
ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના અમુક વિસ્તારોમાં બુધવારે મોડી રાત્રે ધરતીકંપના આંચકા અનુભવાયા હતા જેને કારણે લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં રાત્રે ૧૦.૩૧ વાગ્યાની આસપાસ ચારની તીવ્રતાના ભૂકંપ આંચકા અનુભવાયા હતા જેને કારણે લોકો ડરીને ઘરની બહાર રસ્તા પર આવી ગયા હતા. અમદાવાદમાં પણ તેની હળવી અસર થઇ હતી.
અરવલ્લી , સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ચારની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અમીરગઢ, હિંમતનગર, પાલનપુર, અંબાજી, ડીસા સહિતના નગરોમાં રાત્રે ૧૦.૩૦ કલાકે આંચકા અનુભવાયા હતા. આબુમાં પણ ભૂકંપના જોરદાર આંચકા લાગ્યા હતા અને અહીં આવેલા પ્રવાસીઓમાં પણ ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું.

વર્લ્ડ બૅંકે આગાહી કરી છે કે આગામી ત્રણ વર્ષમાં ભારતના અર્થતંત્રનો 7.5 ટકાના દરથી વિકાસ થશે. મંગળવારે વર્લ્ડ બૅંકે જાહેર કરેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2018-19માં ભારતનો આર્થિક વૃદ્ધિદર 7.2 ટકા હતો. ચીનનો આર્થિક વૃદ્ધિદર 2018માં 6.6 ટકા હતો જે 2019માં ઘટીને 6.1 ટકા અને 2020માં ઘટીને 6 ટકા થવાનો વર્લ્ડ બૅંકે અંદાજ મૂકયો છે.
વિશ્ર્વમાં સૌથી વધુ ઝડપથી અર્થતંત્રોમાં ભારત પોતાનો પ્રથમ ક્રમ જાળવી રાખશે. 2021માં ચીનનો વૃદ્ધિદર 6 ટકા અને ભારતનો 7.5 ટકા રહેશે તેવો વર્લ્ડ બૅંકના અહેવાલમાં અંદાજ મૂકવામાં આવ્યો છે. 2018-19ના ચોથા કવાર્ટરમાં ભારતનો આર્થિક વૃદ્ધિદર 5.8 ટકા હતો જે છેલ્લાં પાંચ વર્ષનો સૌથી ઓછો વૃદ્ધિદર છે. અર્થતંત્રના વિકાસદરમાં ઘટાડો થવા પાછળ સીએસઓ કૃષિ અને મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં થયેલી પીછેહઠને જવાબદાર માને છે.
ધિરાણ વૃદ્ધિ અને વ્યાજદર હળવા કરવાની નીતિ અપનાવવાથી ખાનગી ખપત અને રોકાણને લાભ થશે, તેવું વર્લ્ડ બૅંકના અહેવાલમાં ધ્યાન દોરવામાં આવ્યું છે. ભારતના શહેરી વિસ્તારોમાં ધિરાણ વૃદ્ધિ થવાથી ખપત વધી હતી, જયારે કૃષિ ઊપજોના ભાવ નીચે રહેવાથી ગ્રામીણ ખપત ઘટી હતી તેવું અહેવામાં કહેવામાં આવ્યું છે.
ઉત્પાદન ક્ષેત્રમાં ઝડપી વૃદ્ધિદર વ્યાપક રહ્યો હતો. સર્વિસ ક્ષેત્ર અને કૃષિ પ્રવૃત્તિમાં ઘટાડો નોંધાયો હતો, જયારે ઔદ્યોગિક ક્ષેત્રમાં વૃદ્ધિદર વધુ રહ્યો હતો.
વેપાર, હૉટેલ, ટ્રાન્સપોર્ટેશન અને કમ્યુનિકેશન પ્રવૃત્તિમાં ધીમી રહી હોવાથી સર્વિસ ક્ષેત્ર ઠંડું રહ્યું હતું. કેપિટલ ગુડ્સની માગ વધુ રહી હોવાથી મેન્યુફેકચરિંગ ક્ષેત્ર, બાંધકામ ક્ષેત્રમાં તેજી જોવા મળી હોવાથી ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉછાળો નોંધાયો હતો.
