CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 52 of 61 - CIA Live

September 22, 2019
m2.jpg
1min6100
Peanut

વરસાદ ખમૈયા કરે અને હવે તડકો નીકળે તો’ ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન પાછલા વર્ષની સરખામણીમાં બમણું વધીને 32 લાખ ટન થઈ શકે એવું પૂર્વાનુમાન જીજીએન રિસર્ચના ચેરમેન ગાવિંદભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું.’ ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડરનો એક કાર્યક્રમ રાજકોટમાં યોજાયો હતો, એમાં તેમણે દેશમાં કુલ 50 લાખ ટન મગફળી પાકશે એમ જણાવ્યું હતું.

ગાવિંદભાઈએ પાકના અંદાજ અંગે વધુમાં કહ્યું હતું કે, પાછલા વર્ષે 16 લાખ ટન મગફળી ગુજરાતમાં પાકી હતી. જ્યારે દેશમાં 37 લાખ ટન મગફળીનો પાક આવ્યો હતો. ગુજરાતમાં વરસાદ હજુ પણ ચાલુ છે, હજુ વધુ સમય ચાલુ રહે તો પાકમાં નુકસાન થઈ શકે. પાક 30 લાખ ટન સુધી સીમિત રહી શકે. પાકને હવે તડકાની જરૂર છે. તડકો નીકળે તો ગુજરાતનું ઉત્પાદન 32 લાખ ટન સુધી પણ પહોંચી શકે એમ છે.

ઉલ્લેખનીય છેકે સૌરાષ્ટ્રના આગેવાન વેપારીઓ અને નિકાસકારોએ મગફળીના પાકનો અંદાજ 25-30 લાખ ટન આસપાસ આપ્યો છે. કેટલોક વર્ગ વધુ પડતા વરસાદને કારણે પાકને નુકસાન થવાનું કહીને પાકના 30 લાખ ટનના અંદાજ સાથે સહમત નથી. જોકે પાક પાછલા વર્ષ કરતા ઘણો વધારે રહેશે એ નક્કી માનવામાં આવે છે.

આ વર્ષે વરસાદ/પાણી સારા થયા છે. નદીનાળાં છલકાઈ ગયા છે. પાણીની હવે અછત નથી ત્યારે ઉનાળુ મગફળીનો પાક પણ દેશમાં કુલ મળીને 15 લાખ ટન સુધી જઈ શકે છે. પાછલા વર્ષ માં 11 લાખ ટનનું ઉત્પાદન થયું હતું.

તેમણે દેશમાં સોયાબીનના પાકનો અંદાજ 90 લાખ ટનનો આપ્યો હતો. પાછલા વર્ષે સોયાબીનનું ઉત્પાદન 103 લાખ ટનનું થયું હતું. રાયડાનો પાક પણ વધીને 80 લાખ ટન થવાની ધારણા તેમણે મૂકી હતી.

September 22, 2019
diamondsurat-1280x720.jpg
1min6140

હીરાઉદ્યોગમાં જોબવર્કમાં જીએસટી પાંચ ટકાથી ઘટાડીને ૧.૫૦ ટકા કરાતા સુરતના હીરા ઉદ્યોગકારોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. હીરાના જોબવર્કમાં જીએસટીના દરમાં સીધો જ ૩.૫૦ ટકાનો ઘટાડો કરી દેવાતા હીરા ઉદ્યોગકારોએ આ નિર્ણયને આવકાર્યો હતો. સરકારના આ નિર્ણયથી મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગકારોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં અનેક બાબતોમાં જીએસટીમાં રાહત અપાઈ છે. હીરાના જોબવર્ક માટે પહેલા પાંચ ટકાની વસૂલાત કરવામાં આવતી હતી. તેમાં ઘટાડો કરીને ૧.૫૦ ટકા કરાઈ હતી. આ જાહેરાત હીરા ઉદ્યોગકારો માટે ફાયદારૂપ સાબિત થશે કારણ કે, જોબવર્ક કરાવ્યા બાદ ભરપાઈ કરવાના પાંચ ટકા જીએસટી બાદ મળતા ન હતા. આમ મોટી રકમ જીએસટીમાં જમા થતી હતી. આ મામલે સુરતના હીરાઉદ્યોગના અગ્રણીઓ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. લાંબા સમયથી ચાલતી હીરાઉદ્યોગની માગનો અંત આવ્યો હતો.

