CIA ALERT

વાયરલ Archives - Page 76 of 82 - CIA Live

January 31, 2019
social-media-1.jpg
1min5270

ભારતમાં કરોડો યુઝર્સ ધરાવતા ફેસબુક, ગુગલ જેવા સોશ્યલ મિડીયાની કંપનીઓ પર સરકાર ભારતમાં ગ્રાહકોની સંખ્યા અને વોલ્યુમના આધારે કંપનીઓ પર ટેક્સ નાખવા વિચારી રહી છે. તેના લીધે ગૂગલ અને ફેસબૂક જેવી કંપનીઓ પર ટેક્સ બોજ વધી શકે છે. વૈશ્વિક ડિજિટલ કંપનીઓ ભારતમાં મોટો ગ્રાહક બેઝ ધરાવે છે, પરંતુ તેઓ સ્થાનિક સ્તરે વેરા માટે એક રૂપિયો પણ ચૂકવતા નથી

સરકારે ગયા વર્ષે ‘નોંધપાત્ર આર્થિક હાજરી’ અથવા ડિજિટલ પર્મેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (પીઇ)ની આસપાસ માળખું રચ્યું છે. હવે તે આગામી બજેટમાં પોતાના નિયમ લાવવા વિચારી રહી છે, એમ આ હિલચાલ અંગેની જાણકારી ધરાવતા બે જણાએ જણાવ્યું હતું.

વૈશ્વિક ડિજિટલ કંપનીઓ ભારતમાં મોટો ગ્રાહક બેઝ ધરાવે છે, પરંતુ તેઓ સ્થાનિક સ્તરે વેરા માટે એક રૂપિયો પણ ચૂકવતા નથી

ભારતમાં હાલમાં કંપનીઓ પાસેથી પર્મેનન્ટ એસ્ટાબ્લિશમેન્ટના કન્સેપ્ટના આધારે ટેક્સ વસૂલવામાં આવે છે. ટેક્સ નિષ્ણાતોએ કહ્યું કે કંપની પર ટેક્સ વસૂલવાનો અધિકાર કોની પાસે છે તે નક્કી કરવા માટે આ એક લિટમસ ટેસ્ટ હશે. સરકારે ગયા વર્ષે જણાવ્યું હતું કે વૈશ્વિક ડિજિટલ કંપનીઓ ભારતમાં મોટો ગ્રાહક બેઝ ધરાવે છે, પરંતુ તેઓ સ્થાનિક સ્તરે વેરા માટે એક રૂપિયો પણ ચૂકવતા નથી. ભારતીય કરવિભાગ હવે ડિજિટલ કંપનીઓને સ્થાનિક ટેક્સ જાળમાં આવરી લેવા માંગે છે.

આ હિલચાલ અંગે સીધી જાણકારી ધરાવતી વ્યક્તિએ જણાવ્યું હતું કે, “કંપનીઓ અને તેમના ક્લાયન્ટ્સ વચ્ચે અનેકવિધ વ્યવહારો થાય અથવા તો તેમની પેરેન્ટ કંપનીની સાથે ગ્રાહકોની સંખ્યા જોવી જરૂરી છે. સ્થાનિક વેરાઓ આ આંકડાથી દૂર છે. આ જટિલ વિષય છે અને તેમાં નાની કંપનીઓ નથી પણ મોટી માછલીઓ પકડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.” તેમણે જણાવ્યું હતું કે સરકાર આ માટે લાખો ભારતીય ગ્રાહકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને તેના પ્રમાણના આધારે કર દર નક્કી કરશે, જેથી નાની કંપનીઓ પર અસર ન પડે.

ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે આ કંપનીઓનું મોનિટરિંગ કરીને તેઓ નિયમોનું પાલન કરે તેની ચકાસણી કરવાની બાબત ઘણી પડકારજનક હશે. “સિગ્નિફિકન્સ ઇકોનોમિક પ્રેઝન્સ (એસઇપી)થી સોદાની સંખ્યાના આધારે બિઝનેસ કનેક્શનનો આધાર અને સોદાના કુલ મૂલ્ય અથવા તો ગ્રાહક આધાર જેવા માપદંડ ધ્યાનમાં લેવાશે.

સરકારે આના પર ટિપ્પણીઓ મંગાવી છે અને જણાવ્યું છે કે તેના અંગેના માપદંડો અને માર્ગદર્શિકાઓની રાહ જોવામાં આવી રહી છે. આ પ્રકારના હેતુલક્ષી વિષયમાં નિરીક્ષણ મોટો પડકાર છે અને આ માટે કંપનીઓ પાસે પણ આ પ્રકારની સિસ્ટમ્સ અને પ્રક્રિયાઓ હોવી જરૂરી છે.” એમ ટેક્સ એન્ડ રેગ્યુલેટરી સર્વિસિસ અર્ન્સ્ટ એન્ડ યંગ ઇન્ડિયાના પાર્ટનર સમીર કાનાબારે જણાવ્યું હતું.

