Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
Arijit Singh Retirement News 2026 | પ્લેબેક સિંગિંગમાંથી અચાનક નિવૃત્તિનું એલાન હિન્દી સિનેમાના મધુર અવાજ અને કરોડો લોકોના ફેવરિટ સિંગર અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગ (ફિલ્મો માટે ગાવાનું) માંથી સંન્યાસ લેવાની સત્તાવાર જાહેરાત કરી છે. અરિજિતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે તે હવે પ્લેબેક વોકલિસ્ટ તરીકે કોઈ નવા પ્રોજેક્ટ્સ સાઇન કરશે નહીં.
નિવૃત્તિ પાછળના મુખ્ય કારણો પોતાના આ ચોંકાવનારા નિર્ણય પાછળ અરિજિતે બે મુખ્ય કારણો આપ્યા છે:
કંટાળો (Boredom): અરિજિતે જણાવ્યું કે તે ખૂબ જ ઝડપથી કંટાળી જાય છે. તે સ્ટેજ પર પણ એકના એક ગીતો અલગ અરેન્જમેન્ટ સાથે ગાય છે કારણ કે તેને નવું કરવાની ભૂખ છે. તેણે કહ્યું, “મારે જીવવા માટે કંઈક અલગ મ્યુઝિક કરવાની જરૂર છે.”
નવા સિંગર્સ માટે તક: અરિજિત ઈચ્છે છે કે હવે કોઈ નવો અવાજ અને નવો સિંગર ઉભરે, જે તેના માટે સાચું મોટિવેશન બની શકે.
મ્યુઝિક બનાવવાનું ચાલુ રાખશે
ચાહકો માટે રાહતના સમાચાર એ છે કે અરિજિતે સ્પષ્ટ કર્યું છે કે તે સંગીત બનાવવાનું (Music Production) છોડી રહ્યો નથી. તે સ્વતંત્ર મ્યુઝિક પ્રોડક્શન, લાઈવ શો અને કોન્સર્ટમાં પરફોર્મ કરવાનું ચાલુ રાખશે. તેણે લખ્યું કે, “ભગવાનની મારા પર મહેરબાની રહી છે, હું ભવિષ્યમાં સંગીત વિશે વધુ શીખીશ અને એક નાના કલાકાર તરીકે કંઈક વધુ નવું કરીશ.”
છેલ્લું ગીત અને બાકી પ્રોજેક્ટ્સ
સલમાન ખાનની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું ગીત ‘માતૃભૂમિ’ અરિજિત સિંહના પ્લેબેક કરિયરનું છેલ્લું ગીત બની રહ્યું છે. હાલમાં તેની પાસે જે પણ જૂના કમિટમેન્ટ્સ છે, તે તેને પૂરા કરશે. તેથી આ વર્ષે તેના જૂના રેકોર્ડ કરેલા કેટલાક ગીતો રિલીઝ થઈ શકે છે, પરંતુ તે હવે કોઈ નવી ફિલ્મો સાઇન કરશે નહીં.
77મા ગણતંત્ર દિવસના અવસરે સુરત–તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (સુમુલ ડેરી)ને ભારત સરકારના નાણાં મંત્રાલયના આવક વિભાગ હેઠળના CGST અને સેન્ટ્રલ એક્સાઇઝ, સુરત કમિશનરેટ દ્વારા પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું. આ સન્માન આર્થિક વર્ષ 2024–25 દરમિયાન GST રિટર્ન સમયસર ફાઇલ કરવા તેમજ GST ની નિયમિત ચુકવણી બદલ આપવામાં આવ્યું છે.
સુમુલ ડેરી દ્વારા કરવામાં આવેલા આ નિયમિત અને જવાબદાર કર પાલનને રાષ્ટ્રના મજબૂત અને સ્થિર વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન તરીકે માન્યતા આપવામાં આવી છે. પ્રમાણપત્ર કમિશનર (IRS) ડૉ. મનપ્રીત અરોરા દ્વારા તા. 26 જાન્યુઆરી 2026ના રોજ એનાયત કરવામાં આવ્યું હતું, જે સુમુલ ડેરી તરફથી મેનેજિંગ ડિરેક્ટર શ્રી સી.એ. અરુણ પુરોહિત એ સ્વીકાર્યું હતું. આ સન્માન સુમુલ ડેરીની મજબૂત નાણાકીય શિસ્ત, પારદર્શક શાસન અને જવાબદાર સહકારી કાર્યશૈલીનું પ્રતિબિંબ છે. સુરત અને તાપી જિલ્લાના લાખો દૂધ ઉત્પાદકો તથા ગ્રાહકોને સેવા આપતી સુમુલ ડેરી સહકારી મૂલ્યો સાથે દેશની અર્થવ્યવસ્થામાં સતત યોગદાન આપી રહી છે.
સહકાર આધારિત કાર્યપદ્ધતિ અને ખેડૂતોની ભાગીદારીથી સંચાલિત સુમુલ ડેરી “સહકારથી સમૃદ્ધિ” ના મૂળમંત્રને સાર્થક કરતી આગવી સંસ્થા તરીકે કાર્ય કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયનના નેતાઓએ 27/01/2026 આજે નવી દિલ્હીમાં ભારત-યુરોપની ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલને અંતિમ રૂપ આપ્યું. આશરે 18 વર્ષ લાંબી વાટાઘાટો બાદ આજે આખરે આ ડીલ પર મહોર વાગી. આ ડીલને ‘મધર ઓફ ઑલ ડીલ્સ’ કહેવામાં આવે છે, જે દુનિયાની 25 ટકા GDPનું પ્રતિનિધિત્વ કરે છે. ફ્રી ટ્રેડ ડીલમાં સૌથી મોટી જાહેરાત ઓટોમોબાઈલ ક્ષેત્રને લગતી છે, જે અંતર્ગત યુરોપથી ભારત આવતી કાર પર ટેક્સ ઘટાડીને 10 ટકા કરાશે.
તમને જણાવી દઈએ કે, યુરોપિયન યુનિયનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્ટોનિયો કોસ્ટા હાલ ભારતના પ્રવાસે છે. આ બંને નેતા ગઇકાલે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ચીફ ગેસ્ટ તરીકે જ ભારત આવી ગયા હતા. આ મુદ્દે બંને પક્ષે 26 જાન્યુઆરીએ જ ફ્રી ટ્રેડ ડીલ અંગે વાટાઘાટો શરૂ કરી હતી, જેને 27 જાન્યુઆરીએ આયોજિત 16માં શિખર સંમેલનમાં અંતિમ રૂપ અપાયું હતું. યુરોપ આ ડીલને ‘મધર ઓફ ઑલ ડીલ્સ’ કહે છે.
