CIA ALERT

surat diamond bourse Archives - CIA Live

April 7, 2026
WhatsApp-Image-2026-04-06-at-19.45.30-1280x854.jpeg
1min77

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ગુજરાત રિજિયને આદરેલા પ્રયાસોને પગલે સુરતના હીરા ઉદ્યોગપતિઓને આજે તા.6 એપ્રિલથી શરૂ કરીને આગામી તા.10મી મે 2026 સુધીના 35 દિવસ દરમિયાન સુરત ડાયમંડ બુર્સ ખાતે રૂ.1 હજાર કરોડની જંગી માર્કેટ વેલ્યુ ધરાવતા લાખો કેરેટના નેચરલ રફ ડાયમંડનો જથ્થો ઘર આંગણે જોવા, ચકાસવા મળશે અને સ્થાનિક ઉદ્યોગપતિઓ પોતાની પસંદના હીરાના પાર્સલોની બોલી લગાવીને તેની ખરીદી પણ ઘરે બેઠા કરી શકશે. જીજેઇપીસી ગુજરાત રિજિયને આજે સુરત ડાયમંડ બુર્સમાં ઇન્ડીયા રફ ડાયમંડ શૉનો આરંભ કર્યો હતો.

સુરત કે જ્યાં હીરાની એક પણ ખાણ નથી આમ છતાં વિશ્વના દર 10માંથી 9 કાચા હીરા કટ એન્ડ પોલિશ થાય છે, એ સુરતના હીરા ઉદ્યોગમાં પહેલી વખત રફ ડાયમંડની સૌથી મોટી ઇન્વેન્ટરીનું એક્ઝિબિશન કમ સેલ યોજવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગતો આપતા જીજેઇપીસીના ગુજરાત ચેરમેન જયંતિ સાવલિયા, દિનેશ નાવડીયા, હિતેશ શાહ, રજત વાણી સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જીજેઇપીસીને 35 દિવસની પરવાનગી આપી છે તેઓ વિદેશી કંપનીઓને સુરતમાં સુરત ડાયમંડ બુર્સ ખાતે તેડાવીને તેમની પાસે ઉપલબ્ધ રફ ડાયમંડ્સના જથ્થાનું વેચાણ કરવા અર્થે પ્રદર્શન, વ્યૂઇંગ કરી શકશે. હીરાનો જથ્થો લઇને આવનાર વિદેશી કંપનીઓ પાસેથી ન તો જીએસટી વસૂલ કરાશે કે ન તો કોઇપણ પ્રકારનો ટેક્સ કે ડ્યૂટી વસૂલ કરવામાં આવશે. વિદેશી કંપનીઓ અહીંયા ફક્ત સુરતના ઉદ્યોગકારો, વેપારીઓને પોતાના રફ ડાયમંડના પાર્સલો બતાવી શકશે. રફ ડાયમંડનું વ્યૂઇંગ, પ્રદર્શન પૂર્ણ થઇ ગયા બાદ કંપનીઓ પોતાનો જથ્થો પુનઃ પોતાના હેડક્વાર્ટર દેશમાં પરત લઇ જશે અને ત્યાંથી તેની ઓનલાઇન હરાજી-બિડીંગ કરશે અને જેણે ઉંચી રકમની બોલી લગાડી છે એ ગ્રાહકને તેના સરનામે માલ પહોંચતો કરશે.

આ પ્રકારે સુરતમાં પહેલી વખત રફ ડાયમંડ્સના રૂ.1000 કરોડનો જંગી જથ્થો 35 દિવસ દરમિયાન સુરતમાં આવશે. અને સુરત ડાયમંડ બુર્સની પ્રીમાઇસીસમાં તેનું પ્રદર્શન યોજાશે. હાલમાં દુબઇની કંપનીને 6 દિવસના બે સ્લોટ તેમજ ઇઝરાયેલની એક કંપનીને 6 દિવસનો એક સ્લોટ ફાળવવામાં આવ્યો છે. હજુ 6 દિવસનો એક સ્લોટ ખાલી રહે છે, આ ખાલી સ્લોટ ફાળવણી માટે અનેક કંપનીઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે. સુરતમાં લાખો કેરેટ નેચરલ રફ ડાયમંડ્સનું એક્ઝિબિશન માટેની તમામ વ્યવસ્થા જીજેઇપીસી દ્વારા ઉભી કરવામાં આવી છે. કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયે સ્પેશ્યલ નોટીફાઇડ ઝોનને મળતી સુવિધા હંગામી રીતે 35 દિવસ માટે જીજેઇપીસીને કરી આપી છે.

