ફેક રિવ્યુથી ગ્રાહકો છેતરાય નહીં તે માટેના કાયદા આજથી અમલમાં આવી રહ્યા છે. ફેક રિવ્યુ માત્ર ઇ-કોમર્સની સાઇટો માટે હોય છે એવું નથી હોતું. ફિલ્મોના રિવ્યુ આપનારા પણ ખોટા રિવ્ય ુઆપતા હોય છે.
ગ્રાહકો રિવ્યુના કારણે છેતરાય નહીં તે માટે ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર્સ સાથે અન્ય ખાતાઓએ મળીને ઓનલાઇન કન્ઝ્યુમર રિવ્યુ માટેના સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે. આ ધારાધોરણોને દરેક ઇ-કોમર્સ સાઇટે ફરજિયાતપણે અપનાવવા પડશે. નહીં અપનાવનારાઓ સામે દંડની જોગવાઇ છે. ખોટા રિવ્યુની સામે ગ્રાહક ફરિયાદ કરી શકશે. રિવ્યુ લખનારે પોતાનો ફોન નંબર સહિતની માહિતી તેમજ સરનામું આપવું પડશે. ખોટા રિવ્યુ લખનાર કોઇ પોતાનો ફોન કે સરનામું આપવા તૈયાર નહીં થાય.
સરકારે ખોટા રિવ્યુની સિસ્ટમને ડામવા નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ઇ-કોમર્સની સાઇટ પર કામ કરનાર કોઇ વ્યક્તિ રિવ્યુ ના લખી શકે. જેણે પ્રોડક્ટ ખરીદી હોય તે જ રિવ્યુ લખી શકે. રિવ્યુ લખવા માટે ઇ-કોમર્સની સાઇટો કોઇ થર્ડ પાર્ટીનો ઉપયોગ નહીં કરી શકે. એટલે કે તેમના વતી બીજું કોઈ રિવ્યુ લખી નહીં શકે. હાલ ફેક રિવ્યુ્ બંધ કરવાનું સ્વૈચ્છિક છે, પરંતુ સરકાર તેને ફરજીયાત બનાવવાનું વિચારી રહી છે. આટલું વાંચ્યા પછી ગ્રાહકો સમજી ગયા છે કે મોટા ભાગના રિવ્યુ તેમને ફસાવવા માટે ઊભા કરાતા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે આજે તેનના પ્રવાસનો બીજો દિવસ છે. તેઓ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા. અહીં તેમણે ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને જળ અર્પણ કરીને તેમને નમન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ વડાપ્રધાને કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિવિધ રાજ્યોના પોલીસ દળના જવાનોએ પરેડ કાઢી હતી જેનું પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ‘આરંભ 2022’માં તાલીમાર્થી પોલીસ અધિકારીઓને સંબોધિત કર્યા હતા.
આ ‘આરંભ’ કાર્યક્રમની ચોથું સંસ્કરણ હતું અને આ વર્ષની થીમ હતી- ‘અમૃત કાલમાં સુશાસનઃ ડિજિટલ ટેક્નોલોજી, ફાઉન્ડેશન ટુ ફ્રન્ટિયર્સ’. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પીએમ મોદીની હાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે 5 રાજ્યોના BSF અને પોલીસ દળોએ પરેડમાં ભાગ લીધો હતો. અંબાજીનું આદિવાસી બાળકોનું સંગીત બેન્ડ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ હતું. એક સમયે આ બેન્ડના સભ્યો અંબાજી મંદિરમાં ભીખ માગતા હતા. આ સિવાય પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2 પ્રવાસન સ્થળો- મેઝ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું પણ ઉદ્ઘાટન કર્યું.
2018માં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ થયું ત્યારથી પીએમ મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ જેવા કાર્યક્રમોની બરાબરી પર લાવ્યા છે. રાષ્ટ્રીય એકતા દિવસ દર વર્ષે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે. આ દિવસે ‘રન ફોર યુનિટી’નું આયોજન પણ કરવામાં આવે છે.
મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકટરો જેટલુ જ વેતન આપવાનો ઐતહાસિક નિર્ણય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે લીધો છે.
