242,145-4,817-10.26%
26ગોડાદરા-ડીંડોલી (ઉત્તર)46,29543,227-3,068-6.63%
19આંજણા-ઇંબાલ57,15854,813-2,345-4.10%
10અડાજણ-પાલ-ઇચ્છાપોર56,82354,815-2,008-3.53%
18લિંબાયત-પરવટ48,15146,353-1,798-3.73%
8ડભોલી-સિંગણપોર62,21660,520-1,696-2.73%
1જહાંગીરપુરા-વરીયાવ58,56457,845-719-1.23%

April 27, 2026
image-19.png
1min254

હવામાન વિભાગે રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવની સ્થિતને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર, આજે અને આવતીકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હીટવેવની પ્રબળ શક્યતા છે.

કયા જિલ્લાઓમાં એલર્ટ?

26 એપ્રિલ: સુરત, પાટણ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી હતી.

27 એપ્રિલ: અમદાવાદ અને પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને કચ્છમાં પણ ગરમીનું મોજું ફરી વળશે.

તાપમાનનો પારો ક્યાં પહોંચશે?

IMD ના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ થી 40ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. આજે ગરમ અને ભેજવાળું વાતાવરણ અનુભવાશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે અને તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શે તેવી શક્યતા છે.

યલો એલર્ટ હેઠળ, હવામાન વિભાગે સામાન્ય જનતા માટે ગરમી સહન કરી શકાય તેવી હોવા છતાં, નાના બાળકો, વૃદ્ધો અને બીમારી ધરાવતા લોકો માટે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થઈ શકે તેમ જણાવ્યું છે. સત્તાવાળાઓએ રહેવાસીઓને નીચે મુજબની સલાહ આપી હતી. જે મુજબ આવા લોકોએ વધારે સમય ગરમીમાં રહેવાનું ટાળવું જોઈએ, હળવા રંગના અને ઢીલા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને પુરતા પ્રમાણમાં પાણી પીવું અને હાઈડ્રેટેડ રહેવું જોઈએ.

26/04/2026 ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

અમદાવાદમાં 44.8 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 44.5 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 43.0 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 41.6 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 43.8 ડિગ્રી સેલ્સિયસ, દાહોદમાં 40.8 ડિગ્રી સેલ્સિયસ, ડાંગમાં 40.4 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 42.8 ડિગ્રી સેલ્સિયસ, દીવમાં 34.5 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં 32.8 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 44.2 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 39.5 ડિગ્રી સેલ્સિયસ,, નલિયામાં 38.0 ડિગ્રી સેલ્સિયસ, ઓખામાં 35.2 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 39.1 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 44.4 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 41.6 ડિગ્રી સેલ્સિયસ, વેરાવળમાં 34.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

April 27, 2026
guj_gov_logo.png
1min128

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા વિવિધ જિલ્લાઓ માટે નવા પ્રભારી સચિવોની નિમણૂક અને ફેરબદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે.

આ નવા નિમણૂક પામેલા અધિકારીઓ હવે સંબંધિત જિલ્લાઓમાં વહીવટી કામગીરી અને વિકાસલક્ષી કાર્યોનું નિરીક્ષણ કરશે. ખાસ કરીને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ અને ‘વિકાસશીલ તાલુકાઓ’ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

કોને ક્યાં જિલ્લામાં મુકલામાં આવ્યાં

વિગતે વાત કરવામાં આવે તો, એમ. થેન્નારસનને અમદાવાદ, શાલિની અગ્રવાલને સુરત, પી. સ્વરૂપને વડોદરા, વિનોદ રાવને ગાંધીનગર, રાજ કુમાર બેનીવાલને કચ્છ, આરતી કંવરને જામનગર, રણજીત કુમાર જે ને મહેસાણા અને પી. ભારતીને વાવ-થરાદ મુકવામાં આવ્યાં છે. આ આદેશમાં અનેક જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓના નામ સામેલ છે. આણંદના અવંતિકા સિંહ ઔલખ, બનાસકાંઠાના પ્રવિણા ડીકે, ભરૂચ જિલ્લાના સંધ્યા ભુલ્લર અને મોરબીના રાજેન્દ્ર કુમારનું નામ પણ સામેલ છે.

સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તાજેતરના આદેશમાં ઉલ્લેખ ન કરાયેલા જિલ્લાઓમાં હાલના પ્રભારી સચિવ વ્યવસ્થા ચાલુ રહેશે. આ ફેરબદલનો હેતુ વિકાસ કાર્યોની દેખરેખને મજબૂત બનાવવા અને જિલ્લા સ્તરે સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

April 26, 2026
cia_multi-1280x1045.jpg
6min97

ડાયમંડ સિટી સુરત મહાનગરપાલિકાના ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકો માટે રવિવારે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સવારે ૭ વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે ૬ વાગ્યે પૂર્ણ થયું હતું. દિવસભર શહેરના વિવિધ વિસ્તારોમાં મતદાનના ટ્રેન્ડમાં નોંધપાત્ર અસમાનતા જોવા મળી હતી.

એક તરફ શ્રમિક અને મધ્યમ વર્ગના વિસ્તારોમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે બીજી તરફ પોશ ગણાતા વિસ્તારોમાં મતદારોમાં મતદાન પ્રત્યે નિરુત્સાહનો માહોલ રહ્યો હતો. મતદાન પૂર્ણ થતાં સુરત મહાનગરપાલિકાનું કુલ મતદાન અંદાજે ___ ટકા નોંધાયું હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.

અત્રે નોંધનીય છે કે અગાઉની મનપા ચૂંટણીમાં 2021માં 47.14 ટકા, 2015માં 39.93 ટકા અને 2010માં 42.33 ટકા મતદાન નોંધાયું હતું.


વિસ્તારવાર મતદાનમાં જમીન-આસમાનનો તફાવત

શહેરના નદીપારના પોશ વિસ્તારો જેમ કે અડાજણ, રાંદેર, પાલ, અઠવાલાઇન્સ, ભટાર, સિટીલાઇટ, પારલે પોઇન્ટ, પીપલોદ અને વેસુમાં મતદાનની ગતિ ધીમી રહી હતી. ખાસ કરીને બપોરના સમયે મતદાન મથકો સૂમસામ દેખાતા હતા.

તેના વિપરીત વરાછા, કતારગામ, પૂણા, કુંભારીયા, અમરોલી, કાપોદ્રા અને સારોલી જેવા વિસ્તારોમાં સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વિસ્તારોમાં મતદાન મથકો બહાર લાંબી કતારો સાંજ સુધી યથાવત રહી હતી.

ઉપરાંત ઉધના, પાંડેસરા અને લિંબાયત જેવા શ્રમિક વિસ્તારોમાં પણ મતદાનનું પ્રમાણ સારું નોંધાયું હતું.


સમયવાર મતદાનનો ટ્રેન્ડ

ચૂંટણી તંત્ર દ્વારા સવારે ૧૧ વાગ્યે જાહેર કરાયેલા આંકડા મુજબ સરેરાશ મતદાન આશરે ૨૬ ટકા નોંધાયું હતું. બપોરે ૩ વાગ્યે આ આંકડો વધીને ૪૫ ટકા સુધી પહોંચ્યો હતો.

બપોર દરમિયાન તાપમાનમાં વધારો થતા મતદાન મથકો પર મતદારોની સંખ્યા ઘટી ગઈ હતી, જેના કારણે મતદાનની ગતિ ધીમી પડી હતી.


🔝 સૌથી વધુ મતદાન ધરાવતા 5 વોર્ડ્સ (Highest Voting) સાંજે 5 કલાક સુધી

  1. વોર્ડ નં. 19 – આંજણા-ડુંભાલ65.34%
  2. વોર્ડ નં. 25 – લીંબાયત-ઉધના યાર્ડ62.52%
  3. વોર્ડ નં. 30 – કનસાડ-સચિન-ઉન-આભવા59.73%
  4. વોર્ડ નં. 13 – વાડીફળિયા-નવાપુરા-બેગમપુરા-સલાબતપુરા59.70%
  5. વોર્ડ નં. 18 – લિંબાયત-પરવટ-કુંભારિયા59.14%

🔻 સૌથી ઓછું મતદાન ધરાવતા 5 વોર્ડ્સ (Lowest Voting) સાંજે 5 કલાક સુધી

  1. વોર્ડ નં. 16 – પુણા (પશ્ચિમ)43.62%
  2. વોર્ડ નં. 22 – ભટાર-વેસુ-ડુમસ45.46%
  3. વોર્ડ નં. 10 – અડાજણ-પાલ-ઇચ્છાપોર46.31%
  4. વોર્ડ નં. 15 – કરંજ-મગોબ46.52%
  5. વોર્ડ નં. 21 – સોનીફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદ47.68%

રાજકીય જંગ: ભાજપ અને ‘આપ’ વચ્ચે સીધી ટક્કર

સુરત સહિત સમગ્ર રાજ્યમાં આ ચૂંટણી ત્રિકોણીય જંગ તરીકે જોવામાં આવી રહી હતી, પરંતુ મેદાનમાં જોવા મળેલા દ્રશ્યો મુજબ ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી.

