Jayesh Brahmbhatt 98253 44944
તાજેતરમાં કેગ (ક્રોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ)ની ટીમ દ્વારા ગુજરાતની સરકારી હોસ્પિટલ્સની મુલાકાત લેવામાં આવી હતી, એ દરમ્યાન એવી સ્થિતિ જોવા મળી કે સુરત સિવિલ હોસ્પિટલ અને જામનગર સિવિલ હોસ્પિટલમાં કેઝ્યુલિટી (તાત્કાલિક સારવાર) વિભાગ આઇ.સી.યુ. વગર જ ચાલી રહ્યા છે. કેગ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી છે અને કેગની ટીમે રજૂ કરેલા આ રિપોર્ટને કેગ દ્વારા ગુજરાત સરકારને સુપરત કરવામાં આવેલા રિપોર્ટમાં સમાવવામાં આવ્યો છે.

કેગનો રિપોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારોના વહીવટની ચાડી ખાય છે અને કેગના રિપોર્ટ બાદ ગમે તેવા જડ તંત્રમાં પણ સુધારો થઇ જતો હોય છે. આ વખતે કેગના રિપોર્ટની અડફેટે સુરત અને જામનગરની સિવિલ હોસ્પિટલ કે જ્યાં સરકારી મેડીકલ કોલેજો પણ ચાલી રહી છે એ આવી છે. કેગની ટીમ દ્વારા રાજ્યની સરકારી હોસ્પિટલમાં પૂરી પાડવામાં આવતી હેલ્થ સેવાઓનું મૂલ્યાંકન કરવા માટે મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કેગની ટીમે એવું નોંધ્યું હતું કે સુરત અને જામનગરની સિવિલ હોસ્પિટલમાં કેઝ્યુલિટી વિભાગ ઇમરજન્સી સારવાર વિભાગ આઇસીયુ વગર જ ચલાવવામાં આવે છે.
આશ્ચર્યની વાત એ છે કે આ હોસ્પિટલો વર્ષોથી નહીં દાયકાઓથી ચાલે છે અને ક્યારેય કોઇ તબીબ કે હોસ્પિટલના વડાને આઇસીયુ વગર ચાલતા કેઝ્યુલિટી વિભાગને ઠીકઠાક કરવાની જરૂરીયાત મહેસૂસ થઇ નહીં એ બાબત પણ કેગની ટીમને હેરાન કરનારી નિવડી છે. કોઇપણ હોસ્પિટલ હોય ત્યાં તાત્કાલિક સારવાર વિભાગ સાથે આઇસીયુ હોય જ અને એ કાયદાકીય નોર્મ્સ અનુસાર પણ જરૂરી છે. આમ છતાં દાયકાઓથી ચાલતી આ સરકારી હોસ્પિટલમાં માળખાગત સુવિધાની આ મોટી ક્ષતિ સુધારવાની દરકાર અત્યાર સુધીના કોઇ અધિકારીએ લીધી નહીં.
કેગના રિપોર્ટમાં ઉલ્લેખ છેકે સુરત સિવિલ હોસ્પિટલમાં આઇ.સી.યુ. છે પરંતુ, એ કેઝ્યુલિટી ડિપાર્ટમેન્ટથી દૂર છે. આકસ્મિક સંજોગોમાં ઘનિષ્ઠ સારવાર માટે દર્દીને આઇસીયુ સુધી મોકલતા સુધીમાં જીવન મરણનો પ્રશ્ન ઉપસ્થિત થઇ જાય તો જવાબદારી કોની..
એવું માનવામાં આવે છે કે કેગના રિપોર્ટ પછી દાયકાઓથી ચાલી આવતી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં હવે કેઝ્યુલિટી વોર્ડમાં આઇસીયુ સુવિધા આગામી દિવસોમાં ઉભી કરવામાં આવશે.






