નાણાપ્રધાન નિર્મલા સીતારામન નરેન્દ્ર મોદી 2.0 સરકારનું બજેટ પાંચમી જુલાઈએ રજૂ કરશે. નાણાપ્રધાન આર્થિક સુધારાઓને વેગ આપશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
ભારતે ગઈ કાલે અહીં ૧૨મા વર્લ્ડ કપમાં વિજયી-આરંભ કર્યો હતો. એણે સાઉથ આફ્રિકાને ૬ વિકેટે પરાજિત કર્યું હતું. ૨૨૮ રનના લક્ષ્યાંક સામે ભારતે ૪૭.૩ ઓવરમાં ૪ વિકેટે (૧૫ બૉલ બાકી રાખીને) ૨૩૦ રન બનાવ્યા હતા.

વિરાટસેનાએ આ વિજયના રૂપમાં દેશને ‘ઇદની ભેટ’ આપી હતી. ભારત વન-ડેમાં નંબર-ટૂ છે અને બૅટ્સમેનોમાં રોહિત શર્મા (૧૨૨ અણનમ, ૧૪૪ બૉલ, બે સિક્સર, તેર ફોર) પણ નંબર-ટૂ છે. તે પોતાની આ રૅન્કને છાજે એ રીતે ગઈ કાલે રમ્યો હતો અને ભારતને શાનદાર વિજય અપાવ્યો હતો. મૅન ઑફ ધ મૅચ રોહિત ઉપરાંત સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (૧૦-૦-૫૧-૪) પણ ગઈ કાલની જીતનો હીરો હતો.
રોહિતને ગઈ કાલે મહેન્દ્રસિંહ ધોની (૩૪ રન, ૪૬ બૉલ, બે ફોર)નો બહુ સારો સાથ મળ્યો હતો. તેમની વચ્ચે ચોથી વિકેટ માટે ૭૪ રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. ધોની આઉટ થયા બાદ હાર્દિક પંડ્યાએ ૭ બૉલમાં ત્રણ ફોરની મદદથી અણનમ ૧૫ રન બનાવીને ભવ્ય જીત માટે ‘ફિનિશિંગ ટચ’ આપ્યો હતો.
આ પરાજય સાથે સાઉથ આફ્રિકાએ આ વખતના વર્લ્ડ કપમાં સતત ત્રીજો પરાજય જોયો છે. ૩૦મી મેએ પ્રારંભિક મૅચમાં એની યજમાન ઇંગ્લૅન્ડ સામે અને બીજી જૂને બંગલાદેશ સામે હાર થઈ હતી.
ભારતે ૧૯૯૯ના વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે પોતાની પહેલી જ મૅચમાં ૪ વિકેટે પરાજય ખમવો પડ્યો હતો, પરંતુ ગઈ કાલે ભારતે એ હારનો ૨૦ વર્ષે બદલો લીધો હતો.
રોહિતને ૧૧૦ રન પૂરા કર્યા બાદ કવરમાં તેને ડેવિડ મિલરના હાથે જીવતદાન મળ્યું હતું. મિલરે તેનો આસાન કૅચ છોડ્યો હતો.
એ પહેલાં, ભારતે સાઉથ આફ્રિકાને ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૨૭ રન સુધી સીમિત રાખ્યું હતું. વાદળિયાં હવામાન વચ્ચે બૅટિંગ લેવાનો ફૅફ ડુ પ્લેસીનો નિર્ણય ‘ખોટી ગણતરી’ જેવો સાબિત થયો હતો, કારણકે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શરૂઆતમાં જ ત્રાટક્યો હતો. તેણે બન્ને ઓપનરો (અમલા, ડી’કૉક)ને આઉટ કર્યા ત્યાર બાદ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ક્લીન બોલ્ડમાં બે વિકેટ (હી વૅન ડર ડુસેન તથા કૅપ્ટન ફૅફ ડુ પ્લેસી) લીધી હતી. જોકે, ચાઇનામૅન બોલર કુલદીપ યાદવે જેપી ડુમિનીને આઉટ કર્યો ત્યાર પછી પૂંછડિયાઓએ ભારતને પરેશાન કરવાની શરૂઆત કરી દીધી હતી.
