ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી20 શ્રેણીનો બીજો મુકાબલો માઉનટ માઉંગાનુઈમાં Dated 20/11/2022, રવિવારે 20મી નવેમ્બરના રોજ થવાનો છે. આ મેચ માટે ટીમ ઇન્ડિયા વેલિંગટનથી ટોરંગા પહોંચી ચૂકી છે. ટોરંગા પહોંચ્યા બાદ ભારતીય ટીમ માઉન્ટ મોઉંગાનુઈ પહોંચશે. વરસાદના કારણે ટૂર્નામેન્ટનો પહેલો મેચ રમાયા વિના રદ થયો હતો ત્યારે હવે ચાહકોની નજર બીજા મેચ ઉપર છે. જો કે માઉટ માઉંગાનુઈનું હવામાન પણ ચાહકોની આશા ઉપર પાણી ફેરવી શકે છે.
હકીકતમાં વર્તમાન સમયે માઉન્ટ માઉંગાનુઈમાં પણ વરસાદ થઈ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે રવિવારે વરસાદ પડવાની સંભાવના 89 ટકા છે જ્યારે રાત્રે વરસાદની શક્યતા 42 ટકા છે. જો કે ટાઇમના હિસાબે મેચ સાત વાગ્યે શરૂ થવાનો છે. જેના કારણે બીજો ટી20 મેચ પણ વરસાદની ભેંટ ચડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચેની ટી20 શ્રેણીનો અંતિમ મેચ નેપિયરમાં રમાવાનો છે. નેપિયરનું હવામાન વર્તમાન સમયે સાફ દેખાઈ રહ્યું છે. તેવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બન્ને ટીમને ટૂર્નામેન્ટમાં એક મેચ પૂરો રમવા મળશે
દર ચાર વર્ષે યોજાતા વર્લ્ડકપ ફૂટબોલનો Dt.20/11/2022થી કતારમાં પ્રારંભ થઈ રહ્યો છે. વિશ્વની ૩૨ ટીમો આ વર્લ્ડકપમાં ભાગ લેશે અને વિશ્વના ટોચના ફૂટબોલ સ્ટાર્સ વચ્ચેનો રોચક મુકાબલો ચાહકો જોશે ત્યારે જમીન પર સિતારા ઉતરી આવ્યા હોય તેવો રોમાંચ અનુભવશે. જોકે આ વર્લ્ડકપ અગાઉ માનવ અધિકાર ભંગના એક કરતા વધુ કારણોને લીધે વૈશ્વિક હોબાળો પણ મચ્યો છે.
કતારમાં ૬૦ જ કિલોમીટરની ત્રિજીયામાં અદ્યતન આઠ સ્ટેડિયમ તો નિર્માણ પામ્યા જ છે પણ તેના નિર્માણ દરમ્યાન ભારતના કેરાલા સહિત અન્ય દેશના ૬,૫૦૦ જેટલાં શ્રમિકો પણ મૃત્યુ પામ્યા હોઈ માનવ અધિકાર સંસ્થાઓ ઠેર ઠેર બેનર સાથે વૈશ્વિક બહિષ્કારનો પ્રચાર કરી રહી છે.
કતારના ફૂટબોલ સંઘે તો આ મૃત્યુને છુપાવ્યા જ હતા પણ ઘણા અઠવાડિયાઓથી તેમના વતનમાં કોઈ સંદેશો નહોતો તેથી પરિવારજનોને શંકા ગઈ અને તેમાંથી મૃત્યુ થયાનું બહાર આવ્યું. આ ઉપરાંત જે શ્રમિકો ત્યાં રહ્યા તેઓને બંધકની જેમ રાખવામાં આવ્યા હતા અને ભારે શોષણ કરવામાં આવ્યું છે.કતાર પ્રથમ મુસ્લિમ દેશ છે જ્યાં વર્લ્ડકપનું આયોજન થયું હોય. વિશ્વભરના ૧૨ લાખથી વધુ પ્રવાસીઓ વર્લ્ડકપ દરમ્યાન કતાર આગમન કરશે. જેમાંના મોટાભાગના દેશમાં મદ્યપાન નિષેધ નથી. બીયર પીતા જ ફૂટબોલ મેચ માણવાની તેઓને ખરી મજા આવતી હોય છે. હવે બે દિવસ પહેલાં જ આયોજકોએ જાહેરાત કરી છે કે આઠેય સ્ટેડિયમમાં મદ્યપાન પર મનાઈ રહેશે. ત્યાં તે વેચાશે જ નહીં. હજારો વૈશ્વિક પત્રકારોને પણ મદ્યપાન વગર તકલીફ થશે.
