ટેક્ષટાઇલ ઉદ્યોગમાં જુદા જુદા ટેસ્ટીંગ થઇ શકે તે માટેની સુરતની દાયકાઓ જૂની સંસ્થા મંત્રા MANTRA (મેન મેડ ટેક્ષટાઇલ રિસર્ચ એસોસીએશન)ની લેબોરેટરીને પીપીઇ કીટ અને માસ્કનું ટેસ્ટીંગ કરીને સર્ટિફાય કરવાની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. કોરોના કાળથી પ્રચલિત બનેલી પીપીઇ કીટ અને માસ્કની જરૂરીયાત મેડીકલ ફિલ્ડ તેમજ કેટલાક જોખમી ઉદ્યોગોમાં બારેમાસ રહે છે, જેના ઉત્પાદન બાદ તેના સેમ્પલ ટેસ્ટીંગની જરૂરીયાત રહેતી હોય છે. રિંગ રોડ પર આવેલી મંત્રા સંસ્થામાં પીપીઇ કીટ અને માસ્કનું સંપૂર્ણ ટેસ્ટીંગ કરી આપતી લેબોરેટરીનું ઉદઘાટન કરીને આજથી જ ટેસ્ટીંગ ફેસેલિટી સુરત ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રાના પ્રેસિડેન્ટ રજનિકાંત બચકાનીવાળા સહિત અન્યોએ જણાવ્યું કે મંત્રા મેનેજમેન્ટએ ત્વરિત નિર્ણય લઇ ફેસ માસ્ક અને પી.પી.ઈ. કીટનું ટેસ્ટિંગ થઈ શકે તે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા નક્કી કર્યું હતું. છ મહિનાના ટૂંકા સમયમાં મંત્રાએ ઉપરોક્ત ટેસ્ટિંગ માટે જરૂરી તમામ મશીનરી તેમજ ઇક્વીપમેન્ટ્સ વસાવી લીધા અને લેબને કાર્યાન્વિત પણ કરી દીધી છે. અત્યાર સુધીમાં સુરતમાં અનેક મિલો દ્વારા પીપીઇ કીટ તથા માસ્ક બનાવવામાં આવે છે પરંતુ, તેની ક્વોલિટી યોગ્ય છે કે કેમ તેની ચકાસણી કરીને સર્ટિફિકેશન આપી શકે તેવી એક પણ સંસ્થા સુરતમાં ન હતી. આથી મંત્રાએ હવે સુરતના આંગણે જ આ ફેસેલિટી વિકસાવી દીધી છે.
મંત્રાએ આ પ્રકારની વિકસાવી ટેસ્ટીંગ ફેસેલિટી
સુરતના રિંગ રોડ પર આવેલી મેન મેડ ટેક્ષટાઇલ રિસર્ચ એસોસીએશન (મંત્રા) સંસ્થાએ પીપીઇ કીટ અને માસ્કની ગુણવત્તા ચકાસણી થઇ શકે તે માટે વિકસાવેલી સુવિધામાં અગત્યના ટેસ્ટિંગ જેવા કે બેક્ટેરિયા ફિલ્ટરેશન એફિશન્સી તથા પાર્ટીકલ ફિલ્ટરેશન એફિશિયન્સી તેમજ સિન્થેટિક બ્લડ પેનીટ્રેશન અને ડિફરન્સીયલ પ્રેસર જેવા પેરામીટરનું ટેસ્ટીંગ થઈ શકશે. ટૂંક સમયમાં મંત્રા ઉપરોક્ત પેરામીટરને NABL એકક્રીડેશન કરાવી લેશે. જેથી ટેસ્ટિંગ ભરોસાપાત્ર હશે અને સર્ટિફિકેશનને પાત્ર થશે. મંત્રામાં બેક્ટેરિયા ફિલ્ટરેશન એફિશિયન્સી- આ ટેસ્ટમાં ફેસ માર્ક્સમાંથી બેક્ટેરિયા કેટલા પસાર થાય તે તેની માપણી થાય છે. પાર્ટીકલ ફિલ્ટરેશન એફિશિયન્સ- આ સાધનમાં સૂક્ષ્મ કણ કેટલા ફિલ્ટર થાય તેની માપણી થાય છે. કોરોના વાયરસ એ પણ એક સૂક્ષ્મ કણ છે માટે પાર્ટિકલ એફીસીયન્સીથી વાયરસને રોકી શકાશે કે કેમ તે નક્કી કરી શકાશે. સિન્થેટિક બ્લડ પેનીટ્રેશન ટેસ્ટ- આ ટેસ્ટમાં પીપીઈ કીટ પહેરેલી વ્યક્તિ અથવા ડોક્ટર દર્દીના શરીરમાંથી લોહીનો છંટકાવ થાય તો તેની સામે કેટલું રક્ષણ મળે તે નક્કી કરે છે. ડિફરન્સીયલ પ્રેસર- આ ટેસ્ટમાં ફેસ માસ્કની કમ્ફર્ટ પ્રોપર્ટી નક્કી થાય છે. ડિફરન્સીયલ પ્રેસર જેમ ઓછું તેમ કમ્ફર્ટ પ્રોપર્ટી વધુ સારી ગણાય.
