CIA ALERT

ટ્રેન્ડિંગ Archives - Page 24 of 44 - CIA Live

December 11, 2021
mumbai-1.jpeg
1min667

ઓમિક્રોનના વધતા કેસને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે 11 અને 12 ડિસેમ્બરે કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લીધો, મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 17 કેસની પુષ્ટિ

દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 32 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે 11 અને 12 ડિસેમ્બરે CRPCની કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન મહાનગરમાં રેલી, કૂચ અને તમામ પ્રકારના સરઘસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એકલા મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 17 કેસની પુષ્ટિ થઈ છે.

મુંબઈ પોલીસે Dt.10/12/21 શુક્રવારે કમિશનરેટ વિસ્તારમાં CrPC ની કલમ 144 લાગુ કરીને આગામી બે દિવસ માટે રેલીઓ અને પ્રદર્શનો પર પ્રતિબંધ મૂક્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઓપરેશન્સ) દ્વારા જારી કરવામાં આવેલ આદેશ શનિવાર અને રવિવારે 48 કલાક માટે અમલમાં રહેશે.

તેમણે કહ્યું કે, ‘કોવિડ-19ના નવા ઓમિક્રોન વેરિયન્ટને કારણે માનવ જીવનને જોખમ હોવાથી અમરાવતી, માલેગાંવ અને નાંદેડમાં ચાલી રહેલી હિંસાની પૃષ્ઠભૂમિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ જારી કરવામાં આવ્યું છે.’ તેમણે આદેશમાં જણાવ્યું કે, ઉલ્લંઘન કરનારાઓને ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને અન્ય કાયદાકીય જોગવાઈઓ હેઠળ સજા કરવામાં આવશે.

December 11, 2021
khattar.jpg
1min504

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કામચલાઉ ધોરણે જાહેર સ્થળો પર શુક્રવારની નમાજ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ગુરુગ્રામમાં જાહેર સ્થળોએ યોજાતી નમાજનો અનેક હિન્દુ સંગઠનોએ વિરોધ કરતાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું હતું કે જાહેરમાં નમાજ અદા કરવાનું સાંખી નહિ લેવાય. ખુલ્લી જગ્યાઓમાં પ્રાર્થના કરવા માટે કેટલાક પ્લોટ્સ અનાત રાખવાના જિલ્લા વહીવટીતંત્રના આદેશને પાછા ખેંચવામાં આવે છે અને રાજ્યસરકાર આ મુદે સુમેળભર્યો ઉકેલ લાવવાની દિશામાં કામ કરશે. 

જાહેર સ્થળોએ નમાજ અદા કરવાના હિન્દુ સંગઠનો દ્વારા વિરોધના મામલે પૂછાયેલા એક સવાલના જવાબમાં મુખ્યમંત્રી ખટ્ટરે એ કહ્યું હતું કે ખુલ્લી જગ્યામાં નમાજ અદા કરવાની રીતિ ચલાવી નહિ લેવામાં આવે. તમામને પ્રાર્થનાની સવલત મળવી જોઇએ. પરંતુ કોઇને બીજાના અધિકાર પર તરાપની છૂટ નહિ મળે.

તેમણે Dated 10/12/21 શુક્રવારે જણાવ્યું હતું કે, “લોકો તેના ધાર્મિક સ્થળે પ્રાર્થના કરે તેની સામે અમને કોઇ વાંધો નથી, પણ તેના માટે ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે એ સ્વીકાર્ય નથી. આ મુદ્દે કાયદો વ્યવસ્થાની સ્થિતિ અસર થવી જોઇએ નહીં  અથવા કોઇ તણાવ પણ ઊભો થાય એ યોગ્ય નથી. અમને જાણ થઈ છે કે કેટલાક જૂથો વચ્ચે બેઠક થઈ હતી અને જાહેર પ્રાર્થના માટે અમુક સ્થળો ફાળવાયા હતા પણ અમે તાત્કાલિક અસરથી આ નિર્ણય રદ કરીએ છીએ. આગામી સમયમાં સંમતિથી આ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરાશે.”

