ઇમરજન્સીમાં મેડીકલ ફોર્સ મળે એ માટેની દીર્ઘદ્રષ્ટીપૂર્ણ રજૂઆતો સૂરતથી થઇ હતી
કેન્દ્ર સરકારે કોરોના યુદ્ધના સમયમાં ભારત દેશને એક મોટી મેડીકલ ફોર્સ મળે એ માટે સમયસરનું અને ઐતિહાસિક પગલું ભર્યું છે. દેશભરમાં આવેલી મેડીકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ માટેની પ્રવેશ પ્રક્રિયા લગભગ 75 ટકા જેટલી પૂરી થઇ ચૂકી હતી. બાદમાં કોરોના અને લૉકડાઉન જેવી સ્થિતિને કારણે પી.જી. મેડીકલની પ્રવેશ પ્રક્રિયા અનિશ્ચિત બની હતી.
દરમિયાન કેન્દ્ર સરકારની સૂચનાથી નેશનલ બોર્ડ ફોર એક્ઝામિનેશન દ્વારા આજે પી.જી. મેડીકલ માટેનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ સાથે એલોટમેન્ટ પણ જાહેર કરી દીધું છે. એવી પણ માહિતી મળી છે કે પી.જી. મેડીકલમાં જેમને બેઠક મળી છે એમને તા.20મી એપ્રિલ સુધીમાં પ્રવેશ મેળવી લેવા જણાવાયું છે. સરકારે તા.20મી એપ્રિલ સુધીમાં પી.જી. મેડીકલની પ્રવેશ પ્રક્રિયા પૂરી કરી દેવાની સૂચના આપી છે.
હાલમાં દેશમાં મેડીકલ ફોર્સની તાતી જરૂરીયાત વર્તાય રહી છે ત્યારે એવા અનેક તબીબોની સેવા આજના એલોટમેન્ટ પછી મળી જશે.
આજના આ ડેલવપમેન્ટમાં પી.જી. મેડીકલની 13237 સીટોનું એલોટમેન્ટ
દરમિયાન સૂરતના ખ્યાતનામ તબીબ અને મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના તત્કાલિન સભ્ય ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ અને તેમની ટીમે વિઝનરી એપ્રોચ સાથે સ્થાનિક સાંસદ શ્રી સી.આર. પાટીલ સાથે મળીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને રજૂઆતો કરીને પી.જી. મેડીકલની પ્રવેશ પ્રક્રિયા જે ઓનલાઇન છે એ સત્વરે પૂરી કરવામાં આવે તો કોરોના ઇમરજન્સીના સમયમાં દેશને મોટી મેડીકલ ફોર્સ મળી શકે.
સૂરતથી સાંસદ સી.આર. પાટીલ અને ડો. મહેન્દ્રસિંહ ચૌહાણે પી.જી. મેડીકલની પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવા સંદર્ભે વડાપ્રધાન શ્રી મોદીને રજૂઆતો કરી હતી
સૌરાષ્ટ્રમાં ૧૧ જિલ્લામાંથી ૫ જિલ્લામાં કોરોનાએ પગ પેસારો જ કર્યો નથી. પરંતુ આ જિલ્લાવાસીઓએ સાવચેતી, સલામતી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું એટલું જ જરૂરી છે. જો ક્યાંય ચૂક રહી જશે તો કોરોના આ જિલ્લાઓની બોર્ડર પણ પાર કરી અંદર આવી જશે.
સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લામાંથી અમરેલી, જૂનાગઢ, દ્વારકા, બોટાદ અને સુરેન્દ્રનગર એમ પાંચ જિલ્લામાં કોરોનાએ હજુ સુધી પગપેસારો કર્યો નથી. જ્યારે રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, ભાવનગર, ગીરસોમનાથમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસો નોંધાયા છે. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં કોરોનાને કારણે હજી સુધી કોઈનું મોત નીપજ્યું નથી. જ્યારે કોરોનાના એપી સેન્ટર ગણાતા ભાવનગરમાં ૧૧ પોઝિટિવ કેસ અને તેમા બે ના મોત નીપજ્યા છે. જ્યારે કોરોનામુક્ત આ પાંચ જિલ્લામાં લોકોની સાવચેતી અને લોકડાઉનનું પાલન કર્યું તે મહત્વનું સાબિત થયું છે. લોકડાઉનમાં જ પોલીસે અન્ય જિલ્લામાંથી આવતા લોકો માટે બોર્ડર સીલ કરી હતી. હવે તો એક ગામથી બીજા ગામે પણ નથી જવા દેતા. જેને કારણે લોકોના સંપર્ક નથી થતા અને ચેઇન તૂટી છે. આથી લોકોએ પણ આમ જ પાલન કરવાનું છે જેથી કોરોનાથી દૂર રહી શકે અને આંતરરાજ્યની જેમ આંતર જિલ્લા બોર્ડર બંધ થતા લોકોની અવર જવર પર પ્રતિબંધ લાગ્યો હતો. આથી કોરોનાનું સંક્રમણ થતું અટક્યું છે. લોકો હજુ આ જ સાવચેતી રાખે અને લોકડાઉનનું પાલન કરશે તો કોરોનાની ચેઇન તમારા જિલ્લાની બોર્ડરને સ્પર્શ પણ નહીં કરી શકે. ૧૪ એપ્રિલ સુધી લોકડાઉનનું પાલન કરો અને પોલીસ, આરોગ્ય વિભાગને બનતો સહયોગ આપો.
