Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે. આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે. હવે આ મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારીને લઈને કેન્દ્ર સરકાર પર આકરા હુમલા કર્યા છે.
રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, તેમણે ચૂંટણી બાદ મોંઘવારી વધવાની અગાઉથી ચેતવણી આપી હતી અને હવે તેવું જ થયું છે. તેમણે કહ્યું, આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 993 રૂપિયા વધી ગયા છે. એક દિવસમાં આટલો બધો ભાવ વધારો કરાયો હોય તેવું પહેલીવાર બન્યું છે. તેમણે આ ભાવવધારાને ‘ચૂંટણી બિલ’ ગણાવ્યું છે.
દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂરી થયા બાદ સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભાવમાં થયેલા વધારા બાદ દિલ્હીમાં હવે એક સિલિન્ડરની કિંમત 3071.50 રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ 1 એપ્રિલના રોજ 2078.50 રૂપિયા હતી. આ વધારાની સાથે જ હવે દેશભરમાં રેસ્ટોરન્ટમાં જમવાનું મોંઘું થઇ જશે. રાંધીને ખાવાની વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો આવશે. આ ઉપરાંત સ્ટ્રીટ ફૂડના ભાવ પણ વધી શકે છે.
• પિકલિંગ લાઇન અને ટેન્ડમ કોલ્ડ મિલ (PLTCM)નું ઉદ્ઘાટન ભારત ખાતે જાપાનના રાજદૂત મહામહિમ શ્રી કેઇચી ઓનો દ્વારા કરવામાં આવ્યું હતું.
• આ અદ્યતન સુવિધા દ્વારા સુરતમાં જ વિશ્વસ્તરીય ઓટોમોટિવ સ્ટીલનું ઉત્પાદન “મેડ ઇન સુરત”, “બિલ્ટ ફોર ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ”ના વિઝન સાથે થશે.
• આ ઉદ્ઘાટન ભારતને ઓટોમોટિવ ક્ષેત્ર માટે જરૂરી એડવાન્સ્ડ હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ (AHSS)ના ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
હજીરા – સુરત, એપ્રિલ 30, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) ના ગુજરાતના હજીરા સ્થિત ફ્લેગશિપ પ્લાન્ટ ખાતે અદ્યતન પિકલિંગ લાઇન અને ટેન્ડમ કોલ્ડ મિલ (PLTCM)નું ઉદ્ઘાટન ભારત ખાતે જાપાનના રાજદૂત મહામહિમ શ્રી કેઇચી ઓનો દ્વારા કરવામાં આવ્યું છે.
દર વર્ષે 2 મિલિયન ટન ક્ષમતા ધરાવતી આ અદ્યતન PLTCM લાઈન, AM/NS Indiaની ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં મહત્વપૂર્ણ વધારો કરશે. ટૂંક સમયમાં આ યુનિટ ઉચ્ચ ગુણવત્તાવાળા કોલ્ડ-રોલ્ડ બેઝ સ્ટીલનું ઉત્પાદન શરૂ કરશે, જેના આધારે વિશ્વસ્તરીય તેમજ પ્રથમ વખતના, પેટન્ટેડ સ્ટીલ સોલ્યુશન્સનું ઉત્પાદન શક્ય બનશે. જે
આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ જેવી વૈશ્વિક પેરેન્ટ કંપનીઓની ટેક્નોલોજી પર આધારિત છે. આ નવી લાઇન ભારતને એડવાન્સ્ડ હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ (AHSS)ના ઉત્પાદનમા આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક અતિ મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થશે અને ઓટોમોટિવ ઉદ્યોગની વધતી માંગને પૂરી પાડવામાં મદદરૂપ બનશે.
ભારતમાં સૌથી અદ્યતન ઉત્પાદન લાઇનોમાંની એક ગણાતી આ સુવિધા અદ્યતન પ્રોસેસ ટેક્નોલોજી, શ્રેષ્ઠ ઓટોમેશન અને વૈશ્વિક ધોરણોની ગુણવત્તા સિસ્ટમ્સથી સજ્જ છે. આ પ્લાન્ટ AHSS, ગેલ્વેનિલ્ડ (GA), ગેલ્વેનાઇઝ્ડ (GI) અને પ્રેસ હાર્ડન્ડ સ્ટીલ (PHS) જેવા વિવિધ ઓટોમોટિવ એપ્લિકેશન્સ માટે સ્ટીલ ઉત્પાદન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ સુવિધા દેશની અન્ય મિલ્સની સરખામણીએ વધુ સક્ષમ છે અને તમામ ઓટોમોટિવ કંપનીઓને એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે.
આ સોલ્યુશન્સ વૈશ્વિક સસ્ટેનેબિલિટી ધોરણોને અનુરૂપ છે, વાહનોને હળવા બનાવવામાં મદદ કરે છે જેથી કાર્યક્ષમતા અને પ્રદર્શન સુધરે, તેમજ ભારત NCAP (BNCAP) મુજબ વાહન સલામતીમાં વધારો કરે છે.
આ સમર્પિત ઓટોમોટિવ લાઇન AM/NS Indiaની ડાઉનસ્ટ્રીમ ક્ષમતાને વધુ મજબૂત બનાવશે અને 1180 MPa સુધીની ઊંચી મજબૂતી ધરાવતા AHSSના ઉત્પાદનને સપોર્ટ કરશે, જે વૈશ્વિક ધોરણો સાથે સુસંગત છે.
આ ઉદ્ઘાટન AM/NS Indiaના હજીરા પ્લાન્ટ ખાતે ચાલી રહેલા રૂપિયા 60,000 કરોડના વિસ્તરણ પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં અપસ્ટ્રીમ, ડાઉનસ્ટ્રીમ અને અન્ય સહાયક સુવિધાઓનો સમાવેશ થાય છે.
