ભારતના વિશ્વ વિખ્યાત ક્રિકેટર સચિન તેંદુલકરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની જાણકારી તેમણે ખુદ ટ્વીટ કરીને આપી છે.
સચિન તેંદુલકરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે માઇલ્ડ સિન્ટમ્સ સાથે તેઓ કોરોના પોઝીટીવ છે અને સાવચેતીપૂર્વક તકેદારી રાખી રહ્યા છે.
ભારતના વિશ્વ વિખ્યાત ક્રિકેટર સચિન તેંદુલકરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની જાણકારી તેમણે ખુદ ટ્વીટ કરીને આપી છે.
સચિન તેંદુલકરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે માઇલ્ડ સિન્ટમ્સ સાથે તેઓ કોરોના પોઝીટીવ છે અને સાવચેતીપૂર્વક તકેદારી રાખી રહ્યા છે.
ગુજરાતમાં કોરોના વાયરસના કેસોનો આંકડો હવે ચોંકાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 2190 કેસો આવ્યા છે જ્યારે 1422 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે કોરોનાના 88,099 ટેસ્ટ કરવામાં આવ્યા જે પૈકી 2190 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં આજે કુલ 2,29,051 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાને હરાવીને સાજા થવાનો દર 95.07 ટકા નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 6 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 4479 પર પહોંચ્યો છે. જો ગુજરાતના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સુરતમાં 609, અમદાવાદમાં 604, વડોદરામાં 165 અને રાજકોટમાં 139 કેસો નોંધાયા છે.
રાજકોટ અને જામનગરમાં કોરોનાનું કાળચક્ર ફરી રહ્યું હોય તેમ મૃત્યુઆંકનો ગ્રાફ સતત વધી રહ્યો છે. આજે રાજકોટમાં 8 અને જામનગરમાં 1 મળીને કુલ 9 દરદીનો કોરોનાએ ભોગ લીધો હતો. પરંતુ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે માત્ર રાજકોટમાં એકજ કોવિડ ડેથ જાહેર કર્યુ હતુ. આજે સૌરાષ્ટ્રમાં નવા 329 કેસ નોંધાયા હતા અને 8 જિલ્લામાંથી 179 દરદી કોરોનાના ચેપમાંથી મુક્ત થયા હતા. જ્યારે બોટાદમાં એકેય કેસ નોંધાયો નહોતો.
રાજકોટ શહેરમાં 139 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 18 હજારને પાર કરીને 18255 થયો હતો. તેમજ ગ્રામ્યમાં 25 કેસ સાથે જિલ્લામાં કુલ કેસનો આંક 25663 થયો હતો. જેમાંથી આજે 8 દરદીએ કોરોનાની સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે 109 દરદી કોરોનાને મહાત આપવામાં સફળ થતા અત્યારે શહેરના 673 અને ગ્રામ્યના 147 મળીને કુલ 820 એક્ટિવ કેસ રહ્યા હતા.
જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં સારવાર દરમિયાન વધુ એક દરદીનું મૃત્યુ નિપજ્યું હતુ. જ્યારે શહેરના 23 તથા ગ્રામ્યના 24 મળીને જિલ્લામાં નવા 47 કેસ નોંધાયા હતા અને 24 દરદીએ કોરોનાને મહાત આપી હતી.
ભાવનગર શહેરના 32 તથા ગ્રામ્યના 8 મળીને જિલ્લામાં નવા 40 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 6713 થયો હતો. જેમાંથી આજે 19 દરદી ડિસ્ચાર્જ થતા હવે 285 દરદી સારવાર હેઠળ રહ્યા હતા. અમરેલી જિલ્લામાં નવા 20 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 4045 થયો હતો. જેમાંથી વધુ 5 દરદી ડિસ્ચાર્જ થતા અત્યારે 110 એક્ટિવ કેસ રહ્યા હતા.
