સુરતીઓની દુનિયા Archives - Page 65 of 81 - CIA Live

March 26, 2019
s9-1280x854.jpg
1min17330

પરમવીર શહીદ સહાય ટ્રસ્ટ અને લીઓ ગ્રુપ ઓફ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ શહેરના ઇન્ડોર સ્ટેડીયમ ખાતે યોજાયેલા દબદબાભર્યા શાનદાર કાર્યક્રમમાં શહીદ સૈનિકોના પરિવારજનોનું જાહેર અભિવાદન કર્યું

ઇન્ડોર સ્ટેડીયમ દર્શકોથી ખચાખચ ભરેલું હતું રવિવાર તા.24મી માર્ચ 2019ના રોજ

લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના પ્રણેતા જયસુખભાઇ કથિરીયા અને તેમના પરિવારજનોએ સૈનિકોના પરિવારજનોના હિતાર્થે સફળ કાર્યક્રમ યોજ્યો

પરમવીર શહીદ સહાય ટ્રસ્ટ સુરત તેમજ લીઓ ગ્રુપ ઓફ  એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ દ્વારા ગયા રવિવાર તા.24મી માર્ચ 2019ના રોજ સાંજે 7 કલાકે  શહેરના ઇન્ડોર સ્ટેડીયમ ખાતે શહાદત તુઝે સલામ કાર્યક્રમ શાનદાર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ઓડિયન્સથી જેમપેક્ડ ઇન્ડોર સ્ટેડીયમમાં ઉપસ્થિત સૌનું સંસ્થા વતી જયસુખભાઇ કથિરીયાએ સ્વાગત પ્રવચન કરીને તમામને ઉમળકાભર્યો આવકાર આપ્યો હતો.

પુલવામાં પછીની ઘટનાઓમાં દેશ કાજે જીવ ગુમાવનારા સૈનિકોના પરિવારજનોનું જાહેર અભિવાદન કરાયું હતું.

આ કાર્યક્રમમાં ગઇ તા.18મી ફેબ્રુઆરી 2019 (પુલવામા પછીની ઘટના)ના રોજ અને એ પછીની ઘટનાઓમાં દેશ સેવા કાજે પોતાનો જીવ ન્યોછાવર કરી દેનારા સૈનિકોનું રુણ અદા કરવા માટે તેમના પરિવારજનોને આર્થિક મદદરૂપ થવાનો હતો અને એ તમામ 7 શહીદ સૈનિકના પરિવારજનોને સુરત તેડાવાયા હતા અને ઇન્ડોર સ્ટેડીયમમાં ખાસ તેમનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. દેશ કાજે પોતાના પરિવારનો આધારસ્તંભ ગુમાવનારા પરિવારજનોને રૂ.3 લાખની સહાયના ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું..

કુલ 21 લાખ ઉપરાંતની આર્થિક સહાય માટેનું ભંડોળ કોઇ ધનવાનો કે દાનવીરોના દાનમાંથી ન હતું કરવામાં આવ્યું પરંતુ, સાવ જ ગરીબ, મધ્યમવર્ગીય પરિવારો, વિદ્યાર્થીઓએ તેમની પોકેટમનીમાંથી ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે ભંડોળ એકત્રિત કરીને શહીદ સૈનિકોના પરિવારજનો પ્રત્યે પોતાની જવાબદારી અદા કરવાનું સૌભાગ્ય મેળવ્યું છે.

પરમવીર શહીદ સહાય ટ્રસ્ટના નેજા હેઠળ કાર્યક્રમ સફળ રહ્યો

લીઓ ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને તેની સહયોગી સંસ્થાઓએ કુલ રૂ.21 લાખની માતબર સહાય શહીદ સૈનિકોના પરિવારજનોને કરી

શહીદ સૈનિકોના પરિવારજનો માટે એકત્રિત ભંડોળમાં લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના નેજા હેઠળ સનગ્રેસ, સનરેઝ અને સનલાઇટ સ્કુલના વિદ્યાર્થીઓએ પોતાના રહેણાંક વિસ્તારમાં ફરી ફરીને સ્થાનિક રહેવાસીઓ પાસેથી દાન માટે ગલ્લા-ડબ્બામાં યથાશક્તિ રકમ નંખાવીને એકત્રિત કર્યું હતું. આ પ્રકારે કુલ રૂ.12 લાખ એકત્રિત કરવામાં આવ્યા હતા. એથી વિશેષ શાળામાં અભ્યાસ કરીને એ-વન ગ્રેડ મેળવનારા 10 વિદ્યાર્થીઓને શાળા તરફથી પ્રત્યેકને રૂ.11 હજાર ઇનામની ઘોષણા કરવામાં આવી હતી. આ તેજસ્વી વિદ્યાર્થીઓએ પોતાને ઇનામ રૂપે મળેલી કુલ રૂ.1.10 લાખની રકમ પણ શહીદ સૈનિકોના પરિવારજનો માટેના ભંડોળમાં આપી દીધી છે. એવી જ રીતે લોકસાહિત્યકાર ઘનશ્યામભાઇ લખાણી દ્વારા ડાયરાના માધ્યમથી રૂ.3 લાખ, દિશા શ્રીમાણી જૈન સમાજ દ્વારા રૂ.2.75 લાખ, સુરત એકેડેમિક એસોસીએશન દ્વારા રૂ.1.10 લાખ, પ્રેસિડેન્સી સ્કુલ દ્વારા રૂ.1.75 લાખ, જેકેએસ ઝીપર્સ દ્વારા રૂ.2.03 લાખ મળીને કુલ રૂ.21 લાખ જેટલી માતબર રકમ એકત્રિત કરવામાં આવી છે.

 

પુલવામાની ઘટના બાદ આ સૈનિકોએ દેશ કાજે જીવનું બલિદાન આપી દીધું હતું

  1. શહીદ હવાલદાર શ્યોરામજી ઝુંજનું, રાજસ્થાન —  આર્થિક સહાય રૂ.3 લાખ
  2. શહીદ સિપાહી અજયકુમારજી, મેરઠ, ઉત્તરપ્રદેશ — આર્થિક સહાય રૂ.3 લાખ
  3. શહીદ સિપાહી હરીસીંગજી, રેવારી, હરીયાણા — આર્થિક સહાય રૂ.3 લાખ
  4. શહીદ સબ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંગજી, ભરતપુર, રાજસ્થાન — આર્થિક સહાય રૂ.3 લાખ
  5. શહીદ સબ ઇન્સ્પેક્ટર અબ્દુલ રશીદજી, જમ્મુકાશ્મીર પોલીસ — આર્થિક સહાય રૂ.3 લાખ
  6. શહીદ સોમબીરજી, ભીવાની, હરીયાણા — આર્થિક સહાય રૂ.3 લાખ
  7. શહીદ વિનોદકુમારજી, મેરઠ, ઉત્તર પ્રદેશ — આર્થિક સહાય રૂ.3 લાખ

આ તમામ શહીદ સૈનિકોના પરિવારજનો તા.24મી રવિવારે ઇન્ડોર સ્ટેડીયમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા જ્યાં મહાનુભાવોના હસ્તે તેમનું જાહેર અભિવાદન કરીને તેમના સ્વજનોએ આપેલા બલિદાનને બિરદાવ્યું હતું. દેશ માટે શહીદ સૈનિકોના પરિવારજનોએ પોતાના પરિવારના આધારસ્તંભ ગુમાવ્યા એ પરિવારોને ક્યારેય એકલવાયું ન લાગે અને તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં ભળે તે માટેના તમામ પ્રયાસો કરવા તમામ વક્તાઓએ હિમાયત કરી હતી.

