CIA ALERT

Slider Archives - Page 273 of 491 - CIA Live

January 12, 2020
netban.png
1min6120

દેશના જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ-૩૭૦ નાબૂદ કર્યા બાદ પાંચમી ઑગસ્ટ ૨૦૧૯થી કેન્દ્ર સરકાર દ્વારા લદાયેલા ઇન્ટરનેટ અને અન્ય પ્રતિબંધો વિશે સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપતી વખતે સ્પષ્ટ કહ્યું હતું કે સરકાર આ રીતે અનિશ્ચિત સમયગાળા માટે ઇન્ટરનેટની સાર્વજનિક અને ખાનગી સેવા બંધ કરી શકે નહીં. એક મહત્ત્વના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે ઇન્ટરનેટનો ઉપયોગ અને ઇન્ટરનેટ દ્વારા અભિવ્યક્તિનો અધિકાર એ (બંધારણના અધિકારોમાં અભિવ્યક્તિની કલમ ૧૯ (૧) (એ)નો ભાગ છે, સરકારે ઇન્ટરનેટ સહિત અન્ય પ્રતિબંધાત્મક પગલાંઓની એક સપ્તાહમાં સમીક્ષા કરીને કોર્ટને જાણ કરે.

સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. ન્યાયાધીશ એન. વી. રમન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચમાં જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ બી. આર. ગવાઈએ આ મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. કાશ્મીરમાં આપવામાં આવેલા પ્રતિબંધ સામે સુપ્રીમ કોર્ટમાં અનેક પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાશ્મીરમાં હિંસાનો એક લાંબો ઇતિહાસ રહેલો છે. આપણે સ્વતંત્રતા અને સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવું પડશે. નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું પણ જરૂરી છે. સરકાર દ્વારા જરૂર પડે ત્યારે જ ઇન્ટરનેટ બંધ થવું જોઈએ.

ક્રિમિનલ પ્રોસીજર કોડ (સીઆરપીસી)ની કલમ-૧૪૪ લાદવાના સરકારના નિર્ણય સામે પણ થયેલી રિટ અરજીઓની સુનાવણીમાં કોર્ટે ઠરાવ્યું કે કલમ-૧૪૪નો અમલ કરવો એ ઉપચારાત્મક અને નિવારક પગલાં છે અને એનો ઉપયોગ ફક્ત ત્યારે જ થઈ શકે જો હિંસાની શક્યતા હોય અને જાહેર સલામતીમાં જોખમ હોય.

સુપ્રીમના આદેશની મોટી બાબતો…

=લોકોને મતભેદ વ્યક્ત કરવાનો પૂરો અધિકાર છે
= સરકારે એના તમામ આદેશોની એક સપ્તાહમાં સમીક્ષા કરવી જોઈએ
= કાશ્મીરમાં સરકારે એના બિનજરૂરી આદેશ પાછા ખેંચી લેવા જોઈએ.
= તમામ આવશ્યક સેવાઓ ઇન્ટરનેટ સહિત પુનઃ સ્થાપિત કરવામાં આવે.

January 12, 2020
medical_logo.jpg
1min5260

રાજ્યની સરકારી હોસ્પિટલોમાં થઇ રહેલા નવજાત બાળકોના મૃત્યુના કેસોમાં ગાજ તબીબો પર પડી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર પર ભીંસ વધારતા એવા સવાલો કર્યા કે જેમાંથી સ્ટાફની કમીની વિગતો બહાર આવી અને તેની સાથે એવી પણ સ્ફોટક માહિતી સપાટી પર આવી કે 2019 યુવક-યુવતિઓ સરકારી કોલેજમાં સસ્તામાં ડોક્ટરી ભણીને બાદમાં વિદેશ ભાગી ગયા છે. ભાગી ગયા એટલા માટે કહેવાય છે કે તેમણે નિયમાનુસાર ઇન્ટર્નશીપ કરવાની હતી એનો ભંગ કરીને તેઓ વિદેશમાં સ્થાયી થઇ ચૂક્યા છે.