યુદ્ધની આફત વચ્ચે સુરતે અવસર શોધી કાઢ્યોઃ દિનેશ નાવડીયા

સુરતમાં હીરા ઉદ્યોગપતિઓને નેચરલ રફ ડાયમંડ્સનો જથ્થો સુરતમાં જ જોવા મળે અને સુરતથી જ તેની બોલી લગાડી શકાય તે માટેની સ્પેશ્યલ સુવિધા વિકસાવવામાં મહત્વની ભૂમિકા અદા કરનાર હીરા ઉદ્યોગ અગ્રણી દિનેશ નાવડીયાએ જણાવ્યું કે મિડલ ઇસ્ટના યુદ્ધની નકારાત્મક અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. અમે આ આફત વચ્ચે અવસર શોધી કાઢ્યો અને કેન્દ્ર સરકારને રજૂઆત કરી કે જ્યાં વિશ્વના 90 ટકા હીરાનું કટીંગ પોલિશિંગ થાય છે તે સુરતમાં જ રફ ડાયમંડનું ટ્રેડિંગ હબ વિકસાવવું હોય તો હાલમાં દુબઇનો કારોબાર સદંતર બંધ છે, દુબઇની કંપનીઓ રફ ડાયમંડ વેચવા માટે સુરત આવવા માટે તૈયાર છે, કેટલીક છૂટછાટ આપવામાં આવે તો આ શક્ય છે. જીજેઇપીસી સુરતના નેજા હેઠળ કેન્દ્ર સરકારને રજૂઆત કર્યાના ગણતરીના દિવસોમાં જ 35 દિવસ માટે જીજેઇપીસીને આ અવસર મળી ગયો. હાલમાં હીરા ખરીદી માટે કોઇ દુબઇ જઇ શકતું નથી કે જવાની હિંમત કરી શકતું નથી, એટલે ઉદ્યોગકારોને સુરતમાં જ 1000 કરોડ રૂપિયાના રફ ડાયમંડનો જથ્થો ખરીદવા માટેની તક સાંપડી છે.

નેચરલ રફ હીરા ખરીદવા દુબઇ, બેલ્જિયમ, ઇઝરાયેલા, કેનેડા નહીં જવું પડે

અત્યારે સુરતના હીરા ઉદ્યોગપતિઓ અગર તો તેમના પરચેઝ સ્ટાફે નેચરલ રફ ડાયમંડ્સ ખરીદવા માટે નિયમિત રીતે દુબઇ, બેલ્જિયમ, ઇઝરાયેલ, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં અવારનવાર જવું પડે છે. હવાઇ ટિકીટ, એકોમોડેશન, ટ્રાન્સપોર્ટેશન અને સમય પછી રફ હીરાની ક્વોલિટી કે પ્રાઇસ અનુકૂળ ન આવે તો ફેરો ફોગટ જાય છે. આવી સ્થિતિમાં જો રફ ડાયમંડ્સની હરાજી નિયમિત રીતે સુરતમાં જ યોજાવાનું શરૂ થઇ જાય તો ઉદ્યોગપતિઓ કે તેમના સ્ટાફે હીરાની ખરીદી માટે અવારનવાર વિદેશોમાં લાખો રૂપિયા ખર્ચીને જવું ન પડે. તેઓ સુરતમાં જ હીરા જોઇ, ચકાસીને ખરીદી કરી શકે તો મોટી રકમની બચત થઇ શકે એમ હીરા ઉદ્યોગપતિ હિતેશ શાહે જણાવ્યું હતું.

July 7, 2024
Cia-SDB-1.jpeg
1min345

સુરત ડાયમંડ બુર્સમાં મિનીબજાર કે મહિધરપુરા હીરા બજાર (દલાલ સ્ટ્રીટ) જેવો માહોલ ઉભો કરવાનો પ્રયાસ

સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન અને પ્રવક્તા ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ પટેલનો વિડીયો મેસેજ