શહીદોના પરિવારજનોનું જાહેર અભિવાદન કરવા માટે કાર્યક્રમના મહેમાન તરીકે ઇન્ડિયન આર્મીના મેજર જનરલ શ્રી સુભાષ શરન (લખનૌ), મેજર જનરલ રાજ મહેતા, બ્રિગેડીયર અજિતસિંહ, બ્રિગેડિયર બી.એસ. મહેતા, સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી હરેકૃષ્ણ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

March 22, 2019
road-safety-council-logo.jpg
1min17450
મહેમાનો માટે એપાર્ટમેન્ટની બહાર પાર્કિંગ કરવાના બિલ્ડીંગોના મનઘડંત નિયમો સામે પોલિસ કમિશનરની લાલ આંખ
પોલિસ કમિશનરશ્રી સતિષ શર્માની અધ્યક્ષતામાં રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઇઃ
રાજ્યભરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તથા લોકોની અમુલ્ય જિંદગીની સલામતી જળવાય તેવા આશયથી સરકાર દ્વારા જિલ્લા-મહાનગરોમાં રોડ સેફટી કાઉન્સીલની રચના કરવામાં આવી છે. જે અન્વયે પોલિસ કમિશનરશ્રી સતિષ શર્માની અધ્યક્ષતામાં પોલિસ કમિશનર કચેરીના સભાખંડમાં શહેર રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઇ હતી.
રોડ સેફટી કાઉન્સીલના સભ્યની એક રજૂઆતના સંદર્ભમાં પોલિસ કમિશનરશ્રી સતિષ શર્માએ શહેરના એપાર્ટમેન્ટ, હાઈરાઈઝ રેસિડેન્સીયલ બિલ્ડીંગોમાં આવતા મહેમાનો માટે એપાર્ટમેન્ટની બહાર પાર્કિંગ કરવાના મનઘડંત નિયમો સામે લાલ આંખ કરતા જણાવ્યું કે, ખાસ કરીને મોટા વરાછા, યોગી ચોક, સરથાણા, કતારગામ સહિતના વિસ્તારોમાં એપાર્ટમેન્ટના ગેટ પર ‘મહેમાનોએ પોતાના વાહનો બહાર પાર્ક કરવા’, ‘પાર્કિંગ ફક્ત સોસાયટીના સભ્યો માટે જ છે.’ એવા લખાણ વાળા બોર્ડ લગાવી સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું છે.
કેટલાક સાંકડા રસ્તા પરની રહેણાંક બિલ્ડીંગોના આવા ગેરકાયદેસર નિયમોના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્દ્ભવે છે. પોલિસ કમિશનરશ્રીએ સોસાયટી-એપાર્ટમેન્ટ દ્વારા મહેમાનો અને મુલાકાતીઓને રેસિડેન્સીની બહાર પાર્કિંગ કરવા માટે દબાણ કે ફરજ પાડી શકાય નહી એમ જણાવી આવું કરીને મનમાની કરતી બિલ્ડીંગોના જવાબદાર હોદ્દેદારો સામે સખ્ત કાર્યવાહી કરવાની તેમણે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે શહેરમાં આ પ્રકારની બિલ્ડીંગો પર જાત તપાસ કરી કાર્યવાહી કરવા અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું હતું.
સુરત એ.આર.ટી.ઓ. શ્રી ડી.કે.ચાવડાએ જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન, કાયદાકીય જોગવાઇઓ સંબંધિત જાણકારી આપવાના કાર્યક્રમો યોજવામાં આવે છે. સ્કૂલ કોલેજો દ્વારા પણ વિદ્યાર્થીઓમાં ટ્રાફિકના નિયમો અને જાણકારી આપવામાં આવે તે માટે શાળાઓને ટ્રાફિક પોલીસ દ્વારા પ્રેરિત કરવામાં આવે છે. તેમણે અડચણરૂપ થાય તેવી જગ્યાએ પાર્કિંગ કરનારા સામે સખત દંડનાત્મક કાર્યવાહી કરવા સબંધિત અધિકારીઓને કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા.
બેઠકમાં પોલિસ કમિશનરશ્રી સતિષ શર્માએ સૂરત શહેરમાં ટ્રાફિક, વાહનવ્યવહાર અને માર્ગ અકસ્માતોની સમસ્યાને નિવારી શકાય, લોકો ટ્રાફિકના નીતિ-નિયમોનું પાલન કરે, રોડ પર દબાણ કરનારા સામે દંડનીય કાર્યવાહી થાય, શહેરીજનો દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન અને જનજાગૃતિ વિષયક સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી.
March 20, 2019
khaman.jpg
1min12860

જયેશ બ્રહ્મભટ્ટ

સદીઓથી ચાલતી આવતી પરંપરા મુજબ હોળી-ધૂળેટીના પર્વમાં ધાણી-ચણાં ખાવાનો મહિમા છે. ધાણી-ચણા ખાવા પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ કાર્ય કરે છે. પરંતુ, સ્વાદના શોખીન સુરતીઓ ધાણી ચણા તો હોળી ધૂળેટીએ આરોગે છે પરંતુ, સુરતની ફૂડ ફેન્ટસીમાં સૌથી ટોપ પર જે વાનગી આવે છે અને જેને સુરતીઓએ જ શોધી છે એ ખમણ આરોગવાના અગાઉના તમામ રેકોર્ડ ધૂળેટી 2019 તોડી નાંખે તેમ છે.

  • ધૂળેટી 2018ના દિવસે સવારે શહેરના મોટા ભાગની દુકાનોમાં કાચા ખમણની શોર્ટેજ વર્તાઇ હતી
  • વ્હોલસેલ ખમણ ઉત્પાદકો પાસે 2-2 હજાર કિલોના કાચા ખમણના ઓર્ડર
  • ધૂળેટીનો ખમણનો ઓર્ડર પૂરો કરવા હોળીની પ્રગટાવાની સાથે જ ખમણનું પ્રોડકશન શરૂ કરી દેવાશે

સુરતમાં શહેરમાં મોટા ગણી શકાય તેવા 9 ખમણ ઉત્પાદકો છે જે નાના ફરસાણના વેપારીઓને રોજેરોજ કાચા ખમણ સપ્લાય કરે છે. આવા ઉત્પાદકો પૈકીના એક હરેશભાઇ પટેલ કહે છે કે તેમની પાસે ફક્ત ધૂળેટીએ સવારે 9 વાગ્યા સુધીમાં સપ્લાય કરવા માટે 2000 કિલોથી વધારેનો કાચા ખમણનો ઓર્ડર છે અને હજુ ઓર્ડર આવી રહ્યા છે. તેઓ કહે છે કે સુરતીઓ ધૂળેટી રમ્યા પછી ગ્રુપ્સમાં નાસ્તો કરવા માટે મોટા ભાગે કાચા ખમણ, તેલ અને કાચી ડૂંગળી પસંદ કરતા હોય છે. આ સુરતીઓનો ફેવટીટ નાસ્તો હોય છે અને ગયા વર્ષે 2018માં જે પ્રકારે કાચા ખમણની શોર્ટેજ પડી હતી એ અનુભવને જોતા શહેરના નાના રિટેઇલ ફરસાણ ગૃહોએ ગયા વર્ષથી 25 ટકા વધુ માત્રામાં કાચા ખમણ ઓર્ડર કર્યા છે.