લૉકડાઉનને સફળ બનાવવા માટે ઇન્ટરનેટ સ્પીડ સૌથી નિર્ણાયક પરીબળો પૈકીની એક
કોરોનાનો વધતો વ્યાપ વિસ્તાર ઘટાડવા આખે-આખી દુનિયાના અબજો લોકો ચાર દિવાલોની વચ્ચે આવી ગયા છે. પોતાના ઘરમાં જ સમય પસાર કરવા માટે અબજો લોકોનો સમય પસાર કરવાનો સહારો ઈન્ટરનેટ બન્યું છે. અબજો લોકો દિવસ રાત, વણથંભી રીતે ઇન્ટરનેટ પર સતત કંઈક ને કંઈક સર્ચ કરી જ રહ્યા છે.
લૉકડાઉનને કારણે ભારત સમેત વિશ્વભરમાં ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ પર સ્લો ઇન્ટરનેટની ફરીયાદોનું એઠલું દબાણ વધી રહ્યું છે કે કેટલીક કંપનીઓએ સ્ટીરીયોટાઇપ જવાબો આપવા માંડ્યા છે તકલીફ તો રહેવાની જ.
ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીની જેટલી ક્ષમતા છે તેટલી ક્ષમતા અનુસાર યુઝર્સ નેટનો રાઉન્ડ ધક્લોક ઉપયોગ કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે બધાની સ્લો નેટની ફરીયાદ હોય જ.
જો તમે કોઇ પણ પ્રકારે સ્લો નેટની ફરીયાદથી પીડીત હોવ તો કંપનીને ફરીયાદ કરવા પહેલા પોતાના કાબૂ હેઠળની કેટલીક પરિસ્થિતિને ક્રોસ વેરીફાય કરી લેવી. આટલું કરવાથી સંભવ છે કે તમારા ઘરે નેટની સ્પીડ સ્લો છે એ તેની કાર્યક્ષમતા અનુસાર કામ કરી શકે.
યુકેની સરકારે એવું નિવેદન આપ્યું છે કે કોરોના સામે બાથ ભીડવી હશે તો સ્પીડવાળી ઈન્ટરનેટ સેવા તેમાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવશે અને એટલે જ ત્યાંના નિષ્ણાતોએ ઘરે બેઠાં બેઠાં કામ કરનારા લોકો માટે જો ઈન્ટરનેટની સ્પીડ સ્લો હોય તો તેને બહેતર બનાવવા માટે કેટલીક ટિપ્સ આપી છે જે તમારી ઈન્ટરનેટની સ્પીડ બહુ વધુ તો નહીં પણ થોડી ઘણી સુધારવામાં ચોક્કસ મદદરૂપ થઈ શકે.
ફ્લોરિંગ, દીવાલ કે અન્ય ઉપકરણો જેવી બાબતો વાઈફાઈના સિગ્નલમાં અવરોધો ઊભા કરી શકે છે એટલે હંમેશાં તમારું રાઉટર એવી જગ્યાએ રાખો કે જ્યાં આવા કોઈ અવરોધો ના હોય. ટેબલ કે પછી શેલ્ફ એ રાઉટર મૂકવા માટેની એકદમ પરફેક્ટ જગ્યા છે.
કોર્ડલેસ ફોન, હેલોજન લાઈટ્સ, લાઈટનો પ્રકાશ ઓછો-વધુ કરવા માટેની ડીમર સ્વિચ, મ્યુઝિક સિસ્ટમ કે પછી કોમ્પ્યુટર સ્પીકર્સ, ટીવી અને મોનિટર જેવાં ઉપકરણો પણ રાઉટરને સિગ્નલ મેળવવામાં અવરોધરૂપ થાય છે એટલે આ બધી વસ્તુઓથી રાઉટરને હંમેશાં દૂર રાખો જેથી સિગ્નલ બરાબર મળે અને તમારી સ્પીડ જળવાઈ રહે.
રાઉટરને વારંવાર ચાલુ-બંધ કરવાને કારણે પણ ઈન્ટરનેટની સ્પીડ પર અસર જોવા મળે છે, એટલે રાઉટરને વારંવાર ચાલુ-બંધ કરવાનું ટાળો.
જો તમે ઘરેથી કામ કરી રહ્યા હોવ અને સતત વિડિયો કોલ કે કોન્ફરન્સ ચાલી રહી હોય એવા સમયે જો વિડિયોની જરૂર ના હોય તો વિડિયો ઓફ કરીને માત્ર ઓડિયો જ ચાલુ રાખો. આને કારણે ઓછી સ્પીડમાં પણ તમારી વાત-ચીત ખૂબ જ સારી રીતે થશે.
બેસ્ટ ક્વૉલિટીની બ્રોડ બેન્ડની સ્પીડ માટે તમારા કોમ્પ્યુટરને રાઉટર કનેક્ટ કરવાને બદલે વાઈ-ફાઈને બદલે અર્થનેટ કેબલનો ઉપયોગ કરો.
