CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 72 of 78 - CIA Live

September 20, 2018
new_civil_hospital.jpg
1min7520

Jayesh Brahmbhatt   98253 44944

તાજેતરમાં કેગ (ક્રોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ)ની ટીમ દ્વારા ગુજરાતની સરકારી હોસ્પિટલ્સની મુલાકાત લેવામાં આવી હતી, એ દરમ્યાન એવી સ્થિતિ જોવા મળી કે સુરત સિવિલ હોસ્પિટલ અને જામનગર સિવિલ હોસ્પિટલમાં કેઝ્યુલિટી (તાત્કાલિક સારવાર) વિભાગ આઇ.સી.યુ. વગર જ ચાલી રહ્યા છે. કેગ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી છે અને કેગની ટીમે રજૂ કરેલા આ રિપોર્ટને કેગ દ્વારા ગુજરાત સરકારને સુપરત કરવામાં આવેલા રિપોર્ટમાં સમાવવામાં આવ્યો છે.

કેગનો રિપોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારોના વહીવટની ચાડી ખાય છે અને કેગના રિપોર્ટ બાદ ગમે તેવા જડ તંત્રમાં પણ સુધારો થઇ જતો હોય છે. આ વખતે કેગના રિપોર્ટની અડફેટે સુરત અને જામનગરની સિવિલ હોસ્પિટલ કે જ્યાં સરકારી મેડીકલ કોલેજો પણ ચાલી રહી છે એ આવી છે. કેગની ટીમ દ્વારા રાજ્યની સરકારી હોસ્પિટલમાં પૂરી પાડવામાં આવતી હેલ્થ સેવાઓનું મૂલ્યાંકન કરવા માટે મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કેગની ટીમે એવું નોંધ્યું હતું કે સુરત અને જામનગરની સિવિલ હોસ્પિટલમાં કેઝ્યુલિટી વિભાગ ઇમરજન્સી સારવાર વિભાગ આઇસીયુ વગર જ ચલાવવામાં આવે છે.

આશ્ચર્યની વાત એ છે કે આ હોસ્પિટલો વર્ષોથી નહીં દાયકાઓથી ચાલે છે અને ક્યારેય કોઇ તબીબ કે હોસ્પિટલના વડાને આઇસીયુ વગર ચાલતા કેઝ્યુલિટી વિભાગને ઠીકઠાક કરવાની જરૂરીયાત મહેસૂસ થઇ નહીં એ બાબત પણ કેગની ટીમને હેરાન કરનારી નિવડી છે. કોઇપણ હોસ્પિટલ હોય ત્યાં તાત્કાલિક સારવાર વિભાગ સાથે આઇસીયુ હોય જ અને એ કાયદાકીય નોર્મ્સ અનુસાર પણ જરૂરી છે. આમ છતાં દાયકાઓથી ચાલતી આ સરકારી હોસ્પિટલમાં માળખાગત સુવિધાની આ મોટી ક્ષતિ સુધારવાની દરકાર અત્યાર સુધીના કોઇ અધિકારીએ લીધી નહીં.

કેગના રિપોર્ટમાં ઉલ્લેખ છેકે સુરત સિવિલ હોસ્પિટલમાં આઇ.સી.યુ. છે પરંતુ, એ કેઝ્યુલિટી ડિપાર્ટમેન્ટથી દૂર છે. આકસ્મિક સંજોગોમાં ઘનિષ્ઠ સારવાર માટે દર્દીને આઇસીયુ સુધી મોકલતા સુધીમાં જીવન મરણનો પ્રશ્ન ઉપસ્થિત થઇ જાય તો જવાબદારી કોની..

એવું માનવામાં આવે છે કે કેગના રિપોર્ટ પછી દાયકાઓથી ચાલી આવતી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં હવે કેઝ્યુલિટી વોર્ડમાં આઇસીયુ સુવિધા આગામી દિવસોમાં ઉભી કરવામાં આવશે.

September 19, 2018
surat-e1490634420589.jpg
1min11200

જયેશ બ્રહ્મભટ્ટ    98253 44944

નોટબંધી પછી કેશ લિક્વીડિટીની સમસ્યાના કારણે અને એ પછી રેરા કાયદાને કારણે રિયલ એસ્ટેટ બિઝનેસ મંદીની ગર્તામાં ધકેલાય ગયો હતો જોકે, આજકાલ સુરતના રિયલ એસ્ટેટ બિઝનેસમાં ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ્સ એટલે કે ઇકોનોમી ક્લાસ અને મિડીયમ ક્લાસના પ્રોજેક્ટસ, ફ્લેટ્સમાં સારી એવી ઘરાકી નીકળી હોવાનો મત રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા અગ્રણીઓ જણાવી રહ્યા છે. સુરતના રિયલ એસ્ટેટ બિઝનેસની વાત કરીએ તો ફાર્મ હાઉસ, લક્ઝુરીયસ એપાર્ટમેન્ટસ, વીકએન્ડ હોમ, સ્ટુડીયો ફ્લેટ્સ વગેરે જેવા પ્રોજેક્ટસ કરનારા બિલ્ડરો પાસે ઘરાકી નથી જ્યારે વાસ્તવિક રહેવા માગતા ફેમિલી એફોર્ડેબલ હોમ્સ એટલે કે રૂ.40થી 65 લાખની રેન્જના ફ્લેટ્સની ખરીદી સારી એવી કરી રહ્યા છે.

