Slider Archives - Page 347 of 487 - CIA Live

May 30, 2019
aruna_cm.jpg
1min4530

સિનિયર બીજેપી નેતા પ્રેમા ખંડુએ અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે બુધવારે શપથ લીધા હતા. અહીંના દોરજી ખંડુ ક્ધવેન્શન સેન્ટર ખાતે ગવર્નર બી. ડી. મિશ્રાએ તેમને શપથ લેવડાવ્યા હતા. 11 કેબિનેટ કક્ષાના પ્રધાનોને પણ શપથ લેવડાવ્યા હતા.

આ સમારોહમાં આસામ, નાગાલેન્ડ, મણીપુર, ત્રિપુરા અને મેઘાલયના મુખ્ય પ્રધાન હાજર રહ્યા હતા. અરુણાચલ પ્રદેશમાં 60 સભ્યોના ગૃહમાં ભાજપના નેતૃત્વ હેઠળના પક્ષે 41 બેઠક જીતી હતી.

May 30, 2019
modi_shah.jpg
1min5080

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનમંડળના ગુરુવારે યોજાનારા શપથવિધિ સમારંભમાં દેશ-વિદેશના વિવિધ ક્ષેત્રના અંદાજે 8,000 મહેમાન હાજર રહેવાના છે.

રાષ્ટ્રપતિભવનના પ્રવક્તા અશોક મલિકે બુધવારે જણાવ્યું હતું કે ગુરુવારે રાતે 7 થી 8.30 વાગ્યા સુધી યોજાનારા શપથવિધિ સમારંભમાં આટલી મોટી સંખ્યામાં કદાચ સૌપ્રથમ વખત મહેમાનો હાજર રહેવાના છે. ભોજન સમારંભ રાતે 9 વાગ્યે શરૂ થશે.

રાષ્ટ્રપતિભવનના ફોર કૉર્ટ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંંદ મોદી અને પ્રધાનોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. આ સ્થળે મોદી બીજી વખત શપથ લેશે.

સ્પૉટર્સ ક્ષેત્રના રાહુલ દ્રવિડ, સાઇના નેહવાલ, પી. ટી. ઉષા, અનિલ કુંબલે, જવાગલ શ્રીનાથ, પુલેલ્લા ગોપીચંદ, દીપા કરમાકર, ફિલ્મ ક્ષેત્રના રજનીકાંત, શાહરુખ ખાન, કંગના રનોટ, સંજય ભણસાલી, કરણ જોહર, ઉદ્યોગપતિઓમાં રતન તાતા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, અજય પિરામલ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના અધ્યક્ષ ક્રિશ્ર્ચિયન લેગાર્ડ, અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ગેટ્સને આમંત્રણ અપાયું છે.

મોરિશસના વડા પ્રધાન પ્રવિંદકુમાર જગન્નાથ, કિર્ગીઝસ્તાનના પ્રમુખ સૂરોનબય જીનબેકોવ, બંગલાદેશના પ્રમુખ અબ્દુલ હમીદ, શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલ સિરીસેના, નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી, મ્યાનમારના પ્રમુખ યુ. વિન મિન્ટ, ભુતાનના વડા પ્રધાન લોટય ત્શેરિંગ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે.

શપથવિધિ સમારંભ આશરે 90 મિનિટ ચાલશે અને તે પછી મહેમાનોને રાત્રિભોજન પીરસાશે.

રાષ્ટ્રપતિભવનમાં રાષ્ટ્રપતિ દ્વારા યોજાનારા ભોજન સમારંભમાં ‘દાળ રાયસીના’, પનીર ટીક્કા, રાજભોગ, લેમન ટાર્ટ સહિત અનેક વાનગીઓ હશે. ભોજનની પહેલાં નાસ્તો પણ અપાશે. દાળ રાયસીનાની મુખ્ય સામગ્રી લખનઊથી લવાઇ છે.

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનમોહન સિંહ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.

ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક અને પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ મોદીના શપથવિધિ સમારંભમાં ગેરહાજર રહેવાની જાહેરાત કરી હતી.

