CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 21 of 61 - CIA Live

June 6, 2021
saurashtra_university.jpg
1min477

તારીખ 1પમી જૂનથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શરૂ થનારી તમામ પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 15મી જૂનથી પોસ્ટ ગ્રેજ્યુએશનની અને ર1મી જૂનથી અન્ડર ગ્રેજ્યુએશનની ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ર1મી જૂનથી શરૂ થનારી પરીક્ષાની સત્તાવાર જાહેરાત કરાઈ ન હતી. આ માટે કેન્દ્રોથી માંડી મોટાભાગની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવાઈ હતી. દરમિયાન તાજેતરમાં કેન્દ્ર સરકારે સીબીએસઈ ધો. 12ની અને તેના પગલે રાજ્ય સરકારે પણ ધો. 12ની ઓફલાઈન પરીક્ષાઓ રદ કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારના નિર્ણય બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તારીખ 15મી જૂનથી શરૂ થનારી પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના 30 જેટલા અભ્યાસક્રમોની પરીક્ષા 1પમી જૂનથી શરૂ થનારી હતી. જેમાં વિવિધ કોર્સમાં રપથી 30 જેટલા વિદ્યાર્થીઓ જ છે. આ વિદ્યાર્થીઓ સ્કૂલના વિદ્યાર્થીઓ કરતા ઉંમર અને પરિપક્વતામાં મોટા છે. માટે કોરોના સામેની સાવચેતીના પગલાં જાતે લઈ શકે છે. આમાંથી ઘણા વિદ્યાર્થીઓએ રસી લઈ લીધી હોવાનું પણ સંભવ છે. પરીક્ષા આપ્યા પછી પરિણામને આધારે તેમને નોકરીમાં સર્ટિફિકેટ ઉપયોગી થઈ શકે એમ છે. આમ છતાં વહીવટી નબળાઈને કારણે પરીક્ષા મોકૂફ રખાતા વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાઈ છે.

June 4, 2021
Free-vaccinee-1280x720.jpg
1min548

ગુજરાતનાં 33 જિલ્લામાં 1200 કેન્દ્રો ઉપર 18થી 44 વયજૂથના લોકોને વેક્સિન અપાશે: દરરોજ સવા બે લાખનાં રસીકરણનું લક્ષ્ય

ગુજરાતમાં 4/6/21થી રાજ્યના તમામ જિલ્લામાં 18થી 44ની વય જૂથના લોકોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ગુજરાતમાં રસીકરણને વેગવંતુ બનાવવા દરરોજ સવા બે લાખ ડોઝ આપવાનો નિર્ણય મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા લેવામાં આવ્યો છે.

મુખ્યપ્રધાનના જણાવ્યા અનુસાર, ગુજરાત સરકારે જે ત્રણ કરોડ ડોઝની વ્યવસ્થા કરી હતી તે અંતર્ગત રાજ્યના તમામ 33 જિલ્લાના 1200 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ફક્ત 10 જિલ્લામાં જ 18 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવતી હતી.’

ગુજરાત સરકારના અંદાજ મુજબ રાજ્યમાં 18થી 45 વર્ષની વયજૂથના 3.25 કરોડ નાગરિકો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 1 મે થી 18 વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 76 લાખ 39 હજાર 673 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 1 કરોડ 34 લાખને 9 હજાર 392ને પહેલો ડોઝ જ્યારે 42 લાખ 30 હજાર 281ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ વસતિ 6 કરોડ 94 લાખ વસતિમાંથી માત્ર 6 ટકાનું સંપૂર્ણ વેક્સિનેશન થયું છે. જ્યારે 25 ટકા વસતિને એક ડોઝ આપી દેવાયો છે.’ હર્ડ ઈમ્યૂનિટી માટે 70 ટકા વસતિને બન્ને ડોઝ લાગી જવા જરૂરી છે. જો દરરોજ 2 લાખ લોકોને વેક્સિન આપવામાં આવે તો અડધી વસતિ એટલે કે 3 કરોડ 50 લાખને વેક્સિન આપવામાં પણ હજુ ત્રણ મહિના લાગી જાય તેમ છે. આમાં પણ 75 ટકા જેટલા લોકોને માત્ર પહેલો ડોઝ જ મળ્યો હશે.

