સુરતીઓની દુનિયા Archives - Page 64 of 79 - CIA Live

March 10, 2019
him_pm.jpg
1min190000

સુરતના ખ્યાતનામ ઉદ્યોગપતિ હિંમતભાઇ ખૈનીનું આજે સવારે મુંબઇ સ્થિત ગ્લોબલ હોસ્પિટલમાં અકાળે નિધન થતાં શહેરના ઉદ્યોગ જગતે મોટો આંચકો અનુભવ્યો છે. બિલકુલ લૉ પ્રોફાઇલમાં રહીને મોટા ગજાના કામો કરતા શ્રી હિંમતભાઇ ખૈની બોલવા કરતા કરીને બતાવવામાં જાણીતા હતા. તેઓ સુરતના જાણીતા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ગ્રુપ હિન્દવા ઉપરાંત એમ. કાંતિલાલ એક્સપોર્ટસ તેમજ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ જેવી સંસ્થાઓના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં હતા.

(કેન્દ્રીય મંત્રી શ્રી રુપાલા સાથે સ્વ. હિંમતભાઇ ખૈનીની યાદગાર તસ્વીર)

મૂળ સૌરાષ્ટ્રના પરવડી ગામના વતની અને સુરતને કર્મભૂમિ બનાવનાર શ્રી હિંમતભાઇ ખૈની થોડા દિવસો પૂર્વે કમળાની બિમારીમાં સપડાયા હતા. કમળો એટલી હદે વકરી ગયો હતો કે તે કમળીમાં રૂપાંતરીત થઇ જતા તેમને વધુ ઘનિષ્ઠ સારવાર માટે મુંબઇની ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દેશ વિદેશના ખ્યાતનામ તબીબોને હિંમતભાઇ ખૈનીની ટ્રીટમેન્ટમાં જોતરવામાં આવ્યા હતા. પરંતુ, આજે રવિવાર તા.10મી માર્ચે સવારે હિંમતભાઇ ખૈની આ દુનિયા છોડીને અનંત યાત્રાએ નીકળી ગયા હતા.

(વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે સ્વ. હિંમતભાઇ ખૈનીની યાદગાર તસ્વીર)

કમળો અને પછી કમળી થઇ ગઇ, વિશ્વના ખ્યાતનામ તબીબોએ ટ્રીટમેન્ટ કરી પણ છેલ્લે રવિવારે સવારે હિંમતભાઇ અનંત યાત્રાએ નીકળી પડ્યા હતા. એમ.કાંતિલાલ એક્સપોર્ટ-હિન્દવા ગ્રુપના શ્રી હિંમતભાઇ ખૈનીના નિધનના સમાચાર મળતા જ શહેરના ઉદ્યોગપતિઓ ખાસ કરીને સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓ, હીરા ઉધોગકારોમાં આંચકો અનુભવાયો હતો. તેઓ એક ઉમદા સામાજિક સંગઠનકાર પણ હતા.

 

March 5, 2019
twin1.jpg
1min15820

આજે પણ ઘણાં પરિવારો એવા જોવા મળે છે જેમને દિકરી નથી જોઇતી, દિકરાના જન્મે ખુશ થાય છે. આવા પરિવારોથી વિપરીત સુરતમા ંએક એવો પરિવાર છે કે જેણે પરિવારમાં ટવીન દિકરીઓના જન્મને વધાવવા માટે ઠાઠમાઠથી કાઢવામાં આવતા કોઇ વરઘોડાને ટક્કર મારે તેવી શોભાયાત્રા કાઢીને દિકરીઓને પરિવારમાં વધાવી લીધી હતી.

સુરતના એક જૈન પરિવારની આ કહાની છે. ટ્રાવેલિંગ બિઝનેસ સાથે સંકળાયેલા આશિષ જૈનના પરિવારમાં ટવીન દિકરીઓનો જન્મ થયો છે. આ દિકરીઓનું નામ આન્યા અને અનાયા રાખવામાં આવ્યું છે. સમાજમાં બેટી બચાવો અભિયાનનો ચોંટદાર પડઘો પડે તે માટે આશિષ જૈન અને તેમના પરિવારજનોએ ટવીન દિકરીઓના જન્મને વધાવવા માટે રવિવારે સવારે અઠવાલાઇન્સથી ટીમલિયાવાડ સુધી આકર્ષક સરઘસ કાઢ્યું હતું.