દક્ષિણના ફિલ્મ અભિનેતાઓ – રજનીકાંત અને કમલ હસન પણ આ સમારંભમાં હાજર રહેવાના છે.

નરેન્દ્ર મોદીની વડા પ્રધાનપદની 30મી મેએ યોજાનારી શપથવિધિમાં બંગલાદેશ, ભુતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઇલેન્ડનો સમાવેશ કરતા સંગઠન – બૅ ઑફ બંગાળ ઇનિશિયેટિવ ફૉર મલ્ટિ-સૅક્ટરલ ટૅક્નિકલ એન્ડ ઇકૉનૉમિક કૉઑપરેશન (બીઆઇએમએસટીઇસી)ના સભ્ય દેશના વડાઓ, શાંઘાઇ કૉઑપરેશન ઑર્ગેનાઇઝેશનના હાલના વડા કિર્ગીસ્તાનના પ્રમુખ અને મોરિશસના વડા પ્રધાન સહિત વિદેશના અનેક મહાનુભાવને આમંત્રણ અપાયું છે, પરંતુ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને આમંત્રણ નથી અપાયું.

બંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના આ સમય દરમિયાન અન્ય ત્રણ વિદેશની યાત્રાએ જવાના હોવાથી તેઓ મોદીના શપથવિધિ સમારંભમાં હાજર રહી નહિ શકે.

બંગલાદેશના મુક્તિસંગ્રામને લગતી બાબતોના પ્રધાન એ. કે. એમ. મોઝામ્મેલ હક મોદીના શપથવિધિ સમારંભમાં બંગલાદેશ સરકારના પ્રતિનિધિ તરીકે હાજર રહેશે.

May 30, 2019
world_cup_logo.png
1min5390

બૅટિંગના વિક્રમો અને સિદ્ધિઓને લીધે અત્યારથી જ ક્રિકેટ-લેજન્ડ બની ગયા પછી હવે અહીં આજે શરૂ થયેલા વન-ડે વર્લ્ડ કપના ચૅમ્પિયનપદની ઉપલબ્ધિ ‘કિંગ’ વિરાટ કોહલીના મુગટ પર ‘કોહિનૂર’ સાબિત થશે.

વિરાટ ટેસ્ટ અને વન-ડેમાં ઘણા મહિનાઓથી વર્લ્ડ નંબર-વન છે અને તેના સુકાનમાં ભારત ટેસ્ટ તથા વન-ડેમાં અનુક્રમે નંબર-વન તથા નંબર-ટૂ બન્યું તો બન્યું જ છે, હવે તેણે પોતાની કૅપ્ટન્સીમાં વન-ડે જગતનો તાજ પહેરવાનું સપનું સેવ્યું છે, પરંતુ સૌથી વધુ બે હરીફ ખેલાડીઓ તેના માટે અવરોધ બની શકે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ સ્મિથ અને ભૂતપૂર્વ વાઇસ-કૅપ્ટન ડેવિડ વૉર્નર ગયા વર્ષના બૉલ-ટૅમ્પરિંગના બનાવને પગલે 12 મહિનાનો પ્રતિબંધ ભોગવ્યા બાદ હવે ફરી ઑસ્ટ્રેલિયાને વિશ્ર્વવિજેતા બનાવીને ભૂલનો સૌથી મોટો બદલો ચૂકવવા સંકલ્પિત છે.