એફોર્ડેબલ હોમમાં સારી ઘરાકી, ફાર્મ હાઉસ અને લક્ઝુરીયસ પ્રોજેક્ટ કરતા બિલ્ડરો નવરાધૂપ

રૂ.40લાખથી 65 લાખના ફ્લેટ્સના ખરીદારો 

સુરતના રિયલ એસ્ટેટ માર્કેટ અંગે સી.આઇ.એ. લાઇવની ટીમે જુદા જુદા જેમકે બિલ્ડર્સ, ડેવલપર્સ, બેંક ઓફિસર્સ તેમજ મહાનગરપાલિકા તથા સુડાના અધિકારીઓ જે બાંધકામની પરવાનગી આપવા સાથે સંકળાયેલા છે તેમની સાથે હાલમાં રિયલ એસ્ટેટ ઉધોગની સ્થિતિ અંગે વાતચીત કરી એનો નિષ્કર્ષ એ આવ્યો કે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જેટલી મંદીની બૂમો પડી રહી છે તેવી સ્થિતિ નથી. એફોર્ડેબલ હાઉસિંગમાં ગ્રાહકો મળી રહ્યા છે અને રૂ.40થી 65 લાખની વચ્ચેની કિંમતના મકાનો, ફ્લેટ્સ વેચાઇ રહ્યા છે. શહેરના એક બિલ્ડરએ જણાવ્યું કે ઇકોનોમી રેન્જ નહીં કહી શકાય પણ મિડલ ક્લાસ અને લૉઅર મિડલ ક્લાસ ફ્લેટ્સ ખરીદી રહ્યા છે. ખાસ કરીને વેસુ, જહાંગીરપુરા અને પાલ એરીયામાં 50 લાખનું બજેટ હોય તેવા પ્રોજેક્ટસમાં ઘરાકી જોવા મળી રહી છે. એવી જ રીતે કતારગામ અને વરાછામાં પણ એફોર્ડેબલ હાઉસિંગમાં કોઇ મંદી જોવા મળતી નથી.

બજારમાંથી ઇન્વેસ્ટર્સ ઓછા થઇ ગયા એટલે લિક્વિડીટી મળતી બંધ થઇ 

શહેરમાં જાણીતી બ્રાન્ડના ડેવલપરએ જણાવ્યું કે રિયલ એસ્ટેટ ઉદ્યોગમાંથી ઇન્વેસ્ટર્સ સાવ ઓછા થઇ ગયા છે. નોટબંધી અને એ પછી રેરાના કાયદો એવો આવ્યો છે કે ઇન્વેસ્ટર્સ કે જે અગાઉ પ્રોજેક્ટમાં ફ્લેટ, રો હાઉસ, દુકાનો કે ઓફિસોમાં બ્લેક મની રોકી રાખતા અને નફો મળે એટલે નીકળી જતા હતા એ સાવ બંધ થઇ જતા હવે બિલ્ડર્સને લિક્વિડટીનો પ્રોબ્લેમ નડી રહ્યો છે. એ સિવાય રિયલ રહેવાવાળા, વપરાશકર્તાઓ ખરીદી માટે આવી રહ્યા છે તેમાં કોઇ બે મત નથી.

ફાર્મ હાઉસ લેવાવાળા સામે પ્રોપર્ટી વળગાડવાની ઓફર કરી જાય છે

બીજી તરફ, શહેરની ફરતેના વિસ્તારોમાં ફાર્મ હાઉસીસના પ્રોજેક્ટસની ભરમાર લોંચ થઇ ચૂકી છે પરંતુ, છેલ્લા બે વર્ષથી સતત ફાર્મ હાઉસ પ્રોજેક્ટસના બિલ્ડર્સ ઘરાકીનો અભાવ સહન કરી રહ્યા છે. ફાર્મ હાઉસના પ્રોજેક્ટ રૂ.2 કરોડથી લઇને રૂ.5 કરોડ સુધીના હોઇ બજારમાં નાણાંભીડને કારણે એલીટ ક્લાસના કસ્ટમર્સ પણ આવી ખરીદીથી દૂર ભાગી રહ્યા છે. ઓલપાડ વિસ્તારમાં ફાર્મ હાઉસનો પ્રોજેક્ટ ધરાવતા એક બિલ્ડરે કહ્યું ફાર્મ હાઉસ ખરીદવા માટે અઠવાડીયે એકલ દોકલ લોકો આવે છે અને એ પણ હવાલામાં કે બદલામાં મિલકત ઓફર કરી રહ્યા છે. શહેર ફરતેના મોટા ભાગના ફાર્મ હાઉસીસના પ્રોજેક્ટમાં આવી સ્થિતિનું નિર્માણ થયું છે.

લક્ઝુરીયસ ફ્લેટ્સ બિલ્ડરોનું બ્લડ પ્રેશર વધારી રહ્યા છે

શહેરમાં જ્યારે તેજીનો માહોલ હતો ત્યારે 3-3 કરોડમાં પણ ફ્લેટો વેચાયા હતા. આવી સ્થિતિમાં એ સમયે નોટબંધી ન હતી કે રેરા પણ ન હતું. પરંતુ, છેલ્લા બે વર્ષમાં પરિસ્થિતિ બદલાઇ જતા, હાલમાં દોઢ કરોડથી ઉપરની કિંમત ધરાવતા ફ્લેટોનું વેચાણ સાવ મંદ થઇ જવા પામ્યું છે. વેસુ વિસ્તારમાં લક્ઝરીયસ પ્રોજેક્ટ માટે દલાલી કરતા એક વ્યક્તિએ જણાવ્યું કે હાલમાં ગ્રાહકો સ્પેશિફિક બજેટ લઇને આવે છે, રીયલ રહેવાવાળા માટે એક કરોડનું બજેટ પણ મોટું થઇ પડે છે. મોટા ભાગના લક્ઝરીયસ પ્રોજેક્ટના ફ્લેટસ ખાલી પડી રહ્યા છે અને તેનું મેઇન્ટેનન્સ કરવું હવે બિલ્ડરો માટે માથાનો દુખાવો બની રહ્યું છે.