હીરા બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઇ પટેલે કહ્યું કે સુરત હીરા બુર્સમાં દલાલ મહિધરપુરા અને મિનિબજારમાં જે રીતે નાના વેપારીઓ, દલાલો હીરાની લે-વેચ કરી રહ્યા છે તેવી જ રીતે તેઓ સુરત ડાયમંડ બુર્સમાં હીરાની લેવેચ કરવા આવી શકે તે માટે તેમને ટેબલ ખુરશી મૂકી શકાય તેટલી જ જગ્યા કે નાના વેપારીને ફક્ત ત્રણ ચાર લોકો બેસી શકે તેવી 50 સ્કે.ફૂટ જેટલી નાની ઓફિસની જગ્યા પણ એલોટ કરવામાં આવી રહી છે. એથી વિશેષ કતારગામ અને મિનિબજારથી દરરોજ સુરત ડાયમંડ બુર્સ સુધી નોન સ્ટોપ બસ સેવા પણ શરૂ કરી દેવામાં આવી છે. દર દોઢ કલાકે બસ સુવિધા ઉપલબ્ધ બનશે જેથી કરીને હીરાના કારોબાર સાથે સંકળાયેલા નાના સ્તરના વ્યવસાયીઓ, ધંધાર્થીઓ પણ સુરત ડાયમંડ બુર્સમાં કામકાજ કરવા માટે ડેઇલી આવી શકે.

વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ કે વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ મેળવી ચૂકેલું સુરતના ખજોદ સ્થિત ડાયમંડ બુર્સમાં આજે અષાઢી બીજના પવિત્ર દિવસે સુરતના 250 દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓએ પોતાની હીરા વેચાણની ઓફિસો શરૂ કરી હતી. આ સાથે જ વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગમાં માણસોની અવરજવર વધે તે માટે મોટું પરિવર્તન એ કરવામાં આવ્યું કે હવે સુરત ડાયમંડ બુર્સમાં નાનામાં નાના હીરા દલાલ કે જેને ઓફિસની જરૂર નથી તેના માટે એક ટેબલ ખુરશી જેટલી જગ્યા પણ ફાળવવામાં આવશે અને નાના વેપારી કે જેને માંડ 50 ચો.ફૂટ જેટલી નાની ઓફિસની જરૂરીયાત છે તેમને 50 સ્કે.ફૂટ જેટલી નાની ઓફિસ પણ ફાળવી આપવામાં આવશે.

21મી નવેમ્બર 2023ના દિવસે સુરત ડાયમંડ બુર્સના તત્કાલિન ચેરમેન કિરણ જેમ્સના વલ્લભભાઇ એસ. પટેલે પોતાની ઓફિસ સાથે કેટલાક હીરા ઉદ્યોગપતિઓએ પણ પોતાની ઓફિસો શરૂ કરી હતી. એ પછી પહેલા તબક્કાનું ઉદઘાટન હીરા બુર્સને ધમધમતું કરી શક્યું નહીં એટલે આજે બીજા તબક્કામાં 7મી જુલાઇને અષાઢી બીજનો દિવસ પસંદ કરીને સુરત ડાયમડં બુર્સના વર્તમાન ચેરમેન ગોવિંદ ધોળકિયા સમેત 250 હીરા ઉદ્યોગપતિઓએ સુરત ડાયમંડ બુર્સમાં પોતાની ટ્રેડીંગ ઓફિસ શરૂ કરી છે. સુરત હીરા બુર્સનો વહીવટ કરી રહેલા વર્તમાન પદાધિકારીઓએ આ પ્રસંગે જણાવ્યું કે રાતોરાત હીરા બુર્સની બધી ઓફિસો શરૂ થઇ જાય તેવી સ્થિતિ નથી.

સુરત હીરા બુર્સના સેકન્ડ ઓપનિંગ પ્રસંગે ચેરમેન અને રાજ્યસભાના સભ્ય ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે દિવાળી સુધીમાં 1000 ઓફિસ શરૂ થઇ જશે તેવી મને આશા છે, આગામી એક વર્ષમાં 2000થી વધુ ઓફિસો શરૂ થઇ જશે. 4 હજાર ઓફિસો શરૂ થતા 2,3, 4 વર્ષ પણ લાગી જાય તેવી સ્થિતિ છે.