December 11, 2021
vaccine-1.jpg
1min578

દેશની કુલ વસતિના પ્રમાણમાં કોરોનાની વૅક્સિનના બંને ડૉઝ લેનારાઓની સંખ્યાને મામલે ૩૧ ઑક્ટોબર ૨૦૨૧ના ભારત વિશ્ર્વમાં ૧૭મા સ્થાને હોવાનું આરોગ્ય ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન ભારતી પ્રવિણ પવારે શુક્રવારે લોકસભામાં જણાવ્યું હતું. 

લોકસભામાં એક લેખિત પ્રશ્ર્નનો ઉત્તર આપતા તેમણે કહ્યું હતું કે ૮ ડિસેમ્બરના રોજ દેશના પુખ્તવયના અંદાજે ૯૩.૯ કરોડ લોકોમાંથી લગભગ ૧૩.૩ કરોડ લોકોએ વૅક્સિનનો પ્રથમ ડૉઝ પણ નહોતો લીધો. 

વૅક્સિનનો પ્રથમ ડૉઝ લેનારાં ૩૩.૬ કરોડ લોકોમાં ૧૭.૨ કરોડ પુરુષ અને ૧૬.૪ કરોડ મહિલાનો સમાવેશ થતો હતો. 
નાન્યતર જાતિના ૯૦,૦૦૦ લોકોએ હજુ વૅક્સિનનો બીજો ડૉઝ નથી લીધો. 

વૅક્સિનના બંને ડૉઝ લીધો હોય તેવા પાંચ કરોડ કરતા વધુ વસતિ ધરાવતા મુખ્ય ૧૦ દેશમાં દક્ષિણ કોરિયા, જાપાન, ઈટલી, ફ્રાન્સ, યુકે, જર્મની, યુએસએ, તુર્કી, બ્રાઝિલ અને મૅક્સિકોનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું. 

પુખ્તવયની વૅક્સિનને લેવા પાત્ર કુલ વસતિમાંથી ૫૩ ટકા લોકોએ બંને ડૉઝ લઈ લીધા હોવાનું તેમણે કહ્યું હતું.  રાજ્યો અને કેન્દ્રશાતિ પ્રદેશોને વૅક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું. 

December 9, 2021
farmers_protest.jpg
1min504

કૃષિ કાયદાના વિરોધમાં એક વર્ષથી પણ વધુ સમયથી ધરણા પર બેઠેલા ખેડૂતોએ આખરે પોતાના આંદોલનને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે લેખિતમાં ખેડૂતોની તમામ માગણી માની લેતા તેમજ સંસદમાં કાર્યવાહી કરીને કાયદા પણ પરત ખેંચી લેતા આ આંદોલનનો અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2020માં આ આંદોલનનો પ્રારંભ થયો હતો. બંને પક્ષો વચ્ચે અનેકવાર વાતચીત થઈ હતી, જે નિષ્ફળ રહી હતી. આ આંદોલન 378 દિવસ ચાલ્યા બાદ આજે Dt.9/12/21 પૂરું થયું છે.

દિલ્હીની સરહદો પર ધરણા કરી રહેલા ખેડૂતો 11 ડિસેમ્બરે વિજય યાત્રા કર્યા બાદ પોતાના ઘરે પરત ફરી જશે. આંદોલનકારી ખેડૂતો સુવર્ણમંદિર જશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચાના નેતાઓના જણાવ્યા અનુસાર, આંદોલનની સમાપ્તી બાદ પણ 15 જાન્યુઆરીના રોજ તેઓ એક રિવ્યૂ મિટિંગ કરીને સરકારે આપેલા વાયદા પર કેટલું કામ થયું તેની સમીક્ષા કરશે. આંદોલન ખતમ કરવાનો નિર્ણય આજે મળેલી ખેડૂતોના યુનિયનની એક બેઠકમાં લેવામાં આવ્યો હતો. સરકારે ટેકાના ભાવ અંગે એક સમિતિ બનાવવા તેમજ ખેડૂતો વિરુદ્ધ થયેલા તમામ કેસ તાત્કાલિક પરત ખેંચવાનું આશ્વાસન આપતા આંદોલનની પૂર્ણાહૂતિ જાહેર કરાઈ હતી.