જાણિતા ઉદ્યોગપતિ મુકેશભાઇ પટેલ (ગ્રીન લેબ)ના સહયોગથી ડાયમંડ હોસ્પિટલ એક વર્ષ સુધી દૈનિક સરેરાશ 10 લેખે 3650થી વધુ દર્દીઓને બજારમાં 25થી 35 હજારની થતી ચિકિત્સા એક પણ રૂપિયો લીધા વગર પૂરી પાડવામાં આવશે
આગામી 17મી સપ્ટેમ્બરના રોજ આવી રહેલા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જન્મદિનની વાર્ષિક ઉજવણી કરવાનો નિર્ણય સુરતના જાણિતા ઉદ્યોગપતિ ગ્રીન લેબના મુકેશભાઇ પટેલની પ્રેરણા અને સૌજન્યશીલ સહયોગથી વરાછા ખાતે આવેલી ડાયમંડ હોસ્પિટલ મેનેજમેન્ટે લીધો છે. ડાયમંડ હોસ્પિટલમાં તા.17મી સપ્ટેમ્બર 2023 સુધી દંત ચિકિત્સા એટલે કે સ્ક્રિનિંગથી લઇને દાંતની જગ્યાએ ચોકઠા બેસાડી આપવા સુધીની ટ્રીટમેન્ટ (જેમાં ચોકઠા બનાવી આપવાનો ખર્ચ પણ સામેલ) બિલકુલ નિશુલ્ક પૂરી પાડવામાં આવશે, આર્થિક રીતે સ્થિતિ સારી ન હોય તેવા, 60 વર્ષથી ઉપરની ઉંમરના હોય એવા ભારતમાં ગમે તે સ્થળે રહેતા હોય તેવા જરૂરીયાતમંદ દર્દીઓને આ સુવિધા એકપણ રૂપિયો ચાર્જ લીધા વગર પૂરી પાડવામાં આવશે.
ડાયમંડ હોસ્પિટલની ફ્રી ડેન્ટલ ટ્રીટમેન્ટ સ્કીમમાં સુરતના જાણિતા હીરા ઉધોગપતિ, ગ્રીન ડાયમંડ લેબના શ્રી મુકેશભાઇ પટેલ આ સમગ્ર યોજનામાં તન, મન અને ધનથી સહયોગ કરી રહ્યા છે. તેમણે આ ડેન્ટલ ટ્રીટમેન્ટને ચહેરો ઉજવે આનંદ ઉત્સવ નામ આપ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી.પી.વાનાણી અને ડેન્ટલ ટ્રીટમેન્ટ સ્કીમના કો-ઓર્ડિનેટર દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય, છેવાડાના લોકોની સુખાકારી માટે સેવાની ધૂણી ધખાવી છે, તેમની આ ઉમદા પ્રવૃતિમાં ડાયમંડ હોસ્પિટલ પણ પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ છે અને એટલે જ ડાયમંડ હોસ્પિટલમાં ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે આવનારા એવા દર્દીઓ, સંજોગોવસાત જેમના દાંત પડી ગયા છે, દાંતના અભાવે ખોરાક યોગ્ય રીતે લઇ શકતા નથી અને તેના કારણે શારીરીક માનસિક તકલીફો સહન કરે છે તેવા દર્દીઓને તેમના જડબાને અનુરૂપ દાંતનું ચોકઠું બનાવી આપીને ફીટ કરી આપવા સુધીની તમામ તબીબી સુવિધા, મટીરીયલ સાથે બિલકુલ ફ્રી (નિશુલ્ક) આપવામાં આવશે.
ડાયમંડ હોસ્પિટલના સી.પી. વાનાણી અને દિનેશ નાવડીયાએ ઉમેર્યું કે અમને આશા છે કે પ્રતિદિન સરેરાશ 10 દર્દીઓ સુરત ડાયમંડ હોસ્પિટલમાં આ ટ્રીટમેન્ટ લેવા આવશે તો એક વર્ષમાં 3650 જેટલા દર્દીઓને અમે બિલકુલ નિશુલ્ક ડેન્ટલ ટ્રીટમેન્ટ આપી શકીશું. બજારમાં આ ડેન્ટલ ટ્રીટમેન્ટના કમસે કમ રૂ.25થી 35 હજાર સુધીના ચાર્જ છે.
ચેમ્બર દ્વારા ‘યાર્ન એકસ્પો –ર૦રર’નું ત્રિદિવસીય ભવ્ય પ્રદર્શન
ભારતમાંથી ૮૬ એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લઈ રહયા છે, દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ, કોટન અને કેટોનિક વિગેરેની સાથે સ્પેશિયલ વેરાયટી યાર્ન જેવા કે એન્ટીબેકટેરિયલ યાર્ન, ઇમીટેટ સિલ્ક યાર્ન, ગ્રેનાઇટ યાર્ન અને રિસાયકલ યાર્ન વિગેરે પ્રદર્શિત થશે, ત્રણ મહિના પહેલાં જ સુરતમાં શોધાયેલી રાસલ જરી અને સ્પાર્કલ નીમ જરી પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે : ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦રર–ર૩ ના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એકસ્પો– ર૦રર’ નું આયોજન આગામી તા. ર૦, ર૧ અને રર ઓગષ્ટ, ર૦રર દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.
ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સુરતના ટેકસટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી શકે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. ચેમ્બર દ્વારા આ વર્ષે યાર્ન એકસ્પોનું ચોથું એડીશન રજૂ કરવામાં આવી રહયું છે. જેમાં દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ, કોટન અને કેટોનિક વિગેરેની સાથે સ્પેશિયલ વેરાયટી યાર્ન જેવા કે એન્ટીબેકટેરિયલ યાર્ન, ઇમીટેટ સિલ્ક યાર્ન, ગ્રેનાઇટ યાર્ન અને રિસાયકલ યાર્ન વિગેરેનું પ્રદર્શન કરાશે.