આજે ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા થકી લોકોને જાણકારી આપતા કહ્યુ હતુ કે, અમને જણાવતા ખુશી થઈ રહી છે કે, પુરુષ અને મહિલા ક્રિકેટરો વચ્ચેનો ભેદભાવ દુર થવા જઈ રહ્યો છે.ક્રિકેટ બોર્ડ જે મહિલા ક્રિકેટરો કોન્ટ્રાક્ટમાં સામેલ છે તેમને પુરુષો જેટલુ જ વેતન આપવા જઈ રહ્યુ છે.
તેમણે કહ્યુ હતુ કે, હવે સમાનતાના નવા યુગમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકેટરો જેટલી જ મેચ ફી મળશે.
ઉલ્લેખનીય છે કે, પુરુષોની ટીમને હાલમાં બોર્ડ એક ટેસ્ટ માટે પંદર લાખ રુપિયા અને એક વન ડે માટે 6 લાખ રુપિયા ચુકવે છે.જ્યારે ટી 20 મેચ માટે 3 લાખ રુપિયા ચુકવાય છે.
પુરુષ અને મહિલાને સમાન પૈસા આપવાની શરુઆત સૌથી પહેલા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી Dt.24-10-2022, સોમવારે સવારે જમ્મુ કાશ્મીરના કારગિલ પહોંચી ગયા છે. તેઓ અહીં સેનાના જવાનોની સાથે દિવાળી મનાવશે. પીએમ સેનાના જવાનોની સાથે છેલ્લા 8 વર્ષથી દિવાળીનો પર્વ મનાવતા આવી રહ્યા છે.
વર્ષ 2014માં જ્યારથી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનની ખુરશી સંભાળી છે તેઓ હંમેશા જવાનો સાથે જ દિવાળીનો તહેવાર મનાવે છે. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવવાની પરંપરાને જાળવી રાખતા જમ્મુ-કાશ્મીરના કારગિલ દ્રાસ પહોંચી ગયા છે.
અગાઉ વડાપ્રધાન મોદી દિવાળીના તહેવાર પર જુદા-જુદા સ્થળોએ પહોંચી રહ્યા છે. તેઓ સૌથી પહેલા 21 ઓક્ટોબરે બાબા કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કરવા પહોંચ્યા હતા. જે બાદ 23 ઓક્ટોબરે અયોધ્યાના દીપોત્સવમાં સામેલ થયા. સાથે જ અયોધ્યા પહોંચીને તેમણે રામલલા વિરાજમાનના પણ દર્શન કર્યા. પીએમ મોદીએ પોતાના ટ્વીટર પર દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી છે.
ભારતીય વાયુસેના દિવસ દર વર્ષે 8 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસે ગાઝિયાબાદનાં હિંડન વાયુસેના સ્ટેશન ખાતે આ કાર્યક્રમ આયોજિત થાય છે. જેમાં સેનાનાં અધિકારીઓ સહિત ઘણાં દિગ્ગજ લોકો હાજરી આપે છે અને આકાશમાં દમદાર વિમાનોનું પ્રદર્શન થાય છે.
ભારતની હવાઈ સીમાઓનું સંરક્ષણ કરતા આપણા સપુતોને બિરદાવતો દિવસ એટલે નેશનલ એરફોર્સ ડે. 8 ઓક્ટોબરના રોજ નેશનલ એરફોર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં તેનું આયોજન કરવામાં આવે છે પણ આ વખતે પહેલીવાર તેનું આયોજન ચંડીગઢ ખાતે કરવામાં આવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, અંગ્રેજોના સમયમાં કેવી રીતે ભારતીય વાયુસેનાની શરૂઆત થઈ, કેવી રીતે ભારતીય જવાનો વાયુસેનામાં જોડાયા, રોયલ સર્વિસ હેઠળ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો અને ત્યારબાદ દેશ આઝાદ થતાં ભારતીય વાયુસેનાનું ફરી નિર્માણ કરવામાં આવ્યું તેનો ઈતિહાસ રોચક છે. દેશના દરેક નાગરિકને ગર્વ થાય તેવા ભારતીય વાયુસેનાના ઈતિહાસ અને વર્તમાન ઉપર એક નજર કરીએ.
