CIA ALERT

Slider Archives - Page 167 of 491 - CIA Live

March 12, 2021
indiavsenglandt20.jpg
1min480

ટીમ ઈન્ડિયા સામે હવે ટી20 ચેલેન્જ છે. ઈંગ્લેન્ડ સામે પાંચ ટી20 ઈન્ટરનેશનલ મેચની શ્રેણીનો પહેલો મુકાબલો શુક્રવારે રમાશે. ભારતીય ટીમની નજર શ્રેણી જીતવા ઉપરાંત ભારતમાં જ આયોજીત ટી20 વર્લ્ડકપ માટે પરફેક્ટ સંયોજન શોધવા ઉપર રહેશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.

કેપ્ટન વિરાટ કોહલીનું મુખ્ય લક્ષ્ય શ્રેણી મારફતે ઓક્ટોબરમાં થનારા વિશ્વકપ માટે ખેલાડીઓને પસંદ કરવા ઉપર રહેશે. ભારતીય કેપ્ટન આ માટે ઈયોન મોર્ગનની આગેવાનીની દુનિયાની નંબર 1 ટી20 ટીમથી વધારે સારા પ્રતિદ્વંદ્વીની આશા કરી શકે નહી.

શ્રેણી દરમિયાન સપાટ પીચ ઉપર ખૂબ રન બનવાની સંભાવના છે. તેવામાં ભારતીય બોલરો માટે સ્થિતિ સરળ નહી રહે. ઈંગ્લેન્ડના આક્રમક વિકેટકીપર જોશ બટલરે કહ્યું હતું કે, ઈંગ્લેન્ડ માટે આ શાનદાર તક છે કે અલગ પરિસ્થિતિમાં રમવાનો મોકો મળી રહ્યો છે અને જ્યાં વિશ્વકપ પણ રમાવાનો છે.

ભારત પાસે દરેક સ્થળ માટે અલગ અલગ વિકલ્પ છે અને તેવામાં આ કેપ્ટન માટે સારો માહોલ છે. જો કે ઘણી વખત મુશ્કેલ સ્થિતિ પણ બની શકે છે. જેમ કે 2019માં ટૂર્નામેન્ટમાં ભારત પાસે નિયમિત રૂપે ચોથા ક્રમાંકનો બેટ્સમેન નહોતો.

અનુભવને ધ્યાને લઈને કોહલી અને મુખ્ય કોચ રવિ શાત્રી ઈચ્છશે કે તેઓ નિર્ણય કરે કે વિશ્વકપમાં રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કોણ કરશે. તેમની પાસે કેએલ રાહુલ અને શિખર ધવનના રૂપમાં બે વિકલ્પ છે.

સામાન્ય રીતે સીમિત ઓવરના અંતિમ ઈલેવનમાં રાહુલની પસંદગી લગભગ નક્કી છે. પરંતુ વૈશ્વિક પ્રતિયોગિતામાં શિખર ધવને હંમેશા શાનદાર પ્રદર્શન કર્યું છે અને ટીમના સૌથી સીનિયર ખેલાડીઓમાંથી એક છે. કોહલી જો ધવનને તક આપવાનો નિર્ણય કરશે તો રાહુલને ચોથા ક્રમાંકે ઉતરવું પડશે.

આ મુશ્કેલ નિર્ણય છે જે કોહલીએ લેવાનો છે. કારણ કે બન્ને રમશે તો શ્રેયસ અય્યર અથવા આકરી મહેનત બાદ ટીમમાં જગ્યા મેળવનારા સૂર્યકુમાર યાદવને બહાર બેસવું પડશે. શ્રેયસ અને સૂર્યકુમાર ચોથા કે પાંચમા ક્રમાંકે આક્રમક બેટિંગ કરે છે.’ ટીમ પ્રબંધન તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે.