કેન્દ્ર સરકારના કૃષિ સચિવે પોતાના લેટરપેડ પર ખેડૂતોને આ અંગે ખાતરી આપી હતી. આ ઉપરાંત, યુપી અને હરિયાણાની સરકાર આંદોલન દરમિયાન મોતને ભેટેલા ખેડૂતોને વળતર ચૂકવશે તેવી ખાતરી પણ સરકાર દ્વારા અપાઈ છે. ખેડૂત નેતાએ આંદોલનની પૂર્ણાહૂતિની જાહેરાત કરતા તેને કારણે લોકોને પડેલી તકલીફો બદલ ક્ષમા પણ માગી હતી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે સંસદમાં ત્રણ કૃષિ કાયદા પસાર કર્યા હતા, જેની સામે ખેડૂતોને સખ્ત વાંધો હતો. આ જ મામલે એનડીએના સાથી પક્ષ રહેલા અકાલી દળે સરકાર સાથે છેડો પણ ફાડી નાખ્યો હતો.

December 8, 2021
bipin_rawat.jpg
1min565

તમિલનાડુના કુન્નુરમાં બુધવારે આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં અત્યાર સુધી 4 મૃતદેહ મળી આવ્યા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર હેલિકોપ્ટરમાં સીડીએસ રાવત અને તેમની પત્ની સહિત 9 લોકો સવાર હતા. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને બચાવ કામગીરી ચાલુ છે. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું અનુમાન છે.

હેલિકોપ્ટરમાં 9 લોકો સવાર હતા
1. જનરલ બિપિન રાવત
2. મધુલિકા રાવત (પત્ની)
3. Brig LS લિડ્ડેર, SM, VSM
4. LT/COl હરજિન્દર સિંહ
5. NK ગુરસેવક સિંહ
6. NK જિતેન્દ્ર કુમાર
7. L/NK વિવેક કુમાર
8. L/NK બી સાઈ તેજા
9. સતપાલ

CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની એક કાર્યક્રમમાં ભાગ લઈને પરત ફરી રહ્યા હતા. ત્યારબાદ નીલગીરી વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ કાટમાળમાંથી ત્રણ લોકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

વાયુસેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તે તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયેલું હેલિકોપ્ટર IAFનું Mi-17V5 હતું. અકસ્માતની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. રક્ષામંત્રી રાજનાસિંહને દુર્ઘટનાની જાણ થતાં તેઓએ વડાપ્રધાન મોદીને આ અંગે માહિતી આપી છે.

December 8, 2021
rbi.jpeg
1min515

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી છે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમની મોનેટરી પોલિસી સમીક્ષાના પરિણામો જાહેર કરતા દાસે કહ્યું કે પોલિસી રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત રહેશે. નોંધનીય છે કે, ગયા વર્ષે માર્ચમાં આરબીઆઈએ રેપો રેટમાં 0.75 ટકા અને મેમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો હતો. આ ઘટાડા પછી રેપો રેટ 4 ટકાના રેકોર્ડ નીચલા સ્તરે આવી ગયો હતો. પરંતુ ત્યાર પછી નવ બેઠકોમાં વ્યાજદરમાં કોઈ ફેરફાર થયો નથી.

