CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 31 of 61 - CIA Live

September 19, 2020
School-kids-with-heavy-bags.jpg
1min447

કોરોનાનાં કપરા કાળમાં શાળાની ફીનો મુદ્દો ખાનગી શાળાઓ, સરકાર અને છાત્રોનાં વાલીઓ માટે જટિલ કોયડો બની ગયો છે. હાઈ કોર્ટનાં આદેશને પગલે ગુજરાત સરકારે શાળા સંચાલકોને ફીમાં રાહતની ભલામણો કરી હતી. જેનો શાળાઓએ અસ્વીકાર કરી નાખેલો. જેને પગલે રાજ્ય સરકારને ફરીથી ગુજરાત હાઈ કોર્ટનાં દ્વારે જવું પડેલુ અને આ વખતે સરકારની હાલત વધુ કફોડી બની ગઈ છે. હાઈ કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે આ મામલે નિર્ણય લેવા માટે રાજ્ય સરકાર પાસે સંપૂર્ણ સત્તા હોવા છતાં સરકાર અદાલતમાં આવે તે ખેદજનક છે. આમ હવે વાલીઓ અને શાળા સંચાલકોમાંથી કોની માગણીનો પક્ષ લેવો અને કેવો વચલો માર્ગ કાઢવો તેની દ્વિધામાં સરકાર ઘેરાઈ ગઈ છે.

ગુજરાત હાઇ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કરી દીધું છે કે, રાજ્ય સરકાર પાસે આ મામલે નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા છે. આથી હવે ગુજરાત સરકાર જે ફી નક્કી કરશે તે ફી સંચાલક મંડળે સ્વીકારવી પડશે. ગુજરાતમાં શાળાઓની ફી મામલે ગુજરાત સરકાર તરફથી હાઇ કોર્ટમાં કરવામાં આવેલી અરજીનો આજે હાઇ કોર્ટે નિકાલ કર્યો છે. આ સાથે જ હાઇ કોર્ટે કહ્યું છે કે, કોરોના કાળ દરમિયાન શાળાઓની ફી નક્કી કરવા માટે સરકાર પાસે પૂરી સત્તા છે.

મહત્ત્વનું છે કે, કોરોના કાળમાં સ્કૂલ અને કોલેજો બંધ હોવાથી ગુજરાત વાલી સંચાલક મંડળે સ્કૂલોને ફીમાં રાહત આપવાની માગણી કરી હતી. જોકે, સંચાલકો તૈયાર ન થતાં આ મામલે સંચાલક મંડળે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. જે બાદમાં રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડીને સ્કૂલો ન ખૂલે ત્યાં સુધી સંચાલકો ફી નહીં ઉઘરાવી શકે તેવી જાહેરાત કરી હતી. સરકારના આ પરિપત્રના વિરોધમાં સંચાલક મંડળ હાઇ કોર્ટમાં ગયું હતું. આ મામલે હાઇ કોર્ટે સરકારનો પરિપત્ર રદ કરી નાખ્યો હતો અને સ્કૂલ સંચાલકો અને સરકારને સાથે બેસીને આ મામલે કોઈ નિરાકરણ લાવવાનો આદેશ કર્યો હતો. જે બાદમાં સરકાર તરફથી સ્કૂલ સંચાલકોને ફીમાં 25 ટકાનો ઘટાડો કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, સ્કૂલ સંચાલકોએ આ વાત સ્વીકારી ન હતી અને તેઓ સ્કૂલ ફીમાં કરેલો 10 ટકાનો વધારો જ જતો કરવા માટે રાજી થયા હતા. આ મામલે ગુજરાત સરકારે ફરીથી હાઇ કોર્ટમાં અરજી કરી હતી.

રાજકોટ શહેર સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનાં પ્રમુખ અજય પટેલે પણ ચુકાદાને શિરોમાન્ય ગણાવતા કહ્યું હતું કે, વાલીઓને ન્યાયતંત્ર અને સરકાર ઉપર પૂરો વિશ્વાસ છે. સરકાર હવે બધાનું હિત ધ્યાને રાખીને યોગ્ય નિર્ણય લેશે તેવી આશા રાખવામાં આવે છે.

September 16, 2020
Remya-Mohan-IAS-GJ-Indian-Bureaucracy.jpg
1min5540

કોરોનાનો કહેર સમાજના દરેક લોકો પર એકધારો વરસી રહ્યો છે. આજરોજ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન પણ કોરોના સંક્રમિત થતા કલેક્ટર કચેરી અને અધિકારીગણમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

કલેક્ટર રેમ્યા મોહન છેલ્લા છ મહિનાથી એકધારા કોરોનાને કાબુમાં લેવા દોડધામ કરી રહ્યા હતા. આજે પણ કોરોના સંદર્ભે યોજાયેલી બેઠક બાદ તેમની તબિયત પ્રતિકુળ જણાઈ હતી. ગળામાં બળતરા થતા તેમણે કોરોનાનો એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટીવ આવ્યો હતો. તેમણે કોરોનાની પ્રાથમિક સારવાર સરકારી હોસ્પિટલમાં લીધી હતી અને બાદમાં હોમ આઈસોલેટ થયા હતા.