મોટેરા પીચ નિશ્ચિત રીતે સપાટ રહેશે. બન્ને ટીમમાં ઘણા આક્રમક બેટ્સમેન છે અને તેવામાં દર્શકોને ઢગલાબંધ બાઉન્ડ્રી જોવા મળી શકે છે.

ભારત પાસે ઉપકેપ્ટન રોહિત ઉપરાંત ઋષભ પંત અને હાર્દિક પંડયા જેવા તોફાની બેટ્સમેન છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમમાં ઈયોન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ડેવિડ મલાન અને જેસન રોય જેવા આક્રમક બેટ્સમેન છે.

ટી નટરાજન ઉપલબ્ધ ન હોવાથી બોલિંગ આક્રમણની આગેવાની વાપસી કરનારો ભૂવનેશ્વર કુમાર કરશે. જ્યારે સીનિયર સ્પિનર યુજવેન્દ્ર ચહલ તેનો સાથ આપશે. ચહલને વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ બન્નેનો સાથ મળી શકે છે. ત્યારબાદ શાર્દુલ ઠાકુર, દીપક ચહર અને નવદીપ સૈનિમાંથી કોઈ એકને તક મળશે.

March 12, 2021
bharat_e_market.jpg
1min583

ભારતમાં ઓનલાઈન શોપિંગ માટે હવે એમેઝોન, ફિલ્પકાર્ટ સિવાય વધુ એક મોટુ પોર્ટલ ઉપલબ્ધ થયુ છે. ટોચની ઈ કોમર્સ કંપનીઓને ટક્કર આપવા દેશી ભારત ઈ માર્કેટ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. એવો દાવો કરાયો છે કે આ પ્લેટફોર્મ પર સૌથી સસ્તા દરે સામાન અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આશરે 8 કરોડ વેપારીઓના બનેલા સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી) એ વેન્ડર મોબાઈલ એપ્લીકેશન ભારત ઈ માર્કેટ ગુરુવારે દિલ્હીમાં લોન્ચ કરી હતી. જે સીધી રીતે એમેઝોન અને ફિલપકાર્ટને ટક્કર આપશે. તે સંપૂર્ણ રીતે સ્વદેશી ઈ કોમર્સ પ્લેટફોર્મ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ વિઝન પર આધારીત આ પ્લેટફોર્મ અંગે સીએઆઈટીએ દાવો કર્યો છે કે ડિસેમ્બર ર0ર1 સુધીમાં તેમાં 7 લાખ ટ્રેડર્સ જોડવાનો અંદાજ છે અને ડિસેમ્બર ર0ર3 સુધીમાં તેમાં 1 કરોડ ટ્રેડર્સ જોડાઈ જશે. આવુ થતાં જ તે દુનિયાનું સૌથી મોટુ ઈ કોમર્સ પ્લેટફોર્મ બની જશે. આ દેશી મોબાઈલ એપની હરિફાઈ વિશ્વની ટોચની ઈ કોમર્સ કંપનીઓ એમેઝોન, ફિલ્પકાર્ટ અને અલીબાબા સાથે થશે. આ પોર્ટલ પર વેપારીથી વેપારી અને વેપારીથી ગ્રાહક વચ્ચે માલનું ખરીદ-વેચાણ કરી શકાશે.’

ભારત ઈ માર્કેટ પર પોતાની ઈ દુકાન ખોલવા વ્યક્તિએ મોબાઈલ એપથી સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખાસ બાબત એ છે કે તેમાં નોંધાયેલી કોઈ માહિતી વિદેશ નહીં જાય કારણ કે આ સંપૂર્ણ સ્વદેશી એપ છે. કોઈ પણ વિદેશી ફંડને આ પ્લેટફોર્મ પર સ્વીકારવામાં નહીં આવે. કોઈ પણ વેપારી મેડ ઈન ચાઈના માલ અહીં નહીં વેંચે. દેશના વિવિધ ભાગોમાં ફેલાયેલા વેપારીઓ, કારીગરો, શિલ્પકારો, ઉત્પાદકોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય બજાર ઉપલબ્ધ થશે. આ પોર્ટલ પર કારોબારમાં કોઈ કમિશન વસૂલવામાં નહીં આવે.