ગુજરાત સરકારના અંદાજ મુજબ રાજ્યમાં 18થી 45 વર્ષની વયજૂથના 3.25 કરોડ નાગરિકો છે. ગુજરાત સરકાર દરેક નાગરિકને રસી લેવા માટે કહે છે, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાનના જણાવ્યા અનુસાર 70 ટકા વસ્તી રસી લે તો હર્ડ ઇમ્યુનિટી આવે અને કોરોના કાબૂમાં આવી શકે છે. જો કે આ વયજૂથના લોકો રાજિંદી જીવનશૈલીમાં સૌથી વધુ સક્રિય હોવાથી તેઓમાં 85 ટકા જેટલાં લોકો ઓછામાં ઓછા રસી લઇ લે તે અપેક્ષિત રહેશે.

June 3, 2021
spswami.jpg
1min521

ગઢડા ગોપીનાથજી મંદિરમાં સત્તા પરિવર્તન બાદ દેવપક્ષ અને આચાર્યપક્ષ વચ્ચે છેડાયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામી અને પૂર્વ કોઠારી ઘનશ્યામ સ્વામીને બે વર્ષ માટે છ જિલ્લામાંથી તડીપાર કરાતા વિવાદ વધુ ગરમાયો છે. સંસ્થાના દબાણ હેઠળ તડીપારનો હુકમ કરાયો હોવાનો એસપી સ્વામીએ આક્ષેપ કર્યો છે.

ગઢડા(સ્વામિના) મુકામે સ્વામિનારાયણ ભગવાને સ્વયં સ્થાપેલી વડતાલ ગાદી નીચે આવતા ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમા દેવ પક્ષ અને આચાર્ય પક્ષનો વિવાદ ચરમસીમાએ પહોંચતા દિન પ્રતિદિન નવા ફણગાઓ અને વિવાદ આકાર લઇ રહ્યા છે.આ બાબતે છેલ્લી ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીમાં છેલ્લા 22 વર્ષ સુધી આચાર્ય પક્ષની વહિવટી બોડી સામે દેવ પક્ષની બોડીને વિજેતા જાહેર કર્યા પછીથી એકધાર્યા વિવાદથી સાચું જાણતા હરિભક્તોની લાગણી દુભાઈ રહી છે.
સમગ્ર વિવાદ જોઈએ તો આ સંપ્રદાયમાં દેવ પક્ષ અને  આચાર્ય પક્ષના વિભાજન પછી સતત વિવાદો શરૂ રહ્યા છે. આ વિભાજનનું જાણવા મળતું મુખ્ય કારણ સંપ્રદાયમાં જે તે સમયે આચાર્ય તરીકે અજેન્દ્રપ્રસાદજી દ્વારા સંપ્રદાયના અને તેમના દ્વારા દિક્ષિત જે તે સાધુઓની નીતિ રીતિઓ તથા પ્રાઈવેટ ગુરૂકુળો અને પ્રાઈવેટ સત્તા સંપત્તિ તરફની દોટ અને કેટલાક કિસ્સાઓમાં ચારિત્ર્યના સવાલો ઉપર કસેલો સિકંજો કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સંપ્રદાયમાં ચાલી રહેલી લડાઈનાં મુખ્ય સૂત્રધારોમાં ગઢડા મંદિરનાં પૂર્વ કોઠારી શાસ્ત્રી ઘનશ્યામવલલભદાસજી અને એસ.પી. સ્વામી જેવા ગણ્યા ગાંઠયા સાધુઓનો સમાવેશ થાય છે. ગઢડા મંદિરમાં કરવામાં આવેલા સત્તા પલટા સહિત અનેક બાબતોમાં મક્કમ વિરોધ સાથે અસંખ્ય કોર્ટ મેટર પણ કરવામાં આવી છે.