September 18, 2018
suratairport.jpg
1min8550

Jayesh Brahmbhatt  98253 44944

વિશ્વના સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરોમાં જેમ સુરત શહેરનું નામ ચર્ચામાં આવે છે તેમ હવે ભારતના સૌથી ઝડપી વિકાસ પામી રહેલા એરપોર્ટસમાં સુરત એરપોર્ટનું નામ રોકેટ ગતિઓ આગળ આવી રહ્યું છે.

સુરત એરપોર્ટ ઓથોરિટીના સત્તાવાર આંકડાઓ મુજબ ગત ઓગસ્ટ 2018 નો મહિનો એવો હતો કે સુરત એરપોર્ટ પર કોઇ એક મહિનામાં સૌથી વધુ મુસાફરોની આવન-જાવન થઇ છે. ઓગસ્ટ 2018માં સુરત એરપોર્ટ પરથી કુલ 88,653 મુસાફરોએ ક્યાં તો સુરત એરપોર્ટ પર લેન્ડ કર્યું ક્યાં તો ટેક ઓફ કર્યું. અને ચાલુ સપ્ટેમ્બર 2018ના એક મહિનામાં સુરત એરપોર્ટ પરથી આવન-જાવન કરનારા મુસાફરોની સંખ્યાનો આંકડો એક લાખ પર પહોંચી જશે એમાં કોઇ બેમત નથી જણાતો.

સુરત એરપોર્ટ ઓથોરિટીના સત્તાવાર આંકડાઓ આ મુજબનું ગ્રાફિકલ પિક્ચર રજૂ કરી રહ્યા છે.

સુરતએ આમ તો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે પરંતુ, ઓગસ્ટ 2018માં સુરત એરપોર્ટ પરથી મુસાફરી કરનારાઓનો આ આંકડો ચાલુ સપ્ટેમ્બર 2018ના મહિનામાં એક લાખ મુસાફરોનો માઇલસ્ટોન હાંસલ કરે તેવો પણ આશાવાદ સેવાય રહ્યો છે.

આ અંગે વધુ વિગતો આપતા સુરત એરપોર્ટ માટે સતત પ્રયત્નશીલ સુરતીઓ પૈકીના શ્રી મનોજ સિંગાપુરીએ જણાવ્યું કે સપ્ટેમ્બર 2018 મહિનાના અંતે સુરત એરપોર્ટથી એક જ મહિનામાં 1 લાખથી વધુ પેસેન્જરોની આવન-જાવન નોંધાશે અને એ એક માઇલસ્ટોન સાથે ઇતિહાસ પણ બનશે એમાં બે મત નથી. આ માટે મજબૂત કારણ આપતા મનોજ સિંગાપુરી કહે છે કે ઇન્ડિગો એરલાઇન્સની જે ફ્લાઇટ્સ ઓગસ્ટ 2018માં શરૂ થઇ હતી એ મધ્ય ભાગથી શરૂ થઇ હતી. પ્રથમ બે સપ્તાહમાં આ ફ્લાઇટ ન હોવાથી પેસેન્જરની સંખ્યા ન હોય સ્વાભાવિક છે. પણ હવે સપ્ટેમ્બરમાં ઇન્ડિગોની ફ્લાઇટ્સના મુસાફરોની સંખ્યા આખો મહિનો ગણનામાં આવશે એટલે સુરત એરપોર્ટ કોઇ એક મહિનામાં 1 લાખની મુસાફરોની સંખ્યાના લક્ષ્યાંકને સરળતાથી પાર કરી દે તેવું હાલ તુરત તો નિશ્ચિત મનાય છે.

વધુમાં હાલમાં સુરત એરપોર્ટ પર દૈનિક 26 ફ્લાઇટ્સ (વિમાનો) આવે છે અને 26 વિમાનો પરત જાય છે. સપ્ટેમ્બર 2018માં કોઇ નવી ફ્લાઇટને અવકાશ જણાતો નથી, પણ ઓક્ટોબર 2018માં સુરતને વધુ બે નવી ફ્લાઇટ્સ મળી રહી છે.

