Gujarat Weather Updates : ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગના નાઉકાસ્ટ હેઠળ આગામી ત્રણ કલાક માટે આગાહી કરવામાં આવી હતી. જે અનુસાર પાંચ જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જ્યારે 24 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
ક્યાં ક્યાં રેડ એલર્ટ?
બનાસકાંઠા, દમણ, દાદરા અને નગર હવેલી, વલસાડ, ડાંગ તથા તાપી જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ?
જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભાદરવી પૂનમને લઇને અંબાજી જતાં તમામ માર્ગો પદયાત્રિકોના જય અંબે ના નાદની ગુંજી ઉઠયા છે. પૂનમે મોટી સંખ્યામાં લોકો દર્શન માટે જતા હોય છે. જોકે આ વર્ષે ભાદરવી પૂનમના દિવસે એટલે કે 7 સપ્ટેમ્બરને રવિવારે ચંદ્રગ્રહણ છે.જેથી ચંદ્રગ્રહણના કારણે પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન અને ધજા ચડાવવાના સમયમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યો છે. આ સિવાય રાજ્યના પ્રખ્યાત સોમનાથ, શામળાજી અને દ્વારકાના મંદિરમાં પણ ગ્રહણને કારણે દર્શનના સમયમમાં ફેરફાર કરાયો છે.
અંબાજી મંદિર
સવારની આરતી : 06:00 થી 06:30 દર્શન સમય : 06:00 થી 10:00 દર્શન બંધ : 10:00 થી 12:00 શયનકાળ આરતી : 12:00 થી 12:30 જાળીમાંથી દર્શન : 12:30 થી 05:00 (સાંજે) મંદિર સંપૂર્ણ બંધ : 05:00 પછી
ભાદરવી પૂનમના દિવસે બપોરે 12:30 વાગ્યા બાદ માઇભક્તો મંદિરમાં પ્રવેશી શકશે નહીં. આ સમય પછી ધજા પણ ચઢાવી શકાશે નહીં. જોકે સાંજે 5 વાગ્યા સુધી માત્ર જાળીમાંથી દર્શન કરવાની પરવાનગી રહેશે. 8 સપ્ટેમ્બર 2025થી મંદિરની દર્શન અને આરતીના તમામ સમય રોજની જેમ રાબેતા મુજબ રહેશે.
સોમનાથ મંદિર
ચંદ્રગ્રહણને કારણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ સોમનાથ મંદિર અને ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં નિયમિત પૂજા-આરતી મોકૂફ રહેશે. મંદિરમાં મધ્યાન્હ પૂજન-આરતી અને સાંધ્ય આરતી બંધ રહેશે. દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રહેશે. ગ્રહણ દરમિયાન બપોરની મહાપૂજા આરતી, સાંજની આરતી, ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞ, રુદ્રાભિષેક અને પાઠાત્મક અનુષ્ઠાન સહિતની તમામ પૂજા બંધ રહેશે. ગ્રહણ મોક્ષ બાદ 8 સપ્ટેમ્બરના રોજ પ્રાતઃ દૈનિક પૂજા અને આરતી પુનઃપ્રારંભ થશે.
શામળાજી મંદિર
શામળાજી મંદિર ટ્રસ્ટના મેનેજર પ્રવિણભાઇ ચૌધરીએ જણાવ્યું કે, વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ભાદરવા સુદ પૂનમને રવિવારે ખગ્રાસ ચંદ્રગ્રહણ હોવાથી દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. સાંજે 6 કલાક સુધી દર્શન કરી શકાશે. રવિવારે રાતે ગ્રહણ હોવાથી મંદિર સાંજે 6 વાગે બંધ થશે. સોમવારે સવારે મંદિરમાં પખાલવિધિ કરાશે.
