CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 7 of 78 - CIA Live

May 2, 2025
Mansingh-Patel-SUMUL-CIA-Live.jpg
1min381

સુમુલ ડેરીના પ્રમાણિક,કરકસરયુક્ત, પારદર્શક અને અસરકારક વહીવટને કારણે સુરત અને તાપી જીલ્લાના પશુપાલકોને દૂધ પ્રાપ્તિના ભાવોમાં વધારો શક્ય : માનસિંહ પટેલ-ચેરમેન સુમુલ ડેરી-સુરત

xr:d:DAFm_LM-99s:4,j:3362331843685084848,t:23062707

આજરોજ સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા માનનીય ગૃહ અને સહકારમંત્રી અમિતભાઈ શાહના “સહકાર થી સમૃદ્ધિના” સ્વપ્નને સાકાર કરતા તેમના નિયામક મંડળના સાથ સહકાર, પ્રમાણિક, કરકસરયુક્ત અને અસરકારક વહીવટ થકી સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની આર્થિક સુખાકારી માટે અનેક નિર્ણયો કાર્ય છે જેમાં વધુ એક વખત ઐતિહાસિક ભાવ ફેર આપવાનો નિર્ણય કર્યા બાદ દૂધના ખરીદ ભાવોમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

નવા ફાઈનાન્શિયલ વર્ષમાં તા.૪-૦૫-૨૦૨૫ના રોજથી અમલી ભેંસ અને ગાય બંનેમાં દૂધ પ્રાપ્તિના ભાવોમાં કિલો ફેટ દીઠ રૂપિયા ૨૦ નો વધારો કરવામાં આવતા અનુક્રમે ભેંસના ભાવો રૂ.૮૭૦ અને ગાયના ભાવો રૂ.૮૩૦ મળશે. સુરત અને તાપી જિલ્લાના આશરે 2.50 લાખ પશુપાલકોને આ નિર્ણયથી લાભ થશે.

સંઘના નિયામક મંડળ દ્વારા મિશન બિયોન્ડ મિલ્ક’ પહેલ અનુસંધાને 125 કરોડના ખર્ચે આઈસક્રીમ પ્લાન્ટનું વિસ્તરણ અને ગુજરાતનો પ્રથમ કોન મેકિંગ પ્લાન્ટ તેમજ વગર વ્યાજે પશુ ખરીદી માટે સુડીકો બેંક-સુમુલની લોન યોજના, BIS/ISI ક્વોલીટી વાળુ દાણ,સભાસદ વીમા યોજના, ૨૪ કલાક પશુ ચિકિત્સકોની સેવા, વાછરડી-પાડી ઉછેર કાર્યક્રમ,કૃત્રિમ બીજદાન,એમ્બ્રિયો ટ્રાન્સફર યોજના,સુમુલ એનિમલ જીનેટિકસ,સેક્સ સીમેન યોજના,સોલાર સીસ્ટમ,મિલ્કીંગ મશીન, પશુ વીમા યોજના, પશુઓ સુધારણા, ઘાસચારાની યોજના,સાયલેજ, સહિતની અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેના મીઠા ફળો મળતા સુમુલ ડેરી તેના સીમાંત, નાના ખેડૂતો તેમજ જમીન વિહોણા મજુરો,મહિલાઓ પશુપાલકોને દરરોજ ૧૦ કરોડ રૂપિયાની આવક ઘર આંગણે પૂરી પાડી મોટા પાયે રોજગારીનું સર્જન કરે છે. દૂધ પ્રાપ્તિના ભાવોમાં વધારાના સમાચાર મળતા જ પશુપાલકોએ માનસિંહ પટેલ અને તેમના નિયામક મંડળ ઉપર અભિનંદનની વર્ષા કરી હતી.

April 26, 2025
bangladeshi.jpg
1min343

પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઇ છે ત્યારે વિવિધ વિસ્તારોમાંથી પાકિસ્તાનીઓને શોધી શોધીને તગેડી મૂકવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ અને સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. બંને મોટા શહેરોમાં દરોડા દરમિયાન શહેરમાંથી લગભગ 500થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પકડાયાનો દાવો કરાયો છે જેમાં મહિલા અને પુરુષો બંને સામેલ છે. જેમાં અમદાવાદમાંથી 400થી વધુ જ્યારે સુરતમાંથી 100થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયતના અહેવાલ મળી રહ્યા છે. આ લોકોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

6 ટીમ બનાવીને તમામ શંકાસ્પદોની અટકાયત કરી લેવામાં આવી છે અને તેમના દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર સુરતના સચિન, ઉન, લાલગેટ અને લિંબાયત સહિતના અમુક વિસ્તારોમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં એવો દાવો કર્યો હતો કે આ લોકો પાસે ભારત સરકાર દ્વારા માન્ય આધારકાર્ડ પણ મળી આવ્યા છે. જ્યારે અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાંથી 400થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી જેમના શંકાસ્પદ બાંગ્લાદેશી હોવાની જાણકારી મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યો હતો કે 48 કલાકમાં તમામ પાકિસ્તાનીઓને વતન ભેગા કરવામાં આવે. જેના પર કાર્યવાહી કરતી વખતે જ પોલીસના હાથે આ બાંગ્લાદેશીઓ ચઢી ગયાનો દાવો કરાયો છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અગાઉ જ પાકિસ્તાની નાગરિકોને પણ અલ્ટીમેટમ આપી ચૂક્યા હતા. મળતી માહિતી અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિદેશી ઘૂસણખોરો સામે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની સાથે સાથે આ તપાસમાં એસઓસી, ઈઓડબ્લ્યૂ અને ઝોન 6 હેડક્વાર્ટરની ટીમોએ કોમ્બિંગ હાથ ધર્યું હતું જેમાં 400 થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા.

April 13, 2025
cia_multi-1280x1045.jpg
1min573

સાધનસંપન્ન પરીવારોની ક્લબ ગણાતા લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં આજે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની મેનેજિંગ કમિટીની કુલ 21 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સાંજે 4ના ટકોરે જ્યારે મતદાનની પ્રક્રિયા સંપન્ન થઇ હતી ત્યારે કુલ 69.12 ટકા મતદાન યોજાયું હતું. રવિવારે રજાનો દિવસ અને ધખધખતો તાપ પડતો હોવા છતાં સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના 3608 મેમ્બરો પરસેવે રેબઝેબ થઇને પણ મતદાન કરવા માટે સ્ટેડીયમમાં પહોંચ્યા હતા.

સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના ચૂંટણી જંગમાં 21 ઉમેદવારોની બે પેનલો ઝુકાવ્યું હતું. બન્ને પેનલનું નેતૃત્વ લાલભાઇ કોન્ટ્રાક્ટર પરીવારના સભ્યોના હાથમાં સોંપવામાં આવ્યું હતું. સ્ટેડીયમ પેનલ કે જેનું નેતૃત્વ ખુદ વર્તમાન પ્રમુખ કનૈયાભાઇ કોન્ટ્રાક્ટર કરી રહ્યા છે જ્યારે સામે પક્ષે તેમના જ લઘુબંધુ સ્વ. હેમંત કોન્ટ્રાક્ટરની પુત્રી યેશા કોન્ટ્રાક્ટરે પોતાના 20 ઉમેદવારો સાથે હેમંત કોન્ટ્રાક્ટર પેનલના નામથી ચૂંટણીમાં ઝુકાવીને વહીવટ કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો. આજે મતદાન યોજાય તેની પૂર્વ સંધ્યા સુધી બન્ને પેનલોએ શામ, દામ, દંડ, ભેદ તમામ નીતિઓ અખત્યાર કરીને સોશ્યલ મિડીયા તેમજ અન્ય મિડીયા સ્ત્રોતો થકી મેમ્બરોમાં એક બીજાને નીચા દેખાડવાની ભરપૂર કોશિશો કરી હતી, જેને લઇને સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની આ ચૂંટણી અત્યંત રોમાંચક બની હતી.

આજે સવારે 10ના ટકોરે મતદાન શરૂ થયું હતું અને આરંભથી જ આક્રમક મતદાન જોવા મળ્યું હતું. સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનમાં કુલ 5222 મેમ્બરોને આજે મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. દર કલાકે 700 મતોની સરસાઇ સાથે સાંજે 4ના ટકોરે મતદાન સંપન્ન થયુ ત્યારે કુલ 3608 મતદારો મતદાન કરી ચૂક્યા હતા. દર ત્રણ વર્ષે યોજાતી આ ચૂંટણીમાં ત્રણ વર્ષ અગાઉ 2022માં યોજાયેલી ચૂંટણીમાં એ સમયે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના 4500માંથી 2912 મતદારોએ મતદાન કર્યું હતું

April 12, 2025
image-5.png
2min327

SUMUL TAKE HOME RATION PLANT, CHALTHAN

“ધ સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઇંડસ્ટ્રીઝ, સુરત(SGCCI)  દ્વારા આયોજીત “ગોલ્ડન જ્યુબિલી એવાર્ડ ૨૦૨૩ – ૨૪” માટે સુરત-તાપી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડ , સુમુલ ડેરી સુરત સંઘના ચલથાણ ખાતેના ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટ દ્વારા “કલરટેક્ષ એવાર્ડ ફોર આઉટ સ્ટેન્ડિંગ પર્ફોમન્સ ઇન એનર્જિ કન્ઝર્વેશન” કેટેગરીમાં અરજી કરવામાં આવેલ હતી. તદ ઉપરાંત રાજ્યની અગ્રણી અલગ-અલગ ઇંડસ્ટ્રીઝમાંથી અરજીઓ કરવામાં આવેલ હતી. જે પૈકી સુમુલ ડેરી સુરત સંઘના ચલથાણ ખાતેના ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટ બધા માપદંડો માં અગ્રેસર રહયો હતો. જે માટે સુમુલ ડેરી –  ટેક હોમ રાશન પ્લાન્ટને પ્રથમ પુરસ્કાર મળવા જઈ રહેલ છે. આ એવોર્ડ સુરત અને તાપી જીલ્લાના દૂધ ઉત્પાદકોને સમર્પિત કરવામાં આવશે. સુમુલ ડેરીએ સમગ્ર ભારત વર્ષમાં ફ્રૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે નામ રોશન કરેલ છે .

ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ ભારત સરકાર સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા નાના બાળકો, કિશોરીઓ, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓને  રેડી ટુ કુક  ટેક હોમ રાશન ખોરાક પૂરો પાડે છે.  આ પ્રોડક્ટના ઉત્પાદન માટે અનુક્રમે કૈરા, બનાસકાંઠા અને સુરત દૂધ સંઘમાં ત્રણ હાઇટેક પ્લાન્ટ 200 મેટ્રિક ટન/દિવસની ક્ષમતા સાથે સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં ફક્ત અને ફક્ત સુમુલ ડેરી સુરત સંઘના ચલથાણ ખાતેના ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટને એનર્જિ કન્ઝર્વેશન ક્ષેત્રે પ્રથમ વખત “ધ સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઇંડસ્ટ્રીઝ “ દ્વારા આયોજીત “ગોલ્ડન જ્યુબિલી એવાર્ડ ૨૦૨૩ – ૨૪”  માં સકારાત્મક પ્રયાસો થકી પ્રથમ સ્થાને એવોર્ડ મળવા જઈ રહયો છે.

આ એવોર્ડ તા.૧૬.૦૪.૨૦૨૫, બુધવાર ના દિને  પ્લૅટિનમ હોલ,ધ સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઇંડસ્ટ્રીઝ (SGCCI),સરસાના,સુરત ખાતે સુમુલ ડેરીના ચેરમેનશ્રી, વાઈસ ચેરમેનશ્રી, બોર્ડ ડીરેક્ટરશ્રીઓ, મેનેજીંગ ડીરેક્ટરશ્રી તથા યુનિટ હેડ દ્વારા સ્વીકારવામાં આવશે.

ગોલ્ડન જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એવાર્ડ આપવા માટે ઉર્જા બચત – ઇલેક્ટ્રિકલ અને થર્મલ, ચોક્કસ ઉર્જા વપરાશમાં ઘટાડો – ઇલેક્ટ્રિકલ અને થર્મલ, એનર્જી ઓડિટ,૧૦૦% ક્ષમતાનો ઉપયોગ, શ્રેષ્ઠ ગુણવત્તા અને સલામતી નિયંત્રણો, ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી, સાયન્ટિફિક ઇનોવેશન અને સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજીનો અમલ જેવા માપદંડનો સમાવેશ થયેલ છે.

સુમુલ ડેરી તથા તેમના અલગ-અલગ યુનિટ ને રાષ્ટ્રીય (ભારત સરકાર) તથા વિવિધ સંસ્થાઓં  દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં અલગ-અલગ કેટેગરીમાં કુલ ૧૩ એવોર્ડ મળેલ છે જેની યાદી આ પ્રમાણે છે.

