ઓલમ્પિક ચેમ્પિયન ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ શુક્રવારે ફરી એક વખત ઈતિહાસ સર્જ્યો છે. નીરજ ચોપરા ડાયમંડ લીગ મીટના લુસાને ફેઝનું ટાઈટલ જીતનારા પ્રથમ ભારતીય બન્યા છે. આ સાથે જ નીરજ આગામી 7 અને 8 સપ્ટેમ્બરના રોજ જ્યૂરિખ ખાતે રમાનારી ડાયમંડ લીગની ફાઈનલમાં પણ પહોંચી ગયા છે.
નીરજ ચોપરા આ સિદ્ધિ હાંસલ કરનારા પ્રથમ ભારતીય છે અને આ સાથે જ તેમણે હંગરીના બુડાપેસ્ટમાં 2023માં યોજાનારી વિશ્વ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાઈ કર્યું છે.
ચોપરા (24)એ આ સિદ્ધિ હાંસલ કરવા માટે પ્રથમ પ્રયત્નમાં 89.08 મીટર અને રિપીટ 89.08 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. આ નીરજ ચોપરાના કરિયરનો ત્રીજો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન છે. ઉલ્લેખનીય છે કે, ઈજાના કારણે તેઓ બર્મિંગહામ ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ નહોતા લઈ શક્યા.
જાણિતા ઉદ્યોગપતિ મુકેશભાઇ પટેલ (ગ્રીન લેબ)ના સહયોગથી ડાયમંડ હોસ્પિટલ એક વર્ષ સુધી દૈનિક સરેરાશ 10 લેખે 3650થી વધુ દર્દીઓને બજારમાં 25થી 35 હજારની થતી ચિકિત્સા એક પણ રૂપિયો લીધા વગર પૂરી પાડવામાં આવશે
આગામી 17મી સપ્ટેમ્બરના રોજ આવી રહેલા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જન્મદિનની વાર્ષિક ઉજવણી કરવાનો નિર્ણય સુરતના જાણિતા ઉદ્યોગપતિ ગ્રીન લેબના મુકેશભાઇ પટેલની પ્રેરણા અને સૌજન્યશીલ સહયોગથી વરાછા ખાતે આવેલી ડાયમંડ હોસ્પિટલ મેનેજમેન્ટે લીધો છે. ડાયમંડ હોસ્પિટલમાં તા.17મી સપ્ટેમ્બર 2023 સુધી દંત ચિકિત્સા એટલે કે સ્ક્રિનિંગથી લઇને દાંતની જગ્યાએ ચોકઠા બેસાડી આપવા સુધીની ટ્રીટમેન્ટ (જેમાં ચોકઠા બનાવી આપવાનો ખર્ચ પણ સામેલ) બિલકુલ નિશુલ્ક પૂરી પાડવામાં આવશે, આર્થિક રીતે સ્થિતિ સારી ન હોય તેવા, 60 વર્ષથી ઉપરની ઉંમરના હોય એવા ભારતમાં ગમે તે સ્થળે રહેતા હોય તેવા જરૂરીયાતમંદ દર્દીઓને આ સુવિધા એકપણ રૂપિયો ચાર્જ લીધા વગર પૂરી પાડવામાં આવશે.
ડાયમંડ હોસ્પિટલની ફ્રી ડેન્ટલ ટ્રીટમેન્ટ સ્કીમમાં સુરતના જાણિતા હીરા ઉધોગપતિ, ગ્રીન ડાયમંડ લેબના શ્રી મુકેશભાઇ પટેલ આ સમગ્ર યોજનામાં તન, મન અને ધનથી સહયોગ કરી રહ્યા છે. તેમણે આ ડેન્ટલ ટ્રીટમેન્ટને ચહેરો ઉજવે આનંદ ઉત્સવ નામ આપ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી.પી.વાનાણી અને ડેન્ટલ ટ્રીટમેન્ટ સ્કીમના કો-ઓર્ડિનેટર દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય, છેવાડાના લોકોની સુખાકારી માટે સેવાની ધૂણી ધખાવી છે, તેમની આ ઉમદા પ્રવૃતિમાં ડાયમંડ હોસ્પિટલ પણ પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ છે અને એટલે જ ડાયમંડ હોસ્પિટલમાં ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે આવનારા એવા દર્દીઓ, સંજોગોવસાત જેમના દાંત પડી ગયા છે, દાંતના અભાવે ખોરાક યોગ્ય રીતે લઇ શકતા નથી અને તેના કારણે શારીરીક માનસિક તકલીફો સહન કરે છે તેવા દર્દીઓને તેમના જડબાને અનુરૂપ દાંતનું ચોકઠું બનાવી આપીને ફીટ કરી આપવા સુધીની તમામ તબીબી સુવિધા, મટીરીયલ સાથે બિલકુલ ફ્રી (નિશુલ્ક) આપવામાં આવશે.