(સુરત એરપોર્ટનું ઉપરોક્ત સમયપત્રક ઓક્ટોબર 2018થી અમલી બનશે)

 

September 18, 2018
trenn.jpg
1min9970
  • 19 હજારથી વધુ છોડો રોપીને ગ્રીનમેન તરિકે ઓળખ ઉભી કરનાર યુવાન ઉદ્યોગપતિ વિરલ દેસાઈનો અનોખો પ્રયાસ 
  • ટ્રી ગણેશા સાથે સ્થાપિત કરેલી નાનકડી પ્રતિમાનું પણ સ્થળ પર જ વિસર્જન કરી તે માટીમાં છોડોનું વાવેતર કરાશે

 

સુરત. ગણેશ ઉત્સવનો શહેરભરમાં માહોલ જામ્યો છે ત્યારે સ્થાપિત થયેલી હજારો પ્રતિમાઓની વચ્ચે પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપવા સુરતના જ એક યુવાન ઉદ્યોગપતિએ પોતાની ફેક્ટ્રીમાં ટ્રી ગણેશાની સ્થાપના કરી છે.  આ ઉદ્યોગપતિનું નામ છે વિરલ સુધીરભાઈ દેસાઈ. વિરલ દેસાઈ છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણ અને ઉર્જા સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે અને ખાસ કરીને આ કાર્ય માટે તેમણે હાર્ટસ એટ વર્ક ફાઉન્ડેશનની સ્થાપના કરીને તેઓ વૃક્ષા રોપણનું અભિયાન ચલાવી રહ્યા છે.  આ અભિયાન હેઠળ તેઓ અત્યાર સુધી 19 હજારથી વધુ છોડોનું રોપણ કરીને ગ્રીનમેન તરિકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યા છે. ત્યારે ગણેશ ઉત્સવને પણ તેમને પર્યાવરણ સંરક્ષણની સાથે જોડયો છે અને પોતાની ફેક્ટરીમાં જ એક વૃક્ષને ગણપતિનું રૂપ આપીને સાથે માટીની એક નાનકડી પ્રતિમાની સ્થાપના કરી છે. દસ દિવસની આરાધના બાદ આ પ્રતિમાનું સ્થળ પર જ વિસર્જન કરવામાં આવશે અને ત્યારબાદ એ માટીમાં છોડ રોપવામાં આવશે.

એટલું જ નહીં પણ વિરલ દેસાઈ ગણેશ ઉત્સવ દરમિયાન પણ રોજ વૃક્ષારોપણ કરી રહ્યા છે. ત્રણ દિવસ દરમિયાન તેઓ વી.આર.પોપાવાલા ખાતે 68 અને સિવિલ હોસ્પિટલ સ્થિત છાંયડો ખાતે 82 છોડ રોપી ચૂક્યા છે.

વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રકૃતિ એ જ ભગવાન છે ત્યારે પ્રકૃતિનું સંરક્ષણ કરવી એ જ સાચી ભક્તિ છે.આ અનોખા આયોજન પાછળનો ઉદ્દેશ પણ પર્યાવરણ સંરક્ષણ અંગે લોકો ને જાગૃત કરવાનો છે.

-x-x-x-x-

 

September 12, 2018
blend.jpg
1min12660
Jayesh Brahmbhatt 98253 44944
રાજ્યમાં આવેલી દારુની કાયદેસરની દુકાનો એટલે કે પરમીટ લિકર શોપમાં છેલ્લા કેટલાય દિવસોથી જુદી જુદી જાતના દારુની ગંભીર અછત વર્તાય રહી છે. પરમિટ હોલ્ડરને દારુ ખરીદવા માટે પહેલા જે પ્રકારની ચોઇશ મળતી હતી તેને બદલે હવે બે-પાંચ બ્રાન્ડ પૈકી જે બ્રાન્ડ હાજર હોય તો બ્રાન્ડ લઇને ચાલતી પકડવી પડે છે. આનું કારણ દારુ બનાવતી ડિસ્ટલરીઓ, કંપનીઓ દ્વારા ગુજરાતની પરમિટ શોપમાં દારૂનો સપ્લાય બંધ કરી દીધો હોવાનું જાણવા મળે છે. એક તરફ
(1) રાજ્ય સરકારે નવી પરમિટ આપવાનું બંધ કરી દીધું છે
(2) જુની પરમિટ રિન્યુ કરવાનું બંધ કરી દીધું છે
(3) દારુની દુકાનો પર પ્રાઇશ ટેગ લખ્યા વગરની બોટલો વેચવાનું બંધ કરાવી દીધું છે અને
(4) દારુની દુકાનોમાં વેચાતી જુદી જુદી બ્રાન્ડ માટેની બોટલનો લઘુત્તમ ભાવ નક્કી થઇ શકે તે સબબની ફાઇલને મંજૂરી આપવાનું કામ વિલંબમાં નાંખ્યું છે.
આવા કારણોસર ગુજરાતમાં કાયદેસર રીતે પરમિટ લઇને દારુ પીનારા લોકો માટે મુસિબતોનો પાર રહ્યો નથી. બીજી તરફ રાજ્ય સરકાર એવું આશ્વાસન લઇ રહી છે કે તેઓ ગુજરાતમાં દારુબંધીનો ચૂસ્ત અમલ કરી રહ્યા છે. હકીકત એ છે કે જે રાજ્યોમાં દારુ મુકિ્ત છે તેના કરતા વધુ દારુ જ્યાં દારુબંધી છે એ ગુજરાતમાં વેચાય છે અને પીવાય છે.
છેલ્લા ઘણા દિવસોથી પરમિટ શોપમાં પહેલાની જેમ જુદી જુદી જાતના દારુની વેરાયટી બ્રાન્ડ મળતી હતી તે મળવાનું બંધ થવા પાછળનું કારણ પરમીટ શોપ માટે રાજ્ય સરકારે નક્કી કરેલા નવા નિયમો છે.
દારુની બોટલનો યુનિટ રેટ નક્કી ન થાય ત્યાં સુધી ગુજરાતની લિકર શોપમાં ફેક્ટરીઓ દારુ સપ્લાય નહીં કરે
થોડા મહિના અગાઉ રાજ્યના તોલમાપ વિભાગે કેટલીક પરમીટેડ લિકર શોપ ઉપર કાર્યવાહી હાથ ધરીને કિંમત દર્શાવ્યા વગરની દારૂની બોટલો વેચવાના આરોપ સર લિકર શોપ માલિકોને લાખો રૂપિયા દંડ ફટકાર્યો હતો. આટલેથી આગળ વધીને સરકારે દારૂની ફેક્ટરીઓને નોટિસ આપીને દારુની પ્રત્યેક બોટલો પર લઘુત્તમ ભાવ છાપવા સબબની ચીમકી આપી હતી. આ નોટીસના જવાબમાં ફેક્ટરી દ્વારા ગુજરાત સરકારને ગુજરાતમાં લાગુ પડતા વિવિધ વેરા અને દુકાન માલિકના નફાની ટકાવારીની માહિતી આપવા રજૂઆત કરવામાં આવી હતી.
દારુની બોટલનો પ્રતિ યુનિટ દર નક્કી કરવા માટે  ગુજરાતમાં લાગુ પડતા વેરાઓ તેમજ નફા અંગેની તમામ માહિતી હોવી અનિવાર્ય છે. હવે દારુની ફેક્ટરીઓને પહોંચાડવા સબબની માહિતીની ફાઇલ  સરકારમાં જુદા જુદા કન્સર્ન ડિપાર્ટમેન્ટમાં ખો-ખોની રમતનો દાવ આપી રહી છે.
ગુજરાતમાં ભરવા પાત્ર ટેક્સ તેમજ અન્ય માહિતીના અભાવે દારુની ડિસ્ટલરીઓ, ફેક્ટરીઓ દ્વારા કિંમત છાપ્યા વગરનો માલ ગુજરાતની લિકર શોપમાં સપ્લાય કરવાનું બંધ કરી દેવાયું છે. અને આ જ કારણે રાજ્યની પરમીટ શોપ કહો કે લિકર શોપમાં દારુ પીનારાઓની ભાષામાં કહીએ તો માલ મલવાનો બંધ થઇ રહ્યો છે.

