રાજ્યના અત્યંત લોકપ્રિય સંત મહામંડલેશ્વર ભારતી બાપુ (Mahamandleshwar Bharti Bapu) બ્રહ્મલીન થયા છે. અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમ ખાતે મહામંડલેશ્વર ભારતી બાપુએ શનિવાર મધરાતે દેહ ત્યાગ કર્યો હોવાની માહિતી આશ્રમ તરફથી જારી કરવામાં આવી હતી.
ભારતી બાપુ સરખેજ આશ્રમ ખાતે દેહ ત્યાગ કરતા સંતોમાં દુ:ખની લાગણી છવાઈ ગઈ છે. બાપુના બ્રહ્મલીન થતા તેમને સમાધિ જૂનાગઢ આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. બાપુના બ્રહ્મલીન શરીરને રવિવારે જૂનાગઢ ખાતે લઈ જવામાં આવશે. જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે કોવીડ ગાઇડલાઇન અંતર્ગત બાપુને સમાધિ આપવામાં આવશે.
લઘુ મહંત ઋષિ ભારતી બાપુએ માહિતી આપી કે બાપુએ રાત્રે 2.30 વાગ્યે બ્રહ્મલીન થયા છે. આજે સવારે 9.30 વાગ્યા સુધી ભારતી બાપુના બ્રહ્મલીન દેહને અંતિમ દર્શન માટે રાખવાનું આશ્રમ મેનેજમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં જ સરકાર દ્વારા શરૂ એવા વેક્સીનેશન કાર્યક્રમ અંતર્ગત ભારતી બાપુએ સરખેજ આશ્રમ ખાતે કોરોનાની વેક્સીન લીધી હતી. બાપુએ આ વેક્સીન લઈને તમામ વડીલોને અને લાયક લોકોને વેક્સીન લેવા માટે આહ્મવાન કર્યુ હતું.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટમાં અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિનું આંકલન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં લોકડાઉનનો કોઈ વિચાર કરાયો નથી. નાના વેપારીઓ તેમનો રોજગાર-વ્યવસાય ચલાવી શકે એટલે જ રાત્રિ કફર્યૂ નખાયો છે. કેસ ઘણા વધ્યા છે ત્યારે લોકો બિનજરૂરી ઘર બહાર ન નીકળે અને સ્વેચ્છાએ લોકડાઉન પાળે એ આવશ્યક છે. આ મારો પણ અનુરોધ છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં બેડ, રેમડેસિવીર ઇન્જેકશન, ટેસ્ટીંગ, મૃત્યુઆંક વિશે પૂછાયેલા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.
રાજકોટમાં કોરોનાની સમિક્ષા બેઠક માટે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિતના આવ્યા હતા અને શહેરના ડોકટરો, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.
સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, કોરોનાના કેસ વધી રહ્યા છે, પરંતુ લોકો ચિંતા કરે નહી, સાવચેત રહે. અત્યારે સરકારના મુખ્ય ધ્યેય સંક્રમણ વધતું અટકાવવામાં લોકો સહકાર આપે અને વધુને વધુ પ્રમાણમાં રસીકરણ કરાવે તે જરૂરી છે. સરકાર તરફથી લોકડાઉન કરવામાં આવશે નહીં, પરંતુ વેપારીઓ અને એસોસિએશનો સ્વેચ્છાએ લોકડાઉન પાળી શકે છે. તેમજ લોકો બિનજરૂરી બહાર ન નીકળે અને સ્વેચ્છાએ લોકડાઉન પાળે તેવો અનુરોધ કર્યો હતો. આ સાથે ટેસ્ટીંગ વધારવા અને કન્ટેનમેન્ટ ઝોન સીલ કરવા અધિકારીઓને સૂચના આપી હોવાનું જણાવ્યું હતુ.
વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેર કે જિલ્લા સહિત રાજ્યમાં ક્યાંય બેડની અછત નહિ પડવા દેવાય. રાજકોટમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા કરવા માટે જરૂરી સુચના આપી દેવામાં આવી છે.