કંપનીની આ નવી સુવિધા આર્થિક પ્રવૃત્તિઓનો એક સશક્ત અને સ્વયંસંચાલિત ચક્ર ઊભું કરશે, જે માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપશે. ગુજરાત ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનમાં સતત અગત્યની ભૂમિકા ભજવી રહ્યું છે.
મહામહિમ શ્રી કેઇચી ઓનોએ હજીરામાં સ્થિત સ્ટીલ પ્લાન્ટની મુલાકાત લઈને અહીં ચાલી રહેલી વિશાળ સ્તરની કામગીરી અને સુરતના ઔદ્યોગિક વિકાસની ગતિને નજીકથી નિહાળી।
જાપાનના રાજદૂત મહામહિમ શ્રી કેઇચી ઓનોએ પ્લાન્ટની મુલાકાત લઇ કામગીરીનો વ્યાપ અને વિકાસની ગતિનો અનુભવ કર્યો.
મહામહિમ શ્રી કેઇચી ઓનો, જાપાનના રાજદૂતે જણાવ્યું હતું કે, “હું AM/NS Indiaને તેમના હજીરા પ્લાન્ટ ખાતેની અદ્યતન ઓટોમોટિવ સ્ટીલ શીટ ઉત્પાદન લાઇનના પ્રારંભ માટે અભિનંદન પાઠવું છું. જાપાનની અદ્યતન ટેક્નોલોજીએ ભારતમાં ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટીલ ઉત્પાદનને નવી દિશા આપી છે. ‘Make in India, Make for the World’ પહેલમાં જાપાનનું યોગદાન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. જાપાન અને ભારત વચ્ચેનો સંબંધ પરસ્પર પૂરક છે, જ્યાં જાપાનની ટેક્નોલોજી અને મૂડી, ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને વધતી માંગ સાથે જોડાય છે. હજીરા પ્લાન્ટની કાર્યક્ષમતાનો પ્રત્યક્ષ અનુભવ કર્યા બાદ હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે બંને દેશો વચ્ચેનું ઔદ્યોગિક સહકાર અને ‘વિકસિત ભારત’નું ભવિષ્ય ઉજ્જવળ છે.”
શ્રી દિલીપ ઊમ્મેન, મુખ્ય કાર્યકારી અધિકારી (CEO), આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “AM/NS India ‘Make in India’ અને ‘આત્મનિર્ભર ભારત’ માટે પ્રતિબદ્ધ છે. ‘Smarter Steels, Brighter Futures’ના અમારા વચન અનુસાર, અમે પેરેન્ટ કંપનીઓની અદ્યતન ટેક્નોલોજી અને વૈશ્વિક કુશળતાનો લાભ લઈને આધુનિક સ્ટીલ ઉત્પાદન સુવિધાઓ ઉભી કરી રહ્યા છીએ. PLTCM લાઈનનું ઉદ્ઘાટન, આ યાત્રામાં મહત્વપૂર્ણ સિદ્ધિ છે. જે દેશમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઓટોમોટિવ સ્ટીલના ઉત્પાદન માટે મજબૂત આધાર ઉભો કરશે, આયાત પર નિર્ભરતા ઘટાડશે, સપ્લાય ચેઇનને મજબૂત બનાવશે અને ઓટોમોટિવ ઉદ્યોગને વધુ સલામત, હળવા અને ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધવામાં સહાય કરશે.”
નવી યુનિટ ભારતમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઓટોમોટિવ ફ્લેટ સ્ટીલની વધતી માંગને પૂરી પાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. હાલ આ માંગ 7.8 મિલિયન ટન પ્રતિ વર્ષ છે અને દર વર્ષે 6-7% વૃદ્ધિ થવાની શક્યતા છે. ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોટિવ ઉત્પાદન કરનાર દેશ છે અને બીજા સ્થાને પહોંચવાના લક્ષ્ય સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં પ્રીમિયમ અને અદ્યતન વાહનો માટે વિશ્વસ્તરીય સ્ટીલની જરૂરિયાત વધુ મહત્વપૂર્ણ બની રહી છે.
ટેક્સટાઇલ અને એનર્જી ક્ષેત્રમાં સસ્ટેનેબલ પ્રેક્ટિસીસને પ્રોત્સાહન આપતી અનોખી પહેલ
સુરત: વાઈબ્રન્ટ ગુજરાત 2026 દરમિયાન “સસ્ટેનેબિલિટી હિલ” નામની એક નવીન પહેલ રજૂ થવા જઈ રહી છે, જે ટેક્સટાઇલ અને એનર્જી ક્ષેત્રમાં સસ્ટેનેબિલિટી તરફ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.
આ ઇન્સ્ટોલેશન ટેક્સટાઈલ એન્ડ એપેરલ ડેવલપમેન્ટ એસોસિએશન (TAADA) દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે, જે આશરે 3,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું રહેશે. તેમાં કાચા ફાઇબરથી લઈને તૈયાર ગાર્મેન્ટ સુધીની સમગ્ર ટેક્સટાઇલ સપ્લાય ચેઇનને સરળ અને સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવશે.
અજય ભટ્ટાચાર્ય વધુ વિગતો આપતાં કહ્યું કે કેળાના રેસામાં કપાસ ભેળવીને કેળાનો યાર્ન બનાવવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે, વાંસ, અનાનસ, શણ, હિમાલયન ઘાસમાંથી યાર્ન બનાવવામાં આવી રહ્યું છે, અને તેમાંથી કાપડ બનાવવામાં આવી રહ્યું છે. આ કુદરતી કાપડ, જેને નવા યુગના કાપડ કહેવામાં આવે છે, તેની વિદેશમાં ખૂબ માંગ છે.
“સસ્ટેનેબિલિટી હિલ” ને બે મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. ફેબ્રિક વર્ટિકલમાં ફાઇબરથી યાર્ન, ફેબ્રિક અને અંતે ગાર્મેન્ટ સુધીની પ્રક્રિયા દર્શાવવામાં આવશે, જેથી ઉત્પાદન પ્રક્રિયાની સંપૂર્ણ સમજ મળે. જ્યારે એનર્જી વર્ટિકલમાં રિન્યૂએબલ એનર્જી, ખાસ કરીને સોલાર પાવરનો ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગમાં ઉપયોગ કેવી રીતે થઈ શકે તે રજૂ કરવામાં આવશે.
