રાંધણગૅસના ભાવમાં રૂપિયા ૧૪૪.૫નો ભડકો
ઘરેલુ વપરાશના રાંધણગૅસ (એલપીજી)ના ભાવમાં બુધવારે સિલિન્ડરદીઠ રૂપિયા ૧૪૪.૫નો વધારો કરાયો હતો. આમ છતાં, સરકારે એલપીજીના ઘરેલુ વપરાશકારોના લાભાર્થે સબસિડી (આર્થિક રાહત)માં પણ ભારે વધારો કર્યો હોવાથી ખાસ આર્થિક બોજ નહિ આવે.ઈંધણના વૈશ્ર્વિક ભાવમાંના વધારાને લીધે ઘરેલુ વપરાશના એલપીજીના ભાવમાં વધારો કરાયો હતો, પરંતુ સબસિડી પણ લગભગ બમણી કરવામાં આવતા ગ્રાહકને કોઇ મોટી આર્થિક અસર નહિ થાય.
સરકારી માલિકીની તેલ (ઑઇલ) કંપનીઓએ જણાવ્યું હતું કે રાંધણગૅસના ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડર (કોઠી)નો ભાવ અગાઉ રૂપિયા ૭૧૪ હતો, પરંતુ તે હવે વધારીને રૂપિયા ૮૫૮.૫૦ કરાયો છે.
અગાઉ, રાંધણગૅસના ભાવમાં ૨૦૧૪ના જાન્યુઆરીમાં સિલિન્ડરદીઠ રૂપિયા ૨૨૦નો વધારો કરીને તે રૂપિયા ૧,૨૪૧ કરાયો હતો અને તે પછીનો આ સૌથી મોટો ભાવવધારો છે.
દરેક પરિવારને દર વર્ષે ઘરેલુ વપરાશના રાંધણગૅસના ૧૪.૨ કિલોગ્રામના ૧૨ સિલિન્ડર માટે સરકાર આર્થિક રાહત આપે છે.
ઘરેલુ વપરાશના રાંધણગૅસના સિલિન્ડર પરની સબસિડી રૂપિયા ૧૫૩.૮૬થી વધારીને રૂપિયા ૨૯૧.૪૮ કરાઇ છે.
પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સબસિડી સિલિન્ડરદીઠ રૂપિયા ૧૭૪.૮૬થી વધારીને રૂપિયા ૩૧૨.૪૮ કરાઇ છે.
રાંધણગૅસના ઘરેલુ વપરાશકારોના બૅન્ક ખાતાંમાં સીધી જમા કરાવાતી આર્થિક રાહતને બાદ કરીએ તો સામાન્ય ઘરેલુ વપરાશકારને સિલિન્ડર રૂપિયા ૫૬૭.૦૨માં પડશે, જ્યારે પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને રૂપિયા ૫૪૬.૦૨માં મળશે.
સરકારે ઘરેલુ વપરાશમાં રાંધણગૅસનો ઉપયોગ વધારવા માટે પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના હેઠળ અંદાજે આઠ કરોડ લોકોને એલપીજીના જોડાણ આપ્યા છે.
સામાન્ય રીતે રાંધણગૅસના ભાવમાં દર મહિનાની પહેલી તારીખે ફેરફાર થાય છે, પરંતુ આ વખતે તેમાં આશરે બે અઠવાડિયાંનો વિલંબ થયો છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લીધે રાંધણગૅસના ભાવમાંના ફેરફારમાં વિલંબ કરાયો હોવાનું પણ કહેવાય છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now