સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા એપાર્ટમેન્ટમાં ચાલતા એક ડ્રોઈંગ ક્લાસમાં એકાએક લાગેલી ભયાનક આગમાં 21 વિદ્યાર્થીઓનાં મોત થઈ ગયા જ્યારે 19 જેટલા લોકો ઘાયલ થયા છે. સુરતની આ હૃદયદાવક ઘટનામાં એવી ચોંકાવનારી વાત જાણવા મળી રહી છે કે, ફાયર બ્રિગેડની ગંભીર બેદરકારીને કારણે આગમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને અન્યોને બચાવવામાં મોડું થયું અને મૃતકોનો આંકડો વધી ગયો. દરમિયાનમાં ડ્રોંઈગ ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણી અને બિલ્ડર હરસુખ વેકરિયા સામે સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. FSLની ટીમ ઘટનાની તપાસ કરશે અને તેમના રિપોર્ટના આધારે જવાબદારો સામે પણ પગલાં લેવામાં આવશે તેવી પણ માહિતી મળવા પામી છે.

કેટલાક ટીવી રિપોર્ટ મુજબ, ક્લાસીસમાં આગ લાગ્યાની જાણ કરાયા બાદ ફાયર બ્રિગેડ અડધો કલાક જેટલી મોડી આવી હતી અને એટલું જ નહીં, આગ બૂઝાવવાની કામગીરી દરમિયાન પાણી પણ ખૂટી ગયું હતું. જેના કારણે બચાવ કામગીરીમાં મોડું થયું હતું. ઘટનાની ગંભીરતાને જોતાં બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. તેમ છતાં ફાયર બ્રિગેડ દ્વારા પહોંચવામાં મોડું કરાતા અને તે પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો લઈને ન આવી હોવાથી બચાવ કામગીરીમાં મોડું થયું હતું અને જેના કારણે મૃત્યુઆંક વધી ગયો હતો તેવો લોકોનો આક્ષેપ છે.
જાણવા મળ્યા મુજબ, એસી ડક્ટ્સ અને કોમ્પ્રેસરમાં આગ લાગી હતી, જે ધીમે-ધીમે આખા ફ્લોરમાં ફેલાઈ ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે, બાળકો ક્લાસમાંથી બહાર નીકળી દાદર તરફ પણ જઈ શકે તેમ નહતા. એટલે, કેટલાક વિદ્યાર્થીઓએ જીવ બચાવવા ત્રીજા માળે આવેલા ક્લાસિસની બારીમાંથી નીચે કૂદકો મારી દીધો હતો. જેમાં બે બાળકોનો મોત થઈ ગયા હતા.
ઘટનાની ગંભીરતા એ વાતથી જ સમજી શકાય છે કે, આગથી બચવા 9 જેટલા વિદ્યાર્થીઓએ ત્રીજા માળેથી કૂદકો મારી દીધો હતો. ફાયર બ્રિગેડના આઠ ટેન્કરો આગ બૂઝાવવા પહોંચ્યા હતા. ઘટના સ્થળે એમ્બુલન્સોનો પણ ખડકલો કરી દેવાયો હતો. જણાવાયા મુજબ, જ્યાં આગ લાગી ત્યાં રમત-ગમતના સાધનો અને ટાયરો પણ હતા, જેના કારણે વધુ ધૂમાડો પ્રસર્યો હતો.
દરમિયાનમાં આ ક્લાસિસમાં જેમના બાળકો હતા તે વાલીઓ પણ ઘટનાની જાણ થતાં ત્યાં દોડી આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.






