September 29, 2023
jiviba_cialive.jpg
1min542

SDB સુરત ડાયમંડ બુર્સ પર જઇને વલ્લભાઇ પટેલે એક હીરા ઉદ્યોગપતિના માતૃશ્રી જીવીબાની લાગણી શેર કરી, જીવીબાએ ભગવાનને વિનવણી કરી સૌનું કલ્યાણ કરજો (સી.આઇ.એ લાઇવ 9825344944)

હીરા ઉદ્યોગે સુરત, સોરાષ્ટ્ર, મુંબઇના લોકોને શું આપ્યું છે એનો અહેસાસ જો કોઇને સૌથી વધુ પ્રમાણમાં થયો હોય તો એ હીરા ઉદ્યોગના દિગ્ગજ કિરણ જેમ્સના વલ્લભભાઇ એસ. પટેલે એક હીરા ઉદ્યોગપતિના 97 વર્ષિય માતૃશ્રી જીવીબાની શેર કરેલી લાગણીસભર પોસ્ટ વાઇરલ થઇ છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિના માતૃશ્રી જીવીબાએ હીરા ઉદ્યોગે શું આપ્યું છે તેનો માર્મિક ખ્યાલ તો આપ્યો જ પરંતુ, હીરા ઉદ્યોગનો ઋણ સ્વીકાર પણ એવી રીતે કર્યો કે આખું વિશ્વ જોતું રહી ગયું. જીવીબાએ વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે સાકારીત થવા જઇ રહેલા સુરત ડાયમંડ બુર્સ પર જઇને ભગવાનને વિનંતી કરી કે અહીં સૌનું કલ્યાણ કરજો.

જીવીબા એ કહ્યું હિરાએ ગામના નળિયાવાલા ઘરને પાકા ધાબાવાલા ઘર આપ્યા, બળદના પુછડા આમળતાને મોટા માણસ બનાવ્યા

આ તસ્વીરમાં જે ઘરડાં બા દ્રશ્યમાન છે એ સુરતના હીરા ઉદ્યોગના દિગ્ગજ અને સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ એસ. પટેલના માતૃશ્રી જીવીબા છે. તેમની ઉંમર 97 વર્ષની છે. (સી.આઇ.એ લાઇવ 9825344944) હીરા ઉદ્યોગે સુરત, સોરાષ્ટ્રના લોકોને શું આપ્યું એની કદાચ સૌથી વધુ પ્રતિતી જો કોઇએ કરી હોય તો એ જીવીબા છે. અને એટલે જ એમણે 97 વર્ષની ઉંમરે હીરા ઉદ્યોગ પ્રત્યે પોતાનો કૃતજ્ઞતાનો ભાવ એવી રીતે પ્રગટ કર્યો કે આખું વિશ્વ જોતું રહી ગયું. તેમણે સુરત ડાયમંડ બુર્સ પર જઇને ભગવાનને વિનંતી કરી કે સૌનું ભલું કરજો. (સી.આઇ.એ લાઇવ 9825344944)

સીઆઇએ લાઇવ 98253 44944

SDBના ચેરમેન વલ્લભભાઇ પટેલે વ્હોટ્સએપ પર એક હીરા ઉદ્યોગપતિએ તેમને મોકલેલી લાગણીસભર પોસ્ટ શેર કરી

સીતારામ પ્રણામ

મારા માતૃશ્રી જીવીબા (૯૭ વર્ષ ) એ એક વર્ષ પહેલા અચાનક નવા હિરા બજાર સ્થાને લઇ જવા મને કહ્યું મે બા ને પૂછ્યું ત્યાં શા માટે જાવું છે? બા એ કહ્યું હિરાએ ગામના નળિયાવાલા ઘરને પાકા ધાબાવાલા ઘર આપ્યા, બળદના પુછડા આમળતાને મોટા માણસ બનાવ્યા. આવી વાત કરતા એમણે કહ્યું નવી જગ્યાએ જઇ ભગવાનને વિનવણી કરીશ આ જગ્યાએથી બધાનું કલ્યાણ થાય વડીલોની લાગણીને આપને વ્યક્ત કરી.