મોરબી શહેર-તાલુકામાં 13 તેમજ વાંકાનેરમાં 3, હળવદ, માળિયા અને ટંકારામાં 1-1 મળીને જિલ્લામાં નવા 19 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 3525 થયો હતો. જેમાંથી વધુ 6 દરદી સાજા થતા હવે 113 એક્ટિવ કેસ રહ્યા હતા. તેવીજ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં 17 કેસની સામે 2 દરદી ડિસ્ચાર્જ થયા હતા. જૂનાગઢ શહેરમાં 8 તેમજ ભેંસાણમાં 1 મળીને જિલ્લામાં નવા 9 કેસ નોંધાયા હતા અને 6 દરદી ડિસ્ચાર્જ થયા હતા. તો ગીર સોમનાથ જિલ્લામાં 8 કેસની સામે 8 દરદી ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે દ્વારકામાં 4 અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા હતા અને એકેય દરદી ડિસ્ચાર્જ થયા નહોતો. બોટાદ જિલ્લામાં આજે 2 કેસ અને 2 ડિસ્ચાર્જ સ્થાનિક તંત્રએ જાહેર કર્યા હતા, પરંતુ રાજ્ય સરકારે કેસ અને ડિસ્ચાર્જ 0-0 જાહેર કર્યા હતા.
અમદાવાદના એક રમકડાંના વેપારીઓનો જીએસટીનો મામલો પતાવવા માટે દોઢ લાખની લાંચ લેવાના આરોપમાં સીજીએસટી વિભાગના જોઈન્ટ કમિશનર નિતુ સિંહ અને સુપ્રિટેન્ડન્ટ પ્રકાશભાઈ યશવંતભાઈ રસાણિયાની એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદમાં રમકડાનો વ્યવસાય કરતા વેપારીને GST મામલે એક નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસ મળતા વેપારીએ CGST વિભાગના જોઈન્ટ કમિશનર અને સુપ્રિટેન્ડેન્ટ નિતુ સિંહ ત્રિપાઠીનો સંપર્ક કર્યો હતો. આ બેઠકમાં વેપારી પાસે 1.50 કરોડ રૂપિયાની પેનલ્ટી સામે કાર્યવાહી ન કરવા માટે પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી. બેઠક બાદ આખરે દોઢ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું. જેમાંથી એક લાખ રૂપિયા નિતુ સિંહને અને બીજા 50 હજાર સુપ્રિટેન્ડેન્ટ પ્રકાશભાઈ રસાણિયાને આપવા કહ્યું હતું.

વેપારીએ બેઠક બાદ એન્ટી કરપ્શન બ્યૂરો(ACB)ના અધિકારીઓનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણકારી આપી. વેપારીની ફરિયાદના આધારે ACB દ્વારા રેડ કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું. જે મુજબ વેપારી લાંચના પૈસા આપવા માટે ACBના અધિકારી સાથે આનંદનગર સ્થિત CGSTની ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં જઈને તેમણે જોયું તો નિતુ સિંહ ઓફિસમાં નહોતા. તેથી વેપારીએ તેમને ત્યાં ફોન કર્યો તે નિતુ સિંહે કહ્યું કે હાલમાં તે કામથી બહાર આવ્યા છે તેઓ દોઢ લાખ રૂપિયા સુપ્રિટેન્ડેન્ટ પ્રકાશભાઈને આપી દે. નિતુ સિંહના કહેવા પ્રમાણે વેપારીએ આ રકમ જ્યારે સુપ્રિટેન્ડેન્ટને આપી તે સમયે જ ACBની ટીમે તેમની ધરપકડ કરી હતી. ત્યાર બાદ પુરાવાના આધારે નિતુ સિંહની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાતા જૂથ દ્વારા ૨૦૧૬માં સાયરસ મિસ્ત્રીને અધ્યક્ષપદેથી હટાવવાના નિર્ણયને શુક્રવારે સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણ્યો હતો અને તેમને પાછા પદ પર બેસવાની છૂટ આપનારા કંપની લૉ ટ્રિબ્યુનલના આદેશને રદ કર્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ એસ. એ. બોબડેના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું કે સાયરસ મિસ્ત્રીને હટાવવાનો નિર્ણય યોગ્ય હતો અને કાયદાના સંબંધિત પ્રશ્ર્નો ટાટા જૂથની તરફેણમાં છે.
દરમિયાન તાતા ગ્રૂપના ચેરમેન ઇમેરિટ્સ રતન તાતા અને તાતા સન્સે સર્વોચ્ચ અદાલત દ્વારા સાયરસ મિસ્ત્રી સામેના કેસમાં પોતાની તરફેણમાં આપેલા ચુકાદાને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે અમારા જૂથના મૂલ્ય અને વહીવટના ધોરણને સમર્થન મળ્યું છે.