બંને સાધુઓને 6 જિલ્લા અમદાવાદ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર તથા રાજકોટ માટે બે વર્ષ સુધી તડીપાર કરવાનો હુકમ બજાવી તંત્રએ મોટો ખેલ પાડી દેતા ભારે ખળભળાટ મચી જવાં પામેલ છે. આ બાબતે એસ.પી. સ્વામીએ એક પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે અમારા ઉપર કોઈ એવા કેસો નહી હોવાનું અને મંદિરમાં ધૂન દરમિયાન 188 જેવી સામાન્ય ફરિયાદ હોવાનું અને પોલીસના વિવાદાસ્પદ વર્તનનો વીડિયો જાહેર થયા પછી પોલીસ વિરુદ્ધ કાર્યવાહી માટે હાઈકોર્ટમાં કરેલી ફરિયાદથી અકળાયેલા અફસરો દ્વારા ફરિયાદો પાછી ખેંચવા બાબતે અને દબાણ લાવવા માટે બીજી તદન ખોટી ફરિયાદ દાખલ કરી હોવાનું તેમજ આ મુદ્દે અમે ન્યાયતંત્રમાં અને સરકારમાં રજૂઆત કરીશું તેમ જણાવ્યું હતુ

ગઢડા ગોપીનાથજી દેવ મંદિર પૂર્વ બોર્ડ સલાહકાર તેમજ પૂર્વ કોઠારી સામે હદપાર મામલે પોલીસ દ્વારા તડીપારની દરખાસ્તના આધારે તડીપારનો હુકમ કર્યા હોવાનું સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટ તરફથી એક નિવેદન આપવામાં આવ્યું હતું. તેમજ બચાવ માટે એસ.પી. સ્વામી અને ઘનશ્યામ સ્વામીને પૂરતી તક પણ આપવામાં આવેલ હોવાનું જણાવી એસ.પી. સ્વામી અને ઘનશ્યામસ્વામી વિરુદ્ધ 307, મારામારી સહિત 6 જેટલા નોંધાયેલા ગુન્હાના આધારે પોલીસની દરખાસ્ત મુજબ કામ કર્યાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.

June 3, 2021
guj_corona.jpg
1min431

ગુજરાતમાં બેથી અઢી મહિના સુધી કોરોનાએ આતંક મચાવ્યા બાદ હવે નવા કેસો ઘટવા લાગતા સરકારે અમદાવાદ સહિત ૩૬ નગરોમાં સવારના છ થી બપોરના ત્રણ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાના નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપીને સવારના નવથી સાંજના છ વાગ્યા સુધી દુકાનો અને વેપાર-ધંધા ખૂલ્લા રાખવાની મંજૂરી આપી છે. જો કે ૩૬ નગરોમાં રાતના નવથી સવારના છ વાગ્યા સુધીનો નાઇટ કરફ્યૂ યથાવત્ રાખવામાં આવ્યો છે.

ગુજરાતમાં એક તબક્કે રોજના ૧૪૦૦૦થી વધુ કેસો નોંધાઈ રહ્યા હતા, જે હવે ઉત્તરોતર ઘટીને દરરોજ ૧૬૦૦ જેટલા કેસો સામે આવી રહ્યા છે. કોરોના કાબૂમાં આવવા લાગતા સરકારે દુકાનદારો અને લારી-ગલ્લા ધારકોને સવારના ૯થી સાંજના ૬ વાગ્યા સુધી ધંધા-રોજગાર ખુલ્લા રાખવાની છૂટ આપી છે, જ્યારે રાત્રિ કર્ફ્યૂ વધુ એક અઠવાડીયું લંબાવ્યો છે અને તેમાં કોઈ છૂટ આપી નથી.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના ૩૬ શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લાં, શોપિંગ કોમ્પ્લેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા. ૪ જૂનથી સવારે ૯ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. કોર કમિટીમાં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે ૧૦ વાગ્યા સુધી થઈ શકશે.