ડાયમંડ હોસ્પિટલના સી.પી. વાનાણી અને દિનેશ નાવડીયાએ ઉમેર્યું કે અમને આશા છે કે પ્રતિદિન સરેરાશ 10 દર્દીઓ સુરત ડાયમંડ હોસ્પિટલમાં આ ટ્રીટમેન્ટ લેવા આવશે તો એક વર્ષમાં 3650 જેટલા દર્દીઓને અમે બિલકુલ નિશુલ્ક ડેન્ટલ ટ્રીટમેન્ટ આપી શકીશું. બજારમાં આ ડેન્ટલ ટ્રીટમેન્ટના કમસે કમ રૂ.25થી 35 હજાર સુધીના ચાર્જ છે.
બર્મિંગહામ : ભારતે 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ એમ કુલ 61 મેડલના આખરી સ્કોર સાથે કોમનવેલ્થ ગેમ્સનું સમાપન કર્યું હતું.
ભારતે આજે આખરી દિવસે બેડમિંટનમાં ગોલ્ડ મેડલની હેટ્રિક મેળવી હતી. મહિલા સિંગલ્સમાં પી. વી. સિંધુએ, પુરૂષ સિંગલ્સમાં લક્ષ્ય સેને અને મેન્સ ડબલ્સમાં રાનકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ ઉપરાંત ટેબલ ટેનિસમાં મેન્સ સિંગલ્સમાં શરથ કમલે ૪૦ વર્ષની વયે ગોલ્ડ મેડલ મેળવવાની સિદ્ધી પ્રાપ્ત કરી હતી. કોમનવેલ્થ ગેમ્સ મેલબોર્નમાં ૨૦૦૬માં તે બે ગોલ્ડ જીત્યો હતો. આ તેની પાંચમી કોમનવેલ્થ હતી અને તેણે કુલ ૧૩ મેડલ જીત્યા છે જે એક રેકોર્ડ છે. આ ઉપરાંત ટેબલ ટેનિસમાં જ ભારતના સાથિયાને આજે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતનો આજે મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ૭-૦થી શરમજનક પરાજય થયો હતો અને સિલ્વર મેડલથી સંતુષ્ટ રહેવું પડયું હતું. તેવી જ રીતે મહિલા ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચમાં ભારતે જીતની બાજી ગુમાવી હતી. ગોલ્ડ મેડલ જીતવાની રીતે ભારતનો જો કે આ કોમનવેલ્થ દેખાવ શ્રેષ્ઠ નથી. ૨૦૧૦માં ભારતે ૩૮, ૨૦૦૨માં ૩૦, ૨૦૧૮માં ૨૬, ૨૦૦૬માં ૨૨ અને હવે ૨૦૨૨માં પણ ૨૨ ગોલ્ડ મેડલ જીત્યા છે.
– ભારત માટે આ કુલ 20મો મેડલ બની રહ્યો છે જેમાં 6 ગોલ્ડ, 7 સિલ્વર તથા 7 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
બર્મિંગહામ, તા. 05 ઓગષ્ટ 2022, શુક્રવાર
કોમનવેલ્થ ગેમ્સમાં પેરા પાવરલિફ્ટર સુધીરે ઈતિહાસ સર્જી દીધો છે. તેઓ પેરા પાવરલિફ્ટિંગ (દિવ્યાંગ એથ્લીટ્સ માટેનું વેઈટલિફ્ટિંગ)માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા પ્રથમ ભારતીય એથલીટ બની ગયા છે. અગાઉ 2014માં પાવરલિફ્ટર સકિના ખાતૂને બ્રોન્ડ મેડલ મેળવ્યો હતો. સુધીરે પુરૂષો માટેની હેવી વેઈટ કેટેગરીમાં 212 કિગ્રા વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.
