CIA ALERT

Slider Archives - Page 190 of 486 - CIA Live

October 4, 2020
tet.jpg
1min12980

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દેશમાં શિક્ષક બનવા માટે ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ TET લેવાની પદ્ધતિ જ્યારથી લાગૂ કરવામાં આવી હતી ત્યારથી તેની સાથે એક જોગવાઇ એ પણ સામેલ કરવામાં આવી હતી કે એક વખત ટેસ્ટ આપનાર શિક્ષક માટે એ ટેસ્ટનો સ્કોર 7 વર્ષ માટે જ વેલિડ (માન્ય) ગણાશે. વેલિડીટી સમય પૂરો થઇ ગયા બાદ એ શિક્ષકનો ટેટનો સ્કોર માન્ય રહેશે નહીં અને એ શિક્ષકે 7 વર્ષ બાદ ફરીથી ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ TET આપવાની રહે છે. પરંતુ, હવે આ જોગવાઇ રદ થવા જઇ રહી છે.

ગુડ ન્યુઝ

હવે પછી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ TET પાસ કર્યા પછી ફરીવાર આ ટેસ્ટ આપવી નહીં પડે. એટલે કે કોઇ એક ઉમેદવારે આજીવન ફક્ત એક જ વખત ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ TET પાસ કરવાની રહેશે. આ પ્રકારનો નિર્ણય તાજેતરમાં જ નવી દિલ્હી ખાતે મળેલી નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન (એનસીટીઇ)ની તાજેતરમાં મળેલી સામાન્યસભાની બેઠકમાં એવો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.

નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ ટ્રેનિંગની જનરલ બોર્ડ મિટીંગમાં લેવાયેલા નિર્ણયની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત સાથે અમલ શરૂ કરવામાં આવશે એવી વિગતો જાણવા મળી છે. 

નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ ટ્રેનિંગના આ નિર્ણયનો સીધો ફાયદો દેશના હજારો શિક્ષકોને મળશે.

એનસીટીઇ સંલગ્ન કોલેજમાં બી.એડ. પૂરું કર્યા બાદ ટીચર તરીકે નોકરી મેળવવા માટે ઉમેદવારોએ જે તે રાજ્યોમાં TET આપવી ફરજિયાત છે. બી.એડ. કર્યા પછી દરેક ઉમેદવારો આ ટેસ્ટ આપે અને તેમાં પાસ થાય પછી જ શિક્ષક તરીકેની નોકરી મળતી હોય છે. ટેટ પાસ કર્યા બાદ તેનો સ્કોર 7 વર્ષ સુધી જ વેલિડ રહેતો હતો. 7 વર્ષ સુધી જો કોઇને નોકરી ન મળે કે નોકરી ન સ્વીકારે અને એ પછી શિક્ષક તરીકે જોડાવું હોય તો પુનઃ ટેટ પરીક્ષા આપવાની રહેતી હોય છે. પરંતુ, હવે આ જોગવાઇ કાઢી નાંખવામાં આવી છે.

October 3, 2020
ataltunnel.jpg
1min7390

લદાખના રોહતાંગમાં બનાવવામાં આવેલી અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની વિશ્ર્વની સૌથી લાંબી ઑલ સીઝન હાઇવે ટનલ ‘અટલ ટનલ રોહતાંગ’નું વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઉદ્ઘાટન કરીને જનતા માટે ખુલ્લી મૂકશે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યા અનુસાર ઉદ્ઘાટન બાદ વડા પ્રધાન લાહોલ સ્પિતિ અને સોલાંગ વેલી ખાતે જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. ચીન સાથે વકરેલો સીમાવિવાદ જો લાંબો ચાલે તો ઝડપથી સૈન્ય અને સરંજામ સરહદે લઇ જવામાં અને દેશની સીમાનું રક્ષણ કરવામાં આ ટનલ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવશે.

PM Modi To Inaugurate Atal Tunnel At Rohtang On 3 October; Here's  Everything To Know About World's Longest Highway Tunnel

ચીન સાથે લદાખની સરહદે ચાલી રહેલા સીમાવિવાદને ટાંકણે જ મનાલી અને લેહ વચ્ચેનું અંતર ૪૬ કિ. મી. ઓછું કરતી વિશ્ર્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ રોહતાંગ’ તૈયાર થઇ એ ભારત માટે ઘણી અગત્યની વાત છે.

