CIA ALERT

WE Archives - Page 6 of 64 - CIA Live

September 21, 2024
aibe.png
1min445

LLB ફાઈનલ યરના વિદ્યાર્થીઓને મોટી રાહત આપતાં સુપ્રીમ કોર્ટે શુક્રવાર Dated 20/09/2024એ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ)ને એવો નિર્દેશ આપ્યો છે કે લૉ ગ્રેજ્યુએટ્સને વકીલ બનવા માટેની પાત્રતા પરીક્ષા ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન (એઆઈબીઈ) આપવાની પરવાનગી આપવામાં આવે.

એલએલબીના ફાઈનલ યરના વિદ્યાર્થીઓને છોડી દઈ શકાય નહીં એવી નોંધ કરતાં તેમણે કહ્યું હતું કે જો તેમને આ વર્ષની બાર પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં તો તેમનું એક વર્ષ બગડી જશે.

ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠ એ વાતથી નારાજ હતી કે 2023માં આ મુદ્દે આપવામાં આવેલા પાંચ ન્યાયમૂર્તિના ચુકાદા છતાં બીસીઆઈ દ્વારા એઆઈબીઈ માટે નિયમો ઘડી કાઢવામાં આવ્યા નહોતા.

અહીં ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે 10 ફેબ્રુઆરીએ બાર કાઉન્સિલની પરીક્ષા લેવા માટેની બીસીઆઈની સત્તાને માન્ય રાખી હતી.

તેમણે એમિકસ ક્યુરી (અદાલતના મિત્ર) દ્વારા ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓને યોગ્ય દસ્તાવેજો રજૂ કર્યા બાદ પરીક્ષા આપવા માટે પરવાનગી આપી હતી.

September 18, 2024
working-women-facilities.jpg
1min304

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9 ઓગસ્ટના રોજ તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યા કેસની મંગળવારે (17 સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. જેમાં સુપ્રીમ કોર્ટે મહિલા ડોકટરોની નાઈટ ડ્યુટી નાબૂદ કરવાના નિર્ણય પર બંગાળ સરકારીની ઝાટકણી કાઢી હતી.

તમે કેવી રીતે કહી શકો કે મહિલાઓ રાત્રે કામ ન કરી શકે?

CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું કે, “તમે કેવી રીતે કહી શકો કે મહિલાઓ રાત્રે કામ ન કરી શકે? તેઓ કોઈ છૂટ ઈચ્છતા નથી. સરકારનું કામ તેમને સુરક્ષા આપવાનું છે. પાઈલટ, આર્મી જેવા તમામ વ્યવસાયોમાં મહિલાઓ રાત્રે કામ કરે છે.”

સરકાર નાઈટ ડ્યૂટી પર પ્રતિબંધ પાછો ખેંચશે

કોર્ટની ઝાટકણી પર બંગાળ સરકારના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, “સરકાર મહિલા ડૉક્ટરોની ડ્યૂટીને 12 કલાક સુધી મર્યાદિત કરવા અને નાઈટ ડ્યૂટી પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને પાછો ખેંચી લેશે.”

‘બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર ન કરવી જોઈએ’

આ ઉપરાંત કોર્ટે વિકિપીડિયાને મૃતક તાલીમાર્થી ડોક્ટરનું નામ અને ફોટો હટાવવાનો આદેશ આપ્યો કર્યો છે. કોર્ટે કહ્યું કે “બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર ન કરવી જોઈએ.” અને આ અંગે સુપ્રીમ કોર્ટ આગામી સુનાવણી 24 સપ્ટેમ્બરે હાથ ધરશે.

September 3, 2024
image.jpeg
1min349

Canada New rule : કેનેડામાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સ આ મહિને અમલમાં આવનારાં નવા નિયમ અનુસાર ઓફ કેમ્પસ વર્ક એટલે કે યુનિવર્સિટી કેમ્પસ બહાર કામ કરવાના કલાકો અઠવાડિયામાં 24 પૂરતાં મર્યાદિત થશે જેને કારણે ભારતીય વિદ્યાર્થીઓને ટોરોન્ટો જેવા મોંઘા શહેરોમાં રહેવાનો ખર્ચ કાઢવામાં મુશ્કેલી પડશે. કોરોના મહામારી દરમ્યાન નિયમોમાં અપાયેલી છૂટની મર્યાદાઓ પણ 30 એપ્રિલે પુરી થઇ ચૂકી છે. જો કે, ઉનાળા અને શિયાળાની રજાઓ દરમ્યાન કામ કરવાના કલાકો પર કોઇ મર્યાદા લદાઇ નથી.

2022માં કેનેડામાં કુલ 5.5 લાખ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સ હતાં જેમાંથી 2.26 લાખ સ્ટુડન્ટ્‌સ ભારતીય હતા. કેનેડામાં હાલ કુલ 3.2 લાખ ભારતીય સ્ટુડન્ટ્‌સ ગીગ વર્કર તરીકે કામ કરી કેનેડાના અર્થતંત્રમાં તેમનું પ્રદાન આપી રહ્યા છે.

ઓફ કેમ્પસ એટલે કે યુનિવર્સિટીના કેમ્પસની બહાર મળતી નોકરીઓ કરીને સ્ટુડન્ટ્‌સ તેમનો રહેવા -ખાવાનો ખર્ચ કાઢતાં હોય છે. મોટાભાગની શિફ્‌ટ આઠ કલાકની રહેતી હોઇ નવા નિયમ અનુસાર સ્ટુડન્ટ્‌સ હવે દર અઠવાડિયે ત્રણ જ પાર્ટ ટાઇમ શિફ્ટમાં જ કામ કરી શકશે. જેના કારણે તેમને ખર્ચા કાઢવાનું ભારે પડશે.