શક્ય હોય ત્યારે ટેલિફોન એક્સ્ટેન્શન કોર્ડનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે આ કોર્ડના અવરોધને કારણે ઈન્ટરનેટની સ્પીડ ઘટી જાય છે.
માઈક્રોવેવ ઓવનના ઉપયોગને કારણે પણ વાઈફાઈની સ્પીડ ઘટી જાય છે, પરિણામે વિડિયો કોલ કરતી વખતે કે પછી હાઈ ડેફિનેશન વિડિયો જોવા હોય ત્યારે કે પછી ઓફિસનું મહત્ત્વનું કામ ઓનલાઈન કરતી વખતે માઈક્રોવેવ ઓવનનો ઉપયોગ કરવાનું ટાળો.
તમને જે ફિલ્મો જોવી હોય, વિડિયો જોવા હોય તે પહેલાંથી જ શક્ય હોય તો ડાઉનલોડ કરીને રાખો, જેથી તમે જ્યારે ફિલ્મ જોઈ રહ્યા હોવ ત્યારે કે કોઈ મહત્ત્વનું કામ કરી રહ્યા હોવ એ સમયે કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભો ના થાય.
મોબાઈલ નેટવર્કની માગણીમાં સતત વધારો થઈ રહ્યો છે એવા સમયે જો શક્ય હોય અને ઘરમાં લેન્ડલાઈનની વ્યવસ્થા હોય તો લેન્ડલાઈનનો વધુમાં વધુ ઉપયોગ કરવાનું રાખો.
ફોન કરવા માટે વાઈ-ફાઈ કોલિંગ સુવિધાનો ઉપયોગ કરો અને વોટ્સએપ કોલ, ફેસ ટાઈમ, સ્કાઈપ સહિત અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સના માધ્યમથી પણ ઓડિયો કોલ કરી શકાય છે એટલે આને કારણે મોબાઈલ નેટવર્ક પર પડનારો દબાણમાં ઘટાડો થશે.
કોઈ એક ચોક્કસ સ્થળે એક જ સમયે એક સાથે કેટલા લોકો ઈન્ટરનેટ વાપરી રહ્યા છે તેના પર પણ સ્પીડનો આધાર રહેલો છે એટલે જે ડિવાઈસની જરૂર ના હોય તો એ ડિવાઈસને વાઈફાઈથી ડિસકનેક્ટ કરી નાખો.
ઘણી વખત ટેબ્લેટ, સ્માર્ટફોનની સ્ક્રીન બંધ હોય તો પણ બેકગ્રાઉન્ડમાં એપ્સ ચાલુ જ હોય છે. એટલે જ્યારે પણ તમે ઓનલાઈન કોઈ મહત્ત્વનું કામ કરી રહ્યા હોવ ત્યારે આ મોબાઈલ, ટેબ્લેટમાંથી વાઈફાઈ ડિસકનેક્ટ કરી નાખો જેથી તમારા લેપટોપ કે ડેસ્કટોપ પર ઈન્ટરનેટની સારી સ્પીડ મળશે.
લોકડાઉનના સમયગાળા દરમિયાન અનેક કંપનીઓને ઈન્ટરનેટની સ્પીડ ઓછી થઈ જાય અને તેને કારણે નાગરિકોને ત્રાસ ન થાય એ માટે અલગ અલગ પ્રયાસો અને ઉપાય યોજનાઓ શરૂ કરી છે. ઈન્ટરનેટ સેવા પૂરી પાડનારી કંપનીઓ પરનું દબાણ ઓછું થાય એ માટે નેટફ્લિક્સ, ફેસબુક, યુટ્યુબ જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મેને પણ વિડિયોની ક્વોલિટી ઓછી કરી નાખી છે. એટલે આ પ્લેટફોર્મ પર તમને એચડીને બદલે એસડી ક્વૉલિટીના વિડિયો જોવા મળશે. જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો એક સાથે વિડિયો જોવા લાગે છે ત્યારે વિડિયોની ગુણવત્તાને થોડી નબળી કરીને ઈન્ટરનેટની સ્પીડ ચોક્કસપણે જ વધારી શકાય એમ છે.
આ સ્ક્રીન શૉટ ઓ.એલ.એક્સ. પર ફરતો થયો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે સરદાર પટેલની વિરાટ પ્રતિમા રૂ.30 હજાર કરોડમાં વેચવાની છે. જોકે, ગણતરીના કલાકોમાં ઓ.એલ.એક્સ. દ્વારા આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી. તેમજ કેવડીયા પોલીસ મથકમાં વણઓળખાયેલા વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
ભારત સમેત સમગ્ર વિશ્વ જ્યારે કોરોના
સામે વિશ્વયુદ્ધથી મોટી લડાઇ લડી રહ્યા છે ત્યારે એક વણઓળખાયેલા શખ્સે ભારતની શાન
સમા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સરદાર પટેલની વિરાટ પ્રતિમાને રૂ.30 હજાર કરોડમાં સેલિંગ
શોપિંગ સાઇટ OLX પર
વેચવા મૂકી દીધી હતી. વણઓળખાયેલા શખ્શની આ કરતૂતની જાણ OLXને પણ કલાકો બાદ થઇ હતી જ્યારે સોશ્યલ મિડીયામાં તેના સ્ક્રીન શૉટ
ફરવા માંડ્યા હતા. તુરંત જ OLX દ્વારા એ પોસ્ટને હટાવી દેવામાં આવી હતી.