ટૉપ-ઑર્ડરના બૅટ્સમેનો કરતાં ટેઇલ-એન્ડરોની ભાગીદારીઓ ભારતને વધુ નડી હતી. છઠ્ઠી વિકેટ માટે ડેવિડ મિલર અને ઍન્ડીલ ફેહલુકવાયો વચ્ચે ૪૬ રનની, સાતમી વિકેટ માટે ક્રિસ મૉરિસ અને ફેહલુકવાયો વચ્ચે ૨૩ રનની તથા ખાસ કરીને આઠમી વિકેટ માટે મૉરિસ તથા કૅગિસો રબાડા વચ્ચે ૬૬ રનની પાર્ટનરશિપ થઈ હતી. આ ભાગીદારીએ મિડલ-ઑર્ડરની ડુ પ્લેસી તથા વૅન ડર ડુસેનની ત્રીજી વિકેટ માટેની ૫૪ રનની ભાગીદારી ઝાંખી પાડી દીધી હતી. આઠમી વિકેટની ૬૬ રનની ભાગીદારીમાં મૉરિસના ૩૩ રન તથા રબાડાના ૨૮ રન હતા. અન્ય પાંચ એક્સ્ટ્રા રન હતા.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે તા.5મી જુન 2019ના રોજ સવારે મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષા નીટ 2019નું પરીણામ જાહેર કર્યું હતું.
નીટ 2019નું સરેરાશ રાષ્ટ્રીય પરીણામમાં પરીક્ષા આપનારા કુલ 100 ટકા પૈકી 56.27 ટકા વિદ્યાર્થીઓ ક્વોલિફાય થઇ ગયા છે. ક્વોલિફાય થવું એટલે મેડીકલ ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત (નીચામાં નીચું પરીણામ) હાંસલ કરવું.
નીટ 2019માં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું પરીણામ સરેરાશ રાષ્ટ્રીય પરીણામ કરતા પણ 11 ટકા નીચું આવ્યું છે. ગુજરાતમાંથી 75889 વિદ્યાર્થીઓએ નીટ 2019 પરીક્ષા આપી હતી, જેમાંથી 35177 પરીક્ષાર્થીઓ ક્વોલિફાય થવામાં સફળ થયા છે. 45.09 ટકા ગુજ્જુ વિદ્યાર્થીઓ મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત મેળવી શક્યા છે.





સરથાણાના તક્ષશિલા આર્કેડમાં ભભૂકેલી આગમાં છાત્રો સહિત 22 વ્યકિતના થયેલા મૃત્યુના બનાવમાં સુરત મહાપાલિકાના કાર્યપાલક ઇજનેર, એકઝીકયુટીવ ઇજનેર, વીજકંપનીના નાયબ ઇજનેર અને બિલ્ડરની ધરપકડ કરવામાં આવી હતી.
હાલ સેન્ટ્રલ ઝોન ખાતે કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા અને આનંદ રો હાઉસ બંગલા નં.7માં રહેતાં પરાગ ડી. મુન્શી, અડાજણના આનંદ મહલ રોડ પર પવિત્રા રો હાઉસમાં રહેતાં અને રાંદેર ઝોનના એકઝીકયુટીવ ઇજનેર જયેશ રમણલાલ સોલંકી, વીજકંપનીના સરથાણા સબ ડિવીઝનના નાયબ ઇજનેર અને કાપોદ્રા ચાર રસ્તા પાસે જીઇબી કોલોનીમાં રહેતાં દીપક ઇશ્વરલાલ નાય અને સરથાણાના નિર્મળનગરમાં રહેતા તક્ષશિલાના બિલ્ડર રવિન્દ્ર ઘનશ્યામભાઇ કહારની ધરપકડ કરવામાં આવી હતી.
આ અંગેની માહિતી આપતા પોલીસ કમિશનર સતિષ શર્માએ જણાવ્યું હતું કે, બિલ્ડર રવિન્દ્ર કહારે જરૂરી ધારાધોરણ પ્રમાણે પરમીશનો મેળવી ન હતી અને તક્ષશિલા બિલ્ડીંગમાં ગેરકાયદે બાંધકામ કર્યુ હતું.
કાર્યપાલક ઇજનેર પરાગ મુન્શીએ બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે રજુ થયેલા પ્લાન સ્થળ સ્થિતિ સાથે સુસંગત ન હોવા છતાં બહાલી આપી નીતિ નિયમો વિરૂધ્ધ ઇમ્પેકટ ફી મંજુર કરીને ગુનાઇત બેદરકારી દાખવી હતી. એકઝીકયુટીવ ઇજનેર જયેશ સોલંકીએ સ્થળ સ્થિતિની ચકાસણી કર્યા વગર સર્ટીફીકેટ ઓફ રેગ્યુલાઇઝેશન ઇસ્યુ કરીને ખોટી રીતે મંજુરી આપીને બેદરકારી દાખવી હતી. જયારે વીજકંપનીના સરથાણા સબ ડિવીઝનના નાયબ ઇજનેર દીપક નાયકે ગ્રાહક તરફથી કરવામાં આવેલ વીજ વપરાશની માગણી સામે વપરાશની ચકાસણી, ગેરકાયદેસર વીજ કનેકશનની ચકાસણી અને આગ લાગ્યા પછી પણ લાંબા સમય સુધી વીજકનેકશન બંધ ન કરીને ફરજચુક દાખવી હતી.આ રીતે ચારેયે ફરજચુક અને ગુનાઇત બેદરકારી દાખવી હોવાથી ધરપકડ કરવામાં આવી છે.