યજમાન ઇંગ્લૅન્ડનો આયલેન્ડમાં જન્મેલો કૅપ્ટન ઓઇન મૉર્ગન પણ પોતાની ટીમને અને પોતાના દેશ ઇંગ્લૅન્ડને અનેરી સિદ્ધિ અપાવવા થનગની રહ્યો છે. 1975માં વર્લ્ડ કપ યોજાવાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ક્યારેય ઇંગ્લૅન્ડે વિજેતાપદ નથી મેળવ્યું, પણ મૉર્ગન ટૅલન્ટેડ અને મહત્ત્વકાંક્ષી ખેલાડીઓથી ભરેલી પોતાની ટીમના ટેકાથી 44 વર્ષથી અધૂરું રહેલું એ સપનું હવે સાકાર કરાવવા મક્કમ છે.આવતા સાડા-છ અઠવાડિયા (46 દિવસ) દરમિયાન વન-ડેની ટોચની 10 રૅન્કવાળી ટીમો વન-ડે જગતના નવા શહેનશાહ બનવા એકમેક સામે એક લીગ મૅચ રમશે અને એ જંગની શરૂઆત આજે અહીં કેનિંગ્ટન ઓવલમાં યજમાન ઇંગ્લૅન્ડ અને ફૅફ ડુ પ્લેસીના સુકાનવાળી સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચેના મુકાબલા (ભારતીય સમય મુજબ બપોરે 3.00 વાગ્યાથી) સાથે થશે. ઇંગ્લૅન્ડમાં તેમ જ એના જ હિસ્સા ગણાતા વેલ્સ ટાપુના કાર્ડિફનું મેદાન મળીને કુલ મળીને 11 સ્થળે વિશ્ર્વકપના કુલ 45 લીગ મુકાબલાઓ થશે અને ત્યાર પછી સેમી ફાઇનલ તથા ફાઇનલ રમાશે.

સેમી ફાઇનલ થવા માટે ક્વૉલિફાય થવા કોઈ પણ દેશની ટીમે ઓછામાં ઓછી પાંચ લીગ મૅચ જીતવી જરૂરી છે અને પ્રત્યેક ટીમનો સૌથી પહેલો લક્ષ્યાંક એ જ હશે.

ભારત, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા આ વખતે ચૅમ્પિયન બનવા ઘણા ક્રિકેટ-નિષ્ણાતોમાં પહેલેથી જ ફેવરિટ છે, ન્યૂ ઝીલૅન્ડની ‘શિસ્તબદ્ધ’ ટીમ તેમ જ તરંગી અને લહેરી પાકિસ્તાનની ટીમ અને ‘ભભકાવાળી’ અને ‘દમામદાર’ વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ ચૅમ્પિયન બનવા સક્ષમ છે.

બૅટ્સમેનોમાં કોણ કેટલું સફળ થાય છે એનો આધાર કેટલાક ટોચના બોલરોની સફળતા પર નિર્ભર રહેશે. ભારતીય બોલરોની વાત કરીએ તો વન-ડેનો વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહ તેમ જ ટોચના બે રિસ્ટ-સ્પિનરો કુલદીપ યાદવ તથા યુઝવેન્દ્ર ચહલ હુકમના પત્તાં બની રહેશે. ભારતની બૅટિંગ લાઇન-અપ વિરાટ ઉપરાંત વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ ત્રણ ડબલ-સેન્ચુરી ફટકારી ચૂકેલા રોહિત શર્મા તેના ઓપનિંગના સાથી શિખર ધવન, પીઢ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની તેમ જ નંબર-ચાર પર ફિક્સ થઈ ગયેલા કે. એલ. રાહુલ અને આક્રમક બૅટ્સમૅન હાર્દિક પંડ્યા પર ટીમને સૌથી વધુ આધાર રહેશે.

ધોની ચોથો અને આખરી વર્લ્ડ કપ રમી રહ્યો હોવાથી ભારતીય ટીમ તેને ચૅમ્પિયનપદની ભેટ આપવા કોઈ કસર બાકી નહીં રાખે. મિડલ-ઑર્ડરની બૅટિંગ ભારત માટે ચિંતાનો વિષય જરૂર છે, પરંતુ સેમી ફાઇનલ સુધી પહોંચી શકાય એમ છે જ.

ગયા વખતના વિજેતા અને કુલ પાંચ વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલા ઑસ્ટ્રેલિયાને સ્મિથ-વૉર્નર ઉપરાંત ઉસ્માન ખ્વાજા, કૅપ્ટન ઍરોન ફિન્ચ, પેસ બોલરો પૅટ કમિન્સ તથા મિચલ સ્ટાર્ક, સ્પિનરો નૅથન લાયન અને ઍડમ ઝેમ્પા વર્લ્ડ કપ અપાવી શકે.

