ગુજરાતનાં 33 જિલ્લામાં 1200 કેન્દ્રો ઉપર 18થી 44 વયજૂથના લોકોને વેક્સિન અપાશે: દરરોજ સવા બે લાખનાં રસીકરણનું લક્ષ્ય
ગુજરાતમાં 4/6/21થી રાજ્યના તમામ જિલ્લામાં 18થી 44ની વય જૂથના લોકોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ગુજરાતમાં રસીકરણને વેગવંતુ બનાવવા દરરોજ સવા બે લાખ ડોઝ આપવાનો નિર્ણય મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા લેવામાં આવ્યો છે.
મુખ્યપ્રધાનના જણાવ્યા અનુસાર, ગુજરાત સરકારે જે ત્રણ કરોડ ડોઝની વ્યવસ્થા કરી હતી તે અંતર્ગત રાજ્યના તમામ 33 જિલ્લાના 1200 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ફક્ત 10 જિલ્લામાં જ 18 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવતી હતી.’
ગુજરાત સરકારના અંદાજ મુજબ રાજ્યમાં 18થી 45 વર્ષની વયજૂથના 3.25 કરોડ નાગરિકો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 1 મે થી 18 વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 76 લાખ 39 હજાર 673 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 1 કરોડ 34 લાખને 9 હજાર 392ને પહેલો ડોઝ જ્યારે 42 લાખ 30 હજાર 281ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ વસતિ 6 કરોડ 94 લાખ વસતિમાંથી માત્ર 6 ટકાનું સંપૂર્ણ વેક્સિનેશન થયું છે. જ્યારે 25 ટકા વસતિને એક ડોઝ આપી દેવાયો છે.’ હર્ડ ઈમ્યૂનિટી માટે 70 ટકા વસતિને બન્ને ડોઝ લાગી જવા જરૂરી છે. જો દરરોજ 2 લાખ લોકોને વેક્સિન આપવામાં આવે તો અડધી વસતિ એટલે કે 3 કરોડ 50 લાખને વેક્સિન આપવામાં પણ હજુ ત્રણ મહિના લાગી જાય તેમ છે. આમાં પણ 75 ટકા જેટલા લોકોને માત્ર પહેલો ડોઝ જ મળ્યો હશે.
ગુજરાત સરકારના અંદાજ મુજબ રાજ્યમાં 18થી 45 વર્ષની વયજૂથના 3.25 કરોડ નાગરિકો છે. ગુજરાત સરકાર દરેક નાગરિકને રસી લેવા માટે કહે છે, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાનના જણાવ્યા અનુસાર 70 ટકા વસ્તી રસી લે તો હર્ડ ઇમ્યુનિટી આવે અને કોરોના કાબૂમાં આવી શકે છે. જો કે આ વયજૂથના લોકો રાજિંદી જીવનશૈલીમાં સૌથી વધુ સક્રિય હોવાથી તેઓમાં 85 ટકા જેટલાં લોકો ઓછામાં ઓછા રસી લઇ લે તે અપેક્ષિત રહેશે.