ખાસ કરીને ત્રણ મહિના પહેલાં જ સુરતમાં શોધાયેલી રાસલ જરી અને સ્પાર્કલ નીમ જરી પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સુરત ઉપરાંત દક્ષિણ ભારતના શહેરો તમિળનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના વિવર્સ સાડી બનાવવામાં તેનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત હોમ ફર્નીશિંગ ટેકસટાઇલમાં કર્ટેન અને રગ્સ વિગેરેમાં આ જરીનો ઉપયોગ થાય છે. યાર્ન એકસ્પોમાં પ્રદર્શિત થનારા નવા યાર્ન, ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને તથા સુરતમાં ડેવલપ થઇ રહેલી ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને નવા ફેબ્રિકસ મારફત નવી ઊંચાઇએ લઇ જશે.
વિશ્વના જુદા–જુદા દેશો જેવા કે અલ્જેરીયા, બાંગ્લાદેશ, ઇજિપ્ત, નેપાલ અને સુદાનથી જેન્યુન બાયર્સ યાર્ન પ્રદર્શનની મુલાકાતે આવશે. તદુપરાંત દેશમાંથી ઇરોડ, ઇચ્છલકરંજી, તિરુપુર, તમિળનાડુ, કોઇમ્બતુર, હરીયાણા, હૈદરાબાદ, પાનીપત, વારાણસી, વારંગલ, લુધિયાના, ઇન્દોર, અમરાવતિ, બેંગ્લોર વિગેરે ૮૧ જેટલા શહેરોમાંથી જેન્યુન બાયર્સ અને વિઝીટર્સ દ્વારા યાર્ન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવશે. ગત વર્ષે યોજાયેલા યાર્ન એકઝીબીશનમાં એકઝીબીટર્સને રૂપિયા પ૦૦ કરોડનો બિઝનેસ જનરેટ થયો હતો ત્યારે આ વર્ષે પણ આશરે રૂપિયા પ૦૦ કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થાય તેવી આશા છે.
શનિવાર, તા. ર૦ ઓગષ્ટ, ર૦રર ના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યાર્ન એકસ્પોનું ઉદ્ઘાટન કરાશે. જેનો ઉદ્ઘાટન સમારોહ પ્લેટીનમ હોલમાં યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તથા ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહેનાર દેશના કેન્દ્રીય ટેકસટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે યાર્ન એક્ષ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહમાં મુંબઇ સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પોલિએસ્ટર ચેઇનના પ્રેસિડેન્ટ આર.ડી. ઉદેશી અને વાઇસ પ્રેસિડેન્ટ જે. રઘુનાથ તથા સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલા, સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની (આઇ.એ.એસ.), સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર (આઇ.પી.એસ.) અને સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ વિશેષ અતિથિ તરીકેનું સ્થાન શોભાવશે.
ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન અંદાજે ૧ લાખ ૧૬ હજાર સ્કવેર ફૂટ એરિયામાં યોજાશે. જેમાં ૮૬ જેટલા એકઝીબીટર્સ ભાગ લઇ રહયા છે. સુરત ઉપરાંત અમદાવાદ, વલસાડ, સિલવાસા, મેરઠ, મુંબઇ, સાલેમ, ચેન્નાઇ, કોઇમ્બતુર, ઇરોડ, હુગલી, હૈદરાબાદ અને સિકંદરાબાદના એકઝીબીટર્સોએ પ્રદર્શનમાં ભાગ લીધો છે.
યાર્ન એકસ્પો– ર૦રર ના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેનમેડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલીસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરનાર છે. આ ઉપરાંત ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલેન્જ જેવા વિવિધ સ્પેશિયાલિટી ફાઈબર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેનાર છે.
યાર્ન એકસ્પો– ર૦રર ના કો–ચેરમેન ઉમેશ ક્રિષ્ણાનીએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે યાર્ન એકસ્પોનું ચોથું એડીશન યોજાઇ રહયું છે. પ્રથમ વખત સૌથી વિશાળ એરિયામાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેને કારણે આશરે ર૦ હજારથી વધુ બાયર્સ તથા વિઝીટર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે.
યાર્ન એકસ્પોમાં નીચે મુજબના વિશિષ્ટ યાર્ન પ્રદર્શિત કરવામાં આવશે.
ઇન્ડીયન મેડીકલ એસોસીએશન IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટની 2 પોસ્ટ માટે આજરોજ તા.21મી ઓગસ્ટ 2022ને રવિવારે યોજાયેલી ચૂંટણી તબીબી આલમ સમેત શિક્ષણ જગતના લોકોમાં ખાસ્સી ચર્ચાસ્પદ બની હતી. કેટલાક જાણિતા તબીબોએ આ ચૂંટણીમાં પોતાના ઉમેદવારને જીતાડવા માટે અદ્દલ રાજકીય સ્ટાઇલથી ચૂંટણી લડી હતી પરંતુ, આખરે પરીણામ તેમની ધારણાથી વિપરીત આવ્યું હતું.
ઇન્ડીયન મેડીકલ એસોસીએશન સુરતના પ્રમુખ સમેતના અન્ય હોદ્દેદારો માટે સર્વસંમતિ સધાઇ ચૂકી હતી પરંતુ, વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે સર્વસંમતિ નહીં સધાતા આજે ચૂંટણી યોજાઇ હતી.
IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટની 2 પોસ્ટ માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં શહેરના જાણિતા સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડો. દિપ્તી પટેલ (લવ એન્ડ કેર હોસ્પિટલ), ડો. હિરેન મકવાણા અને ડો. સુરેન્દ્ર પ્રજાપતિનો સમાવેશ થાય છે. આજે સવારથી નાનપુરા સ્થિત દિલીપ પરેશ રોટરી હોલ ખાતે થયેલા મતદાન બાદ સાંજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
મતગણતરીના અંતે રાંદેર રોડ તાડવાડી ખાતે હોસ્પિટલ ધરાવતા ગાયનેકોલોજીસ્ટ ડો.દિપ્તી પટેલને કુલ 971 મતો મળ્યા હતા. IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટની દ્વિતીય પોસ્ટ માટે ડો. હિરેન મકવાણાને 859 મતો મળ્યા હતા. જ્યારે ડો. સુરેન્દ્ર પ્રજાપતિને 357 મતો મળ્યા હતા.
IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટ માટેની ચૂંટણી ટાળી શકાઇ હોત, પરંતુ, કેટલાક તબીબોને ડો. દિપ્તી પટેલ વાઇસ પ્રેસિડેન્ટ બને તે સ્વીકાર્ય ન હતું. આથી પરાણે ચૂંટણી યોજવી પડી હતી. જેમાં ડો. દિપ્તી પટેલ હાઇએસ્ટ મતથી ચૂંટાઇને IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટ પદે ચૂંટાઇ આવ્યા છે.
બપોરે જિજ્ઞેશ પાટીલના નામની જાહેરાત થઇ અને રાત્રે જાહેરાત પાછી ખેંચી લેવાતા યુનિવર્સિટી આલમમાં તર્કવિતર્ક, ખુદ એબીવીપીના મોટા નેતાઓ અજાણ
એબીવીપીએ ઉમેદવાર જાહેર કર્યાના કલાકોમાં જ નાટ્યાત્મક ઘટનાક્રમ
સુરત, તા.25 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સર્વોચ્ચ અધિકારમંડળ, સેનેટ સભાની આગામી તા.14મી ઓગસ્ટે યોજાઇ રહેલી ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના દિકરા જિજ્ઞેશ પાટીલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સત્તાવાર ઉમેદવાર તરીકે દાતાઓની બેઠક પરથી ચૂંટણી લડશે એવી જાહેરાત થયાના થોડા જ કલાકોમાં સી.આર. પાટીલના પુત્ર જિજ્ઞેશ પટેલે યુનિવર્સિટી સેનેટ ચૂંટણી લડવાનો સાફ ઇન્કાર કરી દેતા અભાવિપ સમેત ભાજપની નેતાગીરીમાં સન્નાટો મચી ગયો હતો. સેનેટની ચૂંટણી પૂર્વે યુનિવર્સિટી આલમમાં ભારે ચર્ચાસ્પદ બનેલા પ્રકરણમાં આજે બપોરે સર્કિટ હાઉસ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના નેતાઓએ જુદા જુદા સંવર્ગની બેઠકો માટે એબીવીપીના સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી. તેની સાથે જ દાતા મતદાર વિભાગની બે બેઠકો પર પણ એબીવીપીએ પોતાના બે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં એક નામ ડો.કશ્યપસિંહ ખરચીયાનું અને બીજું નામ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના પુત્ર જિજ્ઞેશ પાટીલનું હતું. આ જાહેરાતની સાથે જ એબીવીપી અને ભાજપના નેતાઓ ગેલમાં આવી ગયા હતા અને યુનિવર્સિટીના રાજકીય તખ્તે હલચલ મચી ગઇ હતી. પરંતુ, રાત્રે આઠ વાગ્યે યુનિવર્સિટીના સિનિયર મોસ્ટ સિન્ડીકેટ મેમ્બર ડો.મહેન્દ્રસિંહ ચૌહાણે એક વિડીયો મેસેજ જારી કરીને એવો સંદેશો આપ્યો કે જિજ્ઞેશ પાટીલ યુથ ફોર ગુજરાત તેમજ અન્ય પ્રવૃતિઓને આગળ ધપાવવા માગે છે આથી તેઓ યુનિવર્સિટી સેનેટની ચૂંટણીમાં લડવાની ઇચ્છા ધરાવતા નથી. ડો. મહેન્દ્રસિંહ ચૌહાણના આ વિડીયો મેસેજને પગલે સમગ્ર યુનિવર્સિટી આલમમાં સન્નાટો મચી ગયો હતો. એબીવીપી અને ભાજપના નેતાઓ કંઇ સમજે એ પહેલા જ જિજ્ઞેશ પાટીલની ઉમેદવારી બાબતે પૂર્ણ વિરામ મૂકાય જતા અનેક તર્ક વિતર્ક પણ સેવાય રહ્યા છે.
આગામી તા.14મી ઓગસ્ટે યોજાઇ રહેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સર્વોચ્ચ અધિકારમંડળ, સેનેટસભાની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના પુત્ર જિજ્ઞેશ પાટીલને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે દાતાઓના મતવિભાગના સત્તાવાર ઉમેદવાર ઘોષિત કર્યા છે. દાતા વર્ગની બે સીટ માટે જિજ્ઞેશ પાટીલ ઉપરાંત વર્તમાન સિન્ડીકેટ મેમ્બર ડો.કશ્યપસિંહ ખરચીયા એબીવીપીના દ્વિતિય સત્તાવાર ઉમેદવાર છે.