September 21, 2019
gauri-shankar-lake-bhavnagar.jpg
1min6120

ગુજરાતમાં નર્મદા ડેમની પૂર્ણ સપાટી એટલે કે ૧૩૮.૬૭ મીટર સુધી જળરાશિ ભરાતાં ભાવનગર ખાતે ‘નમામિ દેવી નર્મદે મહોત્સવ’નું આયોજન કરાયું હતું. જે કાર્યક્રમ ગૌરીશંકર તળાવ થાપનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયો હતો. સાંસદ ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, આગામી સમયમાં લિન્ક ચારથી ગૌરીશંકર તળાવને નર્મદાના નીરથી ભરવામાં આવશે, જેથી ભાવનગરને પીવાના પાણીની સમસ્યા નહીં રહે. મહોત્સવમાં ભાવનગરના પ્રજાવત્સલ રાજવી શ્રીકૃષ્ણકુમારસિંહજીનો પ્રજાપ્રેમ રજૂ કરતું નાટક ભજવાયું હતું અને નર્મદાની આરતી તેમજ પૂજન-અર્ચન કરાયું હતું અને મેઘલાડુના પ્રસાદનું વિતરણ કરાયું હતું.

September 9, 2019
saurashtra.png
1min6560

રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના પાંચ જિલ્લાના 79 ડેમો પૈકી 51 ડેમોમાં નવા નીરની આવક થતા ઓવરફલો થયા હતા.

જામનગરના ઉંડ-1ના 14 પાટીયા, ઉંડ-2ના 17 પાટીયા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના રાવલ ડેમ, શિંગોડા, હિરણ-2, મચ્છુન્દ્રી ડેમ નવા નીર છલકાયા હતા.

કમલેશ્વર, હિરણ-1 90% સપાટી સુધી ભરાઈ ગયા છે. જૂનાગઢ સિંચાઈ વર્તુળ હેઠળના 6 ડેમોના પાટીયા ખોલતા નદીઓમાં ઘોડાપુર સર્જાવાના કારણે કુતિયાણા ગામના હેઠવાસના ગ્રામજનોને સચેત કરાયા છે.

ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની કૃપા વધુ એક વખત થતા જિલ્લામાં પાણીનો પુરતો જથ્થો સંગ્રહિત થયો છે.

સાર્વત્રીક વરસાદના પગલે જિલ્લાના પાંચ ડેમમાંથી ચાર ડેમ ઓવરફલો અને કમલેશ્વર ડેમ, હિરણ-1 ડેમ 90% ભરાઈ જતા ઓવરફલો થવાની શકયતાના પગલે હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે.

કોડીનારના જીવાદોરી સમાન શિંગોડા ડેમમાં નવા નીરની આવકના પગલે ઓવરફલો થતા શિગોડા નદીમાં ઘોડાપુર સર્જાયું હતું. શિગોડા ડેમના ત્રણ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. ઉના-ગીરગઢમાં આવેલા આવેલા રાવલ ડેમમાં 10 ફૂટ નવા નીરની આવક થતાં ઓવરફલોના પગલે છ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા હતા. જો કે પાણીની આવક ઘટતા રાવલના દરવાજા બંધ કરી ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા.

ધામળેજના બરડા બંધારા ડેમ ઓવરફલો થતાં સોમતી નદીમાં ઘોડાપુર સર્જાયું હતું.

હિરણ-2, મછુન્દ્રી ડેમ સતત ચોથા દિવસે ઓવરફલો થતાં પાંચ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા હતા. હિરણ-1, કમલેશ્વર ડેમ 90 થી 95 % નવા પાણીથી ભરાય જતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી.