કેનેડામાં મે મહિનાથી કલાક દીઠ 17.36 ડોલર્સનું મહેનતાણું અમલમાં આવ્યું છે પણ હવે સામે કામના કલાકો મર્યાદિત થવાને પરિણામે સ્ટુડન્ટસ માટે આ લાભ રહ્યો નથી ઉલટું મોટાં શહેરોમાં તો તેમના માટે બે છેડાં ભેગાં કરવાનુ પણ મુશ્કેલ બની રહેશે. 2023માં કેનેડામાં કલાક દીઠ 16.65 ડોલર્સનું મહેનતાણું ચૂકવવામાં આવતું હતું.

સ્ટુડન્ટ્‌સ જેમના માટે કામ કર્યા વિના છૂટકો નથી તેમણે ખર્ચ બચાવવા માટે મિત્રો સાથે ફરવા જવા અને પ્રવાસ કરવાની પ્રવૃત્તિઓ પર કાપ મુકી દીધો છે. તો વધારે મુશ્કેલ આર્થિક હાલત ધરાવતાં સ્ટુડન્ટ્‌સ રેન્ટ બચાવવા માટે બીજા સ્ટુડન્ટ્‌સ સાથે એપાર્ટમેન્ટ શેર કરવા માંડ્યા છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સ જરૂરિયાતો પુરી કરવા માટે કામ કરે છે. દરેક સ્ટુડન્ટને વધારાની આવક વિના ભણવાનું પરવડે તેમ હોતું નથી.

બીજી તરફ કેનેડાની યુનિવર્સિટીઓમાં ભણાવતાં પ્રોફેસરોના મતે સ્ટુડન્ટ્‌સ હવે ભણવામાં વધારે ઘ્યાન આપી શકશે. સ્ટુડન્ટ્‌સ ઘણીવાર અભ્યાસને બદલે તેમના કામને અગ્રતાક્રમ આપતાં હોઇ તેમના શિક્ષણની ગુણવત્તા કથળે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

August 28, 2024
missing.png
1min475

કોલકાતા ડોક્ટર રેપ મર્ડર કેસને કારણે પશ્ચિમ બંગાળ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ મામલાને લઈને દિલ્હી સહિત દેશના વિવિધ ભાગોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. આવો આજે અમે તમને આ કડીમાં એવી મહિલાઓ અને છોકરીઓ વિશે જણાવીએ જે દરરોજ આપણી વચ્ચેથી ગાયબ થઈ જાય છે અથવા ગાયબ કરવામાં આવે છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ૨૦૨૨ના રિપોર્ટ અનુસાર ભારતમાં દરરોજ ૩૪૫ છોકરીઓ ગુમ થાય છે, જેમાંથી ૧૭૦ છોકરીનું અપહરણ થાય છે, ૧૭૨ છોકરીઓ ગુમ થાય છે અને લગભગ 3 છોકરીઓની તસ્કરી થાય છે. આમાંથી કેટલીક છોકરીઓ મળી આવે છે, પરંતુ મોટી સંખ્યામાં છોકરીઓનો કોઈ પત્તો નથી લાગતો. મહિલાઓની વધતી અસલામતી દેશ માટે ગંભીર બાબત છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

2019થી 2021 વચ્ચે 13.13 લાખથી વધુ ગુમ

જુલાઈ 2023માં ભારતીય ગૃહ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં ગુમ થયેલી છોકરીઓ અને મહિલાઓના આંકડાઓએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. રિપોર્ટ મુજબ 2019 અને 2021 વચ્ચે દેશમાં 13.13 લાખથી વધુ છોકરીઓ અને મહિલાઓ ગુમ થઈ છે. સરકારે આ આંકડા નેશનલ ક્રાઈમ બ્યુરો પાસેથી એકત્રિત કર્યા છે. આ રિપોર્ટ અનુસાર આમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરની ૧૦,૬૧,૬૪૮ મહિલાઓ અને ૧૮ વર્ષથી ઓછી ઉંમરની ૨,૫૧,૪૩૦ છોકરીઓનો સમાવેશ થાય છે.

મધ્ય પ્રદેશમાંથી સૌથી વધુ ગુમ

જો આપણે રાજ્યોની વાત કરીએ તો ગુમ થનારી મહિલાઓ અને છોકરીઓની સૌથી વધુ સંખ્યા મધ્ય પ્રદેશમાંથી છે. અહીં ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચે ૧,૬૦,૧૮૦ મહિલાઓ અને ૩૮,૨૩૪ છોકરીઓ ગુમ થઈ હતી. પશ્ચિમ બંગાળ બીજા સ્થાને છે. અહીં ૧,૫૬,૯૦૫ મહિલાઓ અને ૩૬,૬૦૬ છોકરીઓ ગુમ થઈ હતી. જ્યારે ત્રીજા નંબરે મહારાષ્ટ્ર છે. અહીં ૨૦૧૯ થી ૨૦૨૧ વચ્ચે ૧,૭૮,૪૦૦ મહિલાઓ અને ૧૩,૦૩૩ છોકરીઓ ગુમ થઈ હતી.

માનવ તસ્કરીના કેસ કેટલા?

