CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 15 of 54 - CIA Live

August 14, 2021
cia_edu-1280x925.jpg
1min512

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આ વર્ષે કોરોના પેન્ડેમિકને કારણે ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ પ્રક્રિયામાં ભારે ધસારો થશે તેવી અટકળોથી વિપરીત ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન કરવા માટેની મુદત બબ્બે વખત લંબાવ્યા પછી પણ કોઇ જ ધસારો જોવા મળ્યો નથી. ઉલ્ટાનું પરિસ્થિત ગયા વર્ષ કરતા પણ નબળી જોવા મળી રહી છે.

ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની મુદ્ત ત્રીજીવાર લંબાવીને તા.23 ઓગસ્ટ કરવામાં આવી

ગુજરાતમાં આવેલી ધો.10 પછીની ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોની કુલ 64,000 સીટોની સામે માત્ર 36,000 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવતા શનિવાર તા.14મી ઓગસ્ટે પૂર્ણ થઇ રહેલી મુદતની પૂર્વ સંધ્યાએ જ રજિસ્ટ્રેશન પ્રક્રિયા લંબાવીને તા.23મી ઓગસ્ટ કરી દેવામાં આવી છે.

આ વર્ષે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું માસ પ્રમોશન થયું હોવાને કારણે ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે હશે તેવી આશંકા હતી. આ આશંકાને કારણે ડિપ્લોમા કોર્સના પ્રવેશની પ્રક્રિયા વહેલી શરુ કરી દેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એડમિશન કમિટીએ અત્યાર સુધી બે વાર રજિસ્ટ્રેશનની ડેડલાઈન વધારી છે, પરંતુ અત્યાર સુધી માત્ર 36,000 જ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

વર્તમાન નિયમો અનુસાર, જે વિદ્યાર્થીઓએ 10મા ધોરણમાં ગ્રેસિંગ સાથે પરીક્ષા પાસ કરી હશે તેઓ એડમિશનના અમુક રાઉન્ડ સમાપ્ત થઈ જાય અને જો સીટો ખાલી હોય તો જ એડમિશન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. ગ્રેસ માર્ક્સ સાથે પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે છે, માટે કોલેજોએ સરકારને વિનંતી કરી છે કે આ પ્રકારના વિદ્યાર્થીઓને પણ એડમિશનના પ્રથમ રાઉન્ડમાં ભાગ લેવાની છૂટ આપવામાં આવે. કોલેજોની માંગ પર હજી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.

August 13, 2021
bilungualpic-2.jpg
4min1252

એવું જોવાયું છે, અનુભવાયું છે, વર્તાયું છે કે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યારે હાયર એજ્યુકેશનમાં જાય, પ્રવેશ પરીક્ષા આપે, સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસે ત્યારે તેમનું પરફોર્મન્સ નબળું પડતું જતું, કારણ એક જ હતું કે અંગ્રેજી. પ્રાથમિક શાળાના સ્તરથી જ અંગ્રેજીના બેઝિક શબ્દો કે જે આપણે વ્યવહારુ ભાષામાં પણ ઉપયોગ કરીએ છીએ એવા જ શબ્દો અભ્યાસક્રમમાં પણ હોય છે અને તેને બેઝિક ટર્મિનોલોજી કહેવાય છે. જેમકે ટેબલને આપણે ગુજરાતીમાં પણ ટેબલ કહીએ છીએ ભલે એ અંગ્રેજી વર્ડ હોય એવી જ રીતે મેડીકલ અને એન્જિનિયરિંગ સહિત તમામ ક્ષેત્રે બેઝિક વર્ડનું ગુજરાતી થતું નથી અને એ શબ્દો પારખવામાં, ઓળખવામાં ગુજરાતી વિદ્યાર્થીઓ થાપ ખાતા જોવા મળતા પરંતુ, સુરતની સાત શાળાઓએ શરૂ કરેલું દ્વિભાષી માધ્યમ હવે સમગ્ર ગુજરાતની સ્કુલો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ગુજરાત સરકારે પરવાનગી આપી છે કે દ્વિભાષી માધ્યમ એટલે કે અંગ્રેજી અને વિજ્ઞાન બે વિષયોને ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં ધો.12 સુધી અભ્યાસ કરાવવાનો જેથી કરીને વિદ્યાર્થીઓ ધો.12 પછી કોઇપણ ક્ષેત્રમાં બેઝિક ટર્મિનોલોજીને કારણે પછડાય નહીં.