ભારત-યુરોપની સંયુક્ત પત્રકાર પરિષદમાં PM મોદીએ કહ્યું હતું કે, વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓએ આજે નવો અધ્યાય સ્થાપિત કર્યો. છેલ્લા ઘણાં વર્ષોથી ભારત અને યુરોપ વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા હતા. આજે આ સંબંધોને નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ. ભારતે આજે વિશ્વના સૌથી મોટા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ એગ્રીમેન્ટ સમૃદ્ધિની નવી બ્લૂપ્રિન્ટ છે. ભારત અને યુરોપની આ ડીલ ઈન્ટરનેશનલ સિસ્ટમને સ્થિરતા અને મજબૂતાઈ આપશે. આ સિવાય અમે યુક્રેન, પશ્ચિમ એશિયા, ઈન્ડો-પેસિફિક સહિતના વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી.
ભારત-યુરોપ ટ્રેડ ડીલની સૌથી મોટી જાહેરાતો
મેડિકલ અને સર્જીકલ ઉપકરણોમાં 90 ટકા પ્રોડક્ટ્સ પર કોઈ ટેક્સ નહીં લેવાય.
યુરોપના ફ્રૂટ જ્યૂસ પર 100%, મશીનરી પર 44% અને કેમિકલ પર 22% ટેરિફ નાબૂદ
યુરોપથી આવતી દવાઓ પર 44 ટકા સુધીનો ટેક્સ લેવાય છે, જે નાબૂદ કરાશે.
યુરોપના બિયર પર 50%, લિકર પર 40% અને વાઈન પર 30% ટેરિફ નાબૂદ કરાશે
આગામી બે વર્ષમાં કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે યુરોપ ભારતને 500 મિલિયન યુરો આપશે.
ભારતમાં ગ્રીન ટેકનોલોજી અને ક્લિન એનર્જીમાં પ્રોત્સાહન આપવામાં યુરોપ મદદ કરશે.
યુરોપથી આવતી કાર પર માત્ર 10 ટકા ટેક્સ
સૌથી મોટી અસર કાર બજાર પર પડશે. ભારત હાલમાં યુરોપિયન કાર પર લગભગ 70 ટકા જેટલો ટેક્સ વસૂલે છે, જેને તબક્કાવાર ઘટાડીને માત્ર 10 ટકા કરી દેવામાં આવશે. ટ્રાન્ઝિશન પીરિયડ દરમિયાન દર વર્ષે અઢી લાખ વાહનોના ક્વોટાની મર્યાદા રહેશે. આનાથી ભારતમાં લક્ઝરી કારોના ભાવમાં ધરખમ ઘટાડો થશે.
એવિયેશન સેક્ટરમાં પણ ટેરિફ નાબૂદીની જાહેરાત
એરક્રાફ્ટ અને સ્પેસક્રાફ્ટ સેક્ટરમાં લગભગ તમામ ટેરિફ નાબૂદ કરવામાં આવશે, જે ભારતના એવિયેશન સેક્ટર માટે ફાયદાકારક સાબિત થશે.
ભારતમાં યુરોપની વાઈન અને બિયર સસ્તી થશે
ઓલિવ ઓઈલ અને અન્ય વનસ્પતિ તેલ કોઈ ટેક્સ વસૂલવામાં આવશે. યુરોપથી આવતી વાઈન પર વસૂલાતો ટેક્સ 150 ટકાથી ઘટાડીને 20થી 30 ટકા, બિયર પરનો ટેક્સ 110 ટકાથી ઘટાડીને 50 ટકા તથા સ્પિરિટ પરનો ટેક્સ ઘટાડીને 40 ટકા કરાયો છે. જેથી ભારતીય પ્રીમિયમ આલ્કોહોલ બજારમાં પ્રતિસ્પર્ધા વધશે. ફ્રૂટ જ્યુસ પર પણ 100 ટકા ટેક્સનો ઘટાડો કરાશે.
આ ડીલથી રોકાણ અને વેપારને પ્રોત્સાહન મળશે
આ ડીલથી ભારત અને યુરોપના અર્થતંત્રમાં રોકાણ અને વેપારને પ્રોત્સાહન મળશે. આજે સત્તાવાર જાહેરાત બાદ તબક્કાવાર ડીલ લાગુ કરાશે.
આ ડીલ બાદ ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાં ધરખમ વધારો થશે. ઓટોમોબાઈલ, વાઈન, સ્પિરિટ્સ સહિતના સેક્ટર્સમાં પણ ડીલ કરાશે. જેમાં ભારતમાં યુરોપિયન વાહનો પર ટેરિફ ઘટાડવામાં આવી શકે છે. જ્યારે યુરોપ ભારતીય ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ, જ્વેલરી, બિયર-વાઈન, સ્પિરિટ સહિતની વસ્તુઓ પર ટેરિફમાં રાહત આપશે.
ભારત-યુરોપ વચ્ચે 2025માં 136.53 અબજ ડૉલરનો વેપાર
વર્ષ 2025માં ભારત અને યુરોપ વચ્ચે કુલ 136.53 અબજ ડોલરનો વેપાર થયો. ભારતે 60.7 અબજ ડોલરનો સામાન આયાત કર્યો જ્યારે 75.9 અબજ ડોલરના સામાનની નિકાસ કરી. એવામાં ટ્રેડ ડીલમાં ટેરિફમાં ઘટાડો થતાં ઉપભોક્તા અને ઉત્પાદક બંનેને લાભ થશે.
ભારત યુરોપથી હાઈ કેટેગરી મશીનરી, ઈલેક્ટ્રોનિક્સ, વિમાન, મેડિકલ ઉપકરણ વગેરે આયાત કરે છે. જ્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, સ્માર્ટફોન, કાપડ, ફાર્મા પ્રોડક્ટ્સ, જ્વેલરી, લોખંડની નિકાસ કરવામાં આવે છે. એવામાં આ ડીલમાં 90 ટકા સામાન પર ટેરિફ ઓછો અથવા નહિવત થઈ શકે છે. આ સેક્ટરમાં કામ કરતાં ઉદ્યોગો અને બિઝનેસમેનને તેનો મોટો લાભ મળશે.