આ ટનલ હિમાચલ પ્રદેશના મનાલીથી લદાખના લેહ સુધીનું અંતર ૪૬ કિ. મી. ઓછું કરવા સાથે પ્રવાસનો સમય ચારથી પાંચ કલાક ઓછો કરશે.

અત્યંત આધુનિક રીતે બનાવવામાં આવેલી આ ટનલ ૯.૦૨ કિ.મી. લાંબી છે અને એ લેહ-મનાલી હાઇવે પર આવેલા પૂર્વ પીર પાંજલ રેન્જમાં રોહતાંગ પાસની નીચેથી પસાર થાય છે.

વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યા અનુસાર વિશ્ર્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ’ રૂ. ૩૨૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે અને રોહતાંગ ખાતે એની ઊંચાઇ ૩૦૦૦ મીટર (સમુદ્રની સપાટીથી ૧૦,૦૦૦ ફૂટ ઊંચાઇએ) આવેલી છે.

આ ટનલ માટે રૂ. ૪૦૮૩ કરોડનું બજેટ મંજૂર કરાયું હતું, પણ ટનલ એથી ઘણી ઓછી કિંમતે રૂ. ૩૨૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.

અટલ ટનલનું દક્ષિણમુખ ૩,૦૬૦ મીટરની ઊંચાઇએ મનાલીથી ૨૫ કિ. મી. ના અંતરે આવેલું છે અને ઉત્તરમુખ લાહૌલ વેલીમાં સિસ્સુના તેલિંગ ગામની નજીક ૩.૦૭૧ મીટરની ઊંચાઇએ આવેલું છે.

ઘોડાની નાળના આકારની આ ટનલમાં સિંગલ ટયૂબ ડબલ લૅન છે અને એમાં ૮ મીટર પહોળા રસ્તા છે.

વધુમાં વધુ ૮૦ કિ. મી. ની સ્પીડે રોજ ૧૫૦૦ ટ્રક અને ૩૦૦૦ કાર જઇ શકે એ રીતે એની ડિઝાઇન બનાવવામાં આવી છે.

વીસ વર્ષ અગાઉ ૩જી જૂન, ૨૦૦૦ના દિવસે અટલબિહાર વાજપેયી સરકારે આ ટનલે બાંધવાનો નિર્ણય લીધો હતો અને દક્ષિણમુખ માટેના શિલાન્યાસનો કાર્યક્રમ ૨૬મી મે ૨૦૦૨ના દિવસે યોજાયો હતો.

મોદી સરકારે ગત વર્ષે દિવંગત વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના નામ પરથી ડિસેમ્બર ૨૦૧૯માં રોહતાંગ ટનલનું નામ અટલ ટનલ રાખવાનો નિર્ણય લીધો હતો.

આ ટનલ તૈયાર કરવા માટે બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન (બીઆરઓ)ના જવાનોએ અથાગ પ્રયત્ન અને સતત કામ કરીને વિશ્ર્વની વિશિષ્ટ ટનલ બાંધવામાં મોટો ફાળો આપ્યો છે.

October 1, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6110

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ શિવેન્દ્ર ગુપ્તા મહાશયની મહેરબાનીને કારણે લાગૂ કરવામાં આવેલી ઢંગધડા વગરની પ્રવેશ કાર્યવાહીને કારણે પરિસ્થિતિ એ થઇ છે કે મે-જૂનમાં ધો.12 સાયન્સ, કોમર્સના પરીણામો જાહેર થઇ ચૂક્યા હોવા છતાં વીર નર્મદ યુનિ.માં ક્યાંય કોઇ કોર્સમાં અભ્યાસ તો દૂરની વાત પણ પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પણ પૂરી થઇ નથી.

વીર નર્મદ યુનિવર્સિટી હાલ કોઇપણ જાતની ફી ભરાવ્યા વગર હંગામી પ્રવેશ આપી રહી છે, ફી ભરાવીને પ્રવેશ કન્ફર્મ નહીં કરાવે ત્યાં સુધી ઉંચી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓ જુદા જુદા કોર્સમાં રોકી રાખેલી સીટો નહીં છોડે

જાણકારોના જણાવ્યા અનુસાર હાલમાં યુનિવર્સિટીની ઢંગધડાવગરની પ્રવેશ પ્રક્રિયાને કારણે ધો.12માં ઉંચી ટકાવારી સાથે પાસ થયા હોય એવા વિદ્યાર્થીઓ એક નહીં અનેક કોર્સ (કોલેજ નહીં)માં સીટ રોકીને બેસી ગયા છે. જેમકે