આજરોજ સુરતમાં દ્વિભાષી માધ્યમ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં આ સમગ્ર કન્સેપ્ટ લાગૂ કરનાર સુરતની ભૂલકાવિહાર શાળા, ભૂલકાભવન સ્કુલ, સંસ્કારભારતી વિદ્યાલય સમેતની સ્કુલોના સંચાલકો અને ડો. રઇશ મણિયારે નીચે મુજબની માહિતી દ્વિભાષી માધ્યમ અંગે આપી હતી.

ગુજરાતના વાલીઓની એ કાયમની મૂંઝવણ રહી છે કે કે બાળકને માતૃભાષામાં ભણાવવું કે અંગ્રેજી માધ્યમમાં. વાલીઓની આ દ્વિધાનો ઉકેલ કાઢવા સુરતની 29 જેટલી શાળાઓએ ગ્લોબલ મિડિયમના નામથી એક નવા માધ્યમની મંજૂરી લઈ છ વરસ આ પ્રોજેક્ટ સફળતાથી ચલાવ્યો. 

2020માં આવેલી નવી શિક્ષણ નીતિમાં પણ દ્વિભાષી (માતૃભાષા અને અંગ્રેજી)  સજ્જતાની હિમાયત કરવામાં આવી હોવાથી ગુજરાતે સરકારે એક ક્રાંતિકારી નિર્ણય લઈ તા. 29 જુલાઈના રોજ એક પરિપત્ર બહાર પાડી આ વરસથી ગુજરાતમાં સ્વૈચ્છિક રીતે જે ખાનગી શાળાઓ ઈચ્છે તે મંજૂરી લઈ આ દ્વિભાષી માધ્યમ શરૂ કરી શકે, એ મુજબનો નિર્ણય કર્યો છે.

શું છે આ દ્વિભાષી માધ્યમ?

દ્વિભાષી માધ્યમની મુખ્ય જોગવાઈ આ મુજબ છે.

1.  ગણિત અને વિજ્ઞાન દ્વિભાષી માધ્યમથી ભણાવવા.

2.  અંગ્રેજી વિષય શિક્ષણની ગુણવત્તા શરૂઆતથી સુધારવી. લિસનિંગ સ્પીકીંગ રીડીંગ રાઈટીંગ એ ક્રમમાં, એ પદ્ધતિથી અંગ્રેજી વિષય  શીખવવો.

3. અન્ય અભ્યાસ (ગુજરાતી સમાજવિદ્યા અન્ય ભાષા વગેરે વિષયો)પ્રવર્તમાન ગુજરાતી માધ્યમ પ્રમાણેજ કરાવવાનો રહે છે.

બાળક અભ્યાસની શરૂઆત માતૃભાષાથી કરે છે પરંતુ શરૂઆતથી અંગ્રેજી વિષય પણ હાયર લેવલનો ભણાવવામાં આવે છે. ગણિત અને વિજ્ઞાન ધોરણ ત્રણથી સાત સુધી દ્વિભાષી પુસ્તકોની મદદથી ભણાવવામાં આવે છે. ધોરણ આઠ નવ અને દસમાં ગણિત અને વિજ્ઞાનના વિષયો સંપૂર્ણ અંગ્રેજી થઈ જાય છે.

આમ દ્વિભાષી માધ્યમમાં ભણેલું બાળક માતૃભાષા દ્વારા પરંપરા સાથે જોડાયેલું પણ રહેશે અને વિશ્વભાષા પણ સારી રીતે શીખશે.