રાજ્યમાં હાલ ૩૬ શહેરોમાં જે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્ય પ્રધાને જાહેરાત કરી છે. એટલે કે આ ૩૬ શહેરોમાં ૪થી જૂનથી ૧૧મી જૂન સુધીના દિવસો દરમ્યાન રાતે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી આ રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ચિંતાજનક હદે વધી જતાં સરકારે લગાવેલા આંશિક લૉકડાઉનમાં કેસ ઘટતાં આંશિક અનલોકની શરૂઆત કરવામાં આવી છે. ૩૬ શહેરના તમામ પ્રકારની દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્સ, લારી-ગલ્લાંને સવારે ૯થી બપોરે ૩ વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની મંજૂરી અપાઇ હતી પણ હવે ત્રણ કલાકની વધુ રાહત અપાઇ છે.

June 2, 2021
cotton.jpg
1min571

ખરીફ વાવણીનો સમય શરું થવા પૂર્વે કપાસનો ભાવ ગુજરાતમાં એક મણે રૂા.1500ની ઐતિહાસિક સપાટી વટાવીને રૂા.1556 સુધી પહોંચી ગયો છે. બે ત્રણ વર્ષ પહેલા કપાસનો ભાવ માંડ રૂા.1200 સુધી સમગ્ર સીઝનમાં પહોંચતો હતો પરંતુ આ વર્ષે આખી સીઝનમાં સરેરાશ ભાવ રૂા.1200નો મળ્યો છે અને હવે રૂા.1500 ઉપરના ભાવથી નોંધપાત્ર સોદા થતા ખેડૂતો હરખાઇ ઉઠયા છે. મંગળવારે તા.1 જૂન 2021ના એક જ દિવસમાં મણે રૂા.20-30ની તેજી હતી. છેલ્લાં એક માસમાં રૂા.225ની તેજી આવી ચૂકી છે.

ગુજરાતભરમાં કપાસની આવક હવે માંડ 40-45 હજાર મણની થાય છે. બોટાદમાં સૌથી વધારે 11 હજાર મણ કપાસ આવે છે. ત્યાં ઉચ્ચતમ રૂા.1125-1556 સુધીના ભાવથી કામકાજ થયા હતા. બાબરામાં રૂા.1235-1550, અમરેલીમાં રુ.1000-1507, ગોંડલમાં રૂા.1111-1500 અને રાજકોટ યાર્ડમાં રૂા.1300-1530નો ભાવ રહ્યો હતો.’ સારાં લંબતારી અને માઇકવાળા કપાસનો ભાવ જ રૂા.1500 કે તેનાથી વધારે બોલાઈ છે. ફરધર કપાસ પણ રૂા.1250-1300ના ભાવથી વેચાય છે. કપાસના બ્રોકરો કહે છે, હવે કપાસનો સ્ટોક બહુ ઓછો છે.

સારો કપાસ સમગ્ર ગુજરાતમાં 100-150 ગાડી કરતા વધારે નહીં હોય. ફરધર અને મિડીયમ માલ થોડો વધારે હશે. ન્યૂયોર્ક વાયદામાં તેજી અને તેની પાછળ સીસીઆઇ દ્વારા રોજ ઉંચા ભાવથી ગાંસડી વેંચવામાં આવી રહી છે. પરિણામે જિનોની નવી ખરીદી સારાં કપાસમાં વધી છે. યાર્ડમાં રૂા.1500-1550માં કપાસ વેચાઈ છે પણ ગામડેથી હજુ ખેડૂતો વેચતા નથી.
સંકર રુનો ભાવ તેજીની અસરે રૂા.49300 પ્રતિ ખાંડી પહોંચી ગયો છે. ઉત્તમ ક્વોલિટીની ગાંસડીમાં બે-ત્રણ દિવસથી રૂા.50,000ના ભાવથી પણ સોદા થઇ રહ્યા છે.’

