હીરા-ઝવેરાતની નિકાસ આખા દેશની ભલે ઘટી હોય, સૂરતની ડબલ થઇ છે : GJEPC ચેરમેન
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત કરવામાં આવેલા હીરાઝવેરાત ધંધાર્થીઓ માટેના સ્પાર્કલ બિઝનેસ ટુ બિઝનેસ એક્ઝિબિશનનો આજે તા.13 ડિસેમ્બર 2019ના રોજ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સેન્ટ્રલ કાઉન્સિલ ચેરમેન શ્રી પ્રમોદ અગરવાલના હસ્તે આરંભ થયો હતો અને ત્યાર પછી દિવસ આથમ્યો ત્યાં સુધીનો સ્પાર્કલનો પહેલો દિવસ પ્રદર્શનકર્તાઓ માટે ફળદાયી નિવડ્યો હોવાના રિપોર્ટસ મળ્યા છે.

ગ્રીન થીમ, યુનિક સ્ટોલ ડિઝાઇન અને સિક્યુરિટીના ત્રિવેણી સંગમ સમા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે શહેરના સરસાણા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત સ્પાર્કલ પ્રદર્શન આમ તો સામાન્ય લોકો માટે નથી, બિઝનેસ ટુ બિઝનેસ પેટર્ન પર છે આમ છતાં પહેલા દિવસની ફુટપ્રિન્ટ જોતા આયોજકો અને એક્ઝિબિટર્સને સ્પાર્કલ પ્રદર્શનથી લાભ થાય કે ન થાય પણ સમગ્ર હીરા ઝવેરાત ઉદ્યોગને જરૂર થશે.
દરેક એક્ઝિબિટર્સ પાસે ઓફર કરવા માટે નવીન વેરાઇટી ઉપલબ્ધ

આજે સ્પાર્કલના પહેલા દિવસે 125 જેટલા જ્વેલરી મેન્યુફેક્ચરર્સે પોતપોતાના ડિસ્પ્લે ઓર્નામેન્ટસ, સ્પેશ્યાલિટી સાથે તેમના સ્ટોલ ડેકોરેટ કર્યા હતા. વિશેષતા એ જોવા મળી કે દરેક સ્ટોલ પર અલગ અલગ પ્રકારની વેરાઇટી હતી. એવું જૂજ જોવા મળતું કે એક્ઝિબિટર્સના સ્ટોલ પર કોમન ડિઝાઇનના ઝવેરાત મળી આવે. દરેક એક્ઝિબિટર્સ પાસે ઓફર કરવા માટે પોતાની વેરાઇટી અલગ પ્રકારની હતી.
GJEPC દરેક કલ્યાણકારી યોજનાઓ માટે સપોર્ટ આપશે ચેરમેન પ્રમોદ અગરવાલ
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન સેન્ટ્રલ કાઉન્સિલના ચેરમેન શ્રી પ્રમોદ અગરવાલ આજે સ્પાર્કલથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે તેમના વક્તવ્યમાં કહ્યું કે હીરા ઝવેરાત ઉદ્યોગકારોના પ્રશ્નો માટે તેઓ સતત સરકાર સાથે વાટાઘાટ કરીને નિવેડો લાવવા પ્રયત્નશીલ છે અને આ વખતે જેટલા નોટિફિકેશન આવ્યા છે એટલા કદાચ કોઇ સરકારે ઉદ્યોગના હિતમાં જારી કર્યા નહીં હોય. તેમણે કહ્યું કે આખા દેશમાં હીરા ઝવેરાતની નિકાસ એકંદરે ઘટી છે જ્યારે સૂરતની ડબલ થઇ છે. સૂરતના હીરા ઝવેરાત ઉદ્યોગને ક્ષમતાવાળો ઉદ્યોગ ગણાવતા તેમણે કહ્યું કે હીરા ઝવેરાત ઉદ્યોગને સ્પર્શતી કોઇપણ પ્રકારની કલ્યાણકારી યોજના માટે તેઓ હંમેશા સપોર્ટ આપવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે સૂરત એક હીરાનું એવું હબ છે જ્યાં સૌથી નાનામાં નાની સાઇઝના હીરા પણ ડેવલપ થાય છે. સૂરતની આ ક્ષમતા વિશ્નના કોઇ શહેર પાસે નથી. શ્રી પ્રમોદ અગરવાલે સૂરત સ્થિત જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયાના ભારોભાર વખાણ કર્યા હતા. તેમણે દિનેશ નાવડીયાને સતત કર્મશીલ ગણાવ્યા હતા.
બોટ્સવાના રશીયા પછી બીજા નંબરનો હીરા ઉત્પાદન કરતો દેશ, હાથી માટે પણ જાણીતો છે, આવો બોટ્સવાના