ભારતીય વાયુ સેના દુનિયાની ચોથી સૌથી મોટી વાયુસેના છે
1925 દરમિયાન ઈન્ટર વોરની સ્થિતિ ચાલતી હતી. આ દરમિયાન બ્રિટિનને વધારે સારા સૈનિકો અને પાઈલટ્સની જરૂર જણાઈ હતી. તે સમયે જનરલ રસ એન્ડ્રુ સ્કીનના વડપણ હેટળ સિમલા ખાતે એક સમિતિની રચના કરાઈ અને ભારતીય સૈન્યનાના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી. સમયાંતરે બેઠકો થતી ગઈ અને એરફોર્સમાં ભારતીયોના જોડાણની શક્યતાઓ શોધાવા લાગી. 1927માં સ્કીન કમિટિ દ્વારા ભારતીય કેડેટ્સને ફાઈંગ ઓફિસર તરીકે બ્રિટિશ એરફોર્શમાં જોડવાની ભલામણ કરવામાં આવી. 1928માં આ દિશામ કામગીરી હાથ ધરવામાં આવી. ત્યારબાદ તબક્કાવાર તાલિમ અને આયોજનો સાથે 8 ઓક્ટોબર 1932માં રોયલ ઈન્ડિયન એરફોર્સ સ્થાપના કરવામાં આવી. પાંચ ભારતીય કેડેટ્સને સૌથી પહેલાં એરફોર્સમાં કમિશન્ડ કરવામાં આવ્યા હતા. હરિશચંદ્ર સિરકર, સુબ્રતો મુખરજી, ભુપેન્દ્રસિંહ, ઐઝાદ બક્ષ અવાન તથા અમરજીતસિંહ એમ પાંચ લોકોને પોસ્ટિંગ અપાયું હતું. ત્યારબાદ જે.એન. ટંડનને છઠ્ઠા ઓફિસર તરીકે લોજિસ્ટિકની ડ્યૂટી સોંપાઈ હતી. સમયાંતરે સુબ્રતો મુખરજી આઈએએફના પહેલાં ચીફ એર સ્ટાફ પણ બન્યા હતા. કરુણ ક્રિષ્ન મજુમદાર જેમને જમ્બો પણ કહેતા હતા તેઓ ભારતના પહેલાં પાઈટલ હતા જેમને ડિસ્ટિંગ્વિશ્ડ ફ્લાઈંગ ક્રોસનો ખિતાબ મળ્યો હતો.
ભારતીય વાયુ સેના દુનિયાની ચોથી સૌથી મોટી વાયુસેના છે. ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદમાં સ્થિત હિંડન વાયુસેના સ્ટેશન એશિયામાં સૌથી મોટું છે. ભારતીય વાયુસેના અસ્તિત્વમાં આવ્યા ત્યારથી તેમનું ધ્યેય વાક્ય ‘नभ: स्पृशं दीप्तम्’ નાં રસ્તે ચાલે છે. જેનો અર્થ થાય છે કે ‘ગર્વ સાથે આકાશને આંબવું’. વાયસેનાનાં આ ધ્યેય વાક્યને ભગવત ગીતાનાં 11માં અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાનો રંગ વાદળી, આસમાની વાદળી અને સફેદ છે. વાયુસેનાનો ધ્વજ વાદળી રંગનો હોય છે, જે વાયુસેનાના પ્રતીકથી અલગ હોય છે, જેના પહેલા રાષ્ટ્રધ્વજ એક ચતુર્થમાં રહે છે. મધ્યમાં એક વર્તુળ છે જેમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં રૂ.બે લાખ અને કન્યા કેળવણી યોજનામાં રૂ.ચાર લાખ મળીને કુલ રૂ.૬ લાખની સહાય મળી
રાજ્યના તેજસ્વી, જરૂરિયાતમંદ અને યોગ્યતાપ્રાપ્ત વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને મુખ્યમંત્રા કન્યા કેળવણી નિધિ યોજના તેમની શૈક્ષણિક કારર્કિદી અને ભાવિ વિકાસના સંદર્ભમાં ખૂબ જ નિર્ણાયક અને ઉપયોગી સાબિત થઈ રહી છે, ત્યારે સુરતની તેજસ્વી વિદ્યાર્થિની બરીરા ખત્રીને પોતાના સ્વપ્ન સમાન MBBSના ઉચ્ચ અભ્યાસ માટે MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) અને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધી યોજના સાર્થક નિવડી છે.