May 27, 2021
night_curfew.jpg
1min395

ગુજરાતમાં કોરોનાના કેસોમાં થઇ રહેલા વધારાને કારણે રાજ્યનાં 36 શહેરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ કર્ફ્યૂની મુદત 27 મે સુધી રાખવામાં આવી હતી. હવે રાજ્યમાં કોરોના ધીમે ધીમે નિયંત્રિત થઈ રહ્યો હોવાથી રાજ્યમાં કર્ફ્યૂમાં લોકોને આંશિક રાહત આપવામાં આવી છે.

વિજય રૂપાણીએ રાજ્યનાં 36 શહેરમાં એક કલાકની રાહત આપીને કર્ફ્યૂનો સમય રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલી કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં 8 મહાનગર અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે, જેની મુદત આજે પૂર્ણ થતાં કોરોનાના કેસોની સંખ્યાઘટી રહી હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી. હવે આ મુદત પૂર્ણ થતી હોવાથી મુખ્યપ્રધાન રૂપાણીએ આજે રાજ્યનાં 36 શહેરમાં કર્ફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કરીને લોકોને આંશિક રાહત આપી છે.

સરકારે લીધેલા નિર્ણય મુજબ તમામ દુકાનો, લારી-ગલ્લા, શાપિંગ કોમ્પલેક્સ, માર્કાટિંગ યાર્ડ, હેર કાટિંગ સલૂન, બ્યુટીપાર્લર અને તમામ વેપાર સવારે 9થી બપોરના 3 સુધી ચાલુ રહી શકશે. જ્યારે બાગ-બગીચા, ધાર્મિક સ્થળો, સિનેમાગૃહો, જિમ, સ્પા, સ્વામિંગ પૂલ, ધાર્મિક-સામાજિક-રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત રખાયો છે. લગ્ન માટે 50 વ્યક્તિ અને અંતિમવિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા યથાવત રખાઇ છે. સરકારી, અર્ધસરકારી, ખાનગી કચેરીઓ 50 ટકા સ્ટાફથી ચાલુ રહી શકશે. પબ્લિક બસસેવા 50 ટકા મુસાફર ક્ષમતા સાથે ચાલશે. હોટલ-રેસ્ટોરાં સવારે 9થી રાત્રિના 8 વાગ્યા સુધી ચાલુ રહી શકશે, પણ માત્ર ટેકઅવે અને હોમડિલિવરીની સુવિધા આપી શકશે. તેમજ અન્ય નિયંત્રણો યથાવત રાખવામાં આવ્યા છે. વેપાર-ધંધાને વધારાની છૂટ નહીં અપાતા વેપારીઓમાં કચવાટ ફેલાયો છે.

સરકારે લગાવેલા આંશિક લોકડાઉનમાં કેસ ઘટતાં આંશિક અનલોકની શરૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામ 36 શહેરમાં ગત શુક્રવારથી રાજ્યમાં તમામ પ્રકારની દુકાનો, શાપિંગ કોમ્પ્લેક્સ, લારી-ગલ્લાને સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની મંજૂરી અપાઇ છે.

May 23, 2021
taukatecyclone.jpg
1min606

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં વાવાઝોડાને પરિણામે મકાનો, ઝુપડાઓ વગેરેને થયેલા નુકસાનની સહાય ચૂકવવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તૌકતે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે. ખેડૂતોના પાક, વૃક્ષો અને કાચા-પાકા મકાનો પણ તૂટી ગયા છે.

આ બેઠકમાં બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે વાવાઝોડાના પરિણામે નુકસાન-નાશ પામેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓ, અંશત: નુકસાન પામેલા કાચા મકાનો વગેરે અંગેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. વાવાઝોડાને પરિણામે રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે 95100 રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું.