શહેરના મોટા ભાગના વોર્ડમાં કોંગ્રેસની હાજરી મર્યાદિત જણાઈ હતી, જોકે કોટ વિસ્તાર તેમજ મુસ્લિમ વસતિ ધરાવતા વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારો સક્રિય દેખાયા હતા. આ વિસ્તારોમાં સરેરાશ કરતાં વધુ મતદાન નોંધાયું હોવું રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

રાજકીય વિશ્લેષકોના મતે, આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ સ્પર્ધામાં પાછળ રહી હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે ‘આપ’એ ભાજપના ગઢમાં પડકાર ઉભો કરવા માટે જોરદાર પ્રયાસ કર્યો છે.

Voting Data SMC @ 5pm

વોડૅ નંવોડૅ નું નામકુલ મતદાન %
1જંહાગીરપુરા-વરીયાવ-છાપરાભાઠા-કોસાડ53.16
2અમરોલી-મોટા વરાછા-કઠોર50.54
3વરાછા-સરથાણા-સીમાડા-લસકાણા50.53
4કાપોદ્રા49.45
5ફૂલપાડા-અશ્વિનીકુમાર51.21
6કતારગામ51.8
7કતારગામ-વેડ52.59
8ડભોલી-સિંગણપોર56.29
9રાંદેર-જહાંગીરબાદ-પાલનપુર53.53
10અડાજણ-પાલ-ઇચ્છાપોર46.31
11અડાજણ-ગોરાટ50.38
12નાણાવટ-સૈયદપુરા-કુબેરનગર-મહિધરપુરા57.75
13વાડીફળિયા-નવાપુરા-બેગમપુરા-સલાબતપુરા59.7
14ઉમરવાડા-માતાવાડી51.95
15કરંજ-મગોબ46.52
16પુણા(પશ્ચિમ)43.62
17પુણા(પૂર્વ)51.17
18લિંબાયત-પરવટ-કુંભારિયા59.14
19આંજણા-ડુંભાલ65.34
20ખટોદરા-મજુરા-સગરામપુરા51.93
21સોનીફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદ47.68
22ભટાર-વેસુ-ડુમસ45.46
23બમરોલી-ઉધના(ઉત્તર)51.58
24ઉધના(દક્ષિણ)57.76
25લીબાયત-ઉધના યાર્ડ62.52
26ગોડાદરા-ડીંડોલી(ઉત્તર)53.87
27ડીંડોલી(દક્ષિણ)48.91
28પાંડેસરા-ભેસ્તાન58.75
29અલથાણ-બમરોલી-વડોદ51.22
30કનસાડ-સચિન-ઉન-આભવા59.73

April 26, 2026
image-17.png
2min142

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાના સંગ્રામ માટે નિર્ણાયક દિવસ છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે આજે સવારથી જ ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારે 7:00 વાગ્યાના ટકોરે મતદાન મથકોના દ્વાર ખૂલતાની સાથે જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ મતદાન પ્રક્રિયા સાંજે 6:00 વાગ્યા સુધી અવિરત ચાલશે, જેમાં રાજ્યના ભવિષ્યનો રોડમેપ નક્કી થશે.

ચૂંટણીના આંકડા અને વ્યાપ

આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેના વિશાળ વ્યાપને કારણે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. રાજ્યની તમામ સ્થાનિક સંસ્થાઓમાં કુલ મળીને 9,268 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠકો પર વિજય મેળવવા માટે કુલ 25,551 ઉમેદવારો મેદાનમાં છે. ગુજરાતના અંદાજે 4 કરોડ જેટલા નોંધાયેલા મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આ તમામ ઉમેદવારોના રાજકીય ભાવિને ઈવીએમ (EVM) મશીનમાં સીલ કરશે.

ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ મતદાન મથકો પર સીસીટીવી કેમેરા અને વધારાના પોલીસ બળની નિમણૂક કરવામાં આવી છે જેથી શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહીના આ પર્વની ઉજવણી થઈ શકે.