કતારમાં મહિલાઓના પહેરવેશ પર તો નિયંત્રણ છે જ પણ સજાતિય સબંધ રાખતા સમુદાય પણ માન્ય નથી. કતારની સરકારે ચુસ્તપણે તેમના દેશના કાયદા અને નીતિ વિષયક દ્રષ્ટિકોણમાં બદલાવ લાવવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે જેના લીધે પ્રવાસીઓ અને વૈશ્વિક હયુમન રાઈટ્સ સંસ્થાઓ ભારે નારાજ છે. જુદા જુદા સંગઠનોએ ફૂટબોલ વિશ્વ મહાસંઘ (ફીફા) અને યુનાઇટેડ નેશન્સ સુધી રીપોર્ટ મોકલ્યા છે.
આયોજકોને વર્લ્ડકપને લીધે છ અબજ ડોલરનો નફો થશે તેમાંથી નિયમ મુજબ શ્રમિક વેલ્ફર જુથને પણ અનુદાન આપવાનું હોય છે. પણ આયોજકોએ આવા કોઈ કરારમાં હજુ સહી જ નથી કરી.
માનવ અધિકાર સંગઠનો કતાર પર વર્લ્ડકપનું આયોજન કરવા માટેની પસંદગી ઉતારાઈ ત્યારથી જ તેને રદ કરવા દેખાવો કરતા રહ્યાં છે. તેઓનું કહેવું છે કે કતાર કે એવા કોઈપણ દેશને વર્લ્ડકપના આયોજનની મંજૂરી ન આપવી જોઈએ જ્યાં મહિલાનું સમાન દરજ્જા સાથે સન્માન ન થતું હોય. કતારમાં મહિલાના કોઈ પણ નિર્ણયમાં કાયદેસર રીતે તેના પતિ કે પુરૂષ વાલીની મંજૂરી લેવી પડે છે. જે મહિલા અન્ય પુરૂષ સાથે સંબંધ રાખે તો જાહેરમાં તેને ફટકારવામાં પણ આવે છે.
આમ છતાં એક વખત વર્લ્ડકપ શરૂ થશે તે પછી ચાહકો અને મીડિયા બધું જ ભૂલી જશે. ફૂટબોલની રોચકતાની વાત કરીએ તો વર્લ્ડકપમાં સૌથી વધુ બ્રાઝિલ પાંચ વખત ચેમ્પિયન બન્યું છે. બ્રાઝિલ એક માત્ર દેશ છે જેણે અત્યાર સુધીના તમામ ૨૧ વર્લ્ડકપમાં ભાગ લીધો છે. ઈટાલી અને જર્મનીએ ૪-૪ વખત, વર્તમાન ચેમ્પિયન ફ્રાંસ, આર્જેન્ટિના અને ઉરૂગ્વે બે-બે વખત અને ઈંગ્લેન્ડ અને સ્પેન એક-એક વખત ચેમ્પિયન બન્યા છે.
આ વખતે ઈટાલી, સ્વીડન, ચીલી, ઈજપ્ત જેવી ટીમ ક્વોલિફાય નથી થઈ શકી.
અગાઉના વર્લ્ડકપમાં ૨૪ ટીમ ભાગ લેતી આ વખતથી ૩૨ ટીમ વચ્ચે વર્લ્ડકપ રમાશે.
આવતીકાલે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૯.૩૦થી યજમાન એક્યુડોર અને કતાર વચ્ચે મેચથી પ્રારંભ થશે તે પછી રોજ બે કે ત્રણ મેચ રમાશે. ક્વાર્ટર ફાઈનલની મેચ ૯ ડિસેમ્બરથી, સેમિફાઈનલ ૧૪ ડિસેમ્બરથી ત્રીજા સ્થાન માટેની મેચ ૧૭ ડિસેમ્બરે અને ફાઇનલ ૧૮ ડિસેમ્બરે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૮.૩૦થી રમાશે.
વર્લ્ડકપ ટ્રોફીની કિંમત રૂા. 144 કરોડ ! 6.2 કિલો 18 કેરેટના ગોલ્ડથી બની છે
– રનર્સઅપને રૂપિયાને 245 કરોડ મળશે
કતારમાં શરૂ થઈ રહેલા ફિફા વર્લ્ડકપમાં ચેમ્પિયન બનનારી ટીમને પ્રતિષ્ઠિત વર્લ્ડકપ ટ્રોફી એનાયત કરવામાં આવશેે. વર્લ્ડકપ વિજેતાને આપવામાં આવનારી વર્લ્ડકપ ટ્રોફીમાં ૬.૧૭૫ કિલોગ્રામ જેટલું ૧૮ કેરેટ (૭૫ ટકા)ગોલ્ડ છે. જેની કિંમત આજે આશરે રૂપિયા ૧૪૪ કરોડ જેટલી થાય છે.