કલેક્ટરને કોરોનાના હળવા એ સિમ્ટોમેટિક લક્ષણો જણાયા છે. નાદુરસ્તી છતાં રજા પર ઉતરવાને બદલે કલેક્ટરે 14 દિવસ સુધી ક્વોરન્ટાઈન પીરીયડ દરમિયાન ઘરેથી જ વહીવટી કામગીરી કરવાનો નિર્ધાર કર્યો છે. તેમજ તેમની સાથે તાજેતરમાં સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અનુરોધ કર્યો છે.

સમાજના એક પછી એક પ્રતિષ્ઠિત લોકોને સંક્રમિત કરતા કોરોનાએ આજે જાણીતા વકીલ અને રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અનીલભાઈ દેસાઈને પણ સંક્રમિત કર્યા છે. તેમને કોરોનાના હળવા લક્ષણો છે અને હોમ ક્વોરન્ટાઈન થયા છે.

ગઈકાલે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયા કોરોના પોઝિટીવ જાહેર થયા હતા. નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં જિલ્લા બેંકમાં વડી કચેરીમાં પ સહિત વિવિધ ર00 જેટલી શાખામાં કુલ 18 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે.  

September 15, 2020
sabji_market-1280x720.jpg
1min5640
file photo

કોરોનાને કારણે કામધંધાની ગતિ ધીમી પડી ગઈ હોવાથી આર્થિક મંદી પણ ઊભી થઈ છે, લોકોની આવકમાં ઘટાડો થયો છે, પગાર પણ કપાઈને મળી રહ્યા છે ત્યારે આવી આર્થિક સ્થિતિ વચ્ચે શાકભાજીના અચાનક વધી ગયેલા ભાવે સુરતીઓને ચિંતામાં મૂકી દીધા છે.

ગૃહિણીઓનું મન્થ્લી બજેટ કોરોનાને કારણે પહેલાં જ હલબલી ગયું છે અને છેલ્લા બારેક દિવસથી શાકભાજીના ભાવમાં ૧૦થી ૧૫ ટકા હોલસેલ માર્કેટમાં વધારો થતાં બજેટ કઈ રીતે જાળવવું એ સમજાઈ નથી રહ્યું. જોકે રાહતની એ વાત પણ છે કે કદાચ વીસેક દિવસ પછી આ ભાવ નીચે જઈ શકે એવી શક્યતા છે, પરંતુ નવરાત્રિમાં પાછા ભાવ વધી શકે એ શક્યતાને પણ નકારી શકાય એમ નથી.

કોરોના અને એને કારણે થયેલા લૉકડાઉનને લીધે વેપારીઓને રૂપિયાની કમાણી નથી અને નોકરિયાત પાસે ક્યાં તો નોકરી નથી અને ક્યાં તો નોકરીમાં કપાતી સૅલેરીમાં કામ કરવું પડે છે ત્યારે શાકભાજીના ભાવમાં થયેલો તોતિંગ વધારો પડેલા પર પાટુ જેવો છે. આમાં ખરો મરો થાય છે મિડલ-ક્લાસનો.

શાકભાજીના ભાવમાં અચાનક થયેલા વધારા વિશે વાત કરતાં સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના આગેવાને જણાવ્યું હતું કે ‘લૉકડાઉન પહેલાં માર્કેટમાં 400 પ્લસ જેટલી ટ્રકો દરરોજ આવતી હતી, પરંતુ હાલમાં 250 ટ્રક જ આવી રહી છે. હાલમાં વરસાદને લીધે સારો માલ ઓછો અને ખરાબ માલ વધુ આવી રહ્યો હોવાથી છેલ્લા ૧૦-૧૨ દિવસથી અચાનક શાકભાજીના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો હોલસેલ માર્કેટમાં વધારો થયો છે. અચાનક પડી રહેલા વરસાદને કારણે પાકને પણ નુકસાન થઈ રહ્યું છે.’

એપીએમસી માર્કેટમાં શાકભાજીના ભાવ વધતાં રીટેલ માર્કેટમાં અનેક ઠેકાણે ગ્રાહકો પાસેથી મન ફાવે એ ભાવ વસૂલાઈ રહ્યા છે. ટમેટાં ૫૦થી ૭૦ રૂપિયા કિલો, ફ્લાવર ૪૦થી ૭૦ રૂપિયા કિલો, કોથમીર ૩૦ રૂપિયા ઝૂડી એ રીતે મન ફાવે એવા ભાવ ગ્રાહકો પાસે લેવાઈ રહ્યા છે. ગ્રાહકો નાછૂટકે વધુ ભાવ ચૂકવીને પણ શાકભાજી ખરીદવા મજબૂર છે.