આજે સ્પાર્કલના ઉદઘાટન પ્રસંગે ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા સાઉથ આફ્રિકા ખંડના બોટ્સવાના દેશના ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ ડિરેક્ટર જનરલ મેડમ ગેમ્મા બેગાબોલાવેએ કહ્યું કે બોટ્સવાના દેશ રશીયા પછી બીજા નંબરનો હીરા ઉત્પાદન કરતો દેશ છે, બોટ્સવાના અને સૂરત વચ્ચે એક સામ્ય છે. જેમ સૂરત ભારત દેશનું પ્રતિબિંબ ધરાવે છે એમ બોટ્સવાના સમગ્ર આફ્રિકા ખંડનું પ્રતિબિંબ ધરાવે છે. હીરા ઉપરાંત બોટ્સવાના કુદરતી સંપતિઓ અને વિશાળકાય હાથીઓ માટે જાણીતો દેશ છે. તેમણે સૂરતના હીરા ઉદ્યોગપતિઓ અને સૂરતના લોકોને બોટ્સવાનાની મુલાકાત લેવા માટે જણાવ્યું હતું.
બોટ્સવાનાના મેડમ ગેમ્મા બેગાબોલાવેએ કહ્યું કે સૂરતના હીરા ઉદ્યોગ કે બોટ્સવાનામાં હીરા ઉદ્યોગ અંગે કોઇપણ માહિતી, યોજના, પ્રોજેક્ટ, ઇન્વેસ્ટમેન્ટ વગેરે માટે તેઓ મુંબઇ ઉપસ્થિત છે અને નિશંકોચ તેમને મળી શકાય.
ચેમ્બર ઓફ કોમર્સ ઉમરગામથી ભરૂચ સુધીના ઉદ્યોગો માટે સતત સક્રીય : ચેમ્બર પ્રેસિડેન્ટ કેતન દેસાઇ

સ્પાર્કલના ઉદઘાટન પ્રસંગે આમંત્રિતોને આવકાર આપતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી કેતનભાઇ દેસાઇએ કહ્યું કે ચેમ્બર ઓફ કોમર્સના એવા સતત પ્રયાસો છે કે ઉમરગામથી લઇને ભરૂચ સુધીના ધંધોરોજગારનો વિકાસ થાય, તેમના પ્રશ્નોનું નિરાકરણ થાય એ માટે અમે પ્રયાસો કરતા રહીએ છીએ. શ્રી કેતન દેસાઇએ એ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે સ્પાર્કલ પ્રદર્શન હીરા ઝવેરાતના ઉધોગ માટે આશીર્વાદરૂપ નિવડશે. અહીં આવેલા એક્ઝિબિટર્સને વધુને વધુ ફેસેલિટી આપવામાં અમે આનંદ અનુભવીએ છીએ.
દર પંદર દિવસે એક એક્ઝિબિશન હશે : દેવેશ પટેલ
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એક્ઝિબિશન કમિટીના વર્તમાન પ્રમુખ શ્રી દેવેશભાઇ પટેલે કહ્યું કે હવે પછી દર પંદર દિવસે એક એક્ઝિબિશન યોજાય એવા પ્રયાસો કરવામાં આવ્યા છે. એક પછી એક જુદા જુદા ઉદ્યોગોને લગતા પ્રદર્શનથી સૂરત એક બિઝનેસ સિટી તરીકેની પોતાની છાપને વધુ અંકિત કરશે. તેમણે કહ્યું કે આજે ઇકોનોમી સ્લો ડાઉનના સમયમાં ચેમ્બર આયોજિત આ પ્રકારના પ્રદર્શનથી ઉધોગ ધંધાર્થીઓને લાભ થાય છે અને એવા આયોજનો અમે કરતા રહીશું.
સ્પાર્કલના આયોજનમાં કોઇ કચાશ છોડી નથી : જયંતિભાઇ સાવલિયા
સ્પાર્કલ ચેરમેન શ્રી જયંતિભાઇ સાવલિયાએ જણાવ્યું હતું કે સ્પાર્કલ માટે ચેમ્બરની ટીમે દિવસ રાત એક કર્યા છે. સૂરતના જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસીએશનના તેમના સાથીદારોએ પણ ખભેખભા મિલાવીને કામ કર્યું છે. આ વખતે ગ્રીન થીમ ઉપરાંત સેફ્ટી માટે સ્ટોલ્સની ડિઝાઇન પણ બદલવામાં આવી છે. ગયા વર્ષે 100 એક્ઝિબિટર્સ આવ્યા હતા આ વર્ષે 125 એક્ઝિબિટર્સને મેળવી શક્યા છીએ.

સૌના સાથ વગર કોઇ આયોજન શક્ય નથી: દિનેશ નાવડીયા
સ્પાર્કલના ઉદઘાટન સમારોહની આભારવિધીનું કામ ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાના શિરે આવ્યું હતું. દિનેશભાઇ નાવડીયાએ કહ્યું કે ચેમ્બર તેમજ જીજેઇપીસી કાઉન્સિલ અનેક આયોજનો કરી રહી છે. એમાં સૌના સાથ કોઇ આયોજન શક્ય નથી. દિનેશભાઇ નાવડીયાએ આજે પધારેલા મહેમાનો, એક્ઝિબિટર્સ, મિડીયા, માજી પ્રમુખો વગેરે તમામનો આભાર માન્યો હતો.
