દેશભરમાં આજે બુધવારે, તા.5મી જુન 2019ના રોજ ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. તા.4 જુન મંગળવારની પૂર્વ સંધ્યાએ ઈદનો ચાંદ દેખાયો હતો અને અનેક સ્થળોએ ચાંદ દેખાયો હોવાની ગવાહી મળતા આજે ભારતભરમાં ઇદ ઉલ ફિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. મુસ્લિમ બિરાદરો, પરિવારોમાં હર્ષોલ્લાસભેર ઇદની ઉજવણી થઇ રહી છે.

આજે સવારથી જ અલ્લાહની બંદગી, નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળીને શુભેચ્છાઓ પાઠવતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
મસ્જિદોમાં આજે ઇદની નમાઝ દરમિયાન શાંતિ અને સમૃદ્ધિની દુઆ માગવામાં આવી રહી છે.
વર્ષમાં બે વખત ઈદ મનાવવામાં આવે છે. આ ઈદને ઈદ-ઉલ-ફિત્ર ના નામથી ઓળખવામાં આવે છે જ્યારે બીજી ઈદ ઈદ-ઉલ-અઝહા અથવા બકરીઇદ ગણાય છે.
રમઝાનનો મુકદ્દસ માસ ખતમ થયા બાદ ઈદ-ઉલ-ફિત્ર મનાવવામાં આવે છે. આ દિવસે મીઠાં પકવાન અને ખાસ કરીને સેવૈયા બનાવવામાં આવે છે. સાઉદી અરબમાં એક દિવસ પહેલા જ ચાંદ દેખાયો હતો. ત્યાં 4 જૂનના રોજ ઈદ ઉજવવામાં આવી હતી.
ભારતીય વેધશાળાની આગાહી મુજબ દેશમાં ચોમાસું થોડું વિલંબિત થવાની સંભાવના છે. ચોમાસું હવે સાતમી જૂને બેસવાની સંભાવના છે. શનિવારે પ્રાઇવેટ વેધશાળા, સ્કાયમેટે પણ ચોમાસું શરૂ થવાની સંભવિત તારીખ 4 જૂનથી બદલીને 7 જૂન કરી હતી. ગયા મહિને વેધશાળાએ જણાવ્યું હતું કે કેરળમાં 6ઠ્ઠી જૂને ચોમાસું બેસવાની સંભાવના છે. જોકે, એ તારીખમાં ચાર દિવસનો ઘટાડો કે વધારો થવાની શક્યતા પણ બતાવાઈ હતી. ભૂમિ વિજ્ઞાન ખાતાના પ્રધાન હર્ષ વર્ધને થોડા દિવસ પહેલાં સંકેત આપ્યો હતોે કે કેરળમાં ચોમાસું છ કે સાતમી જૂને બેસશે.
ઉત્તર પ્રદેશમાં બીએસપી અને એસપી વચ્ચે ‘મહાગઠબંધન’માં ભંગાણ પડ્યું છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની 11 પેટા ચૂંટણીમાં બંને પક્ષ દરેક બેઠક પર પોતપોતાના પક્ષના ઉમેદવાર ઊભા રાખશે તેવું બંને નેતાએ જાહેર કર્યું હતું. બીજી બાજુ એનડીએમાં પણ નીતીશકુમાર ‘કંઈક’ યોજના ઘડી રહ્યા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. એનડીએ (દ્વિતીય)ના પ્રધાન મંડળમાં એક જ મંત્રાલયની ઓફર મળતા છંછેડાયેલા નીતીશકુમારે બિહાર પ્રધાન મંડળના વિસ્તરણમાં જનતા દળ (યુ)ના આઠ નેતાનો સમાવેશ કર્યો હતો અને ભાજપને ફક્ત એક બેઠકની ઓફર કરી હતી.

