સચીન જીઆઇડીસીમાં આવેલા ઉદ્યોગોને પાણી વિતરણમાંથી કરોડ રૂપિયાની કમાણી થાય તેવી ગણતરી માંડીને બેઠેલા કેટલાક લોકો યેનકેન પ્રકારે સચીન જીઆઇડીસીમાં પાણીની બૂમો પાડીને પાણી વિતરણનું સમગ્ર કામ ખાનગી હાથોમાં સુપરત કરવા માટે ધમપછાડા કરી રહ્યા છે. હકીકતમાં સચીન જીઆઇડીસીના ઉદ્યોગોને ખાનગી સપ્લાયર પાણી વિતરણ કરશે તો હાલના સિંચાઇ વિભાગના દરથી અનેક ગણું મોંઘુ પાણી મળશે અને તો જ કરોડોની કમાણી શક્ય બનશે. આ સમગ્ર કારસામાં સિંચાઇ વિભાગના કેટલાક અધિકારીઓ પણ ભૂંડી ભૂમિકા ભજવી રહ્યા છે. હકીકતમાં પાણીનો કોઇ મેજર પ્રોબ્લેમ હજુ સુધી જોવા મળી રહ્યો નથી પરંતુ, ઇશ્યુને મોટો દર્શાવીને મામલો પાણી સપ્લાયના ખાનગીકરણ સુધી લઇ જવાની પેરવી કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટીએ બીજા નંબરની સૌથી મોટી જીઆઇડીસી સુરતની સચીન જીઆઇડીસીમાં પાણીની અછતની બૂમો પાડીને પાણી વિતરણનો કરોડોનો કોન્ટ્રાક્ટ ખાનગી હાથોમાં સોંપવાનો કારસો સિફતપૂર્વક રચાઇ ચૂક્યો છે. રાજ્ય સરકાર સામે પાણી અછતની બૂમો પાડીને ખુદ સરકાર જ સચીન જીઆઇડીસીમાં પાણી વિતરણનું કામ ખાનગી કોન્ટ્રક્ટરને સોંપવા અંગેના આદેશો જારી કરે તેવી ગેમ ગોઠવવામાં આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે સચીન જીઆઇડીસીમાં પાણી વિતરણ કરતું સિંચાઇ વિભાગથી લઇને સચીન જીઆઇડીસીનો વહીવટ કરતા સત્તાધારીઓ તેમજ વિરોધી પેનલ તમામ એક પાટલે બેઠા છે અને તમામ એવા પ્રયાસો કરી રહ્યા છે કે સચીનમાં પાણીનો ધંધો ખાનગી હાથોમાં જતો રહે અને કરોડો રૂપિયાની કમાણી અને કમિશનની મલાઇદાર આવક ઉભી થાય. સિંચાઇ વિભાગ ઇરાદાપૂર્વક પાણી ઓછું આપીને પાણીની કુત્રિમ અછત ઉભી કરી રહી છે તો બીજી તરફ વર્તમાન વહીવટર્તાઓ, ભૂતકાળના વહીવટકર્તાઓ એવી બૂમો પાડી રહ્યા છે કે સચીન જીઆઇડીસીમાં પાણીની તંગીને લીધે ઉદ્યોગોને માઠી અસર પહોંચી રહી છે.
તાજેતરમાં સચીન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને એવી રજૂઆત કરી છે કે 750 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલી સચીન જીઆઇડીસી અમદાવાદના વટવાની જીઆઇડીસી બાદ ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી જીઆઇડીસી છે જેમાં 2350 નાના મોટા ઓદ્યોગિક એકમો સ્થપાયેલા છે અને કમસે કમ અઢી લાખ લોકો રોજગાર અહીંથી રોજગારી મેળવી રહ્યા છે. આ તમામ લોકોને પાણી પુરવઠો પર્યાપ્ત પ્રમાણમાં મળતો નથી. 22મી ફેબ્રુઆરી સુધી સિંચાઇ વિભાગ પાણી આપી શકે તેમ નથી. અને મોટા ભાગે પાણી પર નિર્ભર રહેતા ઉદ્યોગો મોટી નુકસાની વેઠી રહ્યા છે, પાણીના અભાવે કામદારોની પણ હિજરતની દહેશત પત્રમાં વ્યક્ત કરવામાં આવી છે.
આ પત્રને પહેલી સોગઠી ગણવામાં આવી રહી છે. આગામી દિવસોમાં તપાસના નામે રિપોર્ટ તૈયાર કરીને બાદમાં સમગ્ર મામલો પાણી સપ્લાયના ટેન્ડરિંગની પ્રક્રિયા સુધી પહોંચાડી દેવામાં આવે તો નવાઇ નહીં.



















