  • (૧) નેશનલ એનર્જી કન્ઝર્વેસન એવોર્ડ – ૨૦૨૪, ચલથાણ ખાતેના ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટને, પ્રથમ પુરષ્કાર
  • (૨ ) નેશનલ એનર્જી કન્ઝર્વેસન એવોર્ડ – ૨૦૨૩, નવી પારડી, પ્રથમ પુરષ્કાર
  • (૩) નેશનલ એનર્જી કન્ઝર્વેસન એવોર્ડ – ૨૦૨૩, સુમુલ ડેરી સુરત, ત્રીતીય પુરષ્કાર  
  • (૪) આઈ.ડી.એ. દ્વારા આયોજીત બેસ્ટ ડેરી પ્લાન્ટ એવોર્ડ, નવી પારડી, પ્રથમ પુરષ્કાર
  • (૫) નેશનલ એનર્જી કન્ઝર્વેસન એવોર્ડ – ૨૦૨૧,સુમુલ દાણ ફેક્ટરી બાજીપુરા, પ્રથમ પુરષ્કાર
  • (૬) ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) ૨૦૧૯-૨૦, કલર ટેક્ષ ઉર્જા બચત એવોર્ડ, સુમુલ ડેરી સુરત, પ્રથમ પુરષ્કાર
  • (૭) ગોલ્ડન જ્યુબિલી મેમોરીયલ ટ્રસ્ટ ૨૦૨૦-૨૧, પર્યાવરણ સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ એવોર્ડ, સુમુલ ડેરી સુરત, પ્રથમ પુરષ્કાર
  • (૮) મિલેટ ઈયર – ૨૦૨૩ (FSSI) એવોર્ડ
  • (૯) આઈ.ડી.એ. દ્વારા આયોજીત શ્રેષ્ઠ પ્રોસેસિંગ ટેકનોલોજીનો સ્વીકાર કરી 2 થી 5 લાખ લિટર પ્રતિ દિવસની પ્રોસેસિંગ ક્ષમતા કેટેગરીમાં નવી પારડી, પ્રથમ પુરષ્કાર – ૨૦૨૪
  • (૧૦) વૃક્ષારોપણ કાર્યક્રમમાં ફેડરેશન સાથે સંકળાયેલ તમામ ડેરી પૈકી સુમુલ ડેરીએ છેલ્લા ચાર વર્ષમાં ૪૦ લાખથી વધુ વૃક્ષો વાવી ચાર એવોર્ડ મેળવેલ છે.
April 10, 2025
anabh-gems.png
1min236

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા જેમ્સ નામના કારખાનામાં આ સમગ્ર ઘટના બની છે. અહીં કારખાનામાં કામ કરતા 118 રત્નકલાકારોની તબિયત અચાનક લથડી જવાથી તેમને સત્વરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જો હોસ્પિટલમાં સારવાર આપ્યાં બાદ તમામની હાલત અત્યારે સારી હોવાથી પરિવારજનો રાહતનો શ્વાસ લીધો છે. જો કે, બે લોકોની હાલત અત્યારે ગંભીર હોવાથી તેમને આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે

કોણ આ રત્નકલાકારને મારવા માટે પ્લાનિંગ કરી રહ્યું છે?
સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, અહીં આવેલા પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં અસમાજિક તત્વએ સેલ્ફોસ નામની દાવાની પડીકી નાખી દીધી હતી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આખરે કોણે આ સેલ્ફોસની દવા નાખી? કોણ આ રત્નકલાકારને મારવા માટે પ્લાનિંગ કરી રહ્યું છે, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી દીધી છે. ઘટના સ્થળ પર અને તેની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવાથી આરોપીઓની ભાળ મળી શકે! જો કે, આ તમામ બાબતે પોલીસે તપાસ કરવાની છે.

પાણીની ટાંકીમાં અસમાજિક તત્વએ સેલ્ફોસની દવા અંદર નાખી
આ કેસમાં પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, કપોદ્રામાં મિનેનિયમ કોમ્પલેક્સમાં આવેલી અનોપ જેમ્સ નામની કંપનીમાં સવારે એક ઘટના બની જેમાં પાણીની ટાંકીમાં કોઇ અસમાજિક તત્વએ સેલ્ફોસની દવા અંદર નાખી દીધી હતી. આ મામલે કારીગરોએ માલિકને જાણ કરી હતી ત્યારે તેમણે તાત્કાલિક સાવચેતીના ભાગ રૂપે તમામને હોસ્પિટલ મોકલ્યા હતા. આ મામલે કોઇ જાનહાનિ થઈ નથી’. ઘટનાની તપાસ કરવા માટે પોલીસે ફોરેન્સિકની ટીમ બોલાવી છે અને સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહ્યા છીએ. આરોપી સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.

April 6, 2025
cia_multi-1280x1045.jpg
1min556

કનૈયાભાઇ કોન્ટ્રાક્ટરના સાનિધ્યમાં સ્ટેડીયમ પેનલના વર્તમાન ઉમેદવારોએ ખભેખભા મિલાવીને પુરુષાર્થ કર્યો ત્યારે સ્ટેડીયમ એક મુકામ પર પહોંચી શક્યું છે

સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની ચૂંટણી આગામી 13મી એપ્રિલે યોજાઇ રહી છે ત્યારે એવો જશ ખાટવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએસન તેમજ લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમનો વિકાસ કોઇ એક વ્યક્તિએ કર્યો છે. સ્ટેડીયમમાં નિયમિત આવી રહેલા મેમ્બર્સએ વાત સારી રીતે જાણે છે કે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમનો છેલ્લા 28 વર્ષથી સ્ટેડીયમનું નેતૃત્વ કરી રહેલા કનૈયાભાઇ કોન્ટ્રાક્ટરના સાનિધ્યમાં સમગ્ર સ્ટેડીયમ પેનલના ઉમેદવારોના પુરુષાર્થ સાથે સ્ટેડીયમમાં જુદી જુદી રમતગમતકીય પ્રવૃતિઓ તેમજ આધુનિક માળખાગત સુવિધાઓનો વિકાસનો વિકાસ શક્ય બન્યો છે. કોઇ એક વ્યક્તિએ જ વિકાસના કામો કર્યા હોવાના દાવાઓ કરીને સમગ્ર સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ કરેલી કામગીરીને ઢાંકવાના પ્રયાસો વિફળ થઇ રહ્યા છે અને વિફળ થશે જ. કેમકે કોઇપણ સંસ્થાનો વિકાસ કોઇ એક વ્યક્તિને આભારી નથી પણ સમગ્ર ટીમને આભારી હોય છે, લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના વિકાસના ખરા હકદારો જો કોઇ હોય તો એ સ્ટેડીયમ પેનલના ઉમેદવારો છે.

સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ એવું ગાઇ વગાડીને કહેવાની જરૂર નથી કે બધું તેમણે કર્યું છે ખુદ મેમ્બરો અને તેમના પરીવારજનો આ સમગ્ર વિકાસયાત્રાના સાક્ષી છે અને તેઓ જ હાલ આગળ આવીને કહી રહ્યા છે કે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં છેલ્લા ત્રણ દાયકા દરમિયાન જે પણ વિકાસના કાર્યો નિયમિત રીતે થયા, સમયાંતરે અપગ્રેડેશન થયું, મેમ્બર્સ અને તેમના પરીવારજનોને કેન્દ્રમાં રાખીને દરેક પ્રવૃતિઓનું આધુનિકરણ તેમજ માળખાગત સુવિધાઓનો વિકાસ થયો એમાં સ્ટેડીયમ પેનલના હાલના દરેકે દરેક ઉમેદવારોનું વિશેષ યોગદાન રહેલું છે અને હજુ ભવિષ્યમાં પણ સુરતનું લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમને સર્વોચ્ચ સ્થાને લઇ જવાનું વિઝન સ્ટેડીયમ પેનલના ઉમેદવારો ધરાવે છે.

લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં વિતેલા વર્ષોમાં ક્રિકેટની સાથે જુદી જુદી ઇન્ડોર, આઉટડોર રમતગમતની પ્રવૃતિઓ, સ્પોર્ટસ માટે જરૂરી વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રેનિંગ, કોચિંગ, પ્રેક્ટીશિંગ તેમજ મેમ્બર્સ અને તેમના પરીવારજનોના આરોગ્યથી લઇને આનંદપ્રમોદ, એન્ટરટેઇન્મેન્ટ સુધીની દરેકે દરેક પ્રવૃતિઓનું સફળતાપૂર્વક આયોજનના ખરા હકદારો જેમણે અત્યાર સુધી લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં ચાવી રૂપ ભૂમિકા ભજવી એવા હાલના સ્ટેડીયમ પેનલના ઉમેદવારો છે.

સ્ટેડીયમ પેનલના ઉમેદવારોનું લિસ્ટ જોવા વાંચવાથી જ ખ્યાલ આવશે કે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં થયેલા વિકાસમાં દરેક ઉમેદવારોનું યોગદાન તન, મન અને ધનથી રહેલું છે.

સ્ટેડીયમ પેનલના ઉમેદવારોની પસંદગી પણ એટલી ચોકસાઇથી કરવામાં આવી છે કે જેમાં જૂના અને અનુભવી પણ છે, નવા ઉમેદવારોને પણ ચાન્સ આપવામાં આવ્યો છે, સાથોસાથ સંસ્થાના વિકાસ માટે વખત આવ્યે જુદા જુદા સ્તરે અસરકારક રજૂઆત કરી શકે, વાચા આપી શકે તેવા સક્ષમ ઉમેદવારોની પસંદગી સ્ટેડીયમ પેનલમાં કરવામાં આવી છે.

March 30, 2025
WhatsApp-Image-2025-03-30-at-21.01.21.jpeg
2min531

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મેનેજિંગ કમિટીની 46 બેઠકો માટે આજે યોજાયેલી ચૂંટણીમાં હઠાગ્રહ સેવીને પેનલ ટુ પેનલ ચૂંટણી લડીને જીતવાના બણગાં ફૂંકનારા નવા નિશાળીયાઓને ધોબી પછાડ મળી હતી. ચેમ્બર ઓફ કોમર્સની સહકાર પેનલના તમામ 46 ઉમેદવારોનો પ્રચંડ વિજય થયો હતો.

રવિવારે મોડીરાત્રે 11.30 કલાકે ચૂંટણીનું અંતિમ પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સહકાર પેનલના તમામ 46 ઉમેદવારોનો જંગી વિજય થયો હતો. નવસર્જન પેનલના એક પણ ઉમેદવાર પોતાની ડિપોઝીટ બચાવી શકે તેટલા પણ મતો મેળવી શક્યા ન હતા. ડિપોઝીટ બચાવવા માટે ઉમેદવારે કુલ વેલિડ વોટના 30 ટકા મત જરૂરી હોય છે, નવસર્જન પેનલના તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ હતી.

ચેમ્બરની મેનેજિંગ કમિટીની ચૂંટણીના લેખાં જોખાં જોઇએ તો સૌરાષ્ટ્રવાસીઓ સૌથી વધુ મતોથી જીત્યા હતા જ્યારે અપરિપક્વ અને ચેમ્બરમાં કશું યોગદાન આપ્યા વગર સત્તા પર કબજો જમાવવાના ઇરાદે ચૂંટણી લડવા નીકળેલા નવા નિશાળીયાઓની મનની મનમાં રહી ગઇ હતી.

– સુરતીઓએ પરીપક્વ સૌરાષ્ટ્રવાસીઓને ખભે બેસાડીને સૌથી વધુ મતોથી વિજય બનાવ્યા જેમાં ઘનશ્યામ નાવડીયાને 3231 મત, હરીભાઇ કથિરીયાને 3219 મત, કાનજી ભાલાળાને 3217 મત, કમલેશ ગજેરાને 3204 મત, મહેશ રામાણીને 3204 મત, જગદીશ વઘાસીયાને 3191 મત, વિજય રાદડીયાને 3173 મત, જયંતિ ઠુમ્મરને 3171 મત, વિજય માંગુકીયાને 3166 મત,સુનિલ કાકડીયાને 3156 મત, પ્રવીણ દોંગાને 3144 મત આપીને ટોપ-15માં જીતાડ્યા હતા.

નવસર્જન પેનલમાં મનિષ કાપડીયા અને ગણપત ધામેલિયાની એન્ટ્રી થયા પછી સ્થિતિ બગડી હતી. ચૂંટણીના બે દિવસ અગાઉ સુધી નવસર્જન પેનલના ઉમેદવારો પોતાની રીતે સારું ગ્રાઉન્ડ કવર કરી શક્યા હતા પરંતુ, બે દિવસ અગાઉ મનિષ કાપડીયાએ નવસર્જન પેનલના કાર્યાલયમાં એન્ટ્રી લીધા પછી નવસર્જન પેનલની દશા બેઠી હતી. વાતાવરણ એવું ફેરવાયું કે કુલ મતદાનના 30 ટકા મતો પણ નવસર્જન પેનલના ઉમેવદવારો મેળવી શક્યા ન હતા.

વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીના પ્રબળ દાવેદાર અને ગયા વર્ષે વીપીનું ઇલેક્શન ખરાબ રીતે હારી ચૂકેલા મનિષ કાપડીયાએ સહકાર પેનલ સાથે મુખ મે રામ બગલ મે છુરી જેવો વ્યવહાર કર્યો હતો. મનિષ કાપડીયા એવું જાહેરમાં કહેતા ફરતા હતા કે નવસર્જન પેનલ પાછળ તેમનો કોઇ હાથ નથી પરંતુ જ્યારે બીજી તરફ મતદાનના દિવસે ક્રોસ વોટીંગ કરાવવા માટે મનિષ કાપડીયા નવસર્જન પેનલ અને સહકાર પેનલના ઉમેદવારોની મિક્સ ચિઠ્ઠી મતદારોને આપતા કેમેરામાં કેદ થઇ ગયા હતા. નવસર્જન પેનલના ઉમેદવારો અને સમર્થકો તોફાન મચાવે તેવા અનેક પ્રયાસો મનિષ કાપડીયાએ કરી જોયા હતા પરંતુ, એવું થઇ શક્યું ન હતું.

નવસર્જનના કેટલાક ઉમેદવારો એટલા છાકટા થઇ ગયા હતા કે ચૂંટણી અધિકારીઓને પણ થાય તે કરી લેજો એવા શબ્દ પ્રયોગ કરીને આચારસંહિતાનો છડેચોક ભંગ કરતા જોવા મળ્યા હતા.

સૌરાષ્ટ્રવાસી મતદારોનું પરીપક્વ મતદાન

આજની ચૂંટણીમાં સૌરાષ્ટ્રવાસી મતદારોએ પરીપક્વ મતદાન કર્યું હતું. પીઢ, સિનિયર અને પરીપક્વ સૌરાષ્ટ્રવાસી ઉમેદવારોને ખોબલે ખોબલે મત આપ્યા હતા. બાકીના મતો સુરતીઓ ઉમેદવારોને આપ્યા હતા. ચેમ્બરના વહીવટમાં એન્ટ્રી કરવા પહેલા ઉપદ્રવ કરતા જોવા મળેલા ઉમેદવારોને બહારનો રસ્તો દેખાડી દીધો હતો. ચેેમ્બરમાં સૌરાષ્ટ્રવાસીઓનું પ્રતિનિધિત્વ પણ અકબંધ રહ્યું હતું અને ઉપદ્રવી ઉમેદવારો પોતાની ડિપોઝીટ જાળવી શકે તેટલા પણ મત મેળવી શક્યા ન હતા.

સુરતી મતદારોએ પણ જોરદાર અને આક્રમક મતદાન કર્યું હતું. દરેક ચૂંટણીમાં સુરતી અને સૌરાષ્ટ્રવાસીનો માહોલ ઉભો કરીને વર્ગવિગ્રહ સુધી મામલો પહોંચાડી દેનારા કેટલાક તત્વોને આ વખતે સૌરાષ્ટ્રવાસી પરીપક્વ ઉદ્યોગપતિઓ અને આગેવાનોએ ઓળખી લીધા છે, હવે ચેમ્બરની ચૂંટણીમાં ક્યારેય સૌરાષ્ટ્રવાસી અને સુરતીઓનો જંગ જોવા નહીં મળે. સુરતના મતદારોએ આજે જોરદાર મતદાન કરીને સૌરાષ્ટ્રવાસીઓને તો ટોપ પોઝિશન પર જીતાડ્યા પરંતુ, સુરતી મતદારને જીત એટલી શાનદાર અપાવી કે નવસર્જનના ઉપદ્રવી ઉમેદવારો બીજી વખત સુરતી વર્સિસ સૌરાષ્ટ્રવાસી વચ્ચે ભેદ પાડીને ચૂંટણી જીતવાનું નામ નહીં લે.

નાના મોટા અનેક છમકલાં અને વિવાદો સર્જાય હતા. ચૂંટણીના મતદાનના આરંભે જ બબાલ થતાં મતદાન અડધો કલાક વિલંબથી શરૂ થયું હતું. મતદાન દરમિયાન નવસર્જન પેનલના ઉમેદવારો અને તેમના સમર્થકોએ બિનજરૂરી મુદ્દાઓ ઉભા કરીને ભારે દેકારો મચાવ્યો હતો, જોકે મતદાન ખોરવવાની તેમની હરકતો પરીણામ વિહીન નિવડી હતી.

સાંજે 5.30ના ટકોરે જ્યારે મતદાન સંપન્ન કરવામાં આવ્યું ત્યારે લાઇફ કેટેગરીમાં કૂલ 12,158 પૈકી 3590 મતદારોએ મતદાન કરતા કૂલ મતદાન 29.52 ટકા નોંધાયું હતું. મતદાન બાદ શરૂ થયેલી મતગણતરીના પ્રથમ તબક્કામાં જ સહકાર પેનલના ઢગલાબંધ મતો નીકળવા માંડ્યા હતા. આ લખાય રહ્યું છે ત્યારે સહકાર પેનલના ઉમેદવારોએ અડધોઅડધ સીટો હાંસલ કરી લીધી હતી.

સધર્ન ગુજરાત ચેમ્બરની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં આ વખતે પહેલીવાર પેનલ ટુ પેનલ ચૂંટણી યોજાઇ હતી. સહકાર પેનલ કે જે સત્તાધારી પક્ષની પેનલ હોઇ, તેમાં પૂરેપૂરા 46 મતદારો હતા જ્યારે તેની સામે સૌરાષ્ટ્રવાસી યુવા મેમ્બરોએ 26 ઉમેદવારોની પેનલ ઉતારી હતી. તેમની પાસે પૂરા 46 ઉમેદવારો ન હોઇ, સહકાર પેનલના કેટલાક ઉમેદવારો માટે પણ નવસર્જન પેનલના ઉમેદવારોએ મત માગવા પડ્યા હતા. વહેલી સવારે જ્યારે મતદાન શરૂ થયું ત્યારે આ મુદ્દે વિવાદ સર્જાયો હતો અને પાંચ પૂર્વ પ્રમુખોના બનેલા ચૂંટણી પંચે નવસર્જન પેનલના 7 ઉમેદવારોને ચૂંટણી આચારસંહિતાના ભંગના કસૂરવાર ગણાવીને ચૂંટણી પ્રક્રિયાથી દૂર કરવાના આદેશ કર્યા હતા. એ પછી પણ નવસર્જન પેનલના ઉમેદવારો અને તેમના સમર્થકોએ ચૂંટણીનું મતદાન ખોરવવાના આશયથી ચેમ્બર પરીસરમાં ભારો હોહા અને સૂત્રોચ્ચાર કરીને માહોલ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો જોકે, પોલિસે લાલ આંખ કરતા બાદમાં ચૂપચાપ બેસી રહેવું પડ્યું હતું.