શક્તિકાંત દાસે કહ્યું કે, MPCના 6 સભ્યોમાંથી 5એ એકમોડેટીવ સ્ટેન્ડ જાળવવાના પક્ષમાં મતદાન કર્યું હતું. ઉપરાંત માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી 4.25 ટકા પર જાળવી રાખવામાં આવી છે. વાસ્તવિક જીડીપી વૃદ્ધિનો અંદાજ 9.5 ટકા રાખવામાં આવ્યો છે. પરંતુ નાણાકીય વર્ષ 2022ના ત્રીજા ક્વાર્ટર માટે તે ઘટાડીને 6.6 ટકા કરવામાં આવ્યું છે. અગાઉ તે 6.8 ટકા હતો. તેમજ ચોથા ક્વાર્ટર માટે તેને 6.1 ટકાથી ઘટાડીને 6 ટકા કરવામાં આવ્યો છે.

વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન થવાથી તમારા ખિસ્સા પર કોઈ અસર નહીં થાય. જો રિઝર્વ બેંક વ્યાજ દર વધારશે તો લોન મોંઘી થઈ જશે. બીજી બાજુ, જો રિઝર્વ બેંકે વ્યાજદરમાં ઘટાડો કર્યો હોત તો તેનાથી લોન સસ્તી થઈ ગઈ હોત.

દાસે જણાવ્યું કે, તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડ્યો છે, જેનાથી ગ્રાહકોની ખરીદીની ક્ષમતા વધી છે. શક્તિકાંત દાસે જણાવ્યું કે, આપણી પાસે મજબૂત બફર સ્ટોક છે, જેનાથી મોંઘવારી પર કાબૂ મેળવી શકાય છે. કોવિડ-19 જેવી મહામારી સામે લડવા માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. હાલ ઘરેલૂ અર્થવ્યવસ્થા પર ઓમિક્રોનનો ખતરો મંડાઈ રહ્યો છે.

December 7, 2021
rapist.jpg
1min602

સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી. તા.6 ડિસેમ્બર 2021ને સોમવારે કોર્ટે આરોપી આ કેસમાં તકસીરવાર ઠેરવાયો હતો. જેમાં આજે તા.7મી ડિસેમ્બર 2021ને મંગળવારે કોર્ટે આરોપીને ફાંસીની સજા આપવાનો ચૂકાદો ફક્ત 33 દિવસમાં જ જાહેર કર્યો હતો. આ સાથે જ અઢી વર્ષની બાળકીને ન્યાય મળ્યો છે. બાળકીના પરિવારજનોને રૂ.20 લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે.

આરોપીને કડક સજા અપાવવા માટે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલો કરતાં જણાવ્યુ કે, આરોપીએ બાળકીની જ નહીં, ભારતના ભવિષ્યની હત્યા કરી છે.

આરોપી સામેનો કેસ રેરેસ્ટ ઓફ રેર છે, તેને મહત્તમ એવી ફાંસીની જ સજા આપવી જોઇએ. આ માટે સરકાર તરફે કુલ 31 એવા ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા જેમા બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હોય. આજે બાળકી પર આરોપીએ ગુજારેલાં અમાનુષી અત્યાચારની કહાણી સરકારી દલીલ સ્વરૂપે સાંભળતા જ અનેક લોકો ‘ઓહ માય ગોડ’ બોલી ઉઠયા હતા.

દિવાળીની આગળી રાત્રિ એટલે કે ચોથી નવેમ્બરના રોજ માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને પરપ્રાંતિય કામદાર ગુડ્ડુ યાદવ બાળકીનું અપહરણ કરીને વડોદ નજીક ઝાડીઝાખરાંમાં લઈ ગયો હતો અને બાળકી પર દુષ્કર્મ ગુજારી તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. આરોપી બે દિવસ બાદ પોલીસે ઝબ્બે કર્યો હતો. એ પછી પાંડેસરા પોલીસે 7 જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી અને સરકાર પક્ષે અત્યંત ઝડપમાં ટ્રાયલ પુરી કરી દેવામાં આવી હતી. કુલ 69 સાક્ષી પૈકી સરકાર પક્ષે 42 સાક્ષી જ ચકાસ્યા હતા.