ગઇ તા.4 એપ્રિલના રોજ OLX પર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ફોટો એક લખાણ સાથે
વાયરલ થયો હતો. જેમાં લખ્યું હતું કે, ‘ઈમરજન્સી! હોસ્પિટલ અને હેલ્થકેરના સાધનો
માટે રૂપિયાની તાત્કાલિક જરૂર હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને વેચવાનું છે’
સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓએ તા.4
એપ્રિલ 2020ના રોજ નર્મદા જિલ્લાના કેવડીયા પોલીસ સ્ટેશનમાં વણઓળખાયેલા ઇસમ સામે
નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે અજાણ્યા વ્યક્તિએ ઈરાદાપૂર્વક ભારત માટે
ગૌરવ સમા સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી વિરાટ પ્રતિમાને ઓનલાઈન પર
વેચાણ માટે મૂકી દીધી હતી. ભારત સમેત વિશ્વના કરોડો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું
આ કૃત્ય હતું.
‘સમગ્ર રીતે ગેરકાનૂની અને વિશ્વભરને ગેરમાર્ગે દોરીને સરકારી
સંપત્તિને વેચવાનો પ્રયાસ કરનાર અજાણ્યા શખ્સ સામે અમે ફરિયાદ નોંધાવી છે’, તેમ SoUના ડેપ્યુટી CEO નિલેશ કુમાર દુબેએ જણાવ્યું.
કેવડિયા પોલીસ સ્ટેશનના
પી.ટી. ચૌધરીએ જણાવ્યું કે, ‘અમારી પાસે SoUને ઓનલાઈન વેચવાના પ્રયાસના સ્ક્રીનશોટ છે. જે પણ વ્યક્તિએ આ કરતૂત કરી છે, તેને અમે ઝડપી પાડીશું’.
હાલમાં લૉકડાઉનને લીધે દુરદર્શન રામાયણ સિરિયલ બતાવી રહ્યું છે, જેમાં ત્રીસેક વર્ષ પહેલાની દિપીકા ચિખલીયા સીતાના પાત્રમાં જોવા મળી રહી છે. આ દિપીકાએ ૨૫ વર્ષ બાદ ગુજરાતી ફિલ્મ નટસમ્રાટથી ફિલ્મજગતમાં પુનરાગમન કર્યું હતું અને હવે તે ભારતની બુલબુલ તરીકે ઓળખાતી સ્વાતંત્ર્ય સેનાની સરોજિની નાયડુના પાત્રને ભજવવાની છે.
એક ઈન્ટરવ્યુમા તેમણે જણાવ્યું હતું કે તેમને સરોજિની નાયડુની બાયોપિક ઑફર કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ ગાલિબ અને દિનદયાલ એક યુગપુરુષ ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે. જોકે હજુ તેમણે ફિલ્મ સત્તાવાર રીતે સાઈન કરી નથી, પરંતુ ફિલ્મના લેખક અને ડિરેક્ટર ધીરજ મિશ્રાએ આ અંગે તેમની સાથે વાત કરી છે અને તેઓ કથાનક પર કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ ભૂમિકા કરવા માટે હું ખૂબ ઉત્સુક છું, કારણ કે ઐતિહાસિક પાત્રો મેં કરેલા છે.
પોતાની બે ફિલ્મો ગાલિબ અને યુગપુરુષ વિશે તેમણેજણાવ્યું હતું કે ગાલિબમાં મેં અફઝલ ગુરુની પત્નીનો રોલ કર્યો છે. કોઈ આતંકવાદીનું મૃત્યુ તેના પરિવારને કઈ રીતે અસર કરે છે, તે અંગેની ફિલ્મ છે. યુગપુરષમાં મેં અખબારના તંત્રીનો રોલ કર્યો છે. આમાં મારો રોલ નકારાત્મક છે, તેમ તેમણે ઉમેર્યું હતું. એક સમયે ટીવીના પડદા પર રામાયણની સીતાની લોકોએ પૂજા કરી હતી અને દિપીકાને જાહેરમાં લોર્કોંએ વંદન કર્યા હોય કે તેમના ચરણસ્પર્શ કર્યા હોય તેવી ઘટનાઓ પણ બનતી હતી.
હાલના દિવસોમાં રાજ્યમાં કોરોના કહેર વચ્ચે બેવડી સીઝનની અનૂભુતિ થઇ રહી છે. રાત્રે ઠંડી અને દિવસે મધ્યમ ગરમી અનુભવાતી હતી. પરંતુ, હવે બે દિવસથી તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની નજીક પહોંચી ગયો છે.