પહેલી નજરે આ સરઘસને જોનારાઓને એવું થઇ આવે કે હાલ ચાલી રહેલા લગ્ન પ્રસંગનો કોઇ વરઘોડો નીકળ્યો હોય. પરંતુ, તપાસ કરાતાં જાણવા મળ્યું કે જૈન પરિવારને ત્યાં પારણું બંધાયું અને પારણે ટવીન દિકરીઓ અવતરી છે. આ દિકરીઓના સન્માનમાં જૈન પરિવારો ઘોડાગાડી, બગી, ડીજે મ્યુઝિકના સથવારે સગાસબંધીઓ સાથે સરઘસ કાઢીને દિકરીઓના જન્મ પ્રસંગને આવકાર્યો છે.

 

February 28, 2019
amroli_utran_flyover.jpg
1min9440

રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીના હસ્તે તા.28મી ફેબ્રુઆરી 2019ના રોજ અમરોલી અને ઉત્રાણ વચ્ચે રેલવે ટ્રેકની ઉપર ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ ખુલ્લો મૂકાતા વરાછાથી શરૂ કરીને અમરોલી, ઉત્રાણ, મોટા વરાછા વગેરે વિસ્તારના ટ્રાફિકની અવરજવરમાં મોટી રાહત થશે. આ બ્રિજની તસ્વીર અત્રે પ્રસ્તુત છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે રાજ્યના સૌથી અધતન પોલીસ મથકોમાં એક ગણાતા સુરતના કતારગામના નવનિર્મિત પોલીસ મથકને પણ ઉદઘાટિત કર્યું હતું. કતારગામ પોલીસ મથકની તસ્વીર અત્રે પ્રસ્તુત છે.

February 26, 2019
CIA_Live_Logo_New2.jpg
1min494040

સુરત એરફોર્સમાં કામ કરી રહેલી સુરતની એક યુવતિએ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મિરમાં ભારતીય એરફોર્સએ કરેલા હુમલામાં મોટું યોગદાન આપ્યું હોવાની વહેતી થયેલી અફવા મોડી સાંજ સુધીમાં દાવાનળની જેમ ફાટી નીકળી હતી. અંતે સુરતની આ યુવતિએ પોતાના ફેસબુક અકાઉન્ટ પર ખુદ એક સ્પષ્ટતા કરવી પડી હતી કે તેણે કોઇપણ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇકમાં ભાગ લીધો નથી. આ યુવતિએ એવી યાચના કરવી પડી કે તેના નામથી કોઇપણ પ્રકારની અફવા ન ફેલાવવામાં આવે. એ પોતે કોઇ સ્ટ્રાઇક મિશનમાં ન હતી. ખોટા સંદેશાઓ નહીં પ્રસરાવવા માટે તેણે લોકોને અપીલ કરવી પડી હતી. એ યુવતિએ કહેવું પડ્યું કે તે બિમાર છે અને રજા પર છે.

ઉર્વિશા જરીવાળા નામની સુરતની યુવતિ હાલમાં ઇન્ડિયન એરફોર્સમાં એરગ્રાઉન્ડ સ્ટાફ તરીકે કાર્યરત છે અને તેના નામે આજે સવારથી જ ખોટા મેસેજ ફેલાવવાના શરૂ કરતા મોડી સાંજે ઉર્વિશા જરીવાળાએ તેના ફેસબુક હેન્ડલ પર આ રીતે સ્પષ્ટતા કરવી પડી હતી. જે અત્રે પ્રસ્તુત છે.

ઉત્સાહના અતિરેકમાં સુરતીઓએ ઉર્વિશા જરીવાળાના નામથી જે અફવાઓ ફેલાવી તેનાથી તેના પરિવારજનો, સગાસબંધીઓ સમેત અનેક લોકોએ ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

 

February 25, 2019
tapi1-1280x720.jpg
1min18070
  • તાપી પાસેથી અત્યાર સુધી લીધે રાખ્યું, હવે તાપી નદીના ખરા અર્થમાં જતનનું કામ શરૂ થશે
  • ખુદ નરેન્દ્ર મોદી તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સુરત આવે તેવી સંભાવના
  • લોકસભાની ચૂંટણી પહેલા તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરી દેવાય તેવી વકી
  • મોટી સંખ્યામાં કોલેજીયન, યંગસ્ટર્સને તાપી ડેવલપમેન્ટમાં કારસેવા કરવા માટે જોડવામાં આવશે
  • ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ મળીને અંદાજે 13 કરોડ લોકો તાપી નદીના પાણી પર નિર્ભર