પ્રવર્તમાન માધ્યમો ચાલુ જ રહેશે

જે ખાનગી શાળાઓ સજ્જ અને તત્પર હોય સ્વૈચ્છિક ધોરણે, સરકારની મંજૂરી મેળવીને, અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના ત્રીજા વિકલ્પ તરીકે આ દ્વિભાષી માધ્યમનો ઉપયોગ કરી શકે છે.પ્રવર્તમાન બન્ને માધ્યમો ચાલુ જ રહેશે. આ માધ્યમ સ્વૈચ્છિક અને વૈકલ્પિક છે. 

દ્વિભાષી માધ્યમનો ફાયદો શું?

શૈક્ષણિક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ પણ શરૂઆતનો અભ્યાસ માતૃભાષામાં થાય એજરૂરી છે. સાથેસાથે બીજી ભાષા તરીકે અંગ્રેજીને જલદી શરૂ કરવી એ પણ એટલીજ જરૂરી છે તેમજ અંગ્રેજી શિક્ષણનીગુણવત્તાને સુધારવાની તાતી જરૂર છે. બાળકો બન્ને ભાષા (માતૃભાષા અને અંગ્રેજી) એક સાથે સારી રીતે શીખી શકે એમ હોવાથી એક ને અપનાવવા માટે બીજાની અવગણના કરવી જરૂરી નથી.  દ્વિભાષી માધ્યમના હાર્દ વિશે એકવાક્યમાં કહી શકાય કે જ્યારે ગુજરાતી અથવા અંગ્રેજી એદ્વિધા હોય તો ઉકેલ ગુજરાતી વત્તા અંગ્રેજીજ હોઈ શકે.

ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોના સાંપ્રતપ્રવાહો અને સંશોધનો વૈશ્વિકકક્ષાના હોય છે. એની સાથે તાલમિલાવવા અંગ્રેજી પરિભાષા અનિવાર્ય છે. તેમજ આગળ જતાં આ વિષયો વિદ્યાર્થીઓ અંગ્રેજી પરિભાષાનો ઉપયોગ કરીનેજ ભણવાના હોવાથી, શાળાકક્ષાએ બાળક આ બન્ને વિષયો દ્વિભાષી પદ્ધતિથી શીખે એ ઈચ્છનીય અને સલાહભર્યું છે. આમ કરવાથી વિદ્યાર્થી સમયસર વૈશ્વિકકક્ષાના જ્ઞાનની સાથે ખભા મિલાવી શકશે. આ પગલું લેવાથી વિદ્યાર્થી ગણિત અને વિજ્ઞાન વિષયને લગતાં અંગ્રેજીભાષામાં ઉપલબ્ધ વિશાળ જ્ઞાન સમુદ્રનો, સંદર્ભ સાહિત્યનો સારો લાભ ઉઠાવી શકશે.

સરકારે કયા મુદ્દાઓને આધારે મંજૂરી આપી?

સુરતની સાત શાળાના સફળ પ્રોજેક્ટનો થર્ડ પાર્ટી ઈવેલ્યુએશન રિપોર્ટ કરવામાં આવ્યો. ડો.વિનોદ જી પટેલની અધ્યક્ષતામાં એ રિપોર્ટના તારણો પોઝીટીવ હતા.

સરકાર આ પદ્ધતિની સમીક્ષા કરવા માટે શિક્ષણવિદ  ડો. રાજેંદ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં એક સમિતિ નીમી. જેમા અગિયાર જેટલા તજજ્ઞોએ સાતેક જેટલી મીટીંગ કરીને ડો. રઈશ મનીઆરની રજૂઆતોને આધારે હકારાતમક રિપોર્ટ આપ્યો હતો તેમજ સુરતના  પૂર્વ ડી.ઈ.ઓ. શ્રી. યુ. એન. રાઠોડ વગરેના ધરખમ પ્રયાસોને પરિણામે સરકારને આ પદ્ધતિની ઉપયોગિતા સમજાઈ. માનનીય શિક્ષણ મંત્રી શ્રી. ભુપેંદ્રસિંહ ચુડાસમા, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરી બેન દવે, ભૂતપૂર્વ નાયબ શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાંણી તેમજ શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ તથા જી.સી.ઈ.આર.ટી.ના વડાશ્રી. ટી. એસ. જોશી તેમજ એમ.આઈ. જોશી તેમજ આ માટે તત્કાલીન સુરત D.E.O સાહેબશ્રી એચ. એચ. રાજ્યગુરુ તેમજ ડી.પી.ઈ.ઓ સાહેબશ્રી ડી.આર. દરજી સાહેબના  માર્ગદર્શનથી સરકારે આ દ્વિભાષી માધ્યમને રાજ્યવ્યાપી સ્વૈચ્છિક મંજૂરી આપવાનું નક્કી કર્યું. સરકારની સ્કૂલ ઓફ એક્સેલંસ શાળાઓમાં પણ આ માધ્યમ ક્રમશ: દાખલ કરાશે.

