ડિરેક્ટર એસ એસ રાજમૌલિની બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ની સફળતા બાદ એક્ટર રામ ચરણે ભગવાન અયપ્પા સ્વામીનું 45 દિવસનું કઠોર મહાવ્રત કર્યું હતું. હવે જૂનિયર NTRએ પણ હનુમાન દિક્ષા લીધી છે.
જુનિયર NTR 21 દિવસ સુધી ઉધાડા પગે રહેશે. એમની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે, જેમાં તે ભગવા રંગના કપડાં, ગળામાં માળા અને માથામાં તિલક સાથે દેખાઇ રહ્યો છે.
જૂનિયર NTRએ હનુમાન જયંતિ પર પૂજા કરી હતી. હવે તે 21 દિવસ સુધી દીક્ષાનું સંપૂર્ણ રીતે પાલન કરશે. આ દરમિયાન તે ઉઘાડા પગે રહેશે, સાત્વિક ભોજન જમશે અને બ્રહ્મચર્યનું પાલન કરશે.
Date 18/04/2022, સોમવારથી ફરી એકવાર વડા પ્રધાન PM Modi ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. નરેન્દ્ર મોદી તા. ૧૮, ૧૯ અને ૨૦મી એપ્રિલે ગુજરાત પ્રવાસે છે. સોમવારે સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને સાંજે ૬ વાગ્યે ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ ક્ટ્રોલ સેન્ટરની મુલાકાત સાથે તેમના ત્રણ દિવસના કાર્યક્રમનો પ્રારંભ થશે.
નરેન્દ્ર મોદી ગુજરાતમાં અલગ અલગ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં બનેલા બનાસ ડેરીના પ્લાન્ટનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમમાં પહેલી વખત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહેશે જેમને વડા પ્રધાન સંબોધન કરશે. આ સિવાય દાહોદમાં એક હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ૨૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી ૭૫૦ પથારીની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની સાથે મોદી નવી મેડિકલ કોલેજના સંકુલ તથા ૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા રહેણાંક આવાસનું પણ લોકાર્પણ કરશે. આ સિવાય હોસ્પિટલમાં બનેલા નવા ઓક્સિજન પ્લાન્ટને ખુલ્લો મુકશે. આ ઉપરાંત ગાંધીનગરમાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં વધુ સુદ્રઢ બનાવી શકાય તે હેતુથી આ કંટ્રોલ સેન્ટર તૈયાર કરાયું છે.
મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસને લઈ રાજ્ય સરકારે ખાસ તૈયારીઓ કરી છે. વડા પ્રધાનના રૂટ અને કાર્યક્રમના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ૧૯મીએ દિયોદરમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને વડા પ્રધાન સીધા જામનગર જશે જ્યાં ડબલ્યુએચઓના સહયોગથી બનનાર ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. આ પ્રસંગે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના ડિજી સહિત અધિકારીઓ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન પણ હાજર રહેશે. જામનગરથી ગાંધીનગર પરત ફરી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. ૨૦મી એપ્રિલે સવારે મહાત્મા મંદિરમાં પીએમ મોદી હાજરી આપશે. બપોર બાદ દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધન કરશે. દાહોદ અને પંચમહાલના વિવિધ પ્રોજેકટના ખાતમુહૂર્ત કરશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સીઝનમાં કોરોનાનું જોખમ મંડાઈ રહ્યું છે. દિલ્હી ટીમનો ફિઝિયો બાદ એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ રિપોર્ટ બાદ દિલ્હીની ટીમને પુણે જતા રોકી દેવાઈ છે. દિલ્હીની સમગ્ર ટીમને મુંબઈમાં જ ક્વોરન્ટીન કરી દાવાઈ છે.
દિલ્હીની આગામી મેચ 20 એપ્રિલના રોજ પંજાબ સામે પુણેમાં રમાવાની છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ ખેલાડીનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
પેટ્રિક ફરહાર્ટ દિલ્હી કેપિટલ્સના તમામ ખેલાડીઓના સંપર્કમાં રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ ખેલાડીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. જો ટેસ્ટમાં અન્ય કોઈ સંક્રમિત જણાય તો તેને પણ આઈસોલેટ કરવામાં આવશે. તે જ સમયે, વધુ ખેલાડીઓ સંક્રમિત થવાની સ્થિતિમાં મેચ સ્થગિત કરવામાં આવી શકે છે. ગયા વર્ષે પણ બાયો-બબલમાં કોરોનાની એન્ટ્રી બાદ ઘણા કેસ નોંધાયા હતા. ત્યારપછી BCCIએ IPL અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી. પછી ફેઝ-2નું આયોજન યુએઈમાં કરવામાં આવ્યું હતું.