March 12, 2021
one-nation-one-rashancard.jpg
1min560

તાજેતરમાં ઉત્તરાખંડ સહિત ૧૭ રાજ્યમાં ‘વન નેશન-વન રાશન કાર્ડ’ યોજનાનો અમલ કરાયો હોવાની માહિતી કેન્દ્રના નાણાં મંત્રાલયે જાહેર કરી હતી.

‘વન નેશન-વન રાશન કાર્ડ’ યોજનાનો અમલ કરનાર રાજ્યને ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ્ (જીએસડીપી)નાં ૦.૨૫ ટકા વધારાનું ઋણ લેવાની પરવાનગી આપવામાં આવે છે.

આ રીતે ખર્ચ વિભાગ તરફથી આ રાજ્યોને રૂ. ૩૭,૬૦૦ કરોડનું વધારાનું ઋણ લેવાની પરવાનગી આપવામાં આવી હોવાની માહિતી નાણાં મંત્રાલયે આપી હતી.

‘વન નેશન-વન રાશન કાર્ડ’ યોજનાનો અમલ કરાયા બાદ લાભકર્તાને નેશનલ ફૂડ સિક્યોરિટી ઍક્ટ (એનએફએસએ) અને અન્ય કલ્યાણ યોજનાના લાભ સસ્તા દરની દુકાન (એફપીએસ)માં મળે છે.

આ યોજનાનો લાભ મુખ્યત્વે સ્થળાંતર કરતા મજૂરો, હંગામી કર્મચારીઓ, શ્રમિકો, કાગળ વિણવાનું કામ કરનારા અને રસ્તા પર રહેતા લોકોને મળે છે. આ યોજના હેઠળ તેઓ જે રાજ્યમાં રહેવા જાય, ત્યાં એમને સસ્તા દરે રાશનની દુકાનમાંથી રાશન મળી શકશે. આવા લોકો કોઇપણ ઇલેક્ટ્રોનિક પોઇન્ટ ઑફ સેલ (ઇ-પીઓએસ) ધરાવતી રાશનની દુકાનમાંથી રાશન મેળવી શકે છે.

કોવિડ-૧૯નાં રોગચાળા દરમિયાન આવી રહેલા અનેક પડકારોનો સામનો કરવાની બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આવા રાજ્યોની વધારાનું ઋણ મેળવવાની મર્યાદા વધારીને જીએસડીપીના બે ટકા કરી છે.

March 10, 2021
mohandelkar.jpg
1min487

કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના ભાજપના સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસમાં મહારાષ્ટ્ર પોલીસને મળેલી સુસાઇડ નોટના આધારે આજરોજ તા.10મી માર્ચે પોલીસે એક એફ.આઇ.આર. નોંધી છે. જેમાં સંઘ પ્રદેશના શાસક પ્રફુલ્લ પટેલ સમેત કુલ 7 લોકોના નામો સામેલ કરાયા છે.

સાંસદ મોહન ડેલકરે આપઘાત પહેલા લખેલી 15 પાનાની એક સુસાઈડ નોટ પોલીસને મળી હતી, જેમાં કથિત રીતે તેમણે પોતાના મોત માટે ઉચ્ચ અધિકારીઓ અને પ્રદેશના એડમિનિસ્ટ્રેટર સહિતનાને જવાબદાર ગણાવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર પોલીસની એફઆઈઆરમાં ભાજપના એક સીનિયર નેતાનું પણ નામ છે. મહારાષ્ટ્ર સરકાર આ કેસની તપાસ એસઆઈટીને સોંપી છે.

