કોરોના પોઝિટિવ કેસનો આંક ૯૦,૦૦૦, ડિસ્ચાર્જ ૭૨૦૦૦ને પાર, મૃત્યુ ૨૯૪૭ થયાં, ત્રીજા ભાગના કેસ અને પચાસ ટકાથી વધુ મૃત્યુ ધરાવતા અમદાવાદમાં કુલ ૧૬૩ કેસ-પાંચ મૃત્યુ, સુરત-રાજકોટમાં ૪-૪, વડોદરા,૨ મૃત્યુ, દાહોદ અને ગીર સોમનાથમાં ૧-૧ દર્દીના કોરોનાથી મૃત્યુ
ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત નવા ૧૧૯૭ દર્દીઓ મળી આવતાં કુલ પોઝિટિવ કેસનો આંક હવે ૯૦,૦૦૦ને પાર થઇ ચુક્યો છે. આ સાથે ચોવીસ કલાકમાં નવા ૧૦૪૭ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કુલ સાજા થનારાની સંખ્યા ૭૨,૦૦૦ને પાર થઇ ગઇ છે. જ્યારે આ સમયમાં વધુ ૧૭ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થતાં એની સંખ્યા ૨૯૪૭ સુધી પહોંચી છે.
બુધવારે સાંજે પાંચ વાગે પૂરાં થતાં ચોવીસ કલાકમાં રાજ્યમાં સૌથી વધુ કેસ ૨૫૩ સુરતમાં નોંધાયા છે એ જ રીતે શહેર અને ગ્રામ્યમાંથી મળી બે-બે દર્દીઓના મૃત્યુ થયા છે. જોકે, કુલ મૃત્યુમાં એક મહિના પછી પહેલી વખત સુરત અમદાવાદ કરતાં પાછળ રહ્યું છે. અમદાવાદમાં ચોવીસ કલાકમાં કુલ પાંચ દર્દીઓના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે એમાં ચાર શહેરના દર્દી છે અને એક ગ્રામ્ય વિસ્તારના મૃત્યુનો સમાવેશ થાય છે. પોઝિટિવ કેસ અનુક્રમે ૧૪૪ અને ૧૯ નવા નોંધાયા છે.
વડોદરા શહેરમાંથી નવા ૯૦ કેસ અને ગ્રામ્યના ૩૨ મળી ૧૨૨ કેસ ઉમેરાયા છે. શહેરના બે દર્દીના મૃત્યુ થયા છે. ગાંધીનગર શહેરમાંથી નવા ૨૦ કેસ મળ્યા છે જ્યારે ગ્રામ્યમાંથી પણ ૨૩ નવા કેસ ઉમેરાયા છે. આમ એનો કુલ આંક ૪૩ થાય છે.
સૌરાષ્ટ્રમાં જામનગર શહેરમાંથી સૌથી વધુ ૭૯ કેસ અને ગ્રામ્યના ૯ ઉમેરાતાં કુલ ૮૮ કેસ થયા છે. રાજકોટ શહેરમાંથી ૭૭ કેસ અને બે મૃત્યુ તેમજ ગ્રામ્યમાંથી ૨૨ કેસ અને વધુ બે દર્દીના મૃત્યુ થયાનું સરકારે જાહેર કર્યું છે. ગ્રામ્યમાં ધોરાજીની પોલીસ લાઇનના ૧૩ કેસનો સમાવેશ થાય છે. ભાવનગરમાંથી ૨૭ અને ગ્રામ્યના ૧૮ મળી ૪૫ કેસ નવા નોંધાયા છે. જ્યારે જૂનાગઢમાંથી કુલ ૨૯ કેસમાં શહેરના ૧૪ કેસનો સમાવેશ થાય છે.
રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો અમરેલીમાંથી નવા ૩૪ કેસ ઉમેરાયા છે. પંચમહાલ જિલ્લામાં ગોધરા સૌથી વધારે સંક્રમિત થતાં અહીં સઘન ટેસ્ટિંગ ઝુંબેશનો આરંભ કરાયો છે. જિલ્લામાં નવા ૩૧ કેસ ઉમેરાયા છે. ભરૂચ જિલ્લામાંથી વધુ ૨૯ કેસ મળ્યા છે તો કચ્છમાંથી ૨૪ અને બનાસકાંઠામાંથી ૨૩ કેસ નોંધાયા છે.






