
નવી પેઢીના બાળકોના શિક્ષણ માટે ‘ઍન્ગેજ, ઍક્સપ્લોર, ઍક્સપ્રેસ ઍન્ડ ઍક્સલ’ નવો મંત્ર છે
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે શાળાના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવનારો નવો અભ્યાસક્રમ નવી શિક્ષણ નીતિને અનુરૂપ હશે.
વર્ષ ૨૦૨૨માં દેશ જ્યારે સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરશે ત્યાં સુધીમાં નવા અભ્યાસ્રમને નવી શિક્ષણ નીતિને અનુરૂપ બનાવવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
માર્કશિટ વિદ્યાર્થીઓ તેમ જ તેમના પરિવારજનો માટે પ્રેશરશિટ અને પ્રેસ્ટિજશિટ બની ગઈ હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિનો આશય આ પ્રેશર દૂર કરવાનો છે.
નવી શિક્ષણ નીતિ અભ્યાસક્રમ ઘટાડશે તેમ જ શિક્ષણને મનોરંજન અને સંપૂર્ણ અનુભવ આધારિત બનાવશે, એમ તેમણે કહ્યું હતું.
શિક્ષણ ખાતા દ્વારા આયોજન કરવામાં આવેલી ‘સ્કૂલ ઍજ્યૂકેશન કૉન્ક્લેવ’ને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે અભ્યાસક્રમનું માળખુ વિકસાવવામાં આવશે અને વર્ષ ૨૦૨૨માં દેશ સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરશે ત્યાર સુધીમાં તે તૈયાર થઈ જશે.
નવો અભ્યાસક્રમ વૈજ્ઞાનિક ઢબનો હોવા ઉપરાંત વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરશે.
નવી શિક્ષણ નીતિના અમલ અગાઉ માય ગવર્નમેન્ટ પૉર્ટલ મારફતે એક જ અઠવાડિયામાં ૧૫ લાખ કરતા પણ વધુ સૂચનો આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું. પાંચમા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ આપવાની ભલામણ કરતા તેમણે કહ્યું હતું કે ભાષા માત્ર અભ્યાસ કરવાનું માધ્યમ છે, પરંતુ ભાષા પોતે અભ્યાસ નથી.
વડા પ્રધાને શિક્ષકોને કોરોના વાઈરસની માર્ગદર્શિકાનું ભારપૂર્વક પાલન કરવા જણાવ્યું હતું.
તેમણે શિક્ષકોને માસ્કથી મોઢું ઢાંકવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને સ્વચ્છતા જાળવવા કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી દેશમાં માર્ક અને માર્કશિટ આધારિત શિક્ષણ હતું.
માર્કશિટ વિદ્યાર્થીઓ માટે પ્રેસરશિટ અને પરિવારજનો માટે પ્રેસ્ટિજશિટ બની ગઈ હતી.
નવી શિક્ષણ નીતિ બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરતી હોવા ઉપરાંત મનોરંજન, શોધ અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, એમ તેમણે કહ્યું હતું.
નવી પેઢીના બાળકોના શિક્ષણ માટે ‘ઍન્ગેજ, ઍક્સપ્લોર, ઍક્સપ્રેસ ઍન્ડ ઍક્સલ’ નવો મંત્ર છે, એમ તેમણે કહ્યું હતું.
અમારું કામ હજુ તો શરૂ થયું છે એ જણાવતાં મોદીએ કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિનો સમાનતા અને અસરકારક રીતે અમલ કરવામાં આવશે.
નવી શિક્ષણ નીતિ નવા યુગના આરંભનું બીજ વાવશે અને તે ૨૧મી સદીના ભારતને નવી દિશા આપશે, એમ તેમણે કહ્યું હતું.