દ્વારકા મંદિર
પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિરમાં ભગવાનના દર્શન ક્રમમાં ફેરફાર કરાયો છે. સવારે 6 વાગ્યે મંગલા આરતી ભક્તોની હાજરીમાં કરવામાં આવશે. ત્યારબાદ સવારના અન્ય ક્રમ નિત્ય મુજબ રહેશે. બીજી બાજુ બપોરે 1:30 વાગ્યે મંદિર બંધ થશે. બપોરે મંદિર બંધ થયા બાદ સામાન્ય દિવસોમાં સાંજે મંદિર ખુલતું હોય છે પરંતુ સાંજે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર બંધ રહેશે. જે બાદ તા. 8 ને સોમવારના રોજ નીચે મુજબ મંદિર દર્શન ખુલશે.
ગુજરાતમાં મેડિકલ, પોલીસ અને ફાયર તેમજ અન્ય આપાતકાલીન સ્થિતિમા મદદ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળશે. રવિવારે (31 ઓગસ્ટ) જનરક્ષક હેઠળ 112 ડાયલ સર્વિસ શરૂ કરવામાં આવી છે અને તમામ પ્રકારની ઈમરજન્સી સેવા માટે 112 નંબર ડાયલ કરવાનો રહેશે. આ માટે અમદાવાદમાં અત્યાધુનિક કૉલ સેન્ટર શરૂ કરાયું છે. જેમાં 150 જેટલા પોલીસ કર્મચારીઓને જવાબદારી સોપવામાં આવી છે. સાથેસાથે ગૃહમંત્રી અમિત શાહે 500 જેટલી 112 જનરક્ષક વાનનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યમાં મેડીકલ ઇમરજન્સી માટે 108, પોલીસ માટે 100, ફાયર બ્રિગેડની સેવા માટે 101, અભયમ હેલ્પલાઇન માટે 181 તેમજ અન્ય આપાતકાલીન સ્થિતિમાં અલગ-અલગ સેવા માટે અલગ-અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળી છે. હવે 112 નંબર ડાયલ કરવાથી તમામ સેવાઓનો લાભ લઈ શકાશે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગર ખાતે યોજાયેલા એક સમારોહમાં 112 જનરક્ષક ઇમરજન્સી સેવાને ખુલ્લી મૂકી હતી. આ સાથે પોલીસે હાઉસિંગના આવાસોનું લોકાર્પણ પણ કર્યું હતું. ડાયલ 112 માટે અમદાવાદ ખાતે એક કૉલ સેન્ટર શરૂ કરાયું છે. જે કૉલ રીસિવ કરીને તુરંત પ્રતિક્રિયા આપીને જે-તે સેવા પહોંચતી કરવા માટે જાણ કરશે. આ ઉપરાંત, દરેક જિલ્લાઓમાં 112 જનરક્ષક કેન્દ્ર કાર્યરત કરાયું છે. જે પીસીઆર વાનનું રીયલ ટાઇમ મોનિટરિંગ કરશે. ગુજરાત પોલીસના બેડામાં નવી 500 વાન ઉમેરવામાં આવતા હવે એક હજાર જેટલી વાન થશે.
112 જનરક્ષક સેવાને 108 મેડિકલ ઈમરજન્સી મોડલના આધારે સંચાલિત રકીને વિકસિત કરવામાં આવશે. જેથી આગામી સમયમાં કૉલ સેન્ટરનો વ્યાપ વધશે.
શક્તિપીઠ અંબાજી ખાતે આજથી (પહેલી સપ્ટેમ્બર) ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે. સાતમી સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મહામેળામાં 30 લાખથી વધુ ભક્તો મા અંબાના ચરણોમાં શિશ ઝૂકાવે તેવી સંભાવના છે. હાલ મંદિરને જોડતા માર્ગો પર સંઘો જોવા મળી રહ્યા છે. આ વખતે સાતમી સપ્ટેમ્બરના ભાદરવી પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ હોવાથી સાંજે પાંચ બાદ દર્શન થઈ શકશે નહીં.
ભાદરવી પૂનમના મેળા માટે તૈયારીને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. તમામ દર્શનાર્થીઓને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલિંગ ઊભી કરવામાં આવી છે. યાત્રાળુઓને લાઈનમાં પીવાના પાણીની સુવિધા મળશે. મંદિર દર્શન બાદ બહાર નીકળવા માટે અંબાજી શક્તિદ્વારની બાજુમાં યાત્રિક પ્લાઝા, હવન શાળાની બાજુનો ગેટ 7 તથા ભેરવજી મંદિર તરફનો ગેટ નંબર 8 રહેશે.