જૂનાગઢ જિલ્લા સિંચાઈ વિભાગ હેઠળના ડેમો જળાશયોમાં રવિવારે 2 થી 6 ઈંચ વરસાદ બાદ નવા નીરની આવક થતાં સિંચાઈ વિભાગ દ્વારા પાણીનું લેવલ જાળવવા માટે હિરણ-1માં 4 દરવાજા, રાવલમાં 6 દરવાજા, સાબલીમાં 2, મધુવંતીમાં 2 દરવાજા ખોલ્યા હતા જે અવિરત ઓવરફલોના પગલે હિરણ-2માં ત્રણ, શિંગોડાના ત્રણ, રાવલના ત્રણ, ઓઝત-2ના 2, સાવલીનો 1, વૃજમીનો-1, રાણા ખીરસરાનો-1 દરવાજો ખોલતા નદીઓમાં ઘોડાપુર સર્જાયા હતા.

માણાવદર પંથકના બાંટવા ખારા ડેમ, રસાલા ડેમ, સણોસરા ડેમમાં નવા નીરના પગલે ભારે પ્રવાહ સાથે ઓવરફલો થઈ રહ્યો છે. બાંટવા ખારો ડેમ ઓવરફલો પગલે કુતિયાણા તાલુકાના તરખાઈ, ધરસણ, ગઢવાણા, રેવદ્રાના હેઠવાસના ગામ લોકોને નદીના પટમાં કુતિયાણા તંત્રએ જવાની મનાઈ ફરમાવી હતી.

પોરબંદરના રાણાવાવમાં બરડા ડુંગરમાં મધ્યે આવેલા ફોદળા ડેમમાં 27 ફૂટ પાણી, ખંભાળા ડેમમાં 18 ફૂટ નવા નીરની આવક થઈ હતી.

રાજકોટ સિંચાઈ વર્તુળ યોજના હેઠળના ડેમમાં મોરબીનો મચ્છુ-1, મચ્છુ-2, મચ્છુ-3, ડેમી-1, ડેમી-2, ડેમી-3 ડેમ ઓવરફલો થયા હતા. જ્યારે જામનગર જિલ્લાનો ફુલઝર-1, આજી-4, પન્ના, ફોફળ ડેમ, રંગમતી, રૂપારેર, સરસોઈ, ઉંડ-1-2-3, દ્વારકા જિલ્લાનો વર્તુ-1, વેરાડી-1, ત્રિવેણી ઠાંગા, વાછપરી, વેરી, ઉમીયા સાગર ડેમ ઓવરફલો થયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાનો ભોગાવો-1-2, લીંબણી, ફાડદંગ બેટી, સોનમળી સહિત આજી-1-2-3, ભાદર-2, શાપરાવાડી-2, ધોળીધજા ડેમ, કોણકી ડેમ, કોબા ડેમ, ગોંડલી, કંકાવટી, કરમાળ, લાલપરી મળી કુલ 79 ડેમોમાંથી 51 ડેમો નવા નીરથી સતત ઓવરફલો થઈ રહ્યાં છે.

September 9, 2019
rajkot_police.jpg
1min7990

ગુજરાતભરમાં ખોવાયેલા મોબાઇલ શોધી આપવામાં અવ્વલ રાજકોટ પોલીસના સાઇબર સેલે છેલ્લા ત્રણ વર્ષ અને આઠ મહિનામાં આશરે છ કરોડથી વધુ કિંમતના છ હજાર જેટલા ફોન શોધીને મૂળ માલિકને પરત આપ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ આજના ટેકનોલોજીના યુગમાં ખોવાયેલા મોબાઈલ શોધવું મુશ્કેલ રહ્યું નથી. ગુજરાતભરમાં દર મહિને હજારો મોબાઈલ ખોવાતા હશે અને તેઓ પોલીસમાં ફરિયાદ પણ કરતા હોય છે ત્યારે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં આશરે છ કરોડથી વધુના મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકને પરત આપ્યા હતા. જેમાં રાજકોટ સાઈબર સેલે વર્ષ ૨૦૧૬માં કુલ એક કરોડ ૬૬ લાખ ૫૫ હજારની કિંમતનાં, વર્ષ ૨૦૧૭માં કુલ એક કરોડ ૪૭ લાખ ૯૪ હજારની કિંમતનાં, વર્ષ ૨૦૧૮માં કુલ બે કરોડ ૭૫ લાખ ૨૪ હજારની કિંમતનાં અને સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં કુલ એક કરોડ ૧૨ લાખ ૭૯ હજારની કિંમતનાં મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કર્યા હતા. જોકે કોઈનો મોબાઇલ ખોવાય તો તેનું બિલ હોવુ જરૂરી છે. તેના આઇએમઈઆઈ નંબર પરથી તેને ટ્રેક કરવામાં આવે છે. ખોવાયેલો મોબાઇલ કોઈ ચાલુ કરી પોતાનું સિમકાર્ડ નાંખે એટલે લોકેશન ટ્રેસ થઈ જાય છે.

