મેં નક્કી કરી લીધું છે, મને સત્તાની પરવા નથી કા તો આતંકવાદ રહેશે કા તો હું રહીશ પરંતુ દેશની સુરક્ષા સાથે, દેશના સાર્વભૌમત્વ સાથે કોઈ બાંધછોડ નહીં થાય. આજે મંદિરોમાં જઈએ તો મેટલ ડિટેક્ટરોમાંથી પસાર થવું પડે છે. ૪૦ વર્ષમાં આતંકનો છાયો એવો પડ્યો કે આપણે અસુરક્ષિત અનુભવ કરતા થઈ ગયા હતા. આ કોંગ્રેસના શાસનમાં દેશની દુર્દશા થઈ હતી એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાટણમાં જાહેરસભાને સોબંધતા જણાવ્યું હતું.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે પાટણમાં પાટણ- બનાસકાંઠા અને મહેસાણા એમ ત્રણ લોકસભા બેઠકોને આવરી લેતી ચૂંટણી સભાને સોબંધતા વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે, હું જ્યારે વડા પ્રધાન બન્યો ત્યારે દેશ આર્થિક મોરચે વિશ્ર્વમાં ૧૧માં નંબરે હતો, ન તો હું વિદ્વાન હતો કે ન તો અર્થશાસ્ત્રી પરંતુ મેં પાંચ વર્ષમાં જ દેશને ૧૧માથી છઠ્ઠા નંબરે લાવીને મૂકી દીધો હતો. આ અમારી સરકારની ઉપલબ્ધી છે. અમે ગરીબો માટે કામ કર્યું છે, અમે શૌચાલયો બનાવ્યા, ગેસના ચુલા આપ્યા, બેંકના ખાતાઓ ખોલ્યા આ બધુ ઉદ્યોગપતિઓ માટે કર્યું નહોતું. આટલા વર્ષોમાં કોંગ્રેસે સેનામાં નવા શસ્ત્રો ઉમેર્યા નહોતો. સેનામાં છેલ્લી નવી તોપ ૧૯૮૫માં આવી હતી ત્યાર બાદ પહેલી વાર મેં નવી તોપોનો ઉમેરો કર્યો હતો. એમાંથી એક તોપ તો મેડ ઇન ગુજરાત છે, જે હઝીરામાં બની છે, આ તોપની ખાસિયત એ છે કે નડા બેટ પર રાખીને ફોડો તો ૪૮ કિલોમીટર દૂર પાકિસ્તાનના ઘરમાં જઈને ફૂટે.
મોદીએ હળવી શૈલીમાં કહ્યું કે, આજે ચૂંટણીની વાત નહીં કરું તો ચાલશે કારણ કે મને ચૂંટણીની પરવા નથી. તમે લોકો જીતાડવાના જ છો પરંતુ ૨૬માંથી એક બેઠક પણ ઓછી થઈ તો લોકોને ટોણો મારવાની તક મળી જશે એટેલે મને કોઈ સંભળાવી જાય એવું કઈ ન થાય તેનું ધ્યાન રાખજો.
કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, મનમોહનસિંહે કહ્યું હતું કે આ દેશના આર્થિક સંસાધનો પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે, ખરેખર તો આ દેશના સંશાધનો પર પહેલો અધિકાર ગરીબોનો છે. અભિનંદન પકડાયા ત્યારે મેં પાકિસ્તાનને કહી દીધું હતું પાઈલટને કઈ પણ થયું અમે તમને નહીં છોડીએ. જવાનોની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન પોક મૂકીને રડારડ કરી રહ્યું હતું અને અહીં કોંગ્રેસ સેનાના જવાનોના પરાક્રમ પર પ્રશ્ર્નાર્થ ચિહ્ન મૂકી રહી હતી. એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન સામે જવાબી હુમલામાં એક ભારતીય પાઈલટને પાકિસ્તાને પકડી પાડ્યો હતો ત્યારે કોંગ્રેસને તો બગાસું ખાતા-ખાતા મોઢામાં પતાસું આવી ગયું એમ પ્રશ્ર્ન ઉઠાવવા લાગી કે હવે પાઈલટ નું શું ? ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જો ભારતીય પાઇલટને એક ખરોંચ સુધ્ધાં આવી તો પરિણામ ભોગવવા પાકિસ્તાન તૈયાર રહે. અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ નિવેદન આપ્યું કે, જો આવું થશે તો ભારત કઇ મોટું કરી બેસશે. અમેરિકાના ઉચ્ચ અધિકારીએ કહ્યું ભારતની સેના એકસાથે બાર મિસાઇલો છોડવાની તૈયારીમાં હતી. ત્યારે આપણા દેશના આ સક્ષમ નેતૃત્વને કારણે પાકિસ્તાનને ઝૂકવું પડ્યું અને ભારતીય પાઈલટને સન્માનભરે સહી સલામત પરત સોંપવો પડ્યો. તાત્પર્ય એ છે કે, દેશને ગમે તેટલો વિકાસ અને પ્રગતિ કરવી હોય પરંતુ દેશમાં આતંકવાદી ઘટનાઓ અને હુલ્લડો થતા હોય તો દેશ આગળ ન વધી શકે. કોઈપણ દેશના વિકાસ માટે દેશની સુરક્ષા અનિવાર્ય પાસું છે.