હવામાન ખાતાના વર્તારા મુજબ આગામી બે દિવસમાં રાજ્યનો સરેરાશ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર કરશે. ગુજરાતમાં આગામી ૪ એપ્રિલથી ૬ એપ્રિલ સુધી અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં ગરમીનો પારો વધવાની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આ શહેરોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર થઈ શકે છે. ત્યારે સુરત, ભૂજમાં વાતાવરણમાં આગામી તારીખ ૭ એપ્રિલ તેમજ ૮ એપ્રિલમાં પલટો આવશે. અમદાવાદ, વડોદરા સહિતમાં દિવસે સામાન્ય ગરમી તેમજ સાંજ બાદ ઠંડકભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું. આ પ્રકારની ડબલ ઋતુના કારણે રોગચાળાનો ખતરો વધવાનો ભય રહે છે.
રાજ્યની માલિકીની પંજાબ નેશનલ બૅંકે બુધવારે જણાવ્યું હતું કે યુનાઇટેડ બૅંક ઑફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બૅંક ઑફ કોમર્સની રાષ્ટ્રવ્યાપી શાખાઓ હવે પંજાબ નેશનલ બૅંકની શાખા તરીકે કાર્યરત થઇ ગઇ છે.
પંજાબ નેશનલ બૅંક, યુનાઇટેડ બૅંક ઑફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બૅંક ઑફ કોમર્સનું પહેલી એપ્રિલ, ૨૦૨૦થી જોડાણ થઇ ગયું છે. આ મર્જરથી દેશની બીજી સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બૅંક બનશે. આ જોડાણથી વૈશ્ર્વિક સ્તરે સ્પર્ધાત્મક નેક્સ્ટ જનરેશન બૅંક પીએનબી ૨.૦ બનાવાશે અને થાપણદારો સહિતના બધા ગ્રાહકોને પીએનબીના ગ્રાહક માનવામાં આવશે.
પીએનબી તેની તમામ શાખાઓ અને મોબાઇલ ઇન્ટરનેટ બૅંકિંગ સહિતના તમામ પ્લેટફોર્મ દ્વારા ઇન્ટરઓપરેબલ સેવા પ્રદાન કરશે. આ નવી સંયુક્ત બૅંકની ૧૧,૦૦૦થી વધુ શાખા, ૧૩,૦૦૦થી વધુ એટીએમ, એક લાખ કર્મચારી અને ૧૮ લાખ કરોડ રૂપિયાના વ્યવસાયિક મિશ્રણની વિશાલ ભૌગોલિક પહોંચ હશે.
દેશમાં કોરોના ના દરદીઓની સંખ્યા નો આંખ બુધવારે વધીને ૧૬૩૭ પર તો કોરોના વાઇરસ ને કારણે મૃત્યુ પામેલાઓનો આંક ૩૮ પર પહોંચ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું. દેશમાં કોરોનાના ૧૪૬૬ દરદી સક્રિય છે તો ૧૩૨ દરદી સાજા થઈ ગયા છે કે પછી તેમને રજા આપી દેવામાં આવી છે જ્યારે એક દરદી અન્ય દેશમાં સ્થળાંતર કરી ગયો છે, એમ તેમણે કહ્યું હતું. આરોગ્ય ખાતાના જણાવ્યાનુસાર બુધવારે સવારે નવ વાગ્યા સુધીમાં કોરોના ને કારણે વધુ ત્રણ જણાં ના મૃત્યુ થયા હોવાનું નોધાયું હતું. જો કે દેશના ક્યાં ભાગમાં આ મૃત્યુ નોંધાયા હતા તે જાણી શકાયું નહોતું. મહારાષ્ટ્રમાં મંગળવારે સૌથી વધારે નવ મૃત્યું નોધાયા હોવાનું તેમણે કહ્યું હતું.
તબલીઘી જમાતના મેળાવડામાં ભાગ લેનારાં દેશમાં હજારો શંકાસ્પદ કોરોના-બૉમ્બ
તાજેતરમાં દિલ્હીમાં નિઝામુદ્દીન-વેસ્ટ ખાતે આયોજિત તબલીઘી જમાતના મેળાવડામાં ભાગ લેનાર લોકો સાથે પાંચ ટ્રેનમાં પ્રવાસ કરનાર હજારો મુસાફરો વિશેની માહિતી એકઠી કરીને પૂરી પાડવા રેલવે તંત્ર આકાશ-પાતાળ એક કરી રહ્યું છે. મેળાવડામાં હાજરી આપનાર ઘણા લોકોના કોરોના વાઇરસને લગતા પૉઝિટિવ રિપોર્ટ નોંધાયા છે.
આ તમામ (પાંચ) ટ્રેન ૧૩થી ૧૯ માર્ચ દરમિયાન દિલ્હીથી શરૂ થઈ હતી. એમાં આંધ્ર પ્રદેશના ગુન્ટુર ખાતે જતી દુરોન્તો એક્સપ્રેસ, ચેન્નઈ માટેની ગ્રૅન્ડ ટ્રન્ક એક્સપ્રેસ, ચેન્નઈ માટેની તમિળનાડુ એક્સપ્રેસ, નવી દિલ્હી-રાંચી રાજધાની એક્સપ્રેસ અને એપી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનો સમાવેશ છે.