September 15, 2020
m2.jpg
1min5420
Peanut

સરકાર દર વર્ષની માફક લાભપાંચમથી મગફળીની ટેકાના ભાવની ખરીદી કરશે તેવી જાહેરાત પછી વ્યાપક વિરોધ થતાં સરકારે એક મહિનો વહેલી 21 ઓક્ટોબરથી ખરીદીનો આરંભ કરવાની નવી જાહેરાત કરી છે.
અગાઉ સરકારે લાભ પાંચમ અર્થાત્ 19 નવેમ્બરના રોજથી ખરીદી કરવા જાહેરાત કરી હતી. જોકે આ વર્ષે અધિક માસ છે એટલે આ દિવસ આડે સવા બે મહિના બાકી હતા. એ દરમિયાન હજારો ખેડૂતોની મગફળી સસ્તામાં વેચાઈ જવાનો ભય હતો. પરિણામે વેપારીઓ અને કિસાન સંઘ દ્વારા દ્વારા આકરી પ્રતિક્રિયા આપીને વહેલી ખરીદી માટે રજૂઆત કરવામાં આવી હતી. તે’ સફળ થઈ છે. કૃષિ મંત્રી આર સી ફળદુએ કરેલી જાહેરાત પ્રમાણે હવે 21 ઓક્ટોબરથી ખરીદીનો આરંભ થશે.
એ માટે 1 ઓક્ટોબરથી ખેડૂતોનાં નામની નોંધણી કરવામાં આવશે. 20 દિવસ નામ નોંધ્યા પછી ખરીદી કરાશે. 90 દિવસ સુધી સરકાર ખેડૂતોની મગફળી ટેકાના ભાવથી ખરીદશે. નાફેડ દ્વારા પુરવઠા નિગમ મારફતે ખરીદી કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, ચાલુ વર્ષે વર્ષાઋતુમાં સારો વરસાદ થવાના પરિણામે રવી અને ઉનાળુ સીઝનમાં પણ ખેડૂતો વધુ વાવેતર કરી શકશે. રાજ્યમાં મગફળીની ખરીદી મણે રૂ. 1055ના ભાવે કરાશે. મગફળીની ખરીદી બાદ કઠોળ પાકોની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

September 14, 2020
corona-gujarat.jpg
1min5340

છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યભરમાં ૬૮,૪૩૯ જેટલાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૩૨,૮૮,૮૧૧ ટેસ્ટ કરાયા છે. એમાંથી કુલ ૧,૧૩,૬૬૨ પોઝિટિવ કેસ મળ્યા છે જ્યારે ચોવીસ કલાકમાં વધુ ૧૨૦૫ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ સાજા થનારની સંખ્યા ૯૪,૦૧૦ સુધી પહોંચી છે. આ સાથે કુલ રિવકરી રેટ વધીને ૮૨.૭૧ ટકા સુધી પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક વધીને ૩૨૧૩ થયો છે. જોકે, જૂન મહિના સુધી ૭ ટકાની સરેરાશ હતી, એ દર ઘટીને ૨.૯ ટકા થયો છે. આ સિવાય હાલ એક્ટિવ કેસનો આંક ૧૬૪૩૯ છે એમાંથી ૮૭ દર્દી વેન્ટીલેટરી કેર ઉપર છે જ્યારે ૧૬૩૫૨ દર્દીઓ સ્ટેબલ છે.

કોરોનાથી સંક્રમિત રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી નવા ૧૩૨૬ કેસ પોઝિટિવ મળ્યા છે એમાં પચાસ ટકાથી વધુ હિસ્સો અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાંથી જ ૬૮૨ કેસનો છે. આ જ રીતે રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કોરોનાથી સંક્રમિત દર્દીઓમાંથી વધુ ૧૫ના મૃત્યુ થયા છે તેમાં સૌથી વધુ સુરતમાં ૬, અમદાવાદ ૪, વડોદરા ૨, રાજકોટ, ભાવનગર અને ભરૂચમાંથી ૧-૧ દર્દીનો સમાવેશ થાય છે.

સુરત શહેરમાંથી નવા ૧૭૫ જ્યારે ગ્રામ્યમાંથી ૧૦૬ કેસ મળી ૨૮૧ કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાંથી ૧૭૨ કેસ નોંધાયા છે એમાં શહેરમાંથી નવા ૧૫૧ કેસનો સમાવેશ થાય છે. રાજકોટ અને જામનગર શહેરમાંથી ૯૯-૯૯ કેસ નોંધાયા છે જ્યારે આ બન્ને જિલ્લામાંથી અનુક્રમે ૫૧ અને ૨૧ કેસનો સમાવેશ થાય છે. વડોદરા શહેરમાંથી ૮૫ નવા કેસ આવ્યા છે જ્યારે જિલ્લામાંથી ૩૯ કેસનો ઉમેરો થયો છે. ભાવનગર શહેરમાંથી ૩૯ મળી કુલ ૬૯ કેસ નોંદાયા છે. ગાંધીનગર શહેરમાંથી નવા ૧૭ અને ગ્રામ્યના ૨૯ કેસ નોંધાયા છે. જૂનાગઢમાંથી નવા ૩૬ કેસ મળ્યા છે તેમાં શહેરના ૧૭ કેસનો સમાવેશ થાય છે.