એવી જ રીતે શહેરના વરાછા વિસ્તારમાં મોટા ખમણ સપ્લાયર તરીકે જાણીતા વ્યાપારીએ જણાવ્યું કે સુરતમાં કોઇપણ તહેવાર હોય એટલે રુટીન કરતા વધારે જથ્થામાં કાચા ખમણનો ઉપાડ રહે છે, આ વખતે પણ તા.21મી માર્ચ 2019ને ધૂળેટીનો પર્વ હોઇ એડવાન્સ્ડ ઓર્ડર રૂટીન દિવસો ખાસ કરીને રવિવાર કરતા પણ 30 ટકા વધારે માત્રામાં એડવાન્સ્ડ ઓર્ડર મળ્યા છે. આમ, આ વખતે ધૂળેટીમાં જેટલા ધાણી ચણા નહીં ખવાય તેના કરતા અનેક ઘણી વધુ માત્રામાં કાચા ખમણ સુરતમાં ખવાશે.

ખમણ છે સૌની પસંદ

સુરતમાં અબાલવૃદ્ધો સૌની જો કોઇ એક કોમન પસંદની વાનગી હોય તો એ છે ખમણ. સુરત સિવાય આખા ગુજરાતમાં મોટા ભાગે આંશિક ગળ્યા લાગે તેવા ખમણ મળે છે. વડોદરાથી ઉપર ઉત્તર ગુજરાત તરફ જઇએ તો મોટા ભાગે નાયલોન ખમણ મળે એ સિવાય ખમણ કરતા વધારે વણાયેલા ગાંઠીયા ખવાય. પણ સુરતના ખમણની વાત જ નિરાલી છે. અહીં 5-6 મહિનાના બાળકને પણ ખમણનો ટેસ્ટ કરાવે એ સુરતી કહેવાય. બાળકોથી લઇને મોટેરાઓ અને સિનિયર સિટીઝન સુધી બધાને સુરતી ખમણનો ચટાકો હોય જ. એવા કોઇ ભાગ્યે જ મળી આવે જેને ખમણ પ્રત્યે સુગ હોય. સુરતીઓ માટે ક્યારેય ખમણ જૂની વાનગી થઇ નથી. જે લોકોને એકલા કે કાચા ખમણ નથી ભાવતા તેઓ હવે રસાવાળા ખમણ ખાય રહ્યા છે. જેમને ટૂકડામાં ખમણ નથી ભાવતા તેઓ લોચો ભરપૂર ઝાપટી જાય છે. આમ, સુરતીઓ માટે ખમણ એ એવી વાનગી છે જે 24×7 હોટ ફેવરીટ બની રહે છે.

  • સુરતીઓની ફેસ્ટીવલમાં ફૂડ ફેન્ટસી

  • ચંદી પડવાએ ઘારી

  • ઉતરાયણમાં જલેબી અને ઉંધીયું

  • ક્રિસમસ પર પોંકવડા અને પોંક પાર્ટી

  • કેરી ગાળામાં સરસીયા ખાજા

  • ધૂળેટીમાં કાચા ખમણ અને કાંદો

  • દર રવિવારે લોચો

  • દશેરાએ જલેબી અને ફાફડા-પાપડી ગાંઠીયા

  • બેસતા વર્ષે વેજીટેરીયન ચોળીનું શાક ખાય અને નોનવેજીટેરીયન પોમ્ફલેટ માછલી અવશ્ય ખાય જ

સ્વાદના શોખીન સુરતીઓની દરેક તહેવારને અનુલક્ષીને સ્પેશિફિક વાનગીઓ આરોગવાની એક પેટર્ન છે, જેમકે ચંદી પડવાએ ઘારી-ભૂસું-ભજીયા સાથે નોનવેજ ખાનારાઓ ચીકન અચૂક ખાય છે. ઉતરાયણના પર્વે ઉંધીયું અને જલેબી વગર સુરતીઓ પતંગના પેચ કાપી શક્તા નથી. ક્રિસમસ પર્વે પોંક પાર્ટી કે પોંકવડા વગર સુરતીઓને ક્રિસમસને કેક હજમ જ ન થાય. કેરીના રસની સીઝનમાં સરસીયા ખાજા સાથેની જયાફત ન માણે તે સુરતી નહીં. એવી જ રીતે દશેરાએ જલેબી ફાફડા નહીં ખાય તો સુરતીઓના તહેવારની રોનક સાવ ફિક્કી લાગે.

March 16, 2019
tejaswi.jpg
1min3428

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એક આઇડિયા કિસ્મતને બદલી શકવા સમર્થ હોય છે. આ કહેવતના સાક્ષાત્કાર કરાવતી અનેક ઘટનાઓ આપણી આસપાસ બનતી રહે છે. સુરતની બચકાણીવાલા સરદાર સ્કુલની હોનહાર સ્કુલ ગર્લ તેજસ્વી દેસાઇને એક આઇડિયા આવ્યો કે જે રીતે વૃક્ષ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઇને ઓક્સીજન બહાર ફેંકે છે એ જ તર્જ પર કોઇ મશીન કેમ કામ ન કરે. આ આઇડિયાને સાકાર કરવા માટે ફક્ત રૂ.50 જેટલો ખર્ચ થયો, બચકાણીવાલા સ્કુલના પ્રિન્સીપાલ જ્યોતિબેન પરીખની આજ્ઞાથી અને કો-ઓર્ડિનેટર સુનિલ જાધવનું માર્ગદર્શન લઇને તેજસ્વી એ પ્રોજેક્ટને પહેલા સુરત લેવલે થયેલા સાયન્સ ફેરમાં પછી ગુજરાત સાયન્સ ફેરમાં પછી નેશનલ સાયન્સ ફેરમાં રજૂ કર્યો. પ્રોજેક્ટ બધાને ગમ્યો, બધાએ પ્રોજેક્ટને બિરદાવ્યો અને હવે સુરતી ગર્લ તેજસ્વી દેસાઇ જાપાનના ટોકિયો ખાતે 20થી 26 એપ્રિલ 2018ના રોજ યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જશે. ભારતમાંથી કુલ 850 શાળાઓના પ્રોજેક્ટ રજૂ થયા હતા, ગુજરાતમાંથી સુરતની એચએમ બચકાણીવાળા સરદાર સ્કુલની વિદ્યાર્થિની તેજસ્વી દેસાઇનો એકમાત્ર પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ લેવલે જાપાન શકુરા યુથ એક્સચેન્જ માટે શોર્ટ લિસ્ટ થયો છે. આમ, ફક્ત રૂ.50માં સાકાર થયેલો આઇડિયા વર્કિંગ મોડેલ સાથે હવે જાપાનમાં ભારતનું નામ રોશન કરશે.