January 30, 2019
gandeva_falia.jpg
1min3284

નવસારીના ગણદેવા હરીપુરા ફળિયા ગામ ખાતે ખ્રીસ્તી ધર્મ પાળનારા લોકો માટે પ્રવેશ બંધી ફરમાવતા બોર્ડએ સમગ્ર ભારતનું ધ્યાન ખેંચ્યું છે. વર્ગ વિગ્રહને બિનજરૂરી નિમંત્રિત કરતા આ બોર્ડને કારણે આજે પૂ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નિર્વાણ દિને તા.30મી જાન્યુઆરી 2019ના રોજ નરેન્દ્ર મોદી નવસારી ખાતે આવી રહ્યા છે ત્યારે જ એક ધર્મ ને ઉદ્દેશીને લગાડવામાં આવેલા આ બોર્ડને પગલે રાજકીય અને સામાજિક તખ્તે મામલો ગરમાયો છે. નવસારીના જે ગામમાં ખ્રિસ્તીઓને પ્રવેશ બંધીનું બોર્ડ લગાડવામાં આવ્યું છે એ ગણદેવા હરીપુરા ફળિયાની વસતિ 7 હજારની છે અને મોટા ભાગે આદિવાસી સમુદાયના પરિવારો અહીં રહે છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના હરિપરા ફળિયા નામના ગામમાં બાર આદિવાસી પરિવારોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતાં ગામના લોકો એવા રોષે ભરાયા છે કે તેમણે ગામની હદ શરૂ થાય ત્યાં જ બોર્ડ લગાવીને સૂચના મૂકી દીધી છે કે ખ્રિસ્તી ધર્મ પાળનારાં ભાઈઓ-બહેનોએ આ ગામમાં પ્રવેશ કરવો નહીં

મહિના પહેલાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના હરિપરા ફળિયા નામના ગામમાં બાર આદિવાસી પરિવારોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતાં ગામના લોકો એવા રોષે ભરાયા છે કે તેમણે ગામની હદ શરૂ થાય ત્યાં જ બોર્ડ લગાવીને સૂચના મૂકી દીધી છે કે ખ્રિસ્તી ધર્મ પાળનારાં ભાઈઓ-બહેનોએ આ ગામમાં પ્રવેશ કરવો નહીં.

આ બોર્ડ અને ગામમાં અન્ય જગ્યાએ લટકતાં પોસ્ટર કોની સૂચનાથી લગાવવામાં આવ્યાં છે એના વિશે કોઈ કશું નથી કહેતું, પણ એવી ધારણા મૂકવામાં આવે છે કે આ બોર્ડ અને પોસ્ટર અન્ય કોઈ નહીં પણ આદિવાસી સમાજના આગેવાનો અને પ્રમુખ દ્વારા મૂકવામાં આવ્યાં હોય શકે છે.

જિલ્લા કલેક્ટરે આ બોર્ડ કાઢવાનો આદેશ આપ્યો છે તો સાથોસાથ આ બોર્ડે કોણે લગાવ્યાં એ બાબતમાં તપાસ પણ સોંપી છે.

જિલ્લા કલેક્ટરે આ બોર્ડ કાઢવાનો આદેશ આપ્યો છે તો સાથોસાથ આ બોર્ડે કોણે લગાવ્યાં એ બાબતમાં તપાસ પણ સોંપી છે. નવસારીના કલેક્ટર ડૉ. એમ. ડી. મોદિયાએ કહ્યું હતું કે ‘લોકશાહીમાં તમે કોઈ એક કમ્યુનિટી કે વ્યક્તિ પર બૅન મૂકી ન શકો કે એનો બહિષ્કાર ન કરી શકો એટલે આ પ્રકારના બોર્ડનો કોઈ અર્થ નથી, પણ અમે એની તપાસ કરીશું અને જે-તે કસૂરવાર સામે પગલાં પણ લઈશું.’

 

January 29, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5970

સામાજિક મીડિયામાં વડા પ્રધાન અંગે અપમાનજનક ટિપ્પણી કરનાર એમડીએમકેના સ્થાનિક કાર્યકર્તાની અટક કરવામાં આવી હતી, એવી પોલીસ સૂત્રોએ માહિતી આપી હતી.

મોદીની તમિળનાડુ મુલાકાત પહેલા ફેસબુક પર વડા પ્રધાન વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર એમડીએમકેના સિરકાઝી ગામના એકમના નેતા સાહિત્યરાજ ઉર્ફે બાલુ સામે સ્થાનિક ભાજપ નેતાએ ફરિયાદ નોંધાવી હતી. સાહિત્યરાજે મોદીનું એક ચિત્ર બનાવ્યું હતું જેમાં મોદીને કટોરો લઇને ભીખ માગતા બતાવવામાં આવ્યા હતા. સાહિત્યરાજને સિરકાઝી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામે ઉપસ્થિત કરવામાં આવ્યો હતો, જ્યાં તેને જ્યુડિશિયલ કસ્ટડી આપવામાં આવી હતી.