We are in Google Play store too….

September 11, 2018
azura-1280x856.jpg
1min6230

બોલીવુડ અભિનેત્રી અમૃતા રાવે કર્યું ઉદઘાટન

સુરત, સપ્ટેમ્બર 2018: હેલ્થકેર અને વેલનેસ ક્ષેત્રે નામના ધરાવતી અઝુરા વેલનેસ ક્લબનાબીજા સેન્ટરનું શનિવાર, તા. 8સપ્ટેમ્બરના રોજ કેનોપસ મોલ, પાર્લે પોઈન્ટ સર્કલ, ઘોડ દોડ રોડ ખાતે ધમાકેદાર લોન્ચીંગ કરી હતી.જેનું ઉદઘાટન બોલીવુડની પ્રસિદ્ધ અદાકારા અમૃતા રાવેકર્યું હતું.

આ પહેલા અઝુરા વેલનેસ ક્લબના પહેલા સેન્ટરનું ઉદઘાટન 23મી એપ્રિલ 2017ના રોજ ટ્રીનીટી સિગ્નસ, સોમેશ્વરા ચાર રસ્તા, સુરત ખાતે બોલીવુડની પ્રસિદ્ધ અદાકારા ઝરીન ખાનેકર્યું હતું.

“અઝુરા” શબ્દનો અર્થ શક્તિશાળી અને સંપૂર્ણ થાય છે, આમ આ બ્રાન્ડ આપણી આંતરિક શક્તિ તેમજ મગજ, શરીર અને આત્મા જેવા શરીરના મૂળભૂત તત્વોના પોષણને મહત્વ આપી રહી છે. તેના માટે ક્લબમાં રીલેક્સીંગ, મિકેનીકલ, પેસીવ, ઇન્વેસીવ અને નોન-ઇન્વેસીવ થેરાપીનું સંયોજન ઉપલબ્ધ કરાશે, આ થેરાપી દરેક વ્યક્તિની જરૂરિયાત માટે વિશિષ્ટ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. તેને સામાન્ય બનાવવા, અઝુરાએ બાહ્ય દુનિયાની અરાજક્તાને ભૂલીને  માનસિક રીતે શાંત અને આરામપ્રદ રહેવાની જગ્યા ડિઝાઇન કરી છે.

આ હેલ્થ ક્લબ વિવિધ સંશોધનાત્મક અને સગવડસભર સેવાઓ મારફતે સાકલ્યવાદી સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેવી કે કિડ્સ મેનીયા-શહેરી માતા-પિતા કે જેઓ તેમના બાળકોને લાડ લડાવવા લાંબા અંતરની મુસાફરી ઇચ્છતા હોય તેમના માટે, ટ્રાયો કેર-વાળને લગતી દરેક પ્રણાલીઓ, ત્વચાની સંભાળ-ત્વચાની નિયમિત કાળજી માટે, સ્પા-વિશ્રામ માટે અને ફેટ2ફીટ-યોગ્ય પોષક આહારના ઉપયોગ માટે. આ દરેક સેવાઓ સંપૂર્ણ કુશાગ્ર તાલીમ પામેલા કર્મચારીઓ દ્વારા પુરી પાડવામાં આવશે.