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં તબીબી શિક્ષણ પૂર્ણ કર્યા બાદ સરકારમાં સેવા આપવાની નિયત સમય મર્યાદાનો ભંગ કરીને ૨૧૯ ડોક્ટરો વિદેશ જતા રહ્યા હોવાનું બહાર આવ્યું છે. જેમની પાસેથી રૂ. ૨.૯૪ કરોડની બોન્ડની રકમની વસૂલાત કરવામાં આ‌વી છે. 

સરકારી ખર્ચે સસ્તામાં ભણીને તબીબ બન્યા બાદ સેવા આપ્યા વગર વિદેશ જતા રહે છે તે વધુ એક વખત બહાર આવ્યું છે. વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોતરીમાં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારે રાજ્યમાંથી ડોક્ટરો તબીબી અભ્યાસ પૂર્ણ કરીને વિદેશ જતા રહ્યા હોવાના અને બોન્ડની રકમ વસૂલ કરવા અંગેનો સવાલ કર્યો હતો. જેના લેખિત જવાબમાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર-૨૦૧૮ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષમાં તબીબી શિક્ષણ પૂર્ણ કરીને નિયત સેવા મર્યાદાનો ભંગ કરીને ૨૧૯ ડોક્ટરો વિદેશ જતા રહ્યા છે. જેમની પાસેથી ૨.૯૪ કરોડની બોન્ડની રકમ વસૂલ કરવામાં આવી છે. બાકીના કિસ્સાઓમાં હજુ ૨૧.૧૩ કરોડની રકમ વસૂલ કરવાની કામગીરી ચાલી રહી છે. 

કોંગ્રેસના જ જીતુ ચૌધરીએ સરકારી મેડિકલ કોલેજમાં મંજૂર થયેલી જગ્યાઓમાંથી કરાર આધારીત, માનદ વેતન અને આઉટ સોર્સિંગથી કેટલી જગ્યા છે તેની માહિતી માગતો સવાલ રજૂ કર્યો હતો. આ સવાલના લેખિત જવાબમાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર અને રાજકોટની સરકારી મેડિકલ કોલેજમાં વર્ગ-૧થી વર્ગ-૪ સુધીનું કુલ મંજૂર મહેકમ ૩૭૫૪ કર્મચારી-અધિકારીનું છે. તેમાંથી કરાર આધારીત ૧૧, માનદ વેતન અપાતું હોય તેવા ૩ અને આઉટસોર્સથી રાખવામાં આવ્યા હોય તેવા ૮૯૬ કર્મચારી છે. આઉટ સોર્સિંગથી નિમાતા કર્મચારીઓ-અધિકારીઓ ગેરરીતિ આચરે તો તેમની સામે ટેન્ડરની શરતો મુજબ કાર્યવાહી કરવાની થતી હોવાનું પણ જવાબમાં જણાવાયું હતું.

January 12, 2020
kabbadi_kangana.jpg
1min4910

ફિલ્મ પંગામાં માતા બન્યા બાદ પુનરાગમન કરવા મથતી કબ્બડી ખેલાડી ગૌરી વાડેકરની કથા દર્શાવવામાં આવી છે. ગૌરી ઉત્તમ કબ્બડી ખેલાડી હતી અને તેણે આતંરરાષ્ટ્રીય સ્તરે બે વાર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અશ્વિની ઐયર તિવારીની આ ફિલ્મ માટે સ્વયં ગૌરીએ કંગનાને કબ્બડીની તાલીમ આપી છે.

ગૌરીએ પોતાના અનુભવને વર્ણવતાં જણાવ્યું હતું કે, અમારી પ્રથમ મુલાકાતમાં જ કંગનાએ મને પ્રથામિક સમજ આપવાનું કહ્યું હતું. હું તેની ગ્રહણશક્તિ જોઇને દંગ થઇ ગઇ હતી. કબ્બડીની તાલીમ લેતી છોકરી છ મહિના બાદ જે કરી શકે તે તેણે માત્ર બે-ચાર વાર જોઇને કરી દેખાડયું હતું. અમે પહેલીવાર 2018ના સપ્ટેમ્બર મહિનામાં મળ્યા હતા અને પાંચ મહિના મેં તાલીમ આપી હતી. રોજ સવારના આઠ વાગ્યે તાલીમ શરૂ થઇ જતી અને કંગનાએ એક પણ ખાડો પાડયા વગર પાંચ મહિના સુધી આવી હતી.