રતન તાતાએ સોશિયલ મીડિયા પરની પૉસ્ટમાં જણાવ્યું હતું કે આ કેસ હાર કે જીતનો નહોતો. મારી પ્રામાણિકતા અને જૂથની નૈતિકતા સામે સવાલ ઉઠાવનારાઓને સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી જવાબ મળી ગયો છે. આ ચુકાદો દેશના ન્યાયતંત્રમાંનો વિશ્ર્વાસ પ્રસ્થાપિત કરનારો છે.
તાતા ગ્રૂપની કંપનીઓની હૉલ્ડિંગ ફર્મ તાતા સન્સે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતનો આ ચુકાદો અમારા જૂથ દ્વારા અપનાવાયેલી નીતિને સમર્થન આપે છે. તાતા સન્સ સર્વોચ્ચ અદાલતનું આભારી છે. (એજન્સી)
સાયરસ મિસ્ત્રીને પદ પરથી હટાવવું કોર્પોરેટ ગવર્નન્સના સિદ્ધાંતોનું સંપૂર્ણપણે ઉલ્લંઘન છે તેવી રજૂઆત શાપૂરજી પાલનજી ગ્રુપ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. આર્ટિકલ્સ ઑફ એસોસિયેશનનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું એવું તેમણે કહ્યું હતું. કોર્ટમાં તાતા ગ્રુપે આક્ષેપોનો ઇનકાર કર્યો હતો અને મિસ્ત્રીને ચેરમેનપદેથી હટાવવાનો બોર્ડનો અધિકાર હતો એમ જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ૧૭મી ડિસેમ્બર, ૨૦૨૦ના દિવસે ચૂકાદો રિઝર્વ રાખ્યો હતો
૧૮ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ નેશનલ કંપની લૉ એપેલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)એ તાતા ગ્રુપના ચેરમેનપદે સાયરસ મિસ્ત્રીને બેસાડવાનો આદેશ આપ્યો હતો. એનસીએલએટીના આ આદેશને હવે રદ કરવામાં આવ્યો છે.
ડિસેમ્બર, ૨૦૧૨માં સાયરસ મિસ્ત્રીની તાતા સન્સના ચેરમેનપદે નિમણૂક કરવામાં આવી હતી. કંપનીના બોર્ડના ડિરેક્ટર્સે ૨૪,ઑક્ટોબર, ૨૦૧૬ના રોજ બહુમતીથી તેમને હટાવવાનો નિર્ણય લીધો હતો. ૨૦ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ સુપ્રીમ કોર્ટે એનસીએલએટીના ૧૮ ડિસેમ્બર, ૨૦૧૯ના આદેશ પર સ્ટે આપ્યો હતો.
પ. બંગાળ અને અસમમાં આજે વહેલી સવારથી વિધાનસભા ચૂંટણીનો પહેલો તબક્કો શરું થઈ ગયો છે. કેટલીક ઘટનાને બાદ કરતા રાજ્યમાં મોટાભાગના સ્થળે શાંતિ પૂર્વક મતદાન થઈ રહ્યું છે. બંને રાજ્યોમાં મતદાનની સંવેદનશીલતાને ધ્યાને લેતા ખૂબ જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બંને રાજ્યોમાં સવારથી શરું થયેલા મતદાનમાં મહિલાઓ ખૂબ જ ઉત્સાહ પૂર્વક બહાર નકળી છે. પ્રથમ બે કલાકમાં અસમમાં 8.84 અને બંગાળમાં 7.72 ટકા મતદાન નોંધાયું છે.

પશ્ર્ચિમ બંગાળમાં શનિવારે પહેલા તબક્કાની ચૂંટણી માટે મતદાન થવાનું છે અને ૩૦ બેઠક માટે ૭૩ લાખ મતદારો મતદાન કરી રહ્યા છે.