January 28, 2019
marriage.jpeg
1min13430

ગોંડલના જેતપુર રોડ ઉપર આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટમાં પટેલ પરિવારના લગ્ન યોજાયા હતા જ્યાં ભોજન સમારંભમાં જાનૈયા અને માંડવીયા (કન્યાપક્ષ) વચ્ચે માથાકૂટ સર્જાતા હસ્ત મેળાપ થયાની થોડી જ મિનિટોમાં નવદંપતીએ છૂટાછેડા લેવાની નોબત આવી હતી. લગ્ન સમારંભમાં જ વકીલોને બોલાવી વર અને કન્યા પક્ષે એકબીજાને આપેલી ચીજ વસ્તુઓ સામસામી પરત કરી લગ્ન ફોક જાહેર કર્યા હતા. ભારત જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં આટલું ટૂંકું લગ્નજીવન હજી સુધી નોંધાયું નથી. કહેવાય છે આ નવદંપતિનું લગ્ન ફક્ત 16 મિનિટ જેટલું ટક્યું હતું અને 17મી મિનિટે જાનૈયાઓ અને માંડવીયાઓ (કન્યાપક્ષ) વચ્ચે થયેલી બબાલમાં નવદંપતિએ કાયમ માટે છૂટા પડી જવું પડ્યું હતું.

ગોંડલના જેતપુર રોડ ઉપર આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટમાં લગ્ન સમારંભ યોજાયો હતો. ખેડાથી આવેલી જાન લઇને આવેલા જાનૈયાઓના આગમનથી લઇને લગ્ન મંડપમાં બધુ સમૂસુતરું ચાલ્યું હતું. માંડવીયાઓની હસી ખુશીથી લગ્ન વિધિ થઇ રહી હતી. દરમિયાન પંચોલાના ભોજન વેળાએ કોઈ કારણોસર જાનૈયા અને માંડવીયાઓ વચ્ચે ઝઘડો થતાં ઝઘડો થયો હતો. સૌરાષ્ટ્રમાં પંચોલુ એટલે લગ્નમંડપમાં કંસાર જેવી વાનગીથી મોઢું મીઠું કરાવવાનો રિવાજ. આ રિવાજ રસમ અદા કરતી વખતે કશું વાંકું પડ્યું હતું અને શરૂ થઇ હતી મોટી બબાલ. જોત જોતામાં બબાલ એટલી મોટી થઇ કે હાથાપાઇ સુધી વાત પહોંચી ગઇ અને પોલીસને બોલાવવાની નોબત આવી ગઇ હતી. અંતે વર અને કન્યા પક્ષના આગેવાનોએ લગ્ન સ્થળે જ છુટાછેડાની વિધી કરી લેવા માટે વકીલોને પણ ત્યાં બોલાવી લીધા હતા અને વર અને કન્યા પક્ષે એકબીજાને જે કંઇપણ આપ્યું હતું તેની પરત આપલે કરીને છૂટાછેડાના કાગળીયાઓ પર પણ સહીઓ કરાવી લેવાઇ હતી.

‘રાત્રિના સમયે જાનૈયા અને માંડવીયા વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સીટી પોલીસના પી.એસ.આઈ ઠાકોર તેમજ રાઇટર પુનિતભાઈ અગ્રાવત સહિતનો પોલીસ કાફલો દોડી ગયો અને બંને પક્ષના વકીલો આવી ચડતા સગાઈ તેમજ લગ્ન વખતે એકબીજાને આપવામાં આવેલી ચીજવસ્તુઓ પરત કરવામાં આવી હતી. ચાર ફેરા ફર્યાની ગણતરીની મિનિટમાં જ મંડપ મધ્યે છૂટાછેડા થવા પામ્યા હતાં.

January 24, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7190

દાહોદ નજીકના એક ગામની યુવતી અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે વડોદરાની એક ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને સારવાર બાદ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. જોકે ઘરે લઈ જતી વખતે ગોધરા-દાહોદ રોડ પર યુવતીના શરીરમાં અચાનક હલનચલન થતા તેને ફરી તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેની તબિયત સુધારા પર છે.

દાહોદ નજીકના એક ગામમાંથી બહારગામ જવા નીકળેલા પરિવારને ગત તા. 19મી જાન્યુઆરીએ રાતના સમયે દાહોદ નજીક હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં પરિવારની એક યુવતીને ગંભીર ઈજાઓ હતી જેથી તેને સારવાર અર્થે વડોદરાની એક ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેને સારવાર દરમિયાન બીજા દિવસે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા દાહોદ વસતા આ યુવતીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને યુવતીની અંતિમ યાત્રા સવારે દસ વાગ્યે લઈ જવાશે તેવું પરિવાર દ્વારા નક્કી કરાયા બાદ સમાજમાં સોશિયલ મીડિયા દ્વારા પણ જાણ કરી દેવામાં આવી હતી. જોકે દાહોદ પરત લાવતી વખતે ગોધરાથી દાહોદની વચ્ચે એમ્બ્યુલન્સમાં યુવતીનું શરીર હલાવતા તે જીવિત હોવાનું જણાયું હતું જેથી યુવતીને દાહોદના ખાનગી દવાખાનામાં લઈ જઈને તપાસ કરવામાં આવતા યુવતી જીવિત હોવાનું સામે આવ્યું હતું.