એનસીઆરબીના ડેટા દર્શાવે છે કે વર્ષ ૨૦૨૨માં સમગ્ર દેશમાં માનવ તસ્કરીના કુલ ૨૨૫૦ કેસ નોંધાયા હતા. આ કેસોમાં પીડિતોની સંખ્યા ૬,૦૩૬ હતી. જેમાં છોકરીઓની સંખ્યા ૧,૦૫૯ હતી અને ૨૦૨૨માં જ છોકરીના અપહરણના ૬૨,૦૯૯ કેસ નોંધાયા હતા. તે જ વર્ષે ૬૨,૯૪૬ છોકરીઓ ગુમ થવાના કેસ નોંધાયા હતા. આમાંથી ઘણી છોકરીઓને બચાવી લેવામાં આવી હતી. જો કે, મોટી સંખ્યામાં આવી છોકરીઓનું ઠેકાણું આજ સુધી જાણી શકાયું નથી.

August 27, 2024
jay-shah.png
1min302

ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાના ચૅરમૅનપદે ત્રીજા ભારતીય: દાલમિયા અને પવાર પ્રમુખપદે હતા

બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી જય શાહ આગામી પહેલી ડિસેમ્બરે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના નવા ચૅરમૅન તરીકેનો હોદ્દો સંભાળશે. તેઓ મંગળવારે આ સર્વોચ્ચ પદ પર બિનહરીફ ચૂંટાયા હતા.

જય શાહ 35 વર્ષના છે અને આઇસીસીના સૌથી યુવાન અધ્યક્ષ બન્યા છે. તેઓ ચૅરમૅનપદ મેળવનાર એન. શ્રીનિવાસન (2014-’15) અને શશાંક મનોહર (2015-2020) પછીના ત્રીજા ભારતીય છે. ન્યૂ ઝીલૅન્ડના 62 વર્ષીય ગ્રેગ બાર્કલે પોણાચાર વર્ષ આ હોદ્દા પર રહ્યા હતા. તેઓ બે વર્ષની મુદતની ત્રીજી મુદત માટે તૈયાર ન હોવાથી ચૂંટણી થઈ હતી જેમાં જય શાહ એકેય પ્રતિસ્પર્ધી ન હોવાને કારણે સરળતાથી ચૂંટાયા હતા.

ખરેખર તો અગાઉ આઇસીસીના પ્રમુખ આ ક્રિકેટ સંસ્થાના સર્વોચ્ચ શાસક ગણાતા હતા, પરંતુ 2016માં પ્રમુખપદની પ્રથા બંધ કરવામાં આવી હતી અને ત્યારથી ચૅરમૅનનો માનદ હોદ્દો સર્વોચ્ચ ગણાય છે.

ભારતના જગમોહન દાલમિયા (1997-2000) અને શરદ પવાર (2010-2012) આઇસીસીના પ્રમુખપદે હતા.

જય શાહ ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર છે. જય શાહ 2019ની સાલથી ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી છે. તેઓ આઇસીસીના વહીવટમાં મોખરાનું (હાઈ-પ્રોફાઇલ) સ્થાન મેળવનાર (શ્રીનિવાસન, મનોહર, દાલમિયા અને પવાર પછીના) પાંચમા ભારતીય છે.

જય શાહ ક્રિકેટનો વિશ્ર્વભરમાં ફેલાવો કરવા માટે મક્કમ છે અને એ માટે તેઓ આઇસીસીની ટીમ તથા મેમ્બર-રાષ્ટ્રો સાથે મળીને કામ કરવા ઉત્સુક છે. તેમણે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ‘મને આઇસીસીનું ચૅરમૅનપદ મળ્યું એ બદલ ખુશી અને ગૌરવ અનુભવું છું. ક્રિકેટના તમામ ફૉર્મેટ વિશે સંતુલન જાળવવા, અદ્યતન ટેક્નોલૉજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમ જ મોટી ક્રિકેટ-ઇવેન્ટ્સને વૈશ્ર્વિક સ્તરે લઈ જવા માગું છું.’

આઇસીસીની 75 ટકાથી વધુ કમાણી ક્રિકેટજગતની સૌથી શ્રીમંત બીસીસીઆઇ દ્વારા ઊભી કરવામાં આવતી હોય છે. એવું મનાય છે કે સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડમાંથી કોઈ એક દેશના ક્રિકેટ બોર્ડ દ્વારા ચૅરમૅનપદ માટે જય શાહનું નામ સૂચવવામાં આવ્યું હતું અને બીજા એક દેશના બોર્ડ દ્વારા તેમને સપોર્ટ કરવામાં આવ્યા હતા.

આઇસીસીના બંધારણ મુજબ કુલ 17 વોટ ધ્યાનમાં લેવાતા હોય છે. એમાં 12 ટેસ્ટ-પ્લેઇંગ રાષ્ટ્ર, ચૅરમૅન, ડેપ્યૂટી ચૅરમૅન, બે અસોસિયેટ મેમ્બર-રાષ્ટ્ર અને એક અપક્ષ મહિલા ડિરેકટરનો સમાવેશ હતો.

આગામી ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે અને એ બાબતમાં મહત્ત્વના નિર્ણયો લેવાનું સૌથી પહેલું કામ જય શાહે પાર પાડવું પડશે.