ત્રિપાંખિયો જંગ અને બદલાતા રાજકીય સમીકરણો

પરંપરાગત રીતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે રાજ્યનું રાજકીય ચિત્ર બદલાયેલું નજરે પડે છે. ગ્રાઉન્ડ રિપોર્ટ અને પ્રચાર અભિયાનની ગતિ જોતા જણાય છે કે મુખ્ય સ્પર્ધા શાસક પક્ષ ભાજપ અને ઉભરતી શક્તિ આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે જોવા મળી રહી છે.

  • ભાજપ: સત્તાધારી પક્ષ ભાજપે પોતાની તમામ તાકાત ઝોંકી દીધી છે. ‘વિકાસ’ અને ‘ડબલ એન્જિન સરકાર’ના સૂત્ર સાથે ભાજપ ફરી એકવાર ક્લીન સ્વીપ કરવાના આત્મવિશ્વાસમાં છે.
  • આમ આદમી પાર્ટી: ‘આપ’ આ વખતે રાજ્યમાં મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે. ખાસ કરીને શહેરી વિસ્તારો અને મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટીએ શિક્ષણ, આરોગ્ય અને વીજળી જેવા પાયાના મુદ્દાઓ પર ભાર મૂકીને ભાજપને સીધી ટક્કર આપી છે.
  • કોંગ્રેસ: સૌથી જૂની પાર્ટી હોવા છતાં, કોંગ્રેસ આ વખતે પ્રચારમાં અને લોકમાનસમાં ત્રીજા સ્થાને ધકેલાતી હોય તેવું જણાય છે. જોકે, ગ્રામીણ વિસ્તારો અને પંચાયત સ્તરે કોંગ્રેસ હજુ પણ પોતાની પકડ જાળવી રાખવા મથામણ કરી રહી છે.

મતદારોમાં ભારે ઉત્સાહ

વહેલી સવારથી જ યુવાનોથી લઈને વયોવૃદ્ધ મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારો ‘વિકાસ અને પરિવર્તન’ને ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છે, જ્યારે વડીલો સુવિધા અને શાંતિના મુદ્દે મત આપી રહ્યા છે. અનેક જગ્યાએ વરરાજાઓ લગ્નમંડપે જતા પહેલા મતદાન કરવા પહોંચ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે લોકશાહી પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે.

પરિણામની તારીખ

આજે યોજાઈ રહેલા આ મહાકુંભનું પરિણામ આગામી 28મી એપ્રિલ, મંગળવારના રોજ જાહેર કરવામાં આવશે. મંગળવારે સવારથી જ મતગણતરી હાથ ધરવામાં આવશે અને સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે ગુજરાતની જનતાએ કોના શિરે સત્તાનો તાજ મૂક્યો છે.

શું ભાજપ પોતાનો ગઢ સાચવી શકશે? શું આમ આદમી પાર્ટી ગુજરાતમાં મોટો ઉલટફેર સર્જશે? કે પછી કોંગ્રેસ બધાને ચોંકાવીને ફરી બેઠી થશે? આ તમામ પ્રશ્નોના જવાબ 28મી એપ્રિલે મળશે. હાલ તો, સમગ્ર ગુજરાતની નજર આજના મતદાનની ટકાવારી અને જનતાના મૂડ પર ટકેલી છે.

April 25, 2026
image-16.png
1min136

આઈપીએલ 2026નો 35મો મુકાબલો શનિવારે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયો હતો. આ મુકાબલામાં પંજાબની ટીમે ઈતિહાસ રચતા આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો રન ચેઝ કર્યો હતો. દિલ્હીએ પહેલા બેટિંગ કરતા કેએલ રાહુલની સદીના દમ પર 264 રન બનાવ્યા હતા. પરંતુ પંજાબે આ મેચ એક ઓવર બાકી હતી ત્યારે જ જીતી લીધી હતી. આ મુકાબલો નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયો હતો, જ્યાં ટોસ જીતીને દિલ્હીની ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેએલ રાહુલની તોફાની 152 રનની ઈનિંગના દમ પર દિલ્હીએ 264 રન બનાવ્યા હતા, પરંતુ પંજાબે તેને પણ ચેઝ કરી લીધો હતો.