કબ્બડીમાં ખેલાડીનો શ્વાસ અને પગ મહત્ત્વના છે. કબ્બડી ખેલાડીના પગ ચોક્કસ પ્રકારે પડતા હોવાથી તેનો આકાર પણ તે અનુરૂપ સાધારણ બદલાઇ જાય છે. કંગનાના પગ ખેલાડી જેવા દેખાય તે માટે તેના વર્ક આઉટ રુટિનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેમાં સ્કવૉટ્સ તથા લંજીસનો ઉમેરો કરવામાં આવ્યો હતો. દરેક સ્થિતિમાં કયા પગ પર વજન આપવું, બચાવ કે આક્રમણ કેમ કરવું જેવી બાબતો તેને શીખવવામાં આવી હતી.

January 12, 2020
cycling.jpg
1min5160

સાઇક્લિગંમાં ભારતે અનેરી સિદ્ધિ મેળવી છે. પહેલી વાર ભારત ચારેય સ્પ્રિન્ટિંગ ઇવેન્ટમાં નંબર-વન રૅન્ક પર બિરાજમાન થયું છે. પુરુષ વર્ગમાં ભારતના જુનિયરોની સાઇક્લિગં ટીમ નંબર-વન બની છે.

જુનિયર કેઇરિન જુનિયર ૧ કિલોમીટર ટાઇમ ટ્રાયલ ઇવેન્ટમાં નંબર-વન થયો છે, જ્યારે જુનિયર ટીમ સ્પ્રિન્ટ ઇવેન્ટમાં ભારતીય ટીમ ૧૬૨૦ પૉઇન્ટ સાથે સર્વેાચ્ચ થઈ છે. ભારતનો એલ. રોનાલ્ડો સિંહ યુસીઆઇ વર્લ્ડ રૅન્કિંગમાં નંબર વન બન્યો છે. તેના ૧૫૩૦ પૉઇન્ટ છે. ભારતની મહિલા જુનિયર ટીમ જુનિયર ટીમ સ્પ્રિન્ટમાં બીજા સ્થાને છે.

January 12, 2020
nasa.jpg
1min5290

નાસાએ તૈયાર કરેલા નવા અગિયાર અવકાશયાત્રીઓમાં ભારતીય મૂળના રાજા જૉન વૃપુતુર ચારીનો સમાવેશ થાય છે અને તે નાસાના મહત્ત્વાકાંક્ષી ભાવિ મૂન-માર્શ અને આંતરરાષ્ટ્રીય અવકાશમથક મિશનનો હિસ્સો છે.

નાસાએ ભાવિ મિશનની જાહેરાત કર્યા બાદ વર્ષ ૨૦૧૭માં મળેલી ૧૮૦૦૦ અરજીમાંથી આ અવકાશયાત્રીઓની પસંદગી કરવામાં આવી હતી.

૪૧ વર્ષના ચારીની નાસાએ વર્ષ ૨૦૧૭માં અવકાશયાત્રીના ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી.

ઑગસ્ટ ૨૦૧૭માં તેને અવકાશયાત્રી તરીકેની તાલીમ માટે બોલાવવામાં આવ્યો હતો. તેણે તેની પ્રારંભિક તાલીમ પૂરી કરી હતી અને હવે તે મિશનનો હિસ્સો બનવાને પાત્ર બની ગયો છે.

શુક્રવારે યોજાયેલા એક સમારોહમાં નવા પસંદ કરાયેલા તમામ અવકાશયાત્રીઓને ચાંદીની પીન આપવામાં આવી હતી. હ્યુસ્ટનસ્થિત નાસાના જૉન્સન સ્પેસ સેન્ટર ખાતે એજન્સીના વહીવટકર્તા જિમ બ્રિન્ડેસ્ટાઈને કહ્યું હતું કે વર્ષ ૨૦૨૦માં અમેરિકા ભાવિ મૂન-માર્શ મિશન માટે નવા અવકાશયાત્રીઓને મોકલવાનું હોવાને કારણે અમેરિકા માટે પ્રગતિનું આ મહત્ત્વનું વર્ષ હશે. પસંદ કરાયેલા ૧૧ અવકાશયાત્રી અમેરિકાના શ્રેષ્ઠ લોકોમાંનાં એક છે અને અમારી અવકાશયાત્રીઓની ટુકડીમાં જોડાવું એ તેમના માટે માની ન શકાય તેવી વાત છે, એમ તેમણે કહ્યું હતું.

