નીટ પરીક્ષા-2024માં પેપર લીક મુદ્દે આવતીકાલે (11 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. જોકે તે પહેલા કેન્દ્ર સરકારે આજે (10 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. કેન્દ્રએ તેમાં કહ્યું છે કે, NEET પરીક્ષા ફરી યોજવાની જરૂર નથી, તેમાં મોટા પાયે ચોરી થઈ નથી. ભારત સરકાર નીટ પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓની ચિંતા દૂર કરવા માટે બંધાયેલું છે.
સરકાર સમાધાન શોધવાના તમામ પ્રયાસો કરી રહી છે સરકાર
સોગંદનામામાં કહેવાયું છે કે, સરકાર સમાધાન શોધવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત સરકાર દોષી ઉમેદવારોને કોઈપણ લાભ ન મળે, તે પણ સુનિશ્ચિત કરી રહી છે. સરકાર પ્રયાસ કરી રહી છે કે, માત્ર આશંકાઓના કારણે 23 લાખ વિદ્યાર્થીઓ પર નવી પરીક્ષાનો બોજ નાખવામાં ન આવે.
તેમાં એમ પણ કહ્યું છે કે, સરકાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ નિષ્પક્ષ અને પારદર્શી રીતે યોજાય, તે માટે એક મજબૂત પરીક્ષા પ્રક્રિયા બનાવવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર પરીક્ષાઓની અખંડિતતા સુનિશ્ચિત કરવા અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા, નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે તેમજ પેપર લીક અટકાવવા માટે કડક કાયદો બનાવાયો છે. આ માટે સંસદમાં પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024 કાયદો ઘડવામાં આવ્યો છે.
સીબીઆઈએ વધુ બે લોકોની ધરપકડ કરી
દરમિયાન કેન્દ્રી તપાસ એજન્સી સીબીઆઈએ NEET UG પેપર લીક અને ગેરરીતિના કેસમાં બિહારથી વધુ બે લોકોની ધરપકડ કરી છે. એજન્સીએ નીટ ઉમેદવાર સની કુમાર અને એક અન્ય નીટ ઉમેદવારના પિતાને પટનાથી ઝડપી લીધા છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે, રંજીતે પરીક્ષા માટે પોતાના પુત્રનું સેટિંગ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નીટ પરીક્ષા પેપર લીકની તપાસ કરી રહેલી સીબીઆઈએ અત્યાર સુધીમાં પટણા, ગોધરા અને હજારીબાગમાંથી ઘણા આરોપીઓની ધરપકડ કરી અને પેપર લીકનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.
ગત મંગળવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં નીટ પેપર લીક કેસની સુનાવણી દરમિયાન CBI તપાસના રિપોર્ટનો ઉલ્લેખ કરાયો હતો. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, સીબીઆઈએ આગામી સુનાવણીમાં તપાસ રિપોર્ટ કોર્ટમાં સબિદ કરવાનો રહેશે. આવી સ્થિતિમાં સીબીઆઈએ અત્યાર સુધીની ધરપકડોમાંથી એકત્ર કરાયેલા તમામ પુરાવાઓ વિશે કોર્ટને જાણ કરવી પડશે.


