265 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત ખૂબ જ શાનદાર રહી હતી. પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે તાબડતોડ બેટિંગ કરી હતી. 7મી ઓવરમાં જ્યારે પ્રિયાંશની વિકેટ પડી ત્યારે પંજાબનો સ્કોર 126 રન થઈ ગયો હતો. પ્રિયાંશએ 17 બોલમાં 43 રન બનાવ્યા હતા. બીજી તરફ પ્રભસિમરનનું તોફાન ચાલુ રહ્યું હતું. ત્યારબાદ 8મી ઓવરમાં પ્રભસિમરન સિંહ પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા. પ્રભસિમરન સિંહના બેટથી 26 બોલમાં 76 રન આવ્યા હતા. પોતાની ઈનિંગમાં પ્રભસિમરન સિંહે 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.

ત્યારબાદ નેહાલ વઢેરા અને શ્રેયસ અય્યર વચ્ચે 56 રનની સારી ભાગીદારી થઈ હતી. પરંતુ 15મી ઓવરમાં નેહાલ પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા, તેમણે 15 બોલમાં 25 રન બનાવ્યા હતા. ત્યારબાદ શ્રેયસ અય્યરે મોરચો સંભાળ્યો અને 36 બોલમાં અણનમ 71 રનની ઈનિંગ રમી હતી. પોતાની ઈનિંગમાં અય્યરે 7 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા હતા. જેના દમ પર પંજાબે આ મેચ 7 બોલ બાકી હતા ત્યારે જ જીતી લીધી હતી. પંજાબ આ ટુર્નામેન્ટમાં અજેય રહી છે અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.

દિલ્હીની બેટિંગમાં કેએલ રાહુલનું તોફાન

પહેલા બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી માટે ઈનિંગની શરૂઆત કેએલ રાહુલ અને પથુમ નિસાંકાએ કરી હતી. પરંતુ આ મેચમાં પણ નિસાંકા ફ્લોપ રહ્યો અને માત્ર 11 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે, ત્યારબાદ કેએલ રાહુલ અને નીતીશ રાણાએ તોફાની બેટિંગ કરી હતી. બંનેએ છગ્ગા-ચોગ્ગાનો વરસાદ કર્યો હતો. કેએલ રાહુલે 15મી ઓવરમાં માત્ર 47 બોલમાં સદી ફટકારી હતી.

નીતીશ રાણા અને કેએલ રાહુલ વચ્ચે 95 બોલમાં 220 રનની ભાગીદારી થઈ હતી. રાણાએ 44 બોલમાં 91 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગમાં નીતીશ રાણાએ 11 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ કેએલ રાહુલ એક છેડે ટકી રહ્યો હતો. કેએલ રાહુલે 67 બોલમાં અણનમ 152 રનની ઈનિંગ રમી હતી, જેના દમ પર દિલ્હીએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 264 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગમાં કેએલ રાહુલે 16 ચોગ્ગા અને 9 છગ્ગા ઝીંક્યા હતા.

આઈપીએલ-2026માં આજે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં ઈતિહાસ રચાવાની સાથે અનેક રેકોર્ડ સર્જાયા છે. દિલ્હીએ 20 ઓવરમાં બે વિકેટે 264 રન નોંધાવ્યા હતા, જે આ આઈપીએલ સિઝનનો સૌથી મોટો સ્કોર હતો, ત્યારે પંજાબે આ સ્કોર ચેજ કરીને રેકોર્ડ નોંધાવ્યો છે. પંજાબે 18.5 ઓવરમાં પાંચ વિકેટે 265 રન કરીને ભવ્ય વિજય મેળવ્યો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, દિલ્હી કેપિટલ્સનો પોતાનો આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર હતો.

April 25, 2026
image-15.png
1min222

સુરતના અલથાણ વિસ્તારમાં ગઈકાલે (24મી એપ્રિલ) ટ્યુશનથી ઘરે જઈ રહેલી સગીરાની છેડતીની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. આ મામલે આજે (25મી એપ્રિલ) પકડાયેલા આરોપી મોહમ્મદ અઝીઝને લઈને જ્યારે પોલીસ ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી, ત્યારે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ આરોપીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ઉગ્ર બનેલી ભીડ અને મહિલાઓના વિરોધ વચ્ચે પોલીસે ભારે જહેમત બાદ આરોપીને બહાર કાઢવો પડ્યો હતો.

