CIA ALERT

ટ્રેન્ડિંગ Archives - Page 25 of 44 - CIA Live

December 6, 2021
omicron.jpg
1min558

ભારતમાં કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનના સંક્રમણમાં રવિવારે ઉછાળો જોવા મળ્યો. સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર રવિવાર મહારાષ્ટ્રમાં 7, રાજસ્થાનમાં 9 અને દિલ્હીમાં 1 વ્યક્તિને ઓમિક્રૉન વૅરિયન્ટનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ કરાઈ છે. આ સાથે જ ભારતમાં ઓમિક્રૉનના સંક્રમણના કેસની કુલ સંખ્યા 21 થઈ ગઈ છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આ વૅરિયન્ટને સતત ચિંતાનો વિષય ગણાવી રહ્યું છે. 3/12/21 ગત શુક્રવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે સંક્રમણની સંખ્યાના હિસાબે આ વૅરિયન્ટ ડેલ્ટા વૅરિયન્ટને પાછળ છોડી દેશે.

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના ઓમિક્રૉન વૅરિયન્ટના વધુ સાત કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતના અન્ય પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ઓમિક્રૉન વૅરિયન્ટના નવ કેસ નોંધાયા છે. નવા સાત કેસ પૈકી છ કેસ પીંપરી-ચિંચવાડમાં નોંધાયા છે અને એક કેસ પુણેનો હોવાનું જાણવા મળ્યું છે.

5/21/21 રવિવારે દેશની રાજધાની દિલ્હીમાં પણ ઓમિક્રૉન વૅરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ અગાઉ કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેસ નોંધાઈ ચૂક્યા છે.

કોરોના વાઇરસના આ નવા વૅરિયન્ટે સરકારની સાથે-સાથે સામાન્ય લોકોની ચિંતા પણ વધારી દીધી છે.

December 6, 2021
kohli.jpg
1min509

૫૪૦ રનના વિજયી લક્ષ્યાંકને પાર પાડવા ઊતરેલી ન્યુ ઝીલૅન્ડની ટીમ ચોથા દિવસે પહેલા સેશનમાં જ 167 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતને ન્યુઝીલેન્ડ સામેની બીજી ક્રિકેટ ટેસ્ટમેચ 372 રને જીતી લીધી હતી. ચાર જ દિવસમાં ટેસ્ટ મેચનો ખેલ ખતમ થઇ ગયો હતો. ભારતીય સ્પીનર્સ સામે ન્યુઝીલેન્ડની બાકી બચેલી પાંચેય વિકેટો તા.6 ડિસેમ્બરની સવારે ટેસ્ટમેચના ચોથા દિવસે ટપોટપ પડી ગઇ હતી.

ત્રીજા દિવસની રમતને અંતે ૪૫ ઑવરમાં ૧૪૦ રનમાં પાંચ વિકેટ ગુમાવી ઝઝુમી રહી હતી. ન્યુ ઝીલૅન્ડ વતી ડૅરિલ મિશૅલે (૯૨ બૉલમાં ૬૦ રન) બનાવ્યા હતા અને હૅન્રી નિકોલસ ૩૬ રન બનાવી અણનમ રહ્યો હતો. બંનેએ ત્રીજી વિકેટની ભાગીદારીમાં ૭૩ રન નોંધાવ્યા હતા. ભારત વતી રવિચંદ્રન અશ્ર્વિને ૨૭ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. સોમવારે મૅચનું પરિણામ આવી જશે તેવી ભારતીય ટીમને અપેક્ષા છે. અગાઉ ભારતે બીજી ઈનિંગમાં સાત વિકેટે ૨૭૬ રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ ઈનિંગમાં સદી ફટકારનાર મયંક અગ્રવાલ બીજી ઈનિંગમાં પણ ટૉપ સ્કૉરર રહ્યો હતો. તેણે ૬૨ રન બનાવ્યા હતા. 