શહેરી વિકાસ તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં આવા સર્વે માટે અન્ય જિલ્લાઓમાંથી વધારાનો મેન પાવર બોલાવીને સર્વેની કામગીરી વેગવાન બનાવવા માં આવી છે. નુકસાન અંગે નુકસાન સહાયના ધોરણો મુખ્યમંત્રીએ જાહેર કર્યા છે

વાવાઝોડાને પરિણામે રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે 95,100ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

  • – અંશત: નુકસાન પામેલા કાચા- પાકા મકાનો એટલે કે છાપરા- નળીયા ઉડી ગયા હોય, કોઇ દિવાલ ધારાશાયી થઈ ગઈ હોય તેવા મકાનો માટે 25,000ની સહાય અપાશે
  • – આ વાવાઝોડાને પરિણામે જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તે ઝૂંપડાઓ માટે 10,000ની સહાય
  • -તેમજ પશુ રાખવાની જગ્યા ગમાણ- વાડાને થયેલા નુકસાન માટે 5000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે


May 22, 2021
university.jpg
1min455

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર ગ્રુપની બેઠકમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં સ્નાતક કક્ષાના મેડિકલ-પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે.’

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રાસિંહ ચુડાસમાએ કોર કમિટીના આ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારે આ વર્ષે કોવિડ-19 કોરોના સંક્રમણની વ્યાપક પરિસ્થિતિમાં શાળા-કોલેજોમાં શિક્ષણકાર્યને પડેલી અસરને ધ્યાનમાં લઇને આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન માત્ર આ વર્ષ પૂરતું આપવાનો નિર્ણય કર્યો છે.’

રાજ્ય સરકારે કરેલા આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનના નિર્ણયનો લાભ સરકારી અને ખાનગી યુનિવર્સિટી તથા કોલેજોના મેડિકલ-પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર ર, 4 અને જ્યાં સેમેસ્ટર 6 પણ ઇન્ટરમિડીયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મળશે. આવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અંદાજે 9.50 લાખ જેટલી થવા જાય છે એમ તેમણે ઉમેર્યુ હતું’

ચૂડાસમાએ ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને અપાનારા મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનની પદ્ધતિ અંગે વિસ્તૃત સમજ આપતાં જણાવ્યું કે, આ હેતુસર માર્કસની ગણતરી માટે પ0 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકનના આધારે અને બાકીના પ0 ટકા ગુણ તૂરતના અગાઉના-પ્રિવીયસ-સેમિસ્ટરના આધારે આપવામાં આવશે. જોકે સાથે તેમણે’ પણ સ્પષ્ટતા કરી હતી કે જો યુનિવર્સિટી-કોલેજો દ્વારા પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવી નહી હોય તો ત્યાં પ0 ટકા ગુણ આંતરિક મુલ્યાંકનના આધારે અને બાકીના પ0 ટકા ગુણ તુરતના’ અગાઉના પ્રિવીયસ સેમેસ્ટરના આધારે ગણાશે. જે કિસ્સાઓમાં પ્રાયોગિક પરીક્ષા લેવાઇ હશે તેવા કિસ્સામાં પરીક્ષામાં મેળવેલ ખરેખર ગુણ ધ્યાને લેવાશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

May 20, 2021
guj_corona.jpg
1min654

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા.21 મે થી 27 મે 2021 સુધી ગુજરાતમાં વેપાર-ધંધા એટલે કે નાની મોટી દુકાનો શરૂ કરવાની છૂટ આપતી જાહેરાત આજરોજ તા.20મી મેએ સાંજે 6 વાગ્યે કરી છે. મિની લોકડાઉન ધરાવતા ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર પહેલેથી જ શરૂ છે, ત્યાં બંધ કે પ્રતિબંધ લદાયો ન હતો, હવે જે સેક્ટર બંધ હતું એ વેપાર ધંધાને આંશિક છૂટ આપવામાં આવી છે.

ગુજરાતમાં 21 મેથી એટલે કે આવતીકાલથી નિયંત્રણો ધરાવતા 36 શહેરોમાં સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે.