87.30 કિગ્રા વજન ધરાવતા સુધીરે રેક હાઈટ 14 સાથે પ્રથમ પ્રયત્નમાં 208 કિગ્રા વજન ઉઠાવ્યું હતું. બીજા પ્રયત્નમાં તેમણે 212 કિગ્રા વજન ઉઠાવ્યું હતું. સુધીરે 212 કિગ્રા વજન લિફ્ટ કરવાની સાથે જ એક નવો ગેમ્સ રેકોર્ડ પણ બનાવ્યો છે. પોતાના અંતિમ પ્રયત્નમાં સુધીર 217 કિગ્રા વજન ઉઠાવવામાં અસફળ રહ્યા હતા. જોકે 134.5 પોઈન્ટ્સ સાથે સુધીર ટોપ પર રહ્યા અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ભારતનો છઠ્ઠો ગોલ્ડ
આ ભારત માટે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સનો છઠ્ઠો મેડલ છે. અગાઉ મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા અને અચિંતા શેઉલી વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતી ચુક્યા છે. જ્યારે મહિલા લોન બોલ ટીમ તથા પુરૂષ ટેબરલ ટેનિસ ટીમે પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
ભારત માટે આ કુલ 20મો મેડલ બની રહ્યો છે. જેમાં 6 ગોલ્ડ, 7 સિલ્વર તથા 7 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. પદક મેળવવાની રેસમાં ભારત સાતમા ક્રમે છે.
જાણો કોને મળ્યો સિલ્વર અને બ્રોન્ઝ
27 વર્ષીય સુધીરે ગોલ્ડ મેડલ સાથે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે પેરા રમતોમાં મેડલ્સનું ખાતું ખોલ્યું છે. મેન્સ હેવી વેઈટ કેટેગરીમાં સુધીર બાદ નાઈજિરીયાના ઈકેચુકુ ક્રિસ્ટિયન ઓબિચુકુએ 133.6 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો જ્યારે સ્કોટલેન્ડના મિકી યૂલે 130.0 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
સુધીરે અગાઉ જૂન મહિનામાં દક્ષિણ કોરિયામાં વિશ્વ પેરા પાવરલિફ્ટિંગ એશિયા-ઓશિનિયા ઓપન ચેમ્પિયનશિપમાં પુરૂષોની 88 કિગ્રા વેઈટ કેટેગરીમાં 214 કિગ્રાના સર્વશ્રેષ્ઠ લિફ્ટિ સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઉપરાંત સુધીરે 2022ની હાંગ્ઝૂ એશિયાઈ પેરા ગેમ્સ માટે પણ ક્વોલિફાઈ કર્યું છે.
પાવરલિફ્ટિંગમાં એથલીટ્સને 3 અટેમ્પ્ટ્સ આપવામાં આવે છે. વજન ઉઠાવવા પર શરીરના વજન તથા ટેક્નિકના આધારે પોઈન્ટ્સ મળે છે. સમાન વજન ઉઠાવવા પર શારીરિકરૂપે ઓછું વજન ધરાવતા ખેલાડીને અન્યની સરખામણીએ વધુ પોઈન્ટ્સ મળે છે. સુધીર 5 વર્ષની ઉંમરમાં પોલિયોનો શિકાર બન્યા હતા. ત્યાર બાદ 2013માં તેમણે પોતાની જાતને તંદુરસ્ત રાખવા માટે પાવરલિફ્ટિંગની શરૂઆત કરી હતી.
યુકેના બર્મિંગહામ ખાતે રમાઇ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના પણ અનેક ખેલાડીઓ તેમાં વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસનો અંતે ભારતે સિલ્વર મેડલ સાથે કર્યો છે. અત્યાર સુધી ભારતને કુલ ચાર મેડલ મળ્યા છે જે તમામ વેઈટલિફ્ટિંગમાં જ છે. બિંદિયારાની દેવીએ મહિલાઓની 55 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર પોતાના નામે કર્યો છે. આ પહેલા મીરાબાઈ ચાનૂએ ગોલ્ડ, ગુરુરાજ પૂજારીએ બ્રોન્ઝ અને સંકેત સરગરે સિલ્વર મેડલ ભારતને અપાવ્યો હતો. આ રીતે ભારતના ખાતામાં અત્યાર સુધી ચાર મેડલ આવી ગયા છે.