નવની જગ્યાએ સાડા નવ વાગ્યે શરૂ થયેલા મતદાનના પહેલા બે કલાકમાં જોરદાર વોટીંગ શરૂ થયું હતું અને પ્રથમ બે કલાકમાં જ 1600થી વધુ મતદારો મતદાન કરવા માટે પહોંચી ગયા હતા. સરસાણા સ્થિત પ્લેટિનમ હોલમાં એક તરફ મતદાન યોજાઇ રહ્યું હતું અને બીજી તરફ પ્લેટીનમ હોલની બહાર બે છાવણીઓમાં સહકાર પેનલ અને નવસર્જન પેનલના સમર્થકો વચ્ચે ગરમાગરમીના દ્રશ્યો જોવા મળ્યા હતા.પહેલા બે કલાક દરમિયાન તો મતદાન કરવા માટે કતારો લાગી ગઇ હતી. બપોરે બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી મતદાન સાવ મંદ પડી ગયું હતું.

એકલ દોકલ મતદારો મતદાન કરવા આવતા હતા. મતદાન મથકમાં મતદારોની સંખ્યા કરતા ઉમેદવારોની સખ્યા વધુ જણાતી હતી. આજે રાજસ્થાન સ્થાપના દિવસ, ચેટીચંડ, રમજાન ઇદ પૂર્વેનો અંતિમ દિવસ તેમજ સેન્ટ્રલ બોર્ડની સ્કુલનું નવું સત્ર શરૂ થવા પૂર્વેનો અંતિમ દિવસ હોઇ, તેની અસર ચેમ્બરની ચૂંટણીના મતદાન પર જોવા મળી હતી. ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની ચૂંટણી કરાવવાની સમગ્ર પ્રક્રિયા સુરત પીપલ્સ બેંકના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

March 30, 2025
WhatsApp-Image-2025-03-30-at-10.31.37.jpeg
1min307

રત્નકલાકારોનું આંદોલન હવે ઉદ્યોગપતિઓ,મોટી ફેક્ટરીઓના માલિકો વિરુદ્ધમાં

ગોવિંદ ધોળકિયા, વીએસ પટેલ, લાલજીભાઇ જેવા ઉદ્યોગપતિઓ પર રત્નકલાકારોની મજૂરી વધારવાનું દબાણ

આજે તા.30મી માર્ચ 2025ને રવિવારથી સુરતના હીરા ઉદ્યોગમાં બે દિવસની હડતાળનું એલાન ડાયમંડ વર્કર યુનિયન, ગુજરાતના આગેવાનોએ જાહેર કર્યું હતું. જ્યારે આ હડતાળનું એલાન આપવામાં આવ્યું ત્યારે ડાયમંડ વર્કર યુનયિન, ગુજરાતના આગેવાનોએ હડતાળ અને રેલી સરકારની વિરુદ્ધમાં હોવાની જાહેરાતો કરી હતી. પરંતુ, ગઇકાલ શનિવારથી રાજ્ય સરકાર અને પોલિસે એવી ભીંસ વધારી કે ડાયમંડ વર્કર યુનિયને આંદોલનની દિશા બદલવાની ફરજ પડી અને ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંક તથા અન્ય આગેવાનોએ વારંવાર એવી જાહેરાત કરવી પડી કે રત્નકલાકારોની હડતાળ કે રેલી સરકારની વિરુદ્ધમાં નથી. પોલિસ અધિકારીઓને પણ ભાઇબાપા કરવા પડ્યા કે રેલી શાંતિપૂર્ણ રીતે કાઢીશું અને સરકાર સામે એક હરફ પણ ઉચ્ચારીશું નહીં. રેલીમાં કોઇ સાઉન્ડ સિસ્ટમ વગાડવી નહીં વગેરે સૂચના આપવામાં આવી અને એ પછી જ આજે રવિવારે સવારે કતારગામ દરવાજાથી રેલી કાઢવા માટે પોલિસે સંમતિ આપી હતી. રેલી શરૂ થઇ ત્યારે અંદાજે 150 જેટલા રત્નકલાકારો જણાતા હતા. તેમના કરતા પોલિસ અને મિડીયા પર્સન્સની હાજરી વધુ જણાતી હતી.

સુરતના હીરા ઉદ્યોગમાં આકાર લઇ રહેલું રત્નકલાકારોનું આંદોલન કહો કે હડતાળ, હવે તેનો હેતુ બદલાઇ ચૂક્યો અને ડાયમંડ વર્કર યુનિયન, ગુજરાતના નેતાઓ કે જેઓ ગયા શુક્રવાર સુધી એવું કહેતા હતા કે રાજ્ય સરકાર નિષ્ક્રીય રહી છે, રત્નકલાકારો માટે અનેક વખત રજૂઆત કરવા છતાં રાજ્ય સરકારે કોઇ પગલાં લીધા ન હોઇ, હડતાળ અને રેલી સરકારની નિષ્ક્રીયતા સામે કાઢવામા આવશે. પરંતુ, જે રીતે રાજ્ય સરકાર અને પોલીસે ભીંસ વધારી એ જોતા ડાયમંડ વર્કર યુનિયન, ગુજરાત દ્વારા પવન જોઇને શઢ ફેરવી લેતા હોય એમ હવે હડતાળ કે રેલી સરકારની વિરુદ્ધમાં નથી પરંતુ, રત્નકલાકારોના ઓછા થઇ ગયેલા મહેનતાણા વધારવા માટે છે.