ખાનગી શાળાઓ દ્વિભાષી માધ્યમ કઈ રીતે શરૂ કરી શકે?

ગુજરાતની કોઈ પણ સજ્જ અને તત્પર ખાનગી શાળાઓ નીચેની શરતો પર દ્વિભાષી માધ્યમ શરૂ કરી શકે છે.

1. તેઓએ સરકારે મંજૂર કરેલ દ્વિભાષી માધ્યમના મોડેલનું પાલન કરવું પડશે.

2. તેઓએ તમામ સરકારી ઓનલાઈન તાલીમ શિબિરમાં ભાગ લેવો પડશે અથવા એમ ન થઈ શકે તો ખાનગી રીતે તેમની પોતાની તાલીમની વ્યવસ્થા કરવી પડશે.

3. તેઓએ તેમના અંગ્રેજી શિક્ષકોને દ્વિભાષી તાલીમ આપવી પડશે અને જો જરૂરી હોય તો નવા શિક્ષકોની ભરતી કરવી પડશે. જૂના શિક્ષકોને છૂટા કરી શકાશે નહીં,.

4. તેઓએ તેમના ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોને સરકારે જાહેર કરેલા દ્વિભાષી માધ્યમના ધારાધોરણ પ્રમાણે તાલીમ આપવી પડશે.

5. તેઓએ નીચેના દસ્તાવેજો સાથે જીલ્લાશિક્ષણાધિકારીની પરવાનગી લેવી પડશે.

. ટ્રસ્ટીઓ દ્વારા ઠરાવ, કે “તેમને સૂચિત દ્વિભાષી માધ્યમ કોઈ વાંધો નથી અને તેઓ દ્વિભાષી માધ્યમ  

શરૂ કરવા અને એમાટેની સરકારે સૂચવેલી તમામ વ્યવસ્થાને અનુસરવા તૈયાર છે.”

બી. જે તે વર્ગના વાલીમંડળ દ્વારા ઉપર મુજબનો ઠરાવ.

સી. જે તે વર્ગના શિક્ષકો દ્વારા ઉપર મુજબનો દ્વારા ઠરાવ.

દ્વિભાષી માધ્યમ અંગે વિગતવાર માર્ગદર્શન ક્યાંથી મળશે

સુરતની શાળાઓ દ્વારા એક માર્ગદર્શક વેબસાઈટ શરૂ કરવામાં આવશે

https://bilingualmedium.in/

જેનાથી આ માધ્યમ વિશે સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મળી રહેશે.

August 12, 2021
KN_chavda-copy.jpg
1min2047

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ આજરોજ તા.12મી ઓગસ્ટે વીર નર્મદ યુનિવર્સિટીની માહિતીથી ભરપૂર વ્હોટસએપ ચેટબોટ સિસ્ટમ વિદ્યાર્થીઓને સમર્પિત કરી હતી. વિદ્યાર્થીઓ પોતાના મનગમતા વ્હોટ્સ એપના માધ્યમથી યુનિવર્સિટીની તમામ સેવાઓ અને માહિતી એક્સેસ કરી શકશે. શરત એ જ છે કે તેમણે યુનિવર્સિટીમાં પ્રવેશ સમયે જે મોબાઇલ નંબર રજિસ્ટર્ડ કરાવ્યો હશે તે નંબરથી જ ચેટબોટમાં લોગઇન થવું પડશે.

