પાસપોર્ટ : અરજદારના ઘરે જઇને પોલીસ વેરિફિકેશન કરવાનો નિયમ
પાસપોર્ટ મેળવવા પોલીસ વેરિફિકેશન માટે હવે નાગરિકોને પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. જેમાં પોલીસકર્મીઓને અરજદારના ઘરે જઈ અને મોબાઈલ પોકેટકોપ મારફતે એપ્લિકેશન દ્વારા વેરિફિકેશન કરવાની હોય છે. ત્યારે પોલીસકર્મીઓ અરજદારના ઘરે જવાની જગ્યાએ વેરિફિકેશન માટે અરજદારને પોલીસ સ્ટેશનમાં બોલાવતા હતા. જેની જિલ્લા પોલીસવડાએ ગંભીર નોંધ લઈ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની જગ્યાએ ઘરે જઇ વેરિફિકેશન કરવાના આદેશ આપ્યા હતા.

નિયમ વિરુદ્ધ લોકોને પોલીસ સ્ટેશન બોલાવાઈ રહ્યા હોવાની ફરિયાદો થતાં અમદાવાદના ઈન્ચાર્જ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ તમામ પોલીસ સ્ટેશનોને અરજદારના ઘરે જઈ વેરિફિકેશન કરવા માટે સૂચના આપી છે. અધિકારીઓનું માનવું છે કે, જો પોલીસ જ ઘરે જાય તો અરજદારના એડ્રેસનું રુબરુ વેરિફિકેશન ઉપરાંત તે ગુનાઈત પ્રવૃત્તિમાં રોકાયેલો છે કે કેમ તે ચકાસી શકાય.
ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એસસીઆરબી) ગાંધીનગર દ્વારા મોબાઈલ એપ્લિકેશનનું મોનિટરિંગ કરતા પાસપોર્ટ વેરિફિકેશનનું કામ કરતા પોલીસકર્મીઓ નાગરિકોને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવતા હોવાનું ધ્યાને આવતા જિલ્લા પોલીસવડાએ તેની ગંભીરતાથી નોંધ લઈ નાગરિકોને પોલીસ સ્ટેશનમાં ન બોલાવવા જણાવ્યું હતું. શહેર પોલીસ કમિશનરે આ બાબતે પરિપત્ર કરી તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને જાણ કરી હતી. જેમાં વેરિફિકેશન કરતા અધિકારીઓને આ બાબતે કડક સૂચના આપી તે મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

