(Map of Tapi)

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તેમજ જેના મૂળીયા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી વિસ્તરેલા છે એ સૂર્યપૂત્રી તાપી નદીના ડેવલપમેન્ટ માટે ગુજરાતના સ્થાનિક વહીવટીતંત્રોએ તૈયાર કરેલા રૂ.952 કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં રૂ.21 કરોડ વધારાની ગ્રાન્ટ ઉમેરીને કુલ રૂ.973 કરોડના પ્રોજેક્ટને આજે કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગ તેમજ રાજ્ય સરકારે એક પણ સવાલ ઉઠાવ્યા વગર, એક પણ સૂચન કર્યા વગર લીલીઝંડી આપી દીધી હોવાની વિગતો જાણવા મળી છે.

સુરત ભાજપના કદાવર નેતા અને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલએ તાપી શુદ્ધિકરણના આ પ્રોજેક્ટને સત્વરે મંજૂરી મળે તે માટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારમાં આક્રમક લોબિંગ કર્યું હતું. તેઓ સતત આ કામનો ફોલોઅપ કરતા રહ્યા અને આખરે ઝડપભેર પ્રોજેક્ટ સાકાર થઇ શકે અને સુરતની જીવાદોરી સમાન આ પ્રોજેક્ટનું કામ શરૂ થાય તેવા તેમના પ્રયાસો હતા.

તાપી નદી પાસેથી અત્યાર સુધી સુરત હોય કે દક્ષિણ ગુજરાતની પ્રજા અને વહીવટીતંત્રોએ બધું લીધું જ છે, તાપી નદીના જતન માટે કોઇ નક્કર યોજના ભૂતકાળથી લઇને અત્યાર સુધી ક્યારેય બની ન હતી. પરંતુ, સુરત પર વસતિનું ભારણ વધતા તેમજ દક્ષિણ ગુજરાતમાં તાપી નદીમાંથી વિતરીત સિંચાઇ પુરવઠાની ખેંચ પડવા માંડતા તાપી નદીને હવે મેઇન્ટેન કરવા, શુધ્ધ કરવા તેમજ અન્ય આનુષંગિક કામો કરીને દક્ષિણ ગુજરાતની લોકમાતા કહો કે જીવાદોરી સમાન તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટને આખરે કેન્દ્ર સરકારે પણ લીલીઝંડી આપી દીધી છે. અને લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પહેલા તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ થઇ જાય તે માટે હવે સ્થાનિક વહીવટીતંત્રોથી લઇને ભાજપાએ પણ કાર્યક્રમો ગોઠવવા માંડ્યા છે.

આગામી દિવસોમાં તાપી મૈયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટના શુભારંભમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ખુદ સુરત આવે તેમજ સ્થાનિક યુવાપેઢી, કોલેજિયન તાપી કાર સેવામાં મોટી સંખ્યામાં જોતરાય તેવા પ્રોજેક્ટને આકાર આપવામાં આવી રહ્યો છે.

આગામી દિવસોમાં સ્થાનિક વહીવટીતંત્રોના સથવારે ભાજપા તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટને એક ચૂંટણી મુદ્દા તરીકે એન્કેશ કરે તેવા કાર્યક્રમો જોવા મળશે. એ ભલે કંઇપણ કરે પરંતુ, તાપી નદીનો વિકાસ થશે એ બહું આવકારદાયક પગલું બની રહેશે.

February 20, 2019
jab-koi-baat-05-1.jpg
1min24250

પોતાની 20મી મેરેજ એનિવર્સરીને એક અદ્દલ બોલીવુડ સોંગ બનાવડાવીને સેલિબ્રેટ કરનાર સુરતી યુગલ અજીતા અને જગદીશ ઇટાલિયા અભિનીત ગુજરાતી સોંગ જબ કોઇ બાત ને યુ ટ્યુબ પર ફક્ત 3 દિવસમાં જ 1 મિલિયન (10 લાખ)થી વધુ વ્યુઝ મળ્યા છે. કોઇ સુરતી બોલિવુડના ખ્યાતનામ સિંગર્સ કે એક્ટર્સને મળતા હોય તેવા વ્યુઝ મળે એ સુરતીઓ માટે ગૌરવપ્રદ ઘટના છે.