બિંદિયારાની દેવીએ સ્નેચમાં 86 કિલો વજન ઉઠાવ્યુ હતું. સ્નેચ પછી તે ત્રીજા નંબર પર હતી, પરંતુ ક્લીન એન્ડ જર્કમાં તેણે કોમનવેલ્થ ગેમ્સનું રેકોર્ડ વજન ઉઠાવ્યું. તેણે 116 કિલોનો ભાર ઉપાડીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. કુલ મળીને તેણે 202 કિલો વજન ઉપાડ્યુ હતું. નાઈજીરિયાની અદિજત ઓલારિનોયે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે કુલ 203 કિલો વજન ઉપાડીને આ પદક પોતાના નામે કર્યુ હતું. ઈંગ્લેન્ડની એથ્લીટને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
મીરાબાઈ ચાનૂની જેમ બિંદિયારાની પણ મણિપુરથી આવે છે. કોમનવેલ્થ ગેમ્સ 2021માં તેણે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આ પહેલા 2019માં રાષ્ટ્રમંડળ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બિંદિયારાની એક ખેડૂતની દીકરી છે અને કિરાણાની દુકાન ચલાવે છે. હાઈટ ઓછી હોવાને કારણે બિંદિયારાનીએ વેઈટલિફ્ટિંગની શરુઆત કરી હતી. બિંદિયારાની જણાવે છે કે, હું 2008થી 2012 સુધી તાઈક્વાંડો રમતી હતી પણ પછી મેં વેઈટલિફ્ટિંગ કરવાનો નિર્ણય લીધો. મને હાઈટની સમસ્યા હતી, માટે મારે શિફ્ટ થવુ પડ્યું. તમામ લોકોએ કહ્યું કે, મારી હાઈટ વેઈટલિફ્ટિંગ માટે યોગ્ય છે.
શનિવારનો તા.30મી જુલાઇ 2022 કોમનવેલ્થમાં ભારત માટે શાનદાર દિવસ રહ્યો હતો. ગેમ્સના બીજા દિવસે ભારતે બિંદિયારાનીના મેડલ સિવાય પણ ત્રણ મેડલ જીત્યા હતા. જેમાં દેશની સ્ટાર મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. બર્મિંઘમમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. જ્યારે તે પહેલા યુવાન વેઈટલિફ્ટર સંકેત સરગરે ભારત માટે મેડલનું ખાતું ખોલાવતા સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે વેઈટલિફ્ટર ગુરૂરાજ પૂજારીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સંકેતનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું હતું પરંતુ ક્લીન એન્ડ જર્કમાં પોતાના બીજા પ્રયાસમાં તેને હાથમાં ઈજા થઈ હતી જેના કારણે તેને એક કિલો વજનથી ગોલ્ડ મેડલ ગુમાવવો પડ્યો હતો. જ્યારે મીરાબાઈએ તો સ્નેચમાં 88 કિલો વજન ઉચકીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઉપરાંત નેશનલ રેકોર્ડ અને ગેમ્સ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. તેણે કુલ 201 કિલો વજન સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જે કોમનવેલ્થ ગેમ્સમાં તેનો ત્રીજો મેડલ હતો.
એક તરફ એમબીબીએસ કરતા વિદ્યાર્થીઓને મનમાં સતત એવો ડર સતાવતો હોય છે કે પીજી કે સુપર સ્પેશ્યાલિટી મેડીકલમાં તેમને પ્રવેશ મળશે કે નહીં અને બીજી તરફ પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે સુપર સ્પેશ્યાલિટીમાં ખાલી પડેલી બેઠક પર કોઇને કોઇક તબીબ ઉમેદવારને પ્રવેશ મળી શકે અને એ બેઠક ઉપયોગી નિવડે એ માટે મેડીકલ કાઉન્સેલિંગ કમિટીએ લાયકાતના તમામ માપદંડ કાઢી નાંખવા પડ્યા છે.
હાલમાં ચાલી રહેલી પોસ્ટ ગ્રેજ્યુએટ મેડીકલ કોર્સની પ્રવેશ પ્રક્રિયા દરમિયાન મેડિકલ સુપર સ્પેશિયાલિટી કોર્સની સેંકડો બેઠકો ખાલી હોવાથી સત્તાવાળાઓએ ઉમેદવારો માટે લાયકાતનો માપદંડ કાઢી નાખ્યો છે. તેથી, આ સ્તરે અભ્યાસક્રમ માટે રોક-બોટમ સ્કોર અથવા શૂન્ય ટકાવારી (ઝીરો પર્સન્ટાઇલ સ્કોર) સ્વીકાર્ય છે અને આટલા ઓછા માર્કસ ધરાવતા તબીબ ઉમેદવારોને પણ મેડીકલ પીજી સીટ મળશે એ નિશ્ચિત બન્યું છે. ટૂંકમાં મેડીકલ કાઉન્સેલિંગ કમિટીએ એવો નિયમ બનાવ્યો છે કે દેશભરમાં ખાલી પડેલી મેડીકલ સુપર સ્પેશ્યાલિટીની કુલ 748 સીટ પર બીજા સ્પેશ્યલ મોપઅપ રાઉન્ડમાં જે ઉમેદવારો પીજી નીટ 2021માં બેઠા હતા એ તમામ લાયકાતપાત્ર છે.