પ્રાથમિક સારવાર બાદ યુવતીને વધુ સારવાર માટે ફરીથી વડોદરા ખાતે બીજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ફરજ પરના તબીબોના મત પ્રમાણે દર્દી શોકમાં જતો રહે તે અવસ્થામાં તેના ધબકારા અનિયમિત થઈ જાય છે, જેથી તે સાંભળવા અતિમુશ્કેલ હોય છે. આ સંજોગોમાં પલ્સ અને બીપી બિલકુલ આવતું નથી, જેથી દર્દી મૃત છે કે જીવિત તે અનુમાન થતું નથી. આ સંજોગોમાં ક્યારેક ભૂલ થઈ પણ શકે છે.

January 24, 2019
swine-flu_.jpg
1min7700

ગુજરાતમાં સ્વાઇન ફ્લુ રોગચાળાએ બિલ્લી પગે જાહેર આરોગ્ય પર જબરદસ્ત શિકંજો કસી દીધો હોવાની સ્થિતિ પ્રવર્તી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગમાં પણ સ્વાઇન ફ્લુના રોગોના કેસોની સંખ્યાએ ભૂકંપ મચાવી દીધો છે. છેલ્લા 22 દિવસ દરમિયાન સ્વાઇન ફ્લુના 210થી વધુ કેસો નોંધાતા સમગ્ર રાજ્યના દરેક જિલ્લાના આરોગ્ય અધિકારીઓને એલર્ટ પોઝીશનમાં લાવી દેવામાં આવ્યા છે. હાલમાં રાજકોટ અને અમદાવાદ ખાતે સ્વાઇન ફ્લુના રોગો સૌથી વધુ સંખ્યામાં મળી રહ્યા છે.

  • દેશમાં સ્વાઈન ફ્લૂના કેસમાં રાજસ્થાન બાદ ગુજરાત બીજા ક્રમે
  • અમદાવાદમાં સ્વાઈન ફ્લૂને કારણે 13ના મોત
  • રાજકોટમાં સ્વાઈન ફ્લૂને કારણે 10નો મોત થયા
  • રાજકોટમાં 22 દિવસમાં સ્વાઈન ફ્લૂના 62 કેસ

ગુજરાતભરમાં સ્વાઈન ફ્લૂનો કહેર વર્તાઈ રહ્યો છે. 22 દિવસમાં સ્વાઈન ફ્લૂના 210 કેસ નોંધાયા છે. તેમ જ અમદાવાદમાં સ્વાઈન ફ્લૂને કારણે 13ના મોત થયા હતા. ફક્ત અમદાવાદ સિવિલમાં સ્વાઈન ફ્લૂના 31 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

રાજકોટમાં સ્વાઈન ફ્લૂને કારણે 10નો મોત થયા હતા જેમાં રાજકોટમાં 22 દિવસમાં સ્વાઈન ફ્લૂના 62 કેસ નોંધાયા છે જેથી આરોગ્ય વિભાગના સલામતીના દાવા પોકળ સાબિત થયા છે. દેશમાં સ્વાઈન ફ્લૂના કેસમાં રાજસ્થાન બાદ ગુજરાત બીજા ક્રમે આવે છે. રાજસ્થાનમાં 33માંથી 31 જિલ્લા સ્વાઈન ફ્લૂના સકંજામાં છે. તેમ જ રાજસ્થાનમાં સ્વાઈન ફ્લૂના 789 કેસ નોંધાયા છે તેમ જ 51 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના રોગચાળાએ માઝા મૂકી છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂના 66 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 19 કેસ, રાજકોટ ગ્રામ્યમાં 19 કેસ અને રાજકોટ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના 27 કેસ નોંધાયા છે જેમાંથી રાજકોટ શહેરમાં 2, રાજકોટ ગ્રામ્યમાં 3 અને રાજકોટ જિલ્લામાં 6 લોકોના મોત થયા છે.

(Swine Flu image)

January 22, 2019
ahmedabad_airport-1280x720.jpg
1min6210

બીજા પૅસેન્જરે સીટ ક્લેઇમ કરી ત્યારે ભૂલ જાણવા મળી, નહીં તો મુંબઇની જગ્યાએ કોલકાત્તા પહોંચી ગયા હોત મુસાફર

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની જાણીતી કંપનીમાં કામ કરતા ૫૩ વર્ષના ભરત દવે ગાંધીનગર યોજાયેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ કવર કરવા માટે ત્રણ દિવસ માટે મુંબઇથી અમદાવાદ ગયા હતા. રવિવારે વાઇબ્રન્ટ ગુજરાતના સમાપન બાદ તેઓ અમદાવાદથી ફ્લાઇટ મારફતે મુંબઇ જવા રવાના થયા હતા.