September 5, 2019
savji.jpg
1min45280

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતની હીરા પેઢી શ્રી હરી કૃષ્ણ એક્સપોર્ટના ચેરમેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘરોબો ધરાવતા મૂળ સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયા આ વખતે દિવાળી પર તેમના કારીગરોને મોંઘીદાટ ગીફ્ટ જેવી કે મોટરકાર, ફ્લેટ કે જ્વેલરી જેવી ગીફ્ટ નહીં આપે બલ્કી તેમની રોજી, રોટી અકબંધ રહે તે સુનિશ્ચિત કરશે. આ વાત સવજીભાઇ ધોળકીયાએ ભારતના મોટા અખબાર સમૂહ ધ હિન્દુ ને કરી છે.

સુરતના હીરા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયા આ વખતે દિવાળીમાં કામદાર, કર્મચારીઓને મોંધીદાટ ગીફ્ટ નહીં આપે એમ તેમણે ધ હિન્દુને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું.

હિન્દુ બિઝનેસલાઇન ડોટ કોમ પર સુરતના ઉદ્યોગપતિ સવજી ધોળકીયાએ આપેલા સંપૂર્ણ ઇન્ટરવ્યુની લિંક પણ આ આર્ટીકલ પૂરો થયા પછી મૂકવામાં આવી છે.

મંદીનો માર આ વખતે ગોવિંદ ધોળકીયાના હીરા ઉદ્યોગને પણ પડ્યો છે. ધ હિન્દુ જૂથ સાથે વાતચીતમાં સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે 2008 કરતા પણ ભયાનક મંદીનો માહોલ છે. આ વખતે દિવાળીમાં મોંઘી ગીફ્ટ ભૂલી જાવ, હા એ વાત જરૂર છે કે હું મારા 6000 કારીગર, કર્મચારીઓની રોજીરોટીની ફિકર જરૂર કરીશ. અમે જરૂરીયાત પૂરતા ખર્ચ કરી શકીએ, વધારાની જોગવાઇ કરવાનું આ સમયગાળામાં પરવડે નહીં. તેમણે કહ્યું કે એક તરફ લાખો લોકોની રોજગારીનો પ્રશ્ન આ ઉદ્યોગમાં ઉભો થયો છે ત્યારે આવી મોંઘી ગીફ્ટ દિવાળીમાં આપી શકાય એમ નથી.

દિવાળી છોડો ક્રિસમસ સુધી મંદીમાં રાહત મળે તેવા કોઇ સંકેતો નથી : સવજી ધોળકીયા

સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે આ વખતે અમારા માટે સૌથી મોટો પ્રશ્ન ઉદ્યોગ જગતમાં ટકી રહેવાનો છે. સવજીભાઇ ધોળકીયાએ મંદીનો સમય ક્યારે પૂરો થશે એ અંગે કંઇ ટીપ્પણી કહેવા કરતા પોતાના ઇન્ટરવ્યુમાં એવું જરૂર જણાવ્યું છે કે દિવાળી તો છોડો પણ ક્રિસમસ સુધી મંદીનો માહોલમાં રાહત મળે તેવા કોઇ સંકેતો દેખાતા નથી.

https://www.thehindubusinessline.com/news/no-diwali-blast-for-surat-diamantaires-employees/article29339577.ece#