દેશમાં મેડીકલ સુપર સ્પેશ્યાલિટીની કુલ 748 સીટ ખાલી પડી છે, સ્પેશ્યલ મોપ-અપ રાઉન્ડ-2માં મેડીકલ કાઉન્સેલિંગ કમિટીએ લાયકાતપાત્રતા ઘટાડીને ફક્ત જેમણે પીજી નીટ પરીક્ષા આપી છે એ તમામને લાયક ગણવાનું નોટિફિકેશન જારી કર્યું છે
ભારતમાં પહેલી વાર પ્રયોગ કરવામાં આવ્યો છે કે દર વર્ષે પીજી મેડીકલની સેંકડો બેઠકો ખાલી પડી રહે છે અને બીજી તરફ ક્વોલિફિકેશન નહીં હોવાથી સેંકડો ઉમેદવારો પ્રવેશથી વંચિત રહે છે. આ પરિસ્થિતિને કારણે તમામને નુકસાન જ છે એમ સમજાવતા દેશના આરોગ્ય વિભાગના એક વરીષ્ઠ અધિકારીએ કહ્યું હતુ કે, “દર વર્ષે સીટો ખાલી પડી રહી છે. સરકારને લાગ્યું કે એક વખતના માપદંડ તરીકે, દેશના વિશાળ હિતમાં, અમે શૂન્ય પર્સેન્ટાઇલ સાથેના વિદ્યાર્થીઓને પણ સ્વીકારી શકીએ છીએ. ક્વોલિફાઇડ માર્કસની કોઈ અગ્રતા રહેશે નહીં. આખરે પ્રવેશ પરીક્ષા વિદ્યાર્થીઓને દૂર કરવા માટે લેવામાં આવી ન હતી, પરંતુ માત્ર તેમને ગ્રેડ આપવા માટે લેવાતી હોય છે,” આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
આ વર્ષે એડમિશનના ચાર રાઉન્ડ પછી 748 સુપર સ્પેશિયાલિટી બેઠકો ખાલી હોવાથી, મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) એ ક્વોલિફિકેશન માર્કના માપદંડને રિમુવ કરવાનું પગલું ભર્યું હવે એવા કોઈપણ ઉમેદવાર કે જેમણે NEET સુપર સ્પેશિયાલિટી 2021ની પરીક્ષા આપી હોય તે ઉમેદવારના સ્કોરને ધ્યાનમાં લીધા વગર તેઓ સ્પેશ્યલ મોપ-અપ એડમિશન રાઉન્ડમાં ભાગ લઈ શકે છે.
જ્યારે આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ, ત્યારે મેડીકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા હાથ ધરવામાં આવેલી બે રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાને સાવ ઠંડો પ્રતિસાદ મળ્યો. આનાથી ક્વોલિફાઇંગ બાર 15% ઘટાડીને ખાસ મોપ-અપ રાઉન્ડ થયો. તેમ છતાં, પ્રવેશાર્થીઓ મળી શક્યા નહીં. હવે બીજો સ્પેશ્યલ મોપ-અપ રાઉન્ડ તમામ ઉમેદવારો માટે ખુલ્લો મૂકાયો છે. ભારતમાં લગભગ 4,500 સુપર સ્પેશિયાલિટી મેડિકલ સીટ છે. ક્લિનિકલ શાખાઓ કરતાં સર્જિકલ શાખાઓમાં વધુ ખાલી જગ્યાઓ છે.
Notification by MCC (Medical Counseling Committee)
– આ મેચના હીરો શુભમન ગિલ શાનદાર બેટિંગ સાથે 98 રનની અણનમ ઈનિંગ રમ્યા હતા
નવી દિલ્હી, તા. 28 જુલાઈ 2022, ગુરૂવાર
વેસ્ટઈન્ડીઝ અને ભારત વચ્ચે રમાયેલી 3 મેચની વનડે સીરિઝનો ત્રીજો તથા અંતિમ મુકાબલો ત્રિનિદાદના પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાયો હતો. આ મેચમાં ભારતે ફરી એક વખત શાનદાર પ્રદર્શન સાથે કેરેબિયન ટીમને 119 રનના મોટા અંતરથી હરાવી છે. વરસાદથી બાધિત થયેલી આ મેચના હીરો શુભમન ગિલ બન્યા છે. ગિલ શાનદાર બેટિંગ સાથે 98 રનની અણનમ ઈનિંગ રમ્યા હતા. આ વિજય સાથે જ ભારતે સીરિઝમાં 3-0થી ક્લીન સ્વીપ પણ કર્યું છે. આ સાથે જ ભારતે આ મેચમાં રેકોર્ડ્સની વણઝાર સર્જી દીધી છે.