ભરત દવે મુંબઈમાં હતા તેમને પગમાં ઈજા થઈ હતી આમ છતાં, તેઓ વાઇબ્રન્ટ ઇવેન્ટ માટે ત્રણ દિવસ ગાંધીનગર આવ્યા હતા. એ દરમિયાન તેમને પગમાં ભારે દુખાવો શરૂ થયો હતો. દરમિયાન તા.20મીએ વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ પૂરી થયા બાદ રવિવારે સાંજે 6.40 વાગ્યાની અમદાવાદથી મુંબઈ માટે ઇન્ડિગોની ફ્લાઇટની ટિકિટ બુક હોઇ ભરત દવે ઍરપોર્ટ પર પહોંચ્યા હતા.

ભરત દવેને પગ ઇજા અને દુખાવો જોઈને ફ્લાઇટ સ્ટાફે વ્હીલચૅર પર ફ્લાઇટ સુધી લઈ જવાની વ્યવસ્થા કરી આપી હતી. ભરત દવેના બોર્ડિંગ પાસની ત્રણથી વધુ વખત તપાસ કરવામાં આવી હતી. અને અમદાવાદ એરપોર્ટ પર ૬ નંબરના ગેટ સુધી લઈ જવામાં આવ્યા. ત્યાર બાદ અન્ય ફ્લાઇટ સ્ટાફે તેમને ત્યાંથી ફ્લાઇટ સુધી લઇ ગયા. ફ્લાઇટમાં લઇ જઇને તેમને સીટ ૨D પર બેસાડી ફ્લાઇટ સ્ટાફ રવાના થઇ ગયો હતો. બાદમાં ધીરે-ધીરે પૅસેન્જરો ફ્લાઇટમાં પોતાની સીટ્સ પર બેસવા માંડ્યા ત્યારે એક પ્રવાસીએ ૨D સીટ પોતાની હોવાનો દાવો કરી બોર્ડિંગ પાસ બતાવ્યો ત્યારે ક્રૂ-મેમ્બરને અને ભરત દવેને ખબર પડી કે આ મુંબઈની નહીં પણ કલકત્તાની ફ્લાઇટ છે.

અમદાવાદથી મુંબઈ આવી રહેલા ઈજાગ્રસ્ત ગુજરાતી મુંબઈગરાને પ્લેનના સ્ટાફે કલકત્તાની ફ્લાઇટમાં બેસાડી દીધાની ગંભીર ભૂલ થઇ ગયા પછી ફ્લાઇટના સ્ટાફે માફી માગીને તેમને અમદાવાદથી મુંબઈની ફ્લાઇટમાં શિફ્ટ કર્યા હતા. જોકે ફ્લાઇટ સંબંધિત કંપનીએ આ વિશે તપાસ શરૂ કરી હતી.

ભરત દવેને ખોટી ફ્લાઇટમાં બેસાડવાના પગલે તા.20મી જાન્યુઆરી 2019ને રવિવાર સાંજની અમદાવાદથી મુંબઈ અને અમદાવાદથી કલકત્તાની એમ બન્ને ફ્લાઇટ્સ લેટ પણ પડી હતી.

January 21, 2019
natamain.jpg
1min12700

દેશભરમાં આવેલી આર્કિટેક્ચર કોલેજોને પહેલા વર્ષમાં પ્રવેશ માટે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર દ્વારા રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવતી નાટા (નેશનલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર) 2019 માં પાછલા વર્ષોની સરખામણીમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે.

પહેલો ફેરફારઃ નાટા 2019 બે વખત લેવાશે

છેલ્લા બે વર્ષથી વર્ષમાં એક જ વખત લેવાયેલી નાટા પરીક્ષા 2019માં બે વખત પહેલી વખત તા.14મી એપ્રિલ 2019ના રોજ અને દ્વિતિય પરીક્ષા તા.7મી જુલાઇ 2019 (મોટા ભાગની કોલેજોમાં પ્રવેશ અપાઈ ચૂક્યા હશે ત્યારે) લેવામાં આવશે. નાટાની બીજી પરીક્ષા એટલા માટે લેવામાં આવી રહી છે કે પહેલી પરીક્ષામાં મેળવાયેલા માર્કસથી અસંતુષ્ઠ ઉમેદવારો બીજી પરીક્ષામાં તેમનું પરફોર્મન્સ સુધારી શકે. નાટા 2019નું સમયપત્રક નીચે મુજબ છે.

Information Brochure

બીજો ફેરફાર ઃ નાટા પરીક્ષામાં ક્વોલિફાઇંગ લેવલ ઘટાડીને 40 ટકાથી ઘટાડીને 25 ટકા કરી દેવાયું

નેશનલ એપ્ટિટ્યુટ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર 2019 પરીક્ષામાં કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરના વહીવટકર્તાઓએ ક્વોલિફાઇંગ લેવલ એટલે કે નાટામાં પાસ થવાનો લઘુત્તમ સ્કોર 40 ટકા હતો જેમાં પહેલી વખત ઘટાડો કરીને આ પ્રમાણ 25 ટકા કરી દેવામાં આવ્યું છે. 2018 સુધી નાટામાં પાસ થવા (બી.આર્ક.માં પ્રવેશ માટે લાયક થવા) માટે 200માંથી 80 માર્કસ અનિવાર્ય હતા. પરંતુ, હવે નાટાના બન્ને પાર્ટમાં 25 ટકા માર્કસ લાવીને કુલ 200માંથી 50 માર્કસ આવશે એટલે ઉમેદવારને બી.આર્ક.માં પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે.

