ગુજરાતમાં કોરોના મહામારીના છ મહિનામાં પહેલી વખત એક જ દિવસમાં ૭૨,૮૫૭ ટેસ્ટ કરાયા હતા અને એમાં અત્યાર સુધીના સૌથી વિક્રમી ૧૨૦૬ પોઝિટિવ કેસ મળ્યા છે બીજી તરફ આઇસીએમઆરની ગાઇડલાઇન્સ મુજબ ૧૩૨૪ દર્દી એક જ દિવસમાં ડિસ્ચાર્જ થયા છે. આ સાથે રાજ્યનો કુલ પોઝિટિવ કેસનો આંક ૮૪,૪૬૬ સુધી પહોંચ્યો છે જ્યારે સાજા થનારા દર્દીઓનો આંક ૬૭,૨૭૭ થતાં રાજ્યનો રિકવરી રેટ ૮૦ ટકા થઇ ગયો છે. અલબત્ત, છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૪ દર્દીઓના મૃત્યુ સાથે કુલ આંક ૨૮૬૯ સુધી પહોંચ્યો છે.
૮૪૪૬૬ પોઝિટિવ કેસમાંથી ૬૭૨૭૭ સાજા થતાં રિવકરી રેટ ૮૦ ટકા થયો, મૃત્યુ આંક ૨૮૬૯, સુરતમાં ૫, અમદાવાદ ૩, વડોદરા ૨, રાજકોટ, ભાવનગર, આણંદ અને પંચમહાલમાં એક એક મળી કુલ ૧૪ મૃત્યુ
છેલ્લા ચોવીસ કલાકમાં સુરત શહેરમાંથી નવા ૧૬૯ કેસ અને ગ્રામ્યમાંથી વધુ ૮૨ મળી ૨૫૧ કેસ નોંધાયા છે જ્યારે અનુક્રમે ૩ અને ૨ મળી પાંચ દર્દીના કોવિડ સંક્રમણને લીધે મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે દોઢસોથી વધુ કેસ એટલે કે ૧૫૬ કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્યમાંથી નવા ૨૩ કેસ ઉમેરાયા છે. અલબત્ત શહેરમાંથી જ વધુ ૩ દર્દીના મૃત્યુ થયા છે. વડોદરા શહેરમાંથી નવા ૯૭ કેસ અને ગ્રામ્યમાંથી પણ નવા ૨૩ કેસ મળી ૧૨૦ કેસ નોંધાયા છે. શહેરના વધુ બે દર્દીના મૃત્યુ થયા છે. ગાંધીનગર શહેરમાંથી નવા ૧૨ કેસ સાથે એક દર્દીનું મૃત્યુ નોંધાયું છે ગ્રામ્યમાંથી નવા ૧૫ કેસ નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ૬૯ કેસ જામનગર શહેરમાંથી નોંધાયા છે. જ્યારે ગ્રામ્યમાંથી ૮ કેસ નવા નોંધાયા છે. રાજકોટ શહેરમાંથી ૬૦ અને ગ્રામ્યમાંથી ૩૭ કેસ મળી ૯૭ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાંથી વધુ એક દર્દીનું મૃત્યુ કોવિડથી થયું હોવાનું સરકારે સ્વીકાર્યું છે. જૂનાગઢમાંથી કુલ ૩૨ કેસ મળ્યા છે એમાં ગ્રામ્યમાંથી ૧૯ કેસનો સમાવેશ થાય છે. ભાવનગરમાંથી કુલ ૨૭ કેસ નોંધાયા છે એમાં પણ ગ્રામ્યમાંથી આવેલા ૧૫ કેસનો સમાવેશ થાય છે.
મધ્ય ગુજરાતમાં સૌથી વધારે આદિવાસી જિલ્લા પંચમહાલમાંથી સતત નવા કેસ મોટી સંખ્યામાં ઉમેરાઇ રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૪૪ કેસ નોંધાયા છે એની સાથે કચ્છ જિલ્લામાંથી નવા ૩૮ કેસ, ભરૂચમાંથી ૩૧, અમરેલીમાંથી ૨૯ અને દાહોદ જિલ્લામાંથી ૨૮ કેસ નવા નોંધાયા છે. આ તમામ જિલ્લાઓમાં સતત કેસ વધી રહ્યા છે. આની પાછળ સરકારે સઘન ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની પધ્ધતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે એ કારણભૂત છે.
અન્ય જિલ્લાઓની સ્થિતિ જોઇએ તો, મહેસાણામાંથી નવા ૨૭ કેસ નોંધાયા છે તો બનાસકાંઠમાંથી ૨૩, મોરબીમાંથી ૨૦, ગીરસોમનાથથી ૧૭, પાટણમાંથી ૧૫, આણંદમાંથી ૧૪ કેસ નવા નોંધાયા છે. નર્મદામાંથી ૧૧ અને ખેડામાંથી ૧૦ કેસ ઉમેરાયા છે. નવસારી અને સાબરકાંઠામાંથી ૯-૯ કેસ આવ્યા છે જ્યારે બોટાદ, ડાંગ, મહીસાગર, પોરબંદરમાંથી ૮-૮ નવા કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકામાંથી ૬, છોટાઉદેપુરથી ૫, વલસાડમાંથી ૪, અરવલ્લી, સુરેન્દ્રનગરમાંથી ૩-૩ કેસ નવા નોંધાયા છે.
આમ, રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૪૩૨૦ છે જ્યારે ૮૯ દર્દીઓને વેન્ટીલેટરી સપોર્ટ ઉપર રખાયા છે અને ૧૪૨૩૧ દર્દી સ્ટેબલ છે.