કેજીએફ ચેપ્ટર 2એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ ઉપર ઈતિહાસ રચી દીધો છે. ફિલ્મના એડવાન્સ બુકિંગના ક્રેઝને ધ્યાને લઈને અનુમાન લગાડવામાં આવ્યું હતું તે સાચુ પડયું છે. પ્રશાંત નીલના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મે ઓપનિંગ ડે ઉપર કમાણીના તમામ જુના રેકોર્ડ તોડી નાખ્યા છે. વોર, ઠગ્સ ઓફ હિન્દૂસ્તાન અને બાહુબલી 2ને પછાડતા કેજીએફ : ચેપ્ટર 2 હવે પહેલા દિવસે સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની છે. આ ફિલ્મે દેશભરમાં 134.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે હિન્દી વર્ઝનમાં 63.66 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હિન્દીમાં પહેલા દિવસે સૌથી વધારે કમાણીનો રેકોર્ડ ટાઈગર શ્રોફ અને રિતિકની ફિલ્મ વોરના નામે હતો. જેનું નેટ કલેક્શન 53.35 કરોડ હતું. જ્યારે કેજીએફનુ’ નેટ કલેક્શન 53.95 કરોડ રૂપિયા રહ્યું છે.
મુંબઈ મહાનગરપાલિકાએ બાકી રહેલો પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કરવા માટે ડિફૉલ્ટર ખાનગી કંપનીના જપ્ત કરેલા હેલિકૉપ્ટરનું મૂલ્ય માત્ર ૪૫ લાખ રૂપિયા થઈ ગયું છે. તેથી પાલિકાનું મોટી રકમ વસૂલવાના સપના પર પાણી ફરી વળ્યું હોવાનું કહેવાય છે.
કોરોના મહામારી પહેલાં પાલિકાએ ખાનગી કંપનીનાં બે હેલિકૉપ્ટર જપ્ત કર્યાં હતાં. પાલિકાએ આ કંપની પાસેથી ૧.૯૫ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કરવાનો હતો. જપ્ત કરેલાં હેલિકૉપ્ટર હાલ જુહૂમાં પાર્ક કરેલાં છે. આ હેલિકૉપ્ટરમાંથી પાલિકાને મોટી વસૂલી થવાની અપેક્ષા હતી, જોકે હેલિકૉપ્ટરના અમુક ભાગ ગાયબ થયા હોવાને કારણે તેનું મૂલ્ય હવે ફક્ત ૪૫ લાખ રૂપિયા થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.
પાલિકાના અસેસમેન્ટ ખાતાના અધિકારીના કહેવા મુજબ આ ખાનગી ઍરોસ્પેસ કંપનીની પ્રોપટી ટૅક્સની બાકી રહેલી રકમ ૨.૭૬ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. પરંતુ હવે જપ્ત કરેલા હેલિકૉપ્ટરના મહત્ત્વના ભાગ ચોરાઈ ગયા છેે. તેથી આ હેલિકૉપ્ટર હવે ફક્ત ભંગારમાં વેચાઈ શકે છે. તેથી બાકી રહેલી રકમ વસૂલવા માટે પાલિકાએ ઍરપોર્ટ ઑથોરિટીને પત્ર લખ્યો છે. આ ખાનગી કંપની પાસે માર્ચ, ૨૦૧૯ સુધી પાલિકાએ એક કરોડ ૬૫ લાખ રૂપિયા વસૂલવાના હતા. આ રકમ વસૂલવા માટે પાલિકાએ પહેલાં જ કંપનીના પાણી અને વીજળીનાં જોડાણ કાપી નાખ્યા હતા. ત્યાર બાદ પણ કર ભર્યો ન હોવાથી આ કંપનીને અનેક વખત પત્ર લખવામાં આવ્યા હતા. કંપનીએ સતત તેના તરફ દુર્લક્ષ કરતા સંબંધિત કંપનીનાં બે હેલિકૉપ્ટર જપ્ત કરવામાં આવ્યાં હતાં. છતાં કંપનીએ બાકી રહેલી રકમ નહીં ભરતા પાલિકાએ હેલિકૉપ્ટરની લિલામી કરીને પ્રોપર્ટી ટૅક્સના પૈસા વસૂલ કરવાનો નિર્ણય લીધો હતો.