ગુજરાત ભાજપના પ્રમુખ અને સુરતના કદાવર રાજકીય નેતા સી.આર. પાટીલના પુત્ર જિજ્ઞેશ પાટીલે વિદ્યાર્થી સંગઠન, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સત્તાવાર ઉમેદવાર તરીકે ડોનરની સીટ પરથી સેનેટ ચૂંટણીમાં ઝૂકાવ્યું છે. જિજ્ઞેશ પાટીલે વીર નર્મદ યુનિવર્સિટીમાં દાન તો આપ્યું જ છે સાથોસાથ એ સ્પોર્ટસ ક્ષેત્રમાં બાસ્કેટ બોલ, ફૂટબોલ જેવી જુદી જુદી રમતોની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
વિદ્યાર્થી સંગઠનની પ્રત્યક્ષ ચૂંટણીમાં પહેલીવાર જ જિજ્ઞેશ પાટીલે ઝુકાવ્યું છે. સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લાના વિસ્તારનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતી દક્ષિણ ગુજરાતની એકમાત્ર સરકારી યુનિવર્સિટી, વીર નર્મદ યુનિવર્સિટીની સેનેટ સભાની ચૂંટણી તા.14મી ઓગસ્ટ 2022ના રોજ યોજાઇ રહી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આજે સત્તાવાર ઉમેદવારોની ઘોષણા કરી હતી. જેમાં દાતા વર્ગની સીટ પરથી જિજ્ઞેશ સી.આર. પાટીલનું નામ ઘોષિત કરીને યુનિવર્સિટી સ્તરના પોલિટીક્સમાં વમળો સર્જી દીધા છે.
જિજ્ઞેશ પાટીલે વીર નર્મદ યુનિવર્સિટીમાં દાન આપ્યું છે અને એ રૂએ તેઓ દાતા વર્ગની સેનેટની ચૂંટણી લડી રહ્યા છે. તેમની સાથે અભાવિપના અન્ય ઉમેદવાર તરીકે ડો.કશ્યપસિંહ ખરચીયાની પેનલ બનાવવામાં આવી છે.
સુરતના સર્કિટ હાઉસ ખાતે તા.25મી જુલાઇએ પત્રકાર પરિષદ યોજીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પોતાના સત્તાવાર ઉમેદવારો ઘોષિત કર્યા હતા
તા.23મીને શનિવારથી સુરતના સરસાણા ખાતે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત વીવનીટ ફેબ્રિક એક્સ્પોનો આરંભ થઇ રહ્યો છે. વીવનીટ એક્ષ્પોમાં અનેક આકર્ષણો પૈકી સૌથી મોટું આકર્ષણ ફેબ્રિક બાયર્સ માટે એ છે કે સુરતમાં ઉત્પાદિત થતા 1000થી વધુ જાતોના કાપડની વિશાળ રેન્જ ડિસ્પ્લેમાં મૂકાશે.
ચેમ્બરના નવનિર્વાચીત પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાળા, આશિષ ગુજરાતી, રમેશ વઘાસીયા, ભાવેશ ટેલર, બિજલ જરીવાલા, મયુર ગોલવાલા, દિપુ અગ્રવાલ, આકાશ ભાદાણી વગેરેએ વીવનીટની માહિતી આપવા માટે યોજેલી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે વીવનીટ એક્ષ્પોમાં દુબઇ અને ચીનથી આંતર રાષ્ટ્રીય બાયર્સ આવી રહ્યા છે આ ઉપરાંત ભારતના કુલ 125 જુદા જુદા શહેરો, નગરોમાંથી કાપડના રિટેલ વેપારીઓ વીવનીટ એક્ષ્પોમાં આવી રહ્યા છે. આ ઉપરાંત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ કે જેઓ સૌથી વધુ કાપડ ખરીદતા હોય છે એના સંગઠનના 4 હજારથી વધુ મેમ્બર્સને વીવનીટમાં ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. વીવનીટ એક્ષ્પો જેટલી મોટી રેન્જમાં કાપડ ભારતમાં અન્ય ક્યાંય જોવા કે ખરીદવા નહીં મળી શકે.
કમળની ડાળીમાંથી કાપડ, આખી ટેક્નોલોજીનો લાઇવ ડેમો વીવનીટ એક્ષ્પોમાં સસ્ટેનેબલ બાયો ડીગ્રેડેબલ ફેબ્રિકસ વિવનીટ પ્રદર્શનની થીમ રહેશે. જેમાં કમળ (લોટસ) સ્ટેમ ડાળીમાંથી ઉપલબ્ધ થતા ફાયબરમાંથી બનાવવામાં આવેલું ફેબ્રિકસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કલોથીંગ એન્ડ ટેકસટાઇલ્સ વિભાગના ફેકલ્ટી તેમજ પીએચ.ડી. સ્કોલર સુમી હલદર દ્વારા લોટસ સ્ટેમ ફાયબરમાંથી વિવિધ ફેબ્રિકસ બનાવવામાં આવ્યા છે અને તેઓ પણ ખાસ કોઇમ્બતુરથી આવીને આ પ્રદર્શનમાં ભાગ લઇ રહયા છે.
સુરતીઓની જુગાડ ટેક્નોલોજી, દેશી શટલ લૂમ્સ પર એમ્બ્રોઇડરી સાથેનું કાપડ તૈયાર કરે છે સુરતના કેટલાક વીવીંગ કારખાનેદારોએ દાયકાઓ જૂની કાપડ બનાવવાની ટેક્નોલોજી અને મશીનરી કે જેને દેશી શટલ લૂમ્સ કહેવાય છે, આ શટલ લૂમ્સ પર અખતરાઓ કરીને તેમાંથી એક આધુનિક પ્રકારના કાપડનું ઉત્પાદન શરૂ કર્યું છે અને હવે એ જુગાડ ટેક્નોલોજીની મદદથી કમર્શિયલ બેઝ પર એમ્બ્રોઇડરી સાથેનું કાપડ તૈયાર કરી રહ્યા છે અને આ કાપડ પણ વીવનીટ એક્ષ્પોમાં ડિસ્પ્લે થવા જઇ રહ્યું છે. આ પ્રકારની દેશી જુગાડ ટેક્નોલોજીથી કાપડ તૈયાર કરી રહેલા આકાશ ભાદાણીએ જણાવ્યું હતું કે દેશી શટલ લૂમ્સ પર તૈયાર થતા એમ્બ્રોઇડરી સાથેના ફેબ્રિકનો હોલસેલ રેટ પ્રતિ મીટરના રૂ.75થી 150-200 જેવી રેન્જ અને ક્વોલિટી એવો ભાવ મળે છે. સ્થાનિક બજારમાં ખરીદારો ન હોવાથી આ પ્રકારનું કપડું વિદેશી ખરીદારો જ ખરીદ કરે છે અને તેના મોટા ઓર્ડર પણ મળી રહ્યા છે.