વિદ્યાર્થીઓને મોબાઇલ પર હોલ ટિકીટ, પરીણામ, સર્ટિફિકેટ જેવી તેમની તમામ માહિતીઓ ઉપલબ્ધ બનશે

સમગ્ર દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓ અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ મળીને કુલ 17500 સ્ક્વેર કિલોમીટરનો વિશાળ વિસ્તાર ધરાવતી અને સવા કરોડ જેટલી વસતિને ઉચ્ચ શિક્ષણની સેવાઓ પ્રદાન કરતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેવાઓને વધુ શુલભ બનાવતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આજરોજ તા.12મ ઓગસ્ટે પોતાની વ્હોટ્સએપ ચેટબોટ સિસ્ટમ લોંચ કરી છે. વિદ્યાર્થીઓની જરૂરીયાત મુજબની વીર નર્મદ યુનિવર્સિટીની દરેક સામાન્ય માહિતીનું એકત્રીકરણ કરીને ચેટબોટ સુવિધા વિકસાવવામાં આવી છે.

વિદ્યાર્થીઓ અત્યંત સરળતાથી પોતાની જરૂરીયાત મુજબની માહિતી એક્સેસ કરી શકે તે હેતુથી ચેટબોટનું નિર્માણ કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના જ નહીં વિશ્વના કોઇપણ ખૂણેથી કોઇપણ વ્યક્તિને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સામાન્ય જાણકારી-માહિતી ચેટબોટ થકી સરળતાથી એક્સેસ કરી શકશે. ગુજરાતમાં આ પ્રકારની અત્યાધુનિક ચેટબોટ સુવિધા વિકસાવનાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પહેલી સ્ટેટ યુનિવર્સિટી છે.

આજે અબાલવૃદ્ધો માટે વ્હોટ્સએપ મેસેજિંગ શુલભ, સરળ અને સર્વસ્વીકૃત માધ્યમ બન્યું છે, વીર નર્મદ યુનિવર્સિટીએ પણ પોતાના વિદ્યાર્થીઓ, ફ્યુચર સ્ટુડન્ટસથી લઇને કોઇપણ સામાન્ય વ્યક્તિને વીર નર્મદ યુનિવર્સિટી અંગેની કોઇપણ માહિતી વીર નર્મદ યુનિવર્સિટી ચેટબોટ નંબરથી મળી શકે તે પ્રકારની માળખાગત સુવિધા વિકસાવવામાં આવી છે.

વીર નર્મદ યુનિવર્સિટી ચેટબોટ સિસ્ટમ એક્સેસ કરવા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ કે અન્ય કોઇપણ નાગરીકોએ 0261- 238 8888 નંબર પોતાના મોબાઇલમાં સેવ કરવાનો રહેશે. નંબર સેવ કર્યા પછી વ્હોટ્સએપ મેસેજિંગ સર્વિસ થકી ફક્ત એક સંદેશો એ નંબર પર સેન્ડ કરવાથી ચેટબોટની સેવાઓ એક્ટીવ થઇ જશે અને ચેટબોટ ચોવીસ કલાક વીર નર્મદ યુનિવર્સિટીની માહિતી પૂરી પાડશે.

હાલમાં વીર નર્મદ યુનિવર્સિટી અંગેની માહિતી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટ અંગેની માહિતી, પ્રવેશ પ્રક્રિયા અંગેની માહિતી, પરીક્ષા સમયપત્રક અંગેની માહિતી, પરીક્ષા પરીણામ અંગેની માહિતી, હોલટિકીટની પ્રાપ્તિ અંગેની માહિતી, એફિલિયેટેડ કોલેજો અંગેની માહિતી તેમજ સંપર્ક અંગેની માહિતી સિસ્ટમમાં ફીડ કરવામાં આવી છે અને તબક્કાવાર વીર નર્મદ યુનિવર્સિટીને સ્પર્શતી તમામ બાબતો ચેટબોટ પરથી મળવાનું શરૂ થશે.

