રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે સંસદના બન્ને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધતા જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર ઔદ્યોગિક વિકાસને નવું જોમ પૂરું પાડવા અને રોજગારીની નવી તક ઊભી કરવા માટે ટૂંક સમયમાં નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરશે.
તેમણે દેશની મહિલાઓની સમાનતા માટે ‘ટ્રિપલ તલાક’ અને ‘નિકાહ-હલાલા’ જેવા સામાજિક દૂષણ દૂર કરવા સરકાર કટિબદ્ધ હોવાનો દાવો કર્યો હતો.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે મોદી સરકાર કાળાં નાણાં સામેની ઝુંબેશ વધુ વેગવાન બનાવશે અને ભ્રષ્ટાચાર રોકવા માટે વધારે અસરકારક નીતિ ઘડી કાઢશે.
રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે સરકાર દ્રુતગતિ માર્ગ (એક્સ્પ્રેસવે) ઉપરાંત 35,000 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ કરશે.
આ ઉપરાંત, નવા સારા શહેરી માળખાના નિર્માણ દ્વારા રોજગારીની નવી તક ઊભી કરાશે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં ‘સાગરમાલા પ્રકલ્પ’ હેઠળ કાંઠાના વિસ્તારો અને આસપાસના બંદરોને જોડતા સારી ગુણવત્તાના રસ્તા તૈયાર કરાશે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પ્રદૂષણને નાથવા માટે ઇલેક્ટ્રૉનિક વાહનોના ઉત્પાદનને વધારવા પ્રોત્સાહન આપશે.
તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર રેલવે, વાહનવ્યવહાર ઝડપી બનાવવા ઉપરાંત ‘ઊડે દેશ કા આમ નાગરિક’ (ઉડાન) યોજના હેઠળ નાના શહેરોને વિમાનમાર્ગે જોડવાનું કાર્ય ઝડપી બનાવશે. રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે સરકાર લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે ધિરાણ મેળવવાનું વધુ સરળ બનાવશે.
તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકાર દેશની સલામતી વ્યવસ્થાને પ્રાધાન્ય આપશે. પાડોશી દેશમાંથી થતી ઘૂસણખોરીને રોકવા વધુ અસરકારક પગલાં ભરાશે. આ ઉપરાંત, નક્સલવાદને પણ ખતમ કરવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે દાવો કર્યો હતો કે ત્રાસવાદ સામેની લડતમાં વિશ્ર્વના અનેક દેશ હવે ભારતની સાથે છે. મસૂદ અઝહર જેવા આંતરરાષ્ટ્રીય ત્રાસવાદીઓ, તેઓના સંગઠનો અને સાયબર ગુના સામે પગલાં લેવાઇ રહ્યા છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ‘ટ્રિપલ તલાક’, ‘નિકાહ-હલાલા’ જેવા સામાજિક દૂષણને નાબૂદ કરીને દેશની મહિલાઓને સમાન અધિકાર અપાવશે.
તેમણે જણાવ્યું હતું કે આ વખતે 78 મહિલા સાંસદ તરીકે ચૂંટાઇ આવી છે. લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા આ વખતે સૌથી વધુ છે. ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાનને કારણે સ્ત્રીભ્રૂણ-હત્યામાં ઘણો ઘટાડો થયો છે.
તેમણે જણાવ્યું હતું કે મોદી સરકાર ‘રાષ્ટ્રીય આજીવિકા અભિયાન’ હેઠળની ‘દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય આજીવિકા યોજના’માં ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારની તક પૂરી પાડે છે. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાંની ત્રણ કરોડ મહિલાને રૂપિયા બે લાખ કરોડથી વધુનું કરજ અપાયું હતું. તેમણે સાંસદોને દેશના સામાન્ય નાગરિકોને પ્રેરણા મળે એ રીતે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારતને પોતાના નાગરિકો દ્વારા સ્વિટ્ઝર્લેન્ડ સહિતના 146 દેશમાં જમા કરાવાયેલા કાળાંને લગતી માહિતી મળી રહી છે. કોવિંદે જણાવ્યું હતું કે લોકપાલની નિમણૂક કરીને વહીવટી કામમાં પારદર્શકતા વધારાશે.
આ ઉપરાંત, સરકારી કામકાજમાં ટેક્નૉલૉજીનો ઉપયોગ પણ વધારવામાં આવશે. તેમણે મોદી સરકાર વતી દાવો કર્યો હતો કે દેશની જનતાએ 2014માં શરૂ થયેલા રાષ્ટ્રના ઝડપી વિકાસને વેગ આપવા માટે સરકારને ભવ્ય બહુમતીથી સત્તા પર બેસાડી છે.