યુરોપના કુલ 27 દેશના બજારમાં ભારતની પહોંચ વધશે
યુરોપના 45 કરોડ લોકોના બજારમાં ભારતીય કંપનીઓની સીધી એન્ટ્રી થશે
UGCના નિયમોને લઈને સવર્ણોમાં આક્રોશ સતત વધી રહ્યો છે. અત્યાર સુધી સોશિયલ મીડિયામાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો. પરંતુ હવે દિલ્હીથી લઈને યુપી સુધી લોકો રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે. આજે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના હેડક્વાર્ટર બહાર વિદ્યાર્થીઓ વિરોધ માટે એકત્રિત થયા હતા. આ સિવાય ઉત્તર પ્રદેશમાં પણ ઠેર ઠેર દેખાવોનું આયોજન કરાયું છે.
દેશભરની યુનિવર્સિટીઓમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ દૂર કરવા માટે સરકારે નવા નિયમ બનાવ્યા હતા. જેને લઈને વિરોધ થઈ રહ્યો છે. સવર્ણ સમાજનું કહેવું છે કે આ નિયમો એકતરફી અને અસ્પષ્ટ છે જેના કારણે તેનો દુરુપયોગ થવાની આશંકા છે.
UGCએ આદેશ આપ્યા છે કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રોકવા માટે SC, ST અને OBCના વિદ્યાર્થીઓ માટે 24/7 હેલ્પલાઈન નંબર, ઈક્વિટી સેન્ટર બનાવવામાં આવશે.
ભેદભાવની વ્યાખ્યા:
નવા નિયમ મુજબ, જ્ઞાતિ આધારિત ભેદભાવમાં માત્ર SC, ST અને OBC વર્ગના સભ્યો સામેલ થયેલા ભેદભાવ જ ગણવામાં આવશે. જનરલ કેટેગરી સાથે કોઈ ભેદભાવ થાય તો કોઈ કાયદાકીય રક્ષણ નહીં મળે.
જો કોઈ જાણીજોઇને ખોટી ફરિયાદ કરે તેના સામે દંડ કે સજાની કોઈ જોગવાઈ નથી. એવામાં અંગત અદાવત કાઢવા નિર્દોષ વિદ્યાર્થીઓ અથવા પ્રોફેસરોને નિશાનો બનાવાશે.
કોલેજોમાં સમાનતા સમિતિ બનાવવામાં આવશે. તેમાં SC, ST, OBC, મહિલા અનિવાર્ય છે પરંતુ જનરલ કેટેગરીના પ્રતિનિધિત્વ માટે કોઈ જોગવાઈ નથી.
સમગ્ર મામલે ભાજપમાં જ વિરોધ શરૂ થઈ ગયો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર સંજય સિંહે કહ્યું છે કે, સંતુલિત પ્રતિનિધિત્વ ન હોય તેવી સમિતિઓ કેવી રીતે ન્યાય કરી શકે? આવી સમિતિઓથી સમસ્યાનું સમાધાન ન થાય. દરેક નાગરિકના સન્માન અને સુરક્ષાની રક્ષા થવી જોઈએ. તમામ વર્ગની ભાગીદારી જરૂરી છે.
ભાજપ નેતા બૃજ ભૂષણ શરણ સિંહના પુત્ર અને ધારાસભ્ય પ્રતિક ભૂષણે કહ્યું છે કે, આ બેવડા વલણની ગહન સમીક્ષા થવી જોઈએ. ભારતીય સમાજના એક વર્ગને ઐતિહાસિક ગુનેગાર બતાવી બદલો લેવા માટે નિશાનો બનાવવામાં આવે છે.
ખેડૂત આગેવાન રાકેશ ટિકેતે કહ્યું છે કે, આ કાયદાથી ભારતમાં જ્ઞાતિગત તણાવ અને વિવાદ વધશે. સરકાર જ ઈચ્છે છે કે દેશ જ્ઞાતિવાદ, ધર્મવાદમાં ફસાયેલો રહે. સમાજમાં અંદરોઅંદર દુશ્મનાવટ વધે. આવા નિણર્ય દેશ માટે સારા નથી.
વૈશ્વિક બજારમાં વધતી અસ્થિરતા અને સુરક્ષિત રોકાણની વધતી માંગને કારણે આજે ભારતીય બુલિયન માર્કેટમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. સોના અને ચાંદીના ભાવે આજે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને એક નવી ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયા છે. ગ્લોબલ ઇકોનોમીમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે રોકાણકારો સોના તરફ વળ્યા હોવાથી કિંમતોમાં આ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.
ચાંદીની કિંમતમાં 25 હજાર રૂપિયાનો વધારો!
Dated 27/01/26 સોમવારે ભારતીય કોમોડિટી માર્કેટ બંધ હતું. પરંતુ ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં ભયંકર તેજી જોવા મળી અને પહેલીવાર સોનાનો ભાવ 5000 ડોલર પ્રતિ ઔંસ પહોંચી ગયો. જે બાદ આજે ભારતીય બજાર ખૂલતાંની સાથે જ સોનું અને ચાંદી બંનેમાં ભારે તેજી જોવા મળી. એક કિલો ચાંદીની કિંમતમાં 25000 રૂપિયાનો વધારો થયો છે. સોનું પણ 3700 રૂપિયા મોંઘું થયું છે.
સોનું-ચાંદી બંને ઑલ ટાઈમ હાઈ
ચાંદીની કિંમતો છેલ્લા 3 મહિનાથી બેકાબૂ થઈ ગઈ છે. આજે MCX પર બજાર ખૂલતાં જ ચાંદીનો ભાવ 3,59,800 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો. સોનાની વાત કરીએ તો 10 ગ્રામ સોનાનો ભાવ 1,59,820 રૂપિયા પહોંચી ગયો છે. આમ સોનું અને ચાંદી બંનેએ આજે ઈતિહાસના તમામ રેકોર્ડ તોડ્યા છે અને ઑલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યા છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના વાયદા ભાવમાં 24 હજાર રૂપિયાનો વધારો થયો છે.