નિઝામુદ્દીનમાં માર્ચ મહિનાના શરૂઆતના સમયગાળા દરમિયાન આયોજિત તબલીઘી જમાતના મેળાવડામાં ૨૩૦ જેટલા વિદેશીઓ સહિત કુલ આશરે ૨,૫૦૦થી ૩,૨૦૦ લોકોએ ભાગ લીધો હતો. આ લોકોએ પછીથી વિવિધ ટ્રેનોમાં મુસાફરી કરી હતી એટલે તેઓ અંદાજે ૫,૦૦૦ લોકોના સંપર્કમાં આવ્યા એમ કહી શકાય. પાંચ ટ્રેનોના કુલ કેટલા પ્રવાસીઓ આ મેળાવડાના સેંકડો લોકોના સંસર્ગમાં આવ્યા હતા એનો ચોક્કસ આંકડો તો રેલવે તંત્ર પાસે ઉપલબ્ધ નથી, દરેક ટ્રેનમાં આશરે ૧૦૦૦થી ૧૨૦૦ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો એટલે તેમનામાંથી કોઈને તેમ જ ટ્રેનના સ્ટાફ મેમ્બરોમાંથી કોઈને કોરોનાનો ચેપ લાગ્યો હોઈ શકે. રેલવે તંત્ર જિલ્લાના સત્તાધીશોને આ પાંચ ટ્રેનોના મુસાફરોની યાદી પૂરી આપી રહ્યું છે કે જેથી દિલ્હીની ઇવેન્ટવાળા લોકોના તેમ જ તેમની નજીકમાં બેસીને પ્રવાસ કરનારાઓ વિશેની જાણકારી જિલ્લા સત્તાધીશોને મળી શકે. તબલીઘી જમાતની ઇવેન્ટમાં ભાગ લેનારા જે લોકોની શોધ થઈ રહી છે એમાં ૧૦માંથી ઇન્ડોનેશિયાનો એક નાગરિક એવો હતો જેણે ૧૩મી માર્ચે દિલ્હીની ઇવેન્ટ બાદ કરીમનગર જિલ્લામાં પાછા જવા એપી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં પ્રવાસ કર્યો હતો અને પછીથી તેનો કોરોનાને લગતો પૉઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.
નવી દિલ્હી-રાંચી રાજધાની એક્સપ્રેસમાં પ્રવાસ કરનાર ૬૦ મુસાફરો એવા હતા જેઓ જે બી-વન કોચમાં બેઠા હતા એમાં મલયેશિયાની એક મહિલા પણ બેઠી હતી જેનો વાઇરસને લગતો પૉઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ મહિલાએ તબલીઘી જમાતના મેળાવડામાં હાજરી આપી હોવાનું મનાય છે. જિલ્લાના સત્તાધીશો એ ૬૦ મુસાફરો ક્યાં છે એ શોધી રહ્યા છે.
એક મહિલાએ ૧૬મી માર્ચે ૨૩ જણ સાથે પ્રવાસ કર્યો હતો. આ મહિલાનો પૉઝિટિવ રિપોર્ટ આવ્યો છે અને ઝારખંડનો એ સૌપ્રથમ કોવિડ-૧૯ કેસ છે. રાજ્યોમાંથી મળેલી માહિતી મુજબ નિઝામુદ્દીનના મેળાવડામાં હાજરી આપનાર અને પછીથી જેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો એ બે વ્યક્તિઓએ ૧૮મી માર્ચે દુરોન્તોમાં એસ-૮ કોચમાં પ્રવાસ કર્યો હતો. આ બે વ્યક્તિઓએ ‘બે સાથીઓ’ સાથે મુસાફરી કરી હતી.
કોરોનાને કારણે મુંબઈના ૧૪૬ વિસ્તાર સીલ
મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીઓની સંખ્યા ૩૦૦નો આંક વટાવી ગઈ હોવાથી હવે નાગરિકોને વધુ સતર્ક રહેવાની સૂચના પ્રશાસન દ્વારા આપવામાં આવી રહી છે. જરૂરી ન હોય તો નાગરિકોએ ઘરમાંથી બહાર ન નીકળવાનું કહેવામાં આવ્યું છે. પોલીસ, ડૉક્ટર, સરકારી અધિકારીઓથી માંડી છેક મુખ્ય પ્રધાન સુધીના દરેક જણ ઘરમાં જ રહેવાનું સૂચન કરી રહ્યા છે.
સરકારી અધિકારીઓ દ્વારા મળતી માહિતી અનુસાર માત્ર મુંબઈમાં જ ૧૦૦થી વધુ કોરોનાના દરદી મળી આવ્યા છે. કોરોનાના ફેલાવાને ધ્યાનમાં રાખી મંગળવારે વરલી કોલીવાડા બાદ ગોરેગામ પૂર્વના બિંબિસાર નગર અને અંધેરીનો બિન્દ્રા વિસ્તાર સીલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જે વિસ્તારોમાંથી કોરોનાના દરદી અથવા શંકાસ્પદ દરદીઓ મળી આવ્યા છે તેવા ૧૪૬ વિસ્તાર સીલ કરવામાં આવ્યા હોવાનું મુંબઈ મહાનગરપાલિકાએ બહાર પાડેલી યાદીમાં જણાવાયું હતું.