યુનિ. પ્રવેશ આપે છે પણ ફી ભરાવતા ન હોઇ, અનેક કોર્સમાં પ્રવેશાર્થીઓએ સીટ રોકી રાખી છે

  • ધો.12 સામાન્ય પ્રવાહમાં ઉંચી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓએ બી.કોમ., બી.બી.એ., બી.સી.એ., એમ.એસસી. આઇ.ટી, ઇન્ટીરીયર ડિઝાઇન, લૉ, એચ.આર.ડી., આર્ટસ વગેરે તમામ જગ્યાએ ઓનલાઇન ફોર્મ ભર્યા છે અને તમામ જગ્યાએ પ્રવેશ તેમને મેરીટના ધોરણે ફાળવવામાં આવ્યો છે. એક વિદ્યાર્થી આ પ્રકારે જુદાજુદા કોર્સની કોલેજમાં પ્રવેશ લઇને બેઠા છે, ક્યાંય તેમનો પ્રવેશ કન્ફર્મ નથી કેમકે યુનિવર્સિટી કે કોલેજોએ ફી લીધી નથી.

ઉંચી ટકાવારી વાળા વિદ્યાર્થીઓ સીટ છોડતા નથી ને ઓછી ટકાવારીવાળાને પ્રવેશ મળતો નથી

  • બીજી તરફ, 65 ટકાથી ઓછું પરીણામ ધરાવતા હજારો પ્રવેશાર્થીઓ કોલેજોમાં પ્રવેશથી વંચિત રહી ગયા છે. કેમકે તમામ જગ્યાએ બેઠકો ફૂલ થઇ ગઇ છે. બેઠકો ફુલ થઇ જવાનુું કારણ ઉંચુ પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓને ફી ભરવાનું કહેવાય તો તેઓ કોઇ એક જગ્યાએ પ્રવેશ કન્ફર્મ કરાવે અને જેથી બીજા કોર્સની કોલેજોમાંથી તેમણે રોકી રાખેલી સીટો છુટી થાય. આવી પ્રોસીજર હાથ ધરાઇ નથી એટલે ઓછી ટકાવારીવાળા હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે.

બી.એસસી.માં પણ એ જ હાલત

  • બી.એસસી.માં પણ એવી જ સ્થિતિ છે. ધો.12 સાયન્સમાં 80થી 90 ટકા પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓનું કન્ફર્મ છે કે તેઓ ઇજનેરી, મેડીકલ, પેરામેડીકલ, ફાર્મસીમાં પ્રવેશ લેવાના છે, આ વિદ્યાર્થીઓ પણ બી.એસસી.ની જુદી જુદી કોલેજોમાં હંગામી પ્રવેશ લઇને બેઠા છે. યુનિ.ની ઢંગધડા વગરની પ્રવેશ કાર્યવાહીનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે કેમકે તેમને પ્રવેશ કન્ફર્મ કરવા માટે ફી ભરવાનું કહેવાયું નથી. બીજી તરફ બીએસસીમાં ખરેખર જેમણે અભ્યાસ કરવો છે એવા 65 ટકાથી ઓછું પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓ પ્રવેશની રાહ જોઇને બેઠા છે.

આવું ને આવું રહેશે તો ડિસેમ્બર સુધી મેળ નહીં આવે

જાણકારો કહે છે કે આ જ પ્રકારે યુનિવર્સિટી હંગામી પ્રવેશ આપ્યે રાખશે તો કોઇ વિદ્યાર્થી તેમનો પ્રવેશ કન્ફર્મ નહીં કરાવે અને યુનિ.ની પ્રવેશ પ્રક્રિયા ડિસેમ્બર સુધી ચાલ્યે રાખશે. યુનિવર્સિટીએ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિ.ની જેમ બે રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા આટોપી લેવી જોઇએ. પહેલા રાઉન્ડમાં એલોટમેન્ટ સાથે જ ફી ભરીને કન્ફર્મ કરવા અથવા તો રિશફલિંગ રાઉન્ડમાં જવાનો વિકલ્પ આપવો જોઇએ. જેથી વિદ્યાર્થીઓમાં પણ ક્લેરિટી આવી શકે.