ખાસ નોંધવું ઘટે કે વીર નર્મદ યુનિવર્સિટીની ચેટબોટ સેવાઓ ફક્ત સાર્વજનિક માહિતી જ ઉપલબ્ધ કરાવશે. વિદ્યાર્થીઓને પોતાની પર્સનલ માહિતી જેમકે હોલટિકીટ, પરીણામ, સર્ટિફિકેટ વગેરે તેમણે પ્રવેશ વખતે આપેલા યુનિવર્સિટીમાં રજિસ્ટર્ડ મોબાઇલ પર વન ટાઇમ પાસવર્ડ થકી વિદ્યાર્થીઓ ખુદ જ એક્સેસ કરી શકશે.

August 11, 2021
gseb-1280x720.jpg
1min394

ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની માર્કશીટ 12મી ઓગસ્ટે શાળાઓને આપવામાં આવશે અને ત્યારબાદ તે વિદ્યાર્થીઓને સોંપાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 11 ઓગસ્ટના રોજ રાજ્યભરના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીઓને માર્કશીટનું વિતરણ કરશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે હાલમાં જ ધોરણ 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રિઝલ્ટ જાહેર કર્યું હતું, જેમાં 4,00,127 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. બોર્ડે આ વર્ષે માસ પ્રમોશનના કારણે 100% પરિણામ જાહેર કર્યું હોવા છતાં, 90%થી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

August 3, 2021
cia_windo-1-1280x793.jpg
1min849

જેની શાળાઓ આખા ભારત દેશ ઉપરાંત વિદેશોમાં પણ પથરાયેલી છે એ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE દ્વારા આજરોજ તા.3 ઓગસ્ટ 2021ના રોજ ધો.10નું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. કોરોના પેન્ડેમિકને કારણે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE સમેત કોઇપણ રાજ્ય બોર્ડ દ્વારા ફિઝિકલ ઓફલાઇન પરીક્ષાઓ થઈ શકી નથી તેવા સંજોગોમાં આંતરીક મૂલ્યાંકન અને અગાઉના વર્ષોના પરીણામોને આધારે સીબીએસઇએ આજે ઔપચારિક પરીણામ જાહેર કર્યું છે.

સુરતની જાણિતી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE એફિલિયેટેડ સ્કુલના સંચાલકે જણાવ્યું કે આજના પરીણામનું મહત્વ દસ્તાવેજી રીતે છે, વિદ્યાર્થીઓને માર્કશીટ આજે નહીં પણ ભવિષ્યમાં જરૂર પડશે એટલે પરીણામ તો જરૂરી હતું પછી ભલે એ ઔપચારિક જ બનીને ભલે ને રહી ગયું હોય. તેમણે કહ્યું કે ધો.11 સાયન્સ, કોમર્સ અને હ્યુમેનિટીઝમાં 25 ટકા જેટલો સિલેબસ પૂરો થઇ ચૂક્યો છે અને કોચિંગ ક્લાસીસોએ તો 40 ટકા સુધી ભણાવી દીધું છે ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE પરીણામોની શૈક્ષણિક મહત્વતા રહી નથી.

ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીનું રજિસ્ટ્રેશન 14 ઓગસ્ટ સુધી લંબાવાયું

ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ કાર્યવાહી ગુજરાતમાં એક મહિના અગાઉ શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ, દેશના સૌથી મોટા બોર્ડ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSEનું ધો.10નું પરીણામ અત્યંત વિલંબથી એટલે કે તા.3 ઓગસ્ટે જાહેર થતાં ગુજરાતમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સ http://www.acpdc.co.in ની પ્રવેશ કાર્યવાહી તા.14મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.