વૃક્ષ પરથી પ્રેરણા લઇને સુરતી ગર્લ તેજસ્વી દેસાઇએ પ્રોજેક્ટ બનાવ્યો જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લઇને ઓક્સીજન બહાર તો ફેંકે છે સાથોસાથ વીજળી પણ ઉત્પાદિત કરે છે, આવો પ્રોજેક્ટ અગાઉ કોઇપણ વખત રજૂ થયો નથી

શાળા કક્ષાએ યોજાતા સાયન્સ ફેર (વિજ્ઞાન મેળા કહો કે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન કહો) કેટલા બધા ઉપયોગી અને ફળદાયી નિવડે છે એ જાણવું હોય તો આ જીવતી વારતાં વાંચવી પડશે. પાલનપુર પાટીયા ખાતે આવેલી સત્ય સાઇ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એચ.એમ.બચકાણીવાળા સરદાર ઇંગ્લિશ મિડીયમ સ્કુલમાં હાલ ધો.11 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની તેજસ્વી નિરવ દેસાઇને ગત વર્ષે ધો.10માં હતી ત્યારે સુરત શહેર જિલ્લા કક્ષાએ યોજાયેલા વિજ્ઞાન મેળામાં શાળા તરફથી એક પ્રોજેક્ટ રજૂ કરવાનો હતો. કોઇ ચોપડીમાં નથી કે ગુગલ પર પણ નહીં મળે તેવો આઇડિયા તેજસ્વી દેસાઇના મનમાં અંકુરીત થયો. આઇડીયા એ હતો કે ઝાડ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષીને ઓક્સીજન બહાર ફેંકે છે તેના જેવું કોઇ યંત્ર, મશીન કેમ ન વિકસાવી શકાય. બસ આ આઇડિયા તેણે આચાર્યા જ્યોતિબન પરીખને કહ્યો. જ્યોતિબેન પરીખે શાળાના કો-્ઓર્ડિનેટર સુનિલ જાધવને તેજસ્વી દેસાઇને માર્ગદર્શિત કરવા જણાવ્યું. શિક્ષક અને વિદ્યાર્થિનીએ પ્રોજેક્ટ પર કામ કરવા માંડ્યું અને શાળાની લેબોરેટરીમાં પ્રોજેક્ટ વિકસાવવા માંડ્યો. કેમકે આ પ્રોજેક્ટ અગાઉ ક્યાંયે કોઇ રીતે રજૂ થયો ન હોઇ, બધું જ કામ જાતે કરવું પડ્યું.

શિક્ષક સુનિલ જાધવ અને વિદ્યાર્થિની તેજસ્વી દેસાઇએ સાયન્સના પ્રયોગોને આધાર બનાવતા બે બિકર લીધા એક બિકરમાં સાંદ્ર મીઠું અને બીજા બિકરમાં ધોવાનો સોડા પ્રમાણસર રાખ્યો. બન્ને બિકર વચ્ચે ટીશ્યુ પેપર સોલ્ટ બ્રિજ બનાવ્યો, પહેલા બિકરમાં ગ્રેફાઇડ કેથોડે અને બીજા બિકરમાં એનાર્ડેનોની મદદથી બન્ને વચ્ચે વાયર જોડી તેના પર મલ્ટીમીટર ફીટ કર્યું. પ્રોજેક્ટ હતો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લઇને ઓક્સીજનને હવામાં છોડવો. આ પ્રોજેક્ટ તો સાકાર થયો પણ સાથોસાથ એક નવીન શોધ એ પણ થઇ કે તેમાંથી તેઓ એનર્જી જનરેશનનો બિલકુલ તરોતાજા પાઠ શીખ્યા. બસ પછી પૂછવું જ શું.

તેજસ્વી દેસાઇ તા.20થી 26 એપ્રિલ 2019ના રોજ જાપાનના ટોકીયો ખાતે શકુરા યુથ એક્સચેન્જ અન્વયે યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ સાયન્સ ફેર 2019માં ભારત તરફથી પોતાનો પ્રોજેક્ટ રજૂ કરશે

બિલકુલ ફ્રેશ પ્રોજેક્ટ સુરતમાં રજૂ થયો, સુરતમાં પહેલો નંબર, સ્ટેટ લેવલ પર રજૂ થયો ત્યાં પણ પહેલો નંબર પછી નવી દિલ્હી આઇ.આઇ.ટી. ખાતે યોજાયેલા નેશનલ સાયન્સ ફેર 2019માં રજૂ થયો. ત્યાંનું રિઝલ્ટ આવવાનું બાકી છે પરંતુ, જ્યુરીએ દેશભરમાંથી આવેલા 850 પ્રોજેક્ટમાંથી કુલ 42 પ્રોજેક્ટ પસંદ કર્યા તેમાં સુરતની એચએમબી સરદાર ઇંગ્લિશ હાઇસ્કુલની તેજસ્વી દેસાઇનો પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટને જાપાન ખાતે આગામી તા.20થી 26 એપ્રિલ 2019ના રોજ યોજાનાર શકુરા યુથ એક્સચેન્જ અન્વયેના ઇન્ટરનેશનલ સાયન્સ ફેરમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરવા માટે પરવાનગી મળી ગઇ. કુલ 41 દેશોના બાળ વિજ્ઞાનીઓ જાપાન ખાતે આયોજિત સાયન્સ ફેરમાં પોતાના પ્રોજેક્ટસ રજૂ કરશે.

જાપાનના ટોકીયો શહેર ખાતે આયોજિત શકુરા યુથ એક્સચેન્જ અન્વયે પસંદગી પામેલા બાળ વૈજ્ઞાનિકોના પ્રોજેક્ટસમાં ગુજરાત તરફથી સુરતની એચએમબી સ્કુલની તેજસ્વી દેસાઇ એકમાત્ર છે.

સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત દરમિયાન તેજસ્વી દેસાઇએ અને તેના માર્ગદર્શક સુનિલ જાધવે કહ્યું કે આ બિલકુલ ઓરિજિનલી અમારો પ્રોજેક્ટ છે. વિશ્વમાં અગાઉ ક્યારેય આવી શોધ થઇ નથી. આજે વાતાવરણમાં ભારે માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ ભળીને વાતાવરણ પ્રદૂષિત થઇ રહ્યું છે તેવા સંજોગોમાં આ બેટરી ટાઇપ પ્રોજેક્ટ એવો છે કે જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરીને ઓક્સીજન તો ભેળવે જ છે સાથોસાથ વીજળી પણ પેદા કરી શકે છે. એટલા આ પ્રોજેક્ટને જ્યાં રજૂ કરીએ છીએ ત્યાં સ્વીકૃતિ મળી રહી છે.

તેજસ્વી દેસાઇએ કહ્યું કે લાંબા ગાળે આ પ્રોજેક્ટ વાહનોની બેટરીમાં તેમજ પર્યાવરણના પ્રોજેક્ટમાં સાકાર કરી શકાય તેમ છે. હાલ તો આ પ્રોજેક્ટ માટે તમામ ચીજવસ્તુઓ મળીને ફક્ત રૂ.50નો ખર્ચ થયો છે, આટલા ખર્ચમાં આ પ્રોજેક્ટ છેક ઇન્ટરનેશનલ સાયન્સ ફેર સુધી પહોંચી ગયો છે.