આ પહેલ દ્વારા નવી પેઢીના સસ્ટેનેબલ ફેબ્રિક્સ, ઇકો-ફ્રેન્ડલી પ્રોસેસિસ અને જવાબદાર ઉત્પાદન પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં આવશે. સસ્ટેનેબલ ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ બનાવવા માટે ક્લીન એનર્જીના વધતા મહત્વને ઉજાગર કરશે.
આ પહેલ ગુજરાતને જવાબદાર ટેક્સટાઇલ ઇનોવેશન અને સસ્ટેનેબલ ઔદ્યોગિક વિકાસ માટે એક આગાહીભર્યું કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે. ઉદ્યોગકારો અને મુલાકાતીઓને પર્યાવરણપ્રેમી નિર્ણય લેવા માટે પ્રેરણા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટને ગોલ્ડી સોલાર નો સહયોગ મળ્યો છે, જેના માધ્યમથી ક્લીન એનર્જીના ઉપયોગને વધુ પ્રોત્સાહન મળશે. “સસ્ટેનેબિલિટી હિલ”દ્વારા ગુજરાતને સસ્ટેનેબલ ટેક્સટાઇલ ઇનોવેશન અને જવાબદાર ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રમાં આગવું સ્થાન અપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વાઈબ્રન્ટ ગુજરાત 2026માં ડોમ નંબર ૧ માં માહિતી પૂરી પાડવા માટે અજય ભટ્ટાચાર્ય, મયુર ગોલવાલા હાજર રહ્યા હતા..
તા.૧લી મે, ૨૦૨૬ના રોજ સુરતના આંગણે ગુજરાતના સ્થાપના દિવસની ‘ગુજરાત ગૌરવ દિન’ના રૂપમાં રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ગરિમામય અવસરની શરૂઆત તા.૧લીએ સાંજે ૦૫:૦૦ કલાકે વાય જંક્શન, વી.આર. મોલ, Y જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી આયોજિત પોલીસ પરેડથી થશે. જેમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી સહિત મંત્રીગણ, મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મહાનુભાવોનું આગમન બ્યુગલ, પાઇપ બેન્ડ અને અશ્વદળના એસ્કોર્ટ દ્વારા કરવામાં આવશે, ત્યારબાદ રાષ્ટ્રગાન અને પરેડ કમાન્ડર દ્વારા રિપોર્ટીંગ કરવામાં આવશે. પરેડના મુખ્ય આકર્ષણોમાં ભવ્ય માર્ચ પાસ્ટ, હર્ષધ્વનિ, મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાહસિક મોટરસાયકલ સ્ટંટ શોનો સમાવેશ થાય છે. આ પરેડને લોકો મોટી સંખ્યામાં નિહાળી શકે તે માટે વિશેષ સુવિધા ઉભી કરાઈ છે.
પોલીસ પરેડ બાદ રાત્રે ૦૮:૦૦ કલાકે ડુમસ સી-ફેસ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં કલેક્ટર ડો.સૌરભ પારધી અને મ્યુ. કમિશનર ડો/એમ.નાગરાજન દ્વારા રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને મંત્રીગણ સહિતના મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવશે.
આ પ્રસંગે ‘ગુજરાત ગરિમા એવોર્ડ’ મેળવનાર પ્રતિભાવાન વ્યક્તિઓ તેમજ જિલ્લાના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવશે. આ સાથે સુરત જિલ્લાની વિકાસયાત્રાને દર્શાવતા બે પુસ્તકો ‘વિકાસ વાટિકા’ અને ‘કોફી ટેબલ’ બુકનું વિમોચન પણ કરવામાં આવશે.
રાજ્યકક્ષાના આ કાર્યક્રમની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરની સરકારી અને ઐતિહાસિક ઇમારતોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવી છે. ઝગમગાટભર્યા માહોલના કારણે સમગ્ર શહેરમાં દિવાળી જેવો ઉત્સવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાત સ્થાપના દિનને યાદગાર બનાવવા માટે ડુમસ સી-ફેસ ખાતે તા.૧લીએ રાત્રે ૮.૦૦ વાગે ‘ગૌરવવંતુ ગુજરાત, વિરાસતથી વિકાસ’ થીમ સાથે ભવ્ય રંગારંગ કાર્યક્રમ
તા.૧લીએ રાત્રે ૮.૦૦ વાગે ડુમસ સી-ફેસ ખાતે ગુજરાત સ્થાપના દિનને યાદગાર બનાવવા માટે ‘ગૌરવવંતુ ગુજરાત, વિરાસતથી વિકાસ’ થીમ સાથે ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે. ૫૦ મિનિટની આ ભવ્ય સાંસ્કૃતિક મેગા ઇવેન્ટમાં રાજ્યની કલા અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે. આ કાર્યક્રમમાં ૨૫૦થી વધુ કલાકારો ઉપસ્થિત રહીને સુરતના ભૂતકાળથી લઈને વર્તમાન વિકાસ સુધીની યાત્રાને નાટકના રૂપમાં ભવ્ય લાઈટ અને સાઉન્ડના સમન્વય સાથે રજૂ કરશે. જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ના.મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહેશે.
મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે હોર્મુઝની ખાડીમાં ઈરાન તથા અમેરિકા બંનેની નાકાબંધીથી દુનિયાભરમાં ક્રૂૂડ ઓઈલના સંકટ વચ્ચે સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)એ ઓપેક અને ઓપેક પ્લસ જૂથમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી દીધી છે. યુએઈ મુજબ તેઓ 1 મેના રોજ આ જૂથનું સભ્યપદ છોડી દેશે. જોકે, યુએઈએ મધ્ય-પૂર્વમાં ચાલતા યુદ્ધના કારણે નહીં પરંતુ સાઉદી આરબ સાથે ચાલતા વિવાદના કારણે આ નિર્ણય કર્યો હોવાનું મનાય છે. આ બંને દેશ અનેક મોરચા પર એકબીજાની સામ-સામે છે. યુએઈના આ નિર્ણયથી ભારતને ફાયદો થવાની શક્યતા છે.
સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)ના ઊર્જા મંત્રીએ જણાવ્યું કે, યુએઈ 1967થી ઓપેક અને ઓપેક પ્લસનું સભ્ય રહ્યું છે, પરંતુ ભવિષ્યમાં દુનિયાને વધુ ઊર્જાની જરૂર પડશે તથા માગ વધશે. આવા સમયે ઊર્જા ક્ષેત્ર, પેટ્રોલિયમ સેક્ટર અને અન્ય રણનીતિઓની સાવધાનીપૂર્વક સમીક્ષા પછી આ નિર્ણય લેવાયો છે. હોર્મુઝની ખાડી પર નાકાબંધીના વર્તમાન અવરોધોના કારણે ઓઈલ બજાર પહેલા કરતાં વધુ અસ્થિર છે. તેથી યુએઈએ આ નિર્ણય લીધો છે, જેથી બજાર પર વધુ અસર ના પડે. ઓપેક અને ઓપેક પ્લસ સંગઠનમાં સાઉદી આરબનું પ્રભુત્વ છે, જે ઓઈલના વૈશ્વિક ભાવોને ઊંચા રાખવા ઉત્પાદન વધારવા અથવા ઘટાડવાનો નિર્ણય કરે છે. બીજીબાજુ યુએઈએ પોતાની ઓઈલ ઉત્પાદન ક્ષમતા વધારવા અબજો ડોલરનું રોકાણ કર્યું છે, પરંતુ ઉત્પાદનમાં કાપના ઓપેકના પ્રતિબંધના કારણે યુએઈ પોતાની પુરી ક્ષમતાનો ઉપયોગ નથી કરી શકતું. યુએઈ હાલમાં દૈનિક 2.9 મિલિયન બેરલ ઓઈલનું ઉત્પાદન કરે છે જ્યારે તેની વર્તમાન ક્ષમતા દૈનિક 4.85 મિલિયન બૈરલની છે તથા યુએઈનું લક્ષ્ય ૨૦૨૭ સુધીમાં ઉત્પાદનની ક્ષમતા દૈનિક પાંચ મિલિયન બેરલ કરવાની છે. આવા સંજોગોમાં ઓપેકમાંથી બહાર નીકળવાથી યુએઈ પર ઉત્પાદનના પ્રતિબંધો લાગુ નહીં પડે અને તે બજારની માગ મુજબ પોતાની ક્ષમતાથી ઓઈલનું ઉત્પાદન કરવા સક્ષમ બનશે. આ સિવાય ઓપેક માત્ર ડોલરમાં જ ઓઈલના સોદા કરે છે જ્યારે આ સંગઠનમાંથી બહાર નીકળ્યા પછી યુએઈ ઓઈલ માટે ચીન સાથે યુઆનમાં પણ સોદા કરવા સ્વતંત્ર થઈ શકે છે. યુએઈએ આ મહિનાની શરૂઆતમાં જ અમેરિકાને ચેતવણી આપી હતી કે, ઈરાન સામેનું યુદ્ધ લાંબુ ચાલશે અને તેને આર્થિક નુકસાન થશે તો તે ચીન સાથે યુઆનમાં ઓઈલના સોદા કરવા તૈયાર છે.
યુએઈના ઓપેકમાં નિકળવાથી ભારતને ફાયદો થવાની શક્યતા છે. ભારત લગભગ 85 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે, તેથી ઓપેકમાં થતી કોઈપણ હિલચાલ સીધી જ ભારતના અર્થતંત્રને અસર કરે છે. યુએઈ ઓપેકની ક્વોટા સિસ્ટમમાંથી બહાર થઈને ઓઈલ ઉત્પાદન વધારશે તો વૈશ્વિક સ્તરે ઓઈલના ભાવ ઘટશે. તેનાથી ભારતને પણ આયાતી ઓઈલ સસ્તુ મળી શકે છે.
ઓપેક મધ્ય-પૂર્વમાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન, માર્કેટિંગ અને વિતરણ કરતા દેશોનું જૂથ છે. આ જૂથ દુનિયામાં ઓઈલના ઉત્પાદન અને ભાવ પર નિયંત્રણ ધરાવે છે ત્યારે યુએઈની ઓપેકમાંથી બહાર નીકળવાની જાહેરાતને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જીત તરીકે જોવામાં આવે છે. ટ્રમ્પ લાંબા સમયથી ઓપેક સંગઠન પર ઓઈલના ભાવ વધારીને દુનિયાનું શોષણ કરવાનો આક્ષેપ કરતા રહ્યા છે. ટ્રમ્પે અમેરિકાના ખાડી ક્ષેત્રને અપાતા સૈન્ય સમર્થનને પણ ઓઈલના ભાવ સાથે જોડયું છે. તેમનું કહેવું છે કે અમેરિકા ઓપેક સભ્ય દેશોની સુરક્ષા કરે છે, પરંતુ તેઓ ઊંચા ઓઈલ ભાવથી તેનો ફાયદો ઉઠાવે છે.
મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ વચ્ચે યુએઈ પોતાની વિદેશ નીતિનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ કારણે સાઉદી અરબ સાથે તેના હિતોનું ઘર્ષણ શરૂ થઈ ગયું છે. સાઉદી આરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સાઉદીમાં વિદેશી રોકાણ આકર્ષવાનું શરૂ કરતા યુએઈ સાથે તેના હિતોનું ઘર્ષણ શરૂ થયું હતું. આર્થિકની સાથે યુએઈ અને સાઉદી વચ્ચે સૈન્ય સંઘર્ષ પણ આ નિર્ણયનું મહત્વનું કારણ છે. જાન્યુઆરી ૨૦૨૬માં સાઉદીએ યમનમાં યુએઈ સમર્થિત સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલના સ્થળો પર હુમલા કર્યા હતા. સાઉદીએ યમનમાં અલગતાવાદી જૂથોને સમર્થન કરી યુએઈ તેના દેશને અસ્થિર કરવા માગતો હોવાનો આક્ષેપ કર્યો હતો. આમ બંને દેશો વચ્ચે આર્થિક અને પ્રાદેશિક પ્રભુત્વની સ્પર્ધા પણ મહત્વનું કારણ છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે બુધવાર, 29 એપ્રિલના રોજ સવારે 7:00 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યના સાત જિલ્લાઓની કુલ 142 બેઠકો પર આજે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. મતદાન મથકો પર સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં 23 એપ્રિલના રોજ 152 બેઠકો પર રેકોર્ડબ્રેક 93.19% મતદાન નોંધાયું હતું, જે રાજ્યના ઈતિહાસમાં સૌથી વધુ છે.
બીજા તબક્કામાં કુલ 3,21,73,837 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેની વિગત નીચે મુજબ છે:
પુરુષ મતદારો: 1,64,35,627
મહિલા મતદારો: 1,57,37,418
થર્ડ જેન્ડર: 792
કુલ ઉમેદવારો: 1,448
આ તબક્કામાં રાજ્યના અનેક મોટા ચહેરાઓનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થશે. મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમના પરંપરાગત મતક્ષેત્ર ભબાનીપુરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં તેમની સામે વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી મેદાનમાં છે. આ સિવાય રાજ્ય મંત્રી સુજીત બોસ (બિધાનનગર), ફિરહાદ હકીમ (કોલકાતા પોર્ટ), બ્રાત્ય બસુ (દમ દમ) અને ભાજપના અર્જુન સિંહ (નોઆપાડા) તથા સ્વપન દાસગુપ્તા (રાશબિહારી) જેવા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે. ડાબેરી પક્ષો તરફથી મીનાક્ષી મુખર્જી અને આઈએસએફના નૌશાદ સિદ્દીકી પણ આ જંગમાં છે.
ચૂંટણી પંચે શાંતિપૂર્ણ મતદાન માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરી છે.
કેન્દ્રીય સુરક્ષા દળોની 2,321 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે
સૌથી વધુ 273 કંપનીઓ માત્ર કોલકાતામાં છે.
કુલ 41,001 મતદાન કેન્દ્રો પર વેબકાસ્ટિંગ દ્વારા સીધું નિરીક્ષણ કરવામાં આવશે.
ડ્રોન કેમેરાથી પણ સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવશે.
142 જનરલ ઓબ્ઝર્વર્સ અને 95 પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે.
એક તરફ ચૂંટણીનો ગરમાવો છે, તો બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ બંગાળમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની અસર મતદાનની ટકાવારી પર પડી શકે છે.
મુકેશ દલાલ: સુરત લોકસભા બેઠક પરથી બિનહરીફ ચૂંટાયેલા સાંસદ
મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રી
હર્ષ સંઘવી, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી
પુરુષોત્તમ રૂપાલા, સાંસદ
પ્રફુલ પાનશેરિયા, મંત્રી, ગુજરાત રાજ્ય
કનુભાઈ દેસાઈ, નાણા અને ઉર્જા મંત્રી
અરવિંદ રાણા: સુરત પૂર્વ
કાંતિભાઈ બલર: સુરત ઉત્તર
કુમાર કાનાણી: વરાછા રોડ
પ્રવિણ ઘોઘારી: કરંજ
સંગીતા પાટીલ: લિંબાયત
હર્ષ સંઘવી: મજુરા
વિનુ મોરડિયા: કતારગામ
પૂર્ણેશ મોદી: સુરત પશ્ચિમ
મુકેશ પટેલ: ઓલપાડ
સંદીપ દેસાઈ: ચોર્યાસી
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે ભાજપાએ 120માંથી 115 બેઠકો કબજે કરીને આમ આદમી પાર્ટીએ જ્યાંથી ગુજરાતમાં પગપસારો કર્યો હતો એ જ સ્થળેથી તેમનો સફાયો કરી દીધો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ પ્રકારના નભૂતો ન ભવિષ્યતિ વિજયમાં સુરત શહેર ભાજપા સંગઠનના સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ (પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન), મહામંત્રીઓ વિરલ ગીલીટવાલા, કરશન ગોંડલીયા અને દુર્ગાપ્રસાદ પાંડે, ખજાનચી શૈલેષ જરીવાલા સમેત સમગ્ર સંગઠનની ટીમનો સિંહફાળો રહ્યો છે.
સુરત શહેર ભાજપા સંગઠનના હોદ્દેદારોએ બિલકુલ વિવાદમાં આવ્યા વગર, ચર્ચામાં રહ્યા વગર શાંત ચિત્તે કામ કરતી રહી અને આજે તેમની સફળતાએ એવો શોર મચાવી મૂક્યો છે કે ન પૂછો વાત. કેટલાક લોકો સુરત શહેર ભાજપના પ્રમુખ પરેશ પટેલ, વિરલ ગીલીટવાલા, કરશન ગોંડલિયા, દુર્ગાપ્રસાદ પાંડેની ટીમને બિનઅનુભવી માનતા હતા અને આ ચૂંટણીમાં ભાજપા 2021 કરતા પણ ઓછી બેઠકો લાવશે એવી આગાહીઓ પીઠ પાછળ કરતા હતા, આજે આવી તમામ નકારાત્મક વાતો ફેલાવનારા ભાજપની અંદરના અને બહારના તમામ લોકોને પરચો મળી ગયો છે કે સુરત શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો પણ કુનેહપૂર્વક કામગીરી બજાવીને આજે ભારતના સૌથી પહેલા નંબરના સ્માર્ટ સિટી સુરતમાં ભાજપાને ઝળહળતી સફળતા અપાવી લાવ્યા છે.