July 31, 2021
cia_windo-1280x793.jpg
1min987

Jayesh Brahmbhatt 98253 44944

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે જાહેર કરેલા 2021ના ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામો વાસ્તવિકતાની નજીક હોવાની પ્રતિતી એટલા માટે થઇ છે કે ધો.12 સાયન્સમાં અધધ એ-વન ગ્રેડ અપાયા હતા જ્યારે ધો.12 કોમર્સમાં દર વર્ષે જેટલા એ-વન ગ્રેડ અપાયા હતા તેટલી સરેરાશમાં જ અપાયા છે. ઉલ્ટાનું પરિસ્થિતિ એવી પણ સપાટી પર આવી છે કે ધો.12 સામાન્ય પ્રવાહો મળીને કુલ 4 લાખ 127 વિદ્યાર્થીઓના જાહેર થયેલા પાસ પરીણામમાં 2.38 લાખ વિદ્યાર્થીઓ તો એવા છે કે જે સી ગ્રેડ (થર્ડ ક્લાસ)માં પાસ થયા છે.

ગુજરાત બોર્ડના સામાન્ય પ્રવાહના ઇતિહાસમાં અગાઉ ક્યારેય નહીં બની હોય તેવી આ ઘટના આજે આકાર પામી છે. બોર્ડ દ્વારા જાહેર પરીક્ષા લેવાઇ શકી ન હતી. પરીણામે ધો.10ના 50 ટકા, ધો.11ના 25 ટકા અને ધો.12ના આંતરિક મૂલ્યાંકનના 25 ટકા મળીને શાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા પરીણામને આજે બોર્ડે જાહેર કર્યું હતું.

ગુજરાત બોર્ડના કુલ 4 લાખ 127 વિદ્યાર્થીઓ પૈકી 60 ટકા વિદ્યાર્થીઓ સી ગ્રેડમાં પાસ થયા છે. 1,29,781 વિદ્યાર્થીઓ સી-વન ગ્રેડમાં અને 1,08,299 વિદ્યાર્થીઓ સી-ટુ ગ્રેડ મળીને કુલ 2,38,080 વિદ્યાર્થીઓને સી ગ્રેડમાં પરીણામ મળ્યું છે. શિક્ષણશાસ્ત્રીઓ કહે છે કે ધો.12 સાયન્સ કરતા ધો.12 કોમર્સનું પરીણામ તૈયાર કરવામાં શાળાઓએ વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું છે.

ગુજરાતનું જિલ્લાવાર પરીણામ

સુરતમાંથી 44866 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

July 27, 2021
CIA_Live_Logo_New2.jpg
1min599

રાઇટુ એજ્યુકેશન એક્ટ અન્વયે સુરત શહેરની પ્રાથમિક શાળાઓના પહેલા ધોરણમાં ગરીબ બાળકો માટે રિઝર્વ રાખવામાં આવેલી કુલ 25 ટકા બેઠકો પર આજરોજ તા.27મી જુલાઇએ અંદાજે 7956 ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે રાઇટ ટુ એજ્યુકેશન અન્વયે પહેલા ધોરણમાં ઓનલાઇન એડમિશન સ્લીપ લઇને આવનાર વાલીઓના વિદ્યાર્થીઓને પ્રાઇવેટ સ્કુલોએ પહેલા ધોરણમાં બિલકુલ ફ્રીમાં પ્રવેશ આપવો જ પડશે.

રાઇટ એજ્યુકેશન એક્ટ અન્વયે ગરીબ વર્ગના બાળકોને કહેવાતી હાઇફાઇ, સેન્ટ્રલ બોર્ડની, ઉંચી ફી ધરાવતી કોઇપણ પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલના પહેલા ધોરણમાં પ્રવેશ મળી શકે છે, પણ શરત એક જ છે કે એ પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલ વાલી-વિદ્યાર્થીના રહેઠાણથી એકથી પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતી હોવી જોઇએ.

રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અન્વયે જાહેર કરાયેલી પહેલી એડમિશન યાદી અન્વયે જેમને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તે વિદ્યાર્થીઓના વાલીઓએ તેમને ફાળવેલી સ્કુલે જઇને જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ સબમિટ કરાવીને પ્રવેશ મેળવી લેવાનો રહેશે. પ્રવેશ મેળવવા માટેની અંતિમ તારીખ 4 ઓગસ્ટ રાખવામાં આવી છે.