મહારાષ્ટ્ર પોલીસે 17 દિવસ બાદ સંઘ પ્રદેશના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ ખોડા પટેલ, કલેક્ટર, નિવાસી નાયબ કલેક્ટર, પૂર્વ એસપી, ડીવાએસપી, લો સેક્રેટરી, પોલીસ ઈન્સ્પેક્ટર અને ભાજપના એક સીનિયર નેતા મળી કુલ 7 શખસો સામે દુસ્પ્રેરણા, ધાક-ધમકી આપવી, એટ્રોસિટી સહિત જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

March 10, 2021
amc.jpg
1min672
Image

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, ભાસ્કર ભટ્ટ મનપા ભાજપના નેતા બન્યા

Image
AMCના નવા મેયર કિરીટ પરમાર

ભાજપે અમદાવાદ મહાનગરપાલિકા AMCમાં હોદ્દેદારોની નિમણૂક કરી છે. કિરીટ પરમારને અમદાવાદના મેયર પદે નિયુક્ત કર્યા છે તેમજ ડેપ્યુટી મેયર પદે ગીતા પટેલની વરણી કરવામાં આવી છે. આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેશ બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ મનપામાં ભાજપના નેતા તરીકે ભાસ્કર ભટ્ટને કમાન સોંપવામાં આવી છે. 

અમદાવાદમાં આજે પાલડી ટાગોર હોલ ખાતે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂંક પહેલા પાલડી કચ્છી સમાજની વાડી ખાતે શહેર ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો અને ચૂંટાયેલા તમામ 160 કાઉન્સિલરોની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ભાજપના અમદાવાદ શહેર પ્રભારી આઈ. કે જાડેજા, ભાજપના સિનિયર નેતા સુરેન્દ્ર પટેલ, ગોરધન ઝડફિયા, શહેર પ્રમુખ જગદીશ પંચાલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે.

Vadodara Municipal

વડોદરા મનપામાં નવા મેયર તરીકે કેયુર રોકડીયાની વરણી થઈ છે, જ્યારે નંદાબેન જોશી ડેપ્યુટી મેયર બન્યાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે ડો. હિતેન્દ્ર પટેલ અને અલ્પેશભાઈ લીંબચીયા મનપા ભાજપ નેતા બન્યાં છે. દંડક તરીકે ચિરાગ બારોટની પસંદગી કરવામાં આવી છે

Bhavnagar Municipal

ભાવનગર મહાનગપાલિકાના મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાની વરણી કરાઈ છે, ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહનાં નામની જાહેરાત, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયાની વરણી કરવામાં આવી છે.

March 10, 2021
vaccine-1.jpg
1min425

ગુજરાતમાં ૨૫૫૦ જેટલી સરકારી સંસ્થાઓમાં વિના મૂલ્યે વેક્સીનેશનની સંપૂર્ણ સગવડયુક્ત સુવિધા ઉપલબ્ધ બનાવી છે એવું રાજયના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતુ. ગુજરાત વિધાનસભામાં બોલતા તેમણે વધુમાં કહ્યું હતુ કે, રસીકરણના કાર્યક્રમને ૪ નિષ્ણાત તબીબોની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા આખરી ઓપ અપાયા બાદ કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રસીકરણની કામગીરીનો ગુજરાતમાં આરંભ થઈ ચૂક્યો છે. કોવિશિલ્ડ અને કોવેક્સિનની રસી પર્યાપ્ત માત્રામાં ગુજરાતને ઉપલબ્ધ થઈ છે.

રસીકરણના કાર્યક્રમ માટે રાજ્યમાં ૧૬૦૦૦ વેક્સિનેટરને તાલીમબદ્ધ કરાયા છે. પ્રત્યેક સેન્ટર ઉપરથી એક દિવસમાં ૧૦૦ લોકોને રસી અપાતાં પ્રતિદિન ૧૬ લાખ લોકોને રસી આપી શકાય તેવું આયોજન કરાયું છે. વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાના ૬ વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ ૪૧ સ્ટોર તથા ૨૧૮૯ કોલ્ડ ચેઈન પોઈન્ટ પ્રથમ તબક્કે ઉપલબ્ધ છે.