જે વિસ્તારો સીલ કરવામાં આવ્યા છે તેની વૉર્ડ આધારે યાદી મુંબઈ મહાપાલિકાએ જાહેર કરી છે. યાદી અનુસાર મુંબઈના ૨૪ વૉર્ડમાંથી ૨૧ વૉર્ડમાં ૧૪૬ વિસ્તાર સીલ કરવામાં આવ્યા છે. બી, સી, ડી, ઈ, એફ દક્ષિણ, એફ ઉત્તર, જી દક્ષિણ, એચ પૂર્વ, એચ પશ્ર્ચિમ, કે પૂર્વ, કે પશ્ર્ચિમ, પી દક્ષિણ, પી ઉત્તર, આર દક્ષિણ, આર મધ્ય, આર ઉત્તર, એલ, એમ પૂર્વ, એમ પશ્ર્ચિમ, એન, એસ અને ટી વૉર્ડનો આ યાદીમાં સમાવેશ છે. આ વિસ્તારોને સેનિટાઈઝ્ડ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તેની જવાબદારી પણ વૉર્ડ આધારે સોંપવામાં આવી છે. મુંબઈ સિવાય થાણે, નવી મુંબઈના પણ અનેક વિસ્તારો સીલ કરવામાં આવ્યા છે.
કોરોનાવાઇરસના રોગચાળાને કારણે યુરોપમાં અત્યાર સુધીમાં ૩૦ હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે, એમાંથી ત્રણ ચતુર્થાંશથી વધુ લોકો ઇટાલી અને સ્પેનના છે. યુરોપમાં કોરોનાના કુલ ૪,૫૮,૬૦૧ કેસ નોંધાયા છે જેમાં ૩૦,૦૬૩ લોકોના મૃત્યુ થયા છે. ઇટાલીમાં સૌથી વધુ ૧૨,૪૨૮ લોકોના અને સ્પેનમાં ૯,૦૦૦ તથા ફ્રાન્સમાં ૩,૫૨૩ લોકોના મૃત્યુ થયા છે. અમેરિકામાં કોરોનાના કારણે ૪,૦૭૬ લોકોના મૃત્યુ થયા છે.
અમેરિકામાં કોરોનાથી મરણાંક ત્રણ દિવસમાં બમણો
જૉન હૉપક્ધિસ યુનિવર્સિટીએ આપેલા આંકડા મુજબ અમેરિકામાં જીવલેણ અને ભયાનક નોવેલ કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા લોકોનો આંકડો છેલ્લા ત્રણ દિવસમાં બમણો થઈને બુધવારે ૪,૦૦૦ના આંકડે પહોંચી ગયો હતો.
બુધવારે આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યાં સુધીમાં અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામેલાઓની સંખ્યા ૪,૦૭૬ થઈ હતી. હજી શનિવારે આંકડો ૨,૦૧૦ હતો, એવું જૉન હૉપક્ધિસના ડૅટામાં જણાવાયું હતું.
વધુ આંચકાજનક બાબત એ છે કે એકલા ન્યૂ યૉર્ક શહેરમાં કોવિડ-૧૯થી ૧,૦૦૦થી વધુ લોકોના મૃત્યુ થયા છે. શહેરમાં અચાનક જ કોરોનાના દરદીઓ વધી જતાં સત્તાધીશો પૂરતી સંખ્યામાં તબીબી સાધનો મેળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે અને તેમણે આવનારા કેટલાક અઠવાડિયા વધુ કપરી કટોકટીના રહેશે એવી ચેતવણી આપી છે.
સત્તાવાર ડૅટા મુજબ ન્યૂ યૉર્કમાં કોવિડ-૧૯ના કુલ ૪૧,૭૭૧ કેસ નોંધાયા છે જેમાંથી ૧,૦૯૬ના મૃત્યુ થયા છે. આ આંકડા ૩૧મી માર્ચ સુધીના છે. ઓછામાં ઓછા ૮,૪૦૦ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે જેમાંથી ૧,૮૮૮ જણ આઇસીયુમાં છે.
સમગ્ર ન્યૂ યૉર્ક સ્ટેટમાં કોરોનાના ૭૫,૦૦૦ દરદીઓ નોંધાયા અને એમાંથી ૧,૫૫૦ લોકોના મૃત્યુ થયા હોવાનું સત્તાવાર અહેવાલમાં જણાવાયું હતું. એમાં એવું પણ કહેવાયું હતું કે સ્ટેટમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૩૨ દરદીઓ વધી ગયા હતા.
દરમિયાન, ન્યૂ યૉર્ક શહેરે પોતાની હૉસ્પિટલો તથા અન્ય તબીબી સેવા સ્થળો ખાતેના સ્ટાફના સપોર્ટ માટે ૧,૦૦૦ નર્સ, ૩,૦૦૦ રેસ્પાયરેટરી થેરપિસ્ટ અને ૧૫૦ ડૉક્ટરો મોકલવા સરકારને કહ્યું છે. અત્યાર સુધીમાં ન્યૂ યૉર્ક શહેરભરની હૉસ્પિટલોમાં કુલ ૩૦.૫૬ લાખ ફેસ માસ્ક, ૩૨.૮૮ લાખ એન-૯૫ માસ્ક, ૬૫,૪૭૦ ગાઉન અને ૧૩.૦૬ લાખ સર્જિકલ ગ્લવ વહેંચવામાં આવ્યા છે.