દંડવત પ્રણામ, દિવ્યાંગ, વ્હીલ ચેર યાત્રિક, સિનીયર સિટીઝન તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેન્ડથી મંદિર સુધી વચ્ચેની લાઈનમાંથી સીધા લઈ જવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. દર્શન પ્રવેશ સ્થળથી મંદિર સુધી વ્હીલ ચેર તેમજ ઈલેક્ટ્રીક વાહન, ઈ-રીક્ષાની વિશેષ સુવિધા ઊભી કરાઈ છે. આ વર્ષે ચાર અલગ-અલગ સ્થળોએ વોટર પ્રૂફ ડોમ ઊભા કરવામાં આવ્યા છે. ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે 1200 બેડની વ્યવસ્થા સાથે મલ્ટી પર્પઝ ડોમ, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગ સુવિધા, હાઉસકીપિંગ, સાઈનેજિસ, ફ્લોર કાર્પેટ, ફ્લેગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશન, અગ્નિશામક સાધનો તેમજ સમાન મુકવાની સુવિધા જેવી આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
અંબાજી મહા મેળામાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરાયું છે, જેનું મુખ્ય આકર્ષણ ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરના રોજ રાતે 8.30 કલાકે રહેશે. આકાશમાં રંગબેરંગી લાઇટોથી સજ્જ ડ્રોન દ્વારા માતાજીના મંદિરની છબિ, ‘જય માતાજી’નું લખાણ, ત્રિશૂળ તથા શક્તિના પ્રતિકોની અદભુત્ રચનાઓ થશે.
•1 લાખ 83 હજાર 855 ચોરસ મીટર એરિયામાં કુલ 35 જેટલા પાર્કિંગ કરાયા છે. જેમાં કુલ 22541 કરતા વધારે વાહનો પાર્ક કરી શકાશે. દાંતા રોડ પર 23 તથા હડાદ રોડ પર 12 પાર્કિંગ સ્થળો ઊભા કરાયા છે.
•શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પાર્કિંગ બુક કરી શકે તે માટે Show My Parking એપની ઓનલાઇન સુવિધા. પાર્કિંગના સ્થળેથી મંદિર ખાતે જવા-આવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે મીની બસ સેવા.
•પ્રસાદ વિતરણ માટે કુલ 28 પ્રસાદ કેન્દ્રો ઊભા કરાયા છે. મેળા દરમિયાન કુલ 1000થી 1200 ઘાણ જેટલી પ્રસાદ બનાવવામાં આવશે. 1 ઘાણમાં કુલ 326.7 કિલોગ્રામ પ્રસાદ બનશે. 750 જેટલા કારીગરો પ્રસાદ બનાવવાની કામગીરી કરશે. મેળા દરમિયાન 30 લાખથી વધુ પ્રસાદના પેકેટ વિતરણ કરાશે.
•યાત્રિકો માટે કુલ ચાર સ્થળોએ નિઃ શુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે.
•સુરક્ષા માટે ત્રણ સ્તરના પોલીસ બંદોબસ્ત સાથે 5000 જવાનો. 332થી વધુ કેમેરા થકી સમગ્ર મેળાનું મોનિટરિંગ.
શ્રાવણ મહિનાના અંતમાં ગુજરાતમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા 4 દિવસથી ગુજરાતનાં અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં આજે ગુજરાતનાં તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર – ગાંધીનગર મુજબ, રાજ્યમાં સિઝનનો સરેરાશ 79.06 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 82.91 ટકા, દક્ષિણ ગુજરાતમાં 81.68 ટકા, ઉત્તર ગુજરાતમાં 79.33 ટકા, સૌરાષ્ટ્રમાં 78.57 ટકા અને પૂર્વ મધ્યમાં 75.56 ટકા વરસાદ વરસ્યો છે.