ટ્રોફીની ઉંચાઈ ૩૬.૫ સે.મી. છે અને તેના બેેઝનો વ્યાસ ૧૩ સે.મી.નો છે. ટ્રોફીમાં ઉપરની તરફ પૃથ્વીનો ગોળો દર્શાવવામા આવ્યો છે. ૧૯૯૪ પછી ટ્રોફીના નીચેના ભાગે એક પ્લેટ ઉમેરવામાં આવી છે, જેમાંવિજેતાના નામ અંકિત કરવામાં આવે છે. વિજેતા દેશને આ ટ્રોફીની ગોલ્ડ-પ્લેટેડ બ્રોન્ઝ રેપ્લીકા આપવામાં આવે છે. ટ્રોફીને માત્ર વર્લ્ડકપ વિજેતા જ સ્પર્શ કરી શકે છે. હાલની ટ્રોફી ૧૯૭૪થી વર્લ્ડ ચેમ્પિયનને આપવામાં આવે છે.
વર્લ્ડકપમાં ચેમ્પિયન બનશે તે ટીમને આશરે રૂા. ૩૪૪ કરોડ જેટલું ઈનામ આપવામાં આવશે. જ્યારે રનર્સઅપ ટીમને રૂપિયા ૨૪૫ કરોડ તેમજ ત્રીજા ક્રમની ટીમને ૨૨૦ કરોડ રૂપિયા અને ચોથા ક્રમની ટીમને ૨૦૪ કરોડ રૂપિયા મળશે.
ન્યુઝિલેન્ડની ટીમ કાગળ પર ભલે મજબૂત નજરે પડી રહી હોય, પણ તેને ટી-20 વિશ્વ કપમાં બુધવારે રમાનાર પ્રથમ સેમિ ફાઇનલ મુકાબલામાં આંચકારૂપ પરિણામ આપનારી ટીમ પાકિસ્તાનનો સામનો કરવો પડશે ત્યારે કિવિઝ ટીમે ક્ષમતા અનુરૂપ દેખાવ કરવો પડશે અને ઇતિહાસ પણ પલટાવવો પડશે. એક તરફ પાકિસ્તાનનો સેમિ ફાઇનલ સુધીનો દેખાવ ઉતાર-ચઢાવ ભર્યો રહ્યો છે જ્યારે ન્યુઝિલેન્ડ ગત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને આયરલેન્ડને હરાવીને ગ્રુપ વનમાં ટોચ પર રહેની સેમિ ફાઇનલમાં પહોંચી છે.
બાબર આઝમની ટીમ સુપર-12 રાઉન્ડમાં ભારત અને ઝિમ્બાબ્વે સામે હારીને જલ્દીથી સ્વદેશ પરત ફરવાની તૈયારીમાં હતી પણ નેધરલેન્ડ્સે વિશ્વ કપ ઇતિહાસનો સૌથી મોટો ઉલટફેર કરીને દ. આફ્રિકાને હાર આપી. આથી પાક.ની આશા જીવંત બની. બાદમાં સેમિમાં પહોંચવા પાક.ને ફક્ત બાંગલાદેશને હરાવવાનું હતું. જે કાર્યમાં પાક. ટીમ સફળ રહી અને હવે સેમિ ફાઇનલમાં ન્યુઝિલેન્ડનો બુધવારે સમાનો કરશે. હવે પાક. માટે ઇતિહાસનું પુનરાવર્તન કરવાની સ્થિતિ છે, કારણ કે પાક. ટીમ 1992ના વન ડે વિશ્વ કપમાં નસીબના સહારે સેમિ ફાઇનલમાં પહોંચી હતી અને જ્યાં ન્યુઝિલેન્ડને હાર આપીને આખરમાં વિશ્વ વિજેતા બની હતી.
પાછલો ઇતિહાસ પાકિસ્તાનના પક્ષમાં રહ્યો છે. આ પહેલા જ્યારે પણ વિશ્વ કપના સેમિ ફાઇનલમાં ન્યુઝિલેન્ડનો સામનો કર્યો છે ત્યારે જીત મળી છે. પાકિસ્તાને 1992 અને 1999ના વન ડે વર્લ્ડ કપ અને 2007ના ટી-20 વર્લ્ડ કપના સેમિમાં ન્યુઝિલેન્ડને હાર આપી છે.