યજમાન ઇંગ્લૅન્ડનો સૌથી વધુ આધાર જૉસ બટલર, જૉ રૂટ, જૉની બેરસ્ટૉવ તેમ જ ઑલરાઉન્ડર જોફરા આર્ચર, બેન સ્ટૉક્સ તેમ જ માર્ક વૂડ અને સ્પિનરો મોઇન અલી તથા આદિલ રશીદ પર છે.

છેલ્લી લાગલગાટ 10 વન-ડે હારીને ઇંગ્લૅન્ડ આવેલી પાકિસ્તાની ટીમમાં રહી-રહીને મોહંમદ આમિર અને વહાબ રિયાઝનો સમાવેશ કરાયો છે. ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, પીઢ પ્લેયરો શોએબ મલિક તથા મોહંમદ હફીઝ અને બાબર આઝમ પણ પાક માટે મૅચ-વિનર બની શકે.

કેન વિલિયમસનના નેતૃત્વમાં ન્યૂ ઝીલૅન્ડની ટીમ માર્ટિન ગપ્ટિલ તથા કૉલિન મન્રોની મદદથી કેટલાક આંચકા સર્જીને સેમી ફાઇનલ સુધી પહોંચી શકે એમ છે. આ ટીમને બહુ સારું ફૉર્મ ધરાવતા ફાસ્ટ બોલર ટ્રેન્ટ બૉલ્ટ તેમ જ ઑલરાઉન્ડરો જિમ્મી નીશૅમ અને કૉલિન ડી’ગ્રેન્ડહમનો સારો ટેકો મળી શકે એમ છે.

કરોડો ક્રિકેટપ્રેમીઓની નજર વેસ્ટ ઇન્ડિઝની ટીમ પર અને એમાં પણ આઇપીએલ-2019ના સ્ટાર આન્દ્રે રસેલ પર તેમ જ ‘યુનિવર્સ બૉસ’ તરીકે જાણીતા ક્રિસ ગેઇલ પર રહેશે. રસેલે આ વખતની આઇપીએલમાં સૌથી વધુ 50થી પણ વધુ સિક્સર ફટકારી હતી.

સાઉથ આફ્રિકા વતી ડેલ સ્ટેન ઈજાને કારણે પહેલી મૅચ નહીં રમી શકે, પણ કૅગિસો રબાડાની પેસ તથા ઇમરાન તાહિરના સ્પિન આ ટીમને જિતાડી શકે.

અફઘાનિસ્તાનની ટીમ વન-ડે ક્રિકેટના વર્લ્ડ નંબર-થ્રી અને ટી-ટ્વેન્ટીના નંબર-વન બોલર રશીદ ખાન પર સૌથી મોટો મદાર રાખશે.

મશરફી મોર્તઝાના નેતૃત્વમાં બંગલાદેશની ટીમ મંગળવારે ભારત સામેની પ્રૅક્ટિસ-મૅચ હારી જતાં થોડી હતાશ જરૂર હશે, પરંતુ એ લડાયક ટીમ આ સ્પર્ધામાં એકાદ-બે અપસેટ તો કરી જ શકે એમ છે.

10 ટીમમાં ટચ વિનાની મનાતી એકમાત્ર ટીમ શ્રીલંકાની છે જેમાં બોલિંગ કે બૅટિંગમાં જરાય ડેપ્થ નથી દેખાતી. દિમુથ કરુણારત્નેના સુકાનવાળી આ ટીમ પાસે લસિથ મલિન્ગાના રૂપમાં અનુભવી ફાસ્ટ બોલર છે, પણ 1996માં જેમ અર્જુન રણતુંગાના નેતૃત્વમાં વર્લ્ડ ચૅમ્પિયન બનેલી ટીમમાં જેમ માહેલા જયવર્દને, સનથ જયસૂર્યા, અરવિંદ ડી’સિલ્વા હતા એમ આ વખતની ટીમમાં એવા કોઈ કાબેલ ખેલાડી નથી.

જોકે, ક્રિકેટમાં ક્યારેય પણ કંઈ પણ બની શકે. શક્તિશાળી ગણાતી ટીમ નબળી પુરવાર થાય, જ્યારે નિસ્તેજ ટીમ ભલભલી મોટી ટીમને નિશાન બનાવીને સ્પર્ધામાં પ્રગતિ કરતી રહે એવું પણ બની શકે.