સોના-ચાંદીના ભાવમાં વધારાના કારણ
વૈશ્વિક અસ્થિરતા: અમેરિકા અને મિડલ ઈસ્ટ વચ્ચે યુદ્ધની પ્રબળ આશંકા
ઔદ્યોગિક માંગ: AI ડેટા સેન્ટર્સ અને સોલાર પેનલ્સમાં ચાંદીના વધી રહેલા વપરાશને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ
બેંક કર્મચારી યુનિયનોએ 5 વર્કિંગ ડેની માંગ કરી લાંબા સમયથી પડતર માંગણીનો નિવેડો આવે તે માટે 27 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળનું આહ્વાન યુનાઇટેડ ફોરમ ઓફ બૅન્ક યુનિયન્સ (UFBU) દ્વારા કરવામાં આવ્યું છે. જેથી 27 જાન્યુઆરી 2026ને મંગળવારે દેશભરમાં બેંકિંગ સેવાઓ પ્રભાવિત થવાના સંકેત છે. છેલ્લા ત્રણ દિવસ 24,25,26 જાન્યુઆરી બેન્કમાં સત્તાવાર રજા હતી ત્યારે વધુ એક દિવસ 27 જાન્યુઆરીએ બેન્કનું કામકાજ ઠપ રહે તો ગ્રાહકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી શકે તેવી શક્યતાઓ છે.
કઈ કઈ બેન્કના કામકાજ પર પડશે અસર?
યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU)એ જાહેર કરેલી આ હડતાળમાં દેશભરની તમામ સરકારી બેન્કના કર્મચારીઓ જોડાઈ શકે છે. જેમાં ખાસ કરીને આમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, ઈન્ડિયન બેંક અને અન્ય જાહેર ક્ષેત્રની બેંકના કર્મચારીઓ જોડાઈ શકે છે. જેના ભાગરૂપે ઘણા બેંક કર્મચારીઓએ પહેલાથી જ ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. અને ચેતવણી આપી છે જો માગ સ્વીકારવામાં નહીં આવે તો વધુ પ્રચંડ આંદોલન થશે.
અનેક કાર્યો પ્રભાવિત થશે
જેથી મંગળવારે 27 જાન્યુઆરી બેન્ક જતાં પહેલા ખરાઈ કરી લેજો કે બેન્કનું કામકાજ ચાલુ છે કે સંભવિત હડતાળના કારણે બંધ? ત્રણ દિવસથી સત્તાવાર રજાઓને કારણે બૅન્કનું કામ રોકાયેલું છે તેવામાં વધુ એક દિવસ વિરોધના ભાગરૂપે જો બેન્ક કર્મચારીઓ કામથી અળગા રહેશે તો કેશ, ચેક ક્લીયરન્સ, ડ્રાફ્ટ, પાસબુક, લોન સંબંધિત સહિત અનેક કાર્યો પ્રભાવિત થઈ શકે છે.
શું છે બૅન્ક કર્મચારી યુનિયનની માંગ?
યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) દ્વારા જાહેર 27 જાન્યુઆરી 2026એ સંભવિત બૅન્ક હડતાળના નિર્ણયનું મુખ્ય કારણ સપ્તાહમાં 5 દિવસ જ કામકાજ બે દિવસ રજા(ફાઇવ ડે વર્કિંગ)નો નિયમ લાગુ કરવાનું છે. UFBUએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલ બૅન્ક કર્મચારીઓને દરેક મહિનામાં બીજા અને ચોથા શનિવારે રજા મળે છે, બાકીના બે શનિવારે રજા જાહેર કરવા માર્ચ 2024માં વેતન સંશોધન કરાર મુજબ ઇન્ડિયન બૅન્ક ઍસોસિએશન(IBA) અને યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) વચ્ચે સહમતિ સધાઈ હતી. જેમાં સોમવાર થી શુક્રવાર સુધી પ્રત્યેક દિવસ 40 મિનિટ વધારાના કામ કરવા પણ સહમતી બની હતી જેથી કામકાજના સમયમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી, પણ દુભાગ્યપૂર્ણ છે કે સરકારે વાસ્તવિક માંગ પર હજુ સુધી કોઈ ધ્યાન આપ્યું નથી.
બૅન્ક યુનિયનોનું કહેવું છે કે, અઠવાડિયામાં પાંચ દિવસના કામકાજથી કર્મચારીઓ પરનું માનસિક દબાણ ઘટશે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થશે. હાલમાં ભારત સરકારના મોટાભાગના વિભાગો, RBI, LIC, શેરબજાર અને ફોરેક્સ માર્કેટમાં પાંચ દિવસનું જ કામકાજ હોય છે. બૅન્ક કર્મચારીઓ પણ આ જ ધોરણે તમામ શનિવારની રજાની માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે, આ હડતાળનું આહ્વાન ‘યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ’ (UFBU) દ્વારા કરાયું છે. જો કે, આ માંગણીને અમલમાં મૂકવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) અને સરકારની મંજૂરી મેળવવી અત્યંત જરૂરી છે.
બે રવિવાર અને બે શનિવારની રજા હવે કર્મચારીઓ માટે અપૂરતી
બેન્ક કર્મચારીઓને વર્ષ 2013થી દર મહિનાના ચાર રવિવાર ઉપરાંત બે શનિવારની રજા આપવામાં આવે છે. જોકે, હવે મહિનાના તમામ શનિવારોએ રજા જાહેર કરવાની લાંબા સમયની માંગણી પર કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. સરકારના આ ઉદાસીન વલણને કારણે બેન્ક કર્મચારીઓ અને તેમના વિવિધ એસોસિયેશનોમાં નારાજગી સતત વધી રહી છે.
9 બૅન્ક યુનિયનનું સામૂહિક સંગઠન છે UFBU
યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU)એ ભારતના 9 પ્રમુખ બૅન્ક યુનિયનનું સામૂહિક સંગઠન છે, જે સાર્વજનિક ક્ષેત્રે બૅન્ક અને તેના અધિકારીઓ અને કર્મચારીઓના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. યુએફબીયુના સભ્યોમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC), નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ (NCBE), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) અને બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) નો સમાવેશ થાય છે.
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ર૪, રપ અને ર૬ જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’, ‘SGCCI ગ્લોબલ વિલેજ’ અને વુમન આંત્રપ્રિન્યોર એકિઝબિશનનું સંયુકત આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા આયોજિત એક્ઝિબિશનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના મહેમાનોની વિશિષ્ટ હાજરી રહેશે, જે એક્ઝિબિશનની વૈશ્વિક મહત્તા અને પ્રતિષ્ઠાને ઉજાગર કરે છે.