એ વાત પણ છૂપી નથી કે ન્યુઝિલેન્ડની ટીમ લિમિટેડ ઓવર્સની આઇસીસી ટૂર્નામેન્ટોમાં મોટો મેચમાં સારો દેખાવ કરી શકી નથી. તેણે પાછલા ચાર વર્લ્ડ કપમાં અંતિમ ચારમાં જગ્યા બનાવી છે, પણ ખિતાબ નસીબ થયો નથી. કિવિઝ ટીમે સાત વર્ષમાં ત્રણ વિશ્વ કપ ફાઇનલ (201પ અને 2019 વન ડે વર્લ્ડ કપ અને 2021 ટી-20 વર્લ્ડ કપ) ગુમાવ્યા છે. આ વાત કેન વિલિયમ્સનની ટીમ સારી રીતે જાણે છે. જો કે ટીમને વિશ્વાસ છે કે અમે કૌશલ અને ક્ષમતા પર વિશ્વાસ રાખીએ છીએ અને ઇતિહાસને પલટાવશું.
કિવિઝ ટીમની રણનીતિ પાકિસ્તાનને શરૂઆતમાં ઝટકા આપવાની કોશિશ કરશે, કારણ કે પાક. બેટધરો અત્યાર સુધી રન કરવા સંઘર્ષ કરી રહ્યા છે. ખાસ કરીને કપ્તાન બાબર આઝમ અને સ્ટાર મોહમ્મદ રિઝવાન તેમનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરી શક્યા નથી. બાંગલાદેશ સામે 128 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પણ સંઘર્ષ કરવો પડયો હતો. ન્યુઝિલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટ અને ટિમ સાઉધી એ જ મેદાન પર પાછા ફરશે જ્યાં તેમણે લીગ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાના શીર્ષ ક્રમને ધ્રૂજાવી દીધું હતું. સંયોગથી પાક.નો મજબૂત પક્ષ પણ તેની બોલિંગ છે. કિવિઝ બેટર ડવેન કોન્વે, ડેરિલ મિશેલ, કપ્તાન કેન વિલિયમ્સન, ગ્લેન ફિલિપ સારા ફોર્મમાં છે. એવામાં પાકે. સાબિત કરવાનું રહેશે કે તેઓ સેમિ સુધીની સફર ફક્ત સંયોગ નથી. ટીમમાં શકિતશાળી છે. સેમિમાં પાક. માટે ઝડપી બોલર શાહિન અફ્રિદી અને હારિસ રઉફની ભૂમિકા મહત્ત્વની બની રહેશે.
ભારત, ચીન અને નેપાળમાં Dt.8/11/22, મંગળવારે મોડી રાતે 1.57 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 માપવામાં આવી. ભારતમાં દિલ્હી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના કેટલાક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા.
ભૂકંપનુ કેન્દ્ર નેપાળ હતુ. સૌથી વધારે તબાહી નેપાળમાં મચી છે. ત્યાં ડોટીમાં એક ઘર ધરાશાયી થતા 6 લોકોના મોત નીપજ્યા છે. ઉત્તરાખંડના પિથૌરાગઢમાં બુધવારે સવારે 6.27 વાગે ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા. જેની તીવ્રતા 4.3 હતી.
Dt.8/11/22 મંગળવારે મોડી રાત્રે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં લગભગ ભૂકંપના આંચકા આવ્યા, જેના કારણે લોકો ભયભીત થઈ ગયા. મધ્યરાત્રિએ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10% અનામતની સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવાની તરફેણ કરી છે. આ દરમિયાન જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું કે, આર્થિક આરક્ષણ બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ નથી. જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ મહેશ્વરીએ EWSને યોગ્ય ગણાવ્યુ છે. આ બંનેએ 2019ના સુધારાની તરફેણ કરી છે. જસ્ટિસ પારડીવાલાએ પણ તેની તરફેણ કરી છે.
EWS ક્વોટાની માન્યતાને પડકારતી 30થી વધુ અરજીઓની સુનાવણી બાદ કોર્ટે 27 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. જેમાં 3 જજે આ અનામતની તરફેણ કરી છે જ્યારે બે જસ્ટિસ રવીન્દ્ર ભટ અને ચીફ જસ્ટિસ લલિત અનામતના વિરોધમાં ગયા છે.
જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીએ કહ્યું હતું કે, મારો નિર્ણય જસ્ટિસ મહેશ્વરીના અભિપ્રાય સાથે સહમત છે. તેમણે કહ્યું કે EWS ક્વોટા માન્ય અને બંધારણીય છે. 5 જજોની બંધારણીય બેન્ચમાં જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ અને જસ્ટિસ યુયુ લલિત આ અનામતની વિરોધમાં ગયા હતા. ચીફ જસ્ટિસ લલીતે આ બાબતને ગેરબંધારણીય ઠેરવી છે. ભટે કહ્યું કે, આ કાયદો ભેદભાવથી ભરેલો છે અને બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. તમને જણાવી દઈએ કે, બંધારણના 103મા સુધારા દ્વારા, EWS અનામત અંગેનો કાયદો 2019માં સંસદમાંથી પસાર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને અનેક અરજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો જેના પર લાંબી સુનાવણી બાદ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે.
સર્વોચ્ચ અદાલતે તત્કાલિન એટર્ની જનરલ કેકે વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતા સહિત વરિષ્ઠ વકીલોની દલીલો સાંભળ્યા બાદ 27 સપ્ટેમ્બરે કાયદાકીય પ્રશ્ન પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો કે, શું EWS અનામત બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે છે. શિક્ષણવિદ મોહન ગોપાલે 13 સપ્ટેમ્બરના રોજ બેંચ સમક્ષ આ મામલે દલીલ કરી હતી અને EWS ક્વોટા સુધારાનો વિરોધ કર્યો હતો.
બેંચમાં જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલા પણ સામેલ હતા. તમિલનાડુ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શેખર નાફડેએ EWS ક્વોટાનો વિરોધ કરતા કહ્યું હતું કે, આર્થિક માપદંડ વર્ગીકરણ માટેનો આધાર ન હોઈ શકે અને સર્વોચ્ચ અદાલતે ઈન્દિરા સાહનીના ચુકાદા પર પુનર્વિચાર કરવો પડશે જો તે આ અનામત જાળવી રાખવાનો નિર્ણય કરશે.
ગુજરાતમાં એક તરફ 45 હજાર જેટલા ધો.12 બાયોલોજી સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ લઇને તેમાં કારકિર્દી ઘડવાની તીવ્ર ઇચ્છા છે પરંતુ, તેમની પાસે મેરીટ સ્કોર ન હોવાથી કોઇ કાળે પ્રવેશ મળે તેમ નથી, તેની બીજી તરફ આજે એવી વિગતો સપાટી પર આવી કે 1449 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને મેરીટના આધારે મેડીકલ, ડેન્ટલમાં કન્ફર્મ એડમિશન મળ્યું હતું પરંતુ, તેમણે નિર્ધારિત સમયમર્યાદામાં પ્રવેશ ફી ભરીને એડમિશન લીધું નહીં અને પ્રવેશ જતો કરતા શિક્ષણશાસ્ત્રીઓ પણ અચંબામાં પડી ગયા છે.ગુજરાતમાં મેડીકલ અને ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષમાં સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રક્રિયાનો આજે પહેલો રાઉન્ડ પૂરો થયો હતો.
ગુજરાત સરકાર રચિત એડમિશન કમિટીએ મેડીકલ અને ડેન્ટલમાં એડમિશન લિસ્ટ ગઇ તા.29મી ઓક્ટોબરે જાહેર કર્યું હતું અને તા.6 નવેમ્બર સુધીમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યા છે તેમને જરૂરી ફી ભર્યા બાદ હેલ્પ સેન્ટર પર જઇને ઓરિજિનલ ડોક્યુમેન્ટસ સબમિટ કરાવી લેવા માટે સૂચના આપી હતી. આજે 6 ઓક્ટોબરની અવધિ પૂર્ણ થયા બાદ એડમિશન કમિટીએ ડેટા ચકાસતા જાણવા મળ્યું કે ઓપન કેટેગરી સહિત જુદા જુદા વર્ગ-જ્ઞાતિના મળીને 1449 પ્રવેશાર્થીઓ કે જેમને ક્યાંકને ક્યાં મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેમણે તેમનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી, આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કન્ફર્મ પ્રવેશ જતો કરતા સ્વાભાવિક છે કે કોઇને પણ આશ્ચર્ય થાય. કેમકે મેડીકલ ડેન્ટલની એક એક સીટ માટે સરેરાશ 8 વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા થાય છે ત્યારે 1449 વિદ્યાર્થીઓએ કન્ફર્મ પ્રવેશ જતો કર્યો હોવાની વાત સાહજિકતાથી ગળે ઉતરે તેવી નથી.જે વિદ્યાર્થીઓએ મેડીકલ ડેન્ટલમાં કન્ફર્મ પ્રવેશ જતો કર્યો છે તેમાં મેનેજમેન્ટ ક્વોટાની પણ અનેક બેઠકોનો સમાવેશ થાય છે. મેનેજમેન્ટ ક્વોટાનું સમગ્ર અભ્યાસક્રમનું પેકેજ સવાથી દોઢ કરોડ જેટલું થાય છે.