December 6, 2021
hunting.jpg
1min482

લોકસભામાં સોમવારે રાજ્ય કક્ષાના પર્યાવરણ મંત્રી અશ્ર્વિની ચૌબેના જણાવ્યા મુજબ શિકારનો ભોગ બનીને મોતને ભેટતા વાઘની સંખ્યા ઘટી હતી, પરંતુ હાથીઓ વધુ પ્રમાણમાં શિકારનો ભોગ બન્યા હતા. ૨૦૧૮માં ૩૪, ૨૦૧૯માં ૧૭ જ્યારે ૨૦૨૦માં માત્ર ૭ વાઘ શિકારનો ભોગ બન્યા હતા. આથી ઊલટું હાથીની વાત કરીએ તો ૨૦૧૮-૧૯માં ૯, ૨૦૧૯-૨૦માં ૬ તો ૨૦૨૦-૨૧માં ૧૪ હાથીઓ શિકારનો ભોગ બન્યા હતા. જંગલમાં પ્રાણીઓની ગેરકાયદેસર થતી હેરફેર અને તેને કારણે થતી ધરપકડનું પ્રમાણ પણ ઓછું થયું છે. 
છેલ્લી વસતિ ગણતરી મુજબ ભારતમાં હાથીની સંખ્યા લગભગ ૨૭,૦૦૦ અને વાઘની સંખ્યા ૨૯૬૭ જેટલી છે.

    

December 4, 2021
izaj.jpg
1min502

એજાઝ પટેલના પરિવાર પાસે હજુ પણ મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં ઘર છે. તેની માતા ઓશિવપરાની એક શાળામાં ભણાવતી હતી. એજાઝ પોતે ઘણીવાર IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની મેચ જોવા માટે વાનખેડે સ્ટેડિયમ આવતો હતો. તેના મિત્ર મિશેલ મેકક્લેનાઘનનો આભાર, તેણે કેટલાક પ્રસંગોએ MI ખેલાડીઓને બોલિંગ પણ કરી. કોણ જાણતું હતું કે જ્યારે તે પોતે ન્યુઝીલેન્ડની ટેસ્ટ જર્સી પહેરીને વાનખેડે ખાતે બોલિંગ કરવા ઉતરશે ત્યારે તે તબાહી મચાવી દેશે. પટેલે પોતાની કિલર બોલિંગથી ટેસ્ટ ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે. તે ટેસ્ટની એક ઇનિંગમાં 10 વિકેટ લેનારો ત્રીજો ખેલાડી બની ગયો છે.

મુંબઈ ટેસ્ટના પ્રથમ દિવસે એકમાત્ર પટેલે વિકેટ લીધી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર પહેલા જ દિવસે પટેલનો શિકાર બન્યા હતા. પૂજારા અને કોહલી ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. બીજા દિવસે બોલિંગ કરવા આવેલા પટેલનો રંગ અલગ જ હતો. દિવસની શરૂઆતમાં રિદ્ધિમાન સાહાને પેવેલિયન પરત મોકલ્યો, પછી રવિચંદ્રન અશ્વિન. ટીમ ઈન્ડિયાનો સ્કોર 300 રન પણ નહોતો થયો કે સદીવીર મયંક અગ્રવાલ પણ પટેલની સ્પિનમાં કેચ થઈ ગયો. અત્યાર સુધી પટેલે 7 વિકેટ લીધી હતી. તેણે અક્ષર પટેલની આઠમી વિકેટ લીધી. ત્યારબાદ તેણે જયંત યાદવની વિકેટ પણ લીધી હતી. પછી મોહમ્મદ સિરાજને આઉટ થતાં જ પટેલ ઈતિહાસના પાનામાં નોંધાઈ ગયા.

ભૂતપૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેએ 1998-99માં પાકિસ્તાન માટે એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લીધી હતી. ક્રિકેટ ચાહકો સોશિયલ મીડિયા પર અનુમાન લગાવી રહ્યા હતા કે પટેલને કુંબલેના રેકોર્ડ સાથે મેચ કરતા જો કોઈ રોકી શકે છે તો તે રાહુલ દ્રવિડ છે. જો કેપ્ટન વિરાટ કોહલી દ્રવિડના કહેવા પર ઈનિંગ ડિકલેર કરશે તો ઈજાઝ આ રેકોર્ડની બરાબરી કરવાથી વંચિત રહી જશે. આ બાબતે રમુજી ટ્વીટ્સ પણ પુષ્કળ હતા.

December 4, 2021
kangana_ranaut-1280x720.jpg
1min510

અવારનવાર પોતાનાં ભડકાઉ વિધાનોથી વિવાદોમાં રહેનારી અભિનેત્રી કંગના રણૌતને આજે પંજાબમાં કિસાનોનાં પ્રચંડ વિરોધનો સામનો કરવો પડયો હતો. આજે તે મનાલીથી મુંબઈ જતી વખતે કીરતપુર સાહેબ ટોલ પ્લાઝા પાસે કારમાં પહોંચી ત્યારે કિસાનોનાં ટોળાએ તેનાં કાફલાને રોકી લીધો હતો. આ દરમિયાન નારાબાજી અને સૂત્રોચ્ચાર સાથે ખેડૂતો કંગના માફી માગે તેવી માગણી કરતાં રહ્યાં હતાં.

તનાવ વધતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આશરે બે કલાકનાં હંગામા બાદ આખરે કંગનાએ માફી માગી લીધા બાદ તેને ત્યાંથી જવા દેવામાં આવી હતી.

દેખાવકાર કિસાનોનું કહેવું હતું કે, એકથી વધુ વખત કંગનાએ ખેડૂતો માટે ગેરશબ્દો ભાંડયા છે. જ્યાં સુધી તે માફી ન માગે ત્યાં સુધી તેને આગળ જવા નહીં દેવાં માટે ખેડૂતો મક્કમ રહ્યા હતાં.’

December 3, 2021
image.jpeg
1min501
Ind vs nz 2nd test at mumbai virat kohli took drs but 3rd umpire did not  overturn field umpire decision out on zero - IND vs NZ: विराट कोहली को दिया  गलत

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારત સારી શરુઆત બાદ મુશ્કેલીમાં મુકાયુ છે.

ભારતીય ઓપનરોએ 80 રનની પાર્ટનરશિપ કર્યા બાદ ગિલ, પૂજારા અને કોહલીએ ટપોટપ વિકેટ ગુમાવી હતી.તેમાં પણ પૂજારા અને કોહલી ઝીરો પર આઉટ થયા હતા.કોહલીને ઝીરો રન પર સ્પિનર એઝાઝ પટેલની બોલિંગમાં વિવાદાસ્પદ રીતે એલબીડબલ્યુ આઉટ અપાયો હતો.

મળતી વિગતો પ્રમાણે ફિલ્ડ અમ્પાયરે કોહલીને એલબીડબલ્યુ આઉટ આપ્યા બાદ કોહલીએ રિવ્યૂ લીધો હતો.આ નિર્ણય વિવાદાસ્પદ લાગ્યો હતો.કારણકે બોલ બેટ પર અથડાઈને પેડ પર ગયો હોવાનુ લાગતુ હતુ.જોકે રિવ્યૂમાં થર્ડ અમ્પાયરે પણ કોહલીને આઉટ આપ્યો હતો.

નિર્ણયથી નાખુશ ભારતીય કેપ્ટન ફિલ્ડ અમ્પાયર અનિલ ચૌધરી પાસે ગયો હતો અને બંને વચ્ચે ખાસો સમય દલીલબાજી ચાલી હતી.જોકે છેવટે કોહલીએ પેવેલિયનનો રસ્તો પકડવો પડ્યો હતો.કોહલી ચાર બોલ રમીને ઝીરો પર આઉટ થયો હતો.

