Slider Archives - Page 348 of 487 - CIA Live

May 26, 2019
jadeja-1280x720.jpg
1min10330

ભારતે વર્લ્ડ કપ પહેલાંની પ્રથમ પ્રૅક્ટિસ-મૅચમાં ન્યૂ ઝીલૅન્ડ સામે પરાજયની નામોશી સહન કરવી પડી હતી. ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતીયો ઓછી વન-ડે રમતા હોવાથી આ વૉર્મ-અપ મૅચ મહત્ત્વની હતી જેમાં ભારતનો ૬ વિકેટે પરાભવ થયો હતો. ભારતે ૩૯.૨ ઓવરમાં માત્ર ૧૭૯ રન બનાવ્યા પછી કિવીઓએ ૩૭.૧ ઓવરમાં ૪ વિકેટે ૧૮૦ રન બનાવી લીધા હતા. તેઓ જીત્યા ત્યારે ૭૭ બૉલ બાકી રહ્યા હતા.

india warm up jadeja માટે છબી પરિણામ

રવીન્દ્ર જાડેજા (૫૪ રન અને એક વિકેટ)નો ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ ભારતીય ટીમનો એકમાત્ર ઊડીને આંખે વળગે એવો પર્ફોર્મન્સ હતો.

ભારતીયોની બૅટિંગ અને બોલિંગ કંગાળ સાબિત થઈ હતી, પરંતુ રવીન્દ્ર જાડેજાએ સારો ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બતાવ્યો હતો. તેણે ૫૦ બૉલમાં બે સિક્સર, છ ફોરની મદદથી ૫૪ રન બનાવ્યા હતા અને ભારતીય ટીમને સાવ ૧૦૦ રનની આસપાસ આઉટ થતી રોકી હતી. હાર્દિક પંડ્યાએ ૩૦ રન તથા કુલદીપ યાદવે ૧૯ રન બનાવ્યા હતા. ભારતના ૧૭૯ રનમાં કૅપ્ટન વિરાટ કોહલીના ફક્ત ૧૮ રન, વાઇસ-કૅપ્ટન રોહિત શર્માના બે રન, શિખર ધવનના પણ બે રન, ચોથા નંબર પર રમેલા લોકેશ રાહુલના ૧૮ રન, દિનેશ કાર્તિકના ૪ રન અને ધોનીના ૧૭ રનનો સમાવેશ હતો. તાજેતરની આઇપીએલમાં દિલ્હી કૅપિટલ્સ વતી રમનાર ટ્રેન્ટ બૉલ્ટે ૩૩ રનમાં ચાર વિકેટ લીધી હતી. જેમ્સ નીશૅમે ત્રણ વિકેટ લીધી હતી.

કિવીઓએ ૪ વિકેટે બનાવેલા ૧૮૦ રનમાં રૉસ ટેલરના ૭૧ રન, કૅપ્ટન વિલિયમસનના ૬૭ રનનો સમાવેશ હતો. ભારત વતી ફક્ત બુમરાહ, હાર્દિક, ચહલ અને જાડેજાને એક-એક વિકેટ મળી હતી.

ભારતની બીજી અને આખરી પ્રૅક્ટિસ-મૅચ મંગળવારે બંગલાદેશ સામે રમાશે.

May 26, 2019
jagan.jpeg
1min15250

આંધ્ર પ્રદેશના વાયએસઆર કૉંગ્રેસના વિધાનગૃહના નેતાપદે જગનમોહન રેડ્ડીની વરણી થયા બાદ રાજ્યમાં સરકાર રચવા દાવો કર્યો હતો. રવિવારે તેઓ વડા પ્રધાન મોદીને મળશે એવી સંભાવના છે. આંધ્ર પ્રદેશને વિશેષ કેટેગરીનો દરજ્જો આપવા જે ખાતરી આપશે તેને તેઓ ટેકો આપશે. મોદી સરકારને સમર્થન આપશે એવો નિર્દેશ તેમણે કર્યો હતો. વાયએસઆર કૉંગ્રેસે લોકસભામાં પણ 25 પૈકી 22 બેઠક જીતીને ત્રીજો મોટો પક્ષ બન્યો છે. ભાજપ, કૉંગ્રેસ બાદ ત્રીજા સ્થાને વાયએસઆર કૉંગ્રેસ છે. ગત વર્ષે ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુએ મોદી સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધા બાદ રાજીનામા આપ્યા હતા. હવે વાયએસઆર કૉંગ્રેસ પણ આંધ્રને વિશેષ દરજ્જો આપે તેને ટેકો આપવાનો નિર્દેશ કર્યો છે.