August 28, 2019
CIA_Live_Logo_New2.jpg
1min2961

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

59 વર્ષની ઉંમરે માણસ વૃદ્ધત્વનું વિચારવાનું શરૂ કરી દેતો હોય, સરકારી નોકરીમાં રહેલો વ્યક્તિ નિવૃતિનું વિચારવા માંડે, પણ કાનજીભાઇ ભાલાળાને મળીએ તો લાગે નહીં કે આ વ્યક્તિ ક્યારેય સિનિયર સિટીઝન બનશે નહીં, વિચારોથી નવયુવાનોને ય શરમાવે અને કાર્યોથી યોદ્ધા જેવા કાનજીભાઇને આમ તો સુરતમાં વિકસેલા સૌરાષ્ટ્રમાં સામાજિક ક્રાંતિના પ્રણેતા કહેવાય, તેમણે વધુ એક એવું કર્મ કર્યું છે જેનાથી સમાજના વિશાળ વર્ગને પ્રેરણા મળશે એ મીનમેખ છે. માણસ કોઇપણ ઉંમરે કોઇપણ રચનાત્મક, પ્રેરણાદાયી કાર્ય કરી શકે છે જરૂર છે મક્કમ મનોબળની. માણસ કોઇપણ ઉંમરે કોઇપણ કાર્યની શરૂઆત કરી શકે છે.

ઉંમર માત્ર આંકડો છે, કાનજીભાઈ 59 વર્ષે પણ પોલિટીકલ સાયન્સમાં સુરત અને સૌરાષ્ટ્રમાં સામાજિક ક્રાંતિકારી આગેવાન ગણાતા અને હાલમાં વરાછા કો-ઓપરેટિવ બેન્ક ના ચેરમેન શ્રી કાનજીભાઈ ભાલાળા એ 59 વર્ષની ઉંમરે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ઇન પોલિટિકલ સાયન્સ, બે વર્ષની ડીગ્રી સફળતાપૂર્વક હાસલ કરી છે.

પોલિટીકલ સાયન્સની ડિગ્રી ફક્ત નોલેજ ગેઇન કરવા માટે હાંસલ કરી છે, હું ક્યારેય રાજકારણમાં જોડાવાનો નથી, કાનજીભાઇની ચોખ્ખીચટ વાત

ગતરોજ તા.27મી ઓગસ્ટ 2019ની સાંજે વીર નર્મદ યુનિવર્સિટી એ જાહેર કરેલા એમએ. ઇન પોલિટિકલ સાયન્સ અભ્યાસક્રમના પરિણામમાં કાનજીભાઈ ભાલાળાએ સમગ્ર યુનિવર્સિટીમાં દ્વિતીય ક્રમ સાથે આ ડિગ્રી મેળવી છે, આ સાથે જ કાનજીભાઈ ભાલાળા એ સમગ્ર સમાજને પ્રતીતિ કરાવી છે કે ઉંમર એ માત્ર ગણતરીનો આંક છે વ્યક્તિ ધારે તો કોઈ પણ ઉંમરે કોઈપણ રચનાત્મક અને પ્રેરણાદાયી કાર્ય કરી શકે છે.

C.I.A. Live News સાથે વાતચીત કરતા કાનજીભાઈ ભાલાળા એ કહ્યું હતું કે ત્રણ કારણથી તેઓ 58 વર્ષની ઉંમરે ફરીથી ભણવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ શૈક્ષણિક સંસ્થા તેમજ બેંકિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને નિયમિત રીતે જાહેર સમારંભોમાં તેમણે મોટીવેશનલ વક્તવ્ય આપવા પડે છે. જ્યારે હું જાહેર મંચ પરથી કંઈક બોલતો હું ત્યારે મારી પાસે જ્ઞાનનું ભાથું હોવું જરૂરી છે. નોલેજ બેઝ વગર આટલા વર્ષો સુધી ટકી રહેવું શક્ય હોતું નથી. સતત નોલેજ અપગ્રેડેશન જરૂરી છે અને એ મારા રસનો વિષય છે.