પરેશ પટેલ અને તેમની ટીમને નવા નિશાળીયા કહેવાવાળા ભેરવાયા
સુરત શહેર ભાજપ પ્રમુખ પદે સી.આર. પાટીલના ખાસ વિશ્વાસુ મનાતા પરેશ પટેલની નિયુક્તિ પછી પરેશ પટેલે તેમની ટીમ બનાવી હતી. ત્રણ મહામંત્રીઓ નિમાયા અને એ પછી સંગઠનનું આખું માળખું રચાયું હતું. મોટા ભાગે 50 વર્ષથી ઓછી વયના લોકોને ભાજપના સંગઠનના પદો ફાળવવામાં આવ્યા ત્યારે ભાજપના જ કેટલાક બડબોલા સિનિયર નેતાઓ બોલી રહ્યા હતા કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખબર પડી જશે કે નવા નિશાળીયાઓને કારણે ભાજપાને કેટલું નુકસાન થશે, છેક મતદાન પૂરું થયું ત્યાં સુધી અનેક લોકોએ સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને તેમની યંગસ્ટરની ટીમો સામે આકરાં સરશંધાન વવ્યક્ત કરવામાં કોઇ કચાશ છોડી નહતી. પરંતુ, આજે જ્યારે મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઇ ત્યારે ભાજપાના ફાળે 120માંથી 115 સીટો આવતા પરેશ પટેલ સામે બોલનારા તમામ નેતાઓના મોઢા સિવાય ગયા હતા અને પૂર્વ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના સમય કરતા પણ જોરદાર દેખાવ પરેશ પટેલના પ્રમુખપણા હેઠળ નોંધાયો છે.
1995થી શરૂ થયેલો સિલસિલો યથાવત્ જાળવી રાખ્યો પરેશ પટેલ અને તેમની ટીમે
સુરત મહાનગરપાલિકામાં 1995થી શરૂ થયેલો ભાજપા શાસનનો દબદબો 2026માં આજે 7મી વખત પણ યથાવત્ રહ્યો. સુરત મહાનગરપાલિકાની 2021માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 27 બેઠકો ગુમાવવી પડી હતી. પરંતુ, આજે 2026ની ચૂંટણીની થયેલી મતગણના અંતે 120માંથી 115 બેઠકોની થમ્પિંગ મેજોરિટી સાથે સુરત મહાનપાલિકાએ સતત સાતમી વખત સુરત મહાનગરપાલિકા પર ભગવો લહેરાવ્યો છે. ભાજપા કરતા પણ ચૂંટણીની સભાઓ વધુ ગજવનાર આમ આદમી પાર્ટીએ ગઇ ચૂંટણીની 27 બેઠકો પૈકી 23 ગુમાવવી પડી છે અને આ વખતે આપ પાર્ટીના ફાળે માત્ર 04 બેઠકો જ્યારે કોંગ્રેસ માટે જેટલો વકરો તેટલો નફો, સમ ખાવા પૂરતી 1 સીટ પર કોંગ્રેસના ઉમેદવાર વિજય બની શક્યા હતા. સુરત મહાનગરપાલિકાના કુલ 30 વોર્ડની 120 બેઠકોનું સરવૈયુ ચકાસીએ તો 115 ભાજપા, 04 આપ અને 01 બેઠક પર જ કોંગ્રેસ સિમીત બનીને રહી ગઇ છે.
સુરત મહાનગપાલિકાની ચૂંટણીમાં જેમ જેમ ભાજપાના ઉમેદવારોની આખે આખી પેનલોની જીતની જાહેરાતો થતી ગઇ હતી તેમ તેમ સુરત ભાજપાના 12 ધારાસભ્યોની બોડી લેંગ્વેજ અને એટીટ્યુડ બદલાતો જોવા મળ્યો હતો. મત ગણતરી પૂર્વે સુધી કોઇ ધારાસભ્યો છાતી ઠોકીને કહી શકતા ન હતા કે તેમના ઉમેદવારો જીતી રહ્યા છે પરંતુ, આજે જ્યારે મતગણતરીની પ્રક્રિયામાં ભાજપાના ઉમેદવારોને મળી રહેલા મતોના ઢગલા જોઇને ધારાસભ્યોના કોલર ઉંચા થઇ જવા પામ્યા છે. આ વખતે ભાજપાના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના શાસનકાળમાં પહેલી વખત ધારાસભ્યો પાસેથી ઉમેદવારોનું લિસ્ટ માગીને મોટા ભાગના કિસ્સામાં ટિકીટ ફાળવવામાં આવી હતી અને ધારાસભ્યોને જે તે ઉમેદવારોને જીતાડવાની જવાબદારી આપવામાં આવી હતી. આજે ભાજપાના 115 ઉમેદવારોનો વિજય થતાં ભાજપાના ધારાસભ્યોનો હરખ સમાતો ન હતો. અનેક ધારાસભ્યો પોતાને મળેલી જવાબદારી પૂર્ણ કરી હોવાના દાવાઓ મિડીયા ઇન્ટરવ્યુમાં કરી રહ્યા હતા.