મહાનગરો અને એના આસપાસના જિલ્લાઓમાં પ્રસરેલાની સાથોસાથ અન્ય જિલ્લાઓમાં જોઇએ તો મહેસાણામાંથી નવા ૩૨ કેસ, પંચમહાલમાંથી ૩૦, કચ્છ ૨૮, અમરેલીમાંથી ૨૫ કેસ નોંધાયા છે. આ જ રીતે ભરૂચમાંથી ૨૧, સુરેન્દ્રનગરમાંથી ૧૯ કેસ, બનાસકાંઠા ૧૮, દાહોદ ૧૭ કેસ નવા નોંધાયા છે. જ્યારે મોરબીમાંથી ૧૫, ગીર સોમનાથ ૧૪, સાબરકાંઠામાંથી ૧૩ નવા કેસ ઉમેરાયા છે. ખેડા અને પાટણમાંથી ૧૧-૧૧ કેસ આવ્યા છે. જ્યારે આણંદમાંથી ૧૦ અને નર્મદામાંથી ૯ કેસ નોંધાયા છે.

મહીસાગર, નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાંથી ૮-૮ કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા અને બોટાદમાંથી ૬-૬, પોરબંદરમાંથી ૫, અરવલ્લીમાંથી ૩, છોટાઉદેપુર ૨ કેસ નોંધાય છે.

September 12, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6240

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

અમરેલી જિલ્લા પોલીસ વડાએ અમરેલીમાં ફેલાઇ રહેલી એક અફવા અંગે ટ્વીટ કરીને ચીમકી આપવી પડી છે.

અમરેલી જિલ્લા પોલીસવડાનું ટ્વીટ

WHO દ્વારા આરોગ્ય વિભાગને કોરોનાના દર્દી દીઠ રૂ. ૧.૫ લાખ અપાય છે એ વાત તદ્દન ખોટી છે. આવી અફવા ફેલાવનાર વિરૂદ્ધ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ અને IPC એકટની કલમ – ૫૦૫ મુજબ ગુન્હો દાખલ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના પેશન્ટ દીઠ દોઢ લાખ રૂપિયા આરોગ્ય વિભાગને અપાય છે એવી અફવા સમગ્ર રાજ્યમાં ફેલાયેલી છે

એવું નથી કે ફક્ત સૌરાષ્ટ્રમાં એવી અફવા ફેલાયેલી સંભળાય રહી છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આરોગ્ય વિભાગને દોઢ લાખ રૂપિયાનું ફંડ પેશન્ટ દીઠ આપવામાં આવી રહ્યું છે. લોકો પોતાના વ્હોટ્સએપ મારફતે આ પ્રકારની અફવાઓ જુદા જુદા ગ્રુપોમાં ફેલાવી રહ્યા છે અને આજે સામાન્ય લોકોમાં એ છાપ ઘર કરી ચૂકી છે.

અમરેલી એસ.પી.એ. આ અફવાનું ખંડન કર્યું છે અને તેને ફેલાવનારાઓ સામે પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી છે.

September 9, 2020
corona-gujarat.jpg
1min4920

ગુજરાતભરમાંથી કોરોનાના નવા સંક્રમિત ૧૨૯૫ દર્દીઓ મળી આવ્યા છે જ્યારે સારવાર હેઠળના વધુ ૧૩ દર્દીઓના ગંભીર ચેપની અસરથી મૃત્યુ થયા છે. અલબત્ત, આ સમયગાળામાં નવા ૧૪૪૫ દર્દીઓને આઇસીએમઆરની ગાઇડલાન્સ મુજબ ડિસ્ચાર્જ કરાયા છે એ સાથે રાજ્યમાં કુલ ૧,૦૬,૯૬૬ પોઝિટિવ દર્દીઓ સામે સાજા થનારની સંખ્યા ૮૭,૪૭૯ થઇ છે એટલે કે રાજ્યનો રિવકરી રેટ ૮૧.૭૮ ટકા થયો છે. જોકે, મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા પણ ૩૧૩૬ સુધી પહોંચી છે.

છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ સંક્રમિત એવા આઠ મહાનગરો અને એના જિલ્લાઓમાં જોઇએ તો સુરતમાંથી નવા ૨૬૫ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૭૭નો સમાવેશ થાય છે ગ્રામ્ય અને શહેરમાંથી ૩-૩ દર્દીના મૃત્યુ થયા છે. આ જ રીતે અમદાવાદમાં કુલ ૧૭૦ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૪૮ કેસનો સમાવેશ થાય છે. શહેરના વધુ ૩ દર્દીના મૃત્યુ પણ થયા છે. રાજકોટ શહેરમાંથી ૯૮ કેસ અને ગ્રામ્યમાંથી ૩૬ મળી ૧૩૪ કેસ નવા ઉમેરાયા છે. રાજકોટ શહેરના બે દર્દીના મૃત્યુ કોરોનાથી થયાનું જાહેર કરાયું છે.