આંધ્રપ્રદેશમાં સત્તાપલટો થયો છે. ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુની સરકારની હાર થઈ છે અને વાયએસઆર કૉંગ્રેસના જગનમોહન રેડ્ડીનો જ્વલંત વિજય થયો છે. શનિવારે વાયએસઆર કૉંગ્રેસના ચૂંટાયેલા વિધાનસભ્યોએ નેતા તરીકે જગનમોહન રેડ્ડીને સર્વસંમતિથી ચૂંટી કાઢ્યા હતા. શનિવારે નવા ચૂંટાયેલા વિધાનસભ્યોની બેઠક મળી હતી, જેમાં વાયએસઆર કૉંગ્રેસના વિધાનગૃહના નેતા તરીકે નિર્ણય લેવાયો હતો. જગન રેડ્ડીએ તમામ વિધાનસભ્યોનો આભાર માન્યો હતો. સારી કામગીરીને કારણે જનતાએ આપણા પક્ષમાં વિશ્ર્વાસ દર્શાવ્યો છે, એમ રેડ્ડીએ કહ્યું હતું. આગામી દિવસોમાં વધુ સારી કામગીરી માટે તેમણે વિધાનસભ્યોનો સહકાર માગ્યો છે. જગનમોહન રેડ્ડીને નેતાપદે ચૂંટવાના નિર્ણયની રાજ્યપાલ ઈ. વી. નરસિંહમ્ને જાણ કરવામાં આવી છે. પક્ષ રાજ્યમાં સરકાર રચવા દાવો કરશે. પક્ષના જણાવ્યા પ્રમાણે 30 મેના ઈન્દિરા ગાંધી મ્યુનિસિપલ સ્ટેડિયમમાં શપથવિધિ યોજાશે. વાયએસઆર કૉંગ્રેસે 175 બેઠકના ગૃહમાં 151 બેઠક જીતી છે.

May 26, 2019
CWC.jpg
1min12780

કૉંગ્રેસની કારોબારી સમિતિની શનિવારે મળેલી બેઠકમાં પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીએ રાજીનામાની કરેલી ઑફરને સર્વાનુમતે નકારાઇ હતી. રાહુલ ગાંધીએ લોકસભાની તાજેતરમાં પૂરી થયેલી ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષના નબળા દેખાવ બદલ જવાબદારી લઇનેે પક્ષના પ્રમુખપદેથી રાજીનામું આપવાની ઑફર કરી હતી.

કૉંગ્રેસ કારોબારી સમિતિએ રાહુલ ગાંધીને પક્ષના પ્રમુખપદે ચાલુ રહીને પક્ષની દરેક સ્તરે નવરચના કરવાની સત્તા આપી હતી.

કૉંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં પસાર કરાયેલા ઠરાવમાં જણાવાયું હતું કે કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ સમિતિની બેઠકને સંબોધતી વખતે પ્રમુખપદેથી રાજીનામું આપવાની ઑફર કરી હતી. કૉંગ્રેસ કારોબારી સમિતિએ રાહુલ ગાંધીની રાજીનામાની ઑફર સર્વાનુમતે નકારી કાઢી હતી અને તેમને હાલના કપરા સમયમાં પક્ષનું માર્ગદર્શન કરવાનું ચાલુ રાખવાની વિનંતિ કરી હતી.

તેણે જણાવ્યું હતું કે કૉંગ્રેસ કારોબારી સમિતિએ રાહુલ ગાંધીને દેશના યુવાનો, ખેડૂતો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, લઘુમતીઓ, ગરીબો અને સમાજના પછાત ગણાતા વર્ગના લોકોની સમસ્યા દૂર કરવા માટે પક્ષને માર્ગદર્શન આપવાની વિનંતિ કરી હતી.