૭૦૬૧ સ્થળે ૧૦,૨૮૮ મતદાન કેન્દ્રની સુરક્ષા માટે ચૂંટણીપંચે કેન્દ્રીય દળની ૬૮૪ ટુકડી તહેનાત કરાઇ છે. આ સિવાય, મહત્ત્વના સ્થળોએ સ્થાનિક પોલીસ પણ તહેનાત કરવામાં આવી છે.
મોટાભાગના વિસ્તારો એક જમાનાના નક્સલવાદીઓના અડ્ડા ગણાતા જંગલમાં આવેલા છે.
પહેલા તબક્કાની ૩૦ બેઠક માટેની ચૂંટણી માટે ૧૯૧ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. મતદાન દરમિયાન કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું ચુસ્તાથી પાલન કરવામાં આવી રહ્યું છે.
પહેલા તબક્કામાં પુરલીયાની નવ બેઠક, બાનકુરાની ચાર બેઠક, ઝારગ્રામની ચાર બેઠક, પશ્ર્ચિમ મિદનાપુરની છ બેઠક, ભાજપના નેતા સુવેન્દુ અધિકારીની હૉમપીચ ગણાતી પૂર્વ મિદનાપુરની સાત બેઠકનો સમાવેશ થાય છે.
આ બેઠકો માટે ટીએમસી અને ભાજપ બંનેએ પોતાના ૨૯ ઉમેદવાર અને ડાબેરી-કૉંગ્રેસ-આઇએસએફ જોડાણે બધી જ બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા કર્યા છે.
ઝારગ્રામમાં બૂથદીઠ ૧૧ સંસદીય કર્મચારીની નિયુક્તિ કરવામાં આવશે, જે રાજ્ય માટે અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે.
ચૂંટણીપંચે જણાવ્યું હતું કે ઝારગ્રામના ડાબેરી કટ્ટરવાદીઓના ગણાતા વિસ્તારોમાં ૧૩૦૭ બૂથની સુરક્ષા માટે અમે ૧૨૭ કેન્દ્રીય ટુકડી તહેનાત કરવામાં આવી છે.
આ સિવાય, ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યુઆરટી) તરીકે વધુ ૧૪ ટુકડીનો ઉપયોગ કરવામાં આવશે, સ્ટ્રોન્ગ રૂમની સુરક્ષા માટે એક ટુકડી અને અન્ય બે ટુકડી રિઝર્વ ફોર્સ તરીકે અનામત રાખવામાં આવશે.
ઝારગ્રામમાં કુલ ૧૪૪ ટુકડી તહેનાત કરવામાં આવશે.
અન્ય જિલ્લાઓમાં સરેરાશ પ્રતિ બૂથ છ અર્ધલશ્કરી દળના જવાનને તહેનાત કરવામાં આવશે.
સૌથી વધુ ૧૮૫ ટુકડી પુરલિયામાં ૨૪૩૭ બૂથ માટે તહેનાત કરવામાં આવશે.
બાનકુરામાં ૮૩ ટુકડી ૧૩૨૮ બૂથ માટે તહેનાત કરવામાં આવશે. દરેક ટુકડીમાં ૧૦૦ જવાન રહેશે.
પહેલા તબક્કાના મતદાન માટે ૨૨૦૯૨ પોલીસના જવાનોને તહેનાત કરવામાં આવશે.
કોરોના કેસોમાં ભારતમાં સૌથી વધારે ખરાબ હાલત મહારાષ્ટ્રની છે. દેશમાં દરરોજ નોંધાઈ રહેલા કેસમાં મહારાષ્ટ્રના કેસની સંખ્યા સૌથી વધારે નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 35,952 નવા કેસ નોંધાયા છે. જ્યારે મુંબઈમાં પણ રેકોર્ડ કેસ નોંધાયા છે મુંબઈમાં 5,504 નવા કેસ સામે આવ્યા છે.