વડોદરા શહેરમાંથી નવા ૮૪ અને ગ્રામ્યના ૪૦ મળી ૧૨૪ કેસ નોંધાયા છે. શહેરના એક દર્દીનું મૃત્યુ થયું છે. જામનગર શહેરમાંથી નવા ૮૩ કેસ મળ્યા છે જ્યારે ગ્રામ્યના ૧૬ કેસ છે. ભાવનગરમાંથી ૪૧ કેસ નવા ઉમેરાયા છે એમાં શહેરના ૨૬ કેસનો સમાવેશ થાય છે. જૂનાગઢમાં કુલ ૩૬ કેસ અને ગાંધીનગરમાંથી કુલ ૩૫ કેસ આવ્યા છે. ગાંધીનગર ગ્રામ્યના એક દર્દીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પણ થયું છે.

આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો પંચમહાલમાંથી નવા ૩૪ કેસ મળ્યા છે તો કચ્છમાંથી ૩૨ કેસ ઉમેરાયા છે. પાટણમાંથી ૨૮, અમરેલીના ૨૭, મોરબીમાંથી ૨૬ અને મહેસાણામાંથી ૨૩ કેસ નવા નોંધાયા છે. બનાસકાંઠા અને ભરૂચમાંથી ૨૨-૨૨ કેસ મળ્યા છે. આ જ રીતે દાહોદ અને દેવભૂમિ દ્વારકામાંથી ૧૯-૧૯ કેસ નોંધાયા છે. આણંદ, મહીસાગર અને સુરેન્દ્રનગરમાંથી નવા ૧૫-૧૫ કેસ, ગીર સોમનાથમાંથી નવા ૧૪ કેસ ઉમેરાયા છે.

નવસારી અને તાપી જિલ્લામાંથી ૧૨-૧૨ કેસ, નર્મદા અને સાબરકાંઠમાંથી ૧૦-૧૦ કેસ, ખેડાના ૮, બોટાદ અને છોટાઉદેપુરમાંથી ૭-૭ કેસ નોંધાયા છે. વલસાડમાંથી ૬, ડાંગમાંથી ૪ અને પોરબંદરમાંથી ૩ કેસ ઉમેરાયા છે.

આમ, પાછલા ચોવીસ કલાકમાં નવા ૭૨,૦૭૬ ટેસ્ટ કરાયા હતા. જે સતત ચાર દિવસના સરેરાશ સ્તરે છે. આ સાથે કુલ આંક ૨૯,૨૫,૪૪૭ ટેસ્ટ સુધી પહોંચ્યો છે અત્યાર સુધીમાં ૧,૦૬,૯૬૬ પોઝિટિવ કેસ થવા જાય છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૬૩૫૧ છે એમાં ૮૨ વેન્ટીલેટર ઉપર છે અને બાકીના ૧૬૨૬૯ સ્ટેબલ છે.

September 9, 2020
rally.jpg
1min4880

કમલમ્ માં કોરોનાના કેસો મળ્યા ત્યાં સુધી આંખો ઉઘડી નહીં

તા.8મી સપ્ટેમ્બરે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ માં પ્રવક્ત પંડ્યા સમેત આઠેક જણા કોરોના પોઝીટીવ આવ્યાના સમાચારો બાદ ભાજપ કાર્યાલયમાં ગતિવિધિઓ પર બ્રેક લાગી, ઉલ્ટાનું તા.8મીએ પ્રદેશ યુવા પાંખની મિટીંગ પણ મોટા ઉપાડે યોજવામાં આવી, પરંતુ, બપોર બાદ ખુદ ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની તબિયત બગડતા ભાજપે કમલમમાં ગતિવિધિઓ પર રોક લગાડવાનું શરૂ કર્યું. ગુજરાત ભાજપના પ્રમુખ પદે સી.આર.પાટીલના આગમન પછી રાજ્યભરમાંથી મોટા પ્રમાણમાં કાર્યકરોની ભીડ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે કોરોનાએ દેખા દીધી છે. અહીં ચારેક જણાને કોરોના થયો છે.

કાર્યાલય મંત્રી પરેશ પટેલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, કર્મચારીઓને લાવવા લઇ જવા માટે ઉપયોગમાં લેવાતી કારના ડ્રાઇવર, બે સફાઇ કર્મચારીઓને કોરોના થયો છે. આને પગલે મંગળવારથી કાર્યાલયમાં તમામ ગતિવિધિઓને નિયંત્રિત કરી દેવાઇ છે. અંદર દાખલ થનારનું ટેમ્પરેચર માપવા માટે ગનનો ઉપયોગ શરૂ કરાયો છે જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ માટે પટ્ટીઓ ગોઠવવામાં આવી છે. જોકે, આ પરિસ્થિતિ વચ્ચે આજે યુવા મોરચાની બેઠક યોજાઇ હતી. જેમાં પાટીલ અનુપસ્થિત રહ્યાં હતાં. જ્યારે મંગળવારે જયદ્રથસિંહ પરમારે હાજર રહી કાર્યકરોની રજૂઆતો સાંભળી હતી.