તેમની પ્રથમ અવકાશયાત્રા પૂરી કર્યા બાદ આ અવકાશયાત્રીઓને ગૉલ્ડ પીન આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

January 10, 2020
kannaiya.jpg
1min5870

JNUમાં 5 જાન્યુઆરીના રોજ વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસાને લઈને ગુરુવારના રોજ જેએનયુ વિદ્યાર્થી સંઘ અને JNU શિક્ષક એસોસિએશને વિરોધ માર્ચ કાઢી હતી. આ માર્ચમાં JNU સંઘના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઇ નેતા કનૈયા કુમાર પોતે પણ સામેલ થયા હતા. દિલ્હીમાં મંડી હાઉસ થી માનવ સંશાધન વિકાસ મંત્રાલય સુધી આ માર્ચ કાઢવામાં આવી હતી. માર્ચ દરમિયાન કનૈયા કુમારે ભાજપ અને ખાસ કરીને ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશના ગૃહમંત્રી અમને ટુકડે ટુકડે ગેંગ કહીને બોલાવે છે. તો હું તેમને માત્ર એટલું કહેવા માટે માંગુ છું કે અમે દેશના નહિ પરંતુ ભાજપના ટુકડા ટુકડા કરીશું 

કનૈયા કુમારે જણાવ્યું હતું કે, JNU કહે છે કે દેશમાં જનતાની પસંદગી કરેલી સરકાર છે. જનતાએ ટેક્સ આપ્યો છે. સરકાર જે ખાનગી સાહસો પર ઉડી રહી છે તે પોતાના દોસ્તોને મોટો ટેકો આપી રહી છે. આજ સરકારની જવાબદારી છે કે તેઓ શિક્ષણ સંસ્થાને બચાવે, રેલવેને બચાવે, રાષ્ટ્રવાદના નામે સરકારની રાષ્ટ્રીય સંપત્તિ વેચવાનું બંધ કરે. શું તમને લાગી રહ્યું છે કે ક્યારેક તમે રિઝર્વેશન ગાળો આપીને,ક્યારેક મેરીટ સુધી માર્ક લાવીને અમારી લડાઈને ગેરમાર્ગે દોરી દેશો. અમે તમારી સાથે ચર્ચા માટે તૈયાર છીએ. મેરીટ એ હોય છે કે જે યુનિવર્સીટીમાં ગરીબથી ગરીબ બાળક પોતાના મેરીટથી અહીંયા આવીને ભણી ગણી શકે. 

કનૈયા કુમારે કહ્યું હતું કે, JNU માત્ર આજની પેઢી માટે લડી રહ્યું નથી પરંતુ તે આવનારી પેઢી માટે પણ લડી રહ્યું છે. તે માત્ર પોતાના માટે જીવવાનું શીખવાડતું નથી. દેશનું બંધારણ દરેક નાગરિકોને વાંચવા માટે તથા સપના જોવાનો અધિકાર આપે છે. તમારે અમારા સપનાઓને મારી નાખવા છે પરંતુ અમે મારવા દઈશું નહિ. તમને ભ્રમ છે કે પોલીસનો માર મારીને તેને રોકી દઈશું.

January 10, 2020
coldest-day.jpeg
1min5130

દક્ષિણ-પશ્ર્ચિમી રાજસ્થાનમાં સક્રિય થયેલું સાઈક્લોનિક સરક્યુલેશન આગળ વધ્યું છે. ઉત્તર-પૂર્વથી ઉત્તરનાં ઠંડા પવનોનું જોર વધતાં અમદાવાદ સહિત ગુજરાતભરમાં લઘુતમ તાપમાન ૫થી ૮ ડિગ્રી ગગડતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. નલિયા ત્રણ ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. આમ ગુરુવારનો દિવસ ઠંડીની સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. આગામી ૪૮ કલાકમાં હજુ તાપમાન ગગડવાની શક્યતા હોવાથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

રાજ્યમાં બુધવારની સરખામણીએ ગુરુવારે સવારથી જ કાતિલ ઠંડીનો દૌર શરૂ થયો હતો. અમદાવાદ અને વડોદરામાં ૧૦ ડિગ્રી, ગાંધીનગરમાં ૭ ડિગ્રી, ભુજ, કંડલા ઍરપોર્ટ અને ડીસા-૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદમાં વહેલી સવારથી ઠંડા પવન ફૂંકવાના શરૂ થઇ ગયાં હતા.

