
ભારતે શનિવારે અહીં વર્લ્ડ કપમાં પોતાની અંતિમ લીગ મૅચમાં શ્રીલંકાને ૩૯ બૉલ બાકી રાખીને ૭ વિકેટના માર્જિનથી હરાવી દીધું હતું. રોહિત શર્મા (૧૦૩ રન, ૯૪ બૉલ, બે સિક્સર, ૧૪ ફોર) અને કેએલ રાહુલ (૧૧૧ રન, ૧૧૮ બૉલ, એક સિક્સર, અગિયાર ફોર)ની ઓપનિંગ જોડીએ ૧૮૯ રનની વિક્રમજનક ભાગીદારીથી ભારતને શાનદાર વિજય અપાવ્યો હતો. આ જીત સાથે ભારત પૉઇન્ટ્સ-ટેબલમાં ઑસ્ટ્રેલિયાને હટાવીને પ્રથમ નંબરે આવી ગયું હતું.
શ્રીલંકાએ ઍન્જેલો મૅથ્યૂઝના ઝમકદાર ૧૧૩ રનની મદદથી ૭ વિકેટે ૨૬૪ રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે ત્રણ તેમ જ ટીમમાં આ વખતે પહેલી વાર લેવામાં આવેલા રવીન્દ્ર જાડેજાએ એક અને ભુવી, કુલદીપ તથા હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ લીધી હતી. જવાબમાં ભારતે ૪૩.૩ ઓવરમાં ત્રણ વિકેટના ભોગે ૨૬૫ રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો. વિરાટ કોહલી ૩૪ રને અને હાર્દિક પંડ્યા ૭ રને અણનમ રહ્યો હતો. રિષભ પંતે ૪ રનમાં વિકેટ ગુમાવી હતી.
વિરાટની ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કા અને રોહિતની પત્ની રિતિકાએ સ્ટૅન્ડમાં બેસીને શરૂઆતથી છેક સુધી મૅચ જોઈ હતી.
મૅન ઑફ ધ મૅચ રોહિત શર્મા માટે આ વિશ્ર્વ કપ યાદગાર બની ગયો છે. તેણે શનિવારે આ વર્લ્ડ કપમાં પાંચમી સદી ફટકારી હતી અને એક જ વિશ્ર્વ કપમાં પાંચ સેન્ચુરી ફટકારનારો તે વન-ડે જગતનો પહેલો ખેલાડી બન્યો હતો. તેણે કુમાર સંગકારાના ૨૦૧૫ વર્લ્ડ કપના ચાર સદીના વિક્રમને તોડી નાખ્યો હતો.
રોહિતે શનિવારે ૨૭મી વન-ડે સદી ફટકારી હતી.
સચિન તેન્ડુલકરે કુલ ૬ વર્લ્ડ કપમાં ૪૪ ઇનિંગ્સમાં ૬ સદી ફટકારી હતી, જ્યારે રોહિતનો આ બીજો જ વર્લ્ડ કપ છે અને તેણે બે વર્લ્ડ કપમાં કુલ ફક્ત ૧૬ ઇનિંગ્સમાં ૬ સેન્ચુરી ફટકારી છે જેમાંની પાંચ સદી આ વિશ્ર્વ કપમાં બની છે.
રોહિત હવે એક વર્લ્ડ કપમાં હાઇએસ્ટ ૬૭૩ રન (૨૦૦૩ વિશ્ર્વ કપ) બનાવવાના સચિનના વિક્રમને પણ ઓળંગવાની તૈયારીમાં છે. રોહિતના વર્તમાન વિશ્ર્વ કપમાં ૬૪૭ રન થયા છે અને તે સચિનથી ૨૬ રન જ દૂર છે.
ભારત આ વિશ્ર્વ કપમાં એકમાત્ર ઇંગ્લૅન્ડ સામે હાર્યું છે અને બાકીની ૮માંથી ૭ મૅચમાં વિજય મેળવ્યો છે અને ન્યૂ ઝીલૅન્ડ સામેની મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.