તદુપરાંત સિનિયર સિટીઝન્સ સંગઠનોમાં અવાર-નવાર વક્તવ્ય આપવા જવાનું થતું હોવાથી એમ.એ. પોલિટિકલ સાયન્સ અભ્યાસમાં જોડાવવાનું નક્કી કર્યું હતો. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે એમની પોલિટિકલ સાયન્સ અભ્યાસક્રમ બિલકુલ એક્સટર્નલ ચાલી રહ્યો છે, યુનિવર્સિટીમાં ફક્ત રજિસ્ટ્રેશન કરાવ્યા પછી સેલ્ફ પ્રિપેરરેશન કરીને પરીક્ષા આપવાની હોય છે. 59 વર્ષની ઉંમરે પરીક્ષા ની તૈયારી કેવી કરી? એવા પ્રશ્નના જવાબમાં કાનજીભાઈ ભલા એ કહ્યું કે નિયમિત રીતે ન્યૂઝપેપર સામયિકો નું વાંચન તેમજ પર્યાપ્ત વાંચન સામગ્રી ના અભાવમાં youtube ઉપરથી વિડીયો ટ્યુટોરિયલ્સ જોઈને તૈયારી કરી હતી.

મારા નામની પાછળ મારી 100 વર્ષની માં (M.A.) નું નામ ઉમેરાયું એ વાતની ખુશી અનેરી છે : કાનજીભાઇ ભાલાળા

August 15, 2019
teenpatti.jpg
1min6420

રાજકોટના રેસકોર્સ રીંગ રોડ પરના પોલીસ હેડ કવાર્ટરમાં કે જેમાં ફક્ત અધિકૃત વ્યક્તિઓને જ ઘનિષ્ઠ ચેકિંગ પછી પ્રવેશવા દેવામાં આવે છે એવા હેડક્વાર્ટરમાં આવેલા હાઇરાઇઝ બિલ્ડીંગના નવમા માળે પોલીસ પુત્ર બિન્ધાસ્ત જુગારની કલબ ચલાવતો હતો. પરંતુ, આ બાબત કેટલાક સંનિષ્ઠ પોલીસ જવાનોના ધ્યાને આવતા પોલીસે જ પોલીસ પુત્રની જુગાર ક્લબ પર દરોડો’ પાડીને ત્રણ મહિલા સહિત આઠને ઝડપી પાડ્યા હતા.

સાંકેતિક ચિત્ર

આતંકી હુમલાની દહેશતને પગલે રાજકોટ પોલીસ હેડ કવાર્ટરના દરવાજા પાસે તંબુ પોલીસ ચોકી ઉભી કરવામાં આવી છે. ચોકી પર ફરજ બજાવતા પોલીસમેન અને એસઆરપીમેન દ્વારા બહારની વ્યકિતને પોલીસ હેડ કવાર્ટરમાં દાખલ થવા દેવામાં આવતી નથી. બહારની કોઇ વ્યકિતને હેડ કવાર્ટરમાં જવું હોય તો સઘન ચેકીંગ કરવામાં આવે છે. પરંતુ આ ચેકીંગની કે પોલીસની પરવા કર્યા વગર હેડ કવાર્ટરના હાઇરાઇઝ બિલ્ડીંગના નવમા માળે પોલીસ પુત્ર રવિ જગદીશભાઇ વાઘેલા દ્વારા જુગારની કલબ શરૂ કરવામાં આવી હતી.

પોલીસ હેડ કવાર્ટરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી પીએસઆઇ હાથલિયા અને તેની ટીમે દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન જુગાર રમવા અને રમાડવા અંગે લાઇન બોય રવિ જગદીશભાઇ વાઘેલા, હિતેષ ભરતભાઇ ઢાંકેચા, સુભાષ કાંતિભાઇ ઝાલા, શ્યામ ધનજીભાઇ પરમાર, ગટુ છગનલાલ મકવાણા, સમજુ ઉર્ફે ભાનુ બાબુભાઇ ઝાલા, આરૂષી ઉર્ફે આરતી પ્રવીણભાઇ પંડયા અને કારૂ બાબુભાઇ મકવાણાની ધરપકડ કરવામાં આવી હતી અને રૂ. 37 હજારની રોકડ રકમ કબજે કરાઇ હતી.