August 27, 2024
gold-lady.jpg
1min444

દરેક મહિલાને આભૂષણ ખૂબ જ પસંદ હોય છે અને એમાં પણ ખાસ કરીને ભારતીય મહિલાઓને સોનાના ઘરેણાં ખૂબ જ પસંદ હોય છે. અહીં લગ્ન હોય કે કોઈ પણ પ્રસંગ હોય મહિલાઓ સોના-ચાંદી કે ડાયમંડના ઘરેણાં પહેરવાનું પસંદ કરે છે. ગરીબમાં ગરીબ પરિવારની મહિલા પાસે પણ થોડું તો થોડું સોનું ચોક્કસ હોય જ છે. ધાર્મિક તહેવાર પર પણ સોનું પહેરવાનું શુભ માનવામાં આવ્યું છે.

  • ભારતીય મહિલા પાસે કેટલું સોનું છે?
  • દુનિયામાં કયા દેશની મહિલાઓ પાસે વધારે સોનું છે?
  • ભારતીયો મહિલાઓનો આ યાદીમાં કયો નંબર આવે છે?

વાત કરીએ ભારત પાસે રહેલાં સોનાની તો અન્ય દેશોની સરખામણીએ અહીં સોનું મોટા પ્રમાણમાં પહેરવામાં આવે છે. મહિલાઓથી લઈને પુરુષોમાં પણ સોનું પહેરવાનો ક્રેઝ વધી રહ્યો છે. મહિલાઓ તો અહીં મોટા પ્રમાણમાં સોનું પહેરે જ છે, પરંતુ પુરુષો પણ સોનું પહેરવાનું પસંદ કરે છે. ભારતના અનેક રાજ્યમાં ધાર્મિક કાર્યક્રમોમાં પણ સોનું પહેરવાનું આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલા એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય મહિલાઓ પાસે આશરે 24,000 ટન સોનું છે અને આ સોનાને દુનિયાનું સૌથી મોટું ખજાનો માની શકાય છે. આ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ભારતીય મહિલાઓ દુનિયાના કુલ સોનાના ભંડારા 11 ટકા સોનું તો ઘરેણાં બનાવીને પહેરે છે, જે દુનિયાના ટોપ ફાઈવ દેશના કુલ સોનાના ભંડારથી વધારે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના દક્ષિણી રાજ્યોમાં સોનાનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં જ દેશના કુલ સોનાનું 40 ટકા સોનુ છે. જ્યારે તમિળનાડુમાં 28 ટકા સોનું છે. સરળ શબ્દોમાં સજમાવવાનું થાય તો ભારતા આ ભાગમાં મહિલાઓ પાસે સૌથી વધુ પ્રમાણમાં સોનું છે.

વાત કરીએ દુનિયાના અન્ય દેશો વિશે તો અમેરિકા પાસે 8000 ટન સોનું છે જ્યારે જર્મની પાસે 3,300 ટન સોનુ છે. ઈટલી પાસે 2450 ટન, ફ્રાન્સ પાસે 2400 ટન અને રશિયા પાસે 1900 ટન સોનુ છે. 2023-24માં ભારતે બ્રિટનમાં રહેલા પોતાનું 100 ટન પાછું મંગાવી લીધું હતું. 1991 બાદ અત્યાર સુધી આ થયેલું સૌથી મોટું ટ્રાન્સફર હતું.

August 26, 2024
image-2.jpeg
2min373

અંતરિક્ષમાં અટવાયેલી સુનિતા વિલિયમ્સ આગામી 6 મહિના સુધી શું કરશે, નાસાએ કેવી તૈયારીઓ કરી?

More Bad News Facing Astronauts Stranded by Boeing Starliner

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર પૃથ્વીથી લગભગ 320 કિલોમીટર દૂર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં ફસાયેલા છે. જૂનની શરૂઆતમાં અવકાશમાં મોકલવામાં આવેલા બે અમેરિકન અવકાશયાત્રીઓ માત્ર આઠ દિવસ વિતાવીને પાછા ફરવાના હતા, પરંતુ બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં હિલીયમ લીક થવાના કારણે તેમને આઠ મહિના ત્યાં રહેવું પડશે. નાસાએ કહ્યું છે કે બંનેને ફેબ્રુઆરી 2025માં લાવવામાં આવી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે સુનીતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરને પૃથ્વીથી દૂર સ્થિત સ્પેસ સ્ટેશન પર કેવી પરિસ્થિતિઓમાં રહેવું પડે છે? સ્પેસ સ્ટેશન પર રહેતા લોકો માટે જીવન કેવું છે?

અવકાશયાત્રીઓ રિસાયકલ કરેલો પેશાબ પીવે છે

બ્રિટિશ અવકાશયાત્રી મેગન ક્રિશ્ચિયન યુકે સ્પેસ એજન્સીની સ્પેસ-ગોઇંગ રિઝર્વ ટીમનો ભાગ છે. તેમણે ધ સનને જણાવ્યું હતું કે સુનીતા અને બેરી સ્પેસ સ્ટેશન પર તેમના લાંબા રોકાણ દરમિયાન સ્નાન કરશે નહીં. 36 વર્ષીય મેગને જણાવ્યું હતું કે અવકાશયાત્રીઓએ તેમના યુરીનને રિસાયકલ કરીને પીવું પડે છે. આ સાથે રેડિયેશનનો પણ સામનો કરવો પડે છે. તેણે કહ્યું કે ‘સુનીતા અને વિલ્મોર આવા લાંબા ગાળાના મિશન માટે તૈયાર હતા. અવકાશ એક જટિલ જગ્યા છે. ત્યાં રહેવું અને સરવાઈવ કરવું સરળ હોતું નથી.