રાજકોટ શહેર-જિલ્લામાં અત્યારે 4200 જેટલા બેડ છે અને આગામી ત્રણ દિવસમાં બેડની સંખ્યા 6631 સુધી લઈ જવામાં આવશે તેવી ખાતરી મુખ્યમંત્રીએ આપી હતી. વધુમાં નાના નર્સિંગ હોમને કોવિડ સેન્ટરમાં ફેરવવા માટે પણ ડોક્ટરોને કહેવામાં આવ્યું છે. આ સિવાય જુદા જુદા સમાજની વાડીઓમાં ઓછી અસર ધરાવનારા કોરોનાના દર્દીઓને રાખવામાં આવનાર છે. રાજકોટમાં મૃત્યુઆંક વધવા અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે, કોરોનાની બીજી લહેર વધારે ઘાતક છે. ત્યારે સમસ્યા વધે સ્વાભાવિક છે. કોરોના પોઝિટિવ અને મૃત્યુ પામનાર દરદીઓનો આંક છુપાવવામાં આવતો નથી, પરંતુ સુપ્રીમ કોર્ટના કહેવા મુજબ નામ જાહેર કરવા શક્ય નથી. જે સરકારી રજીસ્ટર થાય છે તે સરકાર જાહેર કરે છે. અત્યારની પરિસ્થિતિએ નકારાત્મક વિચારને બદલે જરૂરી વ્યવસ્થા પર ધ્યાન આપવું વધુ યોગ્ય છે. પહેલા માત્ર 35 વાર ટેસ્ટ થતા હતા જેમાં હવે ટેસ્ટિગ વધારવું એવો નિર્ણય કરાયો છે. અત્યારે દરરોજ સવા લાખ ટેસ્ટ કરી ટ્રીટમેન્ટ અને ટ્રાસિંગ વધારવામાં આવ્યું છે. ટેસ્ટીંગ સંદર્ભે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, ગુજરાત સરકારે આરટી-પીસીઆર ટેસ્ટ માટે 11 મશીન ખરીદ્યા છે. રાજકોટમાં આરટી-પીસીઆર ટેસ્ટ માટે વેઇટિંગ છે, આ જરૂરિયાતને સમજીને રાજકોટને આવતીકાલે વધુ એક મશીન ફાળવવામાં આવશે.
મુખ્યમંત્રીએ રેમડેસિવીરની અછત સંદર્ભે જણાવ્યું હતુ કે, અત્યારે રેમડેસીવીરની અછત વર્તાય છે તેની પાછળ બે કારણો છે. છેલ્લા 10 દિવસમાં કેસ વધ્યા છે એટલે ડિમાન્ડ વધી છે. માટે ગુજરાત સરકારે 3 લાખ ઇન્જેક્શન ખરીદી ઓર્ડર આપ્યો છે. છેલ્લા 5 દિવસમાં રાજકોટને 15000 જેટલા ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. હવે આ ઇન્જેક્શન કોઇ વ્યક્તિને નહિ પણ સીધા હોસ્પિટલને જ આપવામાં આવશે. સગા સંબંધીએ ઇન્જેક્શન માટે હેરાન ન થવું પડે માટે આ નિર્ણય લેવાયો છે. તેમાંય બિનજરૂરી રેમડેસીવીર ઇન્જેક્શન લેવાથી લીવર અને કિડની પર અસર પહોંચે છે. જેથી લોકો સાવચેત રહે અને વધુ પેનીક થઈને ડોક્ટરની સલાહ વગર રેમડેસિવીર ન લે તે જરૂરી છે.
રાજકોટમાં કોરોનાના સંક્રમણ અંગે સમિક્ષા કરવા આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો સાથેની બેઠક બાદ ખાનગી હોસ્પિટલોમાં 500 જેટલા બેડ વધારવા માટે તબીબોએ તૈયારી દશાર્વી છે. વધુમાં નવી હોસ્પિટલોને નડતો ફાયર એનઓસીનો પ્રશ્ન પણ એક મહિના માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય સ્થગિત થતાં નવી કોવિડ હોસ્પિટલો કાર્યરત થઇ શકશે અને સિવિલ તથા અન્ય ખાનગી હોસ્પિટલો ઉપરનું ભારણ ઘટશે. ફાયર એનઓસી નહીં હોય તેવી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં માઇલ્ડથી માઇનોર કોરોના ધરાવતા દર્દીઓને રાખવામાં આવશે. સિવિલ કે અન્ય હોસ્પિટલામાં આવા દરદીઓ હશે તો તેમને આવી હોસ્પિટલોમાં શિફટ કરવામાં આવશે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાઈરસનું સંક્રમણ ગંભીર રીતે વધતા સરકારે સમગ્ર રાજ્યમાં લૉકડાઉન લાદવાને બદલે મહાનગરો સાથે કુલ ૨૦ નગરોમાં જ રાતનો કરફ્યૂ લાદવાનો નિર્ણય કર્યો હતો. બીજી બાજુ ગુજરાત સરકારે રચેલી કોવિડ ટાસ્ક ફોર્સ કમિટીના તબીબી તજજ્ઞોએ પણ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે લૉકડાઉન એ એક માત્ર ઉપાય નહીં હોવાનો મત વ્યક્ત કર્યો છે.