August 10, 2019
morbi.jpg
1min13030

શનિવાર તા.10મી ઓગસ્ટના રોજ સમગ્ર રાજ્યમાં મૂશળધાર વરસાદે જનજીવન ખોરવી નાંખ્યું હતું એ દરમિયાન એવા સમાચારોએ ગુજરાતમાં ગમગીની ફેલાવી દીધી હતી કે મોરબીમાં દિવાલ પડવાની દુર્ઘટનામાં એ 8 લોકોના જીવ લીધા હતા.

મળતી માહિતી મુજબ મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલા કામધેનું પાર્ટી પ્લોટ પાસે દિવાલ પડવાની ઘટનામાં ચગદાઇ ગયેલા 8 લોકોના મોત નિપજ્યા હતા.

ઘટનાની જાણ થતા મોરબી SPની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવકામગીરી હાથ ધરી હતી. ફાયર સેફ્ટી વિભાગે પણ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું . સ્થાનિકો પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા . ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તો બીજી બાજુ સ્થાનિકો રોષે ભરાયા છે અને જવાબદાર તંત્ર સામે પગલા લેવાની માગ કરી રહ્યાં છે.

August 10, 2019
nyari_rajkot.jpg
1min8780

રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે ન્યારી-2 ડેમ ઓવરફ્લો થતા ડેમના 10 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. ન્યારી-2 ડેમમાં પાણી છોડવામાં આવતા આસપાસના 3 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘરાજાએ સટાસટી બોલાવતા પાણી પાણી થઇ ગયું છે ખાસ કરીને સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, બોટાદ, રાજકોટ જીલ્લામાં મેઘરાજા વધુ મેહરબાન થઇ રહ્યા છે સુરેન્દ્રનગર જીલ્લાના ચુડામાં ૩૦ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. જયારે ચોટીલામા ૧૮ ઇંચ, વઢવાણ, સુરેન્દ્રનગરમાં સાડા ૧૭ ઇંચ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત લીંબડીમાં ૧પ, બોટાદ જીલ્લાના બરવાળામાં પણ ભારે મેઘ ખાંગા થયા હોય  તેમ ૧પ ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે લખતરમાં સાયાલમાં ૧૪, ઇંચ, મુળી, ધ્રાંગધ્રામાં સાડા ૧૩ ઇંચ તથા સુરેન્દ્રનગર જીલ્લામાં ૮ ઇંચ વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ પડતા શેહરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદના પગલે સાવચેતીના ભાગરૂપે શાળા-કોલેજો બંધ રાખવા જણાવાયું છે. ભારે વરસાદની આગાહીના પગલે કારણ વગર બહાર ન નીકળવા પણ સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં 5 ઈંચ, મોરબીમાં 7 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. આ તરફ જૂનાગઢમાં પણ ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે.

અમરેલીમાં જિલ્લામાં ભારે વરસાદના કારણે તમામ નદી નાળાઓ છલકાય ગયા છે. તો મોરબીમાં પણ 7 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને મચ્છુ 2 ડેમમાં જળ સપાટી 21.56 ફૂટ પહોંચી છે. ભારે વરસાદના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરવમાં આવી છે.

ભારે વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે અને ગઇકાલ સાંજથી ધોધમાર અવિરત વરસાદ વરસતા  ચારે બાજુ પાણી-પાણી થઇ ગયું છે. સુરેન્દ્રનગર અને બોટાદ જીલ્લામાં આભ ફાટયું હોય તેમ સુરેન્દ્રનગર જીલ્લામાં સર્વત્ર ૮ થી ૩૦ ઇંચ વરસાદ પડયો છે. જયારે બોટાદ જીલ્લામાં પણ મેઘતાંડવ યથાવત છે.અને બોટાદના બરવાળામાં ૧પ ઇંચ ગઢડામાં ૧ર, બોટાદમાં ૧૧ અને રાણપુરમાં ૧૦ ઇંચ વરસાદ વરસ્યો છે.