ફક્ત 3 દિવસમાં જ 1 મિલિયન (10 લાખ)થી વધુ વ્યુઝ કમાઇ ચૂક્યું છે સુરતી કપલનું રોમેન્ટિક સોંગ જબ કોઇ બાત-વાલમ આવોને

એડવેન્ચરિયસ સાઇકલિંગ માટે ખ્તાયનામ અજિતા અને જગદીશ ઇટાલિયા મ્યુઝિક તેમાં પણ ખાસ કરીને ગુજરાતી મ્યુઝિકના ભારોભાર પ્રેમી છે. તક અને સમય મળે ત્યારે અજિતા કે જગદીશ ગીત ગાવાની એકેય તક જતી કરતા નથી હોતા એવા આ સુરતી મ્યુઝિક લવર કપલ અજિતા અને જગદીશ ઇટાલિયાએ પોતાની 20મી મેરેજ એનિવર્સરીને સેલિબ્રેટ કરવા માટે જોધપુર ખાતે પોતાના પર જ જબ કોઇ બાત અને વાલમ આવોને ગીતનું ફિલ્માંકન કરાવ્યું હતું. સોંગ મેકીંગ પ્રોસેસ દરમિયાન તેમની અપેક્ષા બહાર આ ગીતની સિનેમેટોગ્રાફિ, મ્યુઝિક કમ્પોઝિશન, લિરીક્સ બધું જ એટલું યોગ્ય હતું કે વિશ્વ વિખ્યાત મ્યુઝિક કંપનીને એપ્રોચ કરીને તેનું વર્લ્ડ પ્રીમિયર અને એ પણ 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ના ઉપલક્ષમાં કરવાનું નક્કી કરાયું હતું. વિનસ મ્યુઝિક કંપનીએ જબ કોઇ બાત વાલમ આવોને સોંગ યુ ટ્યુબ સમેત 9 મ્યુઝિક ચેનલ્સ પર લોંચ કર્યાના 3 જ દિવસમાં સુરતી કપલના અદ્લ બોલિવુડ સ્ટાઇલ ગુજરાતી સોંગને 10 લાખ કરતા વધુ વ્યુઅર્સ મળી ચૂક્યા છે.

  • ઓવર વ્હેલમિંગ રિસપોન્સની ડેફિનેશન અમે છેલ્લા 4 દિવસથી અનુભવી રહ્યા છીએ : જગદીશ ઇટાલિયા
  • અમે કોઇ પ્રોફેશનલ એક્ટર્સ નથી કે પ્રોફેશનલ સિંગર્સ નથી, બટ અમે જે કર્યું છે ગીતમાં એ રિયાલિટી છે જેનું ફિલ્માંકન થયું છે : અજિતા ઇટાલિયા

અમે જ્યારે જગદીશ અને અજિતાનો સંપર્ક કર્યો અને પૂછ્યું કે આટલા વ્યુઅર્સ મળ્યા પછી કેવી ફિલિંગ થાય છે, ત્યારે સાહજિક રીતે જ જગદીશ ઇટાલિયાએ કહ્યું આ રિસ્પોન્સ કલ્પના બહારનો છે, સ્વપ્નેય વિચાર્યું ન હતું કે મારી એનિવર્સરી સેલિબ્રેશન માટે બનાવેલું સોંગ  ગુજરાતી મ્યુઝિક લવર્સને આટલી હદે ગમશે. આ એક ઉત્સાહ વર્ધક રિસ્પોન્સ છે, ઓવર વ્હેલમિંગની ડેફિનેશન અમે છેલ્લા 4 દિવસથી અનુભવી રહ્યા છીએ. અજિતા ઇટાલિયાએ સહજતાથી કહ્યું કે અમે કોઇ પ્રોફેશનલ એક્ટર્સ નથી કે પ્રોફેશનલ સિંગર્સ નથી, બટ અમે જે કર્યું છે ગીતમાં એ રિયાલિટી છે જેનું ફિલ્માંકન થયું છે. સોંગ પ્રત્યેના લોકોના પ્રતિભાવો અમે જ્યારે સોશ્યલ મિડીયા પર વાંચીએ છીએ ત્યારે એવી ફિલીંગ આવે છે કે જાણે અમે પ્રોફેશનલ હોઇએ.