December 2, 2021
cbse.jpg
1min668

સેન્ટ્રલ બોર્ડની તા.1લી ડિસેમ્બરે ગુજરાતમાં ધો.12ના વિદ્યાર્થીઓની લેવાયેલી સમાજશાસ્ત્રની પરીક્ષામાં ગુજરાતના રમખાણો વિષય પર પૂછાયેલા એક પ્રશ્નએ ગુજરાતના રાજકારણ તેમજ સેન્ટ્રલ બોર્ડના તંત્રમાં મોટું રમખાણ સર્જ્યું છે. છેવટે સેન્ટ્રલ બોર્ડે એવી જાહેરાત કરી છે કે ગુજરાત રમખાણ પર અયોગ્ય સવાલ પૂછનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. સમગ્ર પ્રકરણ આ મુજબ જાણવા મળ્યું હતું.

સીબીએસઈએ બુધવાર તા.1લી ડિસેમ્બર 2021ના ધો. 12ની પરીક્ષામાં સમાજશાસ્ત્રના પ્રશ્ન પત્રમાં વિદ્યાર્થીઓને એ રાજકીય પક્ષનું નામ જણાવવા કહ્યું જેના કાર્યકાળમાં 2002માં ગુજરાતમાં કોમી મુસ્લિમ વિરોધી હિંસા થઈ હતી. સીબીએસઈએ આ પ્રશ્નને અયોગ્ય અને તેની ગાઈડલાઈન વિરુદ્ધનો ગણાવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)એ જણાવ્યું કે આ મામલે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સીબીએસઈની સત્ર કસોટીમાં ધો.12 સમાજશાસ્ત્રના પેપરમાં વિવાદિત પ્રશ્ન પૂછવામાં આવ્યા બાદ વિવાદ થતાં બોર્ડે પગલાં ભરવામાં આવશે એમ જણાવ્યું

સીબીએસઈએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, બુધવારે ધો. 12ના સમાજશાસ્ત્રની સત્ર કસોટીમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જે અયોગ્યો છે અને પ્રશ્ન પેપર તૈયાર કરવાની બાબતે બાહરના વિષય નિષ્ણાતો માટે સીબીએસઈની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરાયું છે. સીબીએસઈ આ ભૂલને સ્વીકારે છે અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે.

સીબીએસઈની ગાઈડલાઈન મુજબ પરીક્ષામાં પ્રશ્ન પત્રમાં પૂછવામાં આવતા પ્રશ્નો એકેડેમિક જ હોવા જોઈએ અને વર્ગ-ધર્મ-તટસ્થ હોવા જોઈએ. સામાજીક અને રાજકીય પસંદને આધારે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડે એવા કોઈ વિષયને છેડવો જોઈએ નહીં.

સીબીએસઈ ધો. 12ના સમાજશાસ્ત્રના પેપરમાં પૂછવામાં આવ્યું હતું કે, 2002 ગુજરાતમાં મોટાપાયે મુસ્લિમ વિરોધી હિંસા કઈ સરકારના કાર્યકાળાં થઈ? આ માટે જવાબના વિકલ્પ હતા. કોંગ્રે, ભાજપ, ડેમોક્રેટિક અને રિપબ્લિકન.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સાશનકાળમાં 2002માં ગોધા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બાને આગ ચાંપી દેવાયા બાદ રાજ્યમાં વ્યાપક કોમી રમખાણ ભડક્યા હતા. ટ્રેનમાં આગની ઘટનામાં 59 હિન્દુ કારસેવકના મોત થયા હતા. રમખાણોમાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.  

December 2, 2021
raining.jpg
3min422

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી એકવાર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં કારતકે અષાઢી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની બે દિવસની કમોસમી વરસાદની આગાહીના પગલે તા.1લી અને આજે તા.2જી ડિસેમ્બર 2021ના રોજ ગુજરાત સમેત સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તેમજ વાતાવરણમાં પલટો આવતા આખો દિવસ વાદળછાયા વાતાવરણને કારણે ઠંડક પ્રસરી ગઇ છે અને બર્ફીલા પવનના સુસવાટાથી કાશ્મીર જેવો માહોલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો છે.

ગુજરાતમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા છવાઇ ગઇ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાના વાવડ છે. દીવમાં 3 ઇંચ જેટલો વરસદા વરસ્યો છે. તેવી જ રીતે કોડિનારમાં એક, ડોળાસામાં પોણો અને સાવરકુંડલામાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેમજ અન્ય વિસ્તારોમાં અમીછાંટણા થયા છે.

કોરોના બાદ લગ્નસરાની સીઝન પણ ચાલી રહી છે એવામાં વરસાદ વરસતા ઘણા લગ્નોમાં વિઘ્નો ઉભા થયા છે. આ કમોસમી વરસાદથી કપાસ સહિત રવિપાકને ભારે નુકસાન
પહોંચ્યું છે.’

દીવ:

ઉત્તર-પશ્ચિમ દરિયાઈ ક્ષેત્રોમાં હવાનું દબાણ સર્જાવાનાં કાણે રાત્રીથી જ દીવમાં વરસાદ પડવાનું શરૂ થતાં તે સાંજ સુધી ધીમીધારે ત્રણ ઈંચ વરસાદ પડી ગયો.
જામનગર: જામનગરમાં ગઈકાલ સાંજથી વાતાવરણમાં જોરદાર પલટો આવવા પામ્યો છે. આજે સવારે આકાશમાં વાદળછાંયુ વાતાવરણ રહેતા સૂર્ય નારાયણનાં દર્શન થયા ન હતાં. વાદળછાંયા વાતાવરણ વચ્ચે 3પ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો.

લોઢવા:

લોઢવા તથા આજુબાજુનાં ગામડામાં ગઈકાલ રાત્રીથી ધીમીધારે કમોસમી વરસાદ શરૂ થયેલ છે અને હજુ પણ વરસાદી માહોલ હોય તેથી વધુ વરસાદ થાય તેવી સંભાવના છે. આ વરસાદથી રવી પાકમાં લાખો રૂપિયાનું નુકસાન આ વિસ્તારનાં ખેડૂતોને થતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.

જૂનાગઢ:

જૂનાગઢ જિલ્લામાં માવઠાની આગાહીને પગલે આકાશમાં મેઘાવી માહોલ તથા સુસવાટા મારતા ઠંડા પવન વચ્ચે વિસાવદરમાં 8 મી.મી. ભેંસાણમાં ર મી.મી. અને જૂનાગઢમાં છાંટણા પડતા ટાઢોડું છવાયું છે.

બોટાદ:

બોટાદ જિલ્લામાં તા.1લી ડિસેમ્બર વહેલી સવારથી સાંજ સુધી ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી અને બોટાદ જિલ્લાનું સમગ્ર વાતાવરણ એકદમ કાશ્મીરમય બની ગયું હતું.

સાવરકુંડલા:

તા.1લી ડિસેમ્બર રાત્રીનાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો. દુકાનનાં છાપરા પડી ગયા હતાં, તેમજ 0ાા ઈંચ જેટલો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

મતિરાળા: તા.1લી ડિસેમ્બર બુધવારની વહેલી સવારે વરસાદી માહેલા સર્જાયો હતો. ધીમીધારે વરસાદ પડી જતાં રસ્તા પર પાણીનાં ખાબોચીયા ભરાયા હતાં. ખુલ્લામાં પડેલ પશુચારો પલળી જવા પામ્યો છે.

બગસરા:

બગસરામાં આજે વહેલી સવારથી વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકો વરસાદનાં લીધે ઠંડીથી ધ્રુજવા લાગ્યાં.

સરા:

સરા ગામના ખેડૂતોએ પાકની કાપણી સહિત માલઢોરનું ચરીયાણ સુરક્ષિત રીતે ઘરમાં ખસેડી લીધેલ હતું. પાકની કાપણી કે નવા પાકનું વાવેતર કરવાનું બંધ રાખી બે દિવસ બાદ કરવાનું મુનાસીબ માન્યું હતું.