ગત રાત્રે 24/04/2026 અલથાણ વિસ્તારમાં આવેલી એટલાન્ટા મોલ પાસેના ટ્યુશન ક્લાસથી 12 વર્ષની દીકરી ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન અંદાજે 40 વર્ષીય મહંમદ અઝીઝ નામના શખસે સગીરાની છેડતી કરી હતી. બાળકીએ હિંમત બતાવી ચીસાચીસ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આરોપીને રંગેહાથ ઝડપીને મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

પાટીદાર સમાજની દીકરી સાથે છેડતીનો મેસેજ સોશિયલ મીડિયા વાઈરલ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ગત રાત્રે 24/04/2026 પણ ૩ કલાક સુધી લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી.

આજે 25/04/2026 પોલીસ જ્યારે આરોપી મોહમ્મદ અઝીઝ ઈમ્તીયાઝને એટલાન્ટા મોલ પાસે રિકન્સ્ટ્રક્શન માટે લાવી ત્યારે પાટીદારો સમાજ સહિતના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયાં હતાં. ભીડને જોતા પોલીસ આરોપીને અડધો કિલોમીટર દૂર ઉતારીને કન્સ્ટ્રક્શન સાઈટના રસ્તેથી લાવી હતી.

આ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર હતી. આરોપીને જોતા જ મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી ચપ્પલ અને પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું હતું. બેકાબૂ બનેલી ભીડથી આરોપીને બચાવવા પોલીસે માનવ સાંકળ બનાવી સુરક્ષા કવચ તૈયાર કર્યું હતું અને ગણતરીની મિનિટોમાં જ આરોપીને વાનમાં બેસાડી ત્યાંથી રવાના કરી દીધો હતો. અલથાણ વિસ્તારમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દેવામાં આવ્યો છે. પાટીદાર સમાજના અગ્રણીઓએ આરોપીને સખતમાં સખત સજા થાય તેવી માંગ કરી છે. પોલીસ આ મામલે કડક કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

April 25, 2026
heat-stroke.jpg
1min221

ગુજરાતમાં ઉનાળાનો અસલી મિજાજ જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો સામાન્ય કરતા 1થી 3 ડિગ્રી ઊંચો નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ(IMD)ના હાલના અહેવાલ મુજબ, શુક્રવારે અમરેલી અને રાજકોટમાં ગરમીએ માઝા મૂકી હતી, જ્યાં પારો 43 ડિગ્રીને પાર કરી ગયો છે.

ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

  • અમરેલી: 43.3°C
  • રાજકોટ: 43.1°C
  • અમદાવાદ: 42.1°C
  • વડોદરા: 41.6°C
  • ગાંધીનગર: 41.5°C
  • ભુજ: 41.4°C
  • સુરત: 40.0°C

માત્ર દિવસ જ નહીં, પણ રાત્રિના તાપમાનમાં પણ વધારો થયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ (27.0°C) નોંધાયું છે, જેના કારણે રાત્રે પણ અસહ્ય ઉકળાટ અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

ભલે દ્વારકા (31.8°C) અને વેરાવળ (32.0°C) જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન ઓછું હોય, પરંતુ હવામાન વિભાગે અહીં હોટ ઍન્ડ હ્યુમિડ (ગરમ અને ભેજવાળા) પવનની ચેતવણી આપી છે. એટલે કે, અહીં તાપમાન ભલે ઓછું હોય પણ ભારે ભેજને કારણે પરસેવો અને બફારો વધારે પરેશાન કરશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં કોઈ મોટી રાહત મળે તેવી શક્યતા નથી. આથી નાગરિકોને નીચે મુજબની તકેદારી રાખવા સલાહ આપવામાં આવી છે. બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું. વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહી લેતા રહેવું. સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરવા.

April 25, 2026
stc_election-1.jpg
1min171

ગુજરાતમાં રવિવાર ને 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાન છે પણ ચૂંટણી હોય એવો માહોલ જ નથી. ગુજરાતની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો ઉપરાંત 11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠક માટે 26 એપ્રિલ 2026ને રવિવારે થનારા મતદાનમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ત્રણ પક્ષો વચ્ચે મુખ્ય જંગ છે. આ સિવાય બીજા નાના નાના પક્ષો અને અપક્ષો પણ મેદાનમાં છે.