આ અંગે ડો વી.એમ. શાહે જણાવ્યું કે, આ એક વાયરલ યુદ્ધ છે. આપણે પહેલા રોગને સમજવો જરૂરી છે. આ રોગનો એક જ ઇલાજ છે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક. તેનાથી ટેવાઇ જઇશું અને વેક્સિનથી હર્ડ ઇમ્યુનિટી થશે. હાલ યુ.કે. વેરયન્ટ ચાલી રહ્યો છે જે ખુબ જ ખતરનાક છે. વેક્સિનને માસ મુવમેન્ટ બનાવવી પડશે. દવાઓ બાબતે કેટલીક ગેરસમજ છે તે પણ દૂર કરવી પડશે. લોકોમાં અફવા છે કે, રેમેડેસિવિરથી કોરોના મટી જાય છે તે એક તથ્યહિન બાબત છે. દરેકને આ ઇન્જેક્શન આપી શકાય નહીં.
કોવિડ ટાસ્ક ફોર્સ કમિટીના ડો. તેજસ પટેલે લોકોને માસ્ક પહેરવા તથા ભીડમાં એકઠા ન થવા અને વેક્સિન લેવા માટે વિનંતી કરી હતી. કોરોનાનો સમય ઘણો કઠિન રહ્યો છે. વાયરોલોજીના તમામ સિદ્ધાંતને કોરોનાએ અવગણ્યો છે. દરેક ટેમ્પરેચરમાં વાયરસ સરવાઈવ થયો છે. એક સમય આવી ગયો કે હવે કોવિડ રવાના થશે પણ તેનાથી ઊલટી પરિસ્થિતિ શરૂ થઈ છે. હું વિનંતી કરું છું લોકોને માસ્ક પહેરવું જઈએ, ટોળાં ન થવા જોઈએ. લૉકડાઉન પણ આનો જવાબ નથી. હું લોકોને વિનંતી કરું છું વેક્સિન લઈ લો. વેક્સિનથી મોત થશે નહીં.
ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોના વિસ્ફોટક બની રહ્યો છે તેમજ વિવિધ જિલ્લાઓમાં સ્મશાન ગૃહમાં પણ વેઇટિંગની સ્થિતિ છે. તેવામાં On Date 8/4/21 સૌથી વધુ 4021 કોરોના કેસ સાથે 35 વ્યક્તિનાં મૃત્યુ થતાં સરકારની ચિંતામાં ઔર વધારો થયો છે. તો બીજી તરફ 2197 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 3,07,346 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યનો રિકવરી રેટ On Date 8/4/21 પણ ઘટયો હતો અને 92.44 ટકાએ પહોંચ્યો હતો. રાજ્યમાં કોરોનાની સારવાર માટે કુલ 12 હજારથી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે આજે રાજકોટમાં 31 અને જામનગરમાં 14 દરદીએ કોરોનાની સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા પરંતુ આ અંગે કોઈ સત્તાવાર જાહેર કરાયું નથી.
On Date 8/4/21 રાજ્યમાં કુલ 20473 એક્ટિવ દર્દી છે, જે પૈકી 182 દર્દી વેન્ટિલેટર પર છે અને 2021 દર્દી સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 307346 લોકોને ડિસ્ચાર્જ અપાઈ ચૂક્યું છે તેમજ અત્યાર સુધીમાં 4655 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. રાજ્યમાં આજે On Date 8/4/21 સુરત કોર્પો.માં 14, અમદાવાદ કોર્પો.માં 8, રાજકોટમાં 2, રાજકોટ કોર્પો.માં 2 અને વડોદરા કોર્પો. 2, અમદાવાદમાં 1, અમરેલીમાં 1, ભરૂચમાં 1, ભાવનગરમાં 1, જામનગરમાં 1, મહેસાણામાં 1 અને વડોદરામાં 1 થઇને કુલ 35 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.