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા લાભાર્થી બરીરાએ જણાવ્યું કે, MYSY અંતર્ગત રૂ. બે લાખની સહાય ઉપરાંત મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ અંતર્ગત વધારાની રૂ. ચાર લાખની સહાય મળી છે. અને એમ.બી.બી.એસમાં અભ્યાસ દરમ્યાન બંન્ને યોજનાના લાભ થતી કુલ રૂ.૨૭ લાખની શિષ્યવૃતિની સહાય સરકારશ્રી તરફથી મળશે.
વધુમાં બરીરાએ કહ્યું કે, તબીબી અભ્યાસમાં પહેલેથી જ રસ હોવાથી મહેનત કરી ધો.૧૨ સાયન્સમાં ૯૨ ટકા પ્રાપ્ત કર્યા હતા. ડોક્ટર બની સમાજની સેવા કરવાનું મારૂ અને પરિવારનું સપનું હતું, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ડોક્ટર બનીશ કે નહી તેના પર પ્રશ્નાર્થ હતો. ત્યારે જ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા-સ્વાવલંબન યોજનામાં મલ્ટી ઉપયોગી સહાયની જાણકારી મળી એટલે હિંમત આવી અને સુરત મ્યુનિસિપલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (સ્મીમેર)માં MBBSમાં એડમિશન લીધું. આ યોજના થકી વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨માં મને કુલ રૂ.૧૨ લાખની શિષ્યવૃતિ સહાય મળી છે.
હાલ હું એમ.બી.બી.એસ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરૂ છું. મારી તબીબી ક્ષેત્રની કારકિર્દી પાછળ રાજ્ય સરકારની યોજનાઓ મદદરૂપ બની છે. MYSY યોજના થકી મારૂ ડોક્ટર બનવાનું સપનું હવે હું પુરૂ કરી શકીશ. આ યોજના ન હોત તો મારા માટે ડોક્ટર બનવાનો વિચાર કરવો પણ પોસાય તેમ ન હતો. મારો પરિવાર સરકારનું ઋણ ક્યારેય ચૂકવી નહી શકે. હવે ડોક્ટર બન્યા પછી સરકારની સાથે રહીને સમાજના જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર-સેવા કરીશ એમ બરીરાએ ઉમેર્યું હતું.
રાજ્ય અને કેન્દ્ર સરકારની આ પ્રકારની કલ્યાણકારી યોજનાએ રાજ્યના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે એવો સ્પષ્ટ મત બરીરાએ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thackeray) Dated 27/9/22, મંગળવારે કહ્યું કે દિગ્ગજ અભિનેત્રી આશા પારેખને (Legendry Actress Asha Parekh) 2020ના દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી (Dadasaheb Falke Award) સન્માનિત કરવામાં આવશે. જણાવવાનું કે દાદા સાહેબ ફાળકે પુરસ્કારને (Dadasaheb Falke Award) ભારતીય સિનેમાના ક્ષેત્રમાં (Indian Cinema) સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે. ભારતીય સિનેમા જગત આજે જે મુકામ પર છે આને ત્યાં સુધી લઈ જવામાં આશા પારેખનું મોટું યોગદાન છે.
79 વર્ષીય આશા પારેખે દિલ દેકે દેખો, કટી પતંગ, ત્રીજી મંજિલ અને કારવાં જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને હિન્દી સિનેમાની આઇકૉનિક એક્ટ્રેસ માનવામાં આવે છે. આ પહેલા 2019નો દાદા સાહેબ ફાળકે એવૉર્ડ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતને આપવામાં આવ્યો હતો. પારેખે 1990ના દાયકાના અંતે પ્રશંસિત ટેલીવિઝન શૉ કોરા કાગજનું નિર્દેશન કર્યું હતું. એક નિર્માતા અને નિર્દેશક તરીકે પણ તેમનું કામ અભૂતપૂર્વ રહ્યું છે.