કૉંગ્રેસના દેશભરના નેતાઓ શનિવારે અહીં મળેલી કૉંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા અને લોકસભાની તાજેતરની ચૂંટણીમાં પક્ષના નબળા દેખાવ અંગે ચર્ચાવિચારણા અને આત્મમંથન કર્યું હતું.

કૉંગ્રેસ કારોબારી સમિતિની બેઠકની અધ્યક્ષતા રાહુલ ગાંધીએ કરી હતી અને આ બેઠકમાં યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનમોહન સિંહ, કૉંગ્રેસ દ્વારા શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો – પંજાબના અમરિન્દર સિંહ, રાજસ્થાનના અશોક ગેહલોત અને છત્તીસગઢના ભૂપેશ બઘેલ હાજર રહ્યા હતા.

પૂર્વ ઉત્તર પ્રદેશના કૉંગ્રેસનાં ઇનચાર્જ પ્રિયંકા ગાંધી, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમ, એ. કે. એન્ટની, અહેમદ પટેલ, ગુલામ નબી આઝાદ, શીલા દીક્ષિત, મલ્લિકાર્જુન ખર્ગે, અંબિકા સોની, આનંદ શર્મા અને જ્યોતિરાદિત્ય સિંધિયા હાજર રહ્યા હતા.

અગાઉ, કૉંગ્રેસના ઉત્તર પ્રદેશ એકમના વડા રાજ બબ્બર અને ઓડિશા એકમના પ્રમુખ નિરંજન પટનાયકે હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

May 26, 2019
modi_president.jpg
1min9010

એનડીએના નેતા ચૂંટાયા પછી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોદીની વડા પ્રધાનપદે નિમણૂક કરી હતી અને તેમના પ્રધાનમંડળનો અને શપથવિધિની તારીખનો નિર્ણય કરવા જણાવ્યું હતું. આ અગાઉ ભાજપના પ્રમુખ અમિત શાહ, રાજનાથ સિંહ, પ્રકાશસિંહ બાદલ, નીતિશકુમાર, રામવિલાસ પાસવાન, સુષમા સ્વરાજ, ઉદ્ધવ ઠાકરે, નીતિન ગડકરી કે પલાની સ્વામી, કોનરાડ સંગમા અને નેઈકિયૂ રિયો રાષ્ટ્રપતિને મળ્યા હતા અને એનડીએના ઘટકદળોમાં સોંપેલા સમર્થનપત્ર તેમને સોંપ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એનડીએની શનિવારે મળેલી બેઠકમાં સર્વાનુમતે નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આ બેઠકમાં એનડીએના તમામ ચૂંટાયેલા સંસદસભ્યો અને વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યું કે “353 સંસદ સભ્યોએ સર્વાનુમતે મોદીને સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટ્યા છે.

આ અગાઉ ભાજપના સંસદીય દળના નેતા તરીકે મોદીને સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા હતા. જનતા દળ (યૂ)ના નીતિશકુમાર, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, અકાલી દળના પ્રકાશસિંહ બાદલ સહિત એનડીએના ટોચના નેતાઓએ તેમના પક્ષનું મોદીને સમર્થન જાહેર કર્યું હતું. મંચ પર એનડીએના તમામ નેતાઓ અને ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી અને મુરલી મનોહર જોશી હાજર રહ્યા હતા.

અમિત શાહે મોદીના નામની દરખાસ્ત રજૂ કરી હતી અને ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ રાજનાથ સિંહ અને નીતિન ગડકરીએ દરખાસ્તને સમર્થન આપ્યું હતું.

May 25, 2019
women_power.jpg
1min622

તાજેતરમાં ચૂંટાયેલી ભારતની 17મી લોકસભામાં કુલ 542 સંસદસભ્યોમાંથી 78 સાંસદો મહિલા છે. ભારતીય લોકસભાના ઇતિહાસમાં આજ સુધીની સરખામણીમાં સૌથી વધુ 78 મહિલા સાંસદ ચૂંટાઇને આવી છે એટલે હવે ભારતીય સંસદમાં વુમન પાવર જોવા મળશે.