May 29, 2019
vnsgu_logo.jpg
1min11500

ધો.12 સામાન્ય પ્રવાહ (કોમર્સ) પછી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત બી.કોમ. (બેચલર ઓફ કોમર્સ) , બી.બી.એ. (બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બી.સી.એ. (બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન) કોલેજોમાં પ્રવેશ માટે યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

કોઇપણ કોલેજમાં પ્રવેશ માટે પ્રવેશાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશ  તા.3 જુન 2019થી 13 જુન 2019 સુધીમાં કરી શકાશે.

યુનિવર્સિટી તમામ પ્રવેશાર્થીઓનું મેરિટ લિસ્ટ તૈયાર કરીને કોલેજોને સુપરત કરશે. કોલેજોએ મેરિટ લિસ્ટ અનુસાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે.

વીર નર્મદ યુનિવર્સિટીની પ્રવેશ કાર્યવાહીની સઘળી માહિતી આ મુજબ છે.

 

M.Sc. Information Technology (M.Sc.I.T.)માં પ્રવેશ કાર્યવાહી અંગે

 

May 29, 2019
maharashtra_map.jpg
1min5010

શિવસેનાના સાંસદો મરાઠીમાં શપથ લેશે, તેમ પક્ષના નેતાએ જણાવ્યું હતું. રાજ્યમાંથી કુલ ૧૮ શિવસેનાના સાંસદ ચૂંટાઈ આવ્યા હતા. કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદેએ જણાવ્યું હતું કે અમે મરાઠીનું રક્ષણ કરવા અને તેને આગળ વધારવા માટે છીએ. ૧૭મી લોકસભાની ચૂંટણી તાજેતરમાં પૂરી થઈ છે અને પહેલું સંસદીય સત્ર ૬ઠ્ઠી જૂનથી ૧૫મી જૂન દરમિયાન આયોજિત કરવામાં આવશે. ૩૦મી મેના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત પ્રધાનમંડળ અને સાંસદો શપથ લેશે.

May 29, 2019
team-india-ap-fb.jpg
1min6120

ભારતે પોતાની બીજી અને અંતિમ વૉર્મ અપ મેચમાં બાંગ્લાદેશને 95 રનના મોટા અંતરથી હરાવી વર્લ્ડકપ પહેલા આત્મવિશ્વાસ મેળવી લીધો છે. કે એલ રાહુલ (108) અને એમ એસ ધોની (112)ની શાનદાર સદીઓની મદદથી ભારતે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 359 રન બનાવ્યા હતા

બાંગ્લાદેશે ટૉસ જીતી ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. ભારતની શરૂઆત નબળી રહી હતી અને 102 રનના સ્કોરમાં 4 મહત્વની વિકેટો પડી ગઈ હતી. રોહિત શર્મા અને શિખર ધવન ફરી એકવાર નિષ્ફળ રહ્યાં હતા. કોહલી 47 રન બનાવી આઉટ થયો હતો જ્યારે વિજય શંકર માત્ર 2 રન જ બનાવી આઉટ થયો હતો. એક સમયે લાગતું હતું કે, આ મેચમાં પણ ભારતની હાલત ન્યૂઝીલેન્ડ સામે થઈ હતી તેવી જ થશે. જોકે, છઠ્ઠા ક્રમે આવેલા ધોનીએ કે એલ રાહુલ સાથે મળીને જોરદાર બેટિંગ કરી હતી. બંનેએ સેન્ચુરિયન ઈનિંગ રમી હતી. રાહુલે 99 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 108 જ્યારે એમ એસ ધોનીએ 78 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 113 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 164 રનની મોટી ભાગીદારી નોંધાઈ હતી. અંતિમ ઓવરોમાં હાર્દિક પંડ્યા (21) અને રવીન્દ્ર જાડેજા(11)ની ઝડપી ઈનિંગની મદદથી ભારતે 50 ઓવરના અંતે 359 રનનો વિશાળ સ્કોર બનાવી લીધો હતો.