આશા પારેખે બાળ કલાકાર તરીકે પોતાના કરિઅરની શરૂઆત કરી હતી. ત્યારે ઇન્ડસ્ટ્રીમાં લોકો તેમને બેબી આશા પારેખના નામે ઓળખતા હતા. સિનેમા જગતમાં તેમનો પ્રવાસ ખાસ્સો લાંબો રહ્યો છે. આશાનું જીવન ત્યારે બદલાયું જ્યારે જાણીતા ફિલ્મ ડિરેક્ટર બિમલ રૉયે તેમને ઇવેન્ટમાં ડાન્સ કરતા જોયા અને તેમને પોતાની ફિલ્મમાં (1952) કામ આપ્યું. તે સમયે આશા માત્ર 10 વર્ષનાં હતાં.
ત્યાર બાદ બિમલે વર્ષ 1954માં આવેલી ફિલ્મ `બાપ બેટી`માં આશાને તક આપી અને ફિલ્મ હિટ ન થઈ તો તેઓ નિરાશ થઈ ગયા. આશાએ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરવાની સાથે સાથે પોતાનું ભણવાનું પણ ચાલુ રાખ્યું અને સોળ વર્ષની ઉંમરમાં તેમણે લીડ એક્ટ્રેસ તરીકે શરૂઆત કરી છે. કહેવાય છે કે વિજય ભટ્ટની ફિલ્મ `ગૂંજ ઉઠી શહનાઈ`માં કરવામાં આવેલા કામ માટે તેમને કાઢી મૂકવામાં આવ્યાં હતાં.
ભારતીય ટેલિવિઝનના સૌથી લોકપ્રિય શોમાંથી એક ‘કૌન બનેગા કરોડપતિ’ના 14મી સિઝનની પ્રથમ કરોડપતિ બની છે કોલ્હાપુરની રહેવાસી 45 વર્ષની કવિતા ચાવલા.
કવિતા ચાવલા વર્ષ 2000માં ‘કૌન બનેગા કરોડપતિ’ની શરૂઆતથી આ શોમાં ભાગ લેવાનો પ્રયાસ કરી રહી હતી અને અંતે 21 વર્ષ અને 10 મહિના બાદ તેને અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસવાની તક મળી.
કવિતા ચાવલાએ જણાવ્યું કે, આટલા પ્રયત્નો બાદ મારું સપનું સાકાર થયું છે. મારા મનમાં એ વાત આવતી હતી કે ઘણા લોકો પહોંચી ગયા છે હું ક્યારે પહોંચીશ. હું હજુ ઘરે બેઠી છું મારો નંબર ક્યારે લાગશે? શોમાં આવતા લોકોની વાર્તા જાણીને હું પણ ભાવુક થઈ જતી હતી. એ લોકો શોમાં બેસીને રડતા હતા અને હું ઘરે બેસીને રડતી હતી. મેં દર વર્ષે પ્રયત્ન કરતી પણ મને નિરાશા જ મળતી હતા.
કવિતાને વર્ષ 2021માં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાં પહોંચવાની તક મળી પરંતુ તે તેનાથી આગળ ન વધી શકી. તેમ છતાં તેમણે હિંમત ન હારી અને સખત મહેનત ચાલુ રાખી. તેમના કહેવા પ્રમાણે અમિતાભ બચ્ચને તેમને પ્રયત્ન કરતા રહેવાની પ્રેરણા આપી હતી.
તેના સ્કૂલિંગનો ઉલ્લેખ કરતાં કવિતાએ જણાવ્યું કે, જ્યારે હું 10મું પાસ થઈ ગઈ હતી ત્યારે અમારે ત્યાં છોકરીઓ માટે 10માં ધોરણ સુધી ભણવું એ ખૂબ મોટી વાત હતી. પરંતુ તેમ છતાં મારા પરિવારના સભ્યોએ મારી વિનંતી પર મને 12મા સુધીનો અભ્યાસ કરાવ્યો.