October 1, 2020
farmers.jpg
1min5080

કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા કૃષિ કાયદાના રાજ્યમાં અમલ માટે કાઢવામાં આવેલા અધ્યાદેશને આખરે રાજ્યસરકારે રદ કર્યો છે. બુધવારે સવારથી થયેલા નાટ્યાત્મક ઘટનાક્રમ બાદ આખરે રાજ્ય સરકારે આ અધ્યાદેશને રદ કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી હતી. કોંગ્રેસે કૃષિ કાયદાને લઈને આક્રમક વલણ અપનાવ્યું હતું અને રાજ્યસરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા અધ્યાદેશને રદ ન કરવામાં આવે તો પ્રધાનમંડળની બેઠકમાં ગેરહાજર રહેવાની ચીમકી આપી હતી.

રાજ્યના કૃષિ ખાતાના માર્કેટિંગ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર કૃષિ કાયદાના અમલ અંગેના અધ્યાદેશને રદ કરવાના વિરોધમાં હોવા છતાં મહારાષ્ટ્ર સરકારે તેમના વિરોધને કચડી નાખવા માટે તત્કાળ વિધાનસભ્યોની અપીલ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને તેના પર કાર્યવાહી કરીને અધ્યાદેશને રદ કરવાનો આદેશ બહાર પાડ્યો હતો. આ અધ્યાદેશ રદ થતાં હવે એપીએમસી માર્કેટને સંજીવની મળવાની આશા જાગી છે.

ખેડૂતોના હિત માટે કૃષિ ઉત્પાદનોના વેચાણને નિયંત્રણ મુક્ત કરવાનો આદેશ ઓગસ્ટ મહિનામાં કાઢવામાં આવ્યો હતો. આ આદેશને પગલે એપીએમસી માર્કેટની બહાર પણ કૃષિ માલને વેચવાની પરવાનગી આપવામાં આવી હતી.

રાજ્યની મોટા ભાગની એપીએમસીમાં પ્રભુત્વ ધરાવતા કોંગ્રેસ-એનસીપી માટે આ અત્યંત મુશ્કેલ ઘડી હતી. આ સંદર્ભે કાયદો સંસદમાં ગયા અઠવાડિયે મંજૂર થયા બાદ આખા દેશમાં આ કાયદાઓનો વિરોધ થઈ રહ્યો છે અને અનેક રાજ્યોમાં ખુદ કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે. જોકે આ કાયદા સંબંધી અધ્યાદેશ કેન્દ્ર સરકાર દ્વારા જૂન મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો અને ઓગસ્ટમાં મહારાષ્ટ્ર સરકારે તેના અમલનો અધ્યાદેશ બહાર પાડ્યો હતો. આવી સ્થિતિમાં રાજ્યમાં કોંગ્રેસને માટે દુવિધાની સ્થિતિ નિર્માણ થઈ હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને બુધવારે રાજ્યના પ્રધાનમંડળની બેઠકના દિવસને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આ અધ્યાદેશને રદ ન કરવામાં આવે તો કેબિનેટની બેઠકનો બહિષ્કાર કરવાનું વલણ અપનાવ્યું હતું. એક રીતે આ રાજ્યની સરકારના પતનની સંભાવના નિર્માણ થઈ હતી.

રાજ્યના પ્રધાન બાળાસાહેબ પાટીલે બુધવારે જણાવ્યું હતું કે આ કાયદો કેન્દ્ર સરકારનો છે અને તેના પર કાનૂની સલાહ લેવામાં આવી હતી. અત્યારે પણ અમે સલાહ લઈ રહ્યા છીએ. રાજ્યના ખેડૂતોને રાહત મળી રહે તે હેતુથી અમે કૃષિ ઉત્પાદન માટે નવો કાયદો કરવાના છીએ. આ કાયદો અમલમાં આવ્યા બાદ રાજ્યની ૩૦૫ એપીએમસી માર્કેટમાં ગુંચવાડો ઉભો થયો હતો. ખેડૂતો, વેપારી, દલાલ, માથાડી, કોન્ટ્રેક્ટ મજૂરો, કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓ વગેરે પર વિપરિત પરિણામ થવાની સંભાવના નિર્માણ થઈ હતી. કેટલાક લોકો બેરોજગાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. વિધાનસભ્યોની દલીલો સાંભળ્યા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

October 1, 2020
gst.jpg
1min6540

સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના જીએસટી રિટર્ન અને ઑડિટ રિપોર્ટની મુદત એક મહિનો લંબાવીને ૩૧ ઑક્ટોબર સુધીની કરવાની જાહેરાત કરી હોવાનું સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરેક્ટ ટૅક્સિસ-સીબીડીટી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતુું.

આચારસંહિતાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ

પાસે જરૂરી ક્લિયરન્સ મેળવ્યા બાદ સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના જીએસટીઆર-૯ અને જીએસટીઆર ૯સીની મુદત ૩૦-૦૯-૨૦૨૦થી લંબાવીને ૩૧-૧૦-૨૦૨૦ કરી છે, એમ સીબીડીટીએ જણાવ્યું હતું.

મે મહિનામાં સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના વાર્ષિક જીએસટી રિટર્ન ફાઈલ કરવાની મુદત ત્રણ મહિના લંબાવીને ૩૦-૦૯-૨૦૨૦ સુધીની કરી હતી.

જીએસટી હેઠળ નોંધાયેલા કરદાતાઓએ જ જીએસટીઆર-૯ વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાનું રહે છે.

September 30, 2020
fee.jpg
1min5960

શૈક્ષણિક વર્ષ 2020-21ના વર્ષ માટે ગુજરાત સરકારે શાળાઓમાં 25 ટકા ફી માફી જાહેર કરી છે પરંતુ, કોલેજોમાં ફી કેટલી માફ કરવી તે અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. કોલેજોમાં પહેલું સેમેસ્ટર પૂરું થવા આરે છે ત્યારે હવે સ્કુલો પછી કોલેજોના વિદ્યાર્થીઓ અને વાલીઓ આંદોલન કરે તો નવાઇ નહીં.

ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયેલા નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા આખા શૈક્ષણિક વર્ષમાં 25% ફી માફીની જાહેરાત કરવામાં આવી છે. શાળા સંચાલકો 25 ટકા ફી માફી માટે તૈયાર છે જોકે ઈત્તર પ્રવૃતિની ફી લેવામાં આવશે નહીં.

રાજ્ય સરકારે સ્કુલોની ફી નક્કી કરી પરંતુ, હવે ઉચ્ચ શિક્ષણમાં આ મામલો ગરમાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

September 30, 2020
teicoplanin-1.jpg
1min9280

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તાજેતરમાં ભારતની વિશ્વસનીય રિસર્ચ સંસ્થા, ઈન્સ્ટિટ્યૂટના કુસુમા સ્કૂલ ઓફ બાયોલોજિકલ સોસાયટીના સંશોધકો દ્વારા કોરોના માટે હાલમાં વપરાતી ૨૩ દવાઓ પર એવો અભ્યાસ સરવે કરવામાં આવ્યો હતો કે 23 પૈકી કઇ દવા સૌથી વધુ અસરકારક છે. આ સંશોધન પ્રવૃતિ સાથે જોડાયેલા આઇ.આઇ.ટી. દિલ્હીના એક પ્રોફેસર અશોક પટેલે જણાવ્યું હતું કે ક્લિનિકલી મંજૂર દવા ‘ટીકોપ્લાનિન’ કોવિડ-૧૯ સામે સંભવનીય સૌથી વધુ ઉત્તમ વિકલ્પ છે અને હાલમાં આ વાઇરસના ઇલાજ માટે આપવામાં આવતી દવાઓ કરતા દસ ગણી વધુ અસરકારક છે.

, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી), દિલ્હીએ ના પ્રોફેસર અશોક પટેલે વધુમાં જણાવ્યું હતું કે અન્ય દવાઓની સરખામણીમાં ટીકોપ્લાનિનની અસર ચકાસવામાં આવતા સાર્સ-કોવ-૨ માટે ઉપયોગમાં લેવાતી મુખ્ય દવાઓના બદલે ટીકોપ્લોનિન દસથી વીસ ગણી વધુ અસરકારક હોવાનું સંશોધનમાં જણાયું છે.

કોરોના પોઝીટીવ દર્દીઓને આપવામાં આવતી 23 દવાઓના સંશોધન કાર્યનું નેતૃત્વ આઇ.આઇ.ટી. દિલ્હીના અધ્યાપક શ્રી અશોક પટેલે કર્યું હતું અને તેમને સહાય એઆઇઆઇએમના ડો. પ્રદીપ શાહે કરી હતી.

આ સંશોધનનો અહેવાલ ઇન્ટરનેશનલ જનરલ ઓફ બાયોલોજિકલ મેક્રોમોલિક્યુલ્સમાં પ્રસિદ્ધ થયો હતો.