તાજેતરમાં ચૂંટાયેલી કુલ 78 મહિલા સાંસદો પૈકી 30 નેતા એવા છે જેમણે 1 લાખ કરતા વધારે માર્જિનથી વિજય હાંસલ કર્યો છે.

સુલ્તાનપુરથી ભાજપા ઉમેદવાર મેનકા ગાંધી સૌથી ઓછા 14500 વોટોના અંતરથી વિજેતા બન્યા છે જ્યારે, જ્યારે વડોદરાની ભાજપા ઉમેદવાર રંજનબેન ભટ્ટ સૌથી વધારે 5,89,177 વોટોની અંતરથી જીત મેળવી છે.

મહિલા સાંસદોની અત્યાર સુધીની ભાગીદારી સાથે નવી લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા કુલ સભ્યોની સંખ્યાના 17 ટકા થઇ જશે. મહિલા સાંસદોની સૌથી ઓછી સંખ્યા 9મી લોકસભામાં 28 હતી.

આ લોકસભા ચૂંટમીમાં 8049 ઉમેદવારો હતો જેમાંથી 724 મહિલા ઉમેદવારો હતી.

May 25, 2019
modi111.jpg
1min12700

લોકસભાની ચૂંટણીમાં ઝળહળતા વિજય બાદ ભાજપાએ કેન્દ્રમાં NDA એ નવી સરકાર રચવાના ભાગરૂપે તા.25મી મે ને શનિવારે દિલ્હીમાં સંસદીય દળની બેઠક યોજી હતી.

આ બેઠકમાં એન.ડી.એ.ના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીને સર્વસંમતિથી ચૂંટી કાઢવામાં આવ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામની ઔપચારિક દરખાસ્ત રજૂ કરી હતી. અમિત શાહની દરખાસ્તને રાજનાથસિંહ અને નીતિન ગડકરીએ સમર્થન જાહેર કર્યું હતું.

બાદમાં પ્રકાશ સિંહ બાદલે સંસદીય દળના નેતા તરીકે પણ નરેન્દ્ર મોદીનું નામ રજૂ કર્યું, જેને એનડીએના તમામ સાથી પક્ષોએ સમર્થન આપ્યું હતું.

નરેન્દ્ર મોદીને પહેલેથી જ NDAના નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

સંસદીય દળની બેઠક બાદ શનિવાર તા.25મી મે 2019ની રાત્રે 8 વાગે રાષ્ટ્રપતિ સમક્ષ નવી સરકાર રચવાનો દાવો રજૂ કરશે. લોકસભા ચૂંટણીમાં ભાજપ 303 સીટ જીતી છે જયારે NDAના તમામ ઘટક પક્ષોએ મળીને કુલ 353 બેઠકો કબજે કરી લીધી છે.

સંસદીય દળની બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ,લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અભિનેતાથી નેતા બનવા વાળા સની દેઓલ,કિરણ ખેર, રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી,ઉપ મુખ્યમંત્રીગણ હાજર રહ્યા હતા. સાથે સાથે NDAના સહયોગી દળના નેતા નીતિશ કુમાર,સુખબીર સિંહ બાદલ,ઉદ્ધવ ઠાકરે અને રામવિલાસ પાસવાન પણ હાજર છે.

બેઠકમાં નીતિન ગડકરી,સુષ્મા સ્વરાજ,મેનકા ગાંધી અને યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહીતના નેતાઓ હાજર છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 8 વાગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ નવી સરકાર રચવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. આ પહેલા સાંજે સાત વાગે એનડીએના નેતા રાષ્ટ્રપતિ  કોવિંદને મળશે.

May 25, 2019
smc.jpg
1min12550

સુરતના વરાછાના સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેડમાં શુક્રવાર તા.24મી મે 2019ના રોજ સર્જાયેલી આગ કરુણાંતિકામાં ઘટનાસ્થળે પહોંચવાથી લઇને બચાવ રાહત કામગીરીમાં ઢીલું વલણ અખત્યાર કરનાર ફાયર બ્રિગેડ તંત્ર સામે ભારે લોકરોષ ભભૂકી ઉઠ્યો છે. ખુદ સરકાર તેમજ લોકોએ વિડીયોમાં ફાયર બ્રિગેડની કામગીરી જોઇને ભારોભાર ટીકા કરી હતી.