સુરત શહેરની વચ્ચેથી પસાર થતી તાપી નદીના ઉપરવાસમાં આવેલા ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયા એટલે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પાણીનો આવરો ઉકાઇ નદીમાં નોંધાઇ રહ્યો છે. ઉકાઇ ડેમમાં આવી રહેલા પાણીના જથ્થાની ગણતરી કરીને વોટર મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને તેના ભાગરૂપે જ ગઇકાલ તા.18મીએ રાત્રે 8 વાગ્યાથી તબક્કાવાર ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે. પહેલા 60 હજાર ક્યુસેક્સથી લઇને આજે બપોરથી 1.87 લાખ ક્યુસેક્સ પાણી ઉકાઇ ડેમમાંથી રિલીઝ કરવામાં આવ્યું છે. આ પાણી જ્યારે સુરતમાંથી પસાર થતી તાપી નદીમાંથી વહેશે ત્યારે અનેક ઠેકાણે તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળશે.
સલામતિના ભાગરૂપે તંત્રવાહકોએ ડુમસ બીચ અને સુંવાલી બીચ મુલાકાતીઓની અવરજવર માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
સુરત કલેક્ટરે ટ્વીટ કરીને જાણકારી આપી
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ રિઝર્વરમાંથી આજે 1,87,000 ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે.તથા ડુમસ અને સુવાલી બીચ મુલાકાતીઓ માટે બંધ કરેલ છે. નાગરિકોને નોંધ લઈ સહકાર આપવા વિનંતી. @CMOGuj@pkumariaspic.twitter.com/fRX64A512q
આજે તા.15 જુલાઇ 2022ના રોજ સી.એ. ફાઇનલ્સ પરીક્ષાનું પરીણામ જાહેર કરાયું હતું. સુરતમાં રવિ છાવછરીયાના કોચીંગ ઇન્સ્ટીટ્યુટમાંથી અભ્યાસ કરનાર ચાર વિદ્યાર્થીઓ સી.એ. ઇન્ડીયા ટોપ ફીફ્ટીમાં સ્થાન પામ્યા છે. જેમાંથી શ્રૃષ્ટી સંઘવી ઇન્ડીયા થર્ડ અને સુરત ગુજરાત ફર્સ્ટ, ઉપરોક્ત ફોટામાં રવિ છાવછરીયાની બાજુમાં અર્હમ પારખ ઇન્ડીયામાં 40મો અને સુરતમાં ચોથો તેમજ રોહીત સિધ્ધા ઇન્ડીયામાં 42મો અને સુરતમાં પાંચમા ક્રમે પાસ થયા છે. સી.આઇ. લાઇવ
સમગ્ર દેશમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્સીના અભ્યાસ માટેનું હબ બની ચૂકેલા સુરત શહેરમાંથી આજે સી.એ. ફાઇનલની પરીક્ષાનું પરીણામ જાહેર થતાં એક જ ઝાટકે 138 ઉમેદવારોને સી.એ.નો દરજ્જો મળી ગયો હતો. સુરતનું પરીણામ સમગ્ર દેશના એવરેજ પરીણામ કરતા ડબલ આવ્યું છે એટલું જ નહીં પણ સુરત બ્રાન્ચમાંથી પરીક્ષા આપનારા કુલ 5 ઉમેદવારોએ સી.એ. ફાઇનલના પરીણામમાં ઇન્ડીયા ટોપ-50માં સ્થાન પણ હાંસલ કરી લીધું છે.
છેલ્લા ઘણાં વર્ષો પછી આ વખતે આઇ.સી.એ.આઇ.ની સુરત બ્રાન્ચે સી.એ. ફાઇનલ્સના પરીણામો અધિકૃત રીતે ઘોષિત કર્યા હતા. આઇસીએઆઇ સુરત બ્રાન્ચના પ્રેસિડેન્ટ નિકેશ કોઠારીએ જણાવ્યું હતું કે આજે જાહેર થયેલા સીએ ફાઇનલ્સ પરીક્ષાના પરીણામમાં સુરત બ્રાન્ચમાંથી કુલ 585 વિદ્યાર્થીઓએ ગ્રુપ એ અને બી બન્નેની પરીક્ષા આપી હતી. જેમાંથી વિદ્યાર્થીઓ આજે 138 ઉમેદવારો સી.એ.નો દરજ્જો મેળવી ચૂક્યા છે. સુરત બ્રાન્ચમાંથી આ વખતે 1582 ઉમેદવારોએ સી.એ. ફાઇનલ્સ એ ગ્રુપ, બી ગ્રુપ, બન્ને ગ્રુપ એ રીતે પરીક્ષા આપી હતી. 65 ઉમેદવારો ફક્ત એ ગ્રુપ તેમજ 62 ઉમેદવારોએ ફક્ત દ્વિતિય ગ્રુપન પરીક્ષા પાસ કરી છે.