અત્યાર સુધી ડોર્નિયરનો ઉપયોગ સેના માટે જ થતો હતો, ડોર્નિયર વિમાનની પ્રથમ કોમર્શિયલ ફલાઇટ આસામના ડિબૂ્રગઢથી અરૃણાચલના પાસીઘાટની વચ્ચે સંચાલિત થશે
કેન્દ્ર સરકારના નિયંત્રણવાળી ક્ષેત્રીય એરલાઇન્સ અલાયન્સ એર દેશમાં નિર્મિત ડોર્નિયર વિમાનનું પ્રથમ વખત કોર્મશિયલ ફલાઇટમાં ઉપયોગ કરવા જઇ રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તા.11મી એપ્રિલ 2022ના રોજ જણાવ્યું હતું કે ડોર્નિયર ૨૨૮ વિમાનનો ઉપયોગ ડિબ્રુગઢથી પાસીઘાટની વચ્ચે તા.12મી એપ્રિલ 2022થી કમર્શિયલ ફલાઇટ માટે કરવામાં આવશે. ભારતમાં બનેલા ડોર્નિયર પ્લેનનો સૌથી પહેલી વખત નાગરીક ઉડ્ડયન માટે ઉપયોગ શરૂ કરવામાં આવી રહ્યો છે.
અલાયન્સ એરને આ ડોર્નિયર વિમાન ગયા સપ્તાહમાં જ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) પાસેથી મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અલાયન્સ એરે ૧૭ સીટોવાળા બે ડોર્નિયર ૨૨૮ વિમાનોને લીઝ પર લેવા માટે ફેબ્રુઆરી 2022માં એચએએલ સાથે સમજૂતી કરી હતી.
એરલાઇન્સે જણાવ્યું હતું કે આ ડોર્નિયર વિમાનની પ્રથમ કોમર્શિયલ ફલાઇટ આસામના ડિબૂ્રગઢથી અરૃણાચલ પ્રદેશના પાસીઘાટની વચ્ચે મંગળવારે સંચાલિત કરવામાં આવશે.
દેશમાં જ નિર્મિત કોઇ વિમાનનો કોમર્શિયલ ફલાઇટ તરીકે ઉપયોગ કરવાની આ પ્રથમ ઘટના હશે.અત્યાર સુધી ડોર્નિયર ૨૨૮ વિમાનનો ઉપયોગ ફક્ત સૈન્ય ઉદ્દેશ માટે કરવામાં આવે છે. આ ફલાઇટના ઉદ્ઘાટન સમયે ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, અરૃણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પેમા ખાંડુ, આસામના મુખ્યપ્રધાન હિમાંત બિશ્વા શર્મા હાજર રહેશે.
રવિવાર તા.10મી એપ્રિલની મધરાતે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી ઓમ ઓર્ગેનિક નામની કંપનીમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં પાંચ કામદારોના મોત થયા હોવાનું વિગતોએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.
દહેજની આ ફેક્ટરીમાં મોડી રાત્રે બનેલા આ દુર્ઘટનામાં રાસાયણીક પ્રક્રિયા દરમિયાન મોટો ધડાકો થયો હતો અને તે પછી વિકરાળ આગ લાગી હતી. આ અકસ્માત લગભગ રાત્રે 2 વાગ્યાની આસપાસ બન્યો હતો જેમાં મોટો ધડાકો થતા કામદારો ડરી ગયા હતા જોકે, પાંચ કામદારો પ્લાન્ટમાંથી ભાગવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ઘટનામાં ધડાકો એટલો મોટો હતો કે પ્લાન્ટનો મોટો ભાગ કાટમાળમાં ફેરવાઈ ગયો હતો. ઘટના બાદ તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કામગીરીની સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પાંચ કામદારોના મૃતદેહ ઘટના સ્થળ પરથી બહાર કાઢવામાં આવ્યા છે જોકે, હજુ એક કામદાર આ ઘટનામાં ગુમ થયો હોવાનું માલુમ પડતા તેની તપાસ કરવામાં આવી રહી છે.
રાજ્યમાં ભરતી પરીક્ષાઓ અને હવે બોર્ડની પરીક્ષાના પણ પેપર ફૂટવાની ઉપરાછાપરી ઘટનાઓ વચ્ચે આજે તા.10મી એપ્રિલ રવિવારે ગુજરાતભરમાં આવેલા કેન્દ્રો પરથી એલઆરડી (લોક રક્ષક દળ) ભરતીની લેખિત પરીક્ષા યોજવામાં આવી છે. અગાઉની જેમ આ પરીક્ષા દરમિયાન કોઇ વિવાદ સર્જાય નહીં એ માંટે તેમજ કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.