December 7, 2021
modi.jpeg
1min543

ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદીએ પાર્ટીના સાંસદોને વર્તમાન શિયાળુ સત્ર દરમિયાન ગૃહમાં હાજર રહેવા કડકાઇથી કહ્યું હતું. ગૃહમાં હાજર રહેવાની કડક સૂચના ઉપરાંત પીએમ મોદીએ સાંસદોને લોકોના હિતમાં કામ કરવા પણ કહ્યું હતું. પીએમ મોદીએ સત્ર દરમિયાન સંસદમાં ન આવતા સાંસદોને ઠપકો આપ્યો હતો.

ભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ ગૃહમાં પાર્ટીના સાંસદોની ગેરહાજરી પર ચિંતા વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જો બાળકોને વારંવાર એક જ વસ્તુ કહેવામાં આવે તો તેઓ તે કરતા નથી. કૃપા કરીને પરિવર્તન લાવો, નહીં તો પરિવર્તન જાતે જ થઈ જશે. 

કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક દરમિયાન પીએમ મોદીએ સાંસદોને સૂર્ય નમસ્કાર કરવાની સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું, દરેક વ્યક્તિએ સૂર્ય નમસ્કાર કરવું જોઈએ અને તેની સ્પર્ધા કરવી જોઈએ, તે દરેકને સ્વસ્થ રાખશે. 

આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, હું 13 તારીખે કાશી જઈ રહ્યો છું. પહેલી વખત તમને બધાને ત્યાં આવવા માટે કહીશ નહીં.  એટલા માટે કે અત્યારે સંસદ ચાલી રહી છે, તમારે બધાએ સંસદમાં રહેવું જોઈએ. તમારે બધાએ અહીંથી રહીને તમારા વિસ્તારના લોકો માટે કાશી કાર્યક્રમ સારી રીતે જોઇ શકે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. તેમણે પાર્ટીના સાંસદોને કહ્યું કે, હું 14 ડિસેમ્બરે ચા પર ચર્ચા કરીશ. હું ચા પર બનારસના તમામ જિલ્લાના પદાધિકારીઓને મળીશ.

December 7, 2021
BHUPENDRA.jpg
1min875

વર્ષ 2015માં પાટીદાર આંદોલન દરમિયાન આંદોલનકારીઓ સામે થયેલા તમામ કેસ પરત ખેંચવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાંયધરી આપી હોવાનું જાણવા મળ્યું છે. Gujarat CM 8 ડિસેમ્બરના રોજ દુબઈના બે દિવસના પ્રવાસે જવાના છે. ત્યારબાદ પરત નહીં ખેંચાયેલા કેસોનો અભ્યાસ કરીને અધિકારીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવાશે તેવું જાણવા મળ્યું છે.

સોમવારે Dt.6-12-21 સાંજે સીએમ નિવાસ સ્થાને મુખ્યમંત્રી પટેલે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ, પાટીદાર અગ્રણી- આંદોલનકારીઓ દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા, જયેશ પટેલ, ગીતાબેન પટેલ સહિતના સાથે બેઠક યોજી હતી. આ અંગે માહિતી આપતા દિનેશ બાંભણિયા અને જયેશ પટેલના જણાવ્યા અનુસાર પોણા બે કલાક ચાલેલી બેઠકમાં સીએમ પટેલનું વલણ સકારાત્મક રહ્યું હતું અને તેમણે તમામ કેસ પરત ખેંચવાની બાંયધરી આપી છે.