મ્યુનિસિપલ કમિશનર પર જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાનું ભારે દબાણ હતું. આજે તા.25મી મે 2019ને શનિવારે મ્યુનિસિપલ કમિશનર થેન્નારાસને વરાછાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર  એસ.કે. આચાર્ય અને ફાયર ઓફિસર કિર્તી મોઢને તાત્કાલિક અસરથી ફરજ મૌકુફી (સસ્પેન્ડ) કરવાનો નિર્ણય કર્યો છે.

આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની વરાછા ઝોન કચેરીના કેટલાક ટેકનિકલ સ્ટાફના કર્મચારીઓ અને અધિકારીઓ પર પણ આકરાં શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી સંભાવનાઓ છે. ખાસ કરીને તક્ષશિલા આર્કેડમાં જે ટ્યુશન ચાલી રહ્યા હતા એ ટ્યુશન ક્લાસીસના બાંધકામ સંદર્ભે પાલિકાના ચોક્કસ અધિકારીઓ અને કર્મચારીઓએ આંખ આડા કાન કર્યા હોવાનું જણાય આવે છે.

May 25, 2019
butani.jpg
1min5970

સુરતના તક્ષશિલા આર્કેડમાં તા.24 મી મે 2019 શુક્રવારે સાંજે બનેલી આગ હોનારતમાં ટયુશન કલાસના સંચાલકની શનિવારે તા.25મી મે 2019ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જયારે બે બિલ્ડર ફરાર હોવાથી પોલીસ તેની શોધખોળ કરી રહી છે. આ બિલ્ડિંગમાં ફાયર સેફટીના કોઇ સાધન હતા જ નહીં અને તેનું બાંધકામ પણ ગેરકાયદે હોવાનું બહાર આવ્યું છે. 20 વિદ્યાર્થીના મોત બાદ પોલીસ હવે દોડતી થઇ છે.

તક્ષશિલા આર્કેડના ટેરેસ ઉપર ગેરકાયદે બાંધકામ કરીને નાટા ડ્રોઇંગ કલાસના સંચાલક 26 વર્ષના ભાર્ગવ બુટાણીની ક્રાઇમ બ્રાન્ચે ઇ.પી. કો કલમ 304, 308 અને 114 મુજબ ધરપકડ કરી છે. ભાર્ગવ 3, બાલકૃષ્ણ રો હાઉસ, મોટા વરાછા ખાતે રહે છે. જયારે તક્ષશિલા આર્કેડના બિલ્ડર હરસુલ વેકરીયા અને જીજ્ઞેશ પાગડાળ ઘટના પછી લાપતા છે. પોલીસ બંનેને શોધી રહી છે.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ 20 બાળકોના મોત થયા હોવાનું કહ્યું છે અને સેફટી સર્ટીફેકેટ વગર ચાલતી સંસ્થા સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે એમ જણાવ્યું છે.

 

May 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min21610

જયેશ બ્રહ્મભટ્ટ

તા.24મી મે 2019ના રોજ સુરતના વરાછા વિસ્તારમાં સરથાણા નજીક તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલી અત્યંત કરુણ આગ હોનારતમાં કમનીસબે જીંદગી હારી ગયેલા 5 વિદ્યાર્થીઓ આજે ધો.12 કોમર્સની પરીક્ષામાં પાસ જાહેર થયા છે.

આશાદીપ સ્કુલની ત્રણ કમનસીબ વિદ્યાર્થિનીઓ પરીણામના આગલા દિવસે જ ફાની દુનિયા છોડી ગઇ

ત્રણ વિદ્યાર્થીઓ નાના વરાછાની આશાદીપ સ્કુલના હતા. અત્યંત હ્રદયદ્વાવક સ્વરે આશાદીપ સ્કુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેશભાઇ રામાણીએ જણાવ્યું હતું કે અમને એટલો રંજ છે કે અમારા વહાલસોયા વિદ્યાર્થીઓને ગુમાવ્યા છે અને આજે તેમની માર્કશીટ જોઇને આંસુ અટકવાનું નામ લેતા નથી.