સંજોગો એવા હતા કે અમારા ઘરની માતા અમારા ચાર બાળકોને ઉછેરવા માટે સિલાઈકામ કરતી હતી. તેને જોઈને હું પણ સિલાઈ શીખી ગઈ અને મેં તેને મદદ કરવાનું નક્કી કર્યું. આગળનો અભ્યાસ છોડીને હું તેમાં વ્યસ્ત થઈ ગઈ. ત્યારબાદ મારા લગ્ન થઈ ગયા હતા અને ગૃહિણી બની ગઈ પરંતુ મેં મારું જ્ઞાન વધારવાનું ચાલું રાખ્યું.
‘કૌન બનેગા કરોડપતિ’માં કયો સવાલ સૌથી મુશ્કેલ હતો તેના પર કવિતાએ કહ્યું કે, 3 લાખ 20 હજારના ઉપર વાળા સવાલ ખૂબ જ કઠિન હોય છે. મેં કેટલાક વાંચ્યા હતા અને કેટલાક ખૂબ જ સમજી વિચારીને જવાબ આપ્યા. હું કેબીસીને શરૂઆતથી ફોલો કરી રહી હતી. તેના વધતા લેવલ પ્રમાણે પોતાને અપડેટ કરતી હતી.
જીતેલા 1 કરોડ રૂપિયાનું શું કરશે? આ સવાલ પર કવિતાએ કહ્યું કે, જીતવા બાદ તેમાનો થોડો હિસ્સો પોતાના 22 વર્ષના પુત્રના આગળના અભ્યાસ માટે ખર્ચ કરશે. તેમણે આગળ કહ્યું કે, મારે આખા ભારતમાં ફરવું છે. મારે મેઘાલય જવું છે અને ચેરી બ્લોસમ ફેસ્ટિવલ જોવો છે જે મેં અત્યાર સુધી માત્ર ટીવી પર જ જોયો છે.
આ વખતે કેબીસી કેવી રીતે અલગ છે તેનો ઉલ્લેખ કરતાં કવિતાએ કહ્યું કે, આ વખતે શોમાં જે બદલાવ લાવવામાં આવ્યો છે તે ખૂબ જ સારો છે. આઝાદીના 75મો પર્વ છે તે માટે તે 75 લાખ પર ધન અમૃત પ્રશ્ન લઈને આવી છે. તેના કારણે એવું થશે કે, કોઈ એક કરોડનો પ્રશ્ન અજમાવશે તે જોખમમાં નહીં આવશે. ભલે તે ખોટો હોય તે ત્રણ લાખ 20 હજારથી નીચે નહીં આવે. 75 લાખ તો કમસેકમ ઘર લઈ જશે.
કવિતાએ કહ્યું કે, આ રેકોર્ડ બનાવવો સરળ તો નથી પરંતુ તમે બધા મારા માટે દુઆ કરો. આગળ જોઈએ કે, હું 75 લાખનો પડાવ પાર કરી શકું કે, ક્વિટ કરીશ કે પછી ફરી રેકોર્ડ બનાવી શકું.
કવિતાએ કહ્યું કે, તેમની અત્યાર સુધીની જિંદગી પતિ અને બાળકોની દેખરેખમાં જ નીકળી ગઈ. તેમણે આગળ કહ્યું કે, હાઉસ વાઈફનું કામ સરકારી નોકરી કરતા પણ મોટું છે. હાઉસ વાઈફ મલ્ટીટાસ્કિંગ કામ હોય છે. પતિ પ્રત્યે જવાબદારી હોય છે. બાળકોનું સાસુ-સસરાનું અને ઘરમાં બીજા લોકો પણ હોય છે તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે.