વનરક્ષકની પરીક્ષામાં ઉમેદવારે ટોઇલેટમાં જઇને પેપર લીક કર્યું હોવાનો કિસ્સો સામે આવતા એલઆરડીની પરીક્ષામાં કોઇપણ ઉમેદવારને પેશાબ કે પાણી પીવા માટે પણ ક્લાસરૂમની બહાર નીકળવા પર મનાઇ ફરમાવવામાં આવી છે. દરેક ક્લાસરૂમમાં પાણીની વ્યવસ્થા કરાશે. એલઆરડીની લેખિત પરીક્ષા 7 જિલ્લાના 954 કેન્દ્રો પરથી લેવામાં આવશે. 2.95 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે જોકે, તે પૈૈકી 1875 ઉમેદવારો દ્વારા કૉલલેટર ડાઉનલોડ કરાયા નથી જેમને ભરતી બોર્ડ દ્વારા મેસેજ પણ કરાયા છે.
એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે, ‘કોઇપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવાશે નહીં. પરીક્ષા કેન્દ્રો પર પહોંચનાર તમામ વિદ્યાર્થીઓનું બાયોમેટ્રીક વેરીફિકેશન કરાશે અને તેની વિડીયોગ્રાફી પણ કરાશે. વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે પણ ખાસ તકેદારી રખાઇ છે. એક જ વિસ્તારના વિદ્યાર્થીઓને અલગ- અલગ જિલ્લામાં કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જેથી એક કેન્દ્ર પર જાણીતા ઉમેદવારો ભેગા થઇને ચોરી કરી શકે નહીં. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો ઉપરાંત ફરજ પરના સ્ટાફને પણ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ ક્લાસરૂમનું સીસીટીવીથી મોનિટરીંગ થશે. તમામ કેન્દ્રો પર ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે પીઆઇ કે પીએસઆઇ કક્ષાના અધિકારીને મૂકાશે.’
એલઆરડીની લેખિત પરીક્ષામાં ક્લાસરૂમમાં ઉમેદવારોની હાજરીમાં જ ઓએમઆર શીટના કવરનું સીલ ખોલાશે. આ પદ્ધતિ જીપીએસસીમાં છે પરંતુ તમામ ભરતીમાં સૌપ્રથમ એલઆરડીમાં એવી પણ પદ્ધતિ દાખલ કરાઇ છે કે પેપર પૂરૂ થયા બાદ ઉમેદવારોને ક્લાસમાં બેસાડી રખાશે અને સુપરવાઇઝર દ્વારા તમામ ઓએમઆર શીટ ફરી કવરમાં મૂકી તેમની સામે જ સીલ કરાશે. આ માટે બે ઉમેદવારની સહી પણ લેવામાં આવશે.
એલઆરડીની પરીક્ષા બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન યોજાશે પરંતુ તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું હોવાથી અને ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી તમામ ઉમેદવારોને સવારે 9.30 કલાકે પરીક્ષા કેન્દ્ર પર હાજર થવાની સૂચના આપવામાં આવી છે. 11 વાગ્યા બાદ ઉમેદવારોને કેન્દ્ર પર પ્રવેશ નહીં મળે.
તમામ કેન્દ્રોના ક્લાસરૂમમાં સીસીટીવીની સુવિધા રખાઇ છે પરંતુ જ્યાં પરીક્ષાનું સાહિત્ય આવે અને જ્યાંથી વહેંચણી થાય તે સ્કૂલના પ્રિન્સિપાલની ચેમ્બરમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા ડીઇઓથી લઇને સુપરવાઇઝર અને પીઆઇ- પીએસઆઇને પણ ભરતી બોર્ડ દ્વારા તાલીમ અપાઇ છે.