July 17, 2021
gseb-1280x720.jpg
1min922

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આજરોજ જાહેર કરેલા ધો.12 સાયન્સના ઔપચારિક પરીણામની વિગતો અત્રે પ્રસ્તુત છે. બોર્ડ દ્વાર ઓફલાઇન પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી તેમજ ધો.10, ધો.11 અને ધો.12ના પરીણામોના આધાર પર મૂલ્યાંકન કરવા માટે શાળાઓને કહેવાયું હતું. શાળાઓએ જે પરીણામ આપ્યું એ બોર્ડે જાહેર કર્યું છે.

બધા વિષયોનું 100 ટકા પરીણામ

બધા જિલ્લાઓનું 100 ટકા પરીણામ રાજકોટના સૌથી વધુ વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં કુલ 829

July 15, 2021
GUJCET-2021.png
1min825

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતમ માધ્યમિક શિક્ષણ બોર્ડે કરેલી જાહેરાત અનુસાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આગામી તા.6 ઓગસ્ટના રોજ લેવામાં આવશે.

ગુજરાતમાં એન્જિનિયરિંગ, ફાર્મસી અને એગ્રિકલ્ચર અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટ પરીક્ષાનો સ્કોર જરૂરી છે.

આ વખતે ગુજકેટનુ મેરીટમાં ભારણ વધારીને 50 ટકા કરવામાં આવ્યું છે.

July 13, 2021
neet_2021.png
1min575

NEET પરીક્ષાની તારીખો આખરે જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે આ અંગેની જાહેરાત કરી છે. શિક્ષણ પ્રધાને ટ્વિટ કર્યું કે NEET (UG) 2021 ની પરીક્ષા 12 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. આ પહેલા આ પરીક્ષા 1 ઓગસ્ટે યોજાવાની હતી. તેમણે જણાવ્યું કે આ સમય દરમિયાન કોવિડ -19 પ્રોટોકોલનું સંપૂર્ણનું પાલન કરવામાં આવશે. તેની અરજીની પ્રક્રિયા મંગળવારથી  NTAની વેબસાઇટ પર શરૂ થશે.

NEET 2021 Exam: NTA to clarify exam dates, important update for UG medical  aspirant | India News | Zee News

કેન્દ્રીય શિક્ષણ પ્રધાને કહ્યું કે કોવિડ -19 પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને, તમામ વિદ્યાર્થીઓને કેન્દ્રમાં જ ફેસ માસ્ક આપવામાં આવશે. આ ઉપરાંત પ્રવેશ અને બહાર નીકળવાનો સમય સ્લોટ નક્કી કરવામાં આવશે. કોન્ટેક્ટલેસ રજીસ્ટ્રેશન, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે.

તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધોરણોનું પાલન કરવા પરીક્ષાઓ લેવાની હોય તેવા શહેરોની સંખ્યા 155 થી વધારીને 198 કરવામાં આવી છે. 2020 ની તુલનામાં પરીક્ષા કેન્દ્રો પણ વધારીને 3862 કરવામાં આવ્યા છે.

NEET UG 2021 એપ્લિકેશન: કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, અરજીની પ્રક્રિયા 13 જુલાઇ, મંગળવારથી શરૂ થશે. અરજી ફોર્મની લિંક નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની વેબસાઇટ nta.ac.in અથવા ntaneet.nic.in ની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ કોઈ પણ વેબસાઇટ પર જઇને આ ફોર્મ ભરી શકે છે.

દેશભરના લાખો વિદ્યાર્થીઓ NEET UG 2021 ની પરીક્ષાની તારીખોની રાહ જોઈ રહ્યા હતા. કોરોના વાયરસની બીજી લહેરને કારણે તેને મુલતવી રાખવી પડી. આ અંગેની વિસ્તૃત માહિતી જાહેર કરવા વિદ્યાર્થીઓ ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા. અગાઉ પરીક્ષાની તારીખ 1 ઓગસ્ટ બતાવવામાં આવી હતી, પરંતુ અરજી ફોર્મ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.