અંધેરી સ્ટેશન પર તા.3જી જુલાઇએ બનેલી વોક-વે બ્રિજ તૂટી પડવાની થોડીક સેકન્ડો પહેલાં જ મુંબઇની એક લોકલ ટ્રેનની ઇમર્જન્સી બ્રેક મારીને હીરો બનેલા મોટરમૅન ચંદ્રશેખર સાવંત માટે રેલવેપ્રધાને જાહેર કર્યું પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. ચંદ્રશેખર સાવંતને તેમની ૨૭ વર્ષની સર્વિસમાં તેમણે ત્રણ વખત અવૉર્ડ મળી ચૂક્યા છે.
અંધેરી સ્ટેશન પાસેના ગોખલે બ્રિજનો ભાગ તૂટી રહ્યો હતો ત્યારે ચર્ચગેટ જઈ રહેલી લોકલ ટ્રેનનો મોટરમૅન આ લોકલમાં પ્રવાસ કરી રહેલા પૅસેન્જરો માટે તારણહાર બન્યો હતો. મોટરમૅન ચંદ્રશેખર સાવંતે સમયસૂચકતાનો ઉપયોગ કરીને ઇમર્જન્સી બ્રેક ન મારી હોત તો પડી રહેલો કાટમાળ ટ્રેન પર પડ્યો હોત અને મોટી જાનહાનિ સર્જાઈ હોત. રેલવેપ્રધાન પીયૂષ ગોયલે મોટરમૅન ચંદ્રશેખર સાવંતને પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

(ચંદ્રશેખર સાવંત કે જેણે ઇમરજન્સી બ્રેક મારીને 5000 મુસાફરોના જીવ બચાવ્યા)
મારી સામે ઉપરથી મોત પડી રહ્યું હતું અને મારા પર ૫૦૦૦ પૅસેન્જરની જવાબદારી હતી એમ જણાવતાં મોટરમૅન ચંદ્રશેખર સાવંતે કહ્યું હતું કે ‘સવારે અંધેરી રેલવે-સ્ટેશનથી ટ્રેનને બહાર કાઢી અને સ્પીડ વધારી જ રહ્યો હતો ત્યારે સામે બ્રિજનો ભાગ પડતો દેખાયો અને મેં ઇમર્જન્સી બ્રેક મારી હતી. ૨૭ વર્ષની સર્વિસમાં ત્રણ અવૉર્ડ મળી ચૂક્યા છે, પરંતુ ૫૦૦૦ પૅસેન્જરના જીવ બચાવ્યા એ મારા માટે અત્યાર સુધીનો સૌથી મોટો અવૉર્ડ હતો.’

બોરીવલીથી ચર્ચગેટ તરફ લોકલ જઈ રહી હતી ત્યારે દૂરથી ગોખલે બ્રિજનો હિસ્સો તૂટતો હોવાનું દેખાયું હતું એમ જણાવીને મોટરમૅન ચંદ્રશેખરે કહ્યું હતું કે ‘ઘટનાસ્થળથી માંડ ૬૦થી ૭૦ મીટરના અંતરે મારી ટ્રેન હતી. મેં ઇમર્જન્સી બ્રેક લગાડી અને અંદાજે ૫૦ મીટરના અંતરે ટ્રેન અટકી હતી. જો એકાદ-બે સેકન્ડ મોડું થાત તો અનર્થ થઈ જાત.’
બ્રિજ પડવાની અમુક ક્ષણ પહેલાં જ વિરાર-ચર્ચગેટની લોકલ ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી. અગાઉ ૨૦૦૯માં થાણે લોકલ પર કોપરીનો બ્રિજ તૂટી પડતાં મોટરમૅન સહિત બે જણનાં મૃત્યુ થયાં હતાં.





