બીજા વિશ્ર્વયુદ્ધ પછીનો આ સૌથી વધુ કપરો કાળ: યુનોના વડા
સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)ના વડા એન્ટોનિઓ ગટરસે દુનિયા હાલમાં બીજા વિશ્ર્વયુદ્ધ પછીના સૌથી વધુ કપરા કાળનો સામનો કરી રહી હોવાનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દુનિયામાં હાલમાં આર્થિક મંદી જેવી સ્થિતિ છેલ્લાં અનેક દાયકા કરતાં વધુ ગંભીર છે. રોગચાળાના દરદીઓ અને મરણાંકમાં કૂદકે ને ભૂસકે વધારો થતો જ જાય છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)ના વડાએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રસંઘના ઇતિહાસની આ સૌથી વધુ ગંભીર કટોકટી છે. દરદીઓ અને મરણાંકનો ઝડપથી ગુણાકાર થઇ રહ્યો છે અને આપણે તેને રોકવામાં હજી સુધી નિષ્ફળ રહ્યા છીએ. દરમિયાન, જોન્સ હોપક્ધિસ યુનિવસિટીના અંદાજ મુજબ દુનિયામાં કોરોના વાઇરસના ૮.૫ લાખથી વધુ દરદી છે અને આશરે ૪૨,૦૦૦ લોકો તેનાથી મૃત્યુ પામ્યા છે તેમ જ આ આંકડામાં સતત વધારો થતો રહે છે.
ફ્લૂની દવા એવિગન કોરોના સામે અસરકારક
ચીનમાં આ દવા કોરોના સામેની લડતમાં અસરકારક નીવડી હોવાનાં અહેવાલ બાદ જાપાનની ફૂજીફિલ્મે તેની ફ્લુવિરોધી દવા એવિગનની કોરોના વાઇરસ સામેની અસરકારકતા ની ચકાસણી માટે તેની કલીનિકલ ટ્રાયલ શરૂ કરી દીધી છે. ચીનમાં આ દવાની ટ્રાયલ એ પુરવાર કરી દીધું છે કે કોરોના ના દર્દીના સજા થવાના સમયમાં ઘટાડો કરવામાં આ દવા નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જૂન મહિનાના અંત સુધીમાં ૧૦૦ દરદી પર આ દવાનું પરીક્ષણ કરવામાં આવશે, એમ કંપનીના પ્રવક્તાએ સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું. ત્યાર બાદ અમે તેની યાદી તૈયાર કરીશું અને તેની યોગ્ય સમીક્ષા કર્યા બાદ મંજૂરી માટે તેને આગળ મોકલીશું, એમ તેમણે કહ્યું હતું. હળવો ન્યૂ મોનિયા ધરાવતા ૨૦થી ૭૪ વર્ષની વયજૂથના કોરોના વાઇરસના દર્દીઓ ને વધુમાં વધુ ૧૪ દિવસ સુધી આ દવા આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. પશુઓ પર કરવામાં આવેલા પરીક્ષણ દરમિયાન આ દવાની આડઅસર જોવા મળી હોવાને કારણે ગર્ભવતી મહિલાઓ ને તેમાંથી બાકાત રાખવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું. કોરોના વાઇરસ સામેની લડતમાં એવી ગોનનો ઉપયોગ કરવાની મંજુરી આપવામાં આવ્યા બાદ એ માટે ની જરૂરી પ્રક્રિયાનો આરંભ કરવામાં આવશે, એમ વડા પ્રધાન શિન્ઝો આબે એ જણાવ્યા બાદ ત્રીજા તબક્કા ની ટ્રાયલ શરૂ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
કોરોના વાઇરસના દર્દીઓના ઈલાજ માટે અમેરિકાએ મેલેરિયા ની દવા હાયડ્રોકિસ-ક્લોરોક્વિન પ્રાપ્ત કરવાનું શરૂ કરી દીધું છે કેમ કે ન્યૂ યોર્ક ના કોરોના ના અસરગ્રસ્ત દરદીઓની હાલ ચાલી રહેલી સારવારમાં આ દવા સારું પરિણામ આપી રહી છે.
અમેરિકાની એક પ્રતિષ્ઠત દવા કંપની સેન્ડઝે એ આ દવાના ત્રણ કરોડ ડોઝ સરકારને દાનમાં આપ્યા હોવાનું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.
બાયેર નામની દવા કંપનીએ પણ કલોરોકવીનના દસ લાખ ડોઝ સરકારને દાનમાં આપ્યા છે અને જલ્દી જ તેનું દેશના તમામ રાજ્યો અને આરોગ્ય અધિકારીઓમાં વિતરણ કરવામાં આવશે એમ તેમણે કહ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે આ દવા કોરોના વાઇરસ સામેની લડતમાં ચમત્કારિક પરિણામ આપે એવી શક્યતા છે અને તેને કારણે કોરોના વાઇરસના ચેપ નો ભોગ બનેલા ૧,૬૩,૦૦૦ કરતા પણ વધુ લોકોને લાભ થાય તેવી શક્યતા છે.
આ દવા કોરોના સારવારમાં મદદરૂપ થશે એવી આશા સાથે ગયા અઠવાડિયે ન્યૂ યોર્ક ના દર્દીઓ પર તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો જેના સારા પરિણામ મળી રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.