હવામાન વિભાગ મુજબ હવાની દિશામાં ફેરફાર અને રાજસ્થાનના સાઉથ-વેસ્ટમાં વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે રાજ્યભરમાં તાપમાનનો પારો વધુ ગગડી શકે છે. આગામી ૫ દિવસ સુધી અમદાવાદના વાતાવરણમાં અનેક ફેરફાર જોવા મળી શકે છે. ૧૩ અને ૧૪ જાન્યુઆરીએ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેની સાથે ઠંડા પવન પણ ફૂંકાશે. ૧૫ અને ૧૬ જાન્યુઆરી લઘુતમ તાપમાન ૧૦ અને ૧૧ ડિગ્રી વચ્ચે રહેશે.

January 10, 2020
eclipse.png
1min4570

વિશ્ર્વમાં ૨૦૨૦માં છ ગ્રહણ જોઈ શકાશે જયારે ભારતમાં ફકત ત્રણ ગ્રહણ જોઈ શકાશે તેવું ઉજ્જેનની જિવાજી ઓબ્ઝર્વેટરીએ ગુરુવારે જણાવ્યું હતું. શુક્રવારની રાતે થનારા ચંદ્રગ્રહણ જોઈ શકાશે તેવું ઓબ્ઝર્વેટરીએ કહ્યું હતું. ૨૦૨૦નું પ્રથમ ગ્રહણ શુક્રવારની રાત્રિના ૧૦.૩૬થી શનિવાર વહેલી સવારે ૨.૪૪ કલાક સુધી ચાલુ રહેશે તેવું જિવાજી ઓબ્ઝર્વેટરીના સુપરિટેન્ડન્ટ ડો. રાજેન્દ્ર પ્રકાશ ગુપ્તે કહ્યું હતું. સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી લાઈનમાં ભેગા થતા હોય છે ત્યારે ચંદ્રગ્રહણ આકાર લેતું હોય છે.

2020માં કયું ગ્રહણ ક્યારે

  • Jan 10–11. Lunar Eclipse (Penumbral)
  • Jun 5–6. Lunar Eclipse (Penumbral)
  • Jun 21. Solar Eclipse (Annular)
  • Jul 4–5. Lunar Eclipse (Penumbral)
  • Nov 29–30. Lunar Eclipse (Penumbral)
  • Dec 14. Solar Eclipse (Total)

પાંચમી જૂન અને છ જૂન વચ્ચેની રાત્રિએ વધુ એક ચંદ્રગ્રહણ આકાર લેશે તેવું ડો. રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તે કહ્યું હતું. પાંચમી જુલાઈ અને ત્રીસમી નવેમ્બરે ચંદ્રગ્રહણ થશે જે

ભારતમાં જોઈ શકાશે નહીં તેવું તેમણે કહ્યું હતું. ૨૧મી જૂને સૂર્યગ્રહણ થશે જે ભારતમાં જોઈ શકાશે. ૧૪મી ડિસેમ્બરે સૂર્યગ્રહણ થશે જે ભારતમાં જોવા નહીં મળે તેવું ગુપ્તેએ કહ્યું હતું. ૨૦૧૯માં વિશ્ર્વના વિભિન્ન હિસ્સાઓમાં ત્રણ સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થયા હતા.

January 9, 2020
sansad.jpeg
1min5660

સંસદીય બાબતોમાં કેબિનેટ સમિતિએ 31 જાન્યુઆરીએ બજેટ સત્ર બોલાવવાની ભલામણ કરી છે. સૂત્રો મુજબ 31 જાન્યુઆરીથી 3 એપ્રિલ વચ્ચે બજેટ સત્ર બે રાઉન્ડમાં ચલાવવા માટે ભલામણ કરવામાં આવી છે. બજેટ ગત વર્ષની જેમ જ પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.