મહારાષ્ટ્રમાં દૈનિક કેસની સંખ્યા હવે 35,000 ઉપર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 111 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્રની પરિસ્થિતિ વધારેને વધારે ચિંતાજનક બની રહી છે. સરકાર દ્વારા લોકોને બિનજરૂરી ઘરના બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં લોકડાઉન પણ કરવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, નાંદેડ અને બીડમાં સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા 10 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

સૂર્યકુમાર યાદવને શુક્રવારે ઇંગ્લેન્ડ વિરૂધ્ધના બીજા વન ડે મેચમાં ભારતીય ઇલેવનમાં મોકો મળવાની પૂરી સંભાવના હશે. જ્યારે ટીમ ઇન્ડિયાની નજર આ મેચમાં જીત હાંસલ કરીને શ્રેણી 2-0ની અતૂટ સરસાઇ સાથે કબજે કરવા પર રહેશે. બીજી તરફ ઇંગ્લેન્ડ માટે શ્રેણીમાં જીવંત રહેવા માટે બીજો વન ડે મુકાબલો કરો યા મરો સમાન બની રહેશે. શ્રેયસ અય્યર ખભાને ઇજાને લીધે સિરીઝ બહાર થઇ ગયો છે. આથી ફોકસ સૂર્યકુમારના વન ડે ક્રિકેટમાં પદાર્પણ પર રહેશે. તેણે ટી-20માં શાનદાર ડેબ્યૂ કરીને તેનો દાવો સધ્ધર કર્યોં છે. મેચ શુક્રવારે બપોરે 1-30થી શરૂ થશે.
કોરોના મહામારી પહેલા શ્રેયસ અય્યર વન ડે ફોર્મેટનો મહત્ત્વનો ખેલાડી હતો, પણ હવે ભારતની બેંચ સ્ટ્રેંથ એટલી મજબૂત છે કે નવોદિત ખેલાડી પણ વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને ખતરનાક લાગી રહ્યા છે. આથી ટીમ મેનેજમેન્ટ માટે પસંદગીની દુવિધા છે. સ્ટાર રવીન્દ્ર જાડેજા ત્રણ મહિનાથી ટીમ બહાર છે, પણ અક્ષર પટેલે ટેસ્ટમાં અને કુણાલ પંડયાએ તેની ખોટ મહેસૂસ થવા દીધી નથી. જયારે આઇપીએલથી મશહૂર બનેલા મીડિયમ પેસર પ્રસિધ્ધ કૃષ્ણાએ વન ડે પદાર્પણ સાથે 4 વિકેટ લઇને ટીમ ઇન્ડિયામાં શાનદાર એન્ટ્રી કરી છે.
ભારત માટે રાહતની વાત એ છે કે શિખર ધવન અને કેએલ રાહુલે ફોર્મમાં વાપસી કરી લીધી છે. ધવને 98 અને રાહુલે અણનમ 62 રનની ઇનિંગ રમીને ભારતની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. રોહિત શર્માને પહેલા મેચમાં કોણીની ઇજા થઇ છે, પણ તે ફિટ થઇ જશે તેવી આશા છે. જો રોહિતને બ્રેક અપાશે તો ધવન સાથે યુવા શુભમન ગિલને દાવનો પ્રારંભ કરવાનો મોકો પ્રાપ્ત થશે. ચાઇનામેન બોલર કુલદિપ યાદવે પહેલા મેચમાં 9 ઓવરમાં 68 રન આપ્યા હતા. તેના સ્થાને યજુર્વેન્દ્ર ચહલને તકની પ્રબળ સંભાવના છે. ભુવનેશ્વર-શાર્દુલ-કૃષ્ણાની ત્રિપુટીએ 10માંથી 9 વિકેટ લીધી હતી. આથી આ કોમ્બીનેશનમાં પ્રયોગનો કોઇ અવકાશ નથી. નટરાજન અને સિરાઝમાંથી કોઇ એકને શ્રેણી જીત બાદ આખરી મેચમાં મોકો મળી શકે છે.
બીજી તરફ ઇંગ્લેન્ડનો ઇરાદો શ્રેણી જીવંત રાખવાનો રહેશે.
કપ્તાન ઇયોન મોર્ગન અને સેમ બિલિંગ્સ ઇજાગ્રસ્ત છે. આથી બન્નેનું રમવું શંકાસ્પદ છે. પહેલા મેચમાં બેયરસ્ટો અને રોયની ઓપનિંગ જોડીએ ધસમસતી શરૂઆત આપી હતી, પણ બાદમાં સમયાંતર વિકેટો પડવાથી ઇંગ્લેન્ડની ટીમ 66 રને હારી હતી. ઇંગ્લેન્ડે બીજા વન ડેમાં મોટો સ્કોર કરવા માટે બટલર, સ્ટોકસ અને મોઇન અલીએ પાસેથી મોટી ઇનિંગ નીકળે તેવી આશા રાખવી પડશે. જોફ્રા આર્ચરની ગેરહાજરીમાં ઇંગ્લેન્ડની પેસ બેટરી ઢીલી પડી છે. જેનો ફાયદો વન ડે શ્રેણીમાં ભારતને મળી રહ્યો છે.