સ્પેસ સ્ટેશનમાં રહેવું સરળ નથી

હાલમાં સ્પેસ સ્ટેશન પર નવ લોકો સવાર છે, તેના બે બાથરૂમ અને છ બેડરૂમ શેર કરી રહ્યાં છે. સ્ટેશનને પૃથ્વી પરથી ખોરાક અને પાણી પૂરું પાડવામાં આવે છે, જેનો ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક કરવો પડે છે. જેમા યુરિનને રિસાયકલ કરીને પીવું પડે છે. ત્યાં રિફ્રેશ થવા માટે અવકાશયાત્રીઓ એક પ્રકારનો ભીનો ટુવાલ વાપરે છે. એટલું જ નહીં તેમની સામે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની બહાર હોવાને કારણે રેડિયેશનનું જોખમ પણ રહેલું છે. ઓછા ગુરુત્વાકર્ષણને કારણે, સ્નાયુઓને એટલું કામ કરવું પડતું નથી, જે શરીરને નુકસાન પહોંચાડે છે.

ખાસ શૌચાલયનો ઉપયોગ

મેગને કહ્યું કે તમારે શક્ય તેટલી વસ્તુઓ રિસાયકલ કરવી પડશે. શૌચાલય માટે એક ખાસ પ્રકારનું સક્શન શૌચાલય છે જે શરીરના પ્રવાહીને એકત્રિત કરે છે. પૃથ્વીની જેમ અવકાશમાં શૌચાલયનો ઉપયોગ કરી શકાતો નથી. માઈક્રોગ્રેવિટીને કારણે સામગ્રી અવકાશમાં તરતી રહે છે. અવકાશયાત્રીઓ આગળના ભાગમાં જોડાયેલ કન્ટેનર સાથે ટ્યુબમાં પેશાબ કરે છે. મળત્યાગ માટે દરેક કન્ટેનર પર એક નાની શીટ હોય છે. જેની સાથે એક રબરવાળી બેગ પણ જોડાયેલી હોય છે.

નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ તેના પાર્ટનર બૂચ વિલ્મોર સાથે અવકાશમાં છે. તે બોઈંગ સ્ટારલાઈનર મારફતે અવકાશમાં ગઈ હતી, પરંતુ અવકાશયાનમાં ખામીને કારણે તે પરત ફરી શકી ન હતી. હવે તેણે વધુ 6 મહિના અંતરિક્ષમાં રહેવું પડશે. તો ચાલો આપણે જાણીએ આ સમય દરમિયાન અવકાશયાત્રીઓ શું કરશે?

નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર જૂનની શરૂઆતમાં અવકાશમાં ગયા હતા. જ્યારે બંને સ્પેસમાં ગયા ત્યારે તેમને ખ્યાલ નહોતો કે તેમને 2025 સુધી અહીં જ રહેવું પડશે. જોકે તે અહીં અલગ-અલગ પ્રવૃતિઓમાં ભાગ લઈ રહ્યા છે. તે અન્ય અવકાશયાત્રીઓ સાથે રમતો રમ્યા હતા. તે બોઇંગ સ્ટારલાઇનર કેપ્સ્યુલની પહેલી હ્યુમન સ્પેસ ટ્રાવેલની ઉડાન માટે અવકાશમાં ગયા હતા. તેમનું પ્રારંભિક મિશન સ્પેસ સ્ટેશન સાથે જોડાણ અને પરત ફરવાનું હતું. મિશન નાનું હોવાથી તેણે તેની સુવિધાઓ સંબંધિત કોઈ સાધન લીધું ન હતું. સ્પેસક્રાફ્ટમાં ખામીને કારણે તે છેલ્લા 11 અઠવાડિયાથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાજર છે. નાસાએ શનિવારે જણાવ્યું હતું કે તેમની વાપસી હવે એલોન મસ્કની કંપની સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલમાંથી થશે.

હવે સવાલ એ થાય છે કે 2025 સુધીમાં બંને અવકાશયાત્રીઓ અવકાશમાં શું કરશે?

સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર હાલમાં સ્પેસ સ્ટેશનના સત્તાવાર કર્મચારી નથી પરંતુ અહીં મહેમાન તરીકે છે. નાસાએ કહ્યું છે કે બંને અવકાશયાત્રીઓ અન્ય અવકાશયાત્રીઓ સાથે સ્પેસ સ્ટેશનના દૈનિક કાર્યોને પૂર્ણ કરી રહ્યા છે. પરંતુ વિલિયમ્સ અને વિલ્મોરને હવે પૂર્ણ-સમયના અભિયાનના સભ્યો બનાવવામાં આવે તેવી અપેક્ષા છે. સ્પેસએક્સનું ક્રૂ-9 24 સપ્ટેમ્બરે લોન્ચ થશે, જેમાં બે અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશન પર પહોંચશે.

વિલિયમ્સ અને વિલ્મોર ક્રૂ -9 અને ઔપચારિક અભિયાનનો ભાગ બનશે. આ પછી, તે તે જ કામ કરશે જે અન્ય ક્રૂ મેમ્બર્સ કરે છે, જેમ કે સ્પેસ સ્ટેશનની બહાર સ્પેસવોક કરવું, ISSની જાળવણી કરવી અને વૈજ્ઞાનિક પ્રયોગો કરવા. નાસાએ પહેલા જ કહ્યું હતું કે બંને અવકાશયાત્રીઓ આવા પરિવર્તન માટે તૈયાર છે. સ્પેસએક્સની ક્રૂ-9 એક નિયમિત સફર છે. મિશન હેઠળ પ્રથમ ચાર અવકાશયાત્રીઓ અવકાશમાં જવાના હતા. પરંતુ હવે માત્ર બે અવકાશયાત્રીઓ બે ખાલી બેઠકો સાથે અવકાશમાં જશે. કારણ કે સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર આના દ્વારા વાપસી કરશે.