શનિવાર, તા. ર૪ જાન્યુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે એકિઝબિશન ડોમ, સરસાણા, સુરત ખાતે ત્રણેય એક્ઝિબિશનનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે, જેમાં ઉદ્ઘાટક તરીકે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ તેમજ Craftroots – Crafting Stories, Stitching Culturesના સ્થાપક અને ડિરેક્ટર શ્રીમતી અનાર પટેલ પધારશે અને તેમના વરદ્ હસ્તે એકિઝબિશનોનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
ઉદ્ઘાટન સમારોહમાં સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ (IAS) મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે.
ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે સ્પેશ્યલ ગેસ્ટ તરીકે એલ્બર્ટા ઇકોનોમિક કોરિડોરના MLA ચેર, શ્રી શેન ગેટસન (Mr. Shane Getson, MLA Chair, Alberta Economic Corridor), બોત્સ્વાનાના આંતરરાષ્ટ્રીય સંબંધોના માનનીય મંત્રી ડૉ. ફેન્યો બૂટાલે (Hon. Dr. Phenyo Butale, Minister of International Relations, Botswana) તથા ઝિમ્બાબ્વેના ઉદ્યોગ અને વાણિજ્યના માનનીય ડેપ્યુટી મિનિસ્ટર શ્રી રાજ મોદી (Hon’ble, Mr. Raj Modi, Deputy Minister of Industry and Commerce, Republic of Zimbabwe) ઉપસ્થિત રહી વિશિષ્ટ હાજરી નોંધાવશે.
ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલા, માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદી, ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમર અને કો–ચેરમેન શ્રી નિરવ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, ઉદ્ઘાટન સમારોહમાં ગેસ્ટ ઓફ ઑનર તરીકે ભારતમાં સાયપ્રસ રિપબ્લિકના માનદ્ કોન્સુલ જનરલ શ્રી વિરાજ કુલકર્ણી (Mr. Viraj Kulkarni, Hon. Consul General of the Republic of Cyprus in India), કેનેડાના એલ્બર્ટા રાજ્યના MLA સુશ્રી જેકી લવલી (Ms. Jackie Lovely, MLA Alberta, Canada), નેશનલ MSME બોર્ડના ડિરેક્ટર શ્રી પ્રદીપ પેશકર (Mr. Pradeep Peshkar, Director National MSME Board), ઘાના રિપબ્લિકની ઘાના ફ્રી ઝોન્સ ઓથોરિટી (GFZA)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. મેરી અવુસી (Dr. Mary Awusi, Chief Executive Officer, Ghana Free Zones Authority (GFZA), Republic of Ghana) તથા KREMAG એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી ઇશ્વર પરમાર (Mr. Ishwar Parmar, Vice President, KREMAG Association) ઉપસ્થિત રહેશે.
આવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીથી ત્રણેય એકિઝબિશનો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે વૈશ્વિક વેપાર, રોકાણ અને સહકારની નવી તકો સર્જવાનું મહત્વપૂર્ણ મંચ બની રહેશે.
SGCCI દ્વારા તા. ર૪થી ર૬ જાન્યુઆરી ર૦ર૬ દરમ્યાન સરસાણા સ્થિત SIECC ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એકિઝબિશન યોજાશે
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ર૪, રપ અને ર૬ જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ બેવરેજીસ એકિઝબિશનનું આયોજન કરવામાં આવે છે. આ એકિઝબિશનમાં સુરત ઉપરાંત દેશના વિવિધ શહેરો જેવા કે પૂણે, નાસિક, રાયપુર (છત્તીસગઢ), હરિયાણા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, પંચમહાલ, નવસારી, વાપી, વલસાડ, અંકલેશ્વર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોંડલ, જુનાગઢ અને ભરૂચથી ૧પ૬ એકિઝબિટર્સે ભાગ લીધો છે.
ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ફૂડ એન્ડ બેવરેજીસ એક્ષ્પોમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફુડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન ફુડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, બેવરેજ, ફુડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્સનું પ્રદર્શન કરવામાં આવશે.
ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલા, માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદી, ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમર અને કો–ચેરમેન શ્રી નિરવ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, એકિઝબિશનમાં ભારતીય ન્યુટ્રિશન અને વેલનેસ બ્રાન્ડ દ્વારા ઓર્ગેનિક અને નેચરલ પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવશે. ઓર્ગેનિક મોરિંગા (સરગવા) લીફ પાવડર, મોરિંગા જીરૂ પાવડર, મોરિંગા સૂપી શોટ્સ તથા મોરિંગા ટેબ્લેટ્સ જેવી મુખ્ય પ્રોડકટ રેન્જ રજૂ કરવામાં આવશે, જે નિયમિત ઉપયોગથી ઊર્જા, પાચન અને સમગ્ર હેલ્થ વેલનેસમાં સકારાત્મક ફેરફાર લાવે છે.
એક્ષ્પોમાં બોટલ પિક એન્ડ ડ્રોપ માટેની અદ્યતન રોબોટ મશીનરીનું પણ પ્રદર્શન કરવામાં આવશે. આ રોબોટ સિસ્ટમ આપોઆપ બોટલોને ચોક્કસ રીતે ઉઠાવીને બોકસમાં ગોઠવવાનું કામ કરે છે, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયામાં ઝડપ, ચોકસાઈ અને કાર્યક્ષમતા વધે છે. માનવ શ્રમ પરની નિર્ભરતા ઘટાડીને સમય અને ખર્ચ બચાવવામાં મદદરૂપ બનતી આ મશીનરી ખાસ કરીને ફૂડ, બેવરેજીસ અને પેકેજિંગ ઉદ્યોગ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એક્ષ્પોના ચેરમેન શ્રી કે.બી. પિપલિયાએ જણાવ્યું હતું કે, શહેરીજનો ફૂડ એન્ડ બેવરેજીસ એક્ષ્પોમાં ખાણીપીણીની વિવિધ ચીજવસ્તુઓની મજા એકછત નીચે માણી શકશે. દેશ–વિદેશની વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓ સાથે આશરે પ૦૦થી વધુ ફૂડ આઇટમ્સના સ્વાદનો આનંદ માણી શકાશે. પરંપરાગત વાનગીઓથી લઈને આધુનિક, હેલ્ધી અને નવીન ખાણીપીણીના વિકલ્પો સુધીની વિશાળ પસંદગી એક્ષ્પોની ખાસ ઓળખ રહેશે, જ્યાં શહેરીજનો પરિવાર અને મિત્રો સાથે અનોખો ફૂડ અનુભવ મેળવી શકશે.