અગાઉ આપણા સમાજના કારણે મારી પણ એવી જ વિચારસરણી હતી કે, હું માત્ર 12 ધોરણ સુધી જ ભણી છું. મારી પાસે કોઈ ડિગ્રી નથી હું આગળ શું કરીશ? કવિતાએ કહ્યું કે, ‘કૌન બનેગા કરોડપતિ’ શો જોયા બાદ તેમની વિચારસરણી બદલાઈ અને નક્કી કર્યું કે, કોઈ ડિગ્રી ન હોવા છતાં પણ તે પોતાના જ્ઞાનથી પૈસા કમાશે. હું વિચારતી હતી કે, જો મહેનત કર્યા બાદ હું કરોડપતિ બનીશ તો તે મને સૌથી મોટી ડિગ્રી મળશે- કરોડપતિ કવિતાની. ત્યારબાદ મને કોઈ ડિગ્રીની જરૂર નથી. હવે મને ખરેખર લાગે છે કે, મને બીજી કોઈ ડિગ્રીની જરૂર નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 02 સપ્ટેમ્બર 2022 શુક્રવાર પહેલુ સ્વદેશી વિમાન વાહક યુદ્ધ જહાજ INS Vikrant નૌસેનાને સોંપ્યુ. INS Vikrantની ખાસ વાત એ છે કે આ એક સ્વદેશી યુદ્ધ જહાજ છે. આને 2009માં બનાવવાનુ શરૂ કરવામાં આવ્યુ હતુ. હવે 13 વર્ષ બાદ આ નૌસેનાને મળ્યુ છે.
ક્રૂ મેમ્બરના લગભગ 1,600 સભ્યો માટે ડિઝાઈન કરવામાં આવેલુ અંદાજિત 2,200 રૂમ ધરાવતુ દેશનુ અત્યાર સુધીનુ સૌથી મોટુ અને પહેલુ સ્વદેશી વિમાન વાહક જહાજ INS વિક્રાંત આજે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યુ.
પીએમ નરેન્દ્ર મોદી કેરળના કોચિનમાં આજે 2/9/22, આઈએનએસ વિક્રાંતને દેશને સોંપ્યુ. આ ભારતના સમુદ્રી ઈતિહાસમાં અત્યાર સુધીનુ સૌથી મોટુ જહાજ છે.
હાર્દિક પંડયાએ આખરી ઓવરના તનાવ વચ્ચે વિજયી સિક્સર ફટકારતાં ભારતે પાકિસ્તાન સામે પાંચ વિકેટથી દિલધડક જીત હાંસલ કરતાં એશિયા કપ ટી-૨૦માં વિજયી શુભારંભ કર્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ હાર્દિકે ત્રણ વિકેટ ઝડપ્યા બાદ ૧૭ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે અણનમ ૩૩ રન ફટકારતાં ભારતને જીતાડયું હતુ. ભારતે ૧૪૮ના ટાર્ગેટને ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.
એક તબક્કે ૮૯ રનમાં ચાર વિકેટ ગુમાવનારા ભારતને ચોથા ક્રમે બેટિંગમાં ઉતરેલા જાડેજા અને હાર્દિક પંડયાએ ઉગાર્યું હતુ. બંને વચ્ચે ૨૯ બોલમાં ૫૨ રનની ભાગીદારી નોંધાઈ હતી. જાડેજાએ ૨૯ બોલમાં ૩૫ રન ફટકાર્યા હતા. જોકે તે આખરી ઓવરના પહેલા બોલે આઉટ થઈ ગયો હતો. આ પછી ક્રિઝ પર આવેલા દિનેશ કાર્તિકે એક રન લઈને હાર્દિકને સ્ટ્રાઈક આપી હતી અને ત્યાર બાદ હાર્દિકે એક ડોટ બોલ પછી ખુબ જ ઠંડા દિમાગ સાથે સિક્સર ફટકારીને ટીમને જીતાડી હતી.
અગાઉ ભુવનેશ્વર કુમારે ચાર અને હાર્દિકે ત્રણ વિકેટ ઝડપતાં પાકિસ્તાન ૧૯.૫ ઓવરમાં ૧૪૭ રનમાં ખખડી ગયું હતુ. ડીઆરએસમાં બે વાર બચી ગયેલા રિઝવાને સૌથી વધુ ૪૩ રન ફટકાર્યા હતા. ભારતના ફાસ્ટરોએ પહેલીવાર ટી-૨૦માં હરિફ ટીમની તમામ ૧૦ વિકેટ ઝડપી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.