સ્પેસ સ્ટેશન પર કામ શરૂ કર્યુંસુનીતા વિલિયમ્સ અને વિલ્મોરે હવે અંતરિક્ષમાં વધુ 6 મહિના પસાર કરવા પડશે. પરંતુ બંને પહેલેથી જ કોઈ ને કોઈ કામમાં મદદ કરી રહ્યા છે. નાસાએ તાજેતરના અપડેટમાં જણાવ્યું હતું કે વિલિયમ્સ અને વિલ્મોરે સ્પેસ સ્ટેશનની જાળવણી, હાર્ડવેરનું નિરીક્ષણ કરવા અને કાર્ગો ગોઠવવા માટે અત્યાર સુધી તેમના સમયનો ઉપયોગ કર્યો છે. શુક્રવારે, ઉદાહરણ તરીકે વિલ્મોરે અમેરિકન કંપની નેનોરેક્સ દ્વારા બનાવવામાં આવેલા નવા એરલોકને ગોઠવવામાં મદદ કરી જે ઉપગ્રહો, પ્રયોગો અને અન્ય સાધનોને સ્ટેબલ કરવામાં મદદ કરશે. બંને અવકાશયાત્રીઓ અહીં અલગ-અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તાજેતરમાં તેણે અવકાશમાં ઓલિમ્પિક ગેમ્સનું અનુકરણ કર્યું હતું. ઉપરાંત, તે સ્પેસ સ્ટેશનના જિમનો ઉપયોગ કરીને પોતાના શરીરને ફિટ રાખી રહ્યો છે.

August 26, 2024
school-closed-1280x823.webp
1min412
Jalashtami in Gujarat: Heavy rains in more than 230 talukas, schools closed tomorrow

સુરક્ષાના કારણસર ગુજરાતની તમામ પ્રાથમિક સ્કૂલમાં તા.27મી ઓગસ્ટ 2024ને મંગળવારે રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી તા.27મી ઓગસ્ટને મંગળવારે તમામ સરકારી ગ્રાન્ડેટ, નોન ગ્રાન્ટેડ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલને બંધ રાખવાનો નિર્દેશ કર્યો છે.

ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે સોમવારે ચેતવણી આપી છે કે આગામી૨-૩ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. છેલ્લા ૪૮ કલાકમાં ભારે વરસાદ વચ્ચે, ગુજરાતના કેટલાક ભાગોમાં પૂર આવ્યું છે, જેના કારણે સેંકડો રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ વિસ્થાપિત કરવાની ફરજ પડી છે.

ગુજરાતમાં ૫ જિલ્લા સિવાય સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના પાંચ જિલ્લા માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને નીચાણવાળા વિસ્તારોમાંથી રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવા નિર્દેશ આપ્યા છે. તેમની ઓફિસે જણાવ્યું હતું કે ભારે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા અને પંચમહાલનો સમાવેશ થાય છે. દરમિયાન, મોરબી જિલ્લામાં એનડીઆરએફ દ્વારા ૭ વ્યક્તિઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં સોમવારે સવારે ૬ વાગ્યે પૂરા થતા ૨૪ કલાકમાં સૌથી વધુ ૩૫૬ મીમી વરસાદ નોંધાયો હતો. ૧૦૦ મીમીથી વધુ વરસાદ ધરાવતા અન્ય જિલ્લાઓમાં નર્મદા, સૌરાષ્ટ્ર, રાજકોટ, તાપી, મહિસાગર, મોરબી, દાહોદ અને વડોદરાનો સમાવેશ થાય છે. ગુજરાતના મુખ્ય સચિવે પ્રશાસનને શ્રાવણ માસ દરમિયાન આવનારા તહેવારોને કારણે જે વિસ્તારોમાં મોટી ભીડ થવાની સંભાવના છે તેવા વિસ્તારોમાં એલર્ટ રહેવા જણાવ્યું છે.

August 16, 2024
thailand-pm.png
1min456
જાણો, થાઇલેન્ડમાં ૩૮ વર્ષની ઉંમરે  વડાપ્રધાન બનનારી મહિલા કોણ છે ? 1 - image

ભારતના દક્ષિણ ભાગમાં હિંદમહાસાગરમાં આવેલા ટાપુ દેશ થાઇલેન્ડની સંસદે ૩૮ વર્ષની પટોંગટાર્ન શિનાવાત્રાને વડાપ્રધાન પદ માટે પસંદગી કરી છે. આ સાથે જ શિનાવાત્રા નાની વયે પીએમ પદની મોટી જવાબદારી સંભાળનાર નેતા બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર તે થાઇલેન્ડના પૂર્વ વડાપ્રધાન થાકસિન શિનાવાત્રાની સૌથી નાની પુત્રી છે.