જણાવી દઈએ કે મોદી સરકાર દરમિયાન સામાન્ય બજેટને ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં રજૂ કરવાની શરૂઆત થઈ છે. આ પહેલા ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં બેજટ રજૂ કરવાની પરંપરા હતી.

સૂત્રોએ જણાવ્યું કે બજેટ સત્રનો પહેલો તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી વચ્ચે યોજાશે, જ્યારે બીજા તબક્કામાં 2 માર્ચ થી લઈને 3 એપ્રિલ સુધી સંસદ ચાલશે. બજેટ સત્રના બંને તબક્કામાં વચ્ચે સામાન્ય રીતે એક મહિનાનો સમય રાખવામાં આવે છે. એવું એટલા માટે કરવામાં આવે છે કે જેથી સંસદીય સમિતિઓ વિવિધ મંત્રાલયોને ફાળવેલા બજેટનું પરીક્ષણ કરી શકે.

કેન્દ્રીય કેબિનેટની ભલામણ પર રાષ્ટ્રપતિ બંને સદનના સત્રને ચલાવવાનો આદેશ આપે છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના બીજા કાર્યકાળનું આ પહેલું પૂર્ણ બજેટ હશે.

January 9, 2020
jamnagar_aurvedic.jpg
1min5350

જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (જીએયુ) ખાતે આયુર્વેદિક સંસ્થાનોનો સમૂહ (ક્લસ્ટર) રચવા માટેનાં પ્રસ્તાવને 08/01/2020 કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી. આ સાથે જ તેને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકેનો દરજ્જો પણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ જીએયુ ભારતની પ્રથમ એવી આયુર્વેદિક સંસ્થા બની રહેશે જેને આઈઆઈટી, આઆઈએમનાં સ્તરનો દરજ્જો પ્રાપ્ત થઈ રહ્યો છે.

08/01/2020 વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કૅબિનેટે જામનગર ખાતેની (અ) ઇન્સ્ટિટયૂટ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ ઍન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (બ) શ્રી ગુલાબકુંવર આયુર્વેદ મહાવિદ્યાલય અને (ક) ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદ ફાર્માસ્યુટિકલ સાયન્સીસ (ફાર્મસી યુનિટ સહિત) નામની જામનગર ખાતેની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કૅમ્પસ ખાતેની આયુર્વેદ ઇન્સ્ટિટયૂટ્સના સમૂહને એકત્રિત કરીને ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ ઍન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ જામનગરને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાનો દરજ્જો મંજૂર કર્યો હતો અને ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ ઍન્ડ રિસર્ચ ઇન આયુર્વેદના સ્વસ્થવૃત વિભાગમાં મહર્ષિ પતંજલિ ઇન્સ્ટિટયૂટ ફોર યોગ ઍન્ડ નેચરોપેથી એજ્યુકેશન ઍન્ડ રિસર્ચનો સમાવેશ કર્યો હતો.

કૅબિનેટની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આનાથી આયુર્વેદના શિક્ષણનો દરજ્જો વધશે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માગને અનુલક્ષીને આયુર્વેદમાં વિવિધ અભ્યાસક્રમો ઘડી કાઢવામાં મદદ મળશે.
તેમણે જણાવ્યું હતું કે આનાથી ઇન્સ્ટિટયૂટને આયુર્વેદમાં ત્રીજી પંક્તિની સારસંભાળ વિકસિત કરવામાં મદદ મળશે.

ભારતમાં જાહેર આરોગ્યનું ધ્યાન રાખતી આયુષ્ય પદ્ધતિઓની વધતી ભૂમિકાને જોતાં આ દરજ્જો આપવાથી જાહેર આરોગ્યમાં આયુર્વેદનું મહત્ત્વ વધશે. આયુર્વેદ ચિકિત્સાને મજબૂત બનાવવાથી આરોગ્ય પરનો સરકારી ખર્ચ ઘટશે. કારણ કે આયુર્વેદમાં રોગને અટકાવવાની અને સાજા કરવાની ક્ષમતા હોવાથી તેમાં ઓછો ખર્ચ લાગશે.

હાલ વિશ્વભરમાં આયુર્વેદના જ્ઞાન અને તેની સેવાની માગ વધતી જાય છે. ભારત આયુર્વેદનું ઉદ્ગમ સ્થાન છે.