On Date 8/4/21 અમદાવાદ કોર્પોરેશનમાં 470, સુરત કોર્પો.માં 598, રાજકોટ કોર્પો.માં 201, વડોદરા કોર્પો.માં 158, સુરતમાં 73, વડોદરામાં 64, જામનગર કોર્પોરેશનમાં 40, જામનગરમાં 6, પાટણમાં 9, રાજકોટમાં 71, ભાવનગર કોર્પો.માં 28, મહેસાણામાં 22, કચ્છમાં 22, ગાંધીનગર કોર્પો.માં 35, જૂનાગઢ કોર્પોરેશનમાં 9, મહીસાગર 18, મોરબીમાં 28, ખેડામાં 33, પંચમહાલમાં 26, બનાસકાંઠામાં 21, અમદાવાદમાં 20, ભરૂચ 18, દાહોદમાં 10, અમરેલીમાં 11, ભાવનગરમાં 10, સાબરકાંઠામાં 17, નર્મદામાં 21, આણંદ 49, વલસાડમાં 14, નવસારીમાં 14, સુરેન્દ્રનગરમાં 17, દેવભૂમિ દ્વારકામાં 0, ગીર સોમનાથમાં 0, ડાંગમાં 10, તાપીમાં 5, અરવલ્લીમાં 7, બોટાદમાં 0, છોટાઉદેપુરમાં 10, અને પોરબંદરમાં 0 થઇને કુલ કુલ 2197 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા છે.
અત્યાર સુધીમાં કુલ 74,04,864 વ્યક્તિનું પ્રથમ ડોઝનું અને 9,27,976 વ્યક્તિનું બીજા ડોઝનુ રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 83,32,840 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના કુલ 2,17,929 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 47,100 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.’
Reported on 8/4/21
નવા 3575 સાથે કુલ કેસ 3.25 લાખ Cases
કોરોનાની બીજી લહેરમાં ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણમાં રોજે રોજ કોરોનાના દર્દીઓમાં તથા મૃત્યુઆંકમાં વધારો થતો જાય છે. ગુજરાતમાં 7/4/21 રેકોર્ડબ્રેક 3575 કોરોના કેસ સાથે 22 વ્યક્તિઓના મૃત્યુ થતા નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. તો બીજી તરફ 2217 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,05,149 દર્દીઓ કોરોનાને મહાત આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 92.90 ટકાએ પહોંચ્યો હતો તેમજ 7/4/21 રાજ્યમાં 1,75,660 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ હતું. રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 18,684 એક્ટિવ દર્દી છે, જે પૈકી 175 લોકો વેન્ટિલેટર પર છે અને 18,509 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 3,05,149 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4620 લોકોનાં મોત નિપજ્યાં છે.
રાજ્યમાં થયેલા મૃત્યુ પૈકી સુરતમાં 10, અમદાવાદમાં 6, બનાસકાંઠામાં 1, ભાવનગરમાં 1, મહીસાગરમાં 1, મહેસાણામાં 1, પંચમહાલમાં 1 અને વડોદરામાં 1 આ પ્રકારે કુલ 22 લોકોનાં મોત નિપજ્યાં છે.
સૌરાષ્ટ્રના 925 કેસમાં રાજકોટ શહેરમાં 395 અને ગ્રામ્યમાં 95 મળીને જિલ્લામાં નવા 490 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 28958 થયો હતો. જેમાંથી વધુ 213 દરદી સાજા થયા હતા. તો બીજી તરફ શહેરની સરકારી હોસ્પિટલમાં 22 અને બે ખાનગી હોસ્પિટલમાં 1-1 મળીને જિલ્લામાં વધુ 24 દરદીનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતા. અત્યારે શહેરના 1863 અને ગ્રામ્યના 336 મળીને કુલ 2199 એક્ટિવ કેસ રહ્યા હતા. આજે જિલ્લાના ભાયાવદરમાં 20થી વધુ કેસ નોંધાતા નગરપાલિકા પ્રમુખે એક બેઠક બોલાવીને પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી અને વેપારીઓને સહકાર આપવા અપીલ કરી હતી. જ્યારે વિંછીયા શહેરમાં 9 તેમજ તાલુકાના જનડામાં 1, પીપરડી આલા ખાચરમાં 6 કેસ નોંધાયા હતા.