March 15, 2019
BJP_surat.jpg
1min15880

જયેશ બ્રહ્મભટ્ટ

આજે સુરત સંસદીય મત વિસ્તારમાં ભાજપાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાના ભાગરૂપે સ્થાનિક સંગઠનના હોદ્દેદારોને સેન્સ લેવા માટે આવેલા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના નિરીક્ષકોની ટીમે સાંજે સવા સાત વાગ્યે અનૌપચારિક રીતે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સવારે 9.30 વાગ્યાથી શરૂ થયેલી રજૂઆતો સાંભળવાની પ્રક્રિયા સાંજે 7 વાગ્યા સુધી ચાલી હતી. અંદાજે 350 જેટલા ભાજપના નેતાઓ, કાર્યકરોએ પોતપોતાની રજૂઆતો કરી હતી. હકારાત્મક વાતાવરણમાં થયેલી રજૂઆતો અંગે ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે સૌનો એક મત હતો કે પાર્લામેન્ટરી બોર્ડ જેને પણ ટિકીટ આપશે અમે તેને જીતાડી લાવીને ફિર એક બાર મોદી સરકારને સાર્થક કરીશું. કેટલી રજૂઆતો અને કેટલા ઉમેદવારીપત્રો ભરાયા તે અંગે નિરીક્ષકોએ કહ્યું કે એ પક્ષની આંતરિક બાબત છે એ જણાવી શકીએ નહી.

આજે દિવસ દરમિયાન સુરત સંસદીય મતવિસ્તારમાં કોને ઉમેદવાર બનાવવો એ અંગે સ્થાનિક ભાજપના સંગઠન પાંખના નેતાઓ, કોર્પોરેટરો, ધારાસભ્યો વગેરેએ રજૂઆતો કરી હતી. સી.આઇ.એ.નું ઇન્વેસ્ટીગેશન કહે છે કે આ વખતની રજૂઆતોમાં બહુમતી રજૂઆત એ હતી કે ટિકીટ કોઇને પણ આપો પરંતુ, મૂળ સુરતી હોય તેવી વ્યક્તિને જ સુરતના સાંસદની સીટ માટે ભાજપાની ટિકીટ મળવી જોઇએ. આજે કોઇ એક વિશાળ જૂથે એક કોમન રજૂઆત કરી હોય તો એ મૂળ સુરતીને જ ટિકીટ મળવી જોઇએ તેવી રજૂઆત હતી. રજૂઆત કરનાર દરેક મૂળ સુરતી ભાજપી નેતાએ આ એક વાત પર જ ભાર મૂક્યો હતો કે સુરતના સાંસદ મૂળ સુરતી જ હોવા જોઇએ.

બીજી તરફ, મૂળ સુરતી ઉપરાંત સૌથી વ્યાપક રજૂઆતો વર્તમાન સાંસદ દર્શનાબેન જરદોષ માટે કરવામાં આવી હતી. તેમને રિપીટ કરવામાં આવે તો કોઇ વાંદો નથી એ પ્રકારે અનેક રજૂઆત કર્તાઓએ રજૂઆતો કરી હતી.

સૌરાષ્ટ્રવાસીઓ તરફે પૂર્વ ધારાસભ્ય જનકભાઇ બગદાણાવાળા, અસ્મિતાબેન શિરોયા, ડો. પ્રફુલ શિરોયા, દર્શિણી કોઠિયા, ધીરુભાઇ સવાણી તેમજ અન્યોએ રજૂઆતો કરી હતી. જોકે, મેયર ડો.જગદીશભાઇ પટેલે કોઇ દાવેદારી નોંધાવી ન હતી. સી.આઇ.એ. લાઇવની સાથે વાતચીત કરતા મેયર ડો.જગદીશભાઇ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ના તો કોઇ રેસમાં હતા કે ના તો રહેશે. મેયર તરીકેની તેમની ભૂમિકાને ન્યાય આપી રહ્યા છે.

BJPમાંથી સુરત સંસદીય બેઠક પર ત્રણ (એસ) S-S-S ની પેનલનો સંયોગ

સુરત સંસદીય મત વિસ્તાર ભાજપા માટે દેશની સૌથી સલામત સીટો પૈકીની એક છે, કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસી સરકારો હતી ત્યારે પણ સુરત બેઠક પરથી ભાજપાના ઉમેદવારો જ જીતતા આવ્યા હતા. સુરત સંસદીય મત વિસ્તારમાં એસ (સ) મૂળાક્ષરનો કેવો યોગ રચાયો છે એની પહેલા વાત કરીએ.

S એટલે સુરત સંસદીય મત વિસ્તાર અને ફરીથી S એટલે સૌથી સલામત કહો કે અંગ્રેજીમાં સેફ સીટ કહો ભાજપા માટે સુરત એ એવી સીટ છે કે અહીં અજાણ્યાને પણ ઉમેદવાર બનાવે તો આસાનીથી ચૂંટાઇ આવશે.

આજે ઉધના મેઇન રોડ સ્થિત ભાજપા કાર્યાલય ખાતે ભાજપાના પ્રદેશ નિરીક્ષકો વિધિવત રીતે સ્થાનિક ભાજપાના સંગઠનના આગેવાનોને સ્ટેપ બાય સ્ટેપ સાંભળી રહ્યા છે. વોર્ડ વિસ્તારથી લઇને વિધાનસભા અને લોકસભા વિસ્તારના ભાજપાના સંગઠન સાથે સંકળાયેલા નેતાઓનો સેન્સ લેવાય રહ્યો છે. આ રિપોર્ટ ભાજપાની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ મારફતે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચશે.

સુરત સંસદીય મતવિસ્તાર એક હાઇપ્રોફાઇલ બેઠક ગણાય છે. સુરતને મિની ભારત કહેવામાં આવે છે અને દેશ-દુનિયાને ચોંકાવે, અચરજ પમાડે તેવી ઘટનાઓ, ઇવેન્ટસ સુરત આપી રહ્યું છે. ટેક્સ પેયર્સથી શરૂ કરીને ઇન્ટરનેશનલ એરપોર્ટ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડેવલપમેન્ટ વગેરે બાબતો હવે સમગ્ર દેશમાં સુરતને ચર્ચાસ્થાને મૂકે છે. આવા સંજોગોમાં સુરતના સાંસદ બનવું એટલે હાઇપ્રોફાઇલ પોર્ટફોલિયો ધારણ કરવો એમ મનાય છે.

દર્શના જરદોષને બે ટર્મ મળી છે એટલે હવે રિપીટેશનની શક્યતાઓ ઓછી છે 

સુરત સંસદીય મતવિસ્તારમાં દર્શના જરદોષ છેલ્લી બે ટર્મથી સાંસદ તરીકે ચૂંટાય આવ્યા છે. બબ્બે ટર્મ મળ્યા પછી હવે તેમને ત્રીજી ટર્મ મળે તેવી શક્યતાઓ ધૂંધળી જણાય આવે છે. દર્શના જરદોષએ એવું કોઇ હાઇપ્રોફાઇલ કામ કર્યું નથી કે તેમને પાર્લામેન્ટરી બોર્ડ રિપીટ કરે કે નથી દર્શના જરદોષે સુરતના ટેક્સટાઇલ વેપારીઓનો જીએસટીનો પ્રશ્ન ઉકેલી શક્યા. સંસદમાં લેખિતમાં પ્રશ્નો પૂછીને તેમણે તેમનો રેકોર્ડ ભલે અપટુ ડેટ મેઇન્ટેન કર્યો હોય પરંતુ, બે ટર્મથી ત્રીજી ટર્મ મળે તેવી શક્યતા બહુ ઓછી જણાય છે. આવી સ્થિતિમાં સુરત સંસદીય મતવિસ્તારમાંથી ભાજપાની ટિકીટ મળે તે માટે અનેક ધારાસભ્યો, સ્થાનિક ભાજપાના અનેક નેતાઓએ એડીચોટીનું જોર લગાડવાનું શરૂ કરી દીધું છે.