સુપર-12 રાઉન્ડ પૂરો થતાની સાથે જ સેમિફાઈનલ માટે ચાર ટીમો નક્કી થઈ ચૂકી છે. ગ્રુપ-1માંથી ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ છે, જ્યારે ગ્રુપ-2માંથી ભારત અને પાકિસ્તાને પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે ચાલો જોઈએ સેમિફાઈનલમાં હવે કઈ ટીમ કોની સામે ટકરાશે.
ભારતની સામે ઈંગ્લેન્ડની ટક્કર ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારતે ઝિમ્બાબ્વેને પોતાની છેલ્લી લીગ મેચમાં 71 રને હરાવી ગ્રુપમાં પહેલું સ્થાન મેળવ્યું છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પાંચ મેચોમાંથી ચાર મેચમાં જીત મેળવી 8 પોઈન્ટ સાથે પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું. એવામાં ટેબલ ટોપ કરવાના કારણે ભારતીય ટીમનો સેમિફાઈનલમાં ગ્રુપ-1માં બીજા નંબરે રહેનારી ઈંગ્લેન્ડની ટીમ સામે ટક્કર થશે. તો, જો ટીમ ઈન્ડિયા બીજા સ્થાને રહી હોત તો, આ સેમિફાઈનલમાં તે ન્યૂઝીલેન્ડ સામે ટકરાત. સેમિફાઈનલમાં ભારતીય ટીમ હવે 10 નવેમ્બરે એડિલેડના ઓવલ મેદાનમાં ઈંગ્લેન્ડ સામે રમવા ઉતરશે. આ મેચમાં ભારત જીતશે તો ફાઈનલ માટે મેલબોર્ન જશે. ફાઈનલ મેચ 13 નવેમ્બરે રમાશે.
પાકિસ્તાનની ટક્કર ન્યૂઝીલેન્ડ સામે ગ્રુપ-2માં ઉલેટફેરના કારણે સેમિફાઈનલમાં પહોંચનારી પાકિસ્તાનની ટીમનો સામનો પહેલી સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે થશે. બંને ટીમોની વચ્ચે આ મેચ 9 નવેમ્બરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. પાકિસ્તાનની ટીમ પોતાના ગ્રુપમાં 6 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પહોંચી છે. જોકે, તે નોકઆઉટ સ્ટેજમાંથી લગભગ બહાર થઈ ચૂકી હતી, પરંતુ નેધરલેન્ડની ટીમે છેલ્લી લીગ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવી ઉલટફેર કરી દીધો. એ કારણે સાઉથ આફ્રિકાની ટીમ પાસે 5 પોઈન્ટ જ રહી ગયા, જેના કારણે તે સેમિફાઈનલમાંથી બહાર ફેંકાઈ ગઈ. તો પાકિસ્તાનની ટીમે બાંગ્લાદેશને પોતાની છેલ્લી મેચમાં હરાવી સેમિફાઈનલની ટિકિટ મેળવી. ગ્રુપ-1માં ન્યૂઝીલેન્ડની ટીમ ટેબલ ટોપર છે. એ કારણે સેમિફાઈનલમાં તેનો સામનો પાકિસ્તાન સામે થશે.
બોલીવૂડનાં સૌથી ક્યૂટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હવે મમ્મી પપ્પા બની ગયાં છે. તેમને ત્યાં દીકરીનો જન્મ થતાં કપૂર ખાનદાન સહિત સમગ્ર બોલીવૂડમાં જશ્નનો માહોલ સર્જાયો છે.
આજે બપોરે બરાબર ૧૨.૦૫ કલાકે એક ખાનગી હોસ્પિટલમાં આલિયાની ડિલિવરી થઈ હતી. સંયોગોવસાત આ એ જ હોસ્પિટલ છે જ્યાં ઋષિ કપૂરે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યાંથી જ કપૂર ખાનદાનમાં નવા પરિવારની પધરામણી થઈ હતી.
અગાઉ સવારે ૭.૩૦ કલાકના અરસામાં રણબીર કપૂર આલિયાને લઈ હોસ્પિટલ પહોંચ્યો હતો. તે પછી ભટ્ટ અને કપૂર ખાનદાનના પરિવારના એક પછી એક સભ્યો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
આલિયાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી દ ીકરી જન્મની સત્તાવાર વધામણીમાં કહેવાયું હતું કે, ‘અમારી જિંદગીના સૌથી શ્રેષ્ઠ સમાચાર છે, અમારી બેબી અહીં આવી પહોંચી છે અને તે અદ્ભૂત મેજિકલ ગર્લ છે. અમે હવે ભરપૂર આશીર્વાદ અને પ્રેમથી ઘેરાયેલાં માતાપિતા બન્યાં છીએ.’