July 19, 2023
Cia_business_news-1280x936.jpg
1min652

જયેશ બ્રહ્મભટ્ટ 9825344944

સુરત ડાયમંડ બુર્સને વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ તરીકે વિશ્વમાં પ્રસિદ્ધિ મળી રહી છે ત્યારે આ બિલ્ડીંગની કેટલીક અજાણી વાતો પર નજર કરીએ તો કુલ 3400 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ થયો છે સુરત હીરા બુર્સના નિર્માણ પાછળ પરંતુ, મેનેજમેન્ટ એ રીતે કરવામાં આવ્યું છે કે એક પણ રૂપિયાની લોન લેવી પડી નથી. વિશ્વમાં એવો પ્રાઇવેટ સેક્ટરનો, સહકારી સેક્ટરનો એવો કોઇ મોટો પ્રોજેક્ટ નથી સાકાર થયો કે જે લોન ધિરાણ વગર સાકાર થયો હોય. સહકારી ધોરણે તૈયાર થયેલું સુરત હિરા બુર્સ સમગ્ર વિશ્વના કો ઓપરેટીવ સેક્ટર માટે એક અજોડ મિશાલ છે. 4200થી વધુ લોકોને 8થી વધુ વર્ષો સુધી શિસ્તબદ્ધ રીતે પ્રોજેક્ટમાં જકડી રાખવા એ કોઇ ખાવાના ખેલ નથી. આમ છતાં ડાયમંડ બુર્સના મેનેજમેન્ટે પ્રોજેક્ટ સાકાર કરી દેખાડ્યો છે. સૌરાષ્ટ્રવાસીઓએ એટલું સામર્થ્ય ઉજાગર કરી દેખાડ્યું છે કે તેઓ રચનાત્મક બાબતમાં અકલ્પ્યને સાકાર કરી દેખાડી શકે.

આ સમગ્ર ફાઇનાન્સીયલ મેનેજમેન્ટ કેવી રીતે થયું એ જોઇએ તો 2014માં ડાયમંડ બુર્સ માટે ડીમાંડ સરવે હાથ ધરવામાં આવ્યો હતો. ડીમાંડ સરવેમાં 10 હજારથી વધુ લોકોએ ઓફિસ લેવાની ઇચ્છા દર્શાવી હતી. એ પછી પહેલો હપ્તો જમા કરાવવાની વાત આવી ત્યારે તેમાંથી અડધો અડધ લોકો ખસી ગયા હતા. રૂ.1200 પ્રતિ સ્કવેરફૂટ લેખે જ્યારે આયોજકોએ હપ્તાની રકમ જમા કરાવવા માટે કહ્યું ત્યારે 4200 જેટલા લોકો રહી ગયા હતા. એ પછી સમગ્ર પ્રોજેક્ટમાં જેમ જેમ ખર્ચ થતો ગયો તેમ તેમ ઓફિસ બુક કરાવનારા પાસેથી હપ્તા વસૂલાયા હતા. 

ન તો કેન્દ્ર સરકારનો એક રૂપિયો કે ન તો ગુજરાત સરકારની ગ્રાન્ટ

સુરત ડાયમંડ બુર્સનો પ્રોજેક્ટ એ સંપૂર્ણપણે સહકારી (કો-ઓપરેટીવ) ધોરણે હાથ ધરાયેલો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં ન તો કેન્દ્ર સરકારની એક રૂપિયાની ગ્રાન્ટ મળી છે ન તો ગુજરાત સરકારની કોઇ રકમ મળી છે. તમામ રૂપિયા ઓફિસ ધારકોએ જ્યારે મગાયા ત્યારે આપ્યા છે. હા એ વાત ચોક્કસ છે કે ગુજરાત સરકારે કાયદાકીય પ્રક્રિયાઓમાં ગ્રીન ચેનલ સ્થાપી આપી છે. વિશ્વમાં સહકારી સેક્ટર માટે આ પ્રોજેક્ટ એક બેનમૂન ઉદાહરણ છે.

67 લાખ સ્કવેરફૂટનું બાંધકામમાં 131 લિફ્ટ છે

સુરત ડાયમંડ બુર્સમાં બાંધકામ એટલું વ્યાપક કરવામાં આવ્યું છે કે જ્યારે તેની ગણતરી માંડવામાં આવી ત્યારે 67 લાખ સ્કવેરફૂટ થયું છે. 4200 જેટલી નાની મોટી ઓફિસો ઉપરાંત રેસ્ટોરેન્ટથી લઇને બેઝિક એમિનીટીઝ તથા બુર્સ મેનેજમેન્ટ ઓફિસ કાર્યરત કરવામાં આવી રહી છે. સમગ્ર બુર્સ માટે એક અલાયદું જ કસ્ટમ હાઉસ પણ આકાર લઇ રહ્યું છે. આ સમગ્ર સંકુલમાં 131 લિફ્ટ ઇન્સ્ટોલ કરવામાં આવી છે જે એટલી હાઇટેક હશે કે મુલાકાતીઓએ ગંતવ્ય ફ્લોર પર પહોંચવા માટે પોતે એક પણ સ્વીચ દબાવવી નહીં પડે. પંચ તત્વની થીમ પર અઢી વીંઘા જગ્યામાં જુદા જુદા ગાર્ડન ડેવલપ કરવામાં આવ્યા છે.