અત્યાર સુધી આર્કિટેક્ચર કોલેજોમાં 200માંથી 80 માર્કસનું લાયકાત ધોરણ હોવાથી અનેક વિદ્યાર્થીઓ આ લેવલ પાસ કરી શકતા ન હતા અને તેને પરીણામે કોલેજોમાં બેઠકો ખાલી પડી રહેતી હતી. ગુજરાતમાં આ વખતે 600 જેટલી બેઠકો પહેલા રાઉન્ડમાં ખાલી પડી રહી હતી.

નાટામાં પરીણામ કેવી રીતે ગણનામાં લેવામાં આવશે એ અંગેની સઘળી વિગતો નીચે મુજબ છે.

Information Brochure

કોમર્સના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ બંધી

ચાલુ શૈક્ષણિક વર્ષથી નાટા પરીક્ષાનું રજિસ્ટ્રેશન ફક્ત એવા વિદ્યાર્થીઓ કરી શકશે જેઓ માર્કશીટમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટીક્સ વિષય ધરાવતા હશે. આ વર્ષથી આ નિયમ અમલી બનાવાયો છે. જોકે, આ સૂચના બે વર્ષ અગાઉથી જાહેર કરી દેવામાં આવી હતી.

January 19, 2019
ragha1-1280x926.jpg
1min10570
  • જેઇઇ પેપર-1 2019માં સુરતના રાઘવ સોમાણીએ કુલ 99.99 પર્સન્ટાઇલ માર્કસ મેળવી રાજ્યમાં ટોપ કર્યું છે
  • સુરતમાં જીએસટી અધિકારીનો દિકરો છે રાઘવ સોમાણી
  • જેઇઇ પેપર-1 જાન્યુઆરી 2019માં ગુજરાત ટોપર બનેલા રાઘવએ આઇઆઇટી મુંબઇથી કમ્પ્યૂટર સાયન્સ કરવું છે

(Raghav Somani, Jee Main Gujarat Topper & Student of Aakash Institute)

સુરતમાં જીએસટી અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા અધિકારીનો દિકરો રાઘવ સોમાણી આજે સમગ્ર ગુજરાતના શિક્ષણમાં છવાય જવા પામ્યો છે. સુરતમાં ઉછરીને મોટા થયેલા રાઘવ સોમાણીએ ચાલુ મહિનામાં જ લેવાયેલી ઇજનેરી માટેની નેશનલ ટેસ્ટ જેઇઇ પેપર-1માં સમગ્ર ગુજરાતમાં નંબર વન હાંસલ કર્યો છે.

  • ધો.10માં મહેશ્વરી વિદ્યાપીઠમાં 10માંથી 10 સીજીપીએ મેળવ્યા હતા રાઘવ સોમાણીએ
  • આશ્ચર્યજનક રીતે ધો.11-12 સાયન્સમાં કહેવાતી ડમી સ્કુલ ડીવાઇન ચાઇલ્ડમાં પ્રવેશ મેળવ્યો હતો રાઘવએ

રાઘવ સોમાણી માટે કહેવાય છે કે ધો.10 સુધી એ સુરતની મહેશ્વરી સ્કુલમાંથી ભણ્યો હતો.  ધો.10માં રાઘવ સોમાણીએ 10માંથી 10 સીજીપીએ મેળવ્યા હતા. આટલા સીજીપીએ મેળવ્યા પછી પણ રાઘવ સોમાણીએ એવી સ્કુલમાં પ્રવેશ મેળવ્યો કે જ્યાં રાઘવને ભણવા માટે વધુ સમય મળી શકે એટલે ડિવાઇન ચાઇલ્ડ સ્કુલમાં પ્રવેશ મેળવ્યો હતો રાઘવ એ એવું તેમના પિતાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. ધો.11-12 સાયન્સમાં ભણવા માટે વધુ સમય મળી શકે તે માટે કહેવાતી ડમી સ્કુલ ડીવાઇન ચાઇલ્ડ સ્કુલમાં પ્રવેશ મેળવ્યો હતો. આજે જ્યારે સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં રાઘવ સોમાણીની ચર્ચા સર્વત્ર થતી હતી ત્યારે ડીવાઇન ચાઇલ્ડ સ્કુલના સંચાલકો સાવ બેખબર હતા કે તેમની સ્કુલના વિદ્યાર્થી રાઘવ સોમાણી જેઇઇ મેઇન જેવી અઘરી પરીક્ષામાં ગુજરાત ટોપર આવ્યો છે. આવું સ્વભાવિક છે કેમકે અગાઉ ડીવાઇન સ્કુલનું નામ ટોપર લિસ્ટમાં ભાગ્યે જ આવ્યું છે. આજે જ્યારે પરીણામ જાહેર થયું ત્યારે પણ રાઘવ સોમાણી આકાશ મજૂરાગેટ ખાતે જ હતો.