આ સાથે જતે શિનાવાત્રા પરિવારમાંથી થાઇલેન્ડની બાગડોર સંભાળનાર ૩ જી નેતા બની છે. અગાઉ પિતા થાકસિન અને ચાચી યિંગલૂક શિનાવાત્રા વડાપ્રધાન પદ સંભાળ્યું હતું. યિંગલૂક પછી પટોંગટાર્ન થાઇલેન્ડનું પીએમ પદ સંભાળનારી બીજી મહિલા છે. તે થાઇલેન્ડની સતારુઢ પાર્ટી ફેઉ થાઇની નેતા છે. જો કે તે સાંસદ તરીકે ચુંટાયેલી નથી પરંતુ થાઇલેન્ડના બંધારણ મુજબ સાંસદ હોવું જરુરી નથી.

સંસદમાં તેના સમર્થનમાં ૩૧૦ મત પડયા હતા જયારે ૧૪૫ સદસ્યોએ વિરુધમાં મત આપ્યા હતા. ૨૭ સાંસદોએ મતદાનમાં ભાગ લેવાનું ટાળ્યું હતું. ગત બુધવારે થાઇલેન્ડની સંવૈધાનિક અદાલતે પીએમ શ્રેથા થાવિસિનને કેબિનેટ સદસ્યોની નિમણુંકમાં નૈતિકતાનું પાલન નહી કરવા બદલ પદથી હટાવી દીધા હતા. આવી પરિસ્થિતિમાં ૩૮ વર્ષની પૈટોંગર્ટાન શિનાવાત્રા માટે વડાપ્રધાન બનવાનો માર્ગ મોકળો બન્યો હતો.

થાઇલેન્ડના જાણીતા એસેટ કોર્પોરેશનમાં સૌથી વધુ શેર ધરાવે છે.

સિનાવાત્રા થાઈ રાજકારણી અને ઉદ્યોગપતિ છે. તેનો જન્મ 21 ઓગસ્ટ 1986ના રોજ બેંગકોકમાં થયો હતો. તેણીએ સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલ અને હાઈ સ્કૂલ માટે મેટર દેઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 2008 માં ચૂલાલોંગકોર્ન યુનિવર્સિટીના રાજકીય વિજ્ઞાન ફેકલ્ટીમાંથી રાજકીય વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

યુનિવર્સિટી ઓફ સરેમાંથી ઇન્ટરનેશનલ હોટેલ મેનેજમેન્ટમાં એમએસસીની ડિગ્રી મેળવી હતી. વધુ અભ્યાસ માટે બ્રિટન પણ ગઇ હતી.20 માર્ચ 2022 ના રોજ ફેઉ થાઈ પાર્ટીની મીટિંગમાં, પટોંગટાર્નને “ફેઉ થાઈ પરિવારના વડા” તરીકે વરણી કરવામાં આવી હતી.

2023ની સામાન્ય ચુંટણી દરમિયાન થયેલા ઓપિનિયન પોલમાં વડાપ્રધાન પદ માટે સૌથી પસંદગીની ઉમેદવાર હતી. જો કે એપ્રિલ 2023માં ચુંટણી પછી શ્રીથા થવીસિનને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. થાઇલેન્ડના જાણીતા એસેટ કોર્પોરેશનમાં સૌથી વધુ શેર ધરાવે છે. તે થાઇકોમ ફાઉન્ડેશનની ડિરેકટર પણ છે. તે નાની મોટી 21 જેટલી કંપનીઓમાં મોટા હોદ્દા પર છે.

August 14, 2024
phoghat.png
3min334

પેરિસ ઓલિમ્પિક 2024 બાદ વિનેશ ફોગાટને ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાં ગેરલાયક ઠર્યા બાદ સિલ્વર મેડલ આપવાની અરજી ફગાવી દીધી છે. વિનેશ ફોગાટે ઓલિમ્પિકમાં ગેરલાયક ઠર્યા બાદ CAS માં કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી પહેલાં જ થઇ ગઇ હતી. જો કે, ચુકાદો આપવાની તારીખ વારંવાર લંબાવવામાં આવી રહી હતી, જે કારણે સતત સસ્પેન્સ વધી રહ્યો હતો. સમગ્ર દેશની નજર આ કેસ પર હતી. જો કે, હવે સીએએસે વિનેશની અપીલને ફગાવતા હવે તેને સિલ્વર મેડલ મળશે નહી.
IOA અધ્યક્ષ પીટી ઉષાએ હતાશા વ્યક્ત કરી

CASએ વિનેશ ફોગાટની અરજી ફગાવતાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના અધ્યક્ષ પીટી ઉષાએ આ મામલે હતાશા વ્યક્ત કરતાં જણાવ્યું કે, કોર્ટનો આ ચુકાદો સાંભળી તેમને ઘણો આશ્ચર્ય થયો છે. અગાઉ પીટી ઉષાએ વિનેશ ફોગાટને ગેરલાયક ઠરાવવા બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિરોધ પણ નોંધાવ્યો હતો. CAS દ્વારા અગાઉ ચુકાદો આપવા માટેની તારીખ 16 ઓગસ્ટ સુધી લંબાવી હતી, જો કે 14 ઓગસ્ટે જ ચુકાદો આપી વિનેશની અરજી ફગાવતાં પીટી ઉષાએ આશ્ચર્ય વ્યક્ત કર્યો હતો.