ટીકોપ્લાનિન એફડીએ દ્વારા માન્યતા પ્રાપ્ત દવા છે અને માનવોમાં લો ટોક્સિસિટી પ્રોફાઇલ સાથેના ગ્રામ-પોઝિટિવ બેક્ટેરિયા ઇન્ફેકશન માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

તાજેતરમાં રોમની સેપિન્ઝા યુનિવર્સિટીમાં ટીકોપ્લાનિન પર ક્લિનિકલ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમ છતાં હળવા, મધ્યમ અને વધુ બીમારી દર્દીઓ પર આ દવા કેવી રીતે અસર કરે છે એ અંગે વધુ અભ્યાસ કરવાની જરૂર છે, એમ પ્રોફેસર અશોક પટેલે વધુમાં જણાવ્યું હતું.

September 30, 2020
babri.jpg
1min5800

બાબરી ધ્વંસ્ત કેસ ચુકાદો આપતા આજે તા.30મી સપ્ટેમ્બર 2020ના રોજ લખનૌ સ્થિત સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી સહિતના તમામ આરોપીઓને મુક્ત કરતા જણાવ્યું છે કે આ ઘટના અગાઉથી આયોજીત નહોતી.

બાબરી ધ્વંસ કેસના 26 આરોપીઓ કોર્ટમાં હાજર થઈ ગયા હતા. જજ પણ કોર્ટરુમમાં આવી ગયા હતા, અને 26 વર્ષ જૂના આ કેસનો ફેસલો સંભળાવ્યો હતો. આરોપીઓમાં ભાજપના પીઢ નેતાઓ એલકે અડવાણી, મુરલીમનોહર જોષી તેમજ ઉમા ભારતીના નામ પણ સામેલ હતા. કોર્ટ બિલ્ડિંગની આસપાસનો વિસ્તાર પણ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. વાહનોની અવરજવર રોકી દેવાઈ હતી, અને નેતાઓના સમર્થકોને પણ અટકાવાઈ રહ્યા હતા.

લખનૌ સ્થિત CBIની સ્પેશિયલ કોર્ટમાં 6 ડિસેમ્બર 1992માં તોડી પડાયેલા વિવિદિત ભાગને લઈને આજે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. આ મામલે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી જેવા મોટા નેતા આરોપી હતા. એવામાં હાઈ પ્રોફાઈલ મામલાને ધ્યાનમાં રાખીને અયોધ્યા અને લખનૌમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. CBI કોર્ટે આદેશ જારી કર્યા છે કે તમામ આરોપીઓએ ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવું પડશે. કોર્ટ તરફથી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત અન્ય આરોપીઓને નોટિસ મોકલવામાં આવી હતી.

30/9 : આજે બાબરી ધ્વંશ કેસનો ચુકાદો

અયોધ્યામાં બાબરી મસ્જિદનો ધ્વંશ કરાયાને 28 વર્ષ બાદ હવે આજે 30/9/20 લખનઉમાં સીબીઆઈની વિશેષ અદાલત ચુકાદો આપવાની છે. આ સંવેદનશીલ મામલે ચુકાદા પૂર્વે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સાંપ્રદાયિક રૂપે સંવેદનશીલ જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એલર્ટ કરી દીધા છે.

બાબરી વિધ્વંસ પછી દેશમાં ફાટી નીકળેલા ભયંકર કોમી રમખાણોમાં આશરે 2 હજાર લોકોનાં મૃત્યુ થયા હતાં. બાબરી કેસમાં સીબીઆઈ દ્વારા કુલ 49 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતાં અને તેમાંથી 17 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે. જેથી અદાલત આવતીકાલે બાકીનાં 32 આરોપીનો ચુકાદો આજે આપશે.

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં ભાજપનાં વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, વિનય કટિયાર, સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી સહિતનાં દિગ્ગજો મુખ્ય આરોપીમાં સામેલ છે. જો કે આજે ચુકાદા વખતે વિશેષ અદાલતમાં કેટલા આરોપીઓ હાજરી આપશે તે બાબતે હજી અનેક સંશય છે.’ આવતીકાલે ન્યાયધિશ એસ.કે.યાદવ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવનાર છે. તેમણે 16મીએ તમામ આરોપીઓને 30મી સપ્ટેમ્બરે ચુકાદા વખતે હાજર રહેવાનો નિર્દેશ આપેલો. આ કેસની આખરી દલીલો 11 સપ્ટેમ્બરનાં પૂર્ણ થઈ હતી અને સીબીઆઈએ આ કેસમાં કુલ 3પ1 સાક્ષીઓ અને 600 જેટલા દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં પેશ કર્યા હતાં.