જામનગર જિલ્લમાં નવા 202 કેસ નોંધાયા હતા અને 84 દરદી સાજા થયા હતા. બીજી તરફ 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 28 દરદીએ અંતિમ શ્વાસ લીધા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક 1189 થયો હતો. જો કે, આ અંગે તંત્રએ સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. ભાવનગર જિલ્લામાં આજે નવા 90 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 7433 થયો હતો. જેમાંથી 41 દરદી ડિસ્ચાર્જ થતા હાલ 528 એક્ટિવ કેસ છે. બીજી તરફ શહેરમાં એક અને વલ્લભીપુર શહેરમાં કર્મકાંડ કરતા બ્રાહ્મણનું કોરોનાથી મૃત્યુ નિપજ્યું હતુ. જ્યારે તળાજાની ગર્લ્સ સ્કૂલના ત્રણ શિક્ષકો કોરોનાગ્રસ્ત થયા છે અને શાળા સોમવાર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મોરબી જિલ્લામાં નવા 31 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 3816 થયો હતો. જેમાંથી વધુ 14 દરદી સાજા થતા હવે 278 એક્ટિવ કેસ રહ્યા હતા. આજે મોરબીના આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા અને ઈન્ચાર્જ ડી.ડી.ઓ. ડી.ડી.જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં 20 કેસ અને 33 ડિસ્ચાર્જ, સુરેન્દ્રનગરમાં 11 કેસ અને 16 ડિસ્ચાર્જ, દ્વારકામાં 14 કેસ અને 8 તેમજ બોટાદમાં 9 કેસ અને 3 ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે ગીર સોમનાથમાં 13 અને પોરબંદરમાં 2 કેસ નોંધાયા હતા અને એકેય ડિસ્ચાર્જ થયો નહોતો.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે કોરોનાના સંક્રમણને રોકવા માટે ગુજરાત હાઇકોર્ટે આપેલા દિશાનિર્દેશોનું પાલન કરતા ગુજરાતના 20 શહેરોમાં તા.૭મી એપ્રિલથી તા.૩૦મી એપ્રિલ સુધી રાત્રિ કરર્ફ્યુ (રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી)નો અમલ શરૂ કરવામાં આવ્યો છે.
વીસ શહેરોમાં ગુજરાતની આઠેય મ્યુનિસિપલ કોર્પોરેશન (રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર) બાકીના ૧૨ શહેરોમાં આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભૂજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલીનો સમાવેશ રાત્રિ કરફ્યુમાં કરવામાં આવ્યો છે. આ અંગેનું નોટિફિકેશન ટૂંક સમયમાં જારી કરાશે.
ગુજરાત હાઈકોર્ટે સરકારને વાયરસ પર કાબૂ મેળવવા કડક કાર્યવાહી કરવા દિશાનિર્દેશો આપ્યા છે. ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું છે કે હાલની સ્થિતિમાં ગુજરાતમાં હાલ ત્રણથી ચાર દિવસનું લૉકડાઉન લગાવવું જરુરી છે. આ સિવાય જાહેર કાર્યક્રમોના નિયમો પણ કડક કરવા માટે ગુજરાત હાઇકોર્ટે સરકારને ટકોર કરી છે.
હાલ કોરોનાનો ફેલાવો અટકાવવા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના જે નિયમો છે તેમનું ચૂસ્ત પાલન કરવા પણ કોર્ટે જણાવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2875 કેસો નોંધાયા છે જ્યારે 2024 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 14 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 4566 પર પહોંચ્યો છે. ગુજરાતના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 664, સુરતમાં 545, વડોદરામાં 309, રાજકોટમાં 233 કેસો નોંધાયા છે.
તા.૨ એપ્રિલ ૨૦૨૧ના રોજ ગુજરાતમાં અગાઉ ક્યારેય નહીં નોંધાયા હતા એટલા દૈનિક કેસ મળી આવ્યા છે. તા.૨ એપ્રિલ ૨૦૨૧ની રાત્રે ૮ કલાકે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ગુજરાતમાંથી વધુ 2640 કેસો મળી આવ્યા છે.
આ જ સમયગાળા દરમિયાન કોવિડ-19ના કારણે વધુ 11 દર્દીના મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાએ છેલ્લા 12 દિવસમાં 9 વખત દૈનિક વધુ કેસ નોંધાવવાનો રેકોર્ડ સર્જયો છે.
