
ગુજરાતમાં પણ ઉત્તરપ્રદેશની જેમ ગુંડારાજ સામે કડક કાયદાકીય જોગવાઇ ધરાવતો “ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ’ને હવે કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. આજરોજ પ્રધાનમંડળની બેઠકમાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સ્વંય આ કાયદાના મુસદ્દાને વટહુકમ સ્વરૂપે રજૂ કર્યું હતું. પ્રસ્તુત કાયદાના અમલથી રાજ્યમાં ધમકી આપવા જેવા મામૂલી કિસ્સામાં પણ પોલીસને આરોપીને ઉપરોક્ત કાયદા હેઠળ હેઠળ જેલમાં પુરવાનો અધિકાર પ્રાપ્ત થશે.
મુખ્યપ્રધાન રૂપાણીએ બે દિવસ પહેલા પાસા એક્ટમાં સુધારો સુચવવા વટહુકમ લાવવાનું જાહેર કર્યા બાદ આજે ગુજરાતમાં ગુંડા એક્ટ અમલમાં લાવવા કેબિનેટની બેઠકમાં વધુ એક વટહુકમ રજુ કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં સામાજિક, ધાર્મિક વ્યવસ્થાના સુચારૂ સંચાલન માટે સાત જેટલા મહત્વના કાયદાઓ અમલમાં આવી ચૂક્યા છે ત્યારે ઉત્તરપ્રદેશ જેવા રાજ્યની તર્જ ઉપર ગુંડા એક્ટ લાવવા પાછળના કારણોમાં તેમણે ગુજરાતમાં દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, નવ વેપાર, બાળકોની જાતિય સતામણી, બનાવટી દવાઓનું વેચાણ, વ્યાજખોરી, જમીન છિનવી લેવી, અપહરણ, ગેરકાયદે કૃત્યો, ગેરકાયદે હથિયાર જેવી અસામાજિક પ્રવૃતિઓ આચરતા ગુંડા તત્વો સામે કડક કાયદાકીય જોગવાઈ ઉભી કરવાના હેતુથી નવો અલગ કાયદો (સ્પેશિયલ એક્ટ) સરકાર દ્વારા લાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
પ્રસ્તુત વટહુકમ અંગે ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટીવિટીઝ ઍક્ટને મજૂરી મળતા હવે ગુજરાતમાં ગુંડાગીરી કરનારાની મિલકત જપ્ત કરી શકાશે. એટલું જ નહીં ગુંડાગીરી કરનારાને 10 વર્ષની સજા અને 50 હજાર દંડ પણ થશે. ગુંડાઓ સામેના કેસ ચલાવવા અને ઝડપી ન્યાયિક તપાસ માટે સ્પેશિયલ કોર્ટ રચાશે. ગુનો નોંધતા પહેલા રેન્જ આઇજી, કમિશનરની મંજૂરી જરૂરી છે. સાક્ષીઓને પુરતું રક્ષણ આપવામાં આવશે
આ કાયદા હેઠળ શાંતિમાં બાધક, સામુદાયિક સંવાદિતાને ખલેલ પહોંચડાવા હિંસાનો આશ્રય લેવો, પ્રજામાં ગભરાટ ફેલાવવો કે આંતક ફેલાવવો, ખંડણીના ઈરાદાથી વ્યક્તિનું અપહરણ કરવુ, નાણાં ધિરધાર અધિનિયમ હેઠળ વ્યાજ કે મુદ્દલ વસૂલાતમાં કોઈ પણ વ્યક્તિની મિલકત લઈ લેવા શારિરીક હિંસા કરવી કે ધમકી આપવી, ગેરકાયદેસર પશુધન, દારૂગોળાની હેરફેરમાં સંડોવણી જેવા ગુનાઓને પણ આવરી લેવાયા છે.
આ ઉપરાંત દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બનાવટી દવાનું વેચાણ, લોન શાર્ક (વ્યાજ ખોર), જમીન છીનવી લેવી, અપહરણ, ગેરકાયદે કૃત્યો, ગેરકાયદેસરના હથિયારો વગેરે જેવી અસામાજિક પ્રવૃતિઓ આચરતા ગુંડા તત્વો સામે કડક કાયદાકીય જોગવાઇ ઉભી કરવાના હેતુથી નવા અલગ કાયદાની આ દરખાસ્ત કરવામાં આવી છે.’
તેમણે કહ્યું કે, ગુજરાતે તમામ ક્ષેત્રમાં વિકાસ કર્યો છે અને બીજા રાજ્યો અનુકરણ કરે એ માટે એક આદર્શ રાજ્ય તરીકે ઉદ્દભવ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સુચારૂ પરિસ્થિતિ જળવાઇ રહે અને ગુંડાના કૃત્યો જાહેર વ્યવસ્થાને ખલેલ ન પહોંચાડી શકે જેથી ગુજરાત સરકારના વિકાસ પ્રયત્નોમાં ક્યારેય અવરોધ ઉભો ન થાય તે માટે હિંસા, ધમકી અને બળજબરી આચરીને કાયદાનું પાલન કરનાર નાગરીકોનું શોષણ કરતા ગુંડા તત્વોની અસામાજિક પ્રવૃતિઓને રોકવા માટે વૈધાનિક પગલું લેવાની ખાસ જરૂર હતી.