350 કરોડથી વધુનો તો જીએસટી ભર્યો, એફએસઆઇમાં પણ કરોડો ચૂકવ્યા

સુરત ડાયમંડ બુર્સથી કેન્દ્ર અને રાજ્ય સરકારને જબ્બરદસ્ત આવક થઇ છે. એફએસઆઇ તરીકે કરોડો રૂપિયા રાજ્ય સરકારની તિજોરીમાં જમા થયા છે એટલું જ નહીં પણ રૂ.350 કરોડની જંગી રકમનો જીએસટી પણ ગુજરાત અને કેન્દ્ર સરકારની તિજોરીમાં ફક્ત બાંધકામ મટીરીયલ તેમજ બુકિંગમાંથી મળ્યા છે.

પીએમ મોદીએ કરેલી રીટ્વીટથી માહોલ બની ગયો

વિશ્વ પ્રસિદ્ધ મિડીયા હાઉસે સુરતના ડાયમંડ બુર્સના વિડીયો સાથે સોશ્યલ મિડીયા ટ્વીટર પર પોસ્ટ કર્યું હતું કે વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગનું બિરુદ અમેરીકનના આર્મી હેડક્વાર્ટર પેન્ટાગોન પાસે હતું, જે હવે સુરતમાં બનેલા સુરત ડાયમંડ બુર્સે હસ્તગત કરી લીધું છે. મિડીયા હાઉસે આ ટ્વીટ તા.18મી જુલાઇએ પોસ્ટ કરી હતી, આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એને રીટ્વીટ કરતા પોતાનું નિવેદન પોસ્ટ કર્યું હતું કે અનેક પરીમાણોમાં સુરતનું હિરા બુર્સ બેજોડ છે.નરેન્દ્ર મોદીએ આજે બપોરે વિશ્વપ્રસિદ્ધ મિડીયા હાઉસની ટ્વીટને રીટ્વીટ કરતા જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ બોર્સ સુરતના હીરા ઉદ્યોગની ગતિશીલતા અને વૃદ્ધિ દર્શાવે છે. તે ભારતની ઉદ્યોગસાહસિક ભાવનાનો પણ પુરાવો છે. તે વેપાર, નવીનતા અને સહયોગ માટે એક હબ તરીકે સેવા આપશે, આપણી અર્થવ્યવસ્થાને વધુ વેગ આપશે અને રોજગારીની તકોનું સર્જન કરશે.નરેન્દ્ર મોદીએ આ ટ્વીટ કરતા જ સમગ્ર દેશમાં સુરતના હીરા ઉદ્યોગના આ બેનમૂન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પોસ્ટ ભારે વાઇરલ થઇ હતી. મુંબઇ, દિલ્હી, કોલકત્તા જેવા મેટ્રો સિટીના ગણ્યમાન્ય લોકોએ સુરતના હીરા બુર્સને લગતી પોસ્ટ સોશ્યલ મિડીયામાં મૂકવામાં માંડી હતી.સુરતના હીરા બજારમાં તો આજે આ પોસ્ટ એટલી વાઇરલ થઇ હતી કે મિનીબજારથી લઇને મહિધરપુરા હીરા બજાર સુધી સુરત ડાયમંડ બુર્સની જ ચર્ચા થતી સાંભળવા મળી હતી. સુરતના હીરા ઉદ્યોગકાર અને ડાયમંડ બુર્સ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે ગુજરાતીઓ હંમેશા માટે કંઇક નવું સર્જન કરવા, કંઇક નવું પ્રદાન કરવા માટે જાણિતા છે, સુરત ડાયમંડ બુર્સને આ જ કારણથી આકાર મળ્યો છે. હવે ટૂંક સમયમાં જ સુરતના હીરા બુર્સમાં એક જ સંકુલમાં સવા લાખ જેટલા લોકો હીરાનો વેપાર કરતા જોવા મળશે એ દ્રશ્ય પણ અદ્વિતીય બની રહેશે.

