તાજેતરમાં પાંચ રાજ્યમાં યોજાનારી ચૂંટણીનો વ્યૂહ બનાવવા માટે રવિવારે નવી દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાશે. કોવિડ-૧૯નો રોગચાળો ફેલાયા બાદ પહેલી વખત ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાઇ હતી.
ભાજપના મહામંત્રી અરુણસિંહે પત્રકારોને જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેેન્દ્ર મોદી, પક્ષ પ્રમુખ જે. પી. નડ્ડા અને કેન્દ્રના અનેક પ્રધાનો સહિત રાષ્ટ્રીય કારોબારી મંડળના ૧૨૪ સભ્ય આ બેઠકમાં પ્રત્યક્ષ ભાગ લેશે તથા મુખ્ય પ્રધાનો સહિતના અન્ય રાજ્યોના સભ્યો કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું પાલન કરીને બેઠકમાં વર્ચ્યુઅલી ભાગ લેશે.
બેઠકમાં રાષ્ટ્રીય પ્રમુખ મુદ્દાઓ અને નિયમ પ્રમાણે એજેન્ડાની બાબતો સિવાય આવતા વર્ષે પાંચ રાજ્યમાં યોજાનારી ચૂંટણીના મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું. બેઠકને મોદી સંબોધશે અને એક રાજકીય ઠરાવ પસાર કરાવાની શક્યતા છે, જે વિવિધ મુદ્દે પક્ષના મતને ઓપ આપશે. નડ્ડા પ્રારંભિક સંબોધન કરશે.
મોદી સરકારની ‘આત્મનિર્ભર ભારત’ યોજના, ગરીબોને મદદરૂપ થાય એવી, અનાજ મફતમાં આપવા જેવી યોજનાઓ અને કોવિડ માટેનો રસીકરણ કાર્યક્રમ જેવી યોજનાઓનું પ્રદર્શન કારોબારી બેઠકના સ્થળે યોજવામાં આવશે.
રોગચાળા દરમિયાન લોકોને મદદ કરવા એમણે કરેલા પ્રયત્નોને દર્શાવવાનો પક્ષ પ્રયત્ન કરશે.