બ્યુટી અને વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં 18 વર્ષથી વધુ મૂલ્યવાન અનુભવ ધરાવતા વિભા શર્માના નેતૃત્વ હેઠળ અઝુરાનો ઉદ્દેશ આગામી પાંચ વર્ષોમાં ભારતના દરેક ખૂણે સેવાઓનો વ્યાપ વધારવાનો છે. વિભા શર્મા જણાવે છે કે, “અઝુરા દ્વારા અમે દરેક હેલ્થ અને વેલનેસની અને તે પણ આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબની જરૂરિયાતો પુરી પાડવાનું વન-સ્ટેપ સોલ્યુસન સુરતને ભેટ ધરીએ છીએ. મને જાહેર કરતા આનંદ થાય છે કે અમે અહીં વિસ્તરણની યોજનાઓ તૈયાર રાખી છે અને રાજકોટ, અમદાવાદ, ઇન્દોર, જયપુર, શિલોંગ, લુધિયાણા, આગરા, પુણે અને ચેન્નાઇ વગેરે જેવા દેશના દસથી વધુ શહેરોમાં એક નેટવર્ક ઉભું કરવાનો અમારો ઉદ્દેશ છે.”

-x-x-x-x-

September 10, 2018
Live_Darshan_Ganesh-1280x798.png
1min6150

સી.આઇ.એ. લાઇવ હવે એક પ્રાદેશિક ન્યુઝ વેબ રહી નથી. દેશભરમાંથી વ્યુઅર્સ www.cialive.in વેબ સાઇટ પર રોજેરોજ ન્યુઝ વાંચવા, જોવા આવી રહ્યા છે.

ગુગલ સર્ચ એન્જિનના આંકડા સ્પષ્ટ સૂચવે છે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કેરેલા વગેરે રાજ્યોમાં ઓડિયન્સ www.cialive.in વેબસાઇટ પર ક્લીક કરી રહ્યા છે. એવી જ રીતે અમેરિકા, યુકે અને કેનેડામાં વસતા બિન નિવાસી ભારતીયો માટે પણ સીઆઇએ લાઇવ ન્યુઝ વેબ માનીતી બની ગઇ છે.

આગામી ગણેશ ઉત્સવને અનુલક્ષીને www.cialive.in દ્વારા સુરત શહેરમાં ધામધૂમથી, આન-બાન-શાનથી, હર્ષોલ્લાસભેર ઉજવાતા ગણેશોત્સવના ફોટા, ઇવેન્ટસ, આવકારદાયક થીમ, પ્રેરણાદાયી કાર્યો વગેરેનો લહાવો દેશ-વિદેશમાં પથરાયેલા પોતાના વ્યુઅર્સ સુધી પહોંચાડશે.

આથી સુરત શહેરના ગણેશ આયોજકો પછી ભલે એ શેરી, મહોલ્લા, એપાર્ટમેન્ટ, સોસાયટી, રો હાઉસ, પોતાના ઘરમાં સ્થાપના કરતા હોય એવા તમામને પોતાના ગણેશજીનો ફોટો તેમજ તેની ટૂંકી નોંધ સી.આઇ.એ લાઇવને ઇમેલ cialive@yahoo.com કરશે તો અમે તેને www.cialive.in વેબસાઇટ પર પ્રકાશિત કરીશું.

તો આજે જ આપના ગણેશજીના દર્શન અને આશીર્વાદનો લ્હાવો દેશ-દુનિયાભરના ભક્તજનોને પહોંચાડો.

આપના ગણેશજીની મૂર્તિના ફોટા, ગ્રુપ ફોટા, સેલ્ફી ટૂંકી વિગત સાથે અમને આ મેઇલ પર મોકલશો

Email  cialive@yahoo.com

Contact number 98253 44944

 

ON Google Play Store

September 10, 2018
230520-surat.jpg
1min14490

પેટ્રોલ-ડિઝલના ભળકે બળતા ભાવોના વિરોધમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દ્વારા આજરોજ તા.10મી સપ્ટેમ્બર 2018ના દિવસ એક દિવસ પૂરતા આપવામાં આવેલા બંધના એલાનની આર્થિક નગરી, ટેક્સટાઇલ સિટી, ડાયમંડ સિટી સુરત પર આંશિક અસર પણ જોવા મળી ન હતી. 20થી 25 જગ્યાઓ પર કોંગ્રેસી નેતાઓએ ખાસ કરીને સ્થાનિક નેતાઓએ ભેગા મળીને બંધ પળાવ્યો એ સિવાય સુરત શહેર રાબેતા મુજબ ધમધમતું હતું. ટેક્સટાઇલ માર્કેટ, લિંબાયત, પૂણા જેવા વિસ્તાર સિવાય સુરતમાં બંધમાં કોઇ જોડાયા ન હતા. રિક્ષા હડતાળનો તો ભારે ફિયાસ્કો થયો હતો. રિક્ષા ચાલકોને જ ખબર ન હતી કે શહેરમાં આજે રિક્ષા હડતાળ છે. આમ, સુરત શહેરમાં બંધની આંશિક અસર પણ જોવા મળી ન હતી.