રણબીરની બહેન રિદ્ધિમાએ પણ ભત્રીજીનાં જન્મની વધામણી ખાતાં કહ્યું હતું કે સમગ્ર પરિવાર ભારે હર્ષ અને ગૌરવ અનુભવે છે. આ ભત્રીજીને ફઈ પહેલેથી જ બહુ પ્રેમ કરે છે.
બોલીવૂડના તમામ ટોપના સ્ટાર્સ અને હિરોઈનોએ આલિયા તથા રણબીરને માતા-પિતા બનવા બદલ અભિનંદન પાઠવ્યું હતું. સોનમ કપૂર સહિતની હિરોઈનોએ જણાવ્યું હતું કે તેઓ આલિયાની બેબીને વહેલી તકે રમાડવા માટે ઉત્સુક છે.
ઉલ્લેખનીય છે કે આલિયા અને રણબીરે ગયાં એપ્રિલ માસમાં લગ્ન કર્યાં હતાં. તેના ચાર મહિના પછી તેમણે આલિયા માતા બની રહી હોવાનું જાહેર કર્યું હતું.
આલિયા બેબીનું નામ અલમા રાખશે કે નહીં
એક ટીવી રિયાલિટી શોમાં આલિયાએ કહ્યું હતું કે તેને અલમા નામ પસંદ છે. પોતાને દીકરી જન્મશે તો તેનું નામ અલમા રાખશે. હવે આલિયા ટીવી શોમાં જાહેર કરેલી આ વાત નિભાવે છે કે કેમ તે જાણવા તેના ચાહકો આતુર છે.
ભાવિ સુપરસ્ટારનો જન્મ
આલિયા અને રણબીરની બેબીનાં ભવિષ્ય વિશે જાતભાતની અટકળો પણ શરુ થઈ ગઈ છે. બોલીવૂડના એક ન્યૂમરોલોજિસ્ટે કહ્યું હતું આ બેબી બુધ અને શુક્રનો શુભ યોગ લઈને આવી છે. તેનો ભાગ્યાંક ૫ છે. આલિયા માટે ૩૦મું વર્ષ શુકનવંતું છે અને તેમાં આ બેબી જન્મી છે. આ તારીખ પર શુક્રનો પ્રભાવ છે એટલે માની લો કે ભવિષ્યના સુપરસ્ટારનો જન્મ થઈ ગયો છે. જન્મકુંડળીમાં સૂર્યનાં સ્થાન પ્રમાણે તેની રાશિ વૃશ્ચિક આવી છે. તેની માસી શાહીન ભટ્ટની સૂર્યરશિ પણ વૃશ્ચિક છે. બોલીવૂડમાં ઐશ્વર્યા રાય અને શાહરુખ ખાન બંનેની સૂર્યરાશિ વૃશ્ચિક છે.
ટી-20 વિશ્વ કપનો સુપર-12 રાઉન્ડનો ગ્રુપ-બેનો 3/11/22 ગુરુવારે પાકિસ્તાન અને દ. આફ્રિકા વચ્ચેનો એક નિર્ણાયક મેચ રમાશે. આ મેચ પાકિસ્તાન માટે કરો યા મરો સમાન છે. આફ્રિકા સામેની હારથી તે વિશ્વ કપની બહાર થઇ જશે જ્યારે જીત મળવાથી તેની થોડીઘણી આશા જીવંત રહેશે.
હાલ ગ્રુપ બેમાં ભારતીય ટીમ 6 પોઇન્ટ સાથે ટોચ પર છે. તેના પછી દ. આફ્રિકા બીજા સ્થાને પ પોઇન્ટ સાથે છે જ્યારે બાંગલાદેશના ખાતામાં 4, ઝિમ્બાબ્વેના ખાતામાં 3 અને પાકિસ્તાનના ખાતામાં માત્ર બે અંક છે. આથી તેની આમ તો સેમિ ફાઇનલની રાહ લગભગ અશક્ય સમાન બની ચૂકી છે. આફ્રિકા પછી પાકિસ્તાનને એક મેચ બાંગલાદેશ સામે રમવાનો રહે છે.