છેલ્લા 8 દિવસમાં રાજ્યમાં કોરોનાના 2 હજારથી વધુ કેસ નોંધાયા છે, જેમાં 2200થી વધુ 4 વખત 2400થી વધુ 1 વખત અને આજે તમામ રેકોર્ડ તોડીને 2600 ઉપર કેસ નોંધાવા પામ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 7,12,797એ પહોંચી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4539 વ્યક્તિઓને કોરોના ભરખી ગયો છે. જો કે, આજે 2066 દર્દી કોરોનાને મહાત આપવામાં સફળ થતા કોરોનામાંથી ડીસ્ચાજ ઍ દર્દીનો આંક 2,94,650 પર પહોંચ્યો છે. કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા જેટ ગતિએ વધીને 13,559 થઇ છે, જેમાં 158 વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં આજે નોંધાયેલા સર્વોચ્ચ 2640 કેસમાં સુરત સૌથી મોખરે છે. સુરતમાં 644, અમદાવાદમાં 629, વડોદરામાં 376, રાજકોટમાં 307 આમ સૌપ્રથમવાર રાજકોટમાં 307 સર્વોચ્ચ કેસ નોંધાવા પામ્યા છે. જ્યારે ચાર મહાનગરોમાં જ 1956 કેસ નોંધાયા છે. આમ કુલ કેસના 74 ટકા માત્ર ચાર મહાનગરોમાં નોંધાયા છે. જ્યારે જામનગર અને ભાવનગરમાં 60-60, ગાંધીનગરમાં 55, મહેસાણામાં 43, પાટણમાં 42, મહીસાગરમાં 38, ખેડામાં 32, બનાસકાંઠામાં 30 તેમજ અન્ય જિલ્લાઓમાં 30થી ઓછા કેસ નોંધાવા પામ્યા છે. સરકાર દ્વારા અપાયેલા સત્તાવાર મૃત્યુના આંક મુજબ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં 3-3 જ્યારે ભરૂચ અને વડોદરામાં 1-1 મૃત્યુ નોંધાવા પામ્યા છે.
ગુજરાતના ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે તા.૧લી એપ્રિલ ૨૦૨૧ના રોજ ગાંધીનગર ખાતે વિધાનસભા સત્રમાં દાખલ થતા પૂર્વે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ જીવનનું મહત્વનું કામ કરવા જઇ રહ્યા છે, તેમણે ગુજરાત વિધાનસભામાં લવ જિહાદ વિરુદ્ધનો કાયદો રજૂ કરવામાં આવી રહ્યો છે એવી માહિતી પણ પત્રકારોને આપી હતી.
ગુજરાતના ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ લવ જિહાદ કાયદા અંગે શું કહ્યું સાંભળો
#लवजिहाद के खिलाफ विधानसभा में बिल पेश किया जा रहा है।
गृहराज्यमंत्री मंत्री @PradipsinhGuj ने कहा, 'जीवन में बड़ा काम करने जा रहा हूं।
हिन्दू समाज में बेटी जिगर का टुकड़ा मानी गयी है।शरीर का एक अंग है,पराई अमानत है।
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2220 કેસો નોંધાયા છે અને 1988 દર્દીઓ સાજા થયા છે. કોરોના વાયરસના કારણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 4510 પર પહોંચ્યો છે. જો કોરોનાના રસીકરણની વાત કરીએ તો આજે કુલ 1,93,968 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં કોરોનાને હરાવીને સાજા થવાનો દર 94.51 ટકા નોંધાયો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 288565 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા કુલ 12263 છે જેમાંથી 147 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 12116 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 10 દર્દીઓના મોત થયા છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 4 અને વડોદરામાં 1 દર્દીનું મોત નીપજ્યું છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કારણે મોત પામેલા દર્દીઓનો કુલ મૃત્યુઆંક 4510 પર પહોંચ્યો છે.
જો ગુજરાતના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોની સ્થિતિ જાણીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 606, સુરતમાં 563, વડોદરામાં 209 અને રાજકોટમાં 164 નવા દર્દીઓ નોંધાયા છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર નાખીએ તો છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં 38, જામનગરમાં 27, ગાંધીનગરમાં 26, મહેસાણામાં 26, નર્મદામાં 37 કેસો નોંધાયા છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મહીસાગરમાં 25, ખેડામાં 24, આણંદમાં 18, સાબરકાંઠામાં 16, દાહોદમાં 22, પાટણમાં 23, બનાસકાંઠામાં 3 કેસો નોંધાયા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર નાખીએ તો છેલ્લા 24 કલાકમાં મોરબીમાં 21, અમરેલીમાં 20, જામનગરમાં 19, કચ્છમાં 17, સુરેન્દ્રનગરમાં 14, વલસાડમાં 13, દેવભૂમિ દ્વારકામાં 5, ગીર સોમનાથમાં 3 અને નવસારી-પોરબંદરમાં 2-2 કેસો નોંધાયા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.