સીધો અર્થ એ થાય છે કે હવે રત્નકલાકારોની હડતાળ કે આંદોલનનો રૂખ હીરાના દિગ્ગજ ઉદ્યોગપતિઓ કે જેના હાથમાં સમગ્ર હીરા ઉદ્યોગનું રિમોટ કન્ટ્રોલ છે તેમની સામે થઇ ગયો છે. સુરતના સૌથી મોટા હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા, ડાયમંડ બુર્સના પ્રવક્તા લાલજી પટેલ, કિરણ જેમ્સના વી.એસ. પટેલ વગેરે જેવા દિગ્ગજો પર હવે પ્રેશર આવશે કે તેમણે રત્નકલાકારોના પગાર, મહેનતાણા વધારવા માટે પ્રયાસ કરવા પડશે.

March 9, 2025
mahendra-chauhan-1280x850.jpeg
1min1035

}} ફીટલ MRI દ્વારા ગર્ભસ્થ શિશુ અને સગર્ભા માતા બંનેમાં સંભવિત સ્વાસ્થ્ય સમસ્યાઓનું વહેલું નિદાન શક્ય બન્યું છે:
}} શારીરિક ખોડખાંપણનું વહેલું નિદાન કરવું જરૂરી, જેથી તેની સારવાર કરી શકાય અને સ્વસ્થ બાળકનો જન્મ સંભવ બને

:- વિખ્યાત રેડિયોલોજીસ્ટ અને ફીટલ મેડિસીનના તજજ્ઞ ડો. બી.એસ. રામામૂર્તિ

તંદુરસ્ત બાળક જન્મે અને સિવિલ હોસ્પિટલમાં વિશ્વકક્ષાની સારવાર વિનામૂલ્ય મળે એ અમારો મુખ્ય ઉદ્દેશ: ડો.બિનોદીની ચૌહાણ

માહિતી બ્યુરો,સુરત:રવિવાર: ગર્ભસ્થ શિશુમાં મગજ, આંતરડા, મંદબુદ્ધિ ઈન્ફેક્શન, રંગસૂત્રોની ખામી, શારીરિક ખોડખાંપણનું વહેલું નિદાન થઈ શકે એ માટે ફીટલ મેડિસીનની અગત્યતા સંદર્ભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કર્ણાટકના બેંગ્લોરના વિખ્યાત રેડિયોલોજીસ્ટ અને ફીટલ મેડિસીનના તજજ્ઞ ડો. બી.એસ. રામામૂર્તિની ઉપસ્થિતમાં ‘માસ્ટર ક્લાસ ઓન ફીટલ અલ્ટ્રા સાઉન્ડ’ વિષયક કોન્ફરન્સ યોજાઈ હતી.

નવી સિવિલના ફીટલ મેડિસીન વિભાગ અને રેડિયોલોજી વિભાગના ઉપક્રમે નવી સિવિલ સ્થિત સરકારી મેડિકલ કોલેજના સુશ્રુત ઓડિટોરિયમ ખાતે આયોજિત આ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફીટલ મેડિસીન તજજ્ઞ ડો. બી.એસ. રામામૂર્તિએ જણાવ્યું હતું કે, ફીટલ મેડિસીન અંતર્ગત ગર્ભાવસ્થા પહેલા, ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા માતા અને ગર્ભના સ્વાસ્થ્ય સંબંધિત કાળજી રાખવામાં આવે છે. સગર્ભાવસ્થા દરમિયાન સૌથી મહત્વપૂર્ણ છે ગર્ભસ્થ શિશુમાં મગજ, આંતરડા, મંદબુદ્ધિ ઈન્ફેક્શન, રંગસૂત્રોની ખામી, શારીરિક ખોડખાંપણનું વહેલું નિદાન કરવું, જેથી તેની સારવાર કરી શકાય અને સ્વસ્થ બાળકનો જન્મ સંભવ બને.

તેમણે કહ્યું કે, ફીટલ મેડિસીનમાં ફીટલ MRI દ્વારા અલ્ટ્રાસાઉન્ડ સ્કેન સહિત ડાયગ્નોસ્ટિક પ્રોસેસ થકી ઉપરોક્ત તમામ સમસ્યાઓનું સચોટ અર્લી ડિટેક્શન (આગોતરી જાણ) થઈ શકે છે. ફીટલ MRI દ્વારા ગર્ભસ્થ શિશુ અને સગર્ભા માતા બંનેમાં સંભવિત સ્વાસ્થ્ય સમસ્યાઓનું વહેલું નિદાન શક્ય બન્યું છે.

ડો.રામામૂર્તિએ જણાવ્યું કે, આંતરડાની ખોડખાંપણ સોનોગ્રાફીમાં ડાયગ્નોસ કરવી અઘરી છે. જેનું ફીટલ MRIમાં સચોટ નિદાન થઈ શકે છે. અલ્ટ્રાફાસ્ટ ફેટલ MRI માં “સ્નેપશોટ” તકનીકનો ઉપયોગ કરીને હાઈ રિઝોલ્યુશન ઈમેજ ઝડપથી કેપ્ચર કરવામાં આવે છે.

ડો.રામામૂર્તિએ ફીટલ MRI લાઈવ સ્કેન કરીને ઉપસ્થિત રેડિયોલોજીસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, ફીટલ મેડિસીનના પોસ્ટ ગ્રેજ્યુએટસ અને ફેલોશિપ કરતા વિદ્યાર્થીઓ, અન્ય તબીબોને ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું.

ડો.બિનોદીની મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગર્ભસ્થ શિશુને કોઈ આંતરિક સમસ્યા સર્જાય તો વહેલું નિદાન થવાથી યોગ્ય સારવાર શક્ય બનતી હોય છે. જે માટે ફીટલ MRI આશીર્વાદરૂપ બને છે. એડવાન્સ ટેકનોલોજીના જમાનામાં તંદુરસ્ત બાળક જન્મે અને નવી સિવિલ હોસ્પિટલમાં વિશ્વકક્ષાની સારવાર વિના મૂલ્ય મળે એ અમારો મુખ્ય ઉદ્દેશ છે.
આ કોન્ફરન્સમાં નવી સિવિલના રેડિયોલોજી વિભાગના વડા ડો. પૂર્વી દેસાઈ, ડો.રાગિણી વર્મા, ડો.પ્રફુલ જોશી, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા સહિત ૨૦૦ જેટલા રેડિયોલોજીસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, અન્ય તબીબો, પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

February 20, 2025
WhatsApp-Image-2025-02-19-at-18.04.52-1280x853.jpeg
1min211

SGCCI દ્વારા તા. ર૧થી ર૩ ફેબુ્રઆરી દરમ્યાન SIECC સરસાણા ખાતે ‘ઉદ્યોગ–ર૦રપ’ પ્રદર્શનનું ભવ્ય આયોજન