પાટીદાર આંદોલન દરમિયાન કુલ 481 જેટલા કેસ થયા હતા, જેમાંથી 228 પરત ખેંચાયા હતા. સીએમને અત્યાર સુધી પરત ખેંચવાની હિલચાલ નથી થઈ નથી તેવા 146 કેસ અંગેની વિગતો પણ નરેશ પટેલ દ્વારા રજૂ કરાઈ હતી. તે ઉપરાંત જે આંદોલનકારીઓ મૃત્યુ પામ્યા છે તેમાંથી વારસદારોને અર્ધસરકારી કચેરીમાં નોકરી મળે અને ટીચરગેસના કારણે ઈજાગ્રસ્ત થયા છે તેમને વળતર મળે તે માટેની રજૂઆત પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત હાર્દિક પટેલ સહિતના ઉપર રાજદ્રોહના કેસ કરાયા છે તે સહેલાઈથી પરત ખેંચાય તેવા નથી તે અંગે પણ અલગથી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાટીદાર અગ્રણીઓએ રાજસ્થાનમાં આવા કેસ પરત ખેંચવામાં આવ્યા હોવાની વિગતો રજૂ કરવાાં આવી હતી. તેમાં પણ હકારાત્મક વલણ દાખવ્યું હોવાનો પાટીદાર અગ્રણીઓ દાવો કર્યો હતો.

December 6, 2021
coronaupdate.jpg
1min452

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસનો આંકડો ભારતમાં 20ને પાર થઈ ગયો છે. આવામાં એક તરફ સ્કૂલો ખોલવામાં આવી છે ત્યારે કર્ણાટકમાં એક જ સ્કૂલમાં વિદ્યાર્થી અને સ્ટાફ મળીને 94 કોરોના પોઝિટિવ કેસ આવતા હડકંપ મચી ગયો છે. કર્ણાટકાના નરસિમ્હારાપુરામાં આવેલા સ્કૂલમાંથી આ કિસ્સો સામે આવ્યો છે. હવે સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફના પણ રિપોર્ટ્સ કરવામાં આવી રહ્યા છે જેથી આ ચેઈનને તોડી શકાય.

મળતી વિગતો પ્રમાણે સ્કૂલમાં વધુ 35 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા નરસિમ્હારાજપુરાની કેન્દ્રીય સ્કૂલમાં કોરોનાના કુલ કેસનો આંકડો 94 પર પહોંચ્યો છે. સ્કૂલના કેમ્પસમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 100ની નજીક પહોંચી જતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલનો સ્ટાફ ચિંતામાં મૂકાયો છે. એક તરફ ઓમિક્રોનનું જોખમ વધી રહ્યું છે ત્યારે એક સાથે આટલા બધા કેસ એક જ સ્કૂલના કેમ્પસમાં આવતા કેસમાં થતો વધારો અટકાવવા માટેના જરુરી પગલા પણ ભરવામાં આવી રહ્યા છે.

એક સામટા આટલા કેસ એક જ સ્કૂલમાંથી આવતા હવે વધુ 418 લોકોના ટેસ્ટ કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ અને સ્કૂલના સ્ટાફનો સમાવેશ થાય છે. સ્કૂલનો કોરોનાના કેસનો આંકડો સદીની નજીક પહોંચી જતા કર્ણાટકની આ સ્કૂલને વહીવટી તંત્ર દ્વારા હાલ પૂરતી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે નરસિમ્હારાજપુરાની સ્કૂલમાં ભણતા 59 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જે બાદ સોમવારે વધુ 35 વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાયા છે. આમાં સ્કૂલના શિક્ષકો અને અન્ય સ્ટાફ મળીને 13 લોકો થાય છે કે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે 81 વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને ડૉક્ટરોની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. આ તમામ જે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેઓ એસિમ્પ્ટોમેટિક છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 8,306 કેસ નોંધાયા છે, જેની સામે 8,834 દર્દીઓ એક દિવસમાં સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 98,416 થઈ ગયો છે. આમ એક્ટિવ કેસનો આંકડો 552 દિવસના તળિયે પહોંચી ગયો છે.