February 19, 2019
SDCA_logo.jpg
1min11220
  • બીસીસીઆઇની ઓફિશ્યલ વેબસાઇટ પર સુરતના ક્રિકેટ ગ્રાઉન્ડસ ચમક્યા
  • સૈયદ મુસ્તાકઅલી ટી ટ્વેન્ટીની કુલ 21 મેચો સુરતમાં રમાશે
  • 14 મેચ લાલભાઇ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડીયમ ખાતે
  • 4 મેચ સીબી પટેલ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે
  • 3 મેચ પીઠાવાલા સ્પોર્ટસ કલબ ખાતે
  • 21મી ફેબ્રુઆરીથી 3જી માર્ચ 2019 સુધી સુરતમાં 21 મેચો રમાશે

બોર્ડ ફોર ક્રિકેટ કન્ટ્રોલ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) દ્વારા આયોજિત સૈયદ મુસ્તાકઅલી ટી ટ્વેન્ટી સિરીઝની કુલ 7 ટીમ્સના સ્લોટ સુરતના ત્રણ જુદા જુદા ક્રિકેટ ગ્રાઉન્ડસને ફાળવવામાં આવ્યા છે. આગામી તા.21મી ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યાથી શરૂ થઇ રહેલી મુસ્કાત સૈયદઅલી ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સુરતના ક્રિકેટ ગ્રાઉન્ડસ પર ગુજરાત, રણજી ચેમ્પિયન વિદર્ભ, તમિળનાડુ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, બિહાર અને મેઘાલયની સિનિયર પ્લેયર્સની ટીમો રમશે. આ 7 ટીમમાં અનેક ભારતીય સ્ટાર ક્રિકેટર્સ, ભૂતકાળમાં આઇ.પી.એલ. ગજાવી ચૂકેલા અનેક ક્રિકેટર્સ પણ સુરતના ગ્રાઉન્ડસ પર રમતા જોવા મળશે.

સુરત આવી રહેલા સ્ટાર ક્રિકેટર્સમાં અશ્વિન, (દિનેશ કાર્તિકે પરમિશન માગી રમવા માટે), ખલીલ ફાસ્ટ બોલર (રાજસ્થાન), અક્ષર પટેલ, પાર્થિવ પટેલ વગેેરે ક્રિકેટર્સને જોવાનો મોકો મળશે.

સુરતના ઇતિહાસમાં પહેલી વખત ઘટના આકાર પામી રહી છે કે એક સાથે 7-7 રાજ્યોની સિનિયર ક્રિકેટ ટીમ એક સાથે રમવા માટે આવી છે. સૈયદ મુસ્તાકઅલી ટી ટ્વેન્ટી ક્રિકેટની મેચો સુરતમાં લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ઉપરાંત સી.કે. પીઠાવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ સી.બી. પટેલ સ્ટેડીયમ ખાતે ફાળવવામાં આવી છે. પહેલી મેચ ગુજરાત અને મેઘાલય વચ્ચે તા.21મીએ સવારે 10 કલાકે યોજાશે.

સુરતના ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટ મેચો જોઇ શકે તે માટે બિલકુલ ફ્રી એન્ટ્રી

સુરતના ત્રણેય ગ્રાઉન્ડસ પર સૈયદ મુસ્તાકઅલી ક્રિકેટની મેચો માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અનેક ટીમોમાં ભારતીય ક્રિકેટના અનેક સિતારાઓ સુરત આવી રહ્યા હોઇ તેમની સાથે બીસીસીઆઇના પણ અનેક અધિકારીઓ સુરત આવી રહ્યા છે. સુરતવાસીઓ માટે ખાસ કરીને ક્રિકેટપ્રેમી સુરતીઓ માટે આ એક અદભૂત નજારો હશે. ક્રિકેટ સ્ટાર સુરતના ગ્રાઉન્ડસ પર રમતા જોવાનું દ્રશ્ય અવિસ્મરણીય બની રહેશે.

February 18, 2019
paresh_patel.jpg
1min6820
રેલવે મંત્રી પિયુષ ગોયલ દ્વારા સાંસદ સી.આર.પાટીલની ભલામણ બાદ ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપરાંત શિક્ષણ જગત સાથે સંકળાયેલા પરેશ પટેલને ઝોનલ રેલવે યુઝર્સ કમિટીમાં પસંદગી કરવામાં આવી 
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના પૂર્વ સિન્ડિકેટ – સેનેટ સભ્ય રહી ચૂકેલા ઉદ્યોગકાર પરેશ પટેલની ઝેડઆરયુસીસી ( Zonal Railway Users’ Consultative Committee ) મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી છે, સાંસદ સી.આર.પાટીલની ભલામણથી તેમને ઝોનલ રેલવે કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
અગાઉ પરેશ પટેલ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હતા ત્યારે તેઓ ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલટેટિવ કમિટીના (ડીઆરયુસી)  મેમ્બર રહી ચુક્યા છે ત્યારે તેઓ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતના રેલવે મુસાફરોને પડતી સમસ્યાના ઉકેલ માટે સતત રેલવે વિભાગમાં રજુઆતો કરવામાં આવીહતી. પરેશ પટેલ વર્ષ 2011માં ચૂંટણી જીતીને ચેમ્બર ઉપપ્રમુખ બન્યા હતા, અને 2012માં પ્રમુખ બન્યા હતા, ત્યારબાદ વર્ષ 2012થી 2017 દરમિયાન વીએનએસજીયુમાં સિન્ડિકેટ અને સેનેટ સભ્ય તરીકે સેવા આપી હતી.
February 18, 2019
siddhi_vinayak_pal.jpg
1min11360