બિહારમાં વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળના નેતા રઘુવંશપ્રસાદ સિંહે નીતીશકુમારને ભાજપ વિરોધી મંચમાં જોડાવાનું આડકતરું આમંત્રણ આપતા કહ્યું હતું કે ‘તમામ બિન ભાજપ પક્ષોએ એક મંચ પર ભેગા થઈ રાષ્ટ્રીય વિકલ્પ તૈયાર કરવો જોઈએ. અમને કોઈ પણ પક્ષ તેમાં જોડાય તેમાં અમને વાંધો નથી.’
દરમિયાન જમ્મુકાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ મંગળવારે વિધાનસભાની આગામી ચૂંટણી એકલે હાથે લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને કૉંગ્રેસ સાથે જોડાણ તોડવાનો નિર્ણય કર્યો હતો. કર્ણાટકમાં પણ કૉંગ્રેસ-જેડી(એસ) જોડાણ તૂટવાના ભણકારા થવા લાગ્યા છે. મંગળવારે જનતા દળ (સેક્યુલર)ના કર્ણાટક એકમના પ્રમુખ એચ. વિશ્ર્વનાથે પદ પરથી રાજીનામું આપ્યું હતું.
માયાવતીએ મંગળવારે એક પત્રકારપરિષદમાં જાહેર કર્યું હતું કે અમે ઉત્તર પ્રદેશની વિધાનસભાની પેટાચૂંટણીની બેઠક પર એકલે હાથે લડીશું સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે પોતાના પ્રતિભાવમાં કહ્યું હતું કે ‘જો આપણા રસ્તા જુદા થઈ રહ્યાં છે અમે તેનું સ્વાગત કરીએ છીએ. જોડાણનો અંત આવશે તો અમે બધી 11 બેઠક પર સપાના ઉમેદવારોને ચૂંટણી લડાવીશું.
વન-ડેના રૅન્કિંગમાં ભારત ભલે નંબર-વન નથી, પરંતુ નંબર-ટૂ પર રહીને પણ વિરાટસેનાનો પ્રભાવ નંબર-વન જેવો જ છે અને આ સાવજો આજે વર્લ્ડ કપમાં પ્રથમ પડકાર ફેંકશે. પહેલી બન્ને લીગ મૅચ હારી ચૂકેલી સાઉથ આફ્રિકાની હતાશ અને અનેક ઘાયલ ખેલાડીઓની ગેરહાજરીને લીધે નબળી પડી ચૂકેલી ટીમ સાથે આજે ટીમ ઇન્ડિયા બાથ ભીડશે. ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેનો મુકાબલો આજે ભારતીય સમય મુજબ બપોરે 3.00 વાગ્યે શરૂ થશે.

આજે રમઝાન ઇદનો પવિત્ર તહેવાર છે અને ટીમ ઇન્ડિયા આજે જીતીને રાષ્ટ્રને ‘ઇદની ભેટ’ આપશે તો માત્ર ભારતીય ક્રિકેટરોમાં જ નહીં, પણ સમગ્ર રાષ્ટ્રના કરોડો ક્રિકેટપ્રેમીઓમાં અનેરો રોમાંચ આવી જશે. આજે ભારત જીત સાથે ખાતું ખોલાવશે એમાં કોઈ શંકા ન હોઈ શકે, કારણકે આ ટીમ પાસે વન-ડે જગતના બે અવ્વલ દરજ્જાના ખેલાડીઓ છે. વિરાટ કોહલી બૅટિંગના રૅન્કિંગમાં મોખરે છે, જ્યારે બોલિંગમાં આપણો ઉત્સાહી અને રોમાંચક જસપ્રીત બુમરાહ સર્વોચ્ચ સ્થાને છે. બૅટિંગમાં રોહિત શર્મા બીજી રૅન્ક ધરાવે છે એટલે ફૅફ ડુ પ્લેસીની ટીમ વન-ડેમાં સૌથી વધુ ત્રણ વખત ડબલ સેન્ચુરી ફટકારી ચૂકેલા આ મુંબઈકરને પણ અન્ડર-એસ્ટિમેટ કરવાની જરાય ભૂલ નહીં કરે.
1999ના વર્લ્ડ કપમાં ભારત પોતાની પહેલી જ મૅચ સાઉથ આફ્રિકા સામે રમેલું અને એમાં જૅક કૅલિસના 96 રનને કારણે ભારત હારી ગયું હતું. જોકે, આજે તેમની પાસે કોઈ કૅલિસ તો નથી, પણ ફૅફ ડુ પ્લેસી તેમ જ જેપી ડુમિની, હાશિમ અમલા, ક્વિન્ટન ડી’કૉક જેવા ટોચના બૅટ્સમેનોથી ભારતે ચેતવું પડશે.