March 9, 2021
Ranbir-Kapoor-Sanjay-Bhansali.jpg
1min460

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેને પગલે બોલીવૂડ અભિનેતા રણબીર કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રણબીરની માતા નીતૂ સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. રણબીરને હાલમાં હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. દરમિયાન ગંગુબાઈ કાઠીયાવાડીના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી પણ કોરોના સંક્રમિત થયા હોવાનું જણાયું છે. રણબીર અને સંજય લીલા ભણસાલીને કોરોના થતા બોલીવૂડમાં ફરી કોરોના સંક્રમણે માથું ઉંચક્યું છે.

રણબીર કપૂરના કાકા રણધીર કપૂરે અગાઉ જણાવ્યું હતું કે, રણબીરની તબીયત સારી નથી અને હોસ્પિલ લઈ જવાયો હતો. જો કે બાદમાં રણબીરને કોરોના હોવાનો ગણગણાટ શરૂ થતા માતા નીતૂ સિંહે સ્પષ્ટ તકરી હતી કે રણબીર કપૂરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે હાલમાં સ્વસ્થ છે અને તેને હોમ આઈસોલેટ કરવામાં આવ્યો છે.

સંજય લીલા ભણસાલી તેમની ઓફિસમાં જ ક્વોરન્ટાઈન થયા છે તેમજ તેમની માતા લીલા ભણસાલીએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હોવાનું માલૂમ પડ્યું છે.

સંજય ભણસાલી હાલમાં ગંગુબાઈ કાઠીયાવાડીનું શૂટિંગ કરી રહ્યા છે અને તેમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. પ્રાપ્ત વિગતો મુજબ આલિયા ભટ્ટે પણ કોવિડ 19 ટેસ્ટ કરાવ્યો છે અને હાલમાં તે તકેદારીના ભાગરૂપે આઈસોલેટ થઈ ગઈ છે.

March 9, 2021
wtc_final.jpg
1min484

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)નો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારો ફાઇનલ મેચ લોર્ડસના મેદાન પર નહીં, પણ સાઉથમ્પટનના એજિસ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. આ જાણકારી આજે બીસીસીઆઇના ઉપપ્રમુખ રાજીવ શુકલાએ આપી છે. લંડનમાં કોવિડ-19ના વધતા કેસને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આથી જૂનમાં 18થી 22 દરમિયાન રમાનાર ડબ્લ્યૂટીએનો ફાઇનલ મેચ લોર્ડસના બદલે સાઉથમ્પટનના સ્ટેડિયમમાં રમાશે.

ભારતે હાલમાં જ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં 3-1ની જીતથી ફાઇનલમાં પ્રવેશ કર્યોં છે. અમદાવાદના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા ત્રીજા અને ચોથા ટેસ્ટ મેચમાં અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનની ફિરકીથી ભારતનો ઇંગ્લેન્ડ વિરૂધ્ધ બે અને ત્રણ દિવસમાં જ વિજય થયો હતો.

March 9, 2021
jandhan.jpg
1min544

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જનધન યોજનામાં પંચાવન ટકા ખાતાં મહિલાઓનાં છે. મોદી સરકાર મહિલાઓને એમનાં સપનાં પૂરા કરવા અને પગભર થવા માટે પર્યાપ્ત તક આપી રહી છે.

સીતારામને આ પ્રસંગે મહિલાઓના ઉત્થાન માટેની કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી આપતા જણાવ્યું હતું કે જનધન યોજનાનાં ૪૧.૯૩ કરોડ ખાતામાંથી ૨૪મી ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં ૨૩.૨૧ કરોડ ખાતાં મહિલાઓનાં હતા. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆતથી ૨૬મી ફેબ્રુઆરી સુધીમાં ૬૮ ટકા અથવા ૧૯.૦૪ કરોડ ખાતા માટે મહિલાઓને ઉદ્યોગધંધા માટે કુલ રૂ. ૬.૩૬ લાખ કરોડની રકમ માટે મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના હેઠળ નાના કે લઘુ ઉદ્યોગો માટે રૂ. ૧૦ લાખ સુધીનું ઋણ આપવામાં આવે છે.