કાશ્મીરના પુલવામા ખાતે ભારતીય સૈન્ય પર આતંકી હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે. ભારતીય નાગરીકો, સંસ્થાઓ પોતપોતાની રીતે કાર્યક્રમો યોજીને સૈનિકોનું મનોબળ વધારી રહી છે. સુરતના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે આવતીકાલ તા.19મી ફેબ્રુઆરી 2019ને મંગળવારે સાંજે 7 કલાકે સૈનિકો માટે વિશેષ મહાઆરતી અને પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી આપતા મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું કે પુલવામાની ઘટના બાદ મંદિર પરિસરમાં દર્શનાર્થે આવતા ગણેશ ભક્તોમાં આતંકીઓ અને પાકિસ્તાન પ્રત્યે ભારે રોષ જોવા-સાંભળવા મળ્યો છે. એ પછી અમે સંચાલક મંડળએ ભારતીય સૈનિકોનું મનોબળ વધારવા તેમજ તેમના રક્ષણ કાજે ભગવાન શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના ચરણોમાં મહાઆરતી સમર્પિત કરીને ભારતીય સેન્ય માટે મંગળ થાઓની પ્રાર્થના કરીશું.

આ કાર્યક્રમમાં સુરત એજ્યુકેશન સોસાયટી સંચાલિત તમામ કોલેજો, શાળાઓના કર્મચારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ, શહેરના જુદા જુદા વિદ્યાર્થી સંગઠનો, શહેરના જુદા જુદા જ્ઞાતિ સંગઠનો, મહિલા મંડળો, સોસાયટીઓ, સ્થાનિક સામાજિક, રાજકીય અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. મહાઆરતીના કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક ભક્તજનના હાથમાં દિવડા હશે અને તેઓ પણ ભારતીય સૈન્ય જવાનો માટે ગણેશજીની આરતી ઉતારીને તેમના માટે પ્રાર્થના કરી શકશે.

February 15, 2019
salute.png
1min7340

કાશ્મીરમાં આતંકી હુમલાથી સ્તબ્ધ સુરતવાસીઓ પોતાની સંવેદના ઘેરા શોક અને આક્રોશ સાથે વ્યક્ત કરી રહ્યા છે. આગામી રવિવાર તા.17મી ફેબ્રુઆરી 2019ના રોજ પીપી સવાણી અબ્રામા સ્કુલના ગ્રાઉન્ડ પર 261 યુગલનો સમુહ લગ્નોત્સવ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા યોજવામાં આવ્યો છે. આ સમૂહ લગ્નોત્સવના આયોજક શ્રી કાનજીભાઇ ભાલાળાએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે આતંકી હુમલાની ઘટનાએ અમને હચમચાવી મૂક્યા છે. 261 યુગલો તેમનું નવું જીવન શરૂ કરી રહ્યા છે, રવિવારે. તેમનો લગ્ન સમારોહ તો રોકી શકાય નહીં પરંતુ, અમે તેને સાદગીપૂર્ણ બનાવી રહ્યા છીએ.

હાલમાં બે નિર્ણય લેવાયા છે. જેમાં 1. સમૂહ લગ્નોત્સવ શહીદ જવાનોને શોકાંજલિ અને મૌન પાળીને શરૂ કરવામાં આવશે. 2. લગ્નોત્સવમાં જે કંઇપણ યુગલોને ચાંદલા સ્વરૂપે મળશે એ રકમની પાઇ પાઇ પુલવામાની ઘટનામાં શહીદ થયેલા સૈનિક પરિવારોને મોકલી આપવામાં આવશે.