આંદોલનને 120 દિવસ પૂરા થતાં ‘ભારત બંધ’ : અનેક યુનિયનોનો ટેકો; હોલિકાદહનમાં કાયદાદહન

કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે છેલ્લા ત્રણ માસ કરતાં વધુ સમયથી આંદોલન કરી રહેલા કિસાનો આવતીકાલે શુક્રવારે 120 દિવસ પૂર્ણ થતાં ‘ભારત બંધ’ સાથે આંદોલન વધુ ઊગ્ર બનાવશે.
આ બંધને વેપારી યુનિયનો, ટ્રક યુનિયનો, બસ તેમજ રેલવે યુનિયનો તરફથી સમર્થન મળશે. સાથોસાથ કોંગ્રેસ, ડાબેરી સહિત અનેક વિપક્ષો પણ કિસાનોને સમર્થન આપશે. કિસાન નેતાઓએ ‘દેશબંધી’ દરમ્યાન થનારી પરેશાની બદલ લોકોની માફી માગતાં સહયોગ આપવાની અપીલ કરી છે. કિસાન સંગઠનોએ એવું પણ એલાન કર્યું છે કે, 28મી માર્ચના હોલિકાદહનમાં નવા કૃષિ કાયદાની નકલોનું પણ દહન કરાશે. દરમ્યાન સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે, કાલે શુક્રવારની સવારે છથી સાંજે છ વાગ્યા સુધી ‘ભારત બંધ’નું એલાન છે. જો કે, જે રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી છે, તેમને આ બંધમાંથી મુક્ત રખાયા છે, તેવું પણ જણાવાયું હતું. ‘ભારત બંધ’ દરમ્યાન રેલ અને માર્ગો પર અવર-જવર બાધિત કરવાની આંદોલનકારી કિસાનોની યોજના છે. પેટ્રોલ પમ્પ, મેડિકલ સ્ટોર જેવી જીવનજરૂરી સેવાઓ ખુલ્લી રહેશે.
સંસદનાં બંને ગૃહોને તેમના નિર્ધારિત સમય અગાઉ બેમુદત મુલતવી રખાવાની સાથે સંસદનું બજેટ સત્ર આજે સમાપ્ત થયું હતું.
લોકસભાની કાર્યવિધિઓને અચોક્કસ મુદત માટે મુલતવી રાખવા પૂર્વે, સભાપતિ પદ સંભાળનાર, ભર્તૃહરિ મેહતા ઓમ બિરલા ઝડપથી સાજા થઈ જવાની આશા વ્યક્ત કરી હતી અને સભ્યોને જાણ કરી હતી કે સ્પીકરની તબિયત સ્થિર છે. તેમણે કહ્યું હતું કે બજેટસત્ર દરમિયાન ગૃહની કામગીરીની સફળતા 114 ટકા રહી હતી.