આજે સવારના સેશનમાં અમરોલી, ધારુકાવાળા તેમજ અન્ય કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ સિવાય બાકીની શાળા કોલેજો રાબેતા મુજબ શરૂ રહી હતી. સવારે સાડા  દસ વાગ્યાથી ટેક્સટાઇલ માર્કેટ પણ રાબેતા મુજબ કાર્યાન્વિત થયેલી જોવા મળી હતી. બેંકો, સરકારી કચેરીઓ, ચૌટાબજાર, રાજમાર્ગ, અઠવાલાઇન્સ, અડાજણ, વરાછા રોડ વગેરે વિસ્તારોમાં સવારથી જ દુકાનો, ઓફિસો રાબેતા મુજબ શરૂ થઇ હતી. આજના બંધ અંગે કોંગ્રેસી નેતાઓ દ્વારા કોઇ જ આગોતરી વ્યવસ્થા કરવામાં આવી ન હતી પરીણામે જ્યાં કોંગ્રેસી નેતાઓનું વર્ચસ્વ હતું ત્યાં પણ બંધની કોઇ જ અસર જોવા મળી ન હતી. શહેરના રિંગ રોડ પર ટ્રાફીક રાબેતા મુજબ હતો, એવી જ રીતે રાજમાર્ગ, અઠવાલાઇન્સ મેઇન રોડ, ઘોડદોડ રોડ, ઉધના મગદલ્લા રોડ, ઉધના મેઇન રોડ, કતારગામ, વરાછા રોડ, પૂણા રોડ વગેરે વિસ્તારમાં સવારના સેશનમાં બંધની કોઇ જ અસર જોવા મળી ન હતી.

બંધની ક્યાં અસર જોવા મળી

પૂણાના યોગી ચોક, કાપોદ્રા, લિંબાયત વગેરે વિસ્તારોમાં આજે સવારે કોંગ્રેસી કાર્યકરોએ દુકાનો, ઓફિસો બંધ કરાવવામાં સફળતા મેળવી હતી. જોકે, થોડા સમયમાં પોલીસ પહોંચી જતા બાદમાં આ વિસ્તારોમાં પણ દુકાનો, ઓફિસો રાબેતા મુજબ ધમધમતી થઇ જવા પામી હતી. કોંગ્રેસી કોર્પોરેટર અને વિદ્યાર્થી નેતા ભાવેશ રબારીના જણાવ્યા અનુસાર ધારુકાવાળા કોલેજ કેમ્પસ, અખંડ આનંદ અને અમરોલી કોલેજોને બંધના એલાનના ભાગરૂપે બંધ કરાવવામાં સફળતા મેળવી હતી. ટેકસટાઇલ માર્કેટ વિસ્તારમાં માર્કેટ ખુલે એ પહેલા કેટલાક નેતાઓએ બંધ રાખવા માટે પ્રયાસો કર્યા હતા જોકે, વેપારીઓએ રાબેતા મુજબ માર્કેટ શરૂ કરી દેતા ટેક્સટાઇલ વ્યાપારી વિસ્તાર રિંગરોડ પર પર પણ બંધની કોઇ અસર જોવા મળી ન હતી. ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં તારાચંક કાસટ અને તેમના કેટલાક સમર્થકોએ દુકાનો બંધ રાખી હતી એ સિવાય તમામ માર્કેટો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી હતી. લિંબાયત વિસ્તારમાં રવિન્દ્ર પાટીલની આગેવાની હેઠળ સવારે ટાયરો સળગાવીને કેટલીક સ્કુલ બસ તેમજ રીક્ષાઓ રોકીને બંધ પાળવા માટે પ્રયાસ કરાયો હતો જોકે પોલીસે તેમને વિખેરી નાંખ્યા હતા.

કોંગ્રેસીઓ પોતાના ગઢમાં પણ બંધ કરાવી ન શક્યા

આજના કોંગ્રેસ પ્રેરિત બંધના એલાનમાં સુરતમાં કોંગ્રેસીઓનું પ્રદર્શન સાવ જ નબળું રહ્યું. પેટ્રોલ અને ડિઝલના ભડકે બળતા ભાવોથી સામાન્ય લોકો દુભાયેલા છે જ પરંતુ, કોંગ્રેસના બંધના એલાનમાં સ્થાનિક કોંગ્રેસી નેતાઓ સામાન્ય લોકોને સાંકળવામાં નિષ્ફળ નિવડ્યા. કોંગ્રેસના કોર્પોરેટરો જ્યાંથી ચૂંટણી લડ્યા છે એ વિસ્તારોમાં પણ બંધની અસર વર્તાવી શક્યા નહીં. એકાદ બે કલાક દુકાનો જબરદસ્તી બંધ રખાવી કોંગ્રેસીઓએ ફોટા પડાવી લીધા. એ પછી સવારે 10.30થી બધું ધમધમતું જોવા મળ્યું હતું.

કોંગ્રેસ કાર્યાલયની આસપાસમાં, કોંગ્રેસના પ્રમુખના ઘરની આસપાસ ઉધના દરવાજા વિસ્તારમાં જ બંધની કોઇ અસર જોવા મળી ન હતી. આમ કોંગ્રેસનું પરફોર્મન્સ બિઝનેસ સિટીમાં બંધ કરાવવામાં સાવ નબળું જોવા મળ્યું હતું.

 

Download CIA LIVE app from GOOGLE Play Store

September 7, 2018
doctors-1280x1349.jpg
1min10630

Jayesh Brahmbhatt.   98253 44944

Me and Mummyવાળા ડો. પ્રફુલ દોશી પર થયેલી પોલીસ ફરીયાદ બાદ શહેરના તબીબો પેનિકની સ્થિતિમાં હોવાની કેફિયત સાથે આજે વીસથી વધુ તબીબોએ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી શર્માને મળીને કેટલીક રજૂઆતો કરી હતી.