જો બન્ને મેચમાં તેને જીત મળે તો 6 પોઇન્ટ સુધી પહોંચી શકે છે. આ સામે આફ્રિકાને નેધરલેન્ડ સામે મેચ રમવાના છે. જેમાં તેની નિશ્ચિત જીત ગણી શકાય. આથી પાક. સામેની હાર છતાં તે અંતમાં 7 અંકે પહોંચી જશે. બીજી તરફ હાલ 6 પોઇન્ટ ધરાવતી ભારતીય ટીમ રવિવારે ઝિમ્બાબ્વે સામે રમશે. જે વર્લ્ડ કપનો સુપર-12 રાઉન્ડનો આખરી મેચ હશે. આ મેચના વિજયથી ભારતના ખાતામાં 8 પોઇન્ટ હશે. ભારતની રન રેટ ઘણી સારી છે. આથી પાક. માટે સેમિના દ્વાર લગભગ બંધ સમાન છે. આમ છતાં આફ્રિકા સામેનો તેનો મેચ ડૂ ઓર ડાઇ જેવો કહી શકાય.
ટીમ ઇન્ડિયા Dt.2/11/22 બુધવારે અહીં રમાનાર ગ્રુપ-બેના તેના લીગ મેચમાં બાંગલાદેશ વિરૂધ્ધ વિજય મેળવીને સેમિ ફાઇનલ ભણી આગેકૂચ કરવાના લક્ષ્ય સાથે મેદાને પડશે. ભારતીય ટીમના હાલ 3 મેચમાં 2 જીત અને 1 હારથી કુલ 4 પોઇન્ટ છે અને દ. આફ્રિકા પછી પોઇન્ટ ટેબલ પર બીજા સ્થાને છે. બાંગલાદેશની ટીમની પણ ભારત સમાન જ સ્થિતિ છે, પણ તે નેટ રન રેટમાં પાછળ છે. આથી તે ત્રીજા સ્થાને છે. ભારતનો રન રેટ 0.844 અને શ્રીલંકાનો માઇનસ 1.પ33 છે. બાંગલાદેશની ટીમ ઉલટફેર કરવામાં માહિર છે, પણ આ મેચમાં ટીમ ઇન્ડિયા જીતની પ્રબળ દાવેદાર છે.
બંગલાદેશ સામેના મેચમાં ભારતીય ટીમ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલ કેએલ રાહુલને ફરી ઓપનિંગમાં ઉતરાવનું પસંદ કરશે. જ્યારે અનફિટ દિનેશ કાર્તિકના સ્થાને ઋષભ પંતને તક મળી શકે છે અને તે મીડલ ઓર્ડરમાં બેટિંગ કરશે તેવું માનવામાં આવે છે. કેએલ રાહુલ ટી-20 વિશ્વ કપમાં હજુ સુધી 3 મેચમાં 22 રન જ કરી શકયો છે. જો કે કોચ દ્રવિડ અને કપ્તાન શર્મા તેના પર પૂરો ભરોસો રાખે છે. બાંગલાદેશનું બોલિંગ આક્રમણ પ્રમાણમાં નબળુ છે આથી રાહુલ પાસે ફોર્મમાં વાપસી કરવાનો મોકો બની રહેશે.
બંગાલદેશના બોલિંગ આક્રમણમાં મુસ્તાફિઝૂર, તસકીન, મહેંદી હસન, હસન મહમૂદ અને કપ્તાન શકિબ છે, પણ નિશ્ચિત રીતે આ આક્રમણ વિશ્વસ્તરીય નથી. સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી વિશ્વ કપમાં શાનદાર ઇનિંગો રમી ચૂકયા છે. આથી તેની સામે બાંગલાદેશની બોલિંગની કસોટી થશે. ભારતીય ટીમને કપ્તાન રોહિત શર્મા પાસેથી મોટી અને વિસ્ફોટક ઇનિંગની આશા રહેશે. પાછલા મેચમાં વિકેટકીપર કાર્તિક ઇજાગ્રસ્ત થયો હતો. આથી તેના સ્થાને પંતને મોકો મળી શકે છે. ભારતીય ટીમમાં દીપક હુડ્ડાના સ્થાને અક્ષર પટેલની વાપસી થઇ શકે છે. કારણ કે બાંગલાદેશની ટીમમાં 4 ડાબોડી બેટધર છે. આ મેચમાં પણ ભારત ઝડપી બોલર ત્રિપુટી ભુવનેશ્વર, અર્શદિપ અને શમી સાથે ઉતરવાનું પસંદ કરશે. ટોસ જીતનાર ટીમ એડિલેડમાં પહેલા બેટિંગ પસંદ કરી શકે છે. કારણ કે એડિલેડમાં સંધ્યા ટાણે બોલ વધુ સ્વિંગ થાય છે. જેનો ફાયદો મળી શકે છે. મેચ ભારતીય સમય અનુસાર બુધવારે બપોરે 1-30થી શરૂ થશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.