કોડિનાર:

કોડિનાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગત રાતથી વાતાવરણમાં પલટો આવતા છાંટાની શરૂઆત થઈ જે આખી રાત અને આજે ધીમી ગતિએ વરસાદ શરૂ છે. ઈંચ ઉપર વરસાદ થયો છે.

ડોળાસા:

કોડિનાર તાલુકાનાં ડોળાસા વિસ્તાર ગત રાત્રીના આઠ વાગ્યાથી ધીમી ધારનો વરસાદ ચાલુ થયો હતો. આજે સાંજનાં પ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. આ દરમ્યાન માત્ર 16 મી.મી. વરસાદ નોંધાયો છે. વરસાદની સાથે હીમ જેવી ઠંડક પ્રસરી જતાં લોકોમાં બીમારી ફેલાવાનો ભય પેદા થયો છે.

તાલાળા(ગિર):

તાલાળા પંથકમાં દિવાળી બાદ ઉપરા ઉપરી કમોસમી વરસાદનાં બે રાઉન્ડે કિસાનોની કેડ ભાંગી નાખી છે. તાલાળા પંથકમાં મંગળવાર રાત્રીથી ફરી કમોસમી વરસાદ શરૂ થયેલ બુધવાર બપોરનાં પાંચ વાગ્યા સુધી ધીમીધારે ચાલુ રહ્યો હતો. તાલાળા પંથકમાં કમોસમી વરસાદનાં ઉપરા ઉપરી બે રાઉન્ડથી ખેડૂતો ભાંગી પડયા છે. મંગળવાર સાંજથી શરૂ થયેલ વરસાદથી કેસર કેરીનાં આંબામાં આવેલ મોર તથા ચણાનાં પાકને વ્યાપક નુકસાન થયું છે. તાલાળા પંથકનાં વિવિધ વિસ્તારોમાં ખુશ્બુદાર દેશી ગોળનું ઉત્પાદન કરતા 80 જેટલા રાબડા કાર્યરત હતા. કમોસમી વરસાદથી તમામ ગોળનાં રાબડા બંધ થઈ ગયા છે. જે વાતાવરણ ખુલ્લુ થયા બાદ શરૂ થશે. તાલાળા પંથકના ગોળનાં રાબડામાં દરરોજ એક હજારથી પણ વધુ ડબ્બા ગોળ તૈયાર થતો હતો.

દામનગર:

તા. પહેલી ડિસેમ્બર ગઈ સાંજથી વાતાવરણમાં પલટો આવતા રાત્રીથી દિવસ દરમ્યાન કમોસમી માવઠાનો વરસાદ શરૂ રહ્યો છે. લગ્નસરા હોવા છતાં બજારો સુનકાર છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

પ્રાચી:

પ્રાચી તેમજ ગ્રામ્યવિસ્તારોમાં ગત રાતથી જ ધીભી ધારે શરૂ થયેલ વરસાદ આજે બપોર સુધી પણ શરૂ રહ્યો હતો. આખો દિવસ ઝરમર ઝરમર વરસાદ વરસતા અને ઠંડા પવનનાં કારણે વાતાવરણ ઠંડુગાર થયું હતું.

તળાજા:

તળાજા શહેર અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીનાં નવેક વાગ્યા બાદ કમૌસમી વરસાદ ધીમીધારે શરૂ થયો હતો. માવઠાની શરૂઆતનાં પગલે ડુંગળી, ચણા અને કપાસનાં પાકનો સર્વનાશનાં એંધાણ વર્તાઈ ગયા છે. કૃષિ તજજ્ઞ ડી.એન.ઝાલાએ જણાવ્યું હતું કે હાલ તળાજા પંથકમાં ઘઉંનું વાવેતર ઓછું અને ડુંગળી ચણાનું વાવેતર વધેલ છે. માવઠાનાં કારણે ડુંગળીમાં બાફીયો રોગ અને ચણામાં ફૂગ આવવાના કારણે પાકને મોટું નુકસાન થાય છે. માવઠા સામે પાકને બચાવવો અઘરો છે તેમ છતાંય માવઠાનું પાણી ખેતરને લાયક ન હોય તે ભરાયેલ પાણીને કાઢીને કૂવાનું થોડું પાણી આપવું જોઈએ. સલ્ફરનો ઉપયોગ કરવો જોઈએ, સાથે ઓર્ગેનિક અને પેસ્ટીસાઈટ ફંગી સાઈટનો ઉપયોગ કરવો જોઈએ.

ઉમરાળા:

ઉમરાળા પંથકમાં મંગળવારની સાંજથી ઘટાટોપ વાદળો છવાયા બાદ મોડી રાતથી હળવા છાંટા શરૂ થયા હતા જે આજે બુધવારે ઝરમર રૂપે ચાલુ રહ્યા છે.

ભાવનગર:

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે દિવસભર વરસાદી માહોલ વચ્ચે ઝરમરિયો વરસાદ પડયો હતો. ભાવનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદનાં કારણે લગ્નનાં આયોજકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતાં. સિહોર તાલુકાનાં નાના સુરકા ગામે તો લગ્નનાં આયોજકોએ ચાલુ લગ્ન અટકાવવા પડયા હતા અને તાડપત્રી સહિતની વસ્તુઓ ગોતવા નીકળવું પડયું હતું. આ ઉપરાંત તળાજા, મહુવા, સિહોર સહિતના વિસ્તારોમાં પણ માવઠું’ થયાના સમાચાર મળી રહ્યા છે.

સુરત:

તા.1લી ડિસેમ્બરને બુધવારની મોડી રાત્રીથી હળવો ધીમી ધારે કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત શહેર જિલ્લા સહિત નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં કમોસમી ઝરમર વરસાદ પડવા સાથે જનજીવન પ્રભાવિત થવા સાથે ખેત પેદાશને પણ ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.’

ઉના :

ઉના, ગીર ગઢડા પંથકમાં ગઈકાલ રાતથી આજ સાંજ સુધીમાં 2.5 ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. આ માવઠાંથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

December 2, 2021
cia_gst.jpg
1min462

આ વર્ષના નવેમ્બરમાં જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ)નું વિક્રમજનક ૧.૩૧ લાખ કરોડનું કલેક્શન થયું હોવાનું નાણાં ખાતાએ બુધવારે કહ્યું હતું. જુલાઈ ૨૦૧૭માં જીએસટી અમલમાં મૂકવામાં આવ્યા બાદ આ બીજા ક્રમાંકનું સર્વાધિક કલેક્શન હોવાનું નાણાં ખાતાએ કહ્યું હતું.

અગાઉ એપ્રિલ ૨૦૨૧માં જીએસટીનું વિક્રમજનક રૂ. ૧.૪૧ લાખ કરોડનું કલેક્શન થયું હતું. 
આ વર્ષના ઑક્ટોબરમાં જીએસટીનું રૂ. ૧,૩૦,૧૨૭ કરોડ કલેક્શન થયું હતું.  નવેમ્બરમાં જીએસટીના કલેક્શનનો આંક રૂ. ૧,૩૧,૫૨૬ કરોડ પર પહોંચ્યો હતો જેમાં રૂ. ૨૩,૯૭૮ કરોડ સીજીએસટી (સેન્ટ્રલ ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ) અને રૂ. ૩૧,૧૨૭ કરોડ એસજીએસટી (સ્ટેટ ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ), રૂ. ૬૬,૮૧૫ કરોડ આઈજીએસટી (ઈન્ટિગ્રેટેડ ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ)નો સમાવેશ થાય છે. 