ખુદ સી.આર. પાટીલ સપડાયા

ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ  સી.આર. પાટીલ મંગળવારે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બંધબારણે બેઠક કર્યા પછી એકાએક એપોલો હોસ્પિટલમાં દાખલ થયા હતાં. કોરોનાની મહામારી વચ્ચે ગયા મહિને રાજકીય મેળાવડાઓ પર પ્રતિબંધ હતો છતાંય દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને હમણાં ઉત્તર ગુજરાતમાં રેલીઓ યોજ્યા પછી પાટીલે હોસ્પિટલની વાટ પકડતાં અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે. પાટીલે પોતે ટ્વીટ કરીને જાહેર કર્યું છે કે, તેમનો એન્ટીજેન રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટની રાહ જોવાય છે. એક માહિતી મુજબ એમના ચેસ્ટ સીટી સ્કેન રિપોર્ટમાં સંક્રરમણ હોવાની ચર્ચા છે. જોકે, હોસ્પિટલે પાટીલ અંગે સત્તાવાર કોઇ હેલ્થ બુલેટિન બહાર પાડ્યું નથી.

અહીંથી ભાજપાની રેલીઓ-મેળાવડાઓ કોરોના કરીયર બનવા માંડ્યા

70 વર્ષીય પાટીલને ગયા મહિને જ ભાજપ નેતૃત્વએ પ્રદેશની જવાબદારી સોંપી હતી અને એ સાથે જ એમણે રાજ્યભરનો પ્રવાસ શરૂ કર્યો હતો. આ પ્રવાસને પગલે વેરાવળ તાલુકા ભાજપના મહામંત્રી કોરોનાગ્રસ્ત થયા હતા અને ટૂંકી સારવાર બાદ મૃત્યુને ભેટ્યા હતાં.. ત્યાર બાદ મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી પાટીલની સાથે જ યાત્રામાં જોડાયા હતા, એમને ચેપ લાગ્યો હતો. ભાજપના જ સાંસદો અભય ભારદ્વાજ અને રમેશ ધડુક, ધારાસભ્યો ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી, સુરેન્દ્રનગર ભાજપ પ્રમુખ દિલીપ પટેલ, મહામંત્રી જગદીશ મકવાણા સહિત અનેક આગેવાનો, કાર્યકરોને સંક્રમણ થયું હતું. ઉત્તર ગુજરાતની રેલીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી દિલીપ ઠાકોર, ધારાસભ્યો અને સાંસદો સાથે રહ્યાં હતા. આ પૈકી મોટાભાગના ઉંમરલાયક હોવાથી એમના માટે કોરોનાનું સંક્રમણ લાગી જવાની શક્યતાઓ વધારે હતું. ઉત્તર ગુજરાતની રેલી બાદ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા કોરોનામાં સપડાતા યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થયા છે.

પાટીલે જવાબદારી સંભાળ્યા પછી ગુજરાતમાં કોરોનાની કોઇ સ્થિતિ જ ન હોય એવી રીતે શરૂ કરેલા પ્રવાસ, રેલીઓ અને મેળાવડાની ચોમેરથી આકરી ટીકાઓ થઇ હતી. રાજ્યમાં સવા સો વર્ષ કરતાં વધુ સમયથી, કોમી હુલ્લડોમાં પણ નીકળતી અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ટોકન સ્વરૂપે પણ યોજવા દેવાનો ઇન્કાર કરનાર રૂપાણી સરકારની આ મુદ્દે આંખમીચામણાં કરવા બદલ આકરી ટીકા થઇ હતી. ખુદ ભાજપના અનેક કાર્યકરોએ પણ આવા કપરા સમયમાં ભીડ એકત્રિત કરી સ્વાગત, રેલીઓ પ્રત્યે નાખુશી વ્યક્ત કરી હતી. છેલ્લા પાંચ મહિનાથી ભાજપ તેના કાર્યકરોના સેવાકીય કાર્યોને લઇ કોરોના વોરિયર તરીકે પ્રસ્થાપિત થવા મથામણ કરતો હતો, તે હવે કોરોના કેરિયર સાબિત થતાં શાસક પક્ષ માટે કફોડી સ્થિતિ સર્જાઇ છે.

September 7, 2020
dead-afp.jpg
1min6300

સમગ્ર ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સીનો પ્રારંભ થયો છે. આ રિસર્ચ દ્વારા કોરોના વાયરસ માનવ શરીરમાં કેટલા પ્રમાણમાં અને ક્યા-ક્યાં આંતરીક અવયવો ઉપર કેવા પ્રકારની અસર કરે છે ? તે જાણી શકાશે. જેના આધારે કોરોના સંક્રમિત વ્યક્તિને કેવા પ્રકારની સારવાર જરૂરી છે તે મુજબ તેની સારવાર પધ્ધતિમાં ફેરફાર કરીને કોરોના સામેની લડાઈમાં વિજ્ય હાંસલ કરી શકાશે.