ગઇ તા.26મીએ યોજાયેલા ચૂંટણી મતદાન બાદ આજે સવારે 8 વાગ્યાથી સુરતના મજૂરાગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 30 વોર્ડની મતગણતરી માટે 10 હોલમાં 3 સેટમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતગણતરીની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા કાઉન્ટિંગ સાથે સંકળાયેલા કર્મચારીઓ ઉપરાંત ભાજપા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તથા અન્ય પક્ષો અને અપક્ષોના કાઉન્ટિંગ એજન્ટોથી આખું ગાંધી કોલેજ કેમ્પસ ભરાયેલું રહ્યું હતું. પહેલા રાઉન્ડની મતગણના શરૂ થવાની સાથે જ ભાજપના ઉમેદવારો દરેકે દરેક રાઉન્ડમાં લીડ મેળવતા જણાયા હતા અને જોતજોતામાં તો એક પછી એક પહેલા સેટમાં 10 વોર્ડની મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઇ ત્યારે 40 સીટોમાંથી 39 સીટો પર ભાજપા અને 01 સીટ પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા હતા. પહેલા સેટથી જ એવો ટ્રેન્ડ જોવાયો હતો કે આ વખતે પણ સુરત મહાનગરપાલિકામાં ભાજપાની ક્લીન સ્વીપ જોવા મળશે. પહેલા સેટમાં જ આમ આદમી પાર્ટીના મેયર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવેલા મનોજ સોરઠીયા હારી ગયા હતા, જેને કારણે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને અણસાર આવી ગયા હતા કે હવે ભાજપાના ઉમેદવારો દરેકેદરેક વોર્ડમાં સફાયો બોલાવી દેશે.
અપેક્ષા મુજબ કોટ વિસ્તારમાં વોર્ડ નં.12 નાણાવટ-સૈયદપુરા-કુબેરનગર-મહિધરપુરા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર અરસદ જરીવાલા 20769 મત મેળવીને ચોથા ક્રમે ઓપન કેટેગરીની સીટ પર વિજેતા નિવડ્યા હતા. આ સિવાય પહેલા સેટમાં 40માંથી 39 સીટો પર ભાજપાના ઉમેદવારો વિજેતા નિવડ્યા હતા.
મતગણતરીના બીજા સેટમાં 10 સીટોની 9 વોર્ડની 36 બેઠકો પર ભાજપાના ઉમેદવારોનો ઝળહળતો વિજય થયો હતો. જ્યારે મતગણતરીના બીજા સેટમાં વોર્ડ નં.17 પૂણા પૂર્વમાં ચારેય બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજેતા નિવડ્યા હતા. આ વોર્ડમાં આમ આદમી પાર્ટીના અસ્મિતા નિલેશ ધોરાજીયા, રચના અંકુર હીરપરા, પંકજ વ્રજલાલ ચાવડા અને ધર્મેશ ભંડેરી વિજેતા નિવડ્યા હતા.
આંજણા વોર્ડમાં જ્યાં કોંગ્રેસી નેતા અસલમ સાયકલવાલાના પુત્ર વિજેતા બનશે તેવા દાવાઓ બિલકુલ પોકળ નિવડ્યા હતા. આ વોર્ડની તમામ ચારેય બેઠકો પર ભાજપાના ઉમેદવારો મોટી લીડથી વિજેતા બન્યા હતા. એવી જ રીતે ઉધના, લિંબાયત વિસ્તારમાં ભાજપાના અમિતસિંહ રાજપૂત કે દિનેશ રાજપૂરોહિત જેવા નેતાઓ સામે લોકરોષ હોઇ, તેઓને જીતવામાં તકલીફ પડી જશે તેવી ચૂંટણી પૂર્વે વહેતી થયેલી વાતોનો આજે છેદ ઉડી ગયો હતો અને આજે આ વિસ્તારમાં તમામ બેઠકો પર ભાજપાના ઉમેદવારોનો જ સારામાં સારી લીડથી વિજય થયો હતો.
મજૂરાગેટ સ્થિત કાઉન્ટિંગ સેન્ટર પર આજે બપોરે બાર વાગ્યાથી જ ભાજપાના ઉમેદવારોના વિજય સરઘસ નીકળવાના શરૂ થયા હતા. વિજેતા ઉમેદવારોને વિજય સરઘસ, રેલી કાઢવા માટે પરવાનગી મળી જાય તે માટે ગાંધી કોલેજના કેમ્પસમાં જ મંજૂરી આપનાર અધિકારીને તૈનાત કરી દેવામાં આવ્યા હતા અને એક પછી એક ભાજપાના ઉમેદવારો જેમ જેમ વિજેતા બનીને બહાર આવતા હતા એ તમામ વિજય સરઘસ સાથે પોતાના મત વિસ્તારોમાં રવાના થયા હતા.
1995માં સુરત મહાનગરપાલિકામાં ભાજપાએ ક્લીન સ્વીપ કરવાનું શરૂ કર્યું હતું. એ પછી 2000, 2005, 2010, 2015 અને છેલ્લા 2021માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારોએ ક્લીન સ્વીપ મેળવી હતી. અને એ વાતનું પુનરાવર્તન આજે સતત 7મી વખત 2026ની ચૂંટણીઓમાં પણ થયેલું જોવા મળ્યું હતું.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રવિવારે મતદાન સંપન્ન થયા પછી સાર્વત્રિક ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી પૂર્ણ થઇ ચૂકી, જેમાં અનેક બેઠકોમાં અપસેટ સર્જાયા છે, જેમાં અમુક ઉમેદવાર એકાદ મતથી જીત્યા છે તો અમુક ઉમેદવાર શરુઆતના વલણમાં હાર્યા પછી જીત્યા પણ છે. ચૂંટણી પંચના અહેવાલ અનુસાર 15 મહાનગર પાલિકાની બેઠક પર 50 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચના અહેવાલ અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું, જિલ્લા પંચાયતમાં 60.22 ટકા અને તાલુકા પંચાયતમાં 61.08 ટકા વોટિંગ નોંધાયું હતું. કુલ 10,005 બેઠકમાંથી 737 બેઠક પર બિનહરીફ થઈ ચૂકી છે.
અમદાવા, સુરત, વડોદરા અને રાજકોટ સહિત 15 મહાનગર પાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ગુજરાતમાં આગામી વિધાનસભા 2027ની ચૂંટણી પહેલા સત્તાની સેમી ફાઈનલ કહેવાય છે, જેના પરિણામ પર ગુજરાત જ નહીં, સમગ્ર દેશના નેતાઓની નજર પણ છે, ત્યારે પરિણામો ચોંકાવનારા રહ્યા નથી, કારણ કે અગાઉથી ભાજપનું પ્રભુત્વ હતું, જેનું આજના પરિણામમાં પણ 2021 પુનરાવર્તન થયું છે.