જે ત્રણ કમનસીબ વિદ્યાર્થીઓએ આગ હોનારતમાં જીંદગી હારી ગયા એ ત્રણેય વિદ્યાર્થિનીઓ છે. જેમાં

  • હસ્તી રિતેશભાઇ સુરાણી કે જે 60.42 ટકા સાથે પાસ થઇ છે.
  • યશ્વી દિનેશભાઇ કોઠીયા કે જે 59.71 ટકા સાથે પાસ થઇ છે.
  • નાનસી વરસાણી કે જે 53.42 ટકા સાથે પાસ થઇ છે.
  • આ ત્રણેય વિદ્યાર્થિનીઓના પરિવારજનોના હૈયાફાટ રુદન પાષાણ હ્રદય પીગળાવી નાંખે એવું છે.

મૌની ઇન્ટરનેશનલનો કમનસીબ રુદ્ર પોતાનું જ પરીણામ ન જોઇ શક્યો

મોટા વરાછા ખાતે આવેલી મૌની ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરતા રુદ્ર ઇશ્વરભાઇ ડોંડા ધો.12 કોમર્સની પરીક્ષા આપી હતી. ગઇકાલે આગ હોનારતમાં કમનસીબે તેમણે જીંદગી ખોઇ, પરંતુ, આજે જ્યારે ધો.12 કોમર્સનું પરીણામ આવ્યું ત્યારે તેમનું પરીણામ 96 પર્સન્ટાઇલ માર્ક સાથે પાસ થયા છે.

એસ્પાયર સ્કુલની કૃતિ પરીણામની રાહ જોવા પણ ઉભી ન રહી

આ ઉપરાંત એસ્પાયર સ્કુલમાં ધો.12 આર્ટસમાં અભ્યાસ કરીને બોર્ડની પરીક્ષા આપનાર દયાળા કૃતિ નિલેષભાઇનું પરીણામ આજે આવ્યું હતું. તેણી બી ગ્રેડમાં પાસ થઇ હતી. પરંતુ, આજે પરિણામ આવે એ પહેલા જ ગઇકાલે આગ હોનારતમાં કમનસીબ કૃતિનું મોત નિપજ્યું હતું.

 

આ ઉપરાંત સાયન્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓના પણ ગઇકાલની આગ હોનારતમાં મૃત્યું થયા હતા. જેમાં

  1. સંઘાણી મીત  (આશાદીપ વિદ્યાલય)  (હાલ ધો.12 સાયન્સમાં અભ્યાસ)
  2. કાતરોડીયા નિસર્ગ પરેશભાઇ  (આશાદીપ વિદ્યાલય)  (ધો.12 સાયન્સ પાસ)
  3. અંશ મનસુખભાઇ ઠુમ્મર             (મૌની ઇન્ટરનેશનલ સ્કુલ)    ધો.12 સાયન્સમાં અભ્યાસ ચાલુ
May 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9000

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજરોજ તા.25મી મે 2019ને શનિવારે વહેલી સવારથી જ પોતાની વેબસાઇટ પર ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામો જાહેર કર્યા હતા. પરીણામોના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે.

ગુજરાતનું સામાન્ય પ્રવાહનું પરીણામ   73.27 ટકા આવ્યું છે.  2018નુ ગુજરાતનું પરીણામ  68.96   ટકા હતું

સુરત શહેર જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરીણામ   81.67   ટકા

સમગ્ર રાજ્યમાં એ-વન ગ્રેડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા  792

સુરત શહેર જિલ્લામાંથી એ-વન ગ્રેડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા  294

સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ, કે જે ગુજરાતી મિડીયમમાં આવે છે. ઇંગ્લિશમાં કુલ 57,769 વિદ્યાર્થીઓ ફેઇલ થયા છે.

એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખ 1 હજાર 966 છે.

વિગતવાર પરીણામની ઝલક આ મુજબ છે.

રાજ્યનું જિલ્લાવાર પરીણામ આ મુજબ