રાજકીય પક્ષોના અને અપક્ષ ઉમેદવારો તો ચૂંટણીમાં ઊભા રહ્યા એટલે પ્રચાર કરવો જ પડે તેથી એ બધા પોતાની રીતે મથ્યા કરે છે પણ સામાન્ય પ્રજામાં કોઈ ઉત્સાહ નથી. બધા મળીને 25 હજારથી વધારે ઉમેદવારો મેદાનમાં છે બધાંના સો-સો સમર્થકો ગણીએ તો લગભગ 25 લાખ જેટલા લોકો ચૂંટણીમાં સક્રિય છે તેથી થોડો ઘણો માહોલ લાગે પણ આ માહોલમાં સામાન્ય મતદારોની બહુ ભાગીદારી હોય એવું દેખાતું નથી.

આ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પછી સૌથી મોટી છે. રાજ્યની તમામ જિલ્લા પંચાયતો માટે મતદાન છે તેથી રાજ્યના તમામ મતદારો મતદાન કરશે એ જોતાં તેનો વ્યાપ તો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જેવો જ છે. ગુજરાતમાં આવતા વરસે એટલે કે 2027ના નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી છે. એ પહેલાં રાજકીય પક્ષો માટે આખા રાજ્યમાં પોતાની તાકાતનાં પારખાં કરવાની આ છેલ્લી તક છે ને લોકો માટે પણ વિધાનસભાની ચૂંટણી પહેલાં પોતાના ગમા-અણગમા, અસંતોષ, આક્રોશ વગેરે વ્યક્ત કરવાનો આ છેલ્લો મોકો છે.

આ નિરસતાનું મુખ્ય કારણ ગુજરાતમાં સબળ વિપક્ષનો અભાવ છે. ખાસ કરીને કોંગ્રેસ સાવ નબળી સાબિત થઈ છે. ગુજરાતમાં વરસોથી ભાજપ સત્તામાં જામેલો છે પણ લોકોની સમસ્યાઓ તો હજુય યથાવત જ છે. રોડ-રસ્તા, પાણી, ચોમાસામાં પાણી ભરાઈ જવાં સહિતની સ્થાનિક ચૂંટણીઓ માટેની સમસ્યાઓ મોટા પ્રમાણમાં છે પણ વિપક્ષ લોકોની આ સમસ્યાઓને અસરકારક રીતે રજૂ જ નથી કરી શકતો.

અત્યારે ચૂંટણી છે તેથી ઘણે ઠેકાણે મતદારો પોતે જાગૃતિ બતાવીને પોતાની સમસ્યાઓને મીડિયા કે સોશ્યલ મીડિયાના માધ્યમથી મૂકે છે, ભાજપના કાર્યકરો કે નેતાઓને પોતાના વિસ્તારોમાં નહીં પ્રવેશવા દેવા જેવા નિર્ણયો લે છે ને ઘણે ઠેકાણે તો કામ કરવામાં નિષ્ફળ ગયેલા ભાજપના હોદ્દેદારો સામે ઉગ્ર આક્રોશ પણ ઠલવાયો છે.

ખરેખર, આ કામ વિપક્ષે કરવાનું હોય પણ વિપક્ષ નિષ્ફળ ગયો છે. વિપક્ષોએ આક્રમકતાથી પાંચ વરસ લગી લોકોની સમસ્યાઓ ઉઠાવી હોત તો અત્યારે લોકો તેમની પડખે ઊભા રહ્યા હોત. સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ કેટલાક વિસ્તારોમાં ખેડૂતોની સમસ્યાઓને સતત વાચા આપી તેના કારણે મતદારો તેમના પ્રચારમાં સક્રિય છે પણ બધે આ માહોલ નથી. કોંગ્રેસની તરફેણમાં લોકો ઉમટતા જ નથી તેથી ચૂંટણીનો માહોલ જામતો નથી.

ભાજપે અપનાવેલી બિનલોકશાહી રીતરસમો પણ મતદારોની નિરસતાનું એક કારણ છે. ગુજરાતમાં વરસોથી ભાજપનું એકચક્રી શાસન છે અને લોકસભા તથા વિધાનસભાઓની ચૂંટણીઓમાં તો ભાજપનું બુલડોઝર જ ફરી વળે છે. લોકસભામાં છેલ્લી ત્રણ ચૂંટણીમાંથી બે વાર તો ભાજપે ગુજરાતમાં ક્લીન સ્વીપ કરીને બધી બેઠકો જીતેલી.