  • સુરત સંસદીય મતવિસ્તારમાં બનનારી ત્રણ સંભવિતોની પેનલમાં એસ મૂળાક્ષરનો સંયોગ

  • S એટલે સુરતી, એક મૂળ સુરતી નેતા ત્રણ સભ્યોની પેનલ હશે

  • S એટલે સૌરાષ્ટ્રીયન, એક સૌરાષ્ટ્રીયન નેતા પણ ત્રણ સભ્યોની બનનારી પેનલમાં હશે

  • S એટલે સ્કાયલેબ, કોઇપણ આવી શકે, એ સેલિબ્રિટી હોય, આયાતી હો, ફિલ્મ સ્ટાર પણ હોઇ શકે

સુરત સૌથી સલામત સીટ હોઇ, કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ કોઇ સેલિબ્રિટી અગર તો હોમગ્રાઉન્ડ વગરના દિગ્ગજ નેતાને સુરત સંસદીય મતવિસ્તાર પરથી કોઇપણ આયાતી ઉમેદવારને ટિકિટ આપવાનું પણ વિચારી શકે. હાલમાં મૂળ સુરતી ઉમેદવારની શક્યતા 50 ટકા, સૌરાષ્ટ્રવાસીની શક્યતા 40 ટકા અને સ્કાલલેબની શક્યતા 10 ટકા હોવાની સ્થિતિ જણાય આવે છે.

મૂળ સુરતી ઉમેદવારોમાં સૌથી હોટફેવરિટ નીતિન ભજીયાવાળા

મૂળ સુરતી ઉમેદવારોના ચર્ચાય રહેલા નામોમાં દર્શના જરદોષ (રિપીટ), અજય ચોક્સી, નીતિનભાઇ ભજીયાવાળા, કિરીટ ગંગારામ પટેલ વગેરે લાંબુ લિસ્ટ સંભળાય છે. પરંતુ, મૂળ સુરતી તરીકે હાલમાં સૌથી વધુ પ્રોજેકશન સુરત શહેર ભાજપા પ્રમુખ નીતિનભાઇ ભજીયાવાળાને મળી રહ્યું છે. નીતિનભાઇ માટે કહેવાય છે કે તેમના કરતા વધુ પ્રયત્નો તેમના શુભેચ્છક, સમર્થક નેતાઓ કરી રહ્યા છે. પ્રદેશ મોવડીથી લઇને કેન્દ્રીય મોવડીમંડળમાં તેમની શાખ સારી મનાય રહી છે. નીતિનભાઇ ભજીયાવાળા માટે હવે પ્રમોશન ટાઇમ ડયુ થઇ ગયો હોવાનું પણ મનાય રહ્યું છે. સૌથી પ્રબળ દાવેદારી જેમની મનાતી હતી એ પૂર્ણેશભાઇ મોદી માટે એવી વાતો ચર્ચાય રહી છે કે તેઓ સાંસદની રેસમાં નથી. નીતિનભાઇ ભજીયાવાળા માટે ભાજપના મોટાભાગના નેતાઓ અને કાર્યકર્તાઓમાં એવી જ છાપ છે કે તેઓ મૂળ સુરતી છે પરંતુ, હકીકતમાં નીતિનભાઇ ભજીયાવાળા મૂળ સૌરાષ્ટ્રવાસી જ છે, શહેર ભાજપા પ્રમુખ શ્રી નીતિનભાઇ ભજીયાવાળાને જે લોકો નજદીકથી ઓળખે છે તેઓ જણાવે છે કે તેમના પરિવારિક મૂળ સૌરાષ્ટ્રના છે.

March 12, 2019
surat.jpeg
1min15050

જયેશ બ્રહ્મભટ્ટ

સુરતની ઓળખ હવે મૂળ સુરતીઓ કરતા બહારથી આવીને સુરતને કર્મભૂમિ બનાવનારા લોકો બની રહ્યા છે. ટેક્સટાઇલ ઉદ્યોગ મોટા ભાગે પરપ્રાંતિયોના હાથમાં પહોંચી ચૂક્યો છે અને ડાયમંડ ઉદ્યોગ ગુજ્જુ ખરાં પણ સૌરાષ્ટ્રવાસીઓના હાથમાં છે. વિધાનસભાની ચૂંટણીઓમાં 12-12 તમામ બેઠકો જીતીને આપનાર સુરતના મૂળ સુરતીને બબ્બે ટર્મથી ગુજરાત સરકારમાં મિનિસ્ટ્રી મળી નથી.  6 હજાર કરોડના વહીવટવાળી સુરત મહાનગરપાલિકામાં મેયર પદું પણ છેલ્લી ત્રણ ટર્મથી મૂળ સુરતી પાસે નથી બલ્કે મૂળ સૌરાષ્ટ્રીયન નેતાઓની નિમણૂંકો થઇ છે. હવે સુરતના સાંસદ કોણ એ મુદ્દે લોકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે જ્યારે ભાજપામાં સ્પર્ધાએ જોર પકડ્યું છે.

  • નિરંજન ઝાંઝમેરા, અસ્મિતા શિરોયા અને હવે ડો.જગદીશ પટેલ, મેયર પદ છેલ્લી ત્રણ ટર્મથી સુરતીઓને મળ્યું નથી
  • નાનુ વાનાણી અને એ પછી કિશોર કાનાણી, સુરતની બારેબાર બેઠકો જીતી લાવ્યા પછી પણ ગુજરાત સરકારમાં મંત્રી પદ સુરતીઓને મળ્યું નથી

સુરત સંસદીય મતવિસ્તારમાંથી કોને ઉમેદવાર બનાવવા એનો નિર્ણય સીધો જ ક્યાં તો ભાજપાના નેશનલ પ્રેસિડેન્ટ અમિત શાહ કરશે ક્યાં તો ખુદ પી.એમ. મોદી કરશે. કોને સુરત સંસદની સીટ મળશે એ અંગે જ્યાં સુધી આધિકારીક જાહેરાત ન થાય ત્યાં સુધી કોઇ જ નામ છાતી ઠોકીને કહી શકે તેમ નથી. પરંતુ, એક હવે એવી ઉભી કરવામાં આવી રહી છે કે સુરત સંસદીય મત વિસ્તારમાં આ વખતે હવે બે ટર્મ ભોગવી ચૂકેલા મહિલા સાંસદ દર્શનાબેન જરદોષને બદલીને કોઇ સૌરાષ્ટ્રીયન નેતાની વરણી કરવામાં આવે.