આ સીરિઝમાં વિજયની સાથે જ ટીમ ઈન્ડિયા કોઈ પણ એક દેશ સામે સતત સૌથી વધારે વનડે બાઈલેટરલ સીરિઝ જીતનારી ટીમ બની ગઈ છે. વેસ્ટઈન્ડીઝ સામે ભારતની આ સતત 12મી જીત છે. 2007થી શરૂ કરીને 2022 સુધી ભારત સતત 12 સીરિઝ જીતતું આવ્યું છે. ત્યાર બાદ પાકિસ્તાનનું નામ આવે છે. પાકિસ્તાન 1996થી 2021 દરમિયાન ઝિમ્બાબ્વે સામે 11 તથા વેસ્ટઈન્ડીઝ સામે 10 સીરિઝ જીત્યું છે. જ્યારે દક્ષિણ આફ્રિકા ઝિમ્બાબ્વે સામે તથા ભારત શ્રીલંકા સામે સતત 9-9 વનડે સીરિઝ જીત્યું છે.
વેસ્ટઈન્ડીઝ માટે આ છેલ્લા 2 મહિનામાં સતત 9મી હાર છે. જ્યારે પોતાની જ હોમપીચ પર કોઈ પણ દેશ દ્વારા વનડેમાં મળેલી આ સૌથી મોટી હાર છે. વેસ્ટઈન્ડીઝ અગાઉ પોતાની હોમપીચ પર કદી 119 રનથી નહોતું હાર્યું.
ટોક્યો ઓલમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની પુરૂષોની જેવલિન થ્રો ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ સર્જી દીધો છે. નીરજે ચોથા પ્રયત્નમાં 88.13 મીટરના પોતાના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ પોતાની ઝોળીમાં મેળવ્યો છે.
નીરજ ચોપરાના કારણે 19 વર્ષ બાદ કોઈ ભારતીયને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ મળ્યો છે. અગાઉ 2003માં અંજૂ બોબી જોર્જે મહિલા લોન્ગ જંપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
નીરજ ચોપરાની પહેલી એટેમ્ટ ફાઉલ રહી હતી જ્યારે બીજી એટેમ્પ્ટમાં તેમણે 82.39 મીટરનો થ્રો કર્યો હતો. જોકે તે તેમના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી ઘણું દૂર હતું. બીજી બાજુ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે પ્રથમ એટેમ્પ્ટમાં જ 90 મીટર પાર કરી લીધા હતા. તેમણે સતત 3 એટેમ્પ્ટમાં 90.46, 90.21 અને 90.46 મીટરનો થ્રો કરીને પોતાનો મેડલ લગભગ પાક્કો કરી લીધો હતો.
નીરજે ત્રીજી એટેમ્પ્ટ દરમિયાન પોતાના પ્રદર્શનમાં સુધારો કર્યો હતો અને 86.37 મીટરના થ્રો સાથે ચોથા નંબરે પહોંચી ગયા હતા. ભારતીય સ્ટાર નીરજે ચોથા રાઉન્ડમાં 88.13 મીટનરો થ્રો કરીને બીજો નંબર મેળવ્યો છે. નીરજનું આ પ્રદર્શન ઓલમ્પિક કરતાં પણ શાનદાર રહ્યું. ઓલમ્પિકમાં નીરજે 87.58 મીટરના જેવલિન થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
અમેરિકાના યુજીન ખાતે રમાયેલી ચેમ્પિયનશિપની ફાઈનલમાં નીરજે સિલ્વર મેડલ પર નિશાન સાધ્યું છે. જ્યારે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. નીરજ ચોપરા ઉપરાંત રોહિત યાદવ પણ આ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઉતર્યા હતા. જોકે તેઓ 10મા નંબર પર રહીને ફાઈનલમાં મેડલની રેસમાંથી બહાર થયા હતા.