શનિવારે (23 ઓગસ્ટ) શિવભક્તિના પવિત્ર માસ શ્રાવણની પૂર્ણાહુતિ થશે અને તે સાથે જ સૌરાષ્ટ્રમાં ભાદરવી મેળાઓનો પ્રારંભ થશે. આ મેળાઓ સાતમ-આઠમના લોકમેળાની જેમ મુખ્યત્વે મનોરંજન માટે નહીં પરંતુ, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતા મેળાઓ છે. જેમાં શ્રાવણી અમાસના દિવસે પાટણવાવ પાસે ઐતિહાસિક ઓસમ ડુંગર ખાતે માત્રી માતાજી તેમજ મોરબી પાસે રફાળેશ્વરના મેળાઓ અને દ્વારકાના પીંડારામાં પુરાતન મેળાનો આરંભ થયો છે. આ મેળો આગામી મંગળવાર ત્રીજથી ઋષિપાંચમ સુધી સૌરાષ્ટ્રની પાંચાળ ભૂમિની પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વવિખ્યાત તરણેતરના મેળાનો પ્રારંભ થશે.
શ્રાવણી અમાસનો મેળો
મોરબી પાસે ઈ.સ. 1946માં રાજવી લખધીર સિંહજીએ ભવ્ય રફાળેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને આ સ્થળે તે પહેલાથી સ્વયંભુ શિવલિંગ અને સ્વયંભુ પ્રાચીન શિવમૂર્તિ સ્થાપિત છે. આ સ્થળે 60 વર્ષ કરતા વધુ સમયથી શ્રાવણી અમાસે મેળો યોજાય છે અને જૂનાગઢના દામોદર કુંડની જેમ આ સ્થળનું પણ પિતૃતર્પણ માટે સદીથી મહત્ત્વ રહ્યું છે.
આ પણ વાંચોઃ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે ન્યાયની માગ સાથે ધરણાં, વેપારીઓનું બંધનું એલાન
મનોરંજન નહીં પણ ભક્તિ ભાવના
આ ઉપરાંત ખંભાળિયાના શિરેશ્વર મહાદેવ, ભાવનગરના પ્રસિદ્ધ ગોપનાથ મહાદેવ, પાટણવાવ ખાતે ઓસમડુંગર પર માત્રી માતાજીના સાનિધ્યમાં, કાલાવડના રણુજા મંદિર સહિત સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં અનેક સ્થળે ભાદરવી અમાસ સુધી મેળાઓ યોજાશે જે મેળામાં મનોરંજન નહીં પણ ભક્તિની ભાવના સદીઓથી રહેલી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ઋતુચક્ર મુજબ આજથી શરદઋતુનો પ્રારંભ થયો છે.
આ પણ વાંચોઃ અમૂલ ડેરીની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજની અવગણના, ભાજપ સામે પૂર્વ ધારાસભ્યના આક્ષેપ
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.37 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 55 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 66 ડેમ 70 થી 100 ટકા, 36 ડેમ 50 થી 70 ટકા, 30 ડેમ 25 ટકા થી 50 ટકા વચ્ચે અને 19 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 70 ડેમ હાઈ એલર્ટ, 35 ડેમ એલર્ટ તથા 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પાંચ તાલુકાઓમાં 13 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 13 ઇંચથી વધુ, કેશોદ તાલુકામાં 11 ઇંચથી વધુ, વંથલી તાલુકામાં 10 ઈંચથી વધુ તેમજ પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં 10 ઇંચ અને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ચોમાસાની સ્થિતિમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને 14 હજાર થી વધુ રૂટ ઉપર 40 હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે.
જુનાગઢના મેંદરડામાં 4 કલાકમાં અનરાધાર 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, જુનાગઢના વંથલીમાં 5.31 ઇંચ, કેશોદમાં 4.8 ઇંચ, માંગરોળમાં 2.56 ઇંચ, માળિયા હાટીનામાં 2.56 ઇંચ, જુનાગઢમાં 1.97 ઇંચ, જુનાગઢ શહેરમાં 197 ઇંચ, માણાવદરમાં 1.02 ઇંચ અને માણાવદરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
ક્યાં કેટલો ખાબક્યો વરસાદ
આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં જુનાગઢ ઉપરાંત ભાવનગરના મહુવામાં 4.76 ઇંચ, ગીર સોમનાથમાં તલાલામાં 4.06 ઇંચ, અમરેલીના રાજુલામાં 3.35 ઇંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 2.8 ઇંચ અને ગીર ગઢડામાં 2.64 ઇંચ અને પોરબંદરમાં 2.52 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે, 16 તાલુકામાં સરેરાશ 1 ઇંચથી 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.
