કોરોનાથી સંક્રમિત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૦૯૬ કેસ પોઝિટિવ નોંધાયા છે જ્યારે વધુ ૧૦૧૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જોકે, સારવાર હેઠળ રહેલા વધુ ૨૦ દર્દીઓના હોસ્પિટલના બિછાને મૃત્યુ થયાં છે. સૌથી વધારે સુરતમાં સાત, અમદાવાદમાં ચાર, જૂનાગઢ અને અમરેલીમાં બે-બે, વડોદરા, રાજકોટ, તાપી, ગીર સોમનાથમાં ૧-૧ દર્દીના મૃત્યુ નોંધાયા છે.
છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ કેસ સુરત મહાનગરમાં ૧૬૯ અને ગ્રામ્યમાંથી વધુ ૮૧ નવા દર્દી પોઝિટિવ મળી આવ્યા છે. આ જ રીતે અમદાવાદ મહાનગરમાંથી ૧૪૫ તથા ગ્રામ્યમાંથી ૧૨ મળી ૧૫૭ કેસ નવા નોંધાયા છે. વડોદરા શહેરમાંથી નવા નેંવું તથા ગ્રામ્યના ૩૨ મળી ૧૨૨ કેસ ઉમેરાયા છે.
પાટનગર ગાંધીનગરમાંથી નવા ૧૬ કેસ આવ્યા છે જ્યારે જિલ્લાના ગાંધીનગર, માણસા, દહેગામ, કલોલ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાંથી નવા ૧૪ કેસ ઉમેરાયા છે. સૌરાષ્ટ્રમાં જામનગર શહેરમાંથી સતત પાંચમા દિવસે ૭૪ નવા કેસ ઉમેરાયા છે જ્યારે જિલ્લામાંથી છ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાંથી વધુ ૬૬ અને ગ્રામ્યમાંથી ૨૯ નવા કેસ ઉમેરાયા છે. ભાવનગર શહેરમાંથી ૨૧ તથા ગ્રામ્યના ૧૫ મળી ૩૬ કેસ નોંધાયા છે. જૂનાગઢમાં શહેર અને ગ્રામ્યમાંથી ૧૪-૧૪ કેસ આવ્યા છે.
અમદાવાદ શહેરમાં હવે બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી, ચાંદખેડા, નારણપુરા, વાડજ, શાહીબાગ, નારોલ, વસ્ત્રાલ, નરોડા જેવા વિસ્તારોમાંથી નવા નવા કેસ ઉમેરાય છે. હવે અનલોક-૪ માટે નવી ગાઇડલાઇન્સ થોડા દિવસોમાં જાહેર થવા જઇ રહી છે એમાં હાલ નિયંત્રણ હેઠળની પ્રવૃત્તિઓમાં કેટલીક છુટછાટ મળી શકે એવી શક્યતાઓ છે.
સોમવારથી અમદાવાદની વિવિધ ક્લબ શરૂ થઇ છે. હવે હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સના સંચાલકો રાત્રિ ખાણીપીણીનો સમય વધારવા માગણી કરી રહ્યા છે તથા મલ્ટીપ્લેક્સ, સિનેમા ગૃહના સંચાલકો પણ પ્રેક્ષકોને પ્રવેશ માટે ઉતાવળા થયા છે. જોકે, શાળા અને કોલેજો અંગે કેન્દ્રીય માનવસંસાધન મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, આ સંદર્ભે સ્પેશ્યલ ઓપરેટિવ પ્રોસિઝર ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર કરે પછી જ અંતિમ નિર્ણય લેવાશે ત્યાં સુધી તેને ખોલવાની મંજૂરી અપાશે નહીં. આ પરિસ્થિતિમાં કોચિંગ ક્લાસિસ પણ હાલ ખુલે એવી શક્યા નહીવત છે.
દરમિયાન, રાજ્યના અન્ય જિલ્લાઓની સ્થિતિ જોઇએ તો પંચમહાલમાં નવા ૨૯, ભરૂચમાં ૨૬, કચ્છમાં ૨૨ નવા કેસ ઉમેરાયા છે. જ્યારે ગીર સોમનાથમાંથી ૧૯, દાહોદ અને મહેસાણામાંથી ૧૭-૧૭ કેસ, મોરબી અને પાટણમાં ૧૫, અમરેલી, ખેડા, નર્મદામાંથી ૧૪-૧૪ કેસ નવા નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી ૧૧, નવસારી, સાબરકાંઠા અને વલસાડમાંથી ૯-૯ કેસ, છોટાઉદેપુર, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ૮-૮ કેસ, બોટાદ અને તાપીમાંથી ૭-૭, આણંદ અને મહીસાગરમાંથી ૬-૬, અરવલ્લામાંથી ૫, છોટાઉદેપુરમાંથી ૩ નવા કેસ નોંધાયા છે.
છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૭૨,૫૭૭ ટેસ્ટ કરાયા હતા એના પગલે કુલ આંક ૧૮,૯૧,૭૭૫ સુધી પહોંચ્યો છે જ્યારે અત્યાર સુધીના કુલ કેસની સંખ્યા ૮૮,૯૪૨ થઇ છે. આ પૈકી ૭૧,૨૬૧ ડિસ્ચાર્જ થયા છે અને ૨૯૩૦ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. હાલ એક્ટિવ કેસ ૧૪૭૫૧ છે એમાંથી ૭૯ વેન્ટીલેટર ઉપર છે અને ૧૪૬૭૨ સ્ટેબલ છે.