રૂ. ૬૬,૮૧૫ કરોડ એસજીએસટીમાં આયાતી માલસામાન પર વસૂલવામાં આવેલા રૂ. ૩૨,૧૬૫ કરોડ તેમ જ આયાતી માલસામાન પર વસૂલવામાં આવેલા રૂ. ૬૫૩ કરોડ સહિત રૂ. ૯૬૦૬ કરોડ સેસનો સમાવેશ થાય છે, એમ નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. 

December 1, 2021
flights.jpg
1min617
International Flight Alerts: New Guidelines to be Announced on Feb 1, Check  Details

આફ્રિકામાં દેખાયેલા કોરોનાના નવા અને ઝડપથી ફેલાતા વેરિયંટ ઓમિક્રોનને કારણે ભારતે 15 ડિસેમ્બરથી નિયમિત ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરુ કરવાનું માંડી વાળ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ અંગે માહિતી આપવામાં આવી છે. દેશમાં 2020માં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારથી જ નિયમિત ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ બંધ છે.

ડીજીસીએ દ્વારા જણાવાયું છે કે, નવો વેરિયંટ સામે આવ્યા બાદ હાલ જોવા મળી રહેલી વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કોમર્શિયલ ઈન્ટરનેશનલ પેસેન્જર સર્વિસ શરુ કરવાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, યુરોપ સહિત દુનિયાના ઘણા દેશોએ આફ્રિકાથી આવતી ફ્લાઈટ્સ પર નિયંત્રણ મૂક્યા છે. ભારતમાં પણ આફ્રિકન દેશમાંથી આવતા લોકોને માટે સાત દિવસનું ક્વોરન્ટાઈન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

હજુ ગયા સપ્તાહે જ ભારત સરકારે કોરોનાના નિયંત્રણો હળવા કરવાની કવાયતના ભાગ રુપે 15 ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઈટ્સ શરુ કરવાની જાહેરાત કરી હતી. જોકે, આફ્રિકામાં ઓમિક્રોન વેરિયંટ દેખાતા જ આ નિર્ણયને સમીક્ષા હેઠળ મૂકવામાં આવ્યો હતો. ભારતમાં નિયમિત ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ભલે બંધ હોય પરંતુ જુલાઈ 2020થી 31 દેશો સાથે થયેલી સમજૂતી અનુસાર ખાસ ફ્લાઈટ્સ ચાલુ કરવામાં આવી છે.

ભારત સરકારના દાવા અનુસાર, દેશમાં હજુ સુધી ઓમિક્રોન વેરિયંટનો એકેય કન્ફર્મ કેસ નથી નોંધાયો. આફ્રિકાથી આવેલા કેટલાક પેસેન્જર્સ કોરોના પોઝિટિવ માલૂમ પડ્યા હતા, પરંતુ તેમને પણ આ વેરિયંટનો ચેપ ના લાગ્યાનું કન્ફર્મ થયું છે. બીજી તરફ, આ વેરિયંટ ભારતમાં ના ફેલાય તે માટે સરકાર સજાગ બની છે. દેશના તમામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આફ્રિકા અને અન્ય જોખમી દેશોમાંથી આવતી ફ્લાઈટ્સના મુસાફરોનું સ્ક્રિનિંગ કરાઈ રહ્યું છે.

હાલના નિયમો અનુસાર, આફ્રિકાથી આવનારા પેસેન્જર્સ માટે એક સપ્તાહ સુધી ક્વોરન્ટાઈન થવું ફરજિયાત છે. ત્યારબાદ તે વ્યક્તિનો ટેસ્ટ કરવામાં આવશે. જો તે ટેસ્ટ નેગેટિવ હશે તો જ તે વ્યક્તિનો ક્વોરન્ટાઈન પિરિયડ સમાપ્ત થશે. પરંતુ જો ટેસ્ટ પોઝિટિવ આવ્યો તો તે વ્યક્તિને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવશે. ગુજરાતમાં પણ આવા કેટલાક વ્યક્તિને હાલ ક્વોરન્ટાઈન હેઠળ મૂકવામાં આવ્યા છે.