નીરજના 3 થ્રો રહ્યા ફાઉલ
પહેલો થ્રો- ફાઉલ
બીજો થ્રો- 82.39 મીટર
ત્રીજો થ્રો- 86.37 મીટર
ચોથો થ્રો- 88.13 મીટર
પાંચમો થ્રો- ફાઉલ
છઠ્ઠો થ્રો- ફાઉલ
એન્ડરસને 90.54 સાથે જીત્યો ગોલ્ડ
એન્ડરસન પીટર્સે ફાઈનલમાં શરૂઆતના 2 થ્રો સતત 90થી વધુ મીટર સુધીના કર્યા હતા. આ સાથે જ તેણે ફાઈનલમાં 90.54 મીટરના બેસ્ટ થ્રો સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ફાઈનલમાં નીરજના સાથે અન્ય એક ભારતીય રોહિત યાદવ હતા. તેઓ શરૂઆતના 3 થ્રો બાદ ટોપ-8માં સ્થાન નહોતા મેળવી શક્યા અને મેડલની રેસમાંથી બહાર થઈ ગયા હતા.
નવી દિલ્હી : કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નેશનલ ઇન્સ્ટીટયૂશનલ રેન્કીંગ ફ્રેમવર્ક (એનઆઇઆરએફ) રેન્કિંગ મુજબ ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), મદ્રાસ સળંગ ચોથા વર્ષે દેશની શ્રેષ્ઠ સંસ્થા રહી છે. જ્યારે ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ સાયન્સ (આઇઆઇએસસી), બેંગાલુરુ શ્રેષ્ઠ યુનિવર્સિટી અને રિસર્ચ ઇન્સ્ટીટયૂટ રહી છે.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેદ્ર પ્રધાન દ્વારા આજે એનઆઇઆરએફ રેન્કીંગની સાતમી આવૃત્તિ જાહેર કરવામાં આવી હતી. ઓવરઓલ રેન્કિંગ હેઠળ ટોચની દસ ઇન્સ્ટીટયૂટમાં આઇઆઇટી-મદ્રાસ, આઇઆઇટી-બોમ્બે, આઇઆઇટી-કાનપુર, આઇઆઇટી-ખડગપુર, આઇઆઇટી-ખડગપુર, આઇઆઇટી-રૂરકી અને આઇઆઇટી-ગુવાહાટીનો સમાવેશ થાય છે.
ઓવરઓલ રેન્કિંગમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ) નવમાં અને જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી દસમાં ક્રમે છે.
યુનિવર્સિટી કેટેગરીમાં આઇઆઇએસસી-બેંગાલુરુ પ્રથમ ક્રમે ત્યારબાદ જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી બીજા ક્રમે અને જામીયા મિલિયા ઇસ્લામિયા ત્રીજા ક્રમે છે.ગયા વર્ષે આ કેટેગરી બીએચયુ ત્રીજા ક્રમે હતી જે ચાલુ વર્ષે છઠ્ઠા ક્રમે રહી છે.
ટોચની દસ યુનિવર્સિટીમાં આ સિવાય જાદવપુર યુનિવર્સિટી, અમૃતા વિશ્વ વિદ્યાપીઠમ, મનિપાલ એકેડમી ઓફ હાયર એજયુકેશન, કલકત્તા યુનિવર્સિટી, વેલ્લોર ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી, યુનિવર્સિટી ઓફ હૈદરાબાદનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોલેજની કેટેગરીમાં મિરાંડા હાઉસ પ્રથમ ક્રમે, હિંદુ કોલેજ બીજા ક્રમે, પ્રેસિડન્સી કોલેજ, ચેન્નાઇ ત્રીજા ક્રમે, લોયોલા કોલેજ, ચેન્નાઇ ચોથા ક્રમે, લેડી શ્રીરામ કોલેજ પાંચમાં ક્રમે રહી છે.
મેનેજમેન્ટ કેટેગરીમાં આઇઆઇએમ-અમદાવાદ પ્રથમ ક્રમે, આઇઆઇએમ-બેંગલોર બીજા ક્રમે અને આઇઆઇએમ-કલકત્તા ત્રીજા ક્રમે છે.
ફાર્મસી કેટેગરીમાં દિલ્હીની જામિયા હમદર્દ પ્રથમ ક્રમે, નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ફાર્મા એજયુકેશન એન્ડ રિસર્ચ, હૈદરાબાદ અને ત્રીજા ક્રમે પંજાબ યુનિવર્સિટી ત્રીજા ક્રમે રહી છે.
મેડિકલ કોલેજ કેટેગરીમાં એઇમ્સ-દિલ્હી પ્રથમ ક્રમે, પીજીઆઇએમઇઆર-ચંડીગઢ બીજા ક્રમે અને ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોર ત્રીજા ક્રમે છે.