આજે ચુકાદા પહેલા કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ચુકાદાની કાયદો અને વ્યવસ્થા ઉપર અસર થઈ શકે છે અને બન્ને પક્ષનાં અસામાજિક તત્વો આનું કોમવાદીકરણ કરીને શાંતિ ડહોળી શકે છે.

એલર્ટ અનુસાર રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનાં કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાથી અનેક મુસ્લિમ સંગઠનો નાખુશ છે અને તેમને આશા છે કે, બાબરી તોડી પાડવાનાં કેસમાં આરોપીઓ દોષિત પુરવાર થાય ત્યારે પણ ન્યાય મળી શકે છે. જો કે ચુકાદો તેમની ધારણા મુજબનો ન આવે તો આ લોકો વિરોધમાં ઉતરી શકે છે.

આ ઉપરાંત એલર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, અમુક ચરમપંથી જૂથો ચુકાદાને સીએએ, એનઆરસી અને એનપીઆર વિરોધી જુવાળને ફરીથી પેટાવવાની તક તરીકે પણ જોઈ રહ્યા છે. બીજીબાજુ હિન્દુ સમૂહોને આરોપીઓની દોષમુક્તિની આશા છે. આ સંજોગોમાં અમુક રાજ્યોમાં કોમી તનાવની આશંકા છે અને રાજ્યોને આવા વિસ્તારોમાં જરૂરી બંદોબસ્ત કરવાં માટે કહેવામાં આવ્યું છે.

September 30, 2020
voting.jpg
1min6940

કેન્દ્રિય ચૂંટણી પંચે મંગળવારે ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો ઉપર પેટા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. અબડાસા, ધારી, લિંબડી, કરજણ, ઓલપાડ, ગઢડા, ડાંગ,  મોરબી વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચના મતે 3 નવેમ્બરે મતદાન યોજાશે અને 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

Don't delay Gujarat bypolls: BJP, Congress to ECI | Ahmedabad News - Times  of India

ગુજરાતની આઠ અને મધ્ય પ્રદેશની 16 બેઠક મળીને દેશના વિવિધ રાજ્યોમાં 56 વિધાનસભા બેઠક અને એક લોકસભા બેઠક માટે પણ ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કરી દીધો છે. 54 વિધાનસભા બેઠક પર 3 નવેમ્બરના મતદાન હાથ ધરાશે. જ્યારે બિહારમાં એક લોકસભા બેઠક અને મણિપુરમાં 2 વિધાનસભા બેઠક ઉપર 7 નવેમ્બરના પેટાચૂંટણી યોજાશે. તમામ પેટા ચૂંટણીના પરિણામ 10 નવેમ્બરના જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચની સમિતિ આ સાથે એક અલગ નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે કેરળ, તમિલનાડુ, આસામ અને પશ્ચિમ બંગાળ સહિત સાત વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી રાજ્યોની વિનંતીને પગલે હાલના તબક્કે નહીં યોજવામાં આવે.

September 30, 2020
corona-gujarat.jpg
1min4790

કોરોનાગ્રસ્ત રાજ્યના સૌથી સંક્રમિત મહાનગરોમાં સુરત, અમદાવાદ અને રાજકોટમાં પરિસ્થિતિ હજુ નિયંત્રણમાં આવતી નથી. રાજ્યમાં કુલ કેસ વધીને ૧,૩૬,૦૦૪ સુધી પહોંચ્યા છે જ્યારે નવા ૧૩૮૩ મળી કુલ ૧,૧૫,૮૫૯ ડિસ્ચાર્જ થયા છે એટલે રાજ્યનો રિવકરી રેટ ૮૫.૧૯ ટકા સુધી પહોંચી ગયો છે. અલબત્ત, મૃત્યુની સંખ્યા ૩૪૪૨ સુધી પહોંચી છે. હાલ એક્ટિવ કેસ વધીને ૧૬૭૦૩ થઇ છે એમાં ૮૯ વેન્ટીલેટર ઉપર છે અને ૧૬૬૧૪ સ્ટેબલ છે.

