સોનિયા ગાંધીએ શનિવારે dated 16/10/2021 કોંગ્રેસની કાર્યકારિણી બેઠકનું નેતૃત્વ કર્યું હતું. આ બેઠકમાં જી-23 સમૂહને પરોક્ષ રીતે સંદેશ આપતા સોનિયા ગાંધીએ જણાવ્યું કે, હું જ કોંગ્રેસની પૂર્ણકાલિન અધ્યક્ષ છું અને મારી સાથે વાત કરવા કોઈએ મીડિયાનો સહારો લેવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે થોડા દિવસ પૂર્વે કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે (જી 23 જૂથના એક નેતા)એ સોનિયા ગાંધીને સંગઠનમાં સુધારો કરવા માટે પત્ર લખ્યો હતો. આ ઉપરાંતે તેમણે કોંગ્રેસ વર્કિંગ કમિટીની તાત્કાલિક બેઠક બોલાવવા અને કોંગ્રેયના પૂર્ણકાલીન અધ્યક્ષની ગેરહાજરીમાં કોણ નિર્ણયો લઈ રહ્યું છે તેની સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.
સીડબલ્યુસીના પ્રારંભિક સંબોધનમાં સોનિયા ગાંધીએ જણાવ્યું કે પાર્ટીના દરેક સભ્ય કોંગ્રેસનું પુનરુત્થાન થાય તેવું ઈચ્છે છે. પરંતુ તેના માટે પાર્ટીની એકતા અકબંધ રાખવી પડશે અને પાર્ટીના હિતને સર્વોપરી રાખવું પડશે તેમ સોનિયા ગાંધીએ સ્પષ્ટ સંકેત આપતા જણાવ્યું હતું. આ બધાથી ઉપર સ્વ-નિયંત્રણ અને સ્વયં શિસ્ત પણ એટલી જ જરૂરી રહેશે.
કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા કોંગ્રેસના કાયમી અધ્યક્ષની ચૂંટણી માટેનો રોડમેપ પણ તૈયાર હોવાનું તેમણે જણાવ્યું હતું. 30 જૂન આ માટેની ડેડલાઈન હતી પરંતુ કોરોનાની બીજી લહેરને પગલે તેને લંબાવવી પડી હતી. આજની બેઠક સંગઠન ચૂંટણી મુદ્દે તમામ સ્પષ્ટતાઓ કરવાનો શ્રેષ્ઠ સમય છે તેમ પણ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું.
સંગઠન ચૂંટણીઓ માટેની તૈયારીઓ 1લી નવેમ્બરથી શરૂ કરાશે. જી23 નેતાઓને ટાર્ગેટ કરીને સોનિયા ગાંધીએ જણાવ્યું કે, હું નિખાલસ રીતે વાત કરવા તૈયાર છું અને મારી સાથે વાત કરવા કોઈએ મીડિયાનો સહારો લેવાની જરૂર નથી. આ માટે બેઠકમાં મુક્ત તેમજ પ્રામાણિક પણે ચર્ચા કરીએ અને આ ચાર દિવાલ બહાર શું સંદેશ ફેલાવવો છે તે સીડબલ્યુસીના સભ્યોનો સર્વાનુમત હોવો જોઈએ તેમ સોનિયા ગાંધીએ ઉમેર્યું હતું.