આ એકિઝબિશન માટે રજિસ્ટ્રેશન ફ્રી રહેશે. શહેરના હોટલ, રેસ્ટોરન્ટ અને કાફે સાથે સંકળાયેલા તમામ વ્યવસાયિક મિત્રોને આ એકિઝબિશનની વિઝીટ કરવાથી ઘણો લાભ થશે.
SGCCI દ્વારા તા. ર૪થી ર૬ જાન્યુઆરી ર૦ર૬ દરમ્યાન સરસાણા સ્થિત SIECC ખાતે ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકિઝબિશન યોજાશે
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ર૪, રપ અને ર૬ જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા આ વર્ષે બીજી વખત ગ્લોબલ એક્ષ્ચેન્જ એન્ડ ટ્રેડ માટે ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને વિશ્વના અન્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને વ્યવસાયિક જોડાણો સરળતાથી થઇ શકે તે માટે આ એકિઝબિશન યોજાઇ રહયું છે.
આ એકિઝબિશનમાં દુબઇ, ઓસ્ટ્રેલિયા, જાપાન, થાઇલેન્ડ અને અફઘાનિસ્તાનના એકિઝબિટર્સ ભાગ લેશે. દુબઇના એકિઝબિટર્સ રિયલ એસ્ટેટ અને ટુરિઝમનું પ્રદર્શન કરશે. ઓસ્ટ્રેલિયાના એકિઝબિટર્સ વિઝા પ્રોસેસ ઉપરાંત કાઉન્સીલ સર્વિસ – સેવાઓનું પ્રદર્શન કરશે. અફઘાનિસ્તાનના એકિઝબિટર્સ ડ્રાય ફુ્રટ, મસાલા અને કાર્પેટનું પ્રદર્શન કરશે. થાઇલેન્ડના એકિઝબિટર્સ હેલ્થ, બ્યુટી અને એફ.એમ.સી.જી. ક્ષેત્રની પ્રોડકટ્સનું પ્રદર્શન કરશે. જાપાનના એકિઝબિટર્સ લોજિસ્ટીકસ અને કુરિયર સર્વિસિસનું પ્રદર્શન કરશે.
ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, આ એકિઝબિશનમાં અફઘાનિસ્તાનના ૧૦, દુબઇના ર, થાઇલેન્ડના ર, જાપાનનો ૧ અને ઓસ્ટ્રેલિયાનો ૧ મળી કુલ ૧૬ સ્ટોલ રહેશે. આ ઉપરાંત, વસુધૈવ કુટુંમ્બકમ કોન્સેપ્ટ થકી સેલ્ફ હેલ્થ ગૃપ તથા ગુજરાત, મહારાષ્ટ્ર અને ખાસ કરીને ભુજથી ૧રથી વધુ સ્ટોલ રહેશે.
આ એકિઝબિશનમાં ભાગ લેનારા દેશો ઉપરાંત કેનેડા, શ્રીલંકા, તુનેશિયા, ઘાના, સાઇપ્રસ, ઇથોપિયા વિગેરે દેશોથી બાયર્સ અને વિઝીટર્સ આવશે તથા તેઓના દેશોમાં વેપારની તકો વિષે પણ સુરતના ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને માહિતી આપશે.
ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલા, માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદી, ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમર અને કો–ચેરમેન શ્રી નિરવ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, આ એકિઝબિશનમાં ૧પથી વધુ દેશોના પ્રતિનિધિઓ ઉપરાંત ૪થી વધુ દેશોના મિનિસ્ટ્રી તથા વિવિધ ડિપ્લોમેટ્સની નોંધપાત્ર હાજરી રહેશે. તદુપરાંત, ૧પથી વધુ દેશોના પ્રતિનિધિ મંડળો એકિઝબિશનની મુલાકાત લઇ સુરતના ઉદ્યોગકારો સાથે બી–ટુ–બી મિટીંગ કરશે, જેનો લાભ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વેપાર–ઉદ્યોગને મળશે. વિદેશી પ્રતિનિધિ મંડળો સુરતમાં ૪૦થી વધુ ફેકટરી વિઝિટ કરશે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ એકિઝબિશન થકી સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓને વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય બજારો સાથે સીધો સંપર્ક સાધવાની તક મળશે અને તેઓ નવા બિઝનેસ વિકલ્પો શોધી શકશે, જેથી કરીને બિઝનેસ ડેવલપમેન્ટ માટે નવી દિશાઓ ખુલશે.
SGCCIના લેડીઝ વિંગ દ્વારા તા. ર૪થી ર૬ જાન્યુઆરી ર૦ર૬ દરમ્યાન સરસાણા સ્થિત SIECC ખાતે Women Entrepreneur Exhibition (WEE) એકિઝબિશન યોજાશે
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ર૪, રપ અને ર૬ જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે Women Entrepreneur Exhibition (WEE) એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના લેડીઝ વિંગના ચેરપર્સન શ્રીમતી મયુરીબેન મેવાવાલાએ જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રાધાન્ય આપવાના મુખ્ય ઉદ્દેશ સાથે Women Entrepreneur Exhibition (WEE)નું આયોજન કરવામાં આવ્યું છે. One More Steps Towards Women Entrepreneurshipની થીમ પર આધારિત આ એકિઝબિશન મહિલાઓને તેમના વ્યવસાય, પ્રતિભા અને ઉત્પાદનોને વ્યાપક મંચ પર રજૂ કરવાની એક મહત્વપૂર્ણ તક પૂરું પાડશે.
WEE એકિઝબિશનમાં ૧૧૦થી વધુ મહિલા સાહસિકો દ્વારા વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોના સ્ટોલ્સ લગાવવામાં આવશે, જેમાં હેલ્થ, કન્ઝયુમર ડયુરેબલ્સ, રેડીમેડ ગારમેન્ટ્સ, ફેશન અને ફિટનેસ ઇકિવપમેન્ટ્સ, સ્કિન અને હેલ્થ કેર, હેન્ડલૂમ અને હેન્ડીક્રાફટ, ડ્રેસ મટિરિયલ્સ, ફેશન એકસેસરીઝ, પરંપરાગત વસ્ત્રો અને સાડીઓ, જ્વેલરી, ઇન્ટિરિયર ડેકોરેશન આઇટમ્સ, ડિઝાઇનર લાઉન્જ તેમજ ફૂડ એન્ડ બેવરેજીસ જેવા વિવિધ સેગમેન્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
WEE એકિઝબિશન માત્ર વેપાર–વ્યવસાય માટેનું મંચ નથી, પરંતુ મહિલાઓને આત્મનિર્ભર બનવા, નેટવર્કિંગ કરવા, પોતાના બ્રાન્ડને ઓળખ અપાવવા અને નવી વ્યવસાયિક તકો શોધવાની એક સશક્ત પ્લેટફોર્મરૂપે કાર્ય કરશે.