સુરતમાં કુલ ૩૧૧ નવા કેસ, અમદાવાદમાં ૧૯૫, રાજકોટમાં ૧૪૮, વડોદરા ૧૨૯ અને જામનગરમાંથી નવા ૮૧ મળી કુલ ૧૩૮૧ કેસ નોંધાયા છે. જોકે, દૈનિક કેસમાં છ દિવસ પછી ઘટાડો નોંધાયો છે. બીજી તરફ કોરોના સંક્રમણથી ઝઝૂમી રહેલા દર્દીઓ પૈકી વધુ ૧૧ના મૃત્યુ થયા છે એમાં સૌથી વધુ સુરતમાં ૪, અમદાવાદમાં ૩, વડોદરામાં ૨ અને રાજકોટ તથા ગાંધીનગરમાં ૧-૧ મૃત્યુનો સમાવેશ થાય છે.

સુરત મહાનગરમાંથી નવા ૧૭૬ કેસ નોંધાયા છે, પરંતુ સુરતના જુદા જુદા તાલુકાઓમાંથી વિક્રમી ૧૩૨ ચેપગ્રસ્તો મળી આવ્યા છે. આને લીધે જિલ્લાનો આંક ૩૧૧ સુધી પહોંચ્યો છે. જોકે, હવે કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના મૃત્યુ આંકમાં નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હોય તેમ ગ્રામ્યમાંથી ત્રણ અને શહેરના એક મળી કુલ ચાર મૃત્યુ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં સતત વધતાં જતાં કેસને પગલે પશ્ચિમ વિસ્તારમાં રાત્રે આડેધડ ખુલ્લાં રહેતાં ખાણી પીણી સહિતના બજારોને હવે ૧૦ વાગ્યા પછી બંધ કરાવી દેવાના સ્થાનિક તંત્રના પગલાંની અસર થતાં થોડો સમય લાગશે. એમ છતાંય શહેરમાંથી નવા ૧૭૬ કેસ ઉમેરાયા છે જ્યારે ત્રણ દર્દીએ કોરોના સામે હાર સ્વીકારી છે. આ સિવાય ગ્રામ્યમાંથી નવા ૧૯ કેસ નોંધાયા છે.

રાજકોટ શહેરમાંથી નવા ૧૦૪ કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્યમાંથી વધુ ૪૪ કેસ આવ્યા છે. એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. વડોદરામાં કેસ ઘટીને નવા ૯૫ નોંધાયા છે જ્યારે ગ્રામ્યના નવા ૩૯ કેસનો સમાવેશ થાય છે. એક એક દર્દીના મૃત્યુ પણ થયા છે. જામનગર શહેરમાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે. જામનગરમાંથી નવા ૬૯ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્યના ૨૨ કેસ છે. ગાંધીનગર શહેરના ૨૧ અને ગ્રામ્યના ૧૯ મળી ચાળીસ કેસ નવા નોંધાયા છે. શહેરના એક દર્દીનું મૃત્યુ થયું છે.

ભાવનગર જિલ્લામાંથી કુલ ચાળીસ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૮ કેસ છે. જૂનાગઢમાં સ્થિતિ નિયંત્રણમાં આવી જતાં હવે કુલ ૩૨ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૭નો સમાવેશ થાય છે.

ઉત્તર ગુજરાતમાં છેલ્લા દસ દિવસથી વધેલા કેસમાં હવે આંશિક ઘટાડો થઇ રહ્યો હોય તેમ બનાસકાંઠામાંથી નવા ૩૯, મહેસાણા અને પાટણમાંથી ૩૪-૩૪ કેસ, સાબરકાંઠામાંથી ૧૧ અને અરવલ્લીના ૬ કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ ભરૂચમાંથી નવા ૨૯, સુરેન્દ્રનગરના ૨૭, અમરેલી અને કચ્છમાંથી ૨૪-૨૪ કેસ નવા નોંધાયા છે. પંચમહાલમાંથી વધુ ૨૩, તાપીમાંથી ૨૧, મહીસાગરમાંથી ૧૯, મોરબી ૧૭, ગીર સોમનાથના ૧૫ કેસ નવા નોંધાયા છે. આણંદમાં ૧૨, નર્મદામાંથી ૧૧, દેવભૂમિ દ્વારકા, ખેડા અને નવસારીમાંથી ૮-૮, છોટાઉદેપુર અને બોટાદમાંથી ૬-૬, પોરબંદર, દાહોદ અને વલસાડમાંથી ૪-૪ કેસ અને ડાંગમાંથી એક કેસ નવો નોંધાયો છે.