બીજી તરફ સુરત શહેરના પાંચ ઉમેદવારોએ ઇન્ડીયા ટોપ-50 ઉમેદવારોમાં સ્થાન મેળવ્યું છે. જેમાં શ્રૃષ્ટી કેયુર સંઘવી ગુજરાત ફર્સ્ટ, સુરત ફર્સ્ટ અને દેશમાં ત્રીજા ક્રમે, અરુણ કિશનલાલ બોરાણા દેશમાં 32માં ક્રમે અને સુરતમાં સેકન્ડ, અર્હમ સુનિલ પારખ દેશમાં 37માં ક્રમે અને સુરતમાં ત્રીજા ક્રમે, સિદ્ધાર્થ સહારીયા દેશમાં 40માં ક્રમે અને સુરતમાં ચોથા ક્રમે તથા રોહીત સદાનંદ સિદ્ધા દેશમાં 42માં ક્રમે અને સુરતમાં પાંચમા ક્રમે માર્કસ લાવવામાં સફળ નિવડ્યા છે. સુરતના આ ટોપ-ફાઇવ પૈકી દ્વિતિય નંબરને બાદ કરતા બાકીના તમામ વિદ્યાર્થીઓ સી.એ. રવિ છાવછરીયાના કોચીંગ ઇન્સ્ટીટ્યુટમાંથી અભ્યાસ કર્યો છે.
બિહારના પટણામાં જન્મેલી એક બાળકી જન્મથી જ 4 હાથ અને 4 પગ ધરાવતી હતી. સોશ્યલ મિડીયામાં આ બાળકી અંગે જાણીને અભિનેતા સોનુ સુદે સુરતની કિરણ હોસ્પિટલને આ કેસ હાથ પર લઇને બાળકીની સર્જરી કરવા માટે ભલામણ કરી હતી. લગભગ સપ્તાહ પહેલા સુરતની કિરણ હોસ્પિટલમાં શીફ્ટ કરાયેલી આ બાળકીનું જટીલ ઓપરેશન સુરતની કિરણ હોસ્પિટલના ડો.મિથુન અને તેમની ટીમે સફળતાપૂર્વક કર્યું છે અને હવે એ બાળકી નોર્મલ બાળકોની જેમ જીવન જીવી શકશે.
અઢી વર્ષની ચહુંમુખી કુમારી બિહારના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામની રહેવાસી છે. ચહુંમુખી કુમારીનું સુરતની કિરણ હોસ્પિટલમાં સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે. સી.આઇ.એ. લાઇવ.
ચાર હાથ અને ચાર પગ ધરાવતી બાળકી જન્મી ત્યારે તેનું શરીર જોઇને તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. બાળકીનું નામ આપવામાં આવ્યું હતું. ચહુંમુખીને જન્મથી જ 4 હાથ અને 4 પગ હતા. સોશિયલ મીડિયા પર આ વાત વાયરલ થઈ ત્યારે સોનુ સૂદે તે જોયું અને તેના તરફથી બાળકનું ઓપરેશન કરાવવાની જાહેરાત કરી હતી. જેને પગલે સુરતની કિરણ હોસ્પિટલમાં આ બાળકી પર સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવી છે. આઠ દિવસ અગાઉ બાળકીને સોનું સૂદના કહેવા પર સુરતની કિરણ હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવી હતી.
અઢી વર્ષની ચહુંમુખી કુમારી બિહારના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામની રહેવાસી છે. ચહુંમુખી કુમારીનું સુરતની કિરણ હોસ્પિટલમાં સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે. ખાનગી ક્ષેત્રની કિરણ હોસ્પિટલમાં કલાકોના અથાક પ્રયાસો બાદ ચાહુમુખીનું સફળ ઓપરેશન શક્ય બન્યું હતું. અગાઉ આપેલા વચન મુજબ સોનુ સૂદે ચહુંમુખીનું ઓપરેશન કરીને તેને નવું જીવન આપ્યું છે. હવે ચહુંમુખી કુમારી સામાન્ય બાળકોની જેમ વાંચન-લેખન સાથે જ રમી શકશે.
ચહુંમુખીનો પરિવાર 30 મેના રોજ મુંબઈ પહોંચીને સોનુ સુદને મળ્યો હતો. સોનુ સુદે ચહુંમુખીની સારવાર માટે પરિવારને સુરત મોકલ્યો હતો. સુરતમાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા ચહુંમુખીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કિરણ હોસ્પિટલના ડોક્ટર મિથુન અને તેમની ટીમે લગભગ 7 કલાકમાં ચહુંમુખીની સફળ સર્જરી કરી હતી.
હાલ માસૂમ બાળકને હજુ થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે. ત્યારબાદ તે એક સામાન્ય બાળકીની જેમ હોસ્પિટલમાંથી બહાર આવશે અને સામાન્ય બાળકોની જેમ જીવી શકશે. સોનુ સૂદે ચહુંમુખીની સર્જરીનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો છે. તેની માનવતાવાદી કાર્યની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે.
ટેક્ષટાઇલ ઉધોગમાં મશીનરી અને ટેક્નોલોજીના અપગ્રેડેશન માટેની ટફ (ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડ) સ્કીમ અને એ ટફ સ્કીમમાં પેન્ડીંગ રહી ગયેલી એપ્લિકેશનના સેટલમેન્ટ માટે આજથી બે દિવસ માટે રિંગરોડ પર મંત્રા સંકુલ ખાતે વસ્ત્ર મંત્રાલય દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદઘાટન વસ્ત્ર રાજ્યમંત્રી દર્શના જરદોષે કર્યું હતું.કેમ્પના ઉદઘાટન સમયે કપડામંત્રી દર્શના જરદોષે પોતાના આક્રમક મિજાજનો પરચો આપતા કહ્યું કે કેમ્પનું આયોજન ઓન ધ સ્પોટ અરજીનો નિકાલ થઇ શકે તે માટે થયું છે. જ્યાં સુધી જુની અરજીઓનું સેટલમેન્ટ નહીં થાય ત્યાં સુધી નવી સ્કીમ નહીં આવી શકે. આજના કેમ્પમાં જુદી જુદી બેંકના સ્વતંત્રતાથી નિણર્ય લઇ શકે તેવા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે કે નહીં તે અંગે પોતે જ હાજરી લેતા દર્શના જરદોષે કહ્યું કે તમે ઓન ધ સ્પોટ નિર્ણય લઇ શકો તેટલા પાવર ધરાવતા હોય તો જ મિટીંગમાં બેસજો. તેમણે બેંકોના અધિકારીઓને ખાસ પૂછ્યું કે તમારી પાસે ઓન ધ સ્પોટ લોન મંજૂર કરવાની સત્તા છે કે નહીં, તેમણે કલેક્ટર કચેરીના નોડલ અધિકારીની અનુપસ્થિતિની પણ ગંભીર નોંધ લીધી હતી.કપડા રાજ્યમંત્રી દર્શના જરદોષે કહ્યું કે પેન્ડીંગ રહી ગયેલા કેસોમાં અનેક વખત પ્રોસિડિંગ અને મુદતો આપવામાં આવી છે. હવે સુરતના આંગણે આ છેલ્લો કેમ્પ છે, જે અરજદારો અગાઉ ક્યાંય ઉપસ્થિત રહ્યા નથી તેમને પણ તક આપવામાં આવી છે. હવે પછી તેમની અરજીનો નિકાલ થઇ શકશે નહીં.
બેંકોની આડોડાઇને કારણે અરજદારોને ભોગવવું પડ્યું
ટફ સ્કીમ, એ ટફ સ્કીમના કેમ્પમાં આજે રજૂઆત કરવા માટે આવેલા અરજદારોએ રજૂઆત કરી કે કેટલીક બેંકોના અધિકારીઓની આડોડાઇને કારણે તેમણે કરોડો રૂપિયાની મશીનરી અને ટેક્નોલોજી નવી વસાવી હોવા છતાં મહિનાઓ સુધી તેમને ઇન્વેસ્ટમેન્ટ પર મળતી સબસિડીથી વંચિત રહેવું પડ્યું છે. બેંકો દ્વારા કેટલાક કેસોમાં ખોટી રીતે ફાઇલો દબાવી રાખીને પ્રક્રિયામાં જ વિલંબ કરવામાં આવ્યો હોવાનું પણ જણાય આવ્યું હતું. બેંકોની આવી આડાઇ સામે આજે ખુદ કપડા રાજ્યમંત્રી દર્શના જરદોષ પણ ગુસ્સામાં જણાયા હતા. હેડિંગ બોક્સનવી સબસિડી યોજનામાં અરજદારે ઓનલાઇન પ્રોસિજર કરવાની રહેશેઃ દર્શના જરદોષકપડા રાજ્યમંત્રી દર્શના જરદોષે આજે ટફ સ્કીમની પેન્ડીંગ અરજીના નિકાલ માટેના કેમ્પને સંબોધતા જણાવ્યું કે અત્યાર સુધીની ટફ યોજનાના અમલી કરણમાં જેટલા પણ છીંડાઓ, મુશ્કેલીઓ, સમસ્યાઓ નડી છે તે ભવિષ્યની સબસિડી યોજનામાં નહીં નડે. હવે કેન્દ્ર સરકારે એવી જ યોજના તૈયાર કરી રહી છે જેમાં અરજદારે જાતે ઓનલાઇન એપ્લિકેશન કરવા ઉપરાંત દરેક સ્તરે અરજદાર સ્વયં પોતાની એપ્લિકેશન આગળ ધપાવી શકશે. બેંકો કે અન્ય કોઇ સરકારી અધિકારી ઇચ્છશે તો પણ કોઇ અરજદારની અરજી છુપાવી શકશે નહીં.
ટફ અન્વયે 1577 એપ્લિકેશનો પેન્ડીંગ, મોટા ભાગની અપૂરતા દસ્તાવેજોવાળી અરજીઓ
શહેરના રિંગરોડ પર આવેલા મંત્રા સંકુલમાં આજથી બે દિવસ માટે વસ્ત્ર મંત્રાલયના ટફ સ્કીમમાં પેન્ડીંગ અરજીઓના નિકાલ માટેના કેમ્પને સંબોધતા મુંબઇ ટેક્ષટાઇલ મંત્રાલય કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર ઉષા પોલે જણાવ્યું હતું કે કુલ 1577 અરજીઓ પેન્ડીંગ છે. તેમાંથી મોટા ભાગની અરજીઓ એવી છેકે જેમણે 6 અલગ અલગ દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે તેમાંથી એક પણ દસ્તાવેજ બાકી હોય તો જે તે અરજદારની મશીનરી કે ટેક્નોલોજીનું ફિઝિકલ વેરિફિકેશન નહીં થઇ શકે. આવા અરજદારોને અનેક વખત લેખિતમાં, મેઇલથી જાણ કરીને પૂર્તતા કરવા માટે જણાવાયું છે છતાં તેમના 70 ટકા લોકોએ કોઇ જ પ્રતિસાદ પાઠવ્યો નથી. આથી હવે છેલ્લા પ્રયાસરૂપે સુરતના મંત્રા સંકુલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.