
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા દરેક ચોરની અટક કેમ મોદી હોય છે ? જેવા વિવાદિત નિવેદન બાદ સુરતના પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરતની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અને આ કેસની ઓક્ટોબર 2019ના કરવામાં આવેલી સુનાવણી દરમિયાન પણ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. અને બાદમાં 24મી જૂન 2021ના પણ સુરતની કોર્ટમાં હાજર રહ્યા હતા. આજે સુરતની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં રાહુલ ગાંધી હાજર રહ્યા હતા. અને તેઓને પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપવામાં આવ્યા હતા. જેમાં મોટા ભાગના સવાલોના જવાબમાં તેઓએ મને ખબર નથી હોવાનું જણાવ્યું હતું.

રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, તમામ કૌભાંડીઓ અને ચોરની અટક મોદી હોય છે. એવું નિવેદન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું. જેના કારણે અમારા સમાજના 13 કરોડ લોકોનું અપમાન થયું છે. જેના પગલે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ સુરતની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે.
સુરત શહેર કોંગ્રેસ કમિટી દ્વારા એરપોર્ટથી કોર્ટ સુધીના મુખ્ય માર્ગ ઉપર બે મુખ્ય સ્થળોએ રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એસ.વી.એન.આઈ.ટી સર્કલ અને પૂજા અભિષેક બિલ્ડીંગ પાસે કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત રસ્તા પર ઊભા રહીને સ્વાગત કરાયું હતું.
રાહુલ ગાંધીએ જાહેર સભામાં તમામ મોદી ચોર હોવાની ટીપ્પણી કરી હતી. જેમાં તેઓએ નીરવ મોદી, લલિત મોદી, સહિતના નામો લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કૌભાંડી અને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા.ત્યારબાદ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના નિવેદનથી સમગ્ર મોદી સમાજની લાગણી દુભાય છે.