ડેન્ટલ કોલેજની કેટેગરીમાં સવિથા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ એન્ડ ટેકનિકલ સાયન્સ-ચેન્નાઇ પ્રથમ ક્રમે, મનિપાલ કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ બીજા ક્રમે અને ડી વાય પાટીલ વિદ્યાપીઠ-પુણે ત્રીજા ક્રમે છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (એફસીઆરએ) સંબંધિત કેટલાક નિયમોમાં સુધારો કર્યો છે, જેને પગલે હવે વિદેશમાં વસતા ભારતીયો ઓથોરિટીને જાણ કર્યા વિના તેમજ કોઈપણ નિયંત્રણ વિના દેશમાં એક વર્ષમાં તેમના પરિવાર-સંબંધીઓને રૂ. ૧૦ લાખ સુધીની રકમ મોકલી શકશે. અગાઉ આ મર્યાદા માત્ર રૂ. ૧ લાખની હતી.
ગૃહમંત્રાલયે એક નોટિફિકેસનમાં જણાવ્યું છે કે વિદેશમાં વસતા ભારતીયો તંત્રને જાણ કર્યા વિના રૂ. ૧૦ લાખથી વધુની રકમ મોકલે તો તેમણે ૯૦ દિવસમાં આ અંગે સરકારને જાણ કરવાની રહેશે. અગાઉ આ સમય મર્યાદા માત્ર ૩૦ દિવસ હતી. ગૃહમંત્રાલયે શુક્રવારે રાત્રે ગેઝેટ નોટિફિકેશન મારફત ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) અમેન્ડમેન્ટ રુલ્સ, ૨૦૨૨ના નવા નિયમો લાગુ કર્યા છે.
નોટિફિકેશનમાં જણાવાયું છે કે ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) રુલ્સ, ૨૦૧૧ના નિયમ ૬માં એક લાખ રૂપિયાના બદલે દસ લાખ રૂપિયા અને ૩૦ દિવસના બદલે ત્રણ મહિના શબ્દ બદલવામાં આવ્યા છે. રુલ્સ ૬ સંબંધીઓને વિદેશી ધન મેળવવાની માહિતી સંબંધિત છે. તેમાં પહેલા કહેવાયું હતું કે, કોઈપણ વ્યક્તિએ પોતાના કોઈ સંબંધીને એક નાણાકીય વર્ષમાં ૧ લાખ રૂપિયા અથવા તેના જેટલું વિદેશી નાણું મોકલે તો વિદેશી યોગદાન મળ્યાના ૩૦ દિવસમાં કેન્દ્ર સરકાર (નાણાં વિગતો)ને સૂચિત કરવાની રહેશે.
એ જ રીતે નિયમ ૯માં પણ ફેરફાર કરાયો છે. તેના હેઠળ હવે વ્યક્તિઓ અથવા સંગઠનો અથવા બીન સરકારી સંગઠનોના બેન્ક ખાતા અંગે ગૃહમંત્રાલયને સૂચિત કરવા માટેનો સમય ૪૫ દિવસ કરી દેવાયો છે. આ પહેલા આ સમય મર્યાદા ૩૦ દિવસ હતી. નિયમ ૯ નાણાં મેળવવા માટે એફસીઆરએ હેઠળ ‘નોંધણી’ અથવા ‘પૂર્વ મંજૂરી’ મેળવીને અરજી કરવા સંબંધિત છે.
કેન્દ્ર સરકારે નિયમ ૧૩માં જોગવાઈ ‘બી’ને પણ ‘છોડી દીધી’ છે, જે પોતાની વેબસાઈટ પર દર ત્રણ મહિનામાં દાતાઓની વિગતો, મેળવેલી રકમ અને તારીખ વગેરે સહિત વિદેશી નાણાંની વિગતો જણાવે છે. હવે એફસીઆરએ હેઠળ વિદેશી ભંડોળ મેળવનારી કોઈપણ વ્યક્તિએ આવક અને ખર્ચના સ્ટેટમેન્ટ સહિત વિદેશી ભંડોળ મેળવવા માટે ઉપયોગમાં લેવાયેલા ખાતાનું ઓડિટ કરાવેલું સ્ટેટમેન્ટ, રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટ તથા એપ્રિલના પહેલા દિવસથી શરૂ કરીને પ્રત્યેક નાણાકીય વર્ષ માટેની બેલેન્સ શીટ નાણાકીય વર્ષ પૂરું થવાના નવ મહિનામાં તેની સત્તાવાર વેબસાઈટ અથવા કેન્દ્ર દ્વારા નિર્દિષ્ટ ચોક્કસ વેબસાઈટ પર પૂરાં પાડવાના રહેશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.