સુરત સંસદીય મત વિસ્તારમાં ભાજપાના કેન્ડીડેટ તરીકે મનસુખ માંડવીયા, ડો. જગદીશ પટેલ અથવા નાનુ વાનાણી માટે થઇ રહેલું જોરદાર લોબિંગ

મળતી માહિતી મુજબ સુરત સાંસદની બેઠક માટે જે નામો જોરશોરથી ચર્ચાય રહ્યા છે અગર તો જેના માટે લોબિંગ થઇ રહ્યું છે એ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, મેયર ડો. જગદીશ પટેલ અને માજી મંત્રી નાનુભાઇ વાનાણીના નામો છે. મૂળ સુરતીઓ ક્યાંયો સ્પર્ધામાં જણાતા નથી. આમેય મૂળ સુરતીઓ ભાજપ પ્રદેશ મોવડીઓ સામે કશું બોલી શક્તા નથી તો કેન્દ્રીય નેતાગીરી સામે તો આંખ ઉઠાવીને જોઇ પણ ન શકે. સુરતની તમામ 12 વિધાનસભા બેઠકો પર બબ્બે ટર્મથી ક્લીન સ્વીપ કરી લાવતા સુરતને એકેય સુરતી એમ.એલ.એ.ને મંત્રી પદ નહીં આપવા છતાં સુરત ભાજપા એક હરફ ઉચ્ચારી શક્તી નથી. ઉલ્ટાનું વડોદરાના ધારાસભ્યોએ બાંયો ચઢાવીને છેલ્લા વિધાનસભા અધ્યક્ષ પદ મેળવ્યું હતું. પરંતુ, સુરત ભાજપાના નેતાઓ મોવડીઓ પાસે કશું હકથી માંગી શક્તા નથી.

ભાજપાની પ્રદેશ અને કેન્દ્રીય નેતાગીરી મૂળ સુરતીઓના નેતૃત્વની નબળાઇ ભાળી ગઇ છે, મૂળ સુરતીઓ હકનું માંગી શક્તા નથી તો બાંયો ચઢાવવાની વાત દૂર રહી

(હવે ખરેખર જો દર્શનાબેન જરદોષ પોલિટીકલ બુલડોઝર નહીં ફેરવે તો મૂળ સુરતીઓના હાથમાંથી સાંસદ પદું પણ જતુ રહેવાના ચાન્સિસ છે.)

સુરત સંસદીય બેઠક માટે ભાજપામાં ઉમેદવારની પસંદગીની ગતિવિધિઓ જોતા એવું સ્પષ્ટ જણાય રહ્યું છે કે હવે મૂળ સુરતીઓ પાસે જે બાકી બચ્યું હતું એ સંસદીય સીટ પણ સૌરાષ્ટ્રવાસી નેતાને ધરી દેવી પડે તેમ છે. કેન્દ્રીય મંત્રી મન્સુખ માંડવીયા માટે તો સુરતમાંથી એવા સેન્સ અને ફિડબેક પણ મોવડીઓને મોકલાય રહ્યા છે કે તેઓ સૌથી મેરીટ ધરાવતા ઉમેદવાર છે.

મૂળ સુરતી ઉમેદવારોમાં હર્ષ સંઘવી, પૂર્ણેશ મોદી, અજય ચોક્સી, નિરવ શાહ, નીતિન ભજીયાવાળા, રાજેશ દેસાઇ વગેરે નામો તેમના સમર્થકો દ્વારા ચલાવાઇ રહ્યા છે પરંતુ, જે રીતે મન્સુખ માંડવીયા અગર તો ડો. જગદીશ પટેલ માટે સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓ લોબિંગ કરી રહ્યા છે એ રીતે માટે મોદી કે અમિત શાહ સાથે ઘરોબો ધરાવતા ઉદ્યોગપતિઓ મૂળ સુરતી માટે લોબિંગ નથી કરી રહ્યા. આમેય એ ઇતિહાસ રહ્યો છે કે સુરત ભાજપે અત્યાર સુધીમાં પ્રદેશ મોવડીઓએ જે મેન્ડેટ, હવાલાઓ મોકલ્યા છે એને આંખો બંધ કરીને સરઆંખો પર ચઢાવ્યા છે, સુરતી નેતાગીરી ક્યારેય પ્રદેશ કે કેન્દ્રીય મોવડીઓના નિર્ણય સામે એક સવાલ સુદ્ધાં ઉપસ્થિત નહીં કરે એ બાબત ભાળી ગયેલા કેન્દ્ર અને પ્રદેશ ભાજપાના નેતાઓ આ વખતે પણ સુરત સંસદીય મત વિસ્તારમાં પોતાનું ધાર્યું કરાવી જશે તો મૂળ સુરતીઓનો એકડો નીકળી જવાનો છે એ વાત નક્કી છે.

સુરત સંસદીય મત વિસ્તાર ભાજપા માટે સૌથી સેફ સીટ મનાય છે, અહીં કાશીરામ રાણાથી લઇને દર્શનાબેન જરદોષ વિક્રમી સરસાઇથી જીતતા આવ્યા છે. એટલે આ સૌથી સલામત સીટ પર ભાજપાની નેતાગીરી કોઇપણ વ્યક્તિને ઉમેદવાર બનાવી શકે છે. છેલ્લા બે ટર્મથી સુરતના સાંસદ તરીકે ચૂંટાઇ આવેલા દર્શનાબેન જરદોષ એટલા લૉ પ્રોફાઇલમાં રહ્યા કે મોટા ભાગના સામાન્ય લોકોમાં એવી જ છાપ છે કે સુરતના સાંસદ સી.આર. પાટીલ જ છે. સુરત એરપોર્ટનો પ્રશ્ન હોય કે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોનો જીએસટીનો પ્રશ્ન હોય કે પછી છેલ્લે તાપી નદીનો પ્રોજેક્ટ હોય સી.આર. પાટીલ નવસારીના સાંસદ હોવા છતાં સુરતના પ્રશ્નો માટે સરકારમાં લોબિંગ કરતા જોવાયા છે. સાંસદ તરીકે દર્શનાબેન જરદોષની બે ટર્મ દરમિયાન સુરતમાં સ્થાનિક સ્તરેથી પ્રાદેશિક કે કેન્દ્રીય સ્તરની નેતાગીરીની કેડર ઉભી થઇ શકી નહીં. એકેય સુરતી એમએલએ ને મિનિસ્ટરશીપ મળી નહીં કે એ પ્રાદેશિક લેવલ પર નેતૃત્વ સ્થાપી શકે, બધા નેતાઓ સુરત પૂરતા સિમીત બનીને રહી ગયા. સ્વાભાવિક છે કે પછી સુરતીઓ કેન્દ્રીય મોવડીઓને સાંસદ લિડરશીપ માટે વામણાં લાગે એમાં બેમત નથી.

આમેય સુરતમાં અસ્સલ સૂરતીઓ લઘુમતિમાં મૂકાઇ ગયા છે. એવી પરિસ્થિતિમાં મૂળ સુરતી પાસેથી સાંસદ પદું પણ છીનવાય જાય તો સુરતની ઓળખ સામે જ સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે.

March 10, 2019
him_pm.jpg
1min190060

સુરતના ખ્યાતનામ ઉદ્યોગપતિ હિંમતભાઇ ખૈનીનું આજે સવારે મુંબઇ સ્થિત ગ્લોબલ હોસ્પિટલમાં અકાળે નિધન થતાં શહેરના ઉદ્યોગ જગતે મોટો આંચકો અનુભવ્યો છે. બિલકુલ લૉ પ્રોફાઇલમાં રહીને મોટા ગજાના કામો કરતા શ્રી હિંમતભાઇ ખૈની બોલવા કરતા કરીને બતાવવામાં જાણીતા હતા. તેઓ સુરતના જાણીતા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ગ્રુપ હિન્દવા ઉપરાંત એમ. કાંતિલાલ એક્સપોર્ટસ તેમજ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ જેવી સંસ્થાઓના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં હતા.