કોરોના સંક્રમણ અટકાવવા ભારત અને ગુજરાતમાં સંશોધનને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેવા સમયે રાજકોટને મળેલી પેથોલોજીકલ ઓટોપ્સી રિસર્ચની મંજુરીની’ વિગતો આપતાં પી.ડી.યુ. મેડીકલ કોલેજના ફોરેન્સિક મેડીસીન ડિપાર્ટમેન્ટના હેડ તથા કોવિડ હોસ્પિટલના એડી. સુપ્રીટેન્ડન્ટ ડો. હેતલ ક્યાડા જણાવે છે કે, કોવિડ- 19 એક નવા પ્રકારની બિમારી છે. જેની માનવ શરીર પર શું અસર થાય છે ? તેના વિસ્તૃત જ્ઞાન અને તેના સંશોધનના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારની સુચના અને માર્ગદર્શન હેઠળ ફોરેન્સિક મેડીસિન વિભાગ દ્વારા આ ચેપીરોગના વાયરસ દ્વારા જેનું મૃત્યુ થાય છે, તેનું શબ પરીક્ષણ (પોસ્ટમોર્ટમ) કરવામાં આવશે.

જેના દ્વારા માનવ શરીર પર થતી અસરો તથા તેને અટકાવવાના ઉપાયો જાણી શકાશે. આ ઉપાયો વડે અન્ય દર્દીની સારવાર માટેના પગલાં વધુ સુદૃઢ બનાવી શકાશે. કોરોના મહામારીને રોકવાના જે પ્રયાસો થઈ રહ્યા છે, તેના માટે આ મંજુરી માઈલસ્ટોન સાબિત થશે.

કોવિડ – 19 મહામારીના કારણે જેનું મૃત્યુ થયુ છે, તેના સગા સબંધીઓની સંમતી વિના આ કાર્ય શક્ય નથી તેમ જણાવતાં ડો. હેતલ ક્યાડા ઉમેરે છે કે, જે પરિવાર આ માટે આગળ આવશે તેમના સ્વજનના કોરોનાગ્રસ્ત મૃતદેહમાંથી જરૂરી સેમ્પલ લઈ તેના પરિક્ષણ બાદ તે મૃતકના સગા તથા બીજા કોઈને ચેપ ફેલાય નહી તે માટે સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર તેની અંતિમવિધિ સંસ્થાની ડેડ બોડી મેનેજમેન્ટ કમિટી દ્વારા કરવામાં આવશે. આ માટે મૃતકના સગાની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

September 7, 2020
corona-gujarat.jpg
1min6830

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો ત્રણ દિવસમાં નવો વિક્રમ સર્જાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૩૩૫ કેસ નોંધાયા છે અને ૧૪ દર્દીઓના મૃત્યુ કોવિડ-૧૯થી થયાનું જાહેર કરાયું છે. સૌથી ગંભીર સ્થિતિનો સામનો કરતાં સુરતમાં હવે પ્રવાસી શ્રમિકોનું પુન: આગમન થતાં સંક્રમણ વધ્યું છે એની સાથોસાથ ટેક્સટાઇલ માર્કેટ અને ડાયમંડ ઉદ્યોગ ધમધમતાં થતાં ફરીથી સંક્રમણે માથુ ઊચક્યું છે. સુરત શહેરમાંથી નવા ૧૮૫ કેસ તેમજ ગ્રામ્યમાંથી ૧૧૦ કેસ મળ્યા છે સાથોસાથ અનુક્રમે ૩ અને ૨ દર્દીઓના મૃત્યુ થયા છે.

દરમિયાન, રવિવારે સાંજે પાંચ વાગે પૂરાં થતાં ચોવીસ કલાકમાં અમદાવાદામંથી નવા ૧૭૩ કેસ મળ્યા છે જેમાં શહેરના ૧૫૨ કેસ છે અને વધુ ત્રણ દર્દીના મૃત્યુ થયા છે. આ જ રીતે વડોદરા શહેરમાંથી નવા ૯૦ કેસ ઉમેરાયા છે અને જિલ્લામાંથી ૩૭ કેસ મળી કુલ ૧૨૭ કેસ નોંધાયા છે. શહેરમાંથી એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ગાંધીનગરમાંથી કુલ ૪૧ કેસ નોંધાયા છે એમાં શહેરના ૨૦ કેસનો સમાવેશ થાય છે. એક મૃત્યુ પણ ગ્રામ્યમાં નોંધાયું છે.