ડો.અનિતા શાહ, ડો. આશા ભટ્ટ, ડો. પ્રફુલ છાશટીયા, ડો.પ્રશાંત નાયક, ડો.સમીર દેસાઇ, ડો.અનિલ પટેલ, ડો.ઇન્દ્રવદન શાહ, ડો. ભૂપેશ ચાવડા, ડો. વિનોદ શાહ, ડો.અનિલ ગોસ્વામી, ડો.પ્રકાશ ભટ્ટ, ડો.મનિષા ઝવર, ડો. તોરાવાલા, ડો.અનિલ શાહ, ડો.હિરલ શાહ વગેરેનું પ્રતિનિધિ મંડળ આજે બપોરે પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માને મળવા પહોંચ્યું હતું.

પોલીસ કમિશનરને મળ્યા બાદ તેમની મુલાકાત અંગે પ્રતિનિધિમંડળ દ્વારા મિડીયાને જણાવાયું હતું કે તેઓ ડો. પ્રફુલ દોશી સામેના પોલીસ પ્રકરણ પછી ભયની સ્થિતિમાં આવી ગયા છે. તબીબ સામે આક્ષેપો સરળતાથી થઇ શકે તેવી સ્થિતિમાં તબીબોએ કેવી રીતે કામ કરવું એ અંગે રજૂઆતો કરવામાં આવી હોવાનું પ્રતિનિધિ મંડળના કેટલાક તબીબોએ જણાવ્યું હતું.

પોલીસ કમિશનર શ્રી શર્માએ આ મુદ્દા પર તેમના ગાઇડન્સ આપ્યું હોવાનું જણાવતા પ્રતિનિધિ મંડળે કહ્યું કે પોલીસ કમિશનરે તેઓને કન્સલ્ટીંગ રૂમમાં વિડીયો કેમેરા રાખવા તેમજ દર્દીની તપાસ થાય ત્યારે તેના પરિવારજનો પૈકી કોઇકને સાથે રાખવાની સલાહ આપી હતી.

તબીબોનું પ્રતિનિધિ મંડળ પોલીસ કમિશનર ને મળવા પહોંચ્યું ત્યારે એવી વાતો વહેતી થઇ હતી કે તેઓ ડો. પ્રફુલ દોશીની તરફેણમાં મળવા પહોંચ્યા હતા. જો કે, પ્રતિનિધિ મંડળે કહ્યું કે તેમણે આવી કોઇ રજૂઆત કરી ન હતી.

September 7, 2018
1min5200

એક પરણિત મહિલા દર્દી સાથે ટ્રીટમેન્ટની આડમાં દુષ્કર્મ ગુજારવાના કેસમાં પોલીસ ફરીયાદ બાદ પોલીસ કાર્યવાહીથી છેલ્લા ત્રણ દિવસથી ભાગતા ફરતા મી એન્ડ મમ્મીવાળા ડો. પ્રફુલ દોશીને અઠવાલાઇન્સ પોલીસ સેફ પેસેજ આપી રહી હોવાના મિડીયા રિપોર્ટ બાદ અઠવાલાઇન્સ પોલીસ હવે ખરેખર હરકતમાં આવી છે અને ડો. પ્રફુલ દોશીને શોધવા માટે ધમધમાટ શરૂ કર્યો છે.

ડો. પ્રફુલ દોશી સાથે સંબંધો ધરાવતા અન્ય એક તબીબની પણ ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું બિનસત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસને એવી પણ માહિતી મળી હતી કે ડો.પ્રફુલ દોશી કોઇક ફાર્મ હાઉસ પર સંતાયા છે અને આ સમગ્ર પ્રકરણમાં લિગલી કેવી રીતે બચી શકાય તે માટેનો તખ્તો ઘડી રહ્યા છે.

ડો.પ્રફુલ દોશીની હરકતોનો ભોગ બનેલી મહિલાએ અઠવા લાઇન્સ પોલીસની તપાસ સામે શંકા સેવતા લખેલા પત્ર બાદ અઠવાલાઇન્સ પોલીસ મથકના સ્ટાફને આ પ્રકરણમાં ગમે તે ભોગે ડો.પ્રફુલ દોશીને હાજર કરાવવા માટેની સૂચના અપાઇ હોવાનું જાણવા મળે છે.

તબીબોના બે ગ્રુપો વચ્ચે ડો.દોશીના મુદ્દે મતમતાંતર

બીજી તરફ શહેરમાં કેટલાક તબીબોએ ડો. પ્રફુલ દોશીને આ કેસમાં બચાવવાની બ્રીફ પકડી હોય તેવું જણાય આવે છે. હકીકતમાં ડો.પ્રફુલ દોશીની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવું પણ કેટલીક તબીબો ઇચ્છી રહ્યા છે. ડો. પ્રફુલ દોશી એવા તબીબ છે જેની સામે ભૂતકાળમાં પણ આંગળીઓ ઉઠી છે આવી સ્થિતિમાં હવે ડો. પ્રફુલ દોશીને મુદ્દે તબીબોના બે ગ્રુપ પડી રહ્યા છે. એક ગ્રુપ એવું માને છે કે ડો. પ્રફુલ દોશી જો ખરેખર કસૂરવાર હોય તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જ જોઇએ જેથી સમગ્ર તબીબ આલમ બદનામ થતી બંધ થાય. બીજી તરફ શહેરના કેટલાક તબીબો તેમને ગમે તે ભોગે આ કેસમાંથી બચાવી લેવા માટે સક્રિય હોવાનું જાણવા મળે છે.