  • આખા ગુજરાતના શિક્ષણ જગતમાં ડીવાઇન ચાઇલ્ડ સ્કુલનું નામ ચર્ચાતું હતું ત્યારે તેના સંચાલકો જ બેખબર હતા કે તેમની સ્કુલના વિદ્યાર્થી રાઘવ સોમાણીએ જેઇઇ મેઇન પેપર-1 જેવી અઘરી પરીક્ષામાં ગુજરાતમાં સૌથી પહેલો ક્રમ મેળવ્યો છે.

ખેર વાત કરીએ રાઘવ સોમાણીની. જેઇઇ મેઇન પેપર-1માં ગુજરાત ટોપર આવેલા રાઘવ સોમાણીએ જણાવ્યું કે તે મુંબઇ આઇ.આઇ.ટી.માં કમ્પ્યૂટર સાયન્સ બ્રાન્ચમાં પ્રવેશ મેળવવા માટે ઇચ્છુક છે અને તેણે મજૂરા ગેટ સ્થિત આકાશ ઇન્સ્ટિટ્યૂટ નામના કોચિંગ ક્લાસીસમાં ધો.9થી જ પ્રવેશ મેળવી લીધો હતો. એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે રાઘવ સોમાણીની અદ્વિતિય સિદ્ધિમાં આકાશનો જ સિંહફાળો રહ્યો છે પરંતુ, ખેલદિલ રાઘવ સોમાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે આ સિદ્ધિ માટે ક્રેડિટ કોને આપશો ત્યારે તેણે ડિવાઇન ચાઇલ્ડ સ્કુલ અને આકાશ બન્નેને શ્રેય આપ્યો હતો.

ફરીથી આકાશ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

જેઇઇ મેઇન પેપર-1 2019માં ગુજરાત ટોપર બનેલા રાઘવ સોમાણીને પત્રકારો સમક્ષ રજૂ કરનાર સુરતના મજૂરાગેટ સ્થિત આકાશ ઇન્સ્ટિટ્યુટના સંચાલકોએ જણાવ્યું હતું કે ફરીથી તેમના વિદ્યાર્થીઓ જેઇઇ મેઇન જેવી પરીક્ષામાં ઝળકી ઉઠ્યા છે. આકાશ ઇન્સ્ટિટ્યૂટના અનેક વિદ્યાર્થીઓએ 97થી 99 પર્સન્ટાઇલ વચ્ચે માર્કસ મેળવ્યા છે.

January 18, 2019
agri-1.jpg
1min11270

(Symbolic Photo DAM)

2018માં નબળા રહેલા ચોમાસાને કારણે સુરત શહેર અને દક્ષિણ ગુજરાત અભૂતપૂર્વ જળસંકટ તરફ આગળ વધી રહ્યું છે, હાલ શિયાળાનો માહોલ છે છતાં પાણીની તકલીફો પડવા માંડી છે પરંતુ, આગામી દિવસોમાં અને ખાસ કરીને ઉનાળો શરૂ થશે ત્યારથી સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાત અભૂતપૂર્વ જળસંકટમાં સપડાયેલું હશે તેવા ભણકારા સંભળાય રહ્યા છે. ઉકાઇ ડેમમાં હાલ સંગ્રહિત પાણીનો જથ્થો તેમજ ખેતી સિંચાઇ માટેના રોટેશનની સ્થિતિને જોતા ઉનાળામાં ઉકાઇ ડેમમાંથી સિંચાઇનું પાણી મેળવીને ઉનાળું પાક પકવતા ખેડૂતોને પાણી મળે તેવી કોઇ જ શક્યતા નથી જેને પરીણામે ડાંગર, શેરડી અને શાકભાજી મળીને અંદાજે રૂ.1600 કરોડથી વધુ રકમની નુકસાનીની દહેશત વર્તાય રહી છે. ખેતી માટે સિંચાઇ નહીં મળતા અંદાજે 3 લાખથી વધુ પરિવારો માટે આફતના ઓળા ઉતરી આવે તેમ છે. ગુજરાતની ભાજપા સરકારની નિર્ણય શક્તિની ટીકા ત્યારે કરવી પડી રહી છે જ્યારે ઉનાળુ પાક માટે સિંચાઇનું પાણી નહીં આપવાનો નિર્ણય સિંચાઇ ખાતું કરી ચૂક્યું છે પરંતુ, તાપી નદીમાથી મનફાવે તેટલું પાણી ઉલેચીને અબજો રૂપિયાની ધીકતી કમાણી કરી રહેલા ઉધોગો ઉપર પાણી કાપ તો દૂરની વાત રહી તેમને એક ટીપું પાણી ઓછું મળે તો ઉદ્યોગોના સરકારી દલાલો લોબીંગ કરવા પહોંચી જાય છે.