કોરોના વાયરસની બીજી લહેરમાં ગુજરાતની હાલત કફોડી બની ગઈ હતી. જેના કારણે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અને નિયંત્રણો રાખવામાં આવ્યા હતા. હવે પરિસ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે અને કેસની તથા મૃત્યુની સંખ્યા પણ સતત ઘટી રહી છે. જેને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે આ નિયંત્રણોમાં છૂટછાટ આપી છે.

May 20, 2021
Modi-Rupani_Cyclone.jpg
1min530

ગુજરાતમાં વાવઝોડાથી થયેલા વ્યાપક નુકસાનને પગલે ગુજરાતની મુલાકાતે આવી પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા બાદ અમદાવાદ ખાતે મુખ્ય પ્રધાન સાથે સમીક્ષા બેઠક યોજીને કેન્દ્ર સરકાર તરફથી તત્કાળ રાહત કામગીરી માટે રૂપિયા એક હજાર કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રાજ્યમાં કોવિડ-૧૯ અંગે પણ સારવાર અને અન્ય વ્યવસ્થાઓની જાણકારી પણ તેમણે મેળવી હતી. વડા પ્રધાને ગુજરાતના લોકોને સંપૂર્ણ સાથસહકારની ખાતરી પણ આપી હતી.

તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજ્યમાં કેટલી હદે નુકસાન થયું છે એનું મૂલ્યાંકન કરવા આંતર-મંત્રીમંડળીય ટીમને રાજ્યની મુલાકાત લેવા મોકલશે તેમ જ કેન્દ્ર સરકાર અસરગ્રસ્ત રાજ્યોમાં માળખાગત સુવિધાઓની પુન:સ્થાપના અને એનું પુન:નિર્માણ કરવા માટે તમામ મદદ કરશે. રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચક્રવાતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂપિયા બે લાખ અને ઇજાગ્રસ્ત લોકોને રૂપિયા ૫૦,૦૦૦ની સહાય આપવાની પણ જાહેરાત તેમણે કરી હતી.

વડા પ્રધાન મોદીએ બુધવારે ચક્રવાત તૌકેતથી ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવા ગુજરાતની મુલાકાત લીધી હતી. ઉના (ગીર સોમનાથ), જાફરાબાદ (અમરેલી), મહુવા (ભાવનગર) અને દીવમાં ચક્રવાતથી અસર પામેલા વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો.

વડા પ્રધાને મુલાકાત દરમિયાન કોવિડ મહામારી સાથે સંબંધિત સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારના વહીવટીતંત્રએ મહામારી સામે લડવા માટે હાથ ધરવામાં આવેલા પગલાં વિશે જાણકારી આપી હતી અને વડા પ્રધાને મહામારીનું નિવારણ કરવા માટે પગલાં લેવામાં આવે એ સુનિશ્ર્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.

નરેન્દ્ર મોદીએ ભારતના વિવિધ વિસ્તારોમાં ચક્રવાતને કારણે અસર પામેલા તમામ લોકોની સાથે હોવાની લાગણી વ્યક્ત કરી હતી તથા આ આપત્તિ દરમિયાન પોતાના સગાંસંબંધીઓ ગુમાવનાર લોકો પ્રત્યે દુ:ખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.

તેમણે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન રાજ્યો તથા દીવ અને દમણ તથા દાદરા નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચક્રવાતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂપિયા બે લાખ અને ઇજાગ્રસ્ત લોકોને રૂ. ૫૦,૦૦૦ની સહાય આપવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ચક્રવાત પછી ઊભી થયેલી સ્થિતિમાં અસરગ્રસ્ત રાજ્યોની સરકારો સાથે સંકલન સ્થાપિત કરીને કામ કરી રહી છે. આ રાજ્યો માટે તાત્કાલિક નાણાકીય સહાય આપવામાં આવશે, જે માટે સંબંધિત રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકાર સમક્ષ તેમની આકારણી રજૂ કરવી પડશે, જેના આધારે નાણાકીય સહાયનો નિર્ણય લેવામાં આવશે.

તેમણે નુકસાન થયેલા ઘરો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મિલકતોનું સમારકામ કરવાની પણ અપીલ કરી હતી.