સ્ટૅન્ડ અપ ઇન્ડિયા યોજના હેઠળ ૮૧ ટકાથી વધુ અથવા ૯૧,૧૦૯ ખાતાધારક મહિલાઓને રૂ. ૨૦,૭૪૯ કરોડનું ઋણ આપવામાં આવ્યું હતું.

March 8, 2021
IPL_2021.jpg
1min441

આઈપીએલ ૨૦૨૧, ૯ એપ્રિલથી ૩૦ મે દરમિયાન રમાશે અને કોઈપણ ટીમને તેના હૉમ ગ્રાઉન્ડ પર રમવા નહિ મળે એવી જાહેરાત આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે રવિવાર તા.7મી માર્ચ 2021ના રોજ કરી હતી.

મુંબઇ, અમદાવાદ, બેંગલૂરુ, ચેન્નઈ, દિલ્હી અને કોલકાતા ખાતે મેચો રમાશે

કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં યજમાન શહેરોની યાદીમાં મુંબઈનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પ્રારંભિક તબક્કામાં ટુર્નામેન્ટની મૅચ બંધબારણે એટલે કે પ્રેક્ષકો વિના રમાશે.પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવો કે નહીં એ અંગેનો નિર્ણય ટુર્નામેન્ટના પછીના તબક્કામાં લેવામાં આવશે.

આઈપીએલના અન્ય યજમાન શહેરોમાં મુંબઇ, અમદાવાદ, બેંગલૂરુ, ચેન્નઈ, દિલ્હી અને કોલકાતાનો સમાવેશ થાય છે.

૩૦ મેએ અમદાવાદસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઈનલ યોજાશે. પ્લૅ ઑફ પણ ન.મો. સ્ટેડિયમ ખાતે જ યોજાશે. રવિવારે બીસીસીઆઈએ ૬, મે સુધીનું ચાર અઠવાડિયાનું સમયપત્રક બહાર પાડ્યું હતું. આ સમયગાળા દરમિયાન આઈપીએલની ૩૩ મૅચ રમાશે. જોકે, આ જ સમયગાળા દરમિયાન બંગાળ વિધાનસભાની ચૂંટણી આઠ તબક્કામાં યોજાવાની હોવાને કારણે કોલકાતાને એકપણ મૅચ ફાળવવામાં નથી આવી.

લીગ તબક્કામાં દરેક ટીમ ચાર સ્થળે રમશે.

૫૬ લીગ મૅચમાંથી ચેન્નઈ, મુંબઈ, કોલકાતા અને બેંગલૂરુ પ્રત્યેકમાં ૧૦ મૅચ તો દિલ્હી અને અમદાવાદ પ્રત્યેકમાં આઠ મૅચ રમાશે.

આ આઈપીએલની વિશેષ વાત એ છે કે તમામ મૅચ તટસ્થ સ્થળે રમાશે. કોઈપણ ટીમ હૉમ ગ્રાઉન્ડ પર નહિ રમે. લીગ તબક્કામાં તમામ ટીમ છ સ્થળમાંથી ચાર સ્થળે રમશે, એમ આઈપીએલ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આઈપીએલની બપોરની મૅચ ૩:૩૦ વાગે અને સાંજની મૅચ ૭:૩૦ વાગે શરૂ થશે.

કોરોનાની મહામારીને કારણે ગયા વર્ષની આઈપીએલ યુએઈમાં રમાઈ હતી, પરંતુ ત્યાર બાદ ભારતમાં કોરોનાની સ્થિતિમાં અસાધારણ સુધારો થયેલો જોવા મળ્યો હતો.