વિનેશ તરફથી સુનાવણી દરમિયાન કરાયેલી દલીલો

  1. વિનેશે દલીલ કરી હતી કે તેણે કોઈ છેતરપિંડી કરી નથી.
  2. તેનું વજન શરીરની કુદરતી રિકવરી પ્રક્રિયાને કારણે વધ્યું હતું.
  3. વિનેશ વતી દલીલ કરવામાં આવી હતી કે પોતાના શરીરની કાળજી લેવી એ એથ્લિટનો મૂળભૂત અધિકાર છે.
  4. વિનેશ વતી એવી પણ દલીલ કરવામાં આવી હતી કે સ્પર્ધાના પહેલા દિવસે તેના શરીરનું વજન નિર્ધારિત મર્યાદા કરતા ઓછું હતું. માત્ર રિકવરીને કારણે વજન વધ્યું છે. સ્વસ્થ રહેવા માટે તેના શરીરને જરૂરી પોષક તત્ત્વો પૂરા પાડવા એ તેનો મૂળભૂત અધિકાર છે.

શું છે CAS?

વર્ષ 1896માં પહેલી વખત ઓલિમ્પિક્સનું આયોજન ગ્રીસમાં કરવામાં આવ્યું હતું. પરંતુ આ પછી કેટલાક વિવાદો ઊભા થવા લાગ્યા. કેટલાક ખેલાડીઓએ નિયમોને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે આ બધા વિવાદોને ધ્યાનમાં રાખીને તેમને ઉકેલવા માટે વર્ષ 1984માં ‘કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ’ની રચના કરવામાં આવી હતી. તેનું મુખ્ય કાર્યાલય સ્વિત્ઝર્લેન્ડમાં છે. આ એક સ્વતંત્ર સંસ્થા છે, જે રમતગમતને લગતા વિવાદોનું નિરાકરણ લાવે છે.

શું છે ઓલિમ્પિકમાં રેસલિંગના નિયમ?

  1. ઓલિમ્પિકમાં દરેક પહેલવાનનું મેચ પહેલાં વજન કરાય છે. જે દિવસે મેચ હોય, એ જ દિવસે સવારે વજન કરાય છે.
  2. દરેક વેઇટ કેટેગરીમાં ટુર્નામેન્ટ બે દિવસના ગાળામાં લડાય છે. એટલે જે પહેલવાન ફાઇનલમાં પહોંચે, તેમનું સળંગ બે દિવસ વજન કરાય છે.
  3. પહેલી વાર વજન કરાય ત્યારે પહેલવાનો પાસે વજન યોગ્ય કરવા 30 મિનિટનો સમય હોય છે. 30 મિનિટમાં કોઈ પણ પહેલવાન ઇચ્છે તેટલી વાર વજન કરી શકે છે.
  4. બીજી વાર વજન કરે ત્યારે વજન યોગ્ય કરવાનો સમય ફક્ત 15 મિનિટ મળે છે.
  5. વજન કરતી વખતે દરેક પહેલવાને ફક્ત રેસલિંગ કોસ્ચ્યુમ પહેરેલો હોવો જોઈએ.
  6. વજન કર્યા પછી દરેક પહેલવાનના આરોગ્યની તપાસ થાય છે. ત્યારે નખ પણ કાપેલા હોવા જરૂરી છે.

આમ, વિનેશ ફોગાટના કેસમાં સમજીએ તો તેનું વજન એક જ દિવસમાં 100 ગ્રામ વધ્યું, જેના કારણે તેને અયોગ્ય જાહેર કરાઈ હતી.

સેમિફાઇનલમાં શાનદાર વિજય થયો હતો

વિનેશ ફોગાટ મંગળવારે (07 ઑગસ્ટ) રમાયેલી મેચમાં પ્રથમ રાઉન્ડ સુધી 1-0થી આગળ હતી. પછી છેલ્લી ત્રણ મિનિટમાં ક્યુબાની રેસલર પર ડબલ લેગ એટેક કર્યો અને 4 પોઇન્ટ મેળવ્યા હતા. તેણે આ લીડને અંત સુધી જાળવી રાખી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ ઓલિમ્પિકમાં વિનેશની સફર શાનદાર રહી છે. સેમિફાઇનલ પહેલા, વિનેશે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની લિવાચ ઉક્સાનાને 7-5થી હરાવી હતી.

વિનેશ ફોગાટના નામે ઘણાં મેડલ અને રૅકોર્ડ્સ

1- 2018 એશિયન ગેમ્સ, જકાર્તા – ગોલ્ડ મેડલ

2- 2018 કોમનવેલ્થ ગેમ્સ, ગોલ્ડ કોસ્ટ – ગોલ્ડ મેડલ

3- 2014 કોમનવેલ્થ ગેમ્સ, ગ્લાસગો – ગોલ્ડ મેડલ

4- 2018 એશિયન ચેમ્પિયનશિપ, બિશ્કેક – સિલ્વર મેડલ

5- 2013 કોમનવેલ્થ ચેમ્પિયનશિપ, જોહાનિસબર્ગ – સિલ્વર મેડલ

6- 2020 એશિયન ચેમ્પિયનશિપ, નવી દિલ્હી – બ્રોન્ઝ મેડલ

7- 2019 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ, કઝાકિસ્તાન – બ્રોન્ઝ મેડલ

8- 2019 એશિયન ચેમ્પિયનશિપ, ઝિઆન – બ્રોન્ઝ મેડલ

9- 2016 એશિયન ચેમ્પિયનશિપ, બેંગકોક – બ્રોન્ઝ મેડલ

10- 2014 એશિયન ગેમ્સ, ઇંચિયોન- બ્રોન્ઝ મેડલ

11- 2013 એશિયન ચેમ્પિયનશિપ, નવી દિલ્હી – બ્રોન્ઝ મેડલ