અરુણાચલમાં ત્રાસવાદીઓએ વિધાનસભાના ઉમેદવાર સહિત 11ને ઠાર કર્યા
નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઑફ નાગાલેન્ડ (એનએસસીએન)ના કહેવાતા ઉગ્રતાવાદીઓએ મંગળવારે અરુણાચલ પ્રદેશના તિરાપ જિલ્લામાં હાલના વિધાનસભ્ય અને વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાંના નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ના ઉમેદવાર તિરોંગ અબો, તેમના દીકરા, એક સુરક્ષા અધિકારી સહિત કુલ 11 જણને ઠાર માર્યા હતા. ખોંસા પશ્ર્ચિમ વિધાનસભા ક્ષેત્રના વિધાનસભ્ય 44 વર્ષીય તિરોંગ અબો આ બેઠક પરથી ફરી ચૂંટણી લડી રહ્યા હતા.
પ્રારંભિક અહેવાલમાં આ હુમલામાં સાત જણ માર્યા ગયા હોવાનો દાવો કરાયો હતો, પરંતુ પોલીસ ડિરેક્ટર જનરલ એસ. બી. કે. સિંહે 11 જણ માર્યા ગયા હોવાની જાહેરાત કરી હતી. તિરોંગ અબો આસામમાંથી પોતાના મતવિસ્તારમાં જતાં હતાં ત્યારે તેમના પર આ હુમલો કરાયો હતો. તેમની સાથે પરિવારના સભ્યો, ત્રણ પોલીસ અને એક ચૂંટણી અધિકારી હતા.
તિરાપ જિલ્લામાં નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઑફ નાગાલેન્ડ (એનએસસીએન)ના કહેવાતા ઉગ્રતાવાદીઓએ મંગળવારે અંદાજે સવારે 11.30 વાગ્યે તેઓના વાહનો પર ગોળીબાર કર્યો હતો. પોલીસ ડિરેક્ટર જનરલ એસ. બી. કે. સિંહે જણાવ્યું હતું કે આ વિધાનસભ્ય અને અન્ય દસ જણ મળીને કુલ 11 જણનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
હુમલામાં ઘાયલ એક સુરક્ષા અધિકારીને આસામના દિબ્રુગઢની હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડૂએ આ હિંસા અંગે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હુમલાખોરોને શોધીને તેઓની સામે કાર્યવાહી કરાશે. હું આ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યો અને સગાંના દુ:ખમાં સહભાગી છું.
મેઘાલયના મુખ્ય પ્રધાન અને નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ના નેતા કોનરાડ સંગમાએ પણ આ હુમલાને વખોડી કાઢ્યો હતો અને વડા પ્રધાનની કચેરી તેમ જ કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથ સિંહને આ પ્રકરણમાં જલદી પગલાં લેવા વિનંતિ કરી હતી. સંગમાએ ટ્વીટ કર્યું હતું કે નેશનલ પીપલ્સ પાર્ટી (અરુણાચલ પ્રદેશના) પોતાના વિધાનસભ્ય તિરોંગ અબો અને તેમના પરિવારના સભ્યોના મૃત્યુના સમાચારથી ઘણી દુ:ખી છે.
તેમણે જણાવ્યું હતું કે અમે આ ક્રૂર હુમલાને વખોડી કાઢીએ છીએ અને વડા પ્રધાનની કચેરી તેમ જ રાજનાથ સિંહને આ હુમલા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા વિનંતિ કરીએ છીએ. દરમિયાન, અરુણાચલ પ્રદેશની કૉંગ્રેસ સમિતિએ રાજ્યમાંની કાયદો અને વ્યવસ્થામાંની ખામી માટે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની સરકારને દોષ દીધો હતો.
કૉંગ્રેસે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અસલામત છે અને સામાન્ય જનતા પણ અસલામતી અનુભવે છે.
વિપક્ષે આ હુમલાની ઉચ્ચ સ્તરની અદાલતી તપાસની માગણી કરી હતી અને મુખ્ય પ્રધાન પેમા ખાંડૂ તેમ જ તેમની ભાજપ સરકાર પર બધું દોષારોપણ કર્યું હતું. અગાઉ, તિરોંગ અબો ખોંસા પશ્ર્ચિમની બેઠક પરથી 2014માં પીપલ્સ પાર્ટી ઑફ અરુણાચલના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. અરુણાચલ પ્રદેશમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઇ હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now