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા. ર૧, રર અને ર૩ ફેબ્રુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘ઉદ્યોગ– ર૦રપ’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૮પ વર્ષથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વ્યાપાર – ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વર્ષોથી વિવિધ પ્રદર્શનોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. ચેમ્બરના ફલેગશીપ એવા ઉદ્યોગ પ્રદર્શનનું દર બીજા વર્ષે આયોજન થાય છે, જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા આ વર્ષે ઉદ્યોગ પ્રદર્શનની ૧પમી આવૃત્તિ તરીકે ‘ઉદ્યોગ– ર૦રપ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ઉદ્યોગ પ્રદર્શનમાં સુરત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, અંકલેશ્વર, જામનગર, વાપી, વલસાડ, દાદરા નગર હવેલી, મુંબઇ, ઠાણે, નવી દિલ્હી, નોઇડા, જાલંધર (પંજાબ), હિમાચલ પ્રદેશ, ઉદયપુર અને તામિલનાડુના કુલ ૧૭પથી વધુ એકઝીબીટર્સ દ્વારા પાર્ટીસિપેટ કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનમાં સોલાર એનર્જી, સોલાર પેનલ, એન્સીલરી, ઇન્વર્ટર, વોટર ટ્રિટમેન્ટ, ઇલેકટ્રીકલ તથા ઇન્ડસ્ટ્રી માટે જરૂરી દરેક પ્રકારના વેન્ટીલેશન સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.

આ ઉપરાંત ટેક્ષ્ટાઈલ એન્સીલરી, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટ, એન્જીનિયરીંગ સેગ્મેન્ટ, એન્વાયરમેન્ટ સેગમેન્ટ, સર્વિસ સેગમેન્ટ, અલ્ટર્નેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ, કન્ટ્રી, સ્ટેટ, ગર્વમેન્ટ પીએસયુ એન્ડ કોર્પોરેટ પેવેલિયન અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરીટીના ઉત્પાદકો દ્વારા પ્રોડકટ્‌સ અને સર્વિસિસ પ્રદર્શિત કરાશે.

ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રથમ વખત ઉદ્યોગ પ્રદર્શનમાં મુક–બધીર અને દિવ્યાંગો માટે અલગથી પેવેલિયન ફાળવવામાં આવશે. દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવતી અગરબત્તી તથા અન્ય પ્રોડકટનું તેઓ પ્રદર્શન કરી શકે તે માટે તેઓને પ્લેટફોર્મ પૂરુ પાડવામાં આવશે.

‘ઉદ્યોગ–ર૦રપ’ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવાર, તા. ર૧ ફેબ્રુઆરી ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં બારડોલીના માનનીય સાંસદ શ્રી પરભુભાઇ વસાવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે અને તેમના વરદ્‌ હસ્તે ઉદ્યોગ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે કેપી એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેકટર ડો. ફારૂક પટેલ, જૈનમ બ્રોકીંગ લિમિટેડના ચેરમેન શ્રી મિલન પરીખ અને કાકરાપાર સ્થિત ઓટોમિક પાવર સ્ટેશન દ.હયીના સ્ટેશન ડિરેકટર શ્રી યશ લાલા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

ઉદ્યોગ એકઝીબીશનમાં ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટમાં ઓટોમેશન એન્ડ રોબોટિકસ, એસી એન્ડ ડીસી ડ્રાઇવ્સ, કેબલ્સ, સ્વીચ ગિયર્સ, ઇન્વર્ટર, યુપીએસ અને બેટરી વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે. એન્જીનિયરીંગ એન્ડ અલાઇડ સેગમેન્ટમાં મશીન ટૂલ્સ, ગિયર્સ એન્ડ મોટર્સ, ટેક્ષ્ટાઇલ એન્સીલરી, કોમ્પ્રેશર, પમ્પ્સ એન્ડ વાલ્વ, કટીંગ ટૂલ્સ, મશીન ટૂલ્સ એસેસરીઝ, એકસકલુઝીવ લેસર એન્ડ એડીટીવ મેન્યુફેકચરીંગ, વેલ્ડીંગ ઇકવીપમેન્ટ એન્ડ કોન્સુમેબલ્સ, પાવર ટૂલ્સ એન્ડ ફાસ્ટનર, ઇન્ડસ્ટ્રીયલ હાર્ડવેર મટિરિયલ હેન્ડલીંગ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ્‌સ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરિટી, હેઝાર્ડ વેસ્ટ મેનેજમેન્ટ અને એર પોલ્યુશન કન્ટ્રોલ સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.

જ્યારે સર્વિસ સેગમેન્ટમાં બેન્કીંગ, ફાયનાન્સ એન્ડ ઇન્સ્યુરન્સ, ટૂરીઝમ, લોજિસ્ટીક એન્ડ વેર હાઉસિંગ અને આઇટી સર્વિસિસનું પ્રદર્શન કરવામાં આવશે. જ્યારે રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં સોલાર એનર્જી, વીન્ડ એનર્જી, બાયો–એનર્જી, હાઇડ્રો એનર્જી, જનરેટર્સ, ટ્રાન્સફોર્મર્સ, ઇલેકટ્રો કેમિકલ વિગેરે દરેક ઇન્ડસ્ટ્રી સબંધિત એનર્જી સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.

ચેમ્બરને ઉદ્યોગ પ્રદર્શનમાં પ્લેટિનમ સ્પોન્સર તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો, ગોલ્ડ સ્પોન્સર તરીકે કેપી ગૃપનો તથા એસોસીએટ સ્પોન્સર તરીકે ન્યુકિલયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, ઇન્ડેક્ષ્ટબી અને જૈનમ બ્રોકિંગ લિમિટેડનો સહકાર પ્રાપ્ત થયો છે.

આ પત્રકાર પરિષદમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલા ઉપરાંત ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, તત્કાલિન નિવૃત્ત પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલા તથા ઉદ્યોગ એકઝીબીશનના ચેરમેન શ્રી ભાવેશ ટેલર અને કો–ચેરમેન શ્રી સંજય ગજીવાલા ઉપસ્થિત રહયા હતા.

ઉદ્યોગ એકઝીબીશન માટે રજિસ્ટ્રેશન વિના મૂલ્યે રાખવામાં આવ્યું છે. ‘ઉદ્યોગ પ્રદર્શન’ જાહેર જનતા માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૭:૦૦ કલાક સુધી ખૂલ્લું રહેશે.