January 21, 2022
Cia_business_news-1280x936.jpg
2min536

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતના એરપોર્ટ નજીક આકાર પામી રહેલા સુરત હિરા બુર્સનો હજુ તો આરંભ થયો નથી એ પહેલા જ કારભારીઓની અણઆવડતને કારણે સુરત ડાયમંડ બુર્સ મોટા વિવાદમાં સપડાય રહી છે. સુરત હિરા બુર્સને ધમધમતું કરવા માટે સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ લાખાણીના નામે એક સરક્યુલર ઇશ્યુ કરવામાં આવ્યો હતો અને તેમાં મુંબઇના ભારત ડાયમંડ બુર્સમાંથી ધંધો બંધ કરીને સુરત શિફ્ટ થનારા હીરા ઉધોગકારોને કેટલીક લલચામણી ઓફર આપવામાં આવી હતી. મુંબઇના હીરા ઉદ્યોગપતિઓમાં સુરત ડાયમંડ બુર્સના સંચાલકોની એવી પ્રતિષ્ઠા ખરડાઇ છે કે લોકો એવું કહી રહ્યા છે કે હજુ તો સુરત ડાયમંડ બુર્સ શરૂ થયું નથી ને આવી હરકતો કરે છે જો આ ડાયમંડ બુર્સ સેટ થઇ જશે પછી તો સુરત ડાયમંડ બુર્સવાળા ઝાલ્યા નહીં ઝલાય.

સુરત ડાયમન્ડ બુર્સ

સુરત હીરા બુર્સના કેટલાક કારભારીઓનો આ મોટો દાવ હતો પણ હવે એટલે આ દાવ ખોટો પડ્યો છે કેમકે મામલો ગુજરાત હિરા બુર્સ અને શિવસેના સુધી પહોંચી ચૂક્યો છે. મુંબઇ સ્થિત ભારત હિરા બુર્સના આગેવાનોએ તો ત્યાં સુધી કહી દીધું છે કે સુરત ડાયમંડ બુર્સને અમે ભાઇ ગણ્યો હતો પણ સુરત ડાયમંડ બુર્સના મેનેજમેન્ટની હરકતો જોતા એ હવે ભારત પાકિસ્તાન જેવો કટ્ટરવાદ ફેલાવી રહી છે. સુરત ડાયમંડ બુર્સના કારભારીઓની અણઆવડતને કારણે આ સમગ્ર વિવાદ હવે રાજકીય સ્વરૂપ પકડી રહ્યો છે.

મુંબઇના હિરા બુર્સનું કામકાજ સંકેલીને કોઇ સુરત જાય એ વાતમાં માલ નથી

મુંબઇ સ્થિત ભારત હીરા બુર્સના અગ્રણીનું કહેવું છે કે સુરત ડાયમંડ બુર્સના મેનેજમેન્ટનો સરક્યુલર મોટી નાદાની સમાન છે. મુંબઇમાં ભારત ડાયમંડ બુર્સ કયા લેવલ પર કામ કરે છે તેની જરાય માહિતી હોત તો આવો સરક્યુલર કાઢવાની કોઇએ કલ્પના કરી ના હોત પરંતુ, એ વાત હકીકત છે કે સુરત ડાયમંડ બુર્સનું કામકાજ સંકેલીને સુરત ડાયમંડ બુર્સમાં કોઇ જાય એ વાતમાં માલ નથી. હા, એવું જરૂર બને કે મુંબઇના હીરા ઉદ્યોગપતિઓ સુરત ડાયમંડ બુર્સમાં બ્રાન્ચ કે બીજા નામથી ધંધો શરૂ કરે. કેટલાક લોકો જેને મુબઇમાં ફાવટ નથી અથવા નિષ્ફળ નિવડ્યા હોય તેઓ સુરત જાય એ સ્વાભાવિક છે.

સુરત ડાયમંડ બુર્સના સરક્યુલરથી ખોટો મેસેજ ગયો હવે ખુલાસા કરતા થઇ ગયા છે

મુંબઇના હીરા બુર્સમાં કામકાજ કરતા રજનીકાંતભાઇએ જણાવ્યું કે મુંબઇના ભારત હીરા બુર્સ સાથે સરખામણી કરીને જ સુરત ડાયમંડ બુર્સના મેનેજમેન્ટે એટલી મોટી ભૂલ કરી દીધી છે કે હવે પોતાની ઇમેજ ક્લીયર કરવા માટે કેટલાક ઉદ્યોગપતિઓ ખુલાસા કરતા થઇ ગયા છે. ભારત હીરા બુર્સ કેટલા વર્ષથી, કયા લેવલ પર કામ કરે છે, ભારત હીરા બુર્સમાં એક ટેબલ જેટલી જગ્યા લેવામાં સુરત હીરા બુર્સની કેટલી જગ્યા મળી જાય એનો જો ખ્યાલ હોત તો સુરતના હીરા બુર્સવાળાઓએ ખોટો દાવ રમવાની હિંમત ના કરી હોત.