હોલિવુડના પોપ્યુલર એક્ટર વિલ સ્મિથ (Will Smith)ને એકેડમી મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સિઝે (Oscars 2022) 10 વર્ષ માટે પ્રતિબંધિત કર્યો છે. હવે વિલ સ્મિથ એકેડમીના કોઈપણ કાર્યક્રમમાં ભાગ નહીં લઈ(Will Smith Banned in Oscars) શકે. 28 માર્ચે યોજાયેલી ઓસ્કર અવોર્ડ દરમિયાન શોના હોસ્ટ ક્રિસ રોકે (Chris Rock) વિલની પત્ની જેડા પિંકેટ સ્મિથ (Jada Pinkett Smith)ની મજાક ઉડાવી હતી. જેનાથી ક્રોધે ભરાયેલા વિલે સ્ટેજ પર જઈને રોકને લાફો માર્યો હતો. ઘટનાના 11 દિવસ બાદ એકેડમીએ વિલ સામે એક્શન લીધી છે. વિલની મુશ્કેલી અહીં પૂરી નથી થતી કારણકે તેની ફિલ્મો પણ રદ્દ થઈ છે.
એકેડમીના પ્રેસિડેન્ટ ડેવિડ રૂબિન અને ચીફ એક્ઝિક્યુટિવ ડૉન હડસને કહ્યું, “94મો ઓસ્કર અમારી કમ્યુનિટીના કેટલાય લોકોને ઉજવવા માટે હતો. આ એ લોકો હતા જેમણે ગત વર્ષે શાનદાર કામ કર્યું હતું. જોકે, તે ક્ષણોને વિલ સ્મિથે તેના વર્તનથી બગાડી નાખી અને તેનું આવું વર્તન સ્વીકાર્ય નથી.” આ તરફ વિલ સ્મિથે એકેડમીએ આપેલી સજાને સ્વીકારી લીધી છે. તેણે કહ્યું, “હું આ વાત માન્ય રાખું છું અને એકેડમીના નિર્ણયનું સન્માન કરું છું.”
સમગ્ર ઘટના?
28 માર્ચે આખી દુનિયાની નજર ઓસ્કર અવોર્ડ પર હતી પરંતુ ત્યારે કંઈક એવું થયું જે કોઈએ વિચાર્યું નહોતું. સ્ટેજ પર ક્રિસ રોક હાજર હતો. તે કોમેડી કરીને સૌને હસાવી રહ્યો હતો. એ વખતે તેણે વિલ સ્મિથની પત્ની જેડાની બીમારીની મજાક બનાવી હતી. જેડા Alopecia (આ બીમારીમાં માથાના અમુક ભાગમાંથી આંશિક કે સંપૂર્ણપણે વાળ જતા રહે છે) નામની બીમારીથી પીડાય છે. આ જ અંગે ક્રિસે મજાક કરી હતી જે વિલને પસંદ ના આવી. તે ઊભો થયો અને સ્ટેજ પર જઈને ક્રિસને થપ્પડ મારી દીધી. આ જોઈને સૌ સ્તબ્ધ થઈ ગયા હતા.
Alopecia નામની બીમારીથી જેડા પિંકેટ સ્મિથ પીડાય છે અને આ વાતનો ખુલાસો તેણે થોડા વર્ષ પહેલા કર્યો હતો. આ બીમારીમાં માથાના વાળ અમુક ભાગમાંથી કે સંપૂર્ણ માથામાંથી ખરવા લાગે છે. ઈન્ફેક્શન ઝડપથી ફેલાતાં વાળ પણ ઝડપથી ખરવા લાગે છે. એક ઈન્ટરવ્યૂમાં આ વિશે વાત કરતાં જેડાએ કહ્યું હતું કે, એક દિવસ તેના હાથમાં વાળનો મોટો ગુચ્છો આવી ગયો જે બાદ તેણે વાળ કપાવી નાખ્યા હતા.
થપ્પડકાંડ બાદ વિલે માફી માગી હતી
થપ્પડકાંડ થયો તે પછી વિલને ફિલ્મ ‘કિંગ રિચર્ડ’ માટે બેસ્ટ એક્ટરનો ઓસ્કર અવોર્ડ મળ્યો હતો. વિલ અવોર્ડ લેવા સ્ટેજ પર પહોંચ્યો ત્યારે તેણે પોતાના વર્તન માટે માફી માગી હતી. ઘટનાના બીજા દિવસે તેણે સોશિયલ મીડિયા પર પણ આખી દુનિયા અને ક્રિસની માફી માગી હતી.
વિલ સ્મિથની ‘Deadshot’ મૂવી બંધ થઈ ગઈ છે. આ ફિલ્મને સત્તાવાર રીતે બંધ કરી દેવાઈ છે. જોકે, આ નિર્ણય પાછળ વિલનો થપ્પડકાંડ જવાબદાર નથી. ફિલ્મને બંધ કરવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.