સિંચાઇ વિભાગના સુરત સુપરિટેન્ડન્ટ અધિકારી શ્રી સુનિપ મહાકાલ સાથે પત્રકારની થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું કે ઉનાળુ પાક માટે ઉકાઇમાંથી પાણી મળવાનું છે એવી વાતો ફેલાવવામાં આવી રહી છે, હકીકતમાં આવો કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. ઉકાઇ ડેમમાંથી થતા સિંચાઇની વર્તમાન રોટેશન અવધિ પૂરી થયા બાદ ઉકાઇ ડેમમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કર્યા બાદ ખેતી સિંચાઇ માટે પાણી આપવું કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે. સિંચાઇની વર્તમાન રોટેશન અવધિ 16મી મે 2019 સુધીની છે.

ઉનાળામાં ખેતીને પાણી મળે તેવી કોઇ શક્યતા નથી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉનાળુ પાક માટે ખેડૂતોને ઉકાઇ ડેમમાંથી પાણી મળે તેવી કોઇ જ શક્યતા નથી. કેમકે ડેમમાં પાણીનો જથ્થો સાવ ઓછો છે અને જુલાઇ 2019 સુધી પીવાના પાણીનો જથ્થો રિઝર્વ રાખવો પડે છે. ગણતરી પ્રમાણે જ પાણીના જથ્થો વપરાશમાં લેવો પડે છે. ઉકાઇ ડેમમાંથી સિંચાઇના એક રોટેશન માટે 450 એમસીએમ જેટલો પાણીનો જથ્થાની જરૂરિયાત રહે છે, હાલમાં ઉકાઇ ડેમમાં સંગ્રહિત પાણીના જથ્થાની સ્થિતિ જોતા ઉનાળામાં ખેતીને સિંચાઇ માટે પાણી મળવાની કોઇ શક્યતાઓ જણાતી નથી.

ખેતી અને ખેડૂતોને 1600 કરોડના જંગી નુકસાનની દહેશત

બીજી તરફ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ શ્રી જયેશભાઇ પટેલ (પાલ)એ જણાવ્યું કે ઉનાળુ પાક માટે પાણી નથી તેવી દહેશત અમને ક્યારની વર્તાય રહી છે પણ જો હયાત પાણીના જથ્થાના વિતરણ અંગે યોગ્ય રીતે નિર્ણય કરવામાં આવે તો ખેડૂતોને મોટી નુકસાનીથી બચાવી શકાય તેમ છે. તેમણે કહ્યું કે ઉનાળુ પાક માટે જો ઉકાઇ ડેમ પર નભતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને જો પાણી પૂરૂં પાડવામાં નહીં આવે તો ડાંગરના પાકને રૂ.250 કરોડ, શેરડીના પાકને રૂ.600 કરોડ, શાકભાજીને રૂ.250 કરોડથી વધુ તેમજ દુધ ઉત્પાદનને રૂ.250 કરોડ મળીને અંદાજે રૂ.1600 કરોડથી વધુ રકમની નુકસાની સહન કરવાનો વખત આવે તેમ છે.

19મીએ ખેડૂતો સિંચાઇ સલાહકાર સમિતિને મળશે

શ્રી જયેશ પાલએ જણાવ્યું કે સિંચાઇ વિભાગને ઉનાળુ પાક અંગે સિંચાઇનું પાણી ખેડૂતોને વિતરણ કરવા સંદર્ભે રજૂઆતો કરવા માટે તા.19 જાન્યુઆરી 2019ના રોજ ખેડૂતોનું પ્રતિનિધિમંડળ સિંચાઇ વિભાગના અધિકારીઓને મળવા જઇ રહ્યું છે.

તાપી નદી પોતાના બાપની જાગીર હોય એમ હજીરાના ઉદ્યોગો પાણી ઉલેચી રહ્યા છે, તેમના પર હજુ સુધી કોઇ પાણી કાપ મૂકાયો નથી

આમ, સિંચાઇના અભાવે દક્ષિણ ગુજરાતમાં એક તરફ ખેતી અને ખેડૂતો પાયમાલ થઇ જાય તેવી સ્થિતિ છે ત્યારે બીજી તરફ તાપી નદીમાંથી હજીરા સમેતના ઉદ્યોગ સમૂહો બેરોકટોક પાણી ઉલેચી રહ્યા છે અને પાણીનો મનસ્વી ઉપયોગ કરી રહ્યા છે. હજુ સુધી ખેડૂતો પર અનેક પાણીના નિયંત્રણો મૂકવામાં આવ્યા છે પરંતુ, હજીરા સમેતના ઉધોગો જેઓ તાપી નદી પોતાના બાપની જાગીર હોય એ રીતે નદીનું પાણી ઉલેચી રહ્યા છે તેમની સામે એક હરફ પણ ઉચ્ચારવામાં આવ્યો નથી. ખેડૂત આગેવાન શ્રી દર્શનભાઇ નાયકે જણાવ્યું હતું કે આ સરકાર ઉદ્યોગોનું હિત વિચારી રહી છે, એક તરફ વાઇબ્રન્ટ ગુજરાતમાં ઉદ્યોગો માટે લાલજાજમ બિછાવવામાં આવી રહી છે તો બીજી તરફ ખેડૂતોને પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં સરકારને કેમ રસ રહ્યો નથી.