સૌરાષ્ટ્રના હોટ સ્પોટ બનેલા રાજકોટમાંથી નવા ૧૦૧ કેસ તથા ગ્રામ્યમાંથી ૫૦ કેસ મળ્યા છે. અહીં સઘન રીતે ટેસ્ટીંગ અને કોન્ટેક્ટ ટ્રેકિંગ શરૂ કરાયું છે એના પગલે કેસ બહાર આવી રહ્યા છે. શહેરના એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. રાજકોટ પછી જામનગરમાંથી આજે પણ નવા ૯૭ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્યમાંથી ૯ મળી કુલ ૧૦૬ કેસ થાય છે. ભાવનગર શહેરમાંથી ૨૭ અને ગ્રામ્યના ૨૨ મળી ૪૯ નવા કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાંથી કુલ ૨૯ કેસ મળ્યા છે એમાં ગ્રામ્યના ૧૭ કેસ છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો પંચમહાલમાંથી નવા ૩૧, કચ્છ અને મહેસાણામાંથી ૨૯-૨૯ કેસ, નર્મદા, અમરેલીમાંથી ૨૩-૨૩ કેસ નોંધાયા છે. જ્યારે ભરૂચમાંથી ૨૨ કેસ મળ્યા છે. મોરબી અને સુરેન્દ્રનગરમાંથી ૨૧-૨૧ કેસ, દાહોદમાં ૧૭ કેસ નોંધાયા છે. પાટણમાંથી ૧૬, ગીર સોમનાથમાંથી ૧૫ અને આણંદમાંથી ૧૪ કેસ નવા નોંધાયા છે. તાપીમાંથી નવા ૧૩, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠામાંથી ૧૨-૧૨ કેસ ઉમેરાયા છે. આ સિવાય ખેડા અને નવસારીમાંથી નવા ૧૧-૧૧ કેસ, વલસાડમાંથી ૮, છોટાઉદેપુરથી ૬, મહીસાગરના ૫, અરવલ્લીમાંથી ૪ અને બોટાદ, પોરબંદરમાંથી ૩-૩ કેસ નવા ઉમેરાયા છે. કચ્છ, મોરબી અને ગીર સોમનાથમાંથી એક એક દર્દીના મૃત્યુ પણ નોંધાયા છે.

આમ, નવા ૭૨,૫૬૧ ટેસ્ટ કરાયા છે અને કુલ ટેસ્ટનો આંક ૨૭,૮૦,૬૮૧ સુધી પહોંચ્યો છે અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસ ૧,૦૪,૩૪૧ થયો છે જ્યારે નવા ૧૨૧૨ દર્દી સાજા થતાં કુલ ડિસ્ચાર્જ થનારનો આંક ૮૪,૭૫૮ થયો છે. અલબત્ત, મૃત્યુ આંક પણ વધીને ૩૧૦૮ થયો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૬૪૭૫ થઇ છે એમાં ૯૨ દર્દી વેન્ટીલેટર ઉપર અને બાકીના ૧૬૩૮૩ સ્ટેબલ છે.

સંક્રમણને ખાળવા આવા પગલાં લેવા કેન્દ્રની સૂચના

રવિવારે કેન્દ્રીય આરોગ્ય સચિવે ગુજરાતના સુરત જિલ્લામાં વધતાં જતાં સંક્રમણને લઇને ચિંતા વ્યક્ત કરી હતી અને તેને નાથવા માટે નવા પગલાં લેવા સરકારને સૂચના આપી છે.

  •  ચેપનિયંત્રણના કડક પગલાંઓનો અમલ અને સામાજિક અંતરના પગલાંઓનું પાલન કરવું, ચુસ્ત પરિસીમા નિયંત્રણ અને ઘરે-ઘરે સક્રિયપણે કેસ તપાસ હાથ ધરીને ચેપના ફેલાવાને મર્યાદિત કરવો.
  •  RT-PCR ટેસ્ટિંગ ક્ષમતાનો વૈકલ્પિક ઉપયોગ કરીને સમગ્ર જિલ્લાઓમાં પરીક્ષણમાં વધારો કરીને વહેલાસર કેસની ઓળખ કરવી.
  •  ઘરે આઇસોલેશનમાં રહેલા કેસો ઉપર પ્રભાવશાળી દેખરેખ અને બિમારી વધવાના કિસ્સામાં વહેલાસર હોસ્પિટલમાં દાખલ કરવા.
  •  સરળતાથી હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયા અને ખાસ કરીને સહબિમારી અને વૃદ્ધ વસ્તીના કિસ્સામાં તબીબી સહાયતાની જરૂરિયાત ધરાવતાં દર્દીઓને વહેલાસર દાખલ કરવા.
  •  આરોગ્યસંભાળ કાર્યકરોને ચેપના સંપર્કમાંથી સુરક્ષિત રાખવા માટે હોસ્પિટલમાં અસરકારક ચેપ નિયંત્રણ પગલાંઓ અનુસરવા.
  •  જિલ્લા કલેક્ટરો અને અન્ય કાર્યસત્તામંડળો અત્યાર જેટલી જ સખતાઇ રાખીને મહામારીને નિયંત્રિત કરવા પોતાના પ્રયત્નો ચાલુ રાખવા માટે જિલ્લા સંબંધિત આયોજનો તૈયાર કરવા અને અદ્યતન કરશે.