જીએસટી રિટર્ન ફાઇલ કરતી વખતે કોડ લખવામાં થઇ ગયેલી ભૂલોને કારણે ગુજરાતના અને મોટા ભાગે સૌરાષ્ટ્રના નિકાસકારોના રૂ.725 કરોડથી વધુ રકમના જીએસટી રિફંડ અટવાય ગયા છે, કેન્દ્ર અને રાજ્ય સરકારોને અનેકો વખત રજૂઆતો કરવા છતાં હવે સવાસો કરોડનું રિફંડ મળવાની આશા એટલા માટે ધૂંધળી બની ગઇ છે કેમકે કેન્દ્ર સરકારે નિકાસકારોને રિફંડ નહીં મળવા અંગેનો સત્તાવાર સરક્યુલર જારી કરી દીધો છે.
જીએસટીનો કાયદો લાગુ થયા પછી વેપાર-ઉદ્યોગ અપાર મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. જીએસટીના અમલીકરણના પ્રારંભિક મહિનાઓમાં કાયદાની ગેરસમજને લીધે એ વખતે કરેલી ભૂલોના ફળ નિકાસકારો હજુ ભોગવી રહ્યા છે. 2017ના વર્ષના આઇજીએસટી રિફંડ ટેકનીકિલ ક્ષતિને કારણે હવે કેન્દ્ર સરકાર છૂટ્ટા નહીં કરતી હોવાથી નિકાસકારોની 125 કરોડ કરતા વધારે રકમ ફસાઇ ગઇ છે. 30 કરોડ જેટલી રકમ તો રાજકોટ ચેમ્બરના સભ્યોની જ હોવાની ધારણા છે

જીએસટી લાગુ થયો એ પછી જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2017ના રિફંડ ફસાયેલા છે. કરોડો રૂપિયા ફસાય જતા વ્યાજની તો નુક્સાની ગઇ છે પરંતુ હવે એ રકમ મળવાની પણ અશા રહી નથી. કારણકે ઓક્ટોબર 2018માં સીબીટીસીએ રિફંડ નહીં મળે તેવો પરિપત્ર જાહેર કરી દીધો છે.
રાજકોટ ચેમ્બર દ્વારા આ મુદ્દે સતત રજૂઆત થઇ છે. ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા સમગ્ર મુદ્દા અંગે કહે છે, જીએસટી પૂર્વે એક્સાઇઝ લાગુ હતી. એ વખતે શીપીંગ બિલો ફાઇલ કરવા માટે એ અને બી એમ બે કોડ વપરાતા. ઉત્પાદક નિકાસ કરે તો બી લખવામાં આવતો અને ટ્રેડિંગ કરનારા નિકાસ કરે તો એ લખવામાં આવતો.
જીએસટી લાગુ થયા પછી બી લખનારાને રિફંડ મળી ગયું. પરંતુ જે ટ્રેડિંગ કરીને નિકાસ કરતા હતા તેમના શીપીંગ બિલો ફાઇલ કરતી વખતે સિસ્ટમમાં એ નો ઓપ્શન ચાલતો ન હતો. કેટલાકે એ વખતે સી લખીને ફાઇલ કર્યા અને થઇ પણ ગયા.
જોકે બાદમાં કેવી મુશ્કેલી પડશે તે કોઇએ વિચાર્યું ન હતુ તેમ પાર્થભાઇ કહે છે. નિકાસકારો કે ક્લીયરીંગ એજન્ટોનું અજ્ઞાન જે ગણો તો પણ આ રીતે સી વિકલ્પથી શીપીંગ બિલો ફાઇલ થતા રહ્યા. ઓક્ટોબર 2017માં સરકારે” એ બી કે સી ગમે તે લખવાથી રિફંડ મળે એવી જાહેરાત થઇ. જુલાઇથી ઓક્ટોબર 2017માં એ અને સી લખતા હતા તેમના રિફંડ સિસ્ટમ દ્વારા ઓટોમેટિક રિજેક્ટ થવા લાગ્યા હતા.
જોકે આ પ્રકારે દેશભરમાંથી રજૂઆતો આવવાથી સરકારે છેલ્લે 9 ઓક્ટોબર 2018ના રોજ સરક્યુલર બહાર પાડીને આવા કિસ્સાઓમાં રિફંડ નહીં અપાય તેવું જાહેર કરી દીધું. રાજકોટ ચેમ્બર સહિત દેશભરમાંથી અસંખ્ય નિકાસકારોની ભારે રજૂઆતો પછી આ સરક્યુલર જાહેર થયો છે. જોકે હવે સરકાર આ મુદ્દે કોઇ કાર્યવાહી કરવાના મૂડમાં નથી.
રાજકોટ ચેમ્બર દ્વારા છેલ્લે 30 જાન્યુઆરીએ વાણિજ્ય મંત્રાલયના મનિંદર કુમારને રજૂઆત કરી છે પરતું કોઇ હકારાત્મક વલણ સરકારે દાખવ્યું નથી. ચેમ્બરે કહ્યું છેકે, નિકાસકારો પ્રમાણિક છે અને ભૂલમાં આવા કોડ લખાઇ ગયા હતા.
સરકારમાં વિવિધ સ્તરે મુખ્યમંત્રીથી લઇને નાણાપ્રધાન સુધીની રજૂઆતો થઇ રહી છે પરંતુ કોઇ ઉકેલ આવે એવી શક્યતા નહીં હોવાથી નિકાસકારોના કરોડો રૂપિયા અત્યારે તો ફસાઇ જ ગયા છે.