લખાય છે ત્યારના પરિણામો અનુસાર જિલ્લા પંચાયતમાં ભાજપની સામે કોંગ્રેસ પણ ટક્કર આપી રહ્યું છે. અમુક જગ્યાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ)ના મજબૂત વલણ ધરાવે છે, જ્યારે અમુક બેઠકો પર મોટો ગાબડાં પણ પાડ્યા છે. મળતી માહિતી પ્રમાણે સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદ સહિત રાજ્યની તમામ 15 મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને શાનદાર જીત મળી છે, જ્યારે અમુક બેઠક પર વિપક્ષને નામ પૂરતી બેઠકો મળી છે.
અત્યાર સુધીના પરિણામોમાં અમદાવાદ મહાનગર પાલિકાની કુલ 192 બેઠકમાંથી 98 બેઠકના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી ભાજપને અત્યાર સુધીમાં 84 બેઠક પર જીત મળી છે, જ્યારે કોંગ્રેસને 6 બેઠક મળી છે. આમ આદમી પાર્ટી (આપ) અને એઆઈએમઆઈએમને કોઈ સફળતા મળી નથી. સુરત મહાનગર પાલિકામાં 120 બેઠકમાંથી ભાજપએ 80 બેઠક પર કબજો મેળવ્યો છે, જ્યારે અન્ય બેઠક એક કોંગ્રેસ અને ચાર આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે. અત્યાર સુધીમાં 1044 સીટમાંથી 831 સીટના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી ભાજપને સર્વોચ્ચ બહુમતી મળી છે. ઉપરાંત, ગાંધીધામ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ભાવનગર, આણંદ, નડિયાદ, વડોદરા, નવસારી, વાપી, સુરત અને મોરબીમાં ભાજપને ડબલ ડિજિટમાં જીત મળી છે, જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને સિંગલ ડિજિટમાં બેઠકો મેળવવામાં ફાંફા પડી રહ્યા છે.
રાજકોટ મહાનગર પાલિકામાં કુલ 72 બેઠકમાંથી ભાજપને 65 સીટ પર જંગી બહુમત મળ્યો છે, કોંગ્રેસને અહીં સાત સીટ મળી છે. વડોદરા મહાનગર પાલિકાની 76 બેઠક પર ભાજપને 49 સીટ મળી છે, જ્યારે કોંગ્રેસને છ સીટ મળી છે, જ્યારે એક બેઠક પર અપક્ષના ઉમેદવારને જીત મળી છે. નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપ નંબર વન પક્ષ રહ્યો છે, જ્યારે નંબર ટૂ પર કોંગ્રેસ પાર્ટી છે.
ઐતિહાસિક જીત પછી કેન્દ્રીય પ્રધાન સીઆર પાટીલે સુરત અને ગુજરાતના મતદારોનો આભાર માનતા જણાવ્યું કે આજે સુરત અને સમગ્ર રાજ્યની જનતા આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે. અમુક પક્ષો એવા ભ્રમમાં હતા કે જનતા તેમના ખિસ્સામાં છે, પણ આજે પરિણામોએ અભિમાની પક્ષોને ઘરભેગા કર્યા છે. કોઈ પણ પાર્ટી કેમ ના હોય, પણ જનતાએ પાઠ ભણાવ્યા છે.
મિડલ ઈસ્ટના અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ યથાવત છે. તેવા સમયે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનના નાયબ વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન પુતિને ઈરાનના ટોચના નેતૃત્વને ખાસ સંદેશ પણ આપ્યો અને તેમના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી હતી.તેમજ કહ્યું કે અમે તમામ મદદ કરીશું જેમા ઈરાનના હિતમાં હશે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે રશિયા ઈરાન અને પ્રદેશના અન્ય દેશોના હિતમાં બધું જ કરશે. આ મુલાકાત એવા સમયે થઈ હતી જ્યારે ઈરાન અમેરિકા વચ્ચે તણાવ યથાવત છે. તેમજ ઈસ્લામાબાદમાં શાંતિ વાટાઘાટોનું કોઇ પરિમાણ આવ્યું નથી.
આ મુલાકાત બાદ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું કે ઈરાન સાથે સબંધ વધુ મજબૂત થશે.
આ ઉપરાંત રશિયાના રાષ્ટ્રપતિ પુતિને જણાવ્યું હતું કે તેમને ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેની તરફથી એક ખાસ સંદેશ મળ્યો છે. પુતિને અરાઘચીને તેમના પરત ફર્યા બાદ સર્વોચ્ચ નેતાને તેમની શુભકામનાઓ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ પહોંચાડવા કહ્યું. આ એક રાજદ્વારી માધ્યમ છે જેના દ્વારા બે રાષ્ટ્રોના ટોચના નેતાઓ એકબીજા સાથે વાતચીત કરે છે.
સુરતના વરાછા વિસ્તારમાં ધોળા દિવસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાંચમાં લૂંટ ચલાવવાની ઘટના બની છે. આજે 27/04/2026 સોમવારે ધોળાદિવસે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા(SBI)ની શાખામાં મોટી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ચાર હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને બૅન્કમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા, અને અંદાજે 50 લાખની મત્તાની ચોરી કરી ત્યાંથી ભાગી છૂટયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ બપોરના સમયે ચાર અજાણ્યા બુકાનીધારી શખ્સો હથિયાર સાથે બૅન્કમાં ઘૂસી ગયા હતા. જ્યાં તેમણે ફિલ્મી ઢબે બંદૂકની અણીએ કર્મચારીઓને ધાક ધમકી આપી બૅન્કના સ્ટ્રોંગ રૂમ કે કેશ કાઉન્ટરમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમ ઉઠાવી હતી. જે બાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા તાત્કાલિક બૅન્કે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લૂંટારુઓની ઓળખ કરી તેમને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.