સુરતનાને સુરતના જ ઉધોગપતિઓ હશે સુરત ડાયમંડ બુર્સમાં

ભારત હીરા બુર્સના જાણકારો કહે છે કે સુરતમાં બની રહેલા હીરા બુર્સમાં સુરતના ને સુરતના જ હીરા ઉદ્યોગપતિઓની ઓફિસો હશે. હાલમાં સુરતના ઉદ્યોગપતિઓ મુંબઇ અને વિદેશોમાં પણ ઓફિસ ધરાવે છે એમ હવે તેમની એક બ્રાન્ચ સુરત ડાયમંડ બુર્સમાં હશે. બાકી મુંબઇના ભારત ડાયમંડ બુર્સનું કામકાજ છોડીને કોઇ સફળ વ્યક્તિ સુરત આવે તેવું માનવું ભૂલ ભરેલું છે. સુરત ડાયમંડ બુર્સવાળાએ સમજવું જોઇએ કે એક વખત પ્રોજેક્ટ શરૂ થઇ ગયાના પાંચ સાત વર્ષ બાદ તેમને ખ્યાલ આવશે કે પ્રોજેક્ટ કયા રસ્તે જઇ રહ્યો છે.

મુંબઇ મીડ-ડેના અહેવાલે હીરા ઉદ્યોગમાં ભારે હલચલ મચાવી

મુંબઇથી પ્રસિદ્ધ થતા મીડ-ડે અખબારની તા.20 જાન્યુઆરી 2021ની આવૃતિમાં મુખપુષ્ઠ પર ઉપરોક્ત અહેવાલ છપાયો હતો. જે મુંબઇના હીરા ઉદ્યોગપતિઓ, મુંબઇના ભારત ડાયમંડ બુર્સમાં કામકાજ કરતા હીરા વ્યવસાયિકોથી લઇને શિવસેના અને ગુજરાતી વર્ગમાં ખૂબ વાઇરલ થયો છે. એ પછી જ સુરત ડાયમંડ બુર્સના સંચાલકોને ખ્યાલ આવ્યો કે તેમનો દાવ ખોટો પડ્યો છે અને હવે સુરત ડાયમંડ બુર્સ શરૂ થાય એ પહેલા જ મોટા વિવાદમાં પ્રોજેક્ટ સપડાઇ ચૂક્યો છે.

સુરત ડાયમંડ બુર્સવાળાની હરકત અશોભનીય છે

ભારત ડાયમન્ડ બુર્સ (બીડીબી)ના ટ્રેઝરર અનુપ ઝવેરીએ સુરત ડાયમન્ડ બુર્સના સરક્યુલર વિશે મુંબઇના ‘મિડ-ડે’ અખબારને કહ્યું હતું કે ‘આ જરાય વાજબી નથી. વ્યાપારી માણસ આવું કરે નહીં. આવું તો ઝઘડાળુ વ્યક્તિ જ કરી શકે. તેમનું વર્તન વેપારીને શોભે એવું નથી.’ અહીંના વેપારીઓને રોકવા માટે આપણે કોઈ ઑફર કરવાના છીએ કે કોઈ સવલત આપવાના છીએ? એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘આપણે કોઈને રોકવાના નથી. જેમને અહીં ફાવે તેઓ અહીં કામ કરે અને જેમને ત્યાં ફાવે તેઓ ત્યાં કામ કરે. લોકો આખી દુનિયામાં અલગ-અલગ જગ્યાએ કામ કરે જ છે. અત્યાર સુધી અમે તો સુરત ડાયમન્ડ બુર્સને અમારો ભાઈ જ માનતા હતા કે ચાલો, અહીં પણ કામ થશે અને ત્યાં પણ કામ થશે. પણ હવે એ લોકો ભારત-પાકિસ્તાન કરી રહ્યા છે.’ આ મુદ્દા પર બીડીબી કોઈ ઍક્શન લેવાનું વિચારી રહી છે? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘આપણે વેપારી છીએ. આપણે વેપાર પર ધ્યાન આપવાનું હોય, ઝઘડામાં નહીં.’