ચેમ્બરની લેડીઝ વિંગનો હેતુ મહિલાઓમાં રહેલી ઉદ્યોગ સાહસિક શક્તિને પ્રોત્સાહન આપી તેમને મુખ્ય પ્રવાહના વ્યવસાય સાથે જોડવાનો છે, જેથી મહિલા સશક્તિકરણને વાસ્તવિક સ્વરૂપ આપી શકાય.
Women Entrepreneur Exhibition (WEE) એકિઝબિશન દ્વારા શહેરના નાગરિકોને મહિલાઓના પરિશ્રમ, સર્જનાત્મકતા અને વ્યવસાયિક કુશળતાનો સીધો અનુભવ મળશે, સાથે જ સ્થાનિક અને મહિલા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાની ભાવના પણ મજબૂત બનશે.
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ભાજપ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે શિંદેએ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. આ નિર્ણયના કારણે ભાજપ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનું મોટો ઝટકો લાગ્યો છે.
વાસ્તવમાં શિંદેએ કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકામાં રાજ ઠાકરેની મનસે સાથે હાથ મિલાવ્યા છે, જેના કારણે ભાજપ એકલું પડી ગયું છે. આ બેઠક પર ચૂંટણી લડવા માટે શિંદેની પાર્ટી અને રાજ ઠાકરેની પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. બંને પાર્ટીએ આ પાલિકા માટે ગઠબંધન કરતા હવે શિંદેની શિવસેનાને પાલિકાની સત્તા મળી જશે.
કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકામાં કુલ 122 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી શિવસેનાએ 53, ભાજપે 50, ઉદ્ધવની શિવસેનાએ 11 અને રાજ ઠાકરેની MNSએ પાંચ બેઠકો જીતી હતી. હવે ચૂંટણી બાદ શિંદેએ મનસેના પાંચ કોર્પોરેટરનું સમર્થમ મેળવી લીધું છે. આ મહાનગરપાલિકાની સત્તા કબજે કરવા માટે કુલ 62 બેઠકો હોવી જરૂરી છે. શિંદેએ મનસેના સમર્થનથી કુલ 58 બેઠકો મેળવી લીધા બાદ હવે તેમની નજર ઉદ્ધવ ઠાકરેની પાર્ટી કોર્પોરેટરો પર છે. જો ઉદ્ધવની પાર્ટીના ચાર કોર્પોરેટરો શિંદેને સમર્થન આપશે તો શિંદેની પાર્ટીની કુલ બેઠકનો આંકડો 62 પર પહોંચી જશે અને તેઓ પાલિકામાં સત્તા મેળવી શકશે. આમ તો શિંદે ભાજપનું સમર્થન મેળવીને આરામથી સત્તા હાંસલ કરી શકે છે, જોકે આ નિર્ણય બંને પાર્ટી વચ્ચે ખેંચતાણ હોવાના સંકેત આપી રહી છે. એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે આ વિસ્તારના સાંસદ હોવાથી તેઓ અહીં ભાજપનું વર્ચસ્વ વધવા દેવા માંગતા નથી તેવું ચર્ચાઈ રહ્યું છે.
બીજી તરફ મુંબઈ સહિત રાજ્યની 29 મહાનગરપાલિકાઓ માટે મેયર પદની અનામતની લોટરી પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં મુંબઈમાં મેયરનું પદ સામાન્ય મહિલા શ્રેણી માટે અનામત રાખવામાં આવ્યું છે જેથી હવે કોઈ મહિલા નેતા મુંબઈના મેયર બનશે તે સ્પષ્ટ થઈ ગયું છે.
શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સામાજિક પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે લોટરી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા એ નક્કી કરવામાં આવે છે કે, કઈ શ્રેણીના ઉમેદવાર મેયર પદ માટે ચૂંટણી લડી શકશે. મુંબઈ મહાનગરપાલિકામાં આ વખતે લોટરી દ્વારા મેયરનું પદ મહિલા અનામત જાહેર કરવામાં આવ્યું છે. આ લોટરી સિસ્ટમ લોકશાહીમાં પારદર્શિતા લાવવા અને અનુસૂચિત જાતિ, જનજાતિ, ઓબીસી તથા મહિલાઓને સમાન તક મળે તે હેતુથી અમલમાં મૂકવામાં આવી છે. સચિવાલય ખાતે વરિષ્ઠ અધિકારીઓ અને રાજકીય પ્રતિનિધિઓની હાજરીમાં સીલબંધ બોક્સમાંથી કાપલીઓ કાઢીને આ અનામત નક્કી કરવામાં આવે છે.
સોના અને ચાંદીની કિંમતોમાં સતત વધારો થયા બાદ આજે મોટો કડાકો નોંધાયો છે. આજે ચાંદીના ભાવ 3.25 લાખ રૂપિયા પર પહોંચ્યા બાદ હવે તેના ભાવ 3.10 લાખ રૂપિયા પર આવી ગયા છે. જ્યારે સોનાનો ભાવ 1.53 લાખ રૂપિયા પર પહોંચ્યા બાદ 1.51 લાખ રૂપિયા પર આવી ગયા છે.
ચાંદીના ભાવની વાત કરીએ તો, 5.00 વાગ્યા સુધીમાં તેનો ભાવ 3,09,095 રૂપિયા પહોંચી ગયો છે. આજે તેનો ભાવ ઊંચામાં 3,25,602 રૂપિયા પર પહોંચી ગયો હતો, જ્યારે નીચામાં ભાવ 3,05,449 સુધી પહોંચ્યો હતો. એટલે કે, આજે તેના ભાવમાં 20,153 રૂપિયાથી ઉથલપાથલ જોવા મળી હતી. ગઈકાલે ચાંદીનો ભાવ 3,18,492 રૂપિયા પર બંધ થયા બાદ આજે પાંચ વાગ્યા સુધીમાં 3,09,095 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.