જવાબમાં બાંગ્લાદેશની આખી ટીમ 264 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કુલદીપ યાદવ-યુઝવેન્દ્ર ચહલે 3-3, જસપ્રીત બુમરાહે 2 અને રવીન્દ્ર જાડેજાએ 1 વિકેટ ઝડપી હતી.

360 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત સારી રહી હતી. જોકે. વિના વિકેટે 49 રન બનાવ્યા બાદ આ જ સ્કોર પર બે વિકેટો ગુમાવી દેતા તે મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. પછી ઓપનર લિટન દાસ(73) અને મુશફિકર રહીમ (90) વચ્ચે 120 રનની મહત્વની ભાગીદારી નોંધાઈ હતી પણ તેમના પછી બીજા કોઈ બેટ્સમેન ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. અંતે 49.3 ઓવરમાં આખી ટીમ 264 રન પર સમેટાઈ ગઈ હતી.

May 29, 2019
gujarat_map-1280x1023.png
1min6250

વર્ષ ર018- 19ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં આપવામાં આવેલા નવરાત્રી વેકેશન ચાલુ વર્ષ 2019-20ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં ચાલુ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં પણ નવરાત્રી વેકેશનની મંજૂરી આપ્યો છે.

ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં લઈને નવરાત્રી વેકેશન ચાલુ રાખવાની બાબત સ્વીકારાઈ છે. રાજ્ય સરકારનો આ નિર્ણય રાજ્યની તમામ સરકારી ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે.

રાજ્યની સરકારી તથા ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવરાત્રી વેકેશન તા.30/9/ર019 થી તા.7/10/ર019 સાથે આઠ દિવસનું વેકેશન આપવામાં આવશે અને દિવાળી વેકેશન તા.રપ/10/ર019 થી તા.6/11/ર019ના સમયગાળા દરમિયાન 13 દિવસનું વેકેશન આપવામાં આવશે.

May 29, 2019
trafficeineverest.jpg
1min7680

એવરેસ્ટના ‘ટ્રાફિકજામ’માંથી બચી જનાર અમીશા ચૌહાણ હાલમાં ફ્રોસ્ટ બાઇટને કારણે હૉસ્પિટલમાં છે, તેણે જણાવ્યું હતું કે જે લોકો પાસે પર્વત ચઢવા અંગેનું મૂળભૂત કૌશલ્ય ના હોય તેવા લોકોને વિશ્ર્વના સૌથી ઊંચા શિખર પર ચઢવાની મંજૂરી નહીં આપવી જોઇએ, જેથી આ વર્ષ જેવી ‘ટ્રાફિકજામ’ની સમસ્યા ના સર્જાય.

બે અઠવાડિયાથી ઓછા સમયમાં પર્વત પર ખરાબ હવામાનને કારણે 10 જણનાં મૃત્યુ થયાં છે. પર્વતારોહકોને લાંબા સમય સુધી ઑક્સિજન ખલાસ થઇ જવાના ભય હેઠળ શિખર પર રાહ જોવી પડી હતી અને અથાગ થાકના ભોગ બનવું પડ્યું હતું.

‘આ સિઝનમાં નેપાળે વિક્રમી 381 ઍવરેસ્ટ પરમિટ જારી કરી હતી. કેટલાય પર્વતારોહક એવા હતા કે જેમણે પર્વતારોહણની યોગ્ય તાલીમ જ નહોતી લીધી. તેઓ નબળા નિર્ણય લેતા હતા, જેને કારણે તેમની પોતાની અને તેમના માર્ગદર્શક અને ભોમિયા શેરપાઓની જિંદગી પણ જોખમમાં મુકાઇ ગઇ હતી,’ એમ ચૌહાણે જણાવ્યું હતું.

અમીશા ચૌહાણને 8,848 મીટર (29,029 ફૂટ) ઊંચા શિખર પરથી નીચે આવવા માટે 20 મિનિટ રાહ જોવી પડી હતી, પરંતુ કેટલાક લોકો તો કલાક સુધી અટવાઇ ગયા હતા.