મધુવંતી નદી બની ગાંડીતૂર, રસ્તાઓ બંધ
મેંદરડામાં મુશળધાર વરસાદથી મધુવંતી નદી ગાંડીતૂર બની છે. નદીના 5 કોઝવે પર ઓવરટોપિંગ થતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. મીઠાપુર અને દાત્રાણા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.
જળાશયોમાં પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલાયા
વંથલી તાલુકાના ખોરાસા ગામ પાસે આવેલા સાબલી જળાશયમાં ઉપરવાસમાં પાણીની આવક વધતા હાલ ડેમના 11 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા છે. વંથલી તાલુકાના ખોરાસા, સેંદરડા અને કેશોદ તાલુકાના મઘરવાડા, માણેકવાડા, ડેરવાણ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
વંથલી તાલુકાના શાપુર ગામ પાસે આવેલા ઓઝત વિયર શાપુર જળાશયમાં પાણીની આવક થતા ડેમમાં હાલ ઓવરફ્લો 1.70 મીટર છે. જૂનાગઢ તાલુકાના બાદલપુર ગામ પાસે આવેલા ઓઝત-2 જળાશયમાં પણ પાણીની આવક વધતા ડેમના 3 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે.
કંટ્રોલ રૂમ શરૂ
વહીવટીતંત્ર દ્વારા 35-40 લોકોને અગમચેતીના ભાગરૂપે સલામત જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી જૂનાગઢના તમામ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા, કોઝવે/રસ્તા પરથી પાણી પસાર થતું હોય ત્યારે તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાત પોલીસે બેડામાં ફરી હડકંપ જોવા મળ્યો છે. ગૃહ વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગે IPS/SPS અધિકારીઓની બઢતી અને બદલીનો ઓર્ડર આપ્યાં છે. રાજ્યભરમાં 105 IPS/SPS અધિકારીઓની બઢતી અને બદલીના આદેશ આપવામાં આવ્યાં છે. જુઓ આ રહી IPS/SPS અધિકારીઓની બઢતી અને બદલીના આદેશની યાદી
પવિત્ર શ્રાવણ માસનો આજે 18/8/25 અંતિમ સોમવાર છે. આજના પાવન દિવસે રાજ્યભરના શિવાલયો ભક્તોના પ્રવાહથી ઊભરાઈ રહ્યા છે. સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેઓ ભોળાનાથ શંભુની પૂજા-અર્ચના કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઉત્સુક છે.
સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન શિવ ભક્તોએ ભક્તિભાવપૂર્વક ભોળાનાથની પૂજા કરી હતી. ત્યારે આજે છેલ્લા સોમવારે શિવલિંગ પર દૂધ, બિલિપત્ર અને પુષ્પ અર્પણ કરીને વિશેષ અભિષેક કરવામાં આવી રહ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોના શિવાલયોને પણ સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. શિવલિંગને વિવિધ શણગાર કરીને મહાદેવને રિઝવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આજે છેલ્લા સોમવારે અભિજિત મુહૂર્ત બપોરે 12:17 થી 1:08 વાગ્યા સુધી ગણાશે, જે પૂજા અને અભિષેક માટે અત્યંત શુભ માનવામાં આવે છે. શિવ મંદિરોમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેમાં સોમનાથ સહિતના પ્રસિદ્ધ શિવ મંદિરો પણ સામેલ છે. ‘હર હર મહાદેવ’ના જયઘોષથી વાતાવરણ શિવમય બન્યું છે. ભક્તો શિવલિંગને અભિષેક કરીને મહાદેવની કૃપા પ્રાપ્ત કરી રહ્યા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.