સોનાના ભાવની વાત કરીએ તો, 5.00 વાગ્યા સુધીમાં તેનો ભાવ 1,51,566 રૂપિયા પહોંચી ગયો છે. આજે તેનો ભાવ ઊંચામાં 1,53,784 રૂપિયા પર પહોંચી ગયો હતો, જ્યારે નીચામાં ભાવ 1,48,777 સુધી પહોંચ્યો હતો. એટલે કે, આજે તેના ભાવમાં 5.007 રૂપિયાથી ઉથલપાથલ જોવા મળી હતી. ગઈકાલે સોનાનો ભાવ 1,52,862 રૂપિયા પર બંધ થયા બાદ આજે પાંચ વાગ્યા સુધીમાં 1,51,566 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.
સોના અને ચાંદીના ભાવમાં તાજેતરમાં જોવા મળેલી મોટી તેજી બાદ હવે નફો બુક કરવાની પ્રક્રિયા (પ્રોફિટ બુકિંગ) શરૂ થતા કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શેરબજારમાં આવેલી તેજીને કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની માંગમાં ઘટાડો થયો છે અને સાથે જ ભૌગોલિક રાજકીય તણાવ ઓછો થવાને લીધે પણ કિંમતો નીચે આવી છે.
નિષ્ણાતો માને છે કે જેઓ નવું રોકાણ કે ખરીદી કરવા માંગે છે તેમણે થોડી રાહ જોવી જોઈએ, કારણ કે હજુ ભાવમાં વધુ ઘટાડાની શક્યતા છે. આ ઉપરાંત જેમણે ઊંચા ભાવે ચાંદી ખરીદી છે તેમને ગભરાવાને બદલે લાંબા ગાળા માટે હોલ્ડ કરવાની સલાહ આપવામાં આવી છે કારણ કે તેના ફંડામેન્ટલ્સ હજુ પણ મજબૂત છે.
એક વર્ષમાં સોનાના ભાવમાં 75 ટકાનો જંગી વધારો થયો છે, જેમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનું 57,033 રૂપિયા મોંઘું થયું છે. 31 ડિસેમ્બર 2024ના રોજ સોનાનો ભાવ 76,162 રૂપિયા હતો જે 31 ડિસેમ્બર 2025 સુધીમાં વધીને 1,33,195 રૂપિયા પર પહોંચી ગયો હતો.
ચાંદીમાં પણ આ સમયગાળા દરમિયાન 167 ટકાનો અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. એક કિલો ચાંદી જે વર્ષ 2024ના અંતે 86,017 રૂપિયા હતી, તે વર્ષ 2025ના અંત સુધીમાં 1,44,403 રૂપિયા વધીને 2,30,420 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે.
ડાયમંડ નગરી સુરતમાં ગુજરાતના ઈતિહાસમાં કદાચ પ્રથમ કહી શકાય તેવા પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેર વેચવા આવેલા 7 યુવકો પકડાયા હતા. જ્યારે માસ્ટર માઈન્ડ અમદાવાદી ફરાર થઈ ગયો હતો. લસકાણા ખાતે નવજીવન સર્કલ પાસેના સહજાનંદ હબમાં પહેલા માળે આવેલા પટેલ લાઈફ પાર્ટનર નામની મેરેજ બ્યુરોની ઓફિસમાં રેડ પાડીને પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. વડોદરાથી એક વકીલ સહિત પાંચ જણા ઝેરનો સોદો કરવા આવ્યા હતા. મેરેજ બ્યુરોના સંચાલક તથા તેના સાઢુ ભાઈએ ઝેરનો 9.10 કરોડમાં સોદો નક્કી કર્યો હતો. ડીલ ચાલતી હતી તે સમયે પોલીસ ત્રાટકી હતી. અમદાવાદના વ્યક્તિ પાસેથી આ ઝેર વેચવા લાવવામાં આવ્યું હતું તે ફરાર થઈ ગયો હતો.
એસઓજી મળેલી બાતમીના આધારે નવજીવન સર્કલની પાસે આવેલા સહજાનંદ હબમાં પહેલા માળે આવેલા પટેલ લાઈફ પાર્ટનર મેરેજ બ્યુરોમાં રેડ કરી હતી. જેમાં પ્રતિબંધિત કોબ્રા સાપનાં ઝેર (વેનમ)નો સોદો કરી રહેલા 7 જણાને ઝડપી લીધા હતા. એક કાચની બોટલમાં 6.5 મિલી લીટર સાપનું ઝેર જેની કિંમત રૂ.5.85 કરોડ ગણી શકાય તે પોલીસે કબજે કર્યું હતું.
સુરત SOG ટીમને બાતમી મળી હતી કે કોબ્રા સાપના ઝેરને વેચવા કેટલાક શખ્સો પૂછપરછ કરી રહ્યા છે. આ ગેંગ સુરતમાં મેરેજ બ્યુરો ચલાવી રહેલા મનસુખ ઘીનૈયા સાથે સંપર્કમાં હતી. જ્યાં ડીલ ડન થઈ હતી. આરોપીઓ રકમના સોદામાં દરેકના ટકાવારી પ્રમાણે કમિશન નક્કી હતા. પણ ડીલ ડન થાય તે જ પહેલા ચોક્કસ વોચ ગોઠવી દરોડા પાડવામાં આવ્યા હતા. સાતેય આરોપીની પૂછપરછ કરતાં બહાર આવ્યું કે, અમદાવાદના આરટીઓ સર્કલ પાસે રહેતા મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ સોનીએ વડોદરાના પ્રશાંત અને મકરંદને આ ઝેર વેચવા માટે આપ્યું હતું. તેઓ કિંમતી ઝેરના વેચાણ માટે નેટવર્કનો વિસ્તાર કરી રહ્યા હતા. માસ્ટર માઈન્ડ અમદાવાદીઘનશ્યામ સોનીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતુ કે સુરત એસ.ઓ.જી દ્વારા પકડી પાડવામાં આવેલા ઝેરનું પરિક્ષણ કરવા માટે વન વિભાગ તરફથી હૈદરાબાદ, અથવા પુણે ખાતે આવેલી એડવાન્સ્ડ સ્નેક રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવશે. જયાં ખરેખર કઈ પ્રજાતિનાં સાપનું ઝેર છે, તેની ગુણવત્તા સહિતની બાબતોનું પરીક્ષણ અને રિપોર્ટ તૈયાર થશે. ત્યારબાદ આરોપીઓ સામે વન વિભાગ તરફથી પણ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી આગળ વધારવામાં આવશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.