કેટલાક પર્વતારોહકો શેરપા ભોમિયાઓ પર જ આધાર રાખતા હતા. સરકારે પર્વતારોહણ માટે કેટલાક નિયમો બનાવવા જોઇએ અને ફક્ત કુશળ તાલીમ પામેલા પર્વતારોહકોને જ પરમિટ આપવી જોઇએ. આ વર્ષે હિમાલયના અન્ય શિખર પર નવ પર્વતારોહકનાં મૃત્યુ થયાં છે અને એક જણ ગુમ થયો છે.

નેપાળ માઉન્ટેનિયરિંગ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ઍવરેસ્ટ પર આ વર્ષે જરૂર કરતા વધારે ભીડ હતી.

અત્યાર સુધીમાં 11 પર્વતારોહકના મૃત્યુ થયા છે. મોટા ભાગના લોકો ઊંચાઇને કારણે થતી બીમારીનો ભોગ બન્યા હતા, જેમાં એ લોકોને માથાનો દુખાવો, ઊલટી, શ્ર્વાસ લેવામાં તકલીફ અને માનસિક સંતુલનમાં તકલીફ જેવી સમસ્યા થઇ હતી.

એક સમયે આ શિખર ઇલાઇટ પર્વતારોહકો માટે જ ઍવરેસ્ટ આરોહણના દ્વાર ખુલ્લા હતા. હવે તો પર્વતારોહણ એક મનપસંદ વ્યવસાય બની ગયો છે અને પર્વતારોહણને લગતા ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

ઍવરેસ્ટ પર 8000 મીટરની ઊંચાઇથી 8,850 મીટરના શિખર સુધીનો રસ્તો ‘ડેથ ઝોન’ તરીકે ઓળખાય છે. ત્યાંનું વાતાવરણ એટલું વિષમ હોય છે કે કોઇ પર્વતારોહકનું અહીં મૃત્યુ થાય તો તેને નીચેના કૅમ્પ સુધી લઇ આવવાના પણ કોઇના હોશ નથી હોતા.

‘અહીં એક એક મિનિટ કીમતી હોય છે,’

એમ ત્રીજી વાર ઍવરેસ્ટનું સફળ આરોહણ કરી ચૂકેલા એક પર્વતારોહકે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે સામાન્યપણે જે ચઢાણ માટે બાર કલાક લાગે એમાં આ વખતે 17 કલાક લાગ્યા હતા કારણ કે ઘણાં પર્વતારોહકોને કોઇ અનુભવ જ નહોતો અને તેમને માર્ગદર્શન આપવાવાળું પણ કોઇ નહોતું.

ઍવરેસ્ટ આરોહણની પરમિટ આપવા માટે નેપાળ પાસે કોઇ માર્ગદર્શિકા કે નિયમ જ નથી. કોઇ પણ વ્યક્તિ ડૉક્ટરના સર્ટિફિકેટ પર 11,000 યુએસ ડૉલર ભરી પરમિટ મેળવી શકે છે.

આ વખતે 381 લોકોને પરમિટ આપવામાં આવી અને એટલી જ સંખ્યામાં તેમની સાથે ભોમિયાઓ પણ હતા. તે ઉપરાંત આ વર્ષે ચીને ઍવરેસ્ટ પર સફાઇ અભિયાન આદરી તેમની બાજુના ઍવરેસ્ટ પરથી આરોહણ કરવા માટે લોકોને અપાતી પરમિટમાં ઘટાડો કર્યો હતો.

May 29, 2019
petrol-diesel-1.jpg
1min4860

ચૂંટણી પૂર્ણ થયા બાદ બળતણના ભાવ મુખ્યત્વે પેટ્રોલ-ડીઝલના વધવાના શરૂ થયા છે. બળતણના ભાવ લિટરે 70-80 પૈસા વધ્યા છે. એક અઠવાડિયામાં પેટ્રોલ લિટરે 83 પૈસા તથા ડીઝલ 73 પૈસા મોંઘું થયું છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડતેલના ભાવ વધવા છતાં અત્રે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા નહોતા. દિલ્હીમાં પેટ્રોલના ભાવ લિટરે રૂ. 71.86, ડીઝલના રૂ. 66.69, મુંબઈમાં પેટ્રોલના રૂ. 77.47 તથા ડીઝલના રૂ. 69.88 થયા છે.

આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલે ચૂંટણી દરમિયાન ભાવ જાળવી રાખ્યા હતા. હવે વધારવા માંડ્યા છે.

May 29, 2019
heatwave.jpg
1min5610

રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. તેમાં પણ વિદર્ભ ભઠ્ઠીમાં તપી રહ્યું છે. મંગળવારે વિદર્ભનું ચંદ્રપુર રાજ્યનો સૌથી વધુ ગરમ પ્રદેશ રહ્યો હતો. અહીં દિવસ દરમિયાન પારો 47.8 ડિગ્રી પર પહોંચી ગયો હતો.

ગરમીને કારણે અનેક લોકોને લૂ લાગવાના બનાવ પણ અહીં નોંધાયા હતા. હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ દરમિયાન હિટ વેવની ચેતવણી આપી હોવાથી લોકોને દિવસ દરમિયાન અગત્યનું કામ ના હોય તો ઘરની બહાર નીકળવું નહીં એવી ચેતવણી પણ આપવામાં આવી છે.

છેલ્લા દોઢ મહિનાથી વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર નોંધાઈ રહ્યો છે. ગરમી અને લૂ લાગવાને કારણે સાતથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂકયા છે અને અનેક લોકો હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ પર થયા છે ત્યારે આગામી ત્રણ દિવસ અહીં હિટ વેવની આગાહી કરવામાં આવી હોવાથી લોકોને સંભાળીને રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમાં પણ વિદર્ભમાં છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં સૌથી ઊંંચું તાપમાન નોંધાઈ રહ્યું છે. મંગળવારે દિવસ દરમિયાન અહીં 47.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રહ્યું હતું.

વિદર્ભમાં અકોલામાં 45.6 ડિગ્રી,

અમરાવતીમાં 45.8 ડિગ્રી,

બુલઢાણામાં 41.7 ડિગ્રી,

બહ્મપુરીમાં 46.9 ડિગ્રી,

ચંદ્રપુરમાં 47.8 ડિગ્રી,

ગઢચિરોલીમાં 46.0 ડિગ્રી,

ગોંડિયામાં 45.5 ડિગ્રી,

નાગપૂરમાં 47.5 ડિગ્રી,

વર્ધામાં 46.5 ડિગ્રી,

યવતમાળમાં 45.0 ડિગ્રી

મરાઠવાડામાં ઔરંગાબાદમાં 42.0 ડિગ્રી,

બીડમાં 44.2 ડિગ્રી,

નાંદેડમાં 44.5 ડિગ્રી,

ઉસ્મનાબાદમાં 43.4 ડિગ્રી,

પરભણીમાં 46.1 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.

મધ્ય મહારાષ્ટ્રમાં જળગાંવમાં 43.6 ડિગ્રી,

કોલ્હાપુરમાં 38.0 ડિગ્રી,

હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં 34.2 ડિગ્રી,

માલેગાંવમાં 42.4 ડિગ્રી,

નાશિકમાં 38.5 ડિગ્રી,

પુણેમાં 39.7 ડિગ્રી,

સાંગલીમાં 39.4 ડિગ્રી,

સતારામાં 41.2 ડિગ્રી અને

સોલાપુરમાં 43.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.

જયારે મુંબઈમાં કોલાબામાં મહત્તમ તાપમાન 34.0 ડિગ્રી,

લઘુતમ તાપમાન 27.0 ડિગ્રી અને હવામાં ભેજનું પ્રમાણ 88 ટકા નોંધાયું હતું.

સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.5 ડિગ્રી જયારે હવામાં ભેજનું પ્રમાણ 68 ડિગ્રી નોંધાયું હતું.

આ દરમિયાન રાજ્યમાં વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર સહિત મરાઠવાડામાં તાપમાનમાં વધારો થયો છે અને આગામી દિવસમાં હજી તાપમાનમાં વધારો થવાની શકયતા છે. આજે વિદર્ભ સહિત મરાઠવાડામાં હિટ વેવની આગાહી પણ કરવામાં આવી છે. તો 30 અને 31 મેના વિદર્ભના અમુક વિસ્તારમાં હિટ વેવની આગાહી કરવામાં આવી છે.