તમામ સભ્યો વતી, લોકસભાના સ્પીકર ઓમ બિરલા જલદી સાજા થઈ જાય એવી શુભકામના પ્રિસાઈડિંગ અૉફિસરે વ્યક્ત કરી. કોવિડ-19 માટેના ટૅસ્ટનું પરિણામ પોઝિટિવ આવ્યા બાદ બિરલા હાલ સારવાર હેઠળ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કૅબિનેટના અનેક પ્રધાનો તથા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગૃહમાં હાજર હતા. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોષીએ જણાવ્યું હતું કે, વિવિધ રાજ્યોમાં યોજાનારી મહત્ત્વની ચૂંટણીઓને કારણે સભ્યોએ માગણી કરવાને પગલે બજેટ સત્ર ટૂંકાવી દેવાયું છે. સંસદ સંકુલમાં મીડિયાને માહિતી આપતાં જોષીએ કહ્યું હતું કે વર્તમાન બજેટસત્રમાં બંને ગૃહોમાં કુલ 18 ખરડા પસાર કરાયા હતા. લોકસભામાં 18 ખરડા પસાર કરાયા હતા, જ્યારે રાજ્યસભાએ 19 ખરડાને મંજૂરી આપી હતી. બંને ગૃહોમાં 20 ખરડા રજૂ કરાયા હતા. પ્રધાને જણાવ્યું હતું કે ત્રણ ખરડાને વધુ
ચર્ચાવિચારણા માટે સ્થાયી સમિતિને પાઠવાયા છે. બંને ગૃહોની સરળ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરીને જોષીએ વિપક્ષોને તેમના ટેકા બદલ આભાર માન્યો હતો. આઠમી માર્ચે શરૂ થયેલા બજેટસત્રના બીજા ભાગમાં પ્રથમ થોડા દિવસો સુધી ગૃહની કારવાઈ વારંવાર મુલતવી રાખવી પડી હતી, કારણ કે ઈંધણના ભાવવધારા સામે વિપક્ષે વિરોધ વ્યક્ત ર્ક્યો હતો. સત્રના બીજા ભાગમાં સરકારનું મુખ્ય ફોકસ, વેરાની વિવિધ દરખાસ્તો ધરાવતા નાણાં ખરડાની સાથે વર્ષ 2021-22 માટે ગ્રાન્ટસ માટેની વિવિધ માગણીઓને પસાર કરાવવાનું હતું.
દિલ્હીમાં ઉપ-રાજ્યપાલને સત્તા-મહત્તા આપતા ગવર્નમેન્ટ અૉફ નેશનલ કેપિટલ ટેરિટરી અૉફ દિલ્હી (અમેન્ડમેન્ટ) બિલ, 2021ને પણ ગૃહે મંજૂરી આપી હતી. ચર્ચા દરમિયાન વિપક્ષે આ ખરડાને “ગેરબંધારણીય’’ તરીકે ઓળખાવ્યો હતો, જ્યારે ભારતીય જનતા પક્ષે કહ્યું હતું કે આ ખરડાનો ઉદ્દેશ દિલ્હીમાં ગેરવહીવટને સુધારવાનો છે.
રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેન્કૈયા નાયડુએ જણાવ્યું હતું કે, બજેટસત્ર દરમિયાન 19 ખરડા પસાર કરાયા હતા. સત્ર દરમિયાન ગૃહની એકંદર કામગીરીની સફળતા 90 ટકા રહી હતી. કોવિડ-19 રોગચાળા દરમિયાન પ્રોટોકોલનું પાલન કરીને ગૃહનું કામકાજ સરળતાપૂર્વક ચલાવવામાં મદદરૂપ થવા બદલ તેમણે તમામ સભ્યોનો આભાર માન્યો હતો.
દેશમાં બુધવારે 132 દિવસ બાદ વિક્રમી 47,262 નવા કેસ સાથે કુલ દર્દીઓનો આંક 1.17 કરોડને આંબી, 1 કરોડ 17 લાખ 34058 થઇ ગયા છે.
છેલ્લા 83 દિવસ બાદ સૌથી વધુ 275 દર્દી ‘કોરોનાનો કોળિયો’ બની જતાં કુલ 1,60,441 સંક્રમિતો જીવ ખોઇ ચૂક્યા છે. તા.૨૪મી માર્ચે સતત 14મા દિવસે સક્રિય કેસો વધ્યા હતા. 23 હજારથી વધુ કેસોનો ઉછાળો આવતાં તા.૨૪મી માર્ચ ૨૦૨૧ના રોજ કુલ 3,68,457 દર્દી સારવાર હેઠળ છે.
નવા કેસોમાં વિક્રમી વધારાના પગલે તા.૨૪મી માર્ચે સક્રિય કેસોનું પ્રમાણ 3.14 ટકા થઇ ગયું હતું. સક્રિય કેસોમાં વધારાએ સરકારની ચિંતા વધારી છે. દેશમાં આજે વધુ 23,907 દર્દી ઘાતક વાયરસ સામે જીવનનો જંગ જીતી જતાં સાજા થયેલા સંક્રમિતોની સંખ્યા પણ 1.12 કરોડને પાર કરી 1 કરોડ 12 લાખ 05,160 થઇ ગઇ છે.