(કેન્દ્રીય મંત્રી શ્રી રુપાલા સાથે સ્વ. હિંમતભાઇ ખૈનીની યાદગાર તસ્વીર)

મૂળ સૌરાષ્ટ્રના પરવડી ગામના વતની અને સુરતને કર્મભૂમિ બનાવનાર શ્રી હિંમતભાઇ ખૈની થોડા દિવસો પૂર્વે કમળાની બિમારીમાં સપડાયા હતા. કમળો એટલી હદે વકરી ગયો હતો કે તે કમળીમાં રૂપાંતરીત થઇ જતા તેમને વધુ ઘનિષ્ઠ સારવાર માટે મુંબઇની ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દેશ વિદેશના ખ્યાતનામ તબીબોને હિંમતભાઇ ખૈનીની ટ્રીટમેન્ટમાં જોતરવામાં આવ્યા હતા. પરંતુ, આજે રવિવાર તા.10મી માર્ચે સવારે હિંમતભાઇ ખૈની આ દુનિયા છોડીને અનંત યાત્રાએ નીકળી ગયા હતા.

(વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે સ્વ. હિંમતભાઇ ખૈનીની યાદગાર તસ્વીર)

કમળો અને પછી કમળી થઇ ગઇ, વિશ્વના ખ્યાતનામ તબીબોએ ટ્રીટમેન્ટ કરી પણ છેલ્લે રવિવારે સવારે હિંમતભાઇ અનંત યાત્રાએ નીકળી પડ્યા હતા. એમ.કાંતિલાલ એક્સપોર્ટ-હિન્દવા ગ્રુપના શ્રી હિંમતભાઇ ખૈનીના નિધનના સમાચાર મળતા જ શહેરના ઉદ્યોગપતિઓ ખાસ કરીને સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓ, હીરા ઉધોગકારોમાં આંચકો અનુભવાયો હતો. તેઓ એક ઉમદા સામાજિક સંગઠનકાર પણ હતા.

 

March 5, 2019
twin1.jpg
1min15990

આજે પણ ઘણાં પરિવારો એવા જોવા મળે છે જેમને દિકરી નથી જોઇતી, દિકરાના જન્મે ખુશ થાય છે. આવા પરિવારોથી વિપરીત સુરતમા ંએક એવો પરિવાર છે કે જેણે પરિવારમાં ટવીન દિકરીઓના જન્મને વધાવવા માટે ઠાઠમાઠથી કાઢવામાં આવતા કોઇ વરઘોડાને ટક્કર મારે તેવી શોભાયાત્રા કાઢીને દિકરીઓને પરિવારમાં વધાવી લીધી હતી.

સુરતના એક જૈન પરિવારની આ કહાની છે. ટ્રાવેલિંગ બિઝનેસ સાથે સંકળાયેલા આશિષ જૈનના પરિવારમાં ટવીન દિકરીઓનો જન્મ થયો છે. આ દિકરીઓનું નામ આન્યા અને અનાયા રાખવામાં આવ્યું છે. સમાજમાં બેટી બચાવો અભિયાનનો ચોંટદાર પડઘો પડે તે માટે આશિષ જૈન અને તેમના પરિવારજનોએ ટવીન દિકરીઓના જન્મને વધાવવા માટે રવિવારે સવારે અઠવાલાઇન્સથી ટીમલિયાવાડ સુધી આકર્ષક સરઘસ કાઢ્યું હતું.

પહેલી નજરે આ સરઘસને જોનારાઓને એવું થઇ આવે કે હાલ ચાલી રહેલા લગ્ન પ્રસંગનો કોઇ વરઘોડો નીકળ્યો હોય. પરંતુ, તપાસ કરાતાં જાણવા મળ્યું કે જૈન પરિવારને ત્યાં પારણું બંધાયું અને પારણે ટવીન દિકરીઓ અવતરી છે. આ દિકરીઓના સન્માનમાં જૈન પરિવારો ઘોડાગાડી, બગી, ડીજે મ્યુઝિકના સથવારે સગાસબંધીઓ સાથે સરઘસ કાઢીને દિકરીઓના જન્મ પ્રસંગને આવકાર્યો છે.

 

February 28, 2019
amroli_utran_flyover.jpg
1min9580

રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીના હસ્તે તા.28મી ફેબ્રુઆરી 2019ના રોજ અમરોલી અને ઉત્રાણ વચ્ચે રેલવે ટ્રેકની ઉપર ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ ખુલ્લો મૂકાતા વરાછાથી શરૂ કરીને અમરોલી, ઉત્રાણ, મોટા વરાછા વગેરે વિસ્તારના ટ્રાફિકની અવરજવરમાં મોટી રાહત થશે. આ બ્રિજની તસ્વીર અત્રે પ્રસ્તુત છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે રાજ્યના સૌથી અધતન પોલીસ મથકોમાં એક ગણાતા સુરતના કતારગામના નવનિર્મિત પોલીસ મથકને પણ ઉદઘાટિત કર્યું હતું. કતારગામ પોલીસ મથકની તસ્વીર અત્રે પ્રસ્તુત છે.

February 26, 2019
CIA_Live_Logo_New2.jpg
1min494070

સુરત એરફોર્સમાં કામ કરી રહેલી સુરતની એક યુવતિએ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મિરમાં ભારતીય એરફોર્સએ કરેલા હુમલામાં મોટું યોગદાન આપ્યું હોવાની વહેતી થયેલી અફવા મોડી સાંજ સુધીમાં દાવાનળની જેમ ફાટી નીકળી હતી. અંતે સુરતની આ યુવતિએ પોતાના ફેસબુક અકાઉન્ટ પર ખુદ એક સ્પષ્ટતા કરવી પડી હતી કે તેણે કોઇપણ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇકમાં ભાગ લીધો નથી. આ યુવતિએ એવી યાચના કરવી પડી કે તેના નામથી કોઇપણ પ્રકારની અફવા ન ફેલાવવામાં આવે. એ પોતે કોઇ સ્ટ્રાઇક મિશનમાં ન હતી. ખોટા સંદેશાઓ નહીં પ્રસરાવવા માટે તેણે લોકોને અપીલ કરવી પડી હતી. એ યુવતિએ કહેવું પડ્યું કે તે બિમાર છે અને રજા પર છે.

ઉર્વિશા જરીવાળા નામની સુરતની યુવતિ હાલમાં ઇન્ડિયન એરફોર્સમાં એરગ્રાઉન્ડ સ્ટાફ તરીકે કાર્યરત છે અને તેના નામે આજે સવારથી જ ખોટા મેસેજ ફેલાવવાના શરૂ કરતા મોડી સાંજે ઉર્વિશા જરીવાળાએ તેના ફેસબુક હેન્ડલ પર આ રીતે સ્પષ્ટતા કરવી પડી હતી. જે અત્રે પ્રસ્તુત છે.

ઉત્સાહના અતિરેકમાં સુરતીઓએ ઉર્વિશા જરીવાળાના નામથી જે અફવાઓ ફેલાવી તેનાથી તેના પરિવારજનો, સગાસબંધીઓ સમેત અનેક લોકોએ ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.