વીમા કંપનીઓ કોઈ પણ સંજોગોમાં કરાયેલા દાવાઓને નકારી શકે નહીં. આ એક એવો કિસ્સો છે જેમાં વીમા કંપનીએ દાવાની રકમ ન ચૂકવવા માટે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા.
કેસ સ્ટડી: ઈન્ડિયન ઓઈલ કોર્પોેરેશન (આઈઓસી) સાથે શિવશક્તિ કેરિયર્સ નોંધાયેલી ટ્રાન્સપોર્ટ કંપની હતી. તેણે એક ટેન્કરના માલિક સંજય અગ્રવાલ સાથે ટેન્કર ભાડે લેવાનો લાંબાગાળા સુધીનો કોન્ટ્રેક્ટ કર્યો હતો. ત્યાર બાદ શિવશક્તિએ ભાડે લીધેલા ટેન્કરનો ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ પાસે રૂપિયા પાંચ લાખનો વીમો કઢાવ્યો હતો જેની ર0-02-2009થી 19-02-2010 સુધીની પોલિસી હતી.
ર3-07-2009ના રોજ, જ્યારે એ ટેન્કર 12 હજાર લિટર્સ ડિઝલ ભરીને ગૌહાતિમાં બેટકુચીથી મીસામારી ખાતે આવેલા આઈઓસીના ડેપો તરફ જઈ રહ્યું હતું ત્યારે ધુલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા થેકરાબારી ખાતે તેને અકસ્માત નડ્યો હતો. ટેન્કરમાં ભરેલો સંપૂર્ણ જથ્થો રોડ પર ઢોળાઈ ગયો હતો. પોલીસ ફરિયાદ કરવામાં આવી અને વીમા કંપનીને તે અંગે જાણ કરવામાં આવી. રૂ. 4 લાખ બે હજાર 120નો દાવો રજૂ કરવામાં આવ્યો.

દરમિયાન આઈઓસીએ પોતાનું નુકસાન શિવશક્તિ કેરિયર્સ પાસેથી વસૂલ કરી લીધું. તેમ છતાં વીમા કંપની એ દાવો તેણે આપેલી પોલિસી મુજબ મંજૂર ન કર્યો. વીમા કંપનીએ અકસ્માતની તારીખમાં ફરક આવતો હોવાનું જણાવી એ દાવો નકારી દીધો. જ્યારે વીમા ધારકે જણાવ્યું હતું કે, અકસ્માત ર1-07-09ના રોજ થયો હતો, પણ પોલીસે એ ર3-07-2009ના રોજ બનાવની નોંધ કરી હતી.
ત્યાર બાદ શિવશક્તિ કેરિયર્સે એ નકારાયેલા દાવાને કામરૂપ ડિસ્ટ્રિક્ટ ફોરમમાં પડકાર્યો હતો. વીમા કંપનીએ કેસ લડી હતી, અને તેણે, દાવાને નકારવામાં કંઈ ખોટું ન કર્યું હોવાનું જણાવ્યું હતું. સાક્ષીઓના પુરાવાઓને ધ્યાનમાં લીધા પછી ફોરમે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીને, દાવાની રકમ રૂ. 4 લાખ બે હજાર 120 ઉપરાંત એ રકમ પર ફરિયાદની તારીખથી 12 ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. એ ઉપરાંત રૂ. પાંચ હજાર વળતર પેટે અને રૂ. 10 હજાર દાવાના ખર્ચ પેટે ચૂકવવાનું જણાવ્યું હતું. અને તેના માટે ફોરમે બે મહિનાની મુદત આપી હતી. જો તેમાં વિલંબ થાય તો વળતર અને દાવાના ખર્ચની રકમ પર પણ 12 ટકા વ્યાજ ચૂકવવાનું પણ ફરમાવ્યું હતું.
ન્યૂ ઈન્ડિયાએ ફોરમના આદેશને આસામ સ્ટેટ કમિશન સમક્ષ પડકાર્યો હતો. કમિશને શિવશક્તિ કેરિઅર્સના નિવેદક તરીકે ત્રિભોવન ગૌરનું નામ હોવાનું જોવા મળ્યું હતું, જ્યારે શિવશક્તિના પ્રોપરાઈટર શિવ ચંદ્રગૌર હોવાથી એ દસ્તાવેજ વિવાદાસ્પદ હોવાનું નોંધ્યું હતું. એ દસ્તાવેજ વિશ્ર્વસનીય ન હોવાનું કમિશને નિરીક્ષણ કર્યું હતું.
કમિશને એવું સૂચવ્યું હતું કે, જો વીમા કંપનીને એમ લાગ્યું હતું કે, દાવો છેતરપિંડી ભર્યો છે તો તેણે વીમા ધારક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવી જોઈતી હતી, પણ એવું કરવામાં આવ્યું નથી. કમિશને વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, અકસ્માત થયો હોવાની વાત સાચી છે, કારણ કે આઈઓસી એ ટ્રાન્સપોર્ટર પાસેથી નુકસાનીની વસૂલાત કરી લીધી છે.
વીમા કંપનીની અપીલ કાઢી નાખતાં કમિશને એવું પણ નિરીક્ષણ કર્યું હતું કે, ન્યૂ ઈન્ડિયાએ દાવો ખોટો હોવાની અરજી કરી હતી કે ખરેખર તો જવાબદારી સામે આંખમિચામણાં કરવા સમાન હતી. એ દાવાની રકમ ચૂકવવા નહોતી માગતી. ન્યાયમૂર્તિ એ. હઝારિકા અને દિલીપ મહંતા તેમ જ રેણુ મહંતાની બનેલી બેંચે 8-05-2018ના રોજ આપેલા આદેશ દ્વારા ડિસ્ટ્રિક્